Opinion Magazine
Number of visits: 9449036
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતના સંસદીય ઇતિહાસમાં ત્રીજો પક્ષ ક્યારે ય ફાવ્યો નથી 

રમેશ ઓઝા|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|11 December 2022

બી.જે.પી.એ ગુજરાતમાં ૧૯૮૫નો કાઁગ્રેસનો રેકોર્ડ તોડ્યો છે. ૧૯૮૫ની સાલમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એ સમયના મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કાઁગ્રેસને કુલ ૧૮૨ બેઠકોમાંથી ૧૪૯ બેઠકો મળી હતી અને ૫૫.૫૫ ટકા મત મળ્યા હતા. બી.જે.પી.ને ત્યારે ૧૪.૯૬ ટકા મત સાથે માત્ર ૧૧ બેઠકો મળી હતી. ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કાઁગ્રેસને ૪૯.૧૦ ટકા મત સાથે લોકસભાની ૫૧૫ બેઠકોમાંથી ૪૦૪ બેઠકો મળી હતી અને બી.જે.પી.ને ૭.૭૪ ટકા મત સાથે માત્ર બે બેઠકો મળી હતી. બન્ને ચૂંટણીઓ ઇન્દિરા ગાંધીની હત્યા પછી તરતમાં યોજાઈ હતી જેનું આ પરિણામ હતું. ૧૯૮૫ની વિધાનસભાની ચૂંટણી પછી થોડાક જ મહિનામાં અનામતવિરોધી આંદોલન થયું હતું અને ગુજરાતના પાટીદારોનો કાઁગ્રેસ સાથે સંબંધવિચ્છેદ થયો હતો.

આ ઘટના ૩૭ વરસ જૂની છે અને ૩૭ વરસમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં ચૂંટણી જીતવાની કેમિસ્ટ્રી વિકસાવી છે, પણ કોઈ અકળ કારણસર ગુજરાત પ્રદેશ કાઁગ્રેસ ચૂંટણી જીતવાની નથી કોઈ કેમેસ્ટ્રી વિકસાવી શકી કે નથી બી.જે.પી.ની કેમેસ્ટ્રીમાં કોઈ ઘોંસ પાડી શકી. તમને એમાં જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ કે ૨૦૦૨માં ગોધરા-ગુજરાતકાંડ પછી તરતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં બી.જે.પી.ને ૧૨૭ બેઠકો અને ૪૯.૮ ટકા મત મળ્યા હતા અને એ પછી તેમાં ઉત્તરોત્તર ઘટાડો જ થયો હતો. નરેન્દ્ર મોદી સ્વયં ગુજરાતના મુખ્ય પ્રધાન હોવા છતાં અને ગુજરાત મોડેલની મુઠ્ઠી હજુ ઊઘાડી નહોતી પડી એ છતાં બી.જે.પી.ને એ પછીની કોઈ ચૂંટણીમાં ૧૨૭ બેઠકો અને ૪૯ ટકા મત મળ્યા નહોતા. ૨૦૧૭ની ચૂંટણીમાં બી.જે.પી.ને માત્ર ૯૯ બેઠકો મળી હતી, જ્યારે કે હિંદુહ્રદયસમ્રાટ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે અને દેશના વડા પ્રધાન તરીકે સાક્ષાત્‌ હાજરી ધરાવતા હતા.

તો પછી આ વખતે એવું શું બન્યું કે બી.જે.પી.એ ૧૯૮૫નો કાઁગ્રેસનો રેકોર્ડ તોડ્યો? કેન્દ્ર સરકારે કે રાજ્ય સરકારે એવી કોઈ સિદ્ધિ મેળવી નથી કે પ્રજા સમરકંદ બુખારા ઓવારી જાય! ઊલટું બી.જે.પી.ને મત નહીં આપવા માટે વધુ કારણો હતાં. જવાબ બહુ સરળ છે. ગુજરાત પ્રદેશ કાઁગ્રેસના નેતાઓ અને આમ આદમી પાર્ટી બી.જે.પી.ની બી ટીમ છે. આ છે ચૂંટણી જીતવાની ફોર્મ્યુલા કે વિનિંગ કેમેસ્ટ્રી. ચીમનભાઈ પટેલ, માધવસિંહ સોલંકી અને અમરસિંહ ચૌધરીનો યુગ પૂરો થયો એ પછીથી ગુજરાતના કાઁગ્રેસના નેતાઓની કોઈ સક્રિયતા ક્યારે ય નજરે પડી નથી. આ હું પહેલીવાર નથી કહેતો અનેકવાર કહી ચુક્યો છું અને બીજા અનેક લોકો અનેકવાર કહી ચુક્યા છે. આમ આદમી પાર્ટી પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઇશારે રચાયેલી બી ટીમ છે એ પણ હું ૨૦૧૧માં ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનનું આંદોલન શરૂ થયું ત્યારથી કહેતો આવ્યો છું. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ૨૭ વરસની એન્ટી ઇન્કમબન્સીને માત આપીને ૧૯૮૫નો રેકોર્ડ બી.જે.પી. તોડી શકી એનાં કારણો આ છે, બાકી જે ૨૦૦૨થી ૨૦૧૭નાં વર્ષોમાં ન બન્યું એ આજે કેમ બને!  

૨૦૧૭માં બી.જે.પી.ની મોટા પાયે પીછેહઠ થઈ હતી એનું કારણ રાહુલ ગાંધીએ ત્યારે કરેલો અથાક પરિશ્રમ હતો. તેમણે ત્યારે ગુજરાત ખુંદી વળ્યું હતું. આ સિવાય હાર્દિક પટેલના કારણે પટેલોના એક વર્ગનો કાઁગ્રેસને ટોકો મળ્યો હતો. ૨૦૧૭ પછીથી ગુજરાત કાઁગ્રેસના નેતાઓએ હજુ વધુ સરસાઈ મેળવવા અને વધુ જગ્યા બનાવવા કોઈ મહેનત કરી હોય એવું જોવા મળ્યું નથી. આ વખતે રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેના પ્રચારમાં ખાસ રસ લીધો નહોતો અને સમય આપ્યો નહોતો.

રાહુલ ગાંધી ભારત જોડો પદયાત્રા કાઢી રહ્યા છે અને એમ લાગે છે કે તેમની પ્રાથમિકતા કાઁગ્રેસના નવસર્જનની છે. તેમને સમજાઈ ગયું છે કે પક્ષનું નવસર્જન નીચેથી લોકોની વચ્ચે જવાથી અને નવયુવાનોને ભરતી કરવાથી થવાનું છે, ગુજરાત કાઁગ્રેસના નેતાઓ જેવાઓનો બોજો ઊંચકવાથી નથી થવાનું. તેઓ પક્ષ માટે બોજારૂપ છે. આવા લોકોને બી.જે.પી.માં જવું હોય તો જતા રહે અથવા પક્ષની અંદર હાંસિયામાં પડ્યા રહે, પણ પક્ષને એવા લોકોનો જ ખપ છે જે પક્ષ માટે નવસર્જનના યજ્ઞમાં ઉપયોગી થાય. ગુજરાતમાંથી એક માત્ર જિગ્નેશ મેવાણી સિવાય આવી લાયકાત બીજો કોઈ કાઁગ્રેસી નેતા ધરાવતો નથી. જિગ્નેશ મેવાણી બી.જે.પી.ના તોફાન વચ્ચે વડગામમાંથી બીજી વખત ચૂંટણી જીતી શક્યા છે એ તેમની મહેનત અને રાજકીય પ્રતિબદ્ધતાનું પરિણામ છે.

જે બી.જે.પી.એ ગુજરાતમાં ભવ્ય વિજય મેળવ્યો એનો દિલ્હી મહાનગરપલિકામાં અને હિમાચલ પ્રદેશમાં પરાજય થયો. ચૂંટણી પંચ દરેક રીતે મદદરૂપ બન્યું હોવા છતાં. રાહુલ ગાંધીએ ગુજરાતની જેમ હિમાચલ પ્રદેશમાં પણ કોઈ સઘન પ્રચાર નહોતો કર્યો. આમ બી.જે.પી. અજેય છે એવું નથી. ચોવીસે કલાક સક્રિય રહેતો અને નજરે પડતો રાજકીય વિકલ્પ હોય તો મતદાતાઓને જોઇએ છે. પશ્ચિમ બગાળ અને બિહાર આનાં ઉદાહરણ છે. ગુજરાતના સંસદીય ઇતિહાસમાં ત્રીજો પક્ષ ક્યારે ય ફાવ્યો નથી. આમ આદમી પાર્ટીનું કામ કાઁગ્રેસને નુકસાન પહોંચાવાનું અને બી.જે.પી.ને મદદરૂપ થવાનું હતું જે તેણે કરી આપ્યું. આમ આદમી પાર્ટીના જુવાળની અને તે કાઁગ્રેસની જગ્યા લેશે વગેરે વાતો થતી હતી, પરંતુ આમ આદમી પાર્ટીને કાઁગ્રેસની ચોથા ભાગની બેઠકો નથી મળી.

આવતા વર્ષે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ નિર્ણાયક નીવડવાની છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 ડિસેમ્બર 2022

Loading

11 December 2022 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી— 174
ગુજરાતમાં ભા.જ.પા.નાં પાસાં પોબારઃ મોદી ફેક્ટર, માઇક્રોમેનેજમેન્ટ, હિંદુત્વ, વિકાસ અને મજબૂત નેરેટિવ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved