આટલાં ધર્મયુદ્ધો ને આટલાં કોમી રમખાણો પછી પણ, આખો દેશ ફરી એક હિંસા માટે બહુ આતુર છે. એમ લાગી રહ્યું છે કે દેશ કોમી આગમાં બળવા જીવ પર આવી ગયો છે ! વોટ્સએપ, ફેસબુક વગેરેમાં હિન્દુઓ મુસ્લિમો અને મુસ્લિમો હિન્દુઓ વિરુદ્ધ જે ઝનૂન ફેલાવી રહ્યા છે તે ફરી એક દેશને લોહિયાળ બનાવે તો નવાઈ નહીં ! બંને કોમો લોહી રેડીને શું માંગે છે તે નથી સમજાતું, પણ લોહીની લાલચ ઘટતી નથી. સૈકાઓ જૂની હિંસા હાથમાં કૈં આવ્યું નથી, તો પણ એકબીજાની વિરુદ્ધ ઝેર ઓકવાનું અટકતું નથી. કરુણતા એ છે કે બંને કોમને, જે થઈ રહ્યું છે તેમાં ખોટું કૈં દેખાતું ને હકીકત એ છે કે બંને પક્ષે સત્ય સિવાય બધું જ છે. બંનેમાં સારું પણ ને નબળું પણ છે, પણ નબળાઈ સામે પક્ષે જ છે ને આપણે તો દૂધે ધોયેલાં જ છીએ એવો ભ્રમ વ્યાપક છે.
એક વાત સ્પષ્ટ છે કે આજ સુધી મંદિરો જ તૂટતાં રહ્યાં છે ને તે પછી ત્યાં મસ્જિદો ઊભી કરવાનું કેવળ ઇસ્લામના ફેલાવા માટે જ થયું છે. એ જ રીતે ખ્રિસ્તીઓએ પણ વટાળ પ્રવૃત્તિઓમાં શિકાર તો હિન્દુઓનો જ કર્યો છે. મોગલો અને અંગ્રેજો અહીંની ભૂમિના કદી હતા જ નહીં, પણ અહીં આવીને હિન્દુ પ્રજાને રંજાડવાનો જ ઉપક્રમ આ બંને વિદેશી પ્રજાઓએ રાખ્યો, એ સારું થયું નથી. એ સાથે, લોકોને વટલાવવામાં જ બંને કોમોએ શૂરાતન પ્રગટાવ્યાં કર્યું છે. આટલાં રાજ્યો છતાં, આટલા હિન્દુ રાજાઓ છતાં વિદેશી પ્રજાઓ હિન્દુસ્તાનને ગુલામ બનાવવામાં સફળ રહી. તે એટલે કે હિન્દુઓ સંપને અભાવે માર ખાવામાંથી જ ઊંચા ન આવ્યા. કેટલાક હિન્દુઓ બીજાએ ફોરવર્ડ કરેલા મેસેજ ફોરવર્ડ કરી કરીને બહાદુરી બતાવે છે, પણ એક ઓરિજિનલ મેસેજ કરવાની તેમની ક્ષમતા કેટલી તે દરેકે પોતાને પૂછી જોવા જેવું છે. એવા ફોરવર્ડિયા બહાદુરોને ખબર નથી કે તેઓ રાજકારણનો જ શિકાર છે. એ લોકો સેવા નથી કરતા, બને કે રાજકીય મેવા ખાટતા હોય !
એક વાત બંને કોમોએ સમજી લેવાની જરૂર છે કે તેમની, ધર્મ અંગેની આજની સમજ ધર્મમાંથી નહીં, પણ રાજકારણમાંથી આવી છે. એ ધર્મની શુદ્ધ ને સાત્ત્વિક સમજ નથી. એ રાજકારણ પ્રેરિત છે. સાધારણ પ્રજાને તો પોતાની સમજ જ નથી, તેને ધર્મનેતાઓ કે રાજનેતાઓ કેળવે છે ને એ લોકો પછી ઘેટાંની જેમ તેને અનુસરે છે. એમાં પોતાની વિચારશક્તિ માટે તો જગ્યા જ નથી. આવાં ઘેટાંઓ જ ધર્મનેતાઓ અને રાજનેતાઓને પોષે છે. આજ ઘેટાં સભાઓ ગજવવા વાપરવામાં આવે છે. ઘેટાંઓને એવું અભિમાન હોય છે કે પોતે અમુક ધર્મ કે કોમને વફાદાર છે ને જે તે ધર્મ કે પક્ષ પોતાને લીધે છે, પણ એ ભ્રમ છે ને એવા ભ્રમનો ધર્મનેતાઓ કે રાજનેતાઓ લાભ ઉઠાવતા હોય છે. એ લોકો કાળજી રાખતા હોય છે કે લોકોની સમજ વિકસે જ નહીં. જે દિવસે સમજ બદલાય છે એ દિવસે ધર્મ કે રાજસત્તા પણ બદલાય છે.
એક વાત સ્પષ્ટ છે કે દરેકને પોતાનાં ધાર્મિક સ્થાનો પૂજ્ય ને પવિત્ર લાગે છે, પણ ઇસ્લામને બીજાં ધર્મ સ્થાનો માફક આવતાં નથી. એ જ કારણ છે કે મંદિરો મોગલો માટે તોડવાનો વિષય જ રહ્યાં છે. એ સિલસિલો હજી ચાલે છે. આજે રાતોરાત રસ્તાની વચ્ચે દરગાહ ઊભી થઈ જાય છે ને એમ જ દેરીઓ પણ ખડી થઈ જાય છે. આ ધર્મ પ્રીતિને કારણે થાય છે? ના, એવું જરા ય નથી. મૂળભૂત હેતુ તો અન્ય ધર્મીઓને બતાવી આપવાનો ને દબાણ ઊભું કરવાનો છે. એ હકીકત છે કે ભારતમાં જેટલાં મંદિરો તૂટ્યાં છે તેટલી મસ્જિદો તૂટી નથી. એ પરથી પણ અહીંની પ્રજાની સહિષ્ણુતા સમજાવી જોઈએ. છેલ્લા થોડા દિવસમાં જે થોડી ઘટનાઓ રામનવમીના તહેવાર નિમિત્તે ગુજરાતમાં ને અન્ય રાજ્યોમાં બની એની શરૂઆત વિધર્મીઓએ કરી છે. દરેક વખતે પહેલો પથ્થર વિધર્મીએ માર્યો છે. કેમ આવું થાય છે? હુમલો વિધર્મી જ કેમ કરે છે? એ આકસ્મિક ન રહેતા, પૂર્વ આયોજિત જ કેમ છે? આ બધું અનેક રીતે ફેરવિચારણાને પાત્ર છે. કેમ બધાં પ્રયત્નો છતાં, મુસ્લિમો શત્રુવટ ભૂલી શકતા નથી? એમ કરવાથી હાથમાં શું આવે છે? જિંદગી વધારે સારી બની હોય એવું લાગે છે? એવું તો નથી લાગતું. મોટે ભાગના મુસ્લિમો સંઘર્ષ કરીને ટકવા મથે છે. એવું નથી કે બધા મુસ્લિમો શત્રુભાવ જ રાખે છે ને એવું પણ નથી કે બધા હિન્દુઓ મૈત્રીભાવ જ રાખે છે. સારું, જેમ બંને કોમમાં છે એમ જ નબળું પણ બંનેમાં જ છે. પણ એવું તો ક્યાં નથી ! બધે જ વત્તું ઓછું હશે, પણ કોણ જાણે કેમ, હિન્દુ-મુસ્લિમો વચ્ચેનું વૈમનસ્ય ઘટતું નથી. આ કોઈ રીતે સુખદ નથી.
રાજસ્થાનના અલવરના રાજગઢના ત્રણસો વર્ષ જૂનાં ત્રણ મંદિર પર રોડ પહોળો કરવાને નામે બુલડોઝર ફેરવી દેવાયું. ત્રણસો વર્ષ સુધી મંદિરો નડતાં ન હતાં, તે એકાએક નડતાં કેમનાક થઈ ગયાં? રાજસ્થાનમાં કાઁગ્રેસની સરકાર છે ને તેણે મંદિર તોડાવ્યું હોવાનો તેનાં પર આરોપ છે, પણ કાઁગ્રેસ કહે છે કે આ નિર્ણય ભા.જ.પ.ની આગેવાની હેઠળની નગરપાલિકાનો છે. અલવરના એ.ડી.એમ.નું કહેવું છે કે નગરપાલિકા ગયા સપ્ટેમ્બરમાં આ નિર્ણય લાવી હતી ને તે પછીના એપ્રિલે લાગુ કરાયો હતો. આનો લાભ કાઁગ્રેસે બરાબર ઉઠાવ્યો છે. આ અગાઉ તેણે મંદિર બાંધવા અંગે ભાગ્યે જ ઉત્સાહ દાખવ્યો હશે, પણ અલવરને મામલે તેણે ઘોષણા કરી છે કે જ્યાં મંદિર તૂટ્યાં છે ત્યાં જ ફરી બનાવાશે, એટલું જ નહીં, નગરપાલિકાના ચેરમેન સહિત અન્ય જવાબદારો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. તો, ભા.જ.પ. પણ આ મામલે પાછળ નથી. આમ તો ભા.જ.પ.નો નિર્ણય હતો મંદિર તોડવાનો, કારણ નગરપાલિકામાં ભા.જ.પ.ની આગેવાની છે. આ નિર્ણયની જાણ લોકોને પણ કરવામાં આવી હતી, પણ લોકોએ ત્યારે કોઈ વાંધો ઉઠાવ્યો નહીં અને હવે મંદિર તૂટવાને મામલે આંખો કાઢી રહ્યા છે. કાઁગ્રેસ લાભ ન ખાટે એટલે પ્રશાસને એવું ઠરાવ્યું છે કે જે મંદિરો તોડી પાડવામાં આવ્યા છે તે ફરી બાંધવામાં આવશે. જો એ નડતર રૂપ હતાં તો મંદિરો ફરી બંધાશે તો નહીં નડે, એમ? ને એવું લાગતું નથી કે ફરી બંધાશે તો તે નાની જગ્યામાં બંધાશે. ત્યારે જે દબાણ ઊભું થશે તેનો ઉકેલ કેવી રીતે આવશે તેની અટકળો જ કરવાની રહે છે. કે, દબાણ જે તે પક્ષની સરકાર પર આધાર રાખે છે? હવે વિધર્મીઓ જ મંદિર તોડે છે એવું નથી. હિન્દુઓ પણ એ મામલે સક્રિય છે, નહિતર ભા.જ.પ.ની સત્તા હોય ત્યાં મંદિર તૂટવાની ઘટના બને કઈ રીતે? એ પણ વિચારવા જેવું છે કે આ બધું એક સાથે જ કેમ શરૂ થયું? રામનવમી આવી ને રેલી નીકળી તો ખંભાત, હિંમતનગર કે અન્ય રાજ્યોમાં આક્રમણ શરૂ થયાં. તે ઓછું હોય તેમ એકાએક દબાણો દૂર કરવાનો ઉપક્રમ શરૂ થયો. બાકી, હતું તે વડોદરા, અલવર, દિલ્હી વગેરેમાં મંદિરો તૂટવાની ઘટનાઓ બની. જાણે કોઈ મોકાની રાહ જોતું હોય તેમ બધું બને છે. એકાએક આવેલા ઊભરાનું પરિણામ તો આ નથી લાગતું.
ધર્મને લગતી ઊથલપાથલમાં મહારાષ્ટ્ર પણ પાછળ નથી. રાજ ઠાકરેએ મસ્જિદો પર વાગતા માઇક ચાલુ રહેશે તો ત્રણ મેના રોજ મહાઆરતી થશે ને હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવશે એવું અલ્ટિમેટમ આપી દીધું છે. આ જ હનુમાન ચાલીસાને નિમિત્તે મહારાષ્ટ્રમાં બીજો હોબાળો થયો છે. ‘માતોશ્રી’ જઈ હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું એલાન અપક્ષ સાંસદ નવનીત અને તેનાં પતિ રવિ રાણાએ આપ્યું તો બાંદ્રા કોર્ટે તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા. ધર્મ, જાતિ કે ભાષાને આધારે બે જૂથો વચ્ચે દુશ્મનાવટ વધારવા બાબતે કલમ 153a હેઠળ કેસ નોંધવામાં આવ્યો તો રાણા દંપતી તરફથી પણ શિવસૈનિકો સામે જાનથી મારી નાખવાની ધમકી અને ઘરમાં તોડફોડ બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શિવસૈનિકો દ્વારા માતોશ્રી સુધી આ દંપતી ન પહોંચે ને હનુમાન ચાલીસાનો પાઠ ન કરી શકે એવું આયોજન કરવાનો આરોપ પણ રાણા દંપતીએ મૂક્યો છે. એ કમનસીબી છે કે હનુમાન ચાલીસાને નિમિત્તે આ રાજરમતો ચાલી છે ને રમતો કરનારા હિન્દુઓ છે. એ પણ કેવું છે કે એક જણ મસ્જિદના માઇક બંધ કરાવવા, હનુમાન ચાલીસાનો પાઠ કરી પોતાનો અવાજ બુલંદ કરવાનું અલ્ટિમેટમ આપે છે. એ પણ ગમ્મત જ છે કે એક દંપતી હનુમાન ચાલીસાનો પાઠ કરવા માંગે છે ને બીજો એ જ ધર્મનો, તેને રોકે છે ને બંનેને જેલ ભેગા કરે છે. આમાં ધર્મ ક્યાં ય છે? એક જ ધર્મના, એક જ હનુમાન ચાલીસા નિમિત્તે સામસામે આવી જાય છે. અહીં ધર્મને નામે રાજકારણ જ કેન્દ્રમાં છે. રાજ(અ)ધર્મ જ અહીં કામ કરે છે. હવે ધર્મ માટે કૈં થતું નથી, પણ ધર્મને નામે બધું જ થાય છે ને આ ધર્મ આચરનારા કોણ છે તે કહેવાની જરૂર નથી. એ ખરું કે ઇસ્લામ અન્ય ધર્મને નકારે છે, જ્યારે હિન્દુ, હિન્દુધર્મને કેટલો સ્વીકારે છે તેનો દાખલો મહારાષ્ટ્ર પૂરો પાડી રહ્યું છે. એક જ ધર્મના નેતાઓ, રાજરમત હાથવગી હોય ત્યારે પોતાનાં ધર્મને અવગણતાં અચકાતા ન હોય તો અન્ય ધર્મીઓ તેને શુદ્ધ રીતે ને રૂપે સ્વીકારે તેવું કેવી રીતે બને? હાલની સ્થિતિ એવી છે કે ધર્મ કોઈ પણ હોય, રાજકારણથી પર નથી.
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 25 ઍપ્રિલ 2022