Opinion Magazine
Number of visits: 9447578
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશનું રાજકારણ રસપ્રદ વળાંકે ઊભું છે

રમેશ ઓઝા|Opinion - Opinion|15 July 2021

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.ની બેઠકોમાં ઘટાડો થશે અને તે લોકસભામાં સ્પષ્ટ બહુમતી ગુમાવશે એવું સાર્વત્રિક અનુમાન હતું અને એવું અનુમાન કરનારાઓમાં ગોદીમીડિયા અને મતદાતાઓના મૂડનો અભ્યાસ કરનારી ભરોસાપાત્ર સર્વેક્ષણ-સંસ્થાઓ પણ હતી. બી.જે.પી.ના નેતાઓને પણ ભરોસો નહોતો કે લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.ની બેઠકોમાં ઘટાડો થવાની જગ્યાએ વધારો થશે. જ્યારે પરિણામ આવ્યાં ત્યારે બી.જે.પી. સહિત તમામ રાજકીય પક્ષોને અને રાજકીય નિરીક્ષકોને આશ્ચર્ય થયું હતું.

શા કારણે બી.જે.પી.ની બેઠકોમાં ઘટાડો થવાની જગ્યાએ વધારો થયો હતો? નરેન્દ્ર મોદીની સરકારે તેની પહેલી મુદ્દતમાં એવું કોઈ કામ કર્યું નહોતું કે નાગરિકો સમરકંદ-બુખારા ઓવારી જાય. ઊલટું નોટબંધી અને જી.એસ.ટી.એ ભારતના અર્થતંત્રની કમર તોડી નાખી હતી. બેરોજગારીમાં પ્રચંડ વધારો થયો હતો. બીજા મોરચે પણ સરકાર લગભગ નિષ્ફળ નીવડી હતી. ચૂંટણીના મહિના પહેલા બનેલી પુલવામાની ઘટના અને પુલવામાના જવાબમાં ભારતે પાકિસ્તાન સામે કરેલી સર્જીકલ સ્ટ્રાઈકને કારણે છેલ્લી ઘડીએ મતદાતાઓનો મૂડ બદલાયો હતો અને તેનો લાભ બી.જે.પી.ને મળ્યો હતો એમ કહેવામાં આવે છે, પરંતુ બી.જે.પી.ના વિજયનું એ નિર્ણાયક કારણ નથી.

બી.જે.પી.ના વિજયનાં મુખ્ય કારણો બે હતાં. એક તો એ કે ફરી વાર સ્પષ્ટ બહુમતી મળવાનો બી.જે.પી.ને ભરોસો નહોતો એટલે બી.જે.પી.એ ચૂંટણી લડવામાં અને જીતવામાં કોઈ કસર છોડી નહોતી. પૂરી તાકાત લગાવી હતી. તેની પાસે મબલખ પૈસા છે અને પોતાના તેમ જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓની ફોજ છે. આ સિવાય ચૂંટણી જીતવાનો બુલંદ ઈરાદો હતો.

બીજું કારણ સામેના છેડાનું હતું. કૉન્ગ્રેસ અને બીજા વિરોધ પક્ષોનો આ વખતે બી.જે.પી.ની પીછેહઠ થવાની છે એવા અનુમાન ઉપર ભરોસો હતો. તેમની ગણતરી એવી હતી કે ગમે એટલી મહેનત કરવામાં આવે, સરકાર તો બી.જે.પી.ના નેતૃત્વવાળી એન.ડી.એ.ની જ બનવાની છે; પણ તેની પાસે સ્પષ્ટ બહુમતી નહીં હોય એટલે નરેન્દ્ર મોદીની સરકાર દાદાગીરી કરવાની સ્થિતિમાં નહીં હોય અને એ સ્થિતિમાં વિરોધ પક્ષોને તેની રાજકીય જગ્યા મળી રહેશે, તરોતાજા થવાનો મોકો મળશે, જે તે રાજ્યો કબજે કરવાનો મોકો મળશે અને છેવટે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ગણતરીપૂર્વકનો મોરચો રચીને કેન્દ્રમાં સત્તા ઉપર આવી શકાશે. તેમની ગણતરી એવી પણ હતી કે ૨૦૧૯ની ચૂંટણી પોતાની શરતે મોરચો બનતો હોય તો ઠીક અને નહીં તો એકલા લડીને પોતાની તાકાત બતાવી દેવી કે જેથી ૨૦૨૪માં હાર્ડ બાર્ગેનિંગ કરી શકાય. તેમના દુર્ભાગ્યે બી.જે.પી.ને ૨૦૧૪ કરતાં પણ વધારે બેઠકો મળી, ૩૦૦નો આંકડો પાર કરી નાખ્યો અને બધા જ રાજકીય પક્ષો તેમ જ રાજકીય નિરીક્ષકો હેબતાઈ ગયા.

૨૦૧૯માં બી.જે.પી.નો જે વિજય થયો એ બી.જે.પી.ની રણનીતિ, બુલંદ ઈરાદો અને મહેનતનું પરિણામ તો ખરું જ પણ એ સાથે વિરોધ પક્ષોના ટૂંકા સ્વાર્થ, રણનીતિનો અભાવ અને તનતોડ અભાવનું પણ પરિણામ હતું. ૨૦૧૯નાં પરિણામો પછી અને હવે જ્યારે દેશનાં મહત્ત્વનાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે અને એ પછી લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે વિરોધ પક્ષો હવે નવી રીતે વિચારતા થયા છે. આ સિવાય બે કારણે તેમનો આત્મવિશ્વાસ પણ વધ્યો છે. એક કારણ છે, કોરોનાના બીજા આક્રમણને ખાળવામાં સરકારને મળેલી સરિયામ નિષ્ફળતા. દેશમાં હાહાકાર મચ્યો હતો ત્યારે સંકટનો સામી છાતીએ સામનો કરવાની જગ્યાએ સરકારે મોઢું ફેરવી લીધું હતું. એક મહિનો જાણે કે દેશમાં કોઈ સરકાર જ નહોતી. લોકોને વર્તમાન શાસકોનું ચરિત્ર ધ્યાનમાં આવી ગયું. આ શાસકો એવા છે જેઓ લોકોનાં મૂલ્યવાન જીવનને હોમીને પણ હિંદુ તાકાતના પ્રદર્શનના તાયફાઓ યોજવામાં અને ચૂંટણીઓ લડવા અને જીતવામાં કોઈ શરમ નથી અનુભવતા. તેમની નજર સત્તા પર છે શાસન પર નથી એનું લોકોને બ્રહ્મજ્ઞાન થયું હતું. ૨૦૧૪ પછી પહેલી વાર નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠા નીચે ગઈ એ જોઇને વિરોધ પક્ષોમાં નવી આશાનો સંચાર થયો છે.

બીજું કારણ છે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામ. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી પછી એ જ વરસના અંતમાં મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં બી.જે.પી.નો પરાજય થયો હતો. હરિયાણામાં જોડતોડ કરીને બી.જે.પી.એ સરકાર રચી એ જુદી વાત છે, પણ ચૂંટણીમાં પ્રત્યક્ષ પરાજય થયો હતો. ૨૦૨૦માં દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને બીજી વાર ભવ્ય વિજય મળ્યો હતો અને બી.જે.પી.નું અક્ષરસઃ નાક કાપ્યું હતું. ૨૦૨૦ના નવેમ્બર મહિનામાં બિહારમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળનો નેત્રદીપક વિજય થયો હતો. બિહાર વિધાનસભામાં આર.જે.ડી. સૌથી વધુ બેઠક ધરાવે છે. આ વરસમાં પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તામીલનાડુ અને પોંડિચેરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં આસામ છોડીને સર્વત્ર બી.જે.પી.નો પરાજય થયો હતો. પોંડીચેરીમાં બી.જે.પી.ને કુલ ૩૩ બેઠકોમાંથી માત્ર નવ બેઠકો મળી હતી. એમાં પણ પશ્ચિમ બંગાળનાં પરિણામોએ વિરોધ પક્ષોમાં નવી આશાનો સંચાર કર્યો છે. જો ગણતરીપૂર્વકની રણનીતિ ઘડવામાં આવે અને હિંમત હાર્યા વિના આત્મવિશ્વાસપૂર્વક ખંતથી મહેનત કરવામાં આવે તો બી.જે.પી.ને પરાજીત કરી શકાય છે એ હકીકત સામે આવી છે.

હવે સવાલ આવે છે કે વિરોધ પક્ષોએ સંગઠિતપણે અને પોતપોતાનાં રાજ્યોમાં કેવી રણનીતિ અપનાવવી જોઈએ? આવતા વરસે ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ગુજરાત ગોવા, મણિપુર અને જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી યોજાવાની છે. આમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ, ઉત્તરાખંડ અને હિમાચલ મહત્ત્વનાં રાજ્યો છે અને તેમાં પણ ઉત્તર પ્રદેશ અને ગુજરાત સૌથી મહત્ત્વનાં રાજ્ય છે. કોરોનાના સંકટમાં સૌથી વધુ ફૂહડ દેખાવ ઉત્તર પ્રદેશની અને ગુજરાતની બી.જે.પી.ની સરકારનો હતો. એ પછી ૨૦૨૩માં મહત્ત્વનાં રાજ્યોની વાત કરીએ તો મધ્ય પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, તેલંગાણામાં ચૂંટણી યોજાવાની છે. ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી યોજાશે.

અત્યારે સંકેત મળી રહ્યા છે કે ૨૦૧૪માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી પહેલી વાર વિરોધ પક્ષો દૂરનું વિચારી રહ્યા છે. શરદ પવાર અને યશવંત સિન્હાએ મળીને રાષ્ટ્રીય ગઠબંધન રચવાની પહેલ કરી છે. પ્રશાંત કિશોર નામના ચૂંટણી-વિજય-વિશારદ શરદ પવારને બે વાર મળ્યા હતા. પ્રશાંત કિશોરે મંગળવારે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે સંયુક્ત બેઠક કરી હતી. પ્રશાંત કિશોરે અન્ય વિરોધ પક્ષોને સ્પષ્ટ કહ્યું છે કે કૉન્ગ્રેસને બહાર રાખીને કોઈ મોરચો કેન્દ્રમાં સરકાર રચી શકે એમ નથી. કૉન્ગ્રેસ નબળી છે, જમીની સ્તરે કાર્યકર્તાઓનો અભાવ છે, સંગઠનનો કોઈ વ્યવસ્થિત ઢાંચો નથી, ગાંધી પરિવારની અપીલ ખાસ બચી નથી, પક્ષ પાસે વૈકલ્પિક નેતૃત્વ નથી, બીજા નેતાઓ પક્ષ માટે જદ્દોજહદ કરવા તૈયાર નથી, જે નેતાઓ રાજ્યોમાં જનસમર્થન ધરાવે છે તે આપસમાં લડી રહ્યા છે અને કેન્દ્રીય નેતૃત્વની ઉપેક્ષા કરે છે વગેરે કૉન્ગ્રેસની સમસ્યા છે. આ એવી વિકટ સમસ્યા છે જેનો ઉકેલ કૉન્ગ્રેસને જડતો નથી અથવા કૉન્ગ્રેસના નેતાઓ ઉકેલી શકતા નથી. કૉન્ગ્રેસ એકંદરે દિશાહીન, નિરાશાગ્રસ્ત અને નિર્બળ છે અને છતાંય પ્રશાંત કિશોર કહે છે કે જો કૉન્ગ્રેસને બહાર રાખશો તો દિલ્હી દૂર છે. તેઓ કહે છે કે કૉમ્ગ્રેસ એકમાત્ર એવો પક્ષ છે જે આખા ભારતમાં ઓછાવતા પ્રમાણમાં હાજરી ધરાવે છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસને કુલ ૧૯.૪૯ ટકા મત મળ્યા હતા. ભાંગ્યું તો ય ભરૂચ એવી કૉન્ગ્રેસની સ્થિતિ છે. માટે કૉન્ગ્રેસને સાથે રાખવી જરૂરી છે.

શરદ પવારે જે બેઠક બોલાવી હતી એમાં કૉન્ગ્રેસના નેતાઓને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું. એમ કહેવાય છે કે તેઓ કૉન્ગ્રેસનો સ્વીકાર કરાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. શરદ પવાર પણ જાણે છે કે કૉન્ગ્રેસ વિના દિલ્હી પહોંચી શકાય એમ નથી અને જો કૉન્ગ્રેસનો સ્વીકાર કરાવે તો તેમને મોરચા સરકારના વડા પ્રધાન બનવાની તક મળી શકે એમ છે. આમ પ્રશાંત કિશોર અને શરદ પવાર એક જગ્યાએ છે. મારું એવું અનુમાન છે કે પ્રશાંત કિશોરની ગાંધીપરિવારના ત્રણેય સભ્યો સાથે એક સાથે જે બેઠક યોજાઈ એ શરદ પવારના પ્રયત્નોનું પરિણામ છે. પણ સમસ્યા એવાં કેટલાંક રાજ્યોની છે જ્યાં કૉન્ગ્રેસ અને સ્થાનિક પક્ષો સામસામે છે. કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઝારખંડ, પંજાબ, હરિયાણા, પશ્ચિમ બંગાળ જેવાં કેટલાંક રાજ્યો છે જ્યાં પ્રાદેશિક પક્ષો અને કૉન્ગ્રેસ સામસામે છે. શરદ પવાર આવી સ્થિતિ ધરાવનારાં રાજ્યોમાં ઉકેલ રૂપે મહારાષ્ટ્ર ફોર્મ્યુલાને આગળ કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને કૉન્ગ્રેસ હંમેશાં સામસામે રહ્યા છે અને વિધાનસભાની ગઈ ચૂંટણીમાં એકબીજાની સામે લડ્યા હતા અને છતાં ય અત્યારે સરકારમાં સાથે છે.

શરદ પવાર અને પ્રશાંત કિશોરની રણનીતિ તો જ સફળ થાય જો કૉન્ગ્રેસ સમય વર્તીને કડવો ઘૂંટડો પીવા તૈયાર થાય. મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસ ત્રીજા ક્રમનો જુનિયર પાર્ટનર છે. એક રીતે જુઓ તો અપમાનજનક સ્થિતિ કહેવાય. બીજાં રાજ્યોમાં પણ કૉન્ગ્રેસે આવી સ્થિતિનો સ્વીકાર કરવો પડે. આ સિવાય લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ બેઠક મેળવીને પણ કૉન્ગ્રેસે વડા પ્રધાનપદનો દાવો છોડવો પડે. આગળ શું થશે એ અત્યારે કહેવું મુશ્કેલ છે, પણ એક વાત નક્કી કે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી પહેલીવાર દેશનું રાજકારણ રસપ્રદ વળાંક લઈ રહ્યું છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 15 જુલાઈ 2021

Loading

15 July 2021 admin
← તન અથવા મન કે તનમન બંને ?
વિદ્યાર્થીઓ શિક્ષણ વિભાગની ભલાઈ પર અને શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓની મલાઈ પર નભે છે … →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved