Opinion Magazine
Number of visits: 9448778
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હા, મુંબઈના વિકાસમાં મોટો ફાળો તો ગુજરાતીઓનો જ છે !

રમેશ ઓઝા|Opinion - Opinion|4 August 2022

મુંબઈમાં એક સ્થળે બોલતા મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ એવું કહ્યું કે મુંબઈના વિકાસમાં ગુજરાતીઓ અને રાજસ્થાનીઓનો સિંહફાળો છે અને જો તેઓ મુંબઈ છોડીને જતા રહે તો મુંબઈ-થાણેમાં કોઈ પૈસો જ બચે નહીં. તેમના આ નિવેદનના કારણે મુંબઈ અને મહારાષ્ટ્રમાં હોબાળો મચ્યો છે, તે ત્યાં સુધી કે મહારાષ્ટ્રના બી.જે.પી.ના નેતાઓ પણ તેમના પોતાના રાજ્યપાલની મદદે આવતા નથી, બલકે ટીકા કરી છે એટલે રાજ્યપાલે માફી માગવી પડી છે.

હવે સત્ય શું છે એની વાત કરતાં પહેલાં બીજા એક સત્યની વાત કરી લઈએ. તમે જોયું, ગર્વ સે કહો હમ હિંદુ હૈ એમ કહેનારા હિંદુઓમાં તકરાર પડી. હજુ મહિના પહેલા કેટલાક શિવસેનાના વિધાનસભ્યોને અચાનક જ્ઞાન થયું હતું કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેના હિન્દુત્વનો રસ્તો ચાતરી ગઈ છે, પુત્રએ પિતા બાળાસાહેબનો દ્રોહ કર્યો છે અને માત્ર બી.જે.પી. જ સેનાસહોદર હોઈ શકે; જે હિંદુ હોવાનો ગર્વ નથી અનુભવતા એવા કાઁગ્રેસ અને રાષ્ટ્રવાદી કાઁગ્રેસ નહીં. રાજ્યપાલે પણ રાજ્યપાલ હોવાનું ભાન અને વિવેક ભૂલીને ઉદ્ધવ ઠાકરેને સંભળાવ્યું હતું કે તમે હિંદુદ્રોહી છો. અંતે હિંદુ-હિંદુ એક થયા, ઉદ્ધવ ઠાકરેની સરકાર તોડવામાં આવી અને મહારાષ્ટ્રમાં હિંદુરાજ્ય સ્થાપવામાં આવ્યું.

તો પછી ઝઘડી કેમ પડ્યા? શું ગુજરાતીઓ અને મારવાડીઓ હિંદુ નથી? મુંબઈના વિકાસમાં જે ગુજરાતીઓ અને મારવાડીઓએ યોગદાન આપ્યું છે એમાંથી ૯૯ ટકા લોકો હિંદુ કે જૈન છે. રાજ્યપાલે મુંબઈના વિકાસનો શ્રેય અફઘાનોને, તુર્કોને, ઈરાનીઓને કે યવનોને તો આપ્યો નથી; આપણા પોતાના હિંદુબાંધવોને જ આપ્યો છે. ગુજરાતીઓ અને મારવાડીઓને શ્રેય આપવામાં આવે એમાં મરાઠીઓને શા માટે પેટમાં દુઃખવું જોઈએ, જ્યારે આપણે પહેલા અને છેલ્લા હિંદુ છીએ? અને જો પેટમાં દુઃખતું હોય તો “આપણે પહેલા હિંદુ”નું હિન્દુત્વ ક્યાં ગયું? મરાઠી હોવાપણાએ સરસાઈ કેમ મેળવી? રાજ્યપાલે ‘પરાયા હિંદુ’ઓની પ્રસંશા કરી એટલે ‘આપણા ઘરના’ હિંદુઓ નારાજ થયા.

ભારતમાં સરેરાશ ભારતીય સરેરાશ દસેક જેટલી ઓળખો લઈને જીવે છે. તે ઓછામાં ઓછો ભારતીય છે અને બાકીની ઓળખો સમય અને જરૂરિયાત મુજબ બદલાતી રહે છે. તે ક્યારેક હિંદુ કે મુસલમાન થઈ જાય, ક્યારેક ગુજરાતી કે મરાઠી થઈ જાય, ક્યારેક તે વૈષ્ણવ કે શૈવ થઈ જાય, ક્યારેક જ્ઞાતિગરવીલો થઈ જાય, ક્યારેક પેટા-જ્ઞાતિનો બંદો થઈ જાય, જો કોઈ દક્ષિણ ભારતીય હોય તો તે ક્યારેક દ્રવિડ બની જાય અને તેની સામે બીજો ઉત્તર ભારતીય આર્ય બની જાય, શુદ્ધ હિન્દીમાં એક વાક્ય ભલે ન બોલી શકે પણ તે ક્યારેક હિન્દીરક્ષક બની જાય, તો હિન્દીની જોહુકમીનો વિરોધ કરનારો માતૃભાષાપ્રેમી અને રક્ષક થઈ જાય, દેશનો સામાન્ય નાગરિક જે સરળ હિન્દુસ્તાની ભાષા બોલે છે તેનો વિરોધ કરીને સંસ્કૃતમિશ્રિત હિન્દી ભાષાનો સૈનિક બની જાય, સ્ત્રીના અધિકારની વાત આવે તો પુરુષ બની જાય અને જો પાકિસ્તાન સામે ક્રિકેટ મેચ રમાતી હોય તો ભારતીય થઈ જાય. ભારતીય એ માત્ર ક્રિકેટમેચ પૂરતો જ બને છે. ખરું પૂછો તો હિંદુ પણ એ ત્યારે જ બને છે જ્યારે સામે મુસલમાન હોય. ટૂંકમાં સરેરાશ ભારતીય સામેવાળાને જોઇને પોતાની ઓળખ બદલતો રહે છે.

અને માણસ? સરેરાશ ભારતીય માણસ હોવાની તસ્દી ઓછી લે છે, કારણ કે માણસ બનવું પડે છે, એ એક તપશ્ચર્યા છે. માણસ હોવાની ઓળખ આપોઆપ વગર મહેનતે જન્મ સાથે નથી મળતી. ઊલટું માણસ બનવા માટે માણસાઈને કુંઠિત કરતી ઓળખો છોડવી પડે છે. એક વાર માણસ બનવાનો જરાક પ્રયાસ કરી જુઓ, તમને ખાતરી થવા લાગશે કે ઓળખો એમાં કેવી વિઘ્નરૂપ છે. માણસ, માણસ બનતા ડરે છે, કારણ કે તેમાં એકલા પડી જવાની નિશ્ચિત સંભવના છે. ડરપોક માનવી ઓળખનો પાલવ પકડીને ટોળાંમાં આશ્રય મેળવે છે, જેનો નેતાઓ અને ધર્મગુરુઓ લાભ લે છે.

તો વાત એમ છે કે સરેરાશ ભારતીય; માણસ બનવાથી તો સાવ ભાગે છે, ભારતીય પણ એ પાકિસ્તાન સામેની ક્રિકેટમેચ પૂરતો જ બને છે, પણ આશ્ચર્ય એ વાતનું છે કે હિંદુ પણ એ મુસલમાન સામે હોય તો જ બને છે. મોટી ઓળખ એ ત્યારે જ અપનાવે છે જ્યારે સામે મોટો દુશ્મન (વાસ્તવિક, કાલ્પનિક કે બીજા દ્વારા પકડાવેલો) હોય.

મહારાષ્ટ્રમાં અત્યારે આ જ બની રહ્યું છે. રાજ્યપાલને કડવો અનુભવ થઈ રહ્યો છે કે તેમણે એક પ્રાંતના શહેરનો વિકાસ કરનારા બીજા પ્રાંતના હિંદુઓનો મહિમા કર્યો એમાં લાભાર્થી પ્રાંતના હિંદુઓને હિંદુ હોવા માટે ગર્વ અનુભવવાની જગ્યાએ કે ઓશિંગણ ભાવ અનુભવવાની જગ્યાએ માઠું લાગ્યું. મરાઠી હિન્દુત્વવાદીઓએ તો ગર્વ લેવો જોઈતો હતો કે હિંદુ પ્રજા કેટલી મહાન છે, કે તે પોતાની વહાલી જન્મભૂમિ છોડીને, હાથમાં દોરી લોટો લઈને, કષ્ટ ઉઠાવીને પરાયા પ્રાંતનો વિકાસ કરવા જેટલી ઉદારતા ધરાવે છે. હિદુ હો તો ઐસા!

પણ એવું બન્યું નહીં. હિન્દુત્વવાદીઓમાં તકરાર પેદા થઈ છે. એક હિંદુ બીજા હિન્દુનો શ્રેય નકારે છે. ઓળખ આધારિત કૃત્રિમ એકતા કેટલી તકલાદી હોય છે એનો આ નમૂનો છે. માટે તો ઓળખનું રાજકારણ કરનારાઓએ ઓળખને ખીલે બાંધેલાં ઘેટાંઓને રોજ ઓળખનો ચારો નીરતા રહેવું પડે છે. 

પહેલા સત્યની વાત કર્યા પછી હવે બીજા સત્યની વાત. મુંબઈના વિકાસમાં ગુજરાતીઓ અને મારવાડીઓનો ફાળો ઘણો મોટો છે, એ સાચી વાત છે? 

જવાબ છે; નિ:સંદેહ હા. ૧૭મી સદીથી લઈને વીસમી સદી બેઠી ત્યાં સુધી મુંબઈનો વિકાસ મુખ્યત્વે ગુજરાતીઓ થકી થયો છે. ગુજરાતીઓમાં પણ પારસી અગ્રેસર. મુંબઈ શું, કરાચીનો વિકાસ પણ ગુજરાતીઓ થકી થયો હતો. મુખ્યત્વે કચ્છ, હાલાર, ઘેડ અને સોરઠના ગુજરાતી હિંદુઓ અને મુસલમાનો થકી. ભારતનાં વિભાજન પહેલાં ૧૯૪૧ની વસ્તીગણતરી મુજબ કરાચીમાં ગુજરાતીઓની વસ્તી ૫૫ ટકા હતી.

ગુજરાતીઓ મુંબઈ શા માટે આવ્યા એનાં પણ કારણો છે. એ સમયે સુરત ધીકતું બંદર હતું, પણ અંગ્રેજો સુરતની જગ્યાએ મુંબઈનું બારું વિકસાવવા માગતા હતા. એક તો ખંભાતનો અખાત છીછરો થતો જતો હતો જેને કારણ ખંભાતનું બંદર બિનઉપયોગી થઈ ગયું હતું અને સુરતનું બંદર થવામાં હતું. એની સામે મુંબઈની ખાડી કુદરતી રીતે એટલી ઊંડી હતી કે મોટાં વહાણોને છેક કિનારે લાંગરી શકાતાં હતાં, પણ સમસ્યા એ હતી કે મુંબઈનું હવામાન અને ભૌગોલિક રચના પ્રતિકૂળ હતાં. મુંબઈને કિનારે પાણી નહોતું, પાણીમાં મુંબઈ હતું. એક સમયે અંગ્રેજોએ મુંબઈનો વિકાસ કરવાનું પડતું મૂકીને સામે કિનારે ઉરણમાં બંદર વિકસાવવાનું પણ વિચાર્યું હતું. આઝાદી પછી ઉદ્યોગધંધા વધતાં મુંબઈનું બારું ટૂંકું પડવા લાગ્યું ત્યારે ભારત સરકારે ઉરણમાં જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ(જે.એન.પી.ટી.)ના નામે નવું બંદર વિકસાવ્યું છે. તો ગુજરાતીઓ (એ સમયે મુખ્યત્વે પારસીઓ) મુંબઈ આવવા લાગ્યા એનું એક કારણ અંગ્રેજો દ્વારા કરવામાં આવતો મુંબઈનો વિકાસ હતું. મુંબઈમાં ધંધાની તકો પેદા થવા લાગી હતી.

ગુજરાતીઓ સુરત છોડીને મુંબઈ આવ્યા અથવા ગુજરાત-કાઠિયાવાડનાં ગામડાંઓના ગુજરાતીઓ સુરતની જગ્યાએ મુંબઈ આવવા લાગ્યા એનું બીજું એક કારણ મરાઠાઓનો ત્રાસ હતો. ઈ.સ. ૧૬૬૪ની સાલમાં પહેલી વાર અને ૧૬૭૦માં બીજી વાર, શિવાજી મહારાજે સુરત લુંટ્યું હતું. એ પછી વેપારીઓએ મરાઠા સરદારોને અને સૈનિકોને લાગો આપવો પડતો હતો, એનો કોઈ ઠરાવેલો દર નહોતો, મરાઠાઓની મનમાની ચાલતી હતી અને સૌથી મોટું કારણ કાયદો અને વ્યવસ્થા નામની કોઈ ચીજ નહોતી. ટૂંકમાં ગુજરાતના પારસી અને હિંદુ વેપારી ભાઈઓ મરાઠા હિંદુ ભાઈઓના રોજેરોજના રંજાડથી ત્રાસેલા હતા અને માટે તેઓ મુંબઈ આવવા લાગ્યા હતા.

માનવઇતિહાસ વાંચતા આવડવો જોઈએ અને જો તે વાંચતા ન આવડે તો કોઈ આપણો હથિયાર તરીકે ઉપયોગ કરે અને આપણે જીવતા બોમ્બ બનીને સમાજની વચ્ચે ફરીએ. “આપણે” શ્રેષ્ઠ અને આપણાં લોકો આપણું અહિત કરે જ નહીં અને અહિત કરનારા “પરાયા” જ હોય છે એવી સમજ ભોળી સમજ છે. એક સર્વગુણસંપન્ન હીરો અને બીજો ગામના ઉતાર જેવો વિલન એ સિનેમા થિયેટરનું અને પોલિટીકલ થિયેટરનું મન બહેલાવનારું કલ્પન છે. સિનેમા થિયેટરમાંથી તો પ્રેક્ષકનો ત્રણ કલાક પછી છુટકારો થાય છે, પણ પોલિટીકલ થિયેટરમાં જે ઘુસી જાય છે તેનો બાપડાનો જિંદગી આખી છુટકારો થતો નથી. તો ઇતિહાસસિદ્ધ હકીકત એ છે કે ગુજરાતી વેપારીઓ ઉદ્યમી યવનોએ જીદપૂર્વક મુંબઈ બંદર વિકસાવતા હતા તેમાં તક નજરે પડતા અને મરાઠા હિંદુ ભાઈઓના રંજાડથી બચવા મુંબઈ આવવા લાગ્યા હતા.

સામે મુંબઈના ટાપુઓ ઉપર ખાસ કોઈ વસ્તી નહોતી અને જે હતી એ કોળી અને માછીમારોની હતી. તેઓ મુંબઈનો વિકાસ થતો નિહાળી રહ્યા હતા, પણ તેમાં કોઈ પણ રીતે ભાગીદાર નહોતા, લાભાર્થી તો જરા ય નહોતા, ઊલટું તેઓ તેમની હકની જગ્યા ગુમાવી રહ્યા હતા અને તેની સામે ખ્રિસ્તી મિશનરીઓ તેમને ઈસાઈ ધર્મ પકડાવતા હતા. ગાંધીજીએ યોગ્ય જ કહ્યું છે કે શહેરોનો વિકાસ માનવ દ્વારા માનવના કરવામાં આવતા શોષણના પાપ દ્વારા અને હિંસા (સુક્ષ્મ અને સ્થૂળ બન્ને) દ્વારા જ થાય છે. રહી વાત બાકીના મહારાષ્ટ્રના મરાઠીઓ માટે મુંબઈમાં આવીને વસવાનો તો તેઓ વેપારવણજ કરતા નહોતા એટલે તેમને મુંબઈ જેવા દુર્ગમ શહેરમાં આવવા માટે કોઈ કારણ નહોતું. તેઓ ત્યારે આવતા થયા જ્યારે મુંબઈમાં વહીવટી નોકરીઓ અને વકીલાત જેવી તક વિકસી. એમ કહી શકાય કે ઈ.સ. ૧૮૨૦-૩૦ પછી. આનો અર્થે થયો કે આખી સત્તરમી, અઢારમી અને ઘણા પ્રમાણમાં ઓગણીસમી સદીમાં મુંબઈનો પાયાનો વિકાસ અંગ્રેજો અને ગુજરાતીઓએ મળીને કર્યો હતો. તેમણે પ્રચંડ સંઘર્ષ કર્યો હતો.

હા, કોંકણના મુસલમાનો તેમાં અપવાદ હતા. કચ્છ-કાઠિયાવાડના મુસલમાનોની માફક કોંકણી મુસલમાન દરિયાખેડુ પ્રજા હતી અને વહાણવટું કરતા હોવાથી તેમને મુંબઈના વિકાસમાં ધંધાની તક નજરે પડી હતી. ચીનમાં અફીણની નિકાસ કરીને જમશેદજી જીજીભાઈ અને મોતીશાહ શેઠની માફક તેઓ ખૂબ કમાયા હતા. નૈતિકતા પણ સમયસાપેક્ષ હોય છે. એક જમાનામાં ગુલામોનો અને અફીણનો વેપાર અનૈતિક નહોતો ગણાતો. પણ કોઈ હિંદુ મરાઠીએ કોંકણી મુસલમાનોને મુંબઈના વિકાસમાં આપેલા ફાળાનો શ્રેય આપ્યો છે? ક્યાંથી આપે? મુસલમાન છે.

મુંબઈમાં મારવાડીઓ મુખ્યત્વે વીસમી સદીમાં આવ્યા હતા. જાણીતા ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલા પોતાના વતનથી મુંબઈ કમાવા આવ્યા ત્યારે તેમણે જોયું કે મુંબઈમાં ગુજરાતીઓનો દબદબો છે અને તેમાં જગ્યા બનાવવી એ થોડું અઘરું કામ છે એટલે તેઓ કલકત્તા ગયા હતા અને ત્યાં તેમણે જગ્યા બનાવી હતી. અને રહી વાત મરાઠીઓની તો મુંબઈના આર્થિક વિકાસમાં મરાઠીઓનો ફાળો ફૂટનોટમાં સમાવેશ પામે એટલો જ છે. 

અને છેલ્લું સત્ય. મહારાષ્ટ્રમાં પ્રાદેશિક અસહિષ્ણુતા કટ્ટરપંથી મુસલમાનો કરતાં અને હિન્દુત્વવાદીઓ કરતાં જરા ય ઓછી નથી. ઉદારમતવાદી પ્રગતિશીલ લોકોએ પણ સંભાળીને બોલવું પડે છે અથવા કહેવાતા મરાઠી ગર્વને પોષવો પડે છે. કેટલાક તો પોષે પણ છે. આમ દરેક રીતે ઉદારમતવાદી, પણ થોડી મરાઠીઅસ્મિતા માટેનો આગ્રહ આવી જાય. ભાષાવાર પ્રાંતરચનાનો વિરોધ કરનારા વિનોબા (ભાવે)ને માકડોબા (વાંદરો) તરીકે ઓળખાવવામાં આવ્યા હતા અને મરાઠી થઈને ગુજરાતીમાં લખનાર કાકાસાહેબ કાલેલકરને ફીતુર તરીકે માફ કરવામાં નથી આવ્યા.

માટે પ્રારંભમાં મેં કહ્યું છે કે ભારતમાં કોઈ ભારતીય છે જ નહીં. ચામડી ખતરોડો તો અસ્મિતાઓના ભૂત નાચવા લાગશે. અને માટે મારો આગ્રહ છે કે જો કોઈ એક ઓળખ પાળવી જ હોય તો માણસ હોવાની પરમ ઓળખ કેમ નહીં? એ નરવી અને નિર્વિરોધ ઓળખ છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 04 ઑગસ્ટ 2022

Loading

4 August 2022 Vipool Kalyani
← વિદ્યાર્થીઓ શાળા છોડે છે કે શાળા વિદ્યાર્થીઓને છોડે છે ?
દિવંગત મહેન્દ્ર મેઘાણીને મારી કાવ્યાંજલિ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved