Opinion Magazine
Number of visits: 9448786
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક બાજુ રાહત અને બીજી બાજુ લાત!

રમેશ ઓઝા|Opinion - Opinion|6 November 2018

દિવાળી માથે છે ત્યારે અત્યારે તો આપણે એક મોટા સંકટથી બચી ગયા છીએ. ચોથી નવેમ્બરથી અમેરિકાની ઈરાન સામેની નાકાબંધી શરૂ થઈ ગઈ છે, પરંતુ તેમાં ભારતને મુક્તિ આપવામાં આવી છે. ભારત ઈરાન પાસેથી ખનીજ તેલ ખરીદી શકશે. આ અપવાદ ભારત, જપાન, બ્રાઝિલ, દક્ષિણ કોરિયા, તુર્કી જેવા આઠ દેશો માટે કરવામાં આવ્યો છે. આ અપવાદ પાછળનું રાજકારણ છે, જેની ચર્ચામાં જવાની અત્યારે જરૂર નથી. ભારત કુલ જેટલું ખનીજ તેલ ખાડીના દેશો પાસેથી ખરીદે છે, તેમાંથી ઈરાન પાસેથી ખરીદીનો હિસ્સો ૩૦ ટકા છે. આવડું મોટું પ્રમાણ હોવાનું કારણ એ છે કે ઈરાન ભારતને ચાર મહિનાની ઉધારી આપે છે, જ્યારે બીજા દેશોને રોકડા ચૂકવવા પડે છે. હવે જો અમેરિકાએ ભારતને છૂટ ન આપી હોત તો દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ થાત.

રાહત તો મોટી છે, પરંતુ અંતિમ નથી. આ રાહત છ મહિના માટેની છે અને છ મહિના પછી અમેરિકા નાકાબંધીની સમીક્ષા કરશે. છ મહિના પછી ઈરાન સામેની નાકાબંધી હળવી પણ થઈ શકે છે અને વધુ સખ્ત પણ થઈ શકે છે. જો અમેરિકા સખ્ત વલણ અપનાવશે તો ભારત અને બીજા દેશોને આપેલી મુક્તિ રદ્દ પણ કરી શકે છે. બીજું, સંકટ હળવું થયું છે, દૂર થયું નથી. ઈરાને હોરમઝની સામુદ્રધુની બંધ કરવાની ધમકી આપી છે. પશ્ચિમ એશિયાનું તેલ આ સામુદ્રધુની દ્વારા પશ્ચિમના દેશોમાં જાય છે. જો ઈરાન સામુદ્રધુનીમાં અડચણ પેદા કરી શકશે  તો તેલના ભાવમાં ભડકો થશે. ક્રુડ તેલના ભાવમાં બેરલે એક ડોલરનો વધારો એટલે ભારતને ૮૨૦ કરોડ રૂપિયાનો ડામ. આ આજે ડોલર સામે રૂપિયાની કિંમત છે તેના આધારે માંડવામાં આવેલી ગણતરી છે. આગળ રૂપિયો કેટલો નીચે જશે એ કહેવું મુશ્કેલ છે. બીજું, ઈરાન હોરમઝની સામુદ્રધુની બંધ કરે તો અમેરિકા લશ્કરી પગલાં લે એ પણ શક્ય છે. આ સ્થિતિમાં ૧૯૯૧ પછી બીજી ગલ્ફ વૉર થઈ શકે છે. ટ્રમ્પ સાહેબ કાંઈ પણ કરી શકે, કારણ કે તેઓ ટ્રમ્પ છે. જો આવું કંઈ બન્યું તો ભારતની આર્થિક સ્થિતિ વસમી નીવડી શકે છે.

courtesy : Ajit Ninan and Jug Suraiya, "The Times of India", 06 November 2018    

મૂળમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને નાકાબંધી કરવાનો કોઈ અધિકાર નથી. ૨૦૧૫માં બરાક ઓબામા જ્યારે અમેરિકાના પ્રમુખ હતા, ત્યારે અમેરિકા-ઈરાન અણુસમજૂતી થઈ હતી. એ સમજૂતી મુજબ ઈરાને તેની અણુભઠ્ઠીઓ આંતરરાષ્ટ્રીય નિરીક્ષણ માટે ખોલી આપી હતી. અણુબોમ્બ નહીં બનાવવાની શરત પણ ઈરાને માન્ય રાખી હતી. અમેરિકા-ઈરાન સમજૂતીને અણુક્લબના બીજા દેશોએ પણ માન્યતા આપી હતી અને એ રીતે એ સમજૂતી બહુરાષ્ટ્રીય છે એટલે અમેરિકા એક પક્ષીય રીતે તેમાંથી બહાર ન નીકળી શકે. આમ છતાં ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે એ સંધિ અમેરિકાને અન્યાય કરનારી છે અને અન્યાયી સંધિ માન્ય રાખવા અમેરિકા બંધાયેલું નથી. તેઓ જ્યારે પ્રમુખપદના ઉમેદવાર હતા ત્યારે તેમણે ઈરાન સાથેની સંધિને તોડવાની વાત કહી હતી, પરંતુ ત્યારે તેને એક જુમલા તરીકે લેવામાં આવી હતી. પ્રમુખ બન્યા પછી ખરેખર સંધિમાંથી અમેરિકા બહાર નીકળી ગયું ત્યારે જગતે આઘાતનો અનુભવ કર્યો હતો. જો કે આ કોઈ નવી વાત નથી. આ પહેલાં ગયા વરસે અમેરિકા પર્યાવરણને લગતી પેરિસ સંધિમાંથી પણ નીકળી ગયું હતું જે પણ બહુરાષ્ટ્રીય છે.

અહીં બે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. અમેરિકાનો પ્રમુખ કોઈ સંધિ કે સમજૂતી પર હસ્તાક્ષર કરે તો તેવાં વચનની કોઈ પવિત્રતા ખરી કે નહીં? કોણ અમેરિકાનો ભરોસો કરશે? બીજું, અમેરિકાને જોઇને બીજા દેશો પણ દ્વિપક્ષીય કે બહુપક્ષીય સંધિઓ ફોક કરવા લાગશે તો જગતમાં કેટલી સમસ્યા સર્જાશે એનો વિચાર કરવાનો કે નહીં? નવા શાસકો નવી નીતિ અપનાવે કે નીતિમાં પરિવર્તન કરે છે એ સામાન્ય ધોરણ છે; પરંતુ આપેલા અને એ પણ લેખિત વચનમાંથી ફરી જવું એ નીતિપરિવર્તન નથી, વિશ્વાઘાત છે.

બીજો સવાલ જગત સમક્ષ ઉપસ્થિત થાય છે. જો આ રીતે જગતના દેશો વરતતા થશે તો આંતરરાષ્ટ્રીય ધારાધોરણોનું શું થશે? અમેરિકાના મનસ્વી નિર્ણયનો પશ્ચિમના દેશો વિરોધ કરી રહ્યા છે, પરંતુ તેનાથી આગળ તે કાંઈ કરી શકતા નથી. અમેરિકાને પગલે ઈરાન સાથેની અણુસમજૂતી પર હસ્તાક્ષર કરનારાં અણુદેશો પણ અમેરિકાને રોકી શકતા નથી. એક જણની નાગાઈને આખું જગત લાચારીપૂર્વક જોતું રહે એ તો હદ કહેવાય! પાગલ શાસકોની મનસ્વીતા પર અંકુશ નહીં મુકવામાં આવે તો જગતમાં મોટું સંકટ સર્જાઈ શકે છે. આટલું ઓછું હોય એમ ચૂંટણી પછી બ્રાઝિલને ય હવે એક ગાંડો મળ્યો છે. આ યુગ મધ્યકાલીન કવિ અખાની ભાષામાં ઓછા પાત્રનો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે તાત્કાલિક રાહત આપી છે તો લાંબા ગાળાની લાત પણ મારી છે. ભારત દ્વારા અમેરિકામાં કરવામાં નિકાસની ૫૦ ચીજો પર અમેરિકા કસ્ટમ ડ્યુટીમાં જે રાહત આપતું હતું એ હવે નહીં આપે. આ ચીજો મુખ્યત્વે ખેતપેદાશની છે અને હસ્તોદ્યોગની છે અને તેની અમેરિકામાં કુલ વાર્ષિક નિકાસ ૫૬૦ કરોડ ડોલરની છે. ‘રાહત શેની આપવાની. ખેરાત કરવા બેઠા છીએ?’ ભારત જો સવાલ ઉપસ્થિત કરશે તો તેને આવો જવાબ મળશે. એક વાર ટ્રમ્પે ભારતને ભિખારી તરીકે ઓળખાવીને કહ્યું પણ હતું કે ભારતને માગ માગ કરતાં શરમ નથી આવતી તે શું આપણે દેતા રહેવાનું?

યુગ બદલાઈ રહ્યો છે. વસમા દિવસો માટે તૈયાર રહો.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 06 નવેમ્બર 2018

Loading

6 November 2018 admin
← ચાઈનીઝ ફૂડ, ઇન્ડિયન સ્ટાઈલ: સ્વિટ કોર્ન સૂપ, ચાઈનીઝ સમોસાં અને સ્પ્રિંગ રોલ
કૉન્ગ્રેસ નામનું ટકી રહેલું ઘાસ કામનું છે; ગેર-ભા.જ.પ.વાદ માટે આનો ખપ છે. એ ઘાસ ગમે ત્યારે પાછું કોળાઈ શકે છે; ગેર-ભા.જ.પ.વાદ માટે બાધારૂપ છે →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved