Opinion Magazine
Number of visits: 9447105
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એ બસ ફરવા આવ્યા હતા

સલીલ ત્રિપાઠી|Opinion - Literature|2 March 2018

નિરંજનવિશેષ

જ્યારે મેં નિરંજન ભગતને પહેલી વખત જોયા ત્યારે હું નવમા ધોરણમાં હતો. અમારી શાળાના ગુરુવારે સાંજે થતા સંમેલનમાં એ આવ્યા હતા, અને મને એમની વિશાળ પ્રતિભા અને બુલંદી અવાજ બરાબર યાદ છે. મારી શાળા હતી મુંબઈમાં, અને નામ એનું ન્યુ ઇરા. એ અમને અંગ્રેજી કવિતાનો આસ્વાદ કરાવવાના હતા. ભગતસાહેબ જાણીતા ગુજરાતી કવિ છે એ તો અમને ખબર હતી જ – અમારા પાઠ્યપુસ્તકમાં અમે ‘હું તો બસ ફરવા આવ્યો છું’ એ કાવ્ય વાંચેલું અને શીખેલું, અને અમે દસમે ધોરણે પહોંચ્યા ત્યાં સુધી તો એમની વિવિધ કવિતાઓ – ઘર, એકવેરિયમમાં, ચાલ મન મુંબઈ નગરી – અમને મોઢે હતી.

પણ તે દિવસે નિરંજનભાઈ અંગ્રેજી કવિતા વિષે બોલવાના હતા. એમને વિલિયમ બ્લેકની કવિતા ટાઇગર, એટલે કે  વાઘ, પસંદ કરેલી – અને મને હજુ યાદ છે એમનો અવાજ, જ્યારે એમને આખી કવિતા એક પણ પાનું વાંચ્યા સિવાય સંભળાવી, એમનો અવાજ ઊંચો અને નીચો થતો, અને જાણે એકાદ વનમાં વાઘ પસાર ન થતો હોય, એવું અમને લાગ્યું.

વળી બીજે એક વર્ષે એ આવ્યા હતા, અને અમને પોતાની કવિતાઓ વિષે વાતો કહી. એ તો ઊભા હતા મંચ પર, પણ અચાનક, કોઈ પણ ચેતવણી આપ્યા વિના, એમણે પોતાનો હાથ નીચે ધર્યો પહેલી હરોળમાં, અને ત્યાં બેઠેલી બેલાને કહ્યું – લાવો, હાથ મેળવીએ; અને પોતાની હથેળી બેલા તરફ ધરી. બેલા શરમાઈ ગઈ, અને આખા હૉલમાં હસાહસ થઈ ગઈ. નિરંજનભાઈ હસ્યા અને કવિતા આગળ ચલાવી.

અમારી છેલ્લી મુલાકાત બે વર્ષ પહેલાં ફેબ્રુઆરી મહિનામાં થઈ હતી. હું ગુજરાતી પ્રજા વિષે એક પુસ્તક લખી રહ્યો છું, તે વિષે સંશોધન કરવા ગુજરાતમાં પ્રવાસ કરતો હતો. મારે ભગતસાહેબને, મળવું હતું, ને એમણે તરત હા પાડી. ‘જલદી આવો, હું નેવું વર્ષનો છું – આવતે અઠવાડિયે ના પણ હોઉં,’ એમણે મને હસતા હસતા કહ્યું.

અમે ચારેક કલાક વાતો કરી. એટલે કે, એ બોલતા હતા અને હું સાંભળતો હતો અને ઝડપભેર નોંધ લેતો હતો. એમણે તે સમયમાં મારી સમક્ષ ગુજરાતનો સાહિત્યિક ઇતિહાસ આકર્ષક રીતે રજૂ કર્યો. પ્રેમાનંદથી નર્મદથી ગોવર્ધનરામથી સુરેશ જોષી સુધી કેટકેટલા સાહિત્યકારો, અને એમની આપણી અસ્મિતા પર શું અસર, અને કઈ રીતે અસર પડી, એ વિષે એ બોલ્યા; મેં પ્રશ્નો પૂછ્યા, અને એમણે મેં ઊભી કરેલી ગૂંચવણો સીધી કરી આપી. એમણે પોતાની ચુનીલાલ મડિયા જોડેની મૈત્રીની વાતો કરી, ઉમાશંકરના પ્રભાવ વિષે વાતો કરી, ગુજરાતી સાહિત્યનાં સૌંદર્યની છણાવટ કરી; આધુનિકતા ક્યારે અને કઈ રીતે આવી, એ વિષે અભિપ્રાય આપ્યો, અને ગાંધીની અસર વિષે મને કહ્યું.

પોતાની કવિતા કરતાં પોતાની લેખનપ્રક્રિયા વિષે તેમને વધારે કહેવું હતું. એમની આધુનિકતા વિશિષ્ટ પ્રકારની હતી; વિચારો નવા, અનુભૂતિઓ નવી, પણ ઉપયોગ છંદનો અને લયનો. દાખલા તરીકે 'ગાયત્રી' કવિતા અનુષ્ટુપ છંદમાં છે, પણ છતાં ય ગાયત્રીનો સાર તો તદ્દન વીસમી સદીનો છે. ઘણી ભાષાઓમાં કવિઓ આધુનિકતાનો અર્થ એટલે કવિતાના વ્યાકરણને તોડવું, એમ માને છે – અને એને લીધે અછાંદસ કાવ્યો લખે છે, જે ક્યારેક તો એમ લાગે કે એક જ વાક્યને જેમ તેમ મન ફાવે ત્યાં તોડી ને પણ પાર મૂક્યું છે, જેથી પણ પારની પંક્તિઓને એક આકાર મળે, પણ એમાં કવિતા ખોવાઈ જાય.

૧૯૬૨ અને ૧૯૭૧ વચ્ચે ભારતીય સૈનિકો ત્રણ વખત રણમેદાને પડ્યા, અને એ અરસામાં ઘણી કવિતાઓ લખાઈ, જેને વિખ્યાત અંગ્રેજી કવિ અને વિવેચક આદિલ જસવાલાએ દેશભક્તિને નામે લખાયેલી નકામી કવિતાઓ કહી હતી. ભગતસાહેબના કાવ્યો સ્વાતંત્ર્ય, હિંસા, અને નૈતિક ભ્રષ્ટાચાર જેવા વિષયો પર તો હતા જ, પણ એ કાવ્યોએ ક્યારે ય કવિતાની ભાષાને દગો નહોતો દીધો. એમના અછાંદસ કાવ્યોમાં પણ એક આંતરિક લય હતો, જેથી એમની કવિતા મોઢે વાંચી, બોલવી ગમતી.

કેટલીક કવિતાઓ એવી ય હોય છે કે એનો લય એના માધુર્યને કારણે આપણને થાપ આપી દે અને ઊંઘાડી દે. ભગતસાહેબની કવિતામાં એક તાત્પર્ય હતું; એમની કવિતા સચેત હતી.

હું તો રહ્યો મુંબઈવાળો, અને એમની કવિતાએ મુંબઈનું મન સમજી લીધું હતું. મુંબઈની ગતિ, એનું કોલાહલ, એની ઉપરછલ્લી અરાજકતા, અને અંદરનો લય – આ બધું એ સમજતા – મુંબઈમાં ભણેલાને, એટલે. ૧૯૪૬થી '૫૬ વચ્ચેની એમની કવિતાઓ, 'પ્રવાલદ્વીપ', વિખ્યાત થઈ છે; રીટા કોઠારી અને સુગુણા રામનાથને એ કવિતાઓનો અંગ્રેજીમાં સરસ અનુવાદ પણ કર્યો છે. મડિયા સાથે એમણે કરેલી સફર એમને યાદ હતી. અમે મળેલા ત્યારે – મને કહે – ‘હુંને મડિયા મળ્યા હતા ને, ત્યારે તમારો ટાપુ હચમચી ગયો હતો અમારા તોફાની સાહસોથી.' ‘પ્રવાલદ્વીપ' સંગ્રહમાં એમણે મુંબઈની ગગનચુંબી ઇમારતો, સંગ્રહસ્થાન, માછલીઘર, એરપોર્ટ, વીશીઓ, ફાઉન્ટન, ચર્ચગેટ જેવાં સ્થળોને નવી રીતે જોઈ જીવંત કર્યાં. એ જ સંગ્રહમાં હતું કાવ્ય ’પાત્રો’ – જેમાં આપણે મળીએ છીએ એક કવિ, ભિખારી, વેશ્યા, રક્તપિત્ત, અંધજન, અને ફેરિયાને. આ જ ટાપુ શું એક દિવસ ડૂબશે? નિરંજનભાઈ તો કલ્પના કરી રહ્યા હતા, પણ આજના climate changeના વખતે એમની કલ્પના કેટલી વેધક છે, જાણે કોઈએ ભવિષ્યવાણી ના કરી હોય?

પ્રેમ, પ્રકાશ, પ્રકૃતિ, અને જિંદગી – આ બધા વિષયો એમના કાવ્યમાં જોવા મળે. સ્વાતંત્ર્યોત્તર નવા ભારતની નવી ઝંખના એમણે ખુલ્લેઆમ ઉત્સાહપૂર્વક વ્યક્ત કરી હતી. જ્યારે એમણે કવિતા લખવી શરૂ કરી તે જ સમયે મુંબઈમાં હુસેન, આરા, રઝા, સુઝા, બાકરે જેવા કલાકારોએ પ્રગતિશીલ કલાકારોનું ગૃપ બનાવ્યું હતું – ત્યાં કલકતામાં સત્યજિત રાય અને મૃણાલ સેન સિનેમામાં આપણા દેશને નવી નજરે જોતા હતા – હિન્દીમાં મોહન રાકેશ અને ધર્મવીર ભારતી, બંગાળીમાં બાદલ સરકાર, અંગ્રેજીમાં નીસીમ એઝેકીલ, મરાઠીમાં વિજય તેંડુલકર, અને ગુજરાતીમાં ભગતસાહેબ – આ સર્વે સાહિત્યકારો અને કલાકારો એક નવા ભારતનું નિર્માણ કરી રહ્યા હતા.

નિરંજનભાઈ સલાહ આપવા અને જ્ઞાન પ્રસરાવવા માટે હંમેશાં ઉદાર હતા. તે સાંજે એમની પાસે હું ઘણું શીખ્યો – ગુજરાત વિષે, મારી સંસ્કૃિત વિષે. પોતાના કબાટમાંથી વિવિધ ચોપડીઓ લાવી મને નવા રસ્તા બતાવ્યા. અમે વાતો કરતા હતા ત્યારે એમનું ટીવી ચાલતું હતું જ્યાં એક ઘોંઘાટીઓ ઘમંડી પત્રકાર જોર જોરથી શોરબકોર કરી રહ્યો હતો – ધ નૅશન વોન્ટ્‌સ ટુ નો – દેશને જાણવું છે – એમ વારંવાર બબડ્યા કરતો હતો. દેશની ચેનલો કન્હૈયાકુમાર, શેહલા રશીદ, અને ઉમર ખાલિદને દેશદ્રોહી કહી રહી હતી. ‘આ તો  વિદ્યાર્થી છે – એ એમને નથી સમજાતું?’ એમણે મને પૂછ્યું. ‘આ તો યુવાન પ્રજા છે – એમને દેશ બદલવો છે; દેશને સાચે રસ્તે લાવવો છે. એમને તે કૈં દેશદ્રોહી કહેવાય? આ વિદ્યાર્થીઓ સાચા દેશપ્રેમી છે – આ પત્રકારો તો ….’ કહી તે અટકી ગયા. આમ તો એ સભ્ય અને સુશીલ હતા, એટલે.

રિમોટ લઈ એમણે ટીવીનું વોલ્યુમ બંધ કર્યું – પછી ટ્રાફિક પોલીસની જેમ હાથો હલાવતા એન્કરને જોઈ મને હસતા હસતા કહ્યું – ‘આ જુઓ સાયલન્ટ ફિલ્મ’.

નિરંજનભાઈ ક્યારેક ટીખળી, ક્યારેક ગંભીર; ક્યારેક રમૂજી તો ક્યારેક સરળ. એ સમયની ક્ષણનું અનુભવગમ્ય સત્ય સમજી એની સંવેદનાને શબ્દોનું રૂપ આપી કવિતા લખતા. એમણે આપણા શહેરોની નાડી પકડી હતી, અને એના હૃદયના ધબકારાના લય લઈ કાવ્યો રચ્યા.

એ બસ ફરવા આવ્યા હતા; હવે આ ગયા.

E-mail : salil.tripathi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2018; પૃ. 16 અને 15

https://scroll.in/article/867310/remembering-niranjan-bhagat-1926-2018-a-giant-of-gujarati-poetry

Loading

2 March 2018 admin
← ગાંધી આજે પણ પ્રસ્તુત
વેરાન ભૂમિ પર સંગીતનો જાદુ →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved