Opinion Magazine
Number of visits: 9458147
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહિલાઓને પીરિયડ લીવ આપવી વાજબી છે ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|25 May 2023

ચંદુ મહેરિયા

વિદ્યાર્થિનીઓ અને મહિલા કર્મચારીઓને પીરિયડ લીવ આપવાની માંગણી કરતી જાહેર હિતની અરજી, સરકારની નીતિ વિષયક બાબત ગણાવી, સર્વોચ્ચ અદાલતે સુનાવણી માટે સ્વીકારી નથી. જો કે  અન્ય પી.આઈ.એલ.માં સુપ્રીમ કોર્ટે માસિકસ્રાવ દરમિયાનની સ્વચ્છતા અંગે સમાન રાષ્ટ્રીય નીતિ ઘડવા અને તમામ સ્કૂલ ગર્લ્સને વિના મૂલ્યે સેનેટરી પેડ આપવા નિર્દેશ આપ્યો છે. તેને કારણે માસિકસ્રાવ, મોનોપોઝ, પીરિયડ લીવ અને સેનેટરી નેપકિન જેવી શરમ અને સંકોચને કારણે ભાગ્યે જ જાહેરમાં ચર્ચાતી બાબતો સપાટી પર આવી છે.

મલયાલમ લેખક પી. ભાસ્કર રુન્નીના પુસ્તક ‘કેરલ ઈન નાઈનટીન્થ સેન્ચુરી’માં ઈ.સ. ૧૯૧૨માં કેરળના કોચીન રજવાડાના (હાલનો અર્નાકુલમ જિલ્લો) ત્રિપુનથુરા ગામની સરકારી કન્યા શાળાએ વાર્ષિક પરીક્ષામાં પણ મહિલા શિક્ષકો અને વિદ્યાર્થીઓને પીરિયડ લીવ આપી હોવાનો ઉલ્લેખ છે. સોવિયત સંઘે ઈ.સ. ૧૯૨૨માં નેશનલ પોલિસી થકી મહિલા કામદારોને માસિકસ્રાવની રજા આપી હતી. આ તો હવે સદી પુરાણી વાત થઈ.

પણ નવેમ્બર ૧૯૯૧માં મુખ્યત્વે કેન્દ્રના ધોરણે પગાર અને પગાર વિસંગતતા નાબૂદી માટેના બિહારના સરકારી કર્મચારીઓના આંદોલનની એક ગૌણ માગણી મહિલા કર્મચારીઓને માસિકસ્રાવની પીડાના દિવસોની સવેતન ખાસ રજા આપવાની હતી. માધ્યમોએ ગંવાર તરીકે ચિતરેલા લાલુપ્રસાદ યાદવ તે સમયે બિહારના મુખ્ય મંત્રી હતા. કર્મચારી આગેવાનો સાથે મંત્રણાના મેજ પર લાલુપ્રસાદે પીરિયડ લીવની માંગણી ક્ષણના ય વિલંબ વિના સ્વીકારી લીધી હતી. અને ૧૯૯૨ની પહેલી જાન્યુઆરીથી તેનો અમલ થઈ રહ્યો છે.

પછાત, સામંતી અને બીમારુ રાજ્ય બિહારના મહિલા કર્મચારીઓ લગભગ ત્રણ દાયકા કરતાં વધુ સમયથી પીરિયડ લીવ મેળવે છે. પરંતુ ભારતનું એકેય પ્રગતિશીલ, વિકસિત કે વાઈબ્રન્ટ રાજ્ય જમાના કરતાં આગળના બિહારના આ પગલાંનું અનુકરણ કરી શક્યું નથી. (અપવાદરૂપે હજુ હમણા કેરળની સામ્યવાદી સરકારે રાજ્યની તમામ યુનિવર્સિટીઓની છાત્રાઓને પીરિયડ લીવ આપવાનું ઠરાવ્યું છે) એટલે દુનિયાના લગભગ એકાદ ડઝન દેશોમાં મહિલાઓને માસિકસ્રાવના દુખાવા માટે ખાસ રજા મળે છે અને તાજેતરમાં સ્પેનની સંસદે આ માંગ સ્વીકારતાં તે પીરિયડ લીવ આપનારો  પહેલો યુરોપિયન દેશ બન્યો છે. તેની યાદ ભારતને આપવાનો અર્થ નથી.

તમામ મહિલાઓ દર મહિને એકાધિક દિવસોની માસિકસ્રાવની પીડા ભોગવે છે. એક મહિલા તેની જિંદગીના કુલ વરસોમાંથી સરેરાશ દસ વરસ કે ત્રણ હજાર પાંચસો દિવસ માસિકની પીડા વેઠે છે. તેમાં બે વરસનો ગાળો તો ભારે મુશ્કેલ હોય છે. તેમાં અસહ્ય પીડા, દર્દ અને રક્તસ્રાવ સહેવા પડે છે. આ વિષયના એક વિદેશી નિષ્ણાતના મત પ્રમાણે માસિકનો દુ:ખાવો હ્રદય રોગના હુમલા જેટલો હોય છે. માસિકના દિવસોમાં લગભગ ૨૦ ટકા મહિલાઓ તો ચાલી પણ શકતી નથી. મહિલાઓ જે શારીરિક-માનસિક મુશ્કેલીઓ ભોગવે છે તેમાં માથું, પેટ અને પગનો દુખાવો, શરીરમાં કળતર, ઊલટી, તાવ, ચક્કર , ચીડિયાપણું, બેચેની, મૂડ ખરાબ હોવો, ઊંઘ અને ભૂખ ઘટવાં જેવી બાબતોનો સમાવેશ થાય છે.

મહિલાઓને આ દિવસોમાં આરામની સખત જરૂર હોય છે એટલે જો તે આ સમયે કામ કરે તો કામને અને મહિલાને બંનેને અસર થાય છે. તેને કારણે કામની ગુણવત્તા જોખમાય છે અને ઉત્પાદન ઘટે છે. જો માસિકના દુખાવાની પીડાના સમયે તેને રજા કે આરામ મળે તો પછીના દિવસોમાં તે વધુ સારી રીતે કામ કરી શકે છે અને ધાર્યું ઉત્પાદન થઈ શકે છે. એટલે મહિલા અને નોકરીદાતાના લાભમાં છે કે તેને આરામ કે રજા મળે.

કામગરા દેશની વાજબી છાપ ધરાવતા જાપાનમાં ૧૯૪૭થી મહિલાઓને પીરિયડ લીવ આપવામાં આવે છે. માસિકસ્રાવ અને તેની પીડા એક જૈવિક પ્રક્રિયા છે. મહિલાઓ આ દિવસો અને તેની પીડા વિશે ખુલીને પુરુષકર્મી સાથે સહજતાથી વાત કરી શકતી નથી. ઘણી મહિલાઓ રજોનિવૃત્તિકાળની મુશ્કેલીઓને કારણે નોકરી છોડે છે. દેશમાં સરેરાશ ૫૭.૬ ટકા મહિલાઓ જ સેનેટરી પેડ વાપરે છે. બાકીનાને તે પોસાય તેમ નથી તેથી તેઓ હાથવગા ઉપાય કરે છે. દેશની શ્રમિક અને અસંગઠિત ક્ષેત્રે કામ કરતી મહિલાઓને પીડા વેઠીને પણ કામ કરવું પડે છે. નહીં તો તેને ભૂખે મરવું પડે છે.

આમ પણ સવેતનિક કામ માટે મહિલાઓની પસંદગી ઓછી જ થાય છે. ૧૯૬૧ના માતૃત્વ લાભ અધિનિયમ પ્રમાણે મહિલાકર્મીને પ્રસૂતિ, ગર્ભપાત, ફેમિલીપ્લાનિંગ સર્જરી જેવા કારણોસર પેઈડ લીવ આપવી નોકરીદાતાને ગમતી નથી. જો તેમાં પીરિયડ લીવ ઉમેરાય તો મહિલાઓને શાયદ નોકરીએ જ ના  રાખે .. આ સૌથી મોટો ગેરફાયદો છે. જાપાનમાં કાયદા છતાં પાત્રતા ધરાવતી ૦.૯ ટકા મહિલાઓ જ પીરિયડ લીવનો લાભ લે છે. તે હકીકત પણ નજરઅંદાજ કરવા જેવી નથી.

જો કે સ્ત્રી-પુરુષ સમાનતાની દૃષ્ટિએ આ માંગનો વિરોધ યોગ્ય નથી. સ્ત્રી ગર્ભ ધારણ કરે છે, બાળક્ને જન્મ આપે છે, માસિક્ની પીડા વેઠે છે. આ કશું ય પુરુષને ભાગે આવતું ના હોઈ સમાનતાની આડ લેવી યોગ્ય નથી. માસિકની રજા મહિલાઓનો કાનૂની અને માનવીય અધિકાર છે અને તે તેમને આરામ અને રાહત આપશે તે નિર્વિવાદ છે. દેશની દોઢ ડઝન ખાનગી કંપનીઓ અને બિહાર રાજ્ય જો પીરિયડ લીવ આપતાં હોય તો બીજા પણ આપી શકે.

પીરિયડ લીવના મુદ્દે રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ જોવા મળે છે. સંસદમાં આ અંગેના બે બિનસરકારી વિધેયકો પર સરકારનો અભિગમ નકારાત્મક હતો. લોકસભામાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પ્રવર્તમાન કાયદાનો હવાલો આપીને માંગ નકારી છે. તો આરોગ્ય રાજ્ય મંત્રી ભારતી પ્રવીણ પવારે માસિકસ્રાવને સામાન્ય શારીરિક પ્રક્રિયા ગણાવીને ગંભીર પીડા કે મુશ્કેલીઓનો સામનો કરતી મહિલાઓનું પ્રમાણ ઓછું છે તેમ જણાવી રજાની માંગણી ઈન્કારી છે. કેરળના ઉચ્ચ શિક્ષણ મંત્રી આર. બિન્દુ માસિકના ગાળાને મહિલાઓ માટે ઈમોશનલ રોલર કોસ્ટર જેવો ગણાવે છે ખરા પણ રજા તો ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ પૂરતી જ આપે છે !

મહિલાઓની માસિક્સ્રાવની રજાની માંગ સ્વીકારીને સરકાર કદાચ સરકારી કચેરીઓ, સંસ્થાઓમાં મહિલાલક્ષી સવલતો અને સુધારા કરવામાંથી મુક્તિ મેળવી લેશે. વળી બહુ મોટો ગરીબ મહિલાઓનો વર્ગ તો તેમાંથી બાકાત હશે. સિંદૂર, કાજલ, ચાંદલો જેવા મહિલા સોંદર્યપ્રસાધનના સાધનો જી.એસ.ટી. મુક્ત હોય પણ સેનેટરી નેપકિન જી.એસ.ટી.યુક્ત હોય તેવી સરકારી નીતિ અને માસિક્સ્રાવની જૈવિક પ્રક્રિયાને પણ ધર્મ સાથે જોડી માસિકધર્મ તરીકે ઓળખાવતા સમાજ સામે મહિલાઓએ અનેક મોરચે લડવાનું છે. એટલે સરકારસહિતના સમગ્ર સમાજની સંવેદનશીલતા જરૂરી છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

સતત વહેતી, સતત પલટાતી અને તોયે સદાસર્વદા વહેતી ગંગા

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|25 May 2023

ત્રણ દિવસ પછી જવાહરલાલને ગયે 59 વરસ પૂરાં થશે. એમની સ્મૃતિના ષષ્ઠિપૂર્તિ વર્ષમાં આપણે પ્રવેશતાં હોઈશું ત્યારે પ્રજાકીય છેડે કેવુંક હશે એમનું ચિત્ર?

સુંદર વનરા છે, પણ એમાં ખોવાઈ શેં જવાય? કેટકેટલાં વચનો નભાવવાનાં છે અને માઈલોના માઈલો કાપવાના છે : 27મી મેના રોજ 1964માં વડા પ્રધાન નેહરુએ અંતિમ શ્વાસ લીધા ત્યારે કવિ રોબર્ટ ફ્રોસ્ટની આ મતલબની પંક્તિઓ તેમના મેજ પર વંચાતી હતી. ત્રણ દિવસ પછી જવાહરલાલને ગયે 59 વરસ પૂરાં થશે અને એમની સ્મૃતિના ષષ્ઠિપૂર્તિ વર્ષમાં આપણે પ્રવેશતાં હોઈશું ત્યારે પ્રજાકીય છેડે કેવુંક હશે એમનું ચિત્ર? આમ તો, વોટ્સએપ યુનિવર્સિટીના વિક્રમી બાળુડાંઓએ બચાડાંએ ખાસ પૂછવા કે નાવાનીચોવા જેવું નયે રાખ્યું હોય. પણ જેમ એક વૈકલ્પિક વિમર્શ કસરત ચાલે છે તેમ આ લખનાર જેવા ક્યારેક નેહરુના ટીકાકાર રહેલાને પક્ષે પણ પુનર્વિચાર શી કશ્મકશ ક્યાં નથી?

એક દાખલો આપું. 1937ની પ્રાંતિક સ્વરાજ સરકાર વખતથી ગાંધીજી સાદા મંત્રીનિવાસ, માફકસર (મહિને પાંચસો રૂપિયા આસપાસ) પગાર અને સહિયારી પરિવહનસેવાના હિમાયતી હતા. સ્વરાજ આવ્યું ને સૌ મોટા મોટા નિવાસોમાં રહેવા જવા લાગ્યા. ગાંધીજી અલબત્ત હરિજન કોલોનીમાં આગ્રહપૂર્વક રહેતા હતા, જેમ ઢેબરભાઈ પણ (પછીથી કાઁગ્રેસ પ્રમુખ થયા ત્યારે) સંકલ્પપૂર્વક રહેતા હતા. નવ નવ વરસના જેલવાસના તપસી જવાહર જો કે આગ્રહપૂર્વક અંગ્રેજ સેનાપતિએ ખાલી કરેલા મહેલનુમા બંગલામાં રહેવા ગયા. (એક વાર જયપ્રકાશે ‘ભાઈ જવાહરલાલ’ને લખ્યું’તું પણ ખરું કે તમે 1927ના અરસામાં સોવિયત રશિયા ગયા ત્યારે લેનિનનું સત્તાવાર નિવાસસ્થાન કેટલું નાનું હતું એ કેટલા ભાવપૂર્વક યાદ કરતા હતા …)

ત્યારે અલબત્ત જે ટીકા કરવાનું બન્યું હશે તે બન્યું હશે, પણ હમણાં એક પાકિસ્તાની પર્યવેક્ષકે કમાલ નુક્તેચીની કરી છે : ભારતના વડા પ્રધાન તરીકે નેહરુ ધરાર ગોરા વડા સેનાપતિના નિવાસમાં રહેવા ગયા અને ચોખ્ખો સંકેત બેબાક ને બિનધાસ્ત આપી દીધો કે ભઈલા આ લોકશાહી મુલક છે ને ચુંટાયેલી સરકારની અહીં સરસાઈ હોવાની, હોવાની ને હોવાની છે.

જો કે આ તો એક આકર્ષતો છતાં કંઈક અછડતો ઉલ્લેખ થયો. પણ ખાસ ચાલતી ચર્ચા (ઘણુંખરું અલબત્ત ચકચાર) તો એ છે કે આ માણસને અને દેશના ઇતિહાસ ને સંસ્કૃતિને શું. ઉત્તર પ્રદેશમાં ને અન્યત્ર વિધાનસભાની ચૂંટણી વખતે (કાઁગ્રેસને જનોઈતિલકધારી રાહુલ મુદ્રા સૂઝી હતી એ ગાળામાં) યોગી આદિત્યનાથની એક ચહેતી પ્રચારવાનગી હતી કે જેના વડીલને પોતાનું હિંદુ હોવું તે અકસ્માત લાગતું હોય તે વળી શેનો ધરમનો દાખડો કરે છે. ભલા ભાઈ, ચાલુ રાજકારણમાં આવાતેવા પેચપવિત્રા ચાલતા હોય છે. માત્ર, જવાહરલાલે એમને નામે ચાલ્યું છે એમ આત્મકથામાં ક્યાંયે નથી લખ્યું કે ‘શિક્ષણે હું અંગ્રેજ છું, વિચારોમાં આંતરરાષ્ટ્રીયતાવાદી છું, સભ્યતાએ મુસ્લિમ અને જન્મના અકસ્માતે હિંદુ છું.’ હકીકતે મૂળે એન.બી. (નારાયણ ભાસ્કર) ખરેએ એક લેખમાં નેહરુની આત્મકથાનું આ અવતરણ આપ્યું છે. માબાપ વગર તે કેમનું અવતર્યું હશે એ. ખરે જાણે; કેમ કે આત્મકથામાં તે શોધ્યું જડતું નથી. 

નેહરુની સ્વાધ્યાયપ્રત સ્વદેશવત્સલતા, એમની ઇતિહાસદૃષ્ટિ, ભારતીય સંસ્કૃતિ વિશેની એમની સમજ, આ બધાંનો હૃદ્ય આલેખ ‘ડિસ્કવરી ઓફ ઈન્ડિયા’ રૂપે આપણી સમક્ષ છે. અહમદનગર જેલમાં, ખાસ કશી સ્ત્રોતસામગ્રી વગર, આચાર્ય કૃપાલાની, વલ્લભભાઈ, મૌલાના આઝાદ, આચાર્ય નરેન્દ્ર દેવ વગેરેની સોબતમાં બાગાયત કરતાં કરતાં પોતાની અદ્દભુત સ્મૃતિ (અને નરેન્દ્ર દેવ ને મૌલાના આઝાદ જેવાની વિશ્વકોશીય જાણકારી) એમને ફળી છે. કૃપાલાની આત્મકથામાં સંભારે છે કે આ અદ્વિતીય ગ્રંથ બહાર આવ્યો ત્યારે સમજાયું કે નેહરુ વારે વારે મૌલાનાના ખંડમાં કેમ ધસી જતા હતા. સાથોસાથ, એક ઋણસ્વીકાર કરી લઉં? આ કોલમનામ પર વારી ગયેલા મિત્રોને કહેવાનું કે વાસ્તવમાં તે નેહરુકૃત ‘ગ્લિમ્પ્સઝ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી’ને ગુજરાતીમાં ઉતારતાં વેણીભાઈ બુચે કરેલ પ્રયોગ છે … ‘સૌરાષ્ટ્ર’ના વારામાં આ પુસ્તકને ‘તવારીખની તેજછાયા’ એ શ્રેણીશીર્ષક સાથે નાના નાના ભાગમાં બહાર પડાયું હતું. કાશ નવજીવન ‘ડિસ્કવરી’ અને ‘ગ્લિમ્પ્સિઝ’ને એ ધારીએ કેમ સુલભ ન કરી શકે! રાહ જોઈએ.

જ્યાં સુધી ભારતીય સંસ્કૃતિ માટેની એમની સમજ ને ઉલ્લસિત ઉરનો સવાલ છે, બે ઈંગિત બસ થશે. એક તો, રામકૃષ્ણ પરમહંસ ને સ્વામી વિવેકાનંદ વિશેની એમની પુસ્તિકા.

અને, 21 જૂન 1954ના રોજ (અવસાનના ખાસા દસકા પહેલાં) લખી રાખેલ વસિયતમાં ગંગામૈયા વિશેના આ ઉદ્દગારો :

‘ગંગા ભારતની પોતાની ખાસ નદી છે. અહીંનું લોક એને ચાહે છે અને એની ફરતે કંઈકેટલી સ્મૃતિઓ સંકળાયેલી છે – ભારતની આશાનિરાશા ને ભય, વિજયવાર્તા ને પરાજયની કથા : આ બધાંને ગોદમાં લેતી તે ભારતની સૃજનજૂતી સંસ્કૃતિ ને સભ્યતાનું પ્રતીક છે … સતત પલટાતી, સતત વહેતી ને તોયે સદાસર્વદા એની એ જ ગંગા.’

પંડિત નેહરુને નામે જે નિર્માણ ઇતિહાસજમે છે, એની સાંસ્કૃતિક પિછવાઈનું આ તો એક દર્શન, લગરીક.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 24 મે 2023

Loading

બે હજારની નોટ નાછૂટકે રદ્દ કરવામાં આવી

રમેશ ઓઝા|Opinion - Opinion|25 May 2023

રમેશ ઓઝા

તમે બે હજાર રૂપિયાની નોટ છેલ્લે ક્યારે ભાળી હતી? એ.ટી.એમ. કે બૅન્કમાંથી તમે પૈસા કઢાવ્યા હોય અને તમને બે હજારની નોટમાં પૈસા મળ્યા હોય એવું ક્યારે બન્યું હતું? છેલ્લા બે વર્ષમાં ભાગ્યે જ તમે બે હજારની નોટ ભાળી હશે કે એ નોટમાં વહેવાર કર્યો હશે.

શા માટે? ઘણાં લોકોને એમ લાગતું હતું કે રીઝર્વ બૅન્કે બે હજાર રૂપિયાની નોટ ધીરે ધીરે પાછી ખેંચી લીધી હશે અને નવી નોટ છાપવાનું બંધ કર્યું હશે. ૨૦૧૬ના નવેમ્બરમાં જ્યારે નોટબંધી જાહેર કરવામાં આવી અને જૂનાની જગ્યાએ નવા ચલણનો પુરવઠો ઊભાઊભ કરવો મુશ્કેલ હતો ત્યારે તાત્કાલિક ઉપાય તરીકે બે હજાર રૂપિયાની નોટ છાપવામાં આવી હતી. બે હજારની એક નોટ સામે પાંચસો રૂપિયાની ચાર નોટ બદલી શકાય. જો કે ત્યારે પણ કહેનારાઓ તો કહેતા જ હતા કે નોટબંધી એક ખાસ વર્ગને મદદ કરવા માટેનું કૌભાંડ છે અને બે હજારની નોટ પણ તેનો એક ભાગ છે. પરંતુ ત્યારે આ લખનાર એમ માનતો હતો કે બે હજારની નોટ ચલણમાં દાખલ કરવા પાછળનું કારણ ઉપર કહ્યું એમ તાત્કાલીક જરૂરિયાત હતું અને જરૂરિયાત પૂરી થતાં રીઝર્વ બૅંક બે હજારની નોટને પાછી ખેંચી રહી છે. બે હાજરની નોટ નથી દેખાતી એની પાછળનું કારણ આ છે. આવું મારું અનુમાન હતું અને બીજા અનેક લોકોનું હતું.

પણ એક દિવસ આઘાતજનક માહિતી મળી. મનોરંજન એસ. રોય નામના માહિતીના અધિકાર માટે કામ કરનારા કર્મશીલના ધ્યાનમાં એક વિચિત્ર વાત આવી. ભારત સરકારની માલિકીની ત્રણ ટંકશાળમાં રીઝર્વ બૅન્કે બે હજાર રૂપિયાની જેટલી નોટ છપાવી છે એનાથી વધુ નોટ રીઝર્વ બૅન્કે બજારમાં મૂકી છે! અરે! આમ કેમ બને? વળી બન્ને આંકડા રીઝર્વ બૅન્કે પોતે તેના વાર્ષિક અહેવાલમાં આપ્યા છે. બન્ને આંકડા સરકારી છે, સત્તાવાર છે, એક જ સરકારી સંસ્થાના છે, રીઝર્વ બૅંન્કના પોતાનાં છે. ના, એ નકલી નોટ ન હોઈ શકે. નકલી નોટ બનાવનારાઓ રીઝર્વ બૅંક દ્વારા નકલી નોટ ચલણમાં ન મૂકી શકે. બે હજાર રૂપિયાની નકલી નોટ ચલણમાં ફરતી હશે એ તો વધારાની. તો પછી એ વધારાની બે હજાર રૂપિયાની નોટો છપાવી કોણે? કોના કહેવાથી? કોના માટે? અને રીઝર્વ બૅન્કે છપાવી તો સરકારી ચલણ છાપનારાં પ્રેસમાં એની નોંધ કે ગણતરી કેમ નથી? તો પછી એ નોટ છપાવી ક્યાં? કોના પ્રેસમાં? બધા જ રહસ્યમય પ્રશ્નો છે જે રીતે નોટબંધી પોતે જ એક રહસ્યમય ઘટના છે.

આની સી.બી.આઈ. દ્વારા તપાસ થવી જોઈએ એવી માગણી કરતો પત્ર મનોરંજન રોયે ગયા વરસે એપ્રિલ મહિનામાં વડા પ્રધાનને લખ્યો અને તેની નકલ મોકલી રાષ્ટ્રપતિને, નાણાં પ્રધાનને, રીઝર્વ બૅન્કના ગવર્નરને. અપેક્ષા મુજબ કોઈ જવાબ નહીં.

બે હજાર રૂપિયાની નોટની છપાઈની સંખ્યા અને બજારમાં ફરતી નોટની સંખ્યા વચ્ચેના આશ્ચર્યજનક તફાવતને ઘડીભર બાજુએ મૂકીએ. આંકડા પરથી એક વાત નક્કી કે ૨૦૨૦-૨૧ની સાલ સુધી રીઝર્વ બૅંક બે હજાર રૂપિયાની નોટ છપાવતી હતી અને બજારમાં મૂકતી પણ હતી, પણ તો પછી એ હતી ક્યાં? કોની પાસે? આપણે તો તેનાં ભાગ્યે જ દર્શન કર્યાં હતાં. ૨૦૧૭થી ૨૦૨૧ વચ્ચે રીઝર્વ બૅન્કે બે હજાર રૂપિયાની કિંમતની ૧૨ અબજ ૧૭ કરોડ ૩૩ લાખ નોટ બજારમાં મૂકી હતી. યાદ રહે, આ નોટોની સંખ્યા છે.

વાત એમ છે કે નોટબંધી એક વગરવિચાર્યું તઘલખી સાહસ હતું. રીઝર્વ બૅન્કના ધોરણસરના શિક્ષિત અર્થશાસ્ત્રી ગવર્નર રઘુરામ રાજને નોટબંધીનો વિરોધ કર્યો હતો એટલે તેમને હટાવી દેવામાં આવ્યા હતા. નોટબંધી કરવાથી નથી કાળાં નાણાંનો અંત આવ્યો કે નથી નકલી નોટોનો અંત આવ્યો. વડા પ્રધાન રોજ ત્રાસવાદીઓનો ડર બતાવે છે એટલે ત્રાસવાદનો પણ અંત નથી આવ્યો. ઊલટું બે હજાર રૂપિયાની નોટ દ્વારા કાળું નાણું સાચવવામાં સહેલું પડે એવું કદમાં નાનું થઈ ગયું. પાંચસો અને હજારની નોટ અનુક્રમે ચાર ગણી કે બે ગણી જગ્યા રોકતી હતી. કાળાં નાણાં ધરાવનારાને ચાંદી થઈ ગઈ હતી. નકલી નોટવાળાઓને પણ ચાંદી થઈ ગઈ. તઘલખી ખેલના અંતે ખબર પડી કે રીઝર્વ બૅન્કે જેટલી રકમની નોટ બજારમાં મૂકી હતી તેનાં કરતાં વધુ રકમની નોટ પાછી આવી.

બે હજાર રૂપિયાની કિંમતની ૧૨ અબજ ૧૭ કરોડ નોટમાંથી ૯૦ ટકા નોટ કાળાં નાણાંમાં ફેરવાઈ ગઈ અને કેટલાક હાથોમાં જમા થવા લાગી. બાકી ભારતનું અંદાજે ૬૦ ટકા અર્થતંત્ર રોકડિયું અર્થતંત્ર છે. દૂધવાળા, શાકવાળા, દાણાવાળા, રીટેલ શોપ્સ, ગ્રામીણ કૃષિ અર્થતંત્રમાં રોકડાનો વહેવાર ચાલે છે. ક્યાંક તો બે હજારની નોટ નજરે પડે ને! પણ ક્યાં ય કહેતા ક્યાં ય જોવા નહોતી મળતી. રીઝર્વ બેંક બે હજારની નોટ ધીરે ધીરે પાછી ખેંચવા માગતી હતી, પણ બહાર નીકળે તો પાછી ખેંચે ને! ૨૦૨૧ના માર્ચ મહિનામાં કેન્દ્રના રાજયકક્ષાના નાણાં પ્રધાન અનુરાગ સિંહ ઠાકુરે લોકસભામાં જણાવ્યું હતું કે રીઝર્વ બૅન્કે બે હજાર રૂપિયાની નોટ છાપવાનું બંધ કર્યું છે અને ધીરે ધીરે બે હજારની નોટ પાછી ખેંચી લેવામાં આવશે, પણ પાછી ફરી જ નહીં.

જ્યારે બે હજાર રૂપિયાની નોટ બહાર નહોતી નીકળતી ત્યારે નાછૂટકે હવે બે હજાર રૂપિયાની નોટ રદ્દ કરવામાં આવી છે, પણ એ રીતે કે કાળાં નાણાં ધરાવનારાઓને ઈજા ન પહોંચે. ઈજા પહોંચાડી શકાય એમ પણ નથી એ તો ૨૦૧૬માં જ સાબિત થઈ ગયું હતું એટલે એનો કોઈ અર્થ પણ નથી. નોટબંધી એક દુસ્સાહસ હતું એ હવે સાબિત થઈ ગયું છે. ભા.જ.પ., વડા પ્રધાન અને સરકાર પણ હવે નોટબંધીને યાદ નથી કરતાં, શ્રેય લેવાની વાત તો બાજુએ રહી. ગોદી મીડિયા પણ નોટબંધીના સાહસને ભૂલવાડવાનું કામ કરી રહ્યા છે.

દરમ્યાન આપણાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામનના પતિ ડૉ. પારાકલા પ્રભાકરે કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમાજમાં તિરાડો પાડવાની કમાલની આવડત ધરાવે છે, પણ અર્થતંત્ર અને બીજી શાસનની બાબતે એટલી જ આઘાતજનક અણઆવડત ધરાવે છે. ‘ધ ક્રૂક્ડ ટીમ્બર ઑફ ન્યુ ઇન્ડિયા : ઍસેઝ ઓન અ રિપબ્લિક ઇન ક્રાઈસીસ’ નામનાં તાજેતરમાં પ્રકાશિત થયેલાં પુસ્તકમાં આમ કહ્યું છે. તેમણે વડા પ્રધાનની અણઆવડત માટે અંગ્રેજીમાં staggeringly incompetent એવો શબ્દપ્રયોગ કર્યો છે. ડૉ. પારાકલ પ્રભાકર જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના સ્નાતક છે અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલીટિકલ સાયન્સના પીએચ.ડી. છે. પ્રભાકરે એક વાર તેમનાં પત્ની અને નાણાં પ્રધાન નિર્મલા સીતારામન્‌ને સલાહ આપી હતી કે ભારતનાં અર્થતંત્રને ઠેકાણે પાડવું હોય અને એવો પ્રમાણિક ઈરાદો હોય તો આપણાં ઘરથી થોડે દૂર રહેતા ડૉ. મનમોહન સિંહને તારે મળવું જોઈએ. સ્વયંઘોષિત વિશ્વગુરુઓને છોડીને આખું જગત તેમની સલાહ લે છે અને આપણા ઘરની તો સાવ નજીક છે, એને મળ.

તો આવું છે વિશ્વગુરુનું અર્થતંત્ર!

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 25 મે 2023

Loading

...102030...996997998999...1,0101,0201,030...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved