Opinion Magazine
Number of visits: 9504374
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજી પાસે સમય છે, આપણી પાસે નથી!

છગનલાલ જોષી|Gandhiana|17 October 2024

ગાંધીજી સાથે હું 1920થી ’34 સુધી લગાતાર રહ્યો છું તેમ કહી શકાય. પણ એ દરમિયાન મને એકેય એવો પ્રસંગ યાદ નથી આવતો કે, જ્યારે ગાંધીજીએ કોઈને એમ કહ્યું હોય કે, હું બહુ કામમાં છું અને અમુક ફરજ બજાવવા માટે મને વખત નહીં મળે.

ગાંધીજીને આમ તો ચાર દીકરા હતા, પણ ગાંધીજીનો પરિવાર એ લગભગ આખો ભારત દેશ થઈ ગયો હતો. કેરળથી કાશ્મીર સુધી ગાંધીજીના આદેશાનુસાર આશ્રમો સ્થપાયા હતા. અને તેનું સંચાલન પરોક્ષ રીતે પોતે જ કરતા હોય એ રીતે સંચાલકોને ગાંધીજી નાનીમોટી બાબતોમાં માર્ગદર્શન આપતા હતા. ગાંધીજીને નાના છોકરાથી માંડીને કોઈ મોવડીએ લખેલ દરેક પત્રનો જવાબ તેને વળતી ટપાલે મળ્યો ન હોય તેવું ભાગ્યે જ બનતું.

ગાંધીજી કહેતા કે માનવીને કોઈ કામનો બોજો લાગતો જ નથી. જો માણસનું જીવન વ્યવસ્થિત ગોઠવાયું હોય તો તેનું નાનુંમોટું દરેક કામ સરસ રીતે પાર પડી શકે એવી રીતે રોજિંદું કામ ગોઠવી શકાય. આથી જ આશ્રમના સંયુક્ત રસોડામાં રોજ સવારે નાસ્તો કર્યા પહેલાં શાક સમારવાનું કામ ગાંધીજી પોતે અચૂક કરતા હતા. કોઈ નાનો કે મોટો માણસ આશ્રમમાં માંદો પડે તો તેની ખરખબર પૂછવા માટે તથા તેની સારવારની વ્યવસ્થા કરવા માટે તેઓ જાતે જ ગયા વિના ન રહેતા. પ્રવાસમાં તેમને જાણવા મળે કે કોઈ ઓળખીતા માંદા પડ્યા છે તો તેમને મળવા જવાનું કદી ચૂકતા નહીં.

પોતાને જ્ઞાનવિકાસ માટે અમુક વાંચન કે ખાસ અભ્યાસ આવશ્યક છે તેમ ખાતરી થાય તો એ માટે પોતાની પાસે સમય નથી એવી ફરિયાદ તેમણે કદી કરી નહોતી.

અમે સૌ જેલમાં સાથે હતા ત્યારે કેટલાક મિત્રોએ ગાંધીજી સમક્ષ એવી ફરિયાદ કરી કે તેમણે હજુ સામ્યવાદી સાહિત્ય જોઈએ તેવું વાંચ્યું નથી. આથી જેલમાં સોમવારના દિવસે, જમતી વખતે પપૈયું ખાતાં ખાતાં કે ખજૂરની પેશી ચાવતાં ચાવતાં પણ તેમને ‘હ્યુમેનીટી અપરૂટેડ’ અને ‘રેડ બ્રેડ’ વગેરે પુસ્તકો મનનપૂર્વક વાંચતા મેં જોયા છે.

જેલમાં એક વાર લીલાવતી મુનશી મળવા આવ્યાં હતાં. એ વખતે તેમણે પ્રેમપૂર્વક એવી માંગણી કરી કે, ગાંધીજીએ મુનશીનાં પુસ્તકો ‘ગુજરાતનો નાથ’, ‘પાટણની પ્રભુતા’ વગેરે વાંચવાં જોઈએ. આ પુસ્તકો વાંચવા તેમણે ‘લાઇબ્રેરી’માં એટલે કે શૌચાલયમાં મારી પાસે મુકાવ્યાં હતાં, જેથી ત્યાં જેટલો વખત મળે એ દરમ્યાન તે વાંચી શકાય. આ રીતે તેમણે તે પુસ્તકો ત્યાં વાંચી પણ કાઢયાં હતાં. 

દક્ષિણ આફ્રિકામાં પોતાના સાથીઓ મદ્રાસી છે એટલે પોતે તામિલ શીખવું જોઈએ તેમ માનીને તેઓ તામિલ પણ શીખ્યા. બંગાળમાં, નોઆખલીમાં ગામડાંમાં કામ કરવું પડેલું ત્યારે બંગાળીઓ સાથે આત્મીયતા કેળવવા ખાતર બંગાળી શીખવું જોઈએ એવું અંતઃસ્ફુરણ થતાં 78 વરસની ઉંમરે તેઓ બંગાળી પાઠો લખવામાં અને બંગાળી બાળપોથી વાંચવામાં રસ લેતા હતા. (દક્ષિણ આફ્રિકામાં) કોઈ ઓળખીતા વાણંદ કે વેપારીને અંગ્રેજી ભણાવવા માટે કંઈ પણ ફી લીધા વિના પગે ચાલીને તેઓ જતા હતા. હોસ્પિટલમાં ખાટલે પડેલા કોઈ દરદીની પાસે પુસ્તક વાંચવા કે એના પત્રો લખી આપવા જેવું કામ કરવામાં બેરિસ્ટર થયા પછી પણ તેમને એક જાતનું શૂર ચડતું હતું.

આ કામ કરવું છે, એવી ગાંઠ એક વખત મનમાં બંધાઈ, એટલે તે કામ ગમે તેવું અઘરું હોય તોપણ પૂરું કરવા માટે તેઓ હંમેશાં તૈયાર રહેતા હતા. રોજ 160 તાર કાંતવા છે, કે સવારે ચાર વાગ્યે પ્રાર્થના કરવી છે, કે સવારસાંજ પોણો કલાક ફરવામાં ગાળવો છે એવો સંકલ્પ કર્યો, તો એ સંકલ્પને તેઓ ઝોડની જેમ વળગી રહેતા હતા.

જેમણે ગાંધીજીની આત્મકથા વાંચી હશે તેઓ જાણતા જ હશે કે ગાંધીજીએ દાતણ અને સ્નાન કરતાં કરતાં ‘ગીતા’ના 13 અધ્યાય કંઠસ્થ કર્યા હતા.

‘ગીતા’નું ભાષાંતર તમારે કરી આપવું જોઈએ, એમ સ્વામી આનંદે કહ્યું ને ગાંધીજીએ તે માની લીધું. તુરત જ રોજ એક શ્લોકનું ભાષાંતર કરવાનું તેમણે વ્રત લઈ લીધું. એમાંથી જ આપણને ‘અનાસક્તિયોગ’ પુસ્તક મળ્યું.

ગાંધીજીએ જેટલાં વર્ષ ‘ઇન્ડિયન ઓપિનિયન’, ‘યંગ ઇન્ડિયા’, ‘નવજીવન’ કે ‘હરિજન’નું તંત્રીપદ સંભાળ્યું એમાં એક પણ સપ્તાહ એવું ખાલી ગયું નથી કે જ્યારે આ સાપ્તાહિકોમાં તેઓ પોતાની ધારણા પ્રમાણે લેખ લખી શક્યા ન હોય.

‘મહાભારત’ સળંગ વાંચ્યા સિવાય હિંદુધર્મનું હાર્દ સમજાય નહીં એવું એક વખત તેમને સમજાતાં 1922માં યરવડા જેલમાં ગયા કે તુરત જ ‘મહાભારત’નાં પૂરેપૂરાં અઢાર પર્વ તેઓ ધ્યાનપૂર્વક વાંચી ગયા હતા.

ગાંધીજી પાસે કોઈ કામ બીજા નંબરનું ગણાતું નહીં. જે કામ જરૂરી છે તે કામ પાર પાડવા માટે સમય અને શક્તિનો અખૂટ ભંડાર તેમની પાસે હતો. આવાં અનેક દૃષ્ટાંતો ગાંધીજીના રોજબરોજના જીવનમાંથી મળે છે. પાયખાના—સફાઈ, રક્તપિત્તિયાના ઘા ધોવા, સાથીઓને પ્રેમપત્રો લખવા, મોટી રાજરમતોના વ્યૂહ ગોઠવવા કે પુસ્તકોનું મનન કરવા જેવાં નાનાંમોટાં કામ માટે જરૂર પડે તો ગાંધીજીને સમય મળી શકતો, ત્યારે આપણા જેવા સામાન્ય માણસને માટે ‘હું કામમાં છું’ એમ કહેવું કેવું બેહૂદું ગણાય?

સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર 

Loading

17 October 2024 Vipool Kalyani
← હરિયાણાના પરિણામે ભાગવતનું ભાષણ મોદી ભા.જ.પ. પરત્વે અણધાર્યું નરમ પડ્યું 
ગુજરાતમાં દવાની આડમાં ધમધોકાર ચાલતો ડ્રગ્સનો કારોબાર ! →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved