સુશાંતસિંઘ રાજપૂતના કેસમાં કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર આમનેસામને આવી ગયાં. કંગનાને મળી રહેલી ધમકીઓને કારણે તેણે મુંબઈ જાણે કે POK (પાકિસ્તાન ઓક્યૂપાઇડ કશ્મીર) હોય તેવું નિવેદન કરતાં શિવસેનાના નેતાઓ ભડક્યા. તેમણે કંગનાને પડકાર ફેંક્યો કે ‘હિંમત હોય તો અમદાવાદને POK કહી બતાવે.’ મુંબઈ અને અમદાવાદને POK કહેવાં કે નહીં, તે રાજકીય વિવાદ છે, પણ ખરેખર તો આપણા દરેકના મનમાં POK પડેલું હોય છે. POK શબ્દ અત્યારે ગાળ સમાન લાગી રહ્યો છે. POKનો સાદો અર્થ કરીએ તો જ્યાં કાયદાનું શાસન સમાપ્ત અને ભયનું વાતાવરણ હોય તેવી સ્થિતિ.
આપણા દરેકના મનમાં POK પડેલું છે તેવું એટલા માટે હું કહું છું કે આપણા મનમાં અનેક ધારણાઓ, ગ્રંથિઓ અને માન્યતાઓ પડેલી હોય છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ આપણી માન્યતા, આપણી ગ્રંથિ અને આપણી ધારણાથી વિરુદ્ધનો વ્યવહાર કરે ત્યારે આપણે અસહિષ્ણું થઈ જઈએ છીએ. આપણે માની લઈએ છીએ કે આપણે જે બાબત સાથે સહમત નથી તેવી વાત કરનાર વ્યક્તિ અથવા સંસ્થા આપણને પડકારી રહી છે. જ્યારે આવી સ્થિતિ નિર્માણ થાય ત્યારે આપણે માનવસ્થાપિત કાયદાનો ભંગ કરીએ છીએ.
ઉદાહરણરૂપે, દીકરી અન્ય કોઈ જ્ઞાતિના યુવક સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકે ત્યારે એક પિતાની ધારણાને ઠેસ પહોંચે છે. કારણ કે ઘણા પિતાઓના મતે દીકરીએ પોતાની જ્ઞાતિમાં જ લગ્ન કરવું જોઈએ, બીજું ઉદાહરણઃ અમુક જ્ઞાતિના લોકો પર ક્યારે ય ભરોસો કરાય જ નહીં તેવી ગ્રંથિ. ત્રીજું ઉદાહરણઃ માંસાહાર કરનાર લોકો દુષ્ટ હોય છે તેવી આપણી માન્યતા. આમ આપણા નાનકડા મગજમાં, વૈચારિક વારસામાં આવું બીજુ ઘણું મળે છે. વૈચારિક વારસામાં આપણને જે મળ્યું છે તે બધું જ સાચું નથી અને તે બધું જ ખોટું પણ નથી. છતાં, જ્યારે આપણી સામે આપણી માન્યતાઓ વિરુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થાય છે ત્યારે આપણે પૂરો વિચાર કરતાં નથી અને આપણા પરિવાર, મિત્રો અને વિરોધી વિચાર ધરાવનાર વ્યક્તિઓ સાથે અસહિષ્ણુ વ્યવહાર કરીએ છીએ. તે આપણા મનમાં પડેલું POK છે.
શિવસેનાના નેતાએ કહ્યું કે અમદાવાદને POK કહેવાની હિંમત કરો, પણ ગુજરાતના રાજકારણીઓ, ઉચ્ચ અધિકારીઓ અને પત્રકારોના મનમાં POK પડેલું છે. અહીં એક મોટો વર્ગ એવું માને છે કે તેમના ફોનના સંદેશા આંતરવામાં આવે છે. આમ એક માનસિક ભયનો માહોલ છે. POKનો અર્થ માત્ર કાયદાનું શાસન સમાપ્ત થવું, એટલો જ નથી તમારા મનમાં પડેલો ડર એ પણ POKની જ નિશાની છે. ગુજરાતના રાજકારણીઓ, અધિકારીઓ અને પત્રકારો સામાન્ય કૉલ કરવાને બદલે વૉટ્સએપ કૉલ કરે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની કોઈ પણ એજન્સી રાજ્યના આટલા બધા ફોનના સંદેશા આંતરવાનું કામ કરી શકે નહીં પણ દરેકના મનમાં એક શંકા અને ડર છે. તે જ POK છે. આમ આપણા મનમાં જે અસહિષ્ણુતા અને ડર છે તે POKની ઉપર આપણે જ સર્જિકલ સ્ટ્રાઇક કરવી પડશે અને આપણા મનમાં આપણે જાતે જ સહિષ્ણુતા અને પ્રેમનું શાસન પ્રસ્થાપિત કરવું પડશે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2020; પૃ. 10