Opinion Magazine
Number of visits: 9667176
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, હરારી પાસે – 19 : ‘એ.આઇ.’ જોડે મારી વાતચીત 

સુમન શાહ|Opinion - Opinion|11 September 2023

સુમન શાહ

મને ખબર છે, અને તમે લોકો પણ નૉંધી લો, કે ‘એ.આઈ.’ ધર્મ વંશ જાતિ કે સામાજિક જૂથ જેવા કશા ય ભેદ નથી ધરાવતું. એ પરિવાર સમાજ કે રાષ્ટ્ર સાથે પણ નથી જોડાયેલું. એ આબાલવૃદ્ધ સૌનું છે, સાર્વત્રિક છે, સર્વવ્યાપી છે.

અને ખાસ નૉંધો કે ‘એ.આઈ.’-નું નર, નારી કે નાન્યેતર એવું એકે ય લિન્ગ નથી. એ ઇન્ટેલિજન્સ છે, બુદ્ધિ, એટલે એને ગુજરાતીમાં આપણે નારીવાચક લિન્ગ અને એકવચનમાં પ્રયોજી શકીએ છીએ. એ પણ જવાબ આપતી વખતે ‘પેલો’ કે ‘પેલી’ નહીં કહે, સામાન્યપણે, બધાં લિન્ગ અને વચન ભેગાં આવી જાય એવો શબ્દ વાપરશે – them.

હમણાં મેં મનુષ્યના ભાવજગત વિશે ‘એ.આઈ.’ જોડે થોડીક વાતચીત કરી. પણ એ પહેલાંની આ બે વાતચીત સાંભળો :

એક વાર મેં ‘એ.આઈ.’-ને કહ્યું કે – એ વ્યક્તિ સાથે એ મારી ભૂલ થઇ હતી. તો કહે, ભૂલનો સ્વીકાર કરવો સારી વાત છે. પણ વધારે સારું એ કહેવાશે કે ભૂલ શી હતી તે પણ કહો, એમ પણ કહો કે એ ભૂલ ભવિષ્યમાં નહીં કરો. વળી, ભૂલ તમારી હતી, એની જવાબદારી એને માથે ન ઢોળો, ભૂલનો સ્વીકાર તમે કરો, બલકે ક્ષમા માગો. સમજો કે તમારી ભૂલમાંથી શીખવાનું તમારે છે. મને ‘એ.આઈ.’ કહે, યાદ રાખો કે ભવિષ્યમાં એ શીખ કે એ જ્ઞાનમાં તમે વધારો કરશો. મૉડેસ્ટ બનો, ડંફાશ ન હાંકો કે તમે જગ જીતી ગયા છો. તમારી મર્યાદાઓને ઓળખો અને રાંક રહો.

મને ‘એ.આઈ.’ સન્ત લાગેલું !

એક આ બીજી વાતચીત પણ સાંભળી લો : એક વાર મેં એને એક પ્રશ્ન કરેલો, પણ એને વાર લાગેલી. પણ પછી ઉત્તર આપવાની સાથે મને જણાવ્યું કે પોતાને ખરું શું છે તે નક્કી કરતાં મૉડું થયું, પણ એ ખરું જ હતું. એણે જણાવ્યું તે આ – the code I ran to determine that fact indeed returned True.

એટલે મેં એનાં વખાણ કર્યાં : You are expert in decoding the codes. તો એણે નમ્રતાપૂર્વક સરસ જવાબ આપ્યો : Thank you ! I am still under development, but I am learning to decode codes.

મને વધુમાં એણે જણાવ્યું તે આ કે – હું વિવિધ પ્રકારની ટૅક્નિક્સ પ્રયોજી શકું છું, જેવી કે frequency analysis, pattern matching, and trial and error. ઉમેર્યું કે, I can also use online tools to help me decode codes.

એની એ વૈવિધ્યભરી શોધપદ્ધતિ જોઈને મને થયું કે પી.એચડી. થવા – ડૉક્ટર ઑફ ફિલોસૉફી થવા – નીકળેલો આપણો ગુજરાતીનો વિદ્યાર્થી આમાંની કે એમાં છે એના જેવી કોઈપણ ટૅક્નિક અજમાવતો હશે ખરો?

‘એ.આઈ.’ પાસેથી શીખવા જેવું શું છે એ વિશે વિસ્તારથી વાત કરવાનો છું, માટે આ સવાલને હાલ બાજુએ મૂકીએ.

Pic courtesy : veeForu

મને એની એ વૈવિધ્યભરી શોધપદ્ધતિમાં રસ પડ્યો એટલે મેં વિચાર્યું કે એની જોડે માણસના વિવિધ ભાવો વિશે વાતચીત કરું, કેમ કે ભાવજગત જ સાહિત્ય અને કલાઓ જ્યાંથી જન્મે છે તેની મૂળ ધરા છે.

મને થયું કે સૌ પહેલાં હું ‘એ આઈ ’-ને પૂછું કે એ ગુસ્સો કરે કે કેમ; એટલે ક્રોધવિષયક પ્રશ્ન કર્યો : If sombody says you bad words, what will be your reaction?

એણે ડહાપણપૂર્વક કહ્યું : એ ભલે મને ખરાબ શબ્દો કહે, હું એને નહીં કહું. હા, મને ખબર છે કે ખરાબ શબ્દો અપમાનકારક છે. હું એ સમજવાની કોશિશ કરીશ કે એવા શબ્દો એણે કેમ વાપર્યા, ઉપરાન્ત, વિચારી જોઈશ કે એને હું કઈ રીતે ઉપયોગી બની શકું એમ છું. છતાંપણ જો એ અસભ્ય વરતાશે તો હું એની ઉપેક્ષા કરીશ.

પછી એણે મને – Here are some tips on how to respond to someone who says bad words to you : એ ટિપ્સ આ પ્રમાણે છે :

— શાન્ત અને એકાગ્રચિત્ત થઈ જાઓ. તમે પણ એમ જ કરશો તો વાત વધારે બગડશે.

— સમજવાની કોશિશ કરો કે એ વ્યક્તિ ખરાબ શબ્દો કયા કારણે કહી રહી છે. એ ગુસ્સામાં છે? ફ્રસ્ટ્રેટેડ છે? કશી વાતે ગભરાઈ ગઈ છે? 

— જો તમને ઠીક લાગે, સલામતીભર્યું, તો એની જોડે વાત કરો, પૂછો એને કે એની વાણી એવી હાનિકારક કેમ છે.

— હમેશાં યાદ રાખો કે સામાવાળાની વર્તણૂક માટે તમે જવાબદાર નથી. તમારી જાતને કેમ કરીને કન્ટ્રોલમાં રાખવી, એટલું જ તમારા હાથમાં છે.

પછી મેં એને પ્રેમ એટલે કાવ્યશાસ્ત્ર જેને રતિ નામનો સ્થાયી ભાવ ગણે છે એ વિશે સીધો આવો સવાલ કર્યો : Suppose for a while, if anybody tells you, ‘I love you’, how would you receprocate?

તો કહે, It depends, અમારો સમ્બન્ધ શું છે ને શી વસ્તુસ્થિતિ છે. જો અમારી વચ્ચે રોમૅન્ટિક રીલેશનશિપ છે અને મને એમ લાગે, તો હું જરૂર રેસિપ્રોકેટ કરું, કહું કે I love you. એમ પણ ઉમેરું કે મારે મન તારું કેટલું મૂલ્ય છે, હું તારી કેટલી કાળજી કરું છું. વધુમાં ‘એ.આઈ.’ કહે, I might also give a hug or a kiss.

વધુમાં એણે મને એમ પણ કહ્યું કે – પણ જો મને એમાંનું કંઇપણ ફીલ ન થતું હોય, તો હું એને પ્રામાણિક નિખાલસતાથી કંઇક આવું જણાવી દઉં – મને ગમે, પણ મને નથી લાગતું કે હું તારા પ્રેમમાં છું. હું નમ્રતા અને સમજદારી દાખવું પણ સાથોસાથ, મારી પોતાની લાગણીઓ વિશે પ્રામાણિક પણ રહું.

એણે મને એ પછી જણાવ્યું તે વધારે મહત્ત્વનું છે : કહે, હું માત્ર એક લાર્જ લૅન્ગ્વેજ મૉડેલ છું, અને પ્રેમ વગેરે ભાવો અનુભવવાને સમર્થ નથી. એટલે, હું I love you શબ્દોનો અર્થ જરૂર જાણું છું, એની અંદર રહેલી લાગણીને પણ વખાણું છું પણ એ લાગણી જાતે અનુભવવાની મારી કોઈ શક્તિ નથી. હું એ વ્યક્તિને બહુ બહુ તો Thank you for saying that કહી શકું, કહું જ, પણ હું એને I love you તો ન કહી શકું.

મને થાય, પ્રેમમાં પડવા માગતા આપણે મનુષ્યો આટલી સાદી સમજ ધરાવતાં હોઈએ તો કેવું સારું થાય. પણ આપણે ચોખવટ નથી કરતાં, ડખો કરીએ છીએ, અથવા થવા દઇએ છીએ, પણ એકબીજાંને દુ:ખ તો જરૂર પ્હૉંચાડીએ છીએ …

‘એ.આઈ.’ માનવીય ભાવો નથી અનુભવી શકતું, પોતાની એ મર્યાદા સ્વીકારે છે, છતાં એની પાસે એવી ઘણી માહિતી છે જેને આપણે દુનિયાદારીનું ડહાપણ કહીએ છીએ. એની પાસે એ માહિતીને રજૂ કરવાની સરસ રીત પણ છે જેને આપણે વિનયવિવેક કહીએ છીએ.

ગુજરાતી માણસને કેટલાકોએ ‘વિવેકબૃહસ્પતિ’ કહેવા લગીનો અવિવેક દાખવ્યો છે, બાકી એનો સાદો અર્થ તો એટલો જ છે કે એ વ્યવહારડાહ્યો છે અને મોટે ભાગે તે પણ આપમતલબે કરીને …

= = = 

(09/10/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

જી-20ના માંડવે શી જિનપિંગ કેમ રિસાયા?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|11 September 2023

રાજ ગોસ્વામી

તમે આ વાંચતા હશો, ત્યારે દિલ્હીમાં ભારત માટે અતિ મહત્ત્વનું જી-20 શિખર સંમેલન સંપન્ન થઇ રહ્યું હશે. 2022માં, બાલી-ઇન્ડોનેશિયામાં યોજાયેલા 17માં જી-20 સંમેલનમાં, ભારતે રોટેશન પ્રમાણે 2023ના સંમેલનનું યજમાનપદ સ્વીકાર્યું હતું. તે વખતે આપણે લખ્યું હતું કે જી-20 વિશ્વની સૌથી આગળ પડતી અર્થવ્યવસ્થાઓનો સમૂહ છે. તેનાં રાષ્ટ્રોનું વૈશ્વિક જી.ડી.પી.માં 85%, વૈશ્વિક વેપારમાં 75% અને વૈશ્વિક વસ્તીમાં 66% યોગદાન છે.

મૂળમાં આ અમેરિકા, કેનેડા, જર્મની, ઇટાલી, ફ્રાન્સ, જાપાન અને બ્રિટન દેશોનું જી-7 જૂથ હતું, પરંતુ વૈશ્વિક આર્થિક મંદી ટાળવાના આશયથી 1999માં તેનું કદ વધારીને 20નું કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત, તેમાં અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરતાં આતંકવાદ, જળવાયુ પરિવર્તન અને હવે સ્વાસ્થ્ય જેવા અન્ય વિષયો પણ સામેલ થતાં ગયા છે અને એ રીતે જી-20 કુટનીતિનું એક સમાવેશી મંચ બની ગયું હતું.

આ સમૂહમાં 19 દેશ સભ્યો છે, સમૂહનું 20મું સભ્ય યુરોપિયન યુનિયન છે. તેમાં ભારત ઉપરાંત ફ્રાન્સ, ચીન, કેનેડા, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, અમેરિકા, યુનાઇટેડ કિંગ્ડમ, તુર્કી, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા, સાઉદી અરેબિયા, રશિયા, મેક્સિકો, જાપાન, ઇટાલી, ઇન્ડોનેશિયા અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે.

જી-20 સંમેલનનું આયોજન વર્ષમાં એકવાર કરવામાં આવે છે, જો કે 2008થી શરૂ કરીને જી-20 સંમેલનનું આયોજન 2009 અને 2010માં બે વાર કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં સમૂહના સભ્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને આમંત્રિત કરવામાં આવ્યા છે અને અન્ય કેટલાક દેશોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પછી, તમામ દેશોના વડાઓ બેસીને ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરે છે.

નવી દિલ્હીમાં ભરાઈ ‘જી-20’ શિખર પરિષદના કેટલાક અગ્રેસરો : (ડાબેથી) વિશ્વ બેન્કના પ્રમુખ અજય બાંગા, બ્રાઝિલના પ્રમુખ લુલા ‘દ સિલ્વા (Luiz Inácio Lula da Silva), ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, દક્ષિણ આફ્રિકાના રાષ્ટૃપતિ માતામેલા સિરિલ રામાફોઝા તથા યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્‌ અમેરિકાના રાષ્ટૃપતિ જો બાઇડન

દિલ્હીમાં 20 દેશોના લગભગ 40 નેતાઓએ સંમેલનમાં ભાગ લીધો છે. વડાપ્રધાન મોદીએ શિખર સંમેલનને ઐતિહાસિક ગણાવ્યું છે કારણ કે પહેલીવાર આટલી મોટી સંખ્યામાં દેશો તેમાં સામેલ થઇ રહ્યા છે. જો કે, શિખર સંમેલનની ચમકદમક નીચે થોડાં અંધારાં કુંડાળા પણ પડ્યાં છે, જેની નોંધ પણ લેવી પડે તેમ છે.

દિલ્હી જી-20 સમૂહનું યજમાન છે એ આ વર્ષના સૌથી મોટા સમાચાર છે અને એ સમાચારની અંદર જ બીજા સૌથી મહત્ત્વના સમાચાર એ છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સંમેલનથી દૂર રહ્યા છે. એમ તો છ તારીખ સુધી અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનનું પણ ઢચુપચુ હતું કારણ કે ફર્સ્ટ લેડી જિલ બાઈડનને કોવિડનો ચેપ લાગ્યો હતો, પણ રાષ્ટ્રપતિનો ખુદનો ટેસ્ટ નેગેટિવ આવતાં તેમણે દિલ્હી આવવાની હામી ભરી હતી.

પુતિન યુક્રેનના યુદ્ધમાં ભરાયેલા છે. તેમણે અગાઉથી જ વડા પ્રધાન મોદીને ફોન કરીને તેઓ જી-20 સંમેલનમાં હાજર રહી નહીં શકે તેની જાણ કરી હતી. તેમની જગ્યાએ રશિયાનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે કર્યું હતું.

સૌથી મોટું આશ્ચર્ય શી જિનપિંગનની ગેરહાજરીનું છે. ચીને તેમના સ્થાને વડા પ્રધાન લી કુઆંગને સંમેલનમાં ભાગ લેવા મોકલ્યા હતા. ઘરમાં લગ્ન લેવાયાં હોય અને ગામના ચાર મોટા પરિવારોમાંથી એકની ગેરહાજરી જેમ મંડપમાં ચર્ચાનો અને ગોસિપનો વિષય બને, તેવી રીતે શી જિનપિંગની દિલ્હીમાં ગેરહાજરી શંકા-કુશંકાઓનો મુદ્દો બની હતી. ચીની રાષ્ટ્રપતિએ છેલ્લે 2019માં ભારતની મુલાકાત લીધી હતી, જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મલ્લપુરમમાં તેમનું સ્વાગત કર્યું હતું.

શી જિનપિંગ ‘રિસાઈ’ ગયા છે એ વાત કેટલી મહત્ત્વની છે તેની સાબિતી યજમાન ભારત અને મહેમાન અમેરિકા તેમ જ રશિયાએ તેના પર આપેલી પ્રતિક્રિયા છે. પહેલાં તો પુતિનની સાથે શી પણ નથી આવતા એ સંયોગ ગેરસમજ પેદા કરે તેવો છે એવું લાગતાં ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ રશિયન સમાચાર સંસ્થા તાસ સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે રશિયાએ ચીન સાથે મેળાપીપણામાં આવું નથી કર્યું.

આ મામલે વ્હાઇટ હાઉસે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. વ્હાઇટ હાઉસના અધિકારી જેક સુલિવાને 5 સપ્ટેમ્બરે કહ્યું હતું કે ચીન પાસે સંમેલનમાં ભાગ લેવાનો અને રંગમાં ભંગ પાડવાનો બંને  વિકલ્પ છે.  ખુદ રાષ્ટ્રપતિ બાઈડને પણ આ અંગે ‘નિરાશા’ વ્યક્ત કરી હતી.

ત્રીજી પ્રતિક્રિયા ભારત તરફથી આવી હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરે એ.એન.આઈ. સમાચાર સંસ્થા સાથે વાત કરતાં જિનપિંગની ગેરહાજરીની ‘સામાન્ય’ ગણાવતાં કહ્યું હતું, “મને લાગે છે કે જી-20માં અલગ-અલગ સમયે અમુક રાષ્ટ્રપતિઓ કે વડા પ્રધાનો કોઈને કોઈ કારણોસર ગેરહાજર રહ્યા છે, પરંતુ તે પ્રસંગે તેમાં તે દેશના પ્રતિનિધિ હોય છે અને પોતાના દેશની વાત મૂકે છે. મને લાગે છે કે દરેક નેતા પૂરી ગંભીરતાથી સંમેલનમાં આવે છે.”

છેલ્લા એક દાયકાથી ચીનના રાષ્ટ્રપતિ પદે રહેલા શી જિનપિંગ બીજી વખત જી-20 સંમેલનમાં ગેરહાજર રહ્યા છે. પહેલીવાર 2021માં તે સંમેલનથી દૂર રહ્યા ત્યારે કોવિડનો રોગચાળો ચરમસીમા પર હતો. તે વખતે ચીનની કડક ‘ઝીરો કોવિડ નીતિ’ હેઠળ તેમણે એકપણ વિદેશ યાત્રા કરી નહોતી.

તે એક સંમેલનને જો અપવાદ ગણીએ તો, આ વખતે દિલ્હીમાં ગેરહાજર રહેવાનો તેમના નિર્ણયના ઘણા રાજકીય સૂચિતાર્થો છે કારણ કે તેમણે કોઈ મજબૂરીમાં નહીં, પરંતુ હેતુપૂર્વક આવવાનું ટાળ્યું છે. જિનપિંગ જી-20માં પહેલીવાર રિસાયા છે. કેમ?

જિનપિંગે આ નિર્ણય પાછળના કારણનો જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે સરહદ પર ચીન અને ભારત વચ્ચેના સંબંધોમાં તાજેતરમાં ખટાશ આવી ગઈ છે. લદ્દાખ ક્ષેત્રમાં સરહદ પરનો વિવાદ ત્રણ વર્ષ પહેલા સૈનિક ટકરાવમાં ફેરવાઈ ગયો હતો, જેમાં 20 ભારતીય અને ચાર ચીની સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારથી, બંને દેશોએ તોપખાના, ટેન્કો અને ફાઇટર એરક્રાફ્ટ સહિત ભારે લશ્કરી હાજરી સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા પર તેમની સ્થિતિ મજબૂત કરી છે.

ચીનના મુખ્ય ભૂ-રાજનૈતિક હરીફ અમેરિકા સાથે ભારતની વધતી જતી વ્યૂહાત્મક ભાગીદારી પર બેઇજિંગનું બરાબર ધ્યાન છે. બંને દેશોએ એકબીજાના પત્રકારોને હાંકી કાઢ્યા છે અને વેપારમાં તણાવ વધ્યો છે. ભારતે તાજેતરમાં જ ચીનને વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ તરીકે પાછળ છોડી દીધો છે. ટેકનોલોજી, અવકાશ સંશોધન અને વૈશ્વિક વેપારમાં બંને એશિયન દિગ્ગજો પ્રતિસ્પર્ધી બન્યા છે. આ ઉપરાંત, ભારતના કટ્ટર હરીફ પાકિસ્તાન સાથે ચીનના ગાઢ સંબંધો અને વિવાદિત કાશ્મીર ક્ષેત્ર પર તેનું વલણ ભૂ-રાજનીતિને વધુ જટિલ બનાવે છે.

ચીનની દાંડાઈ કેટલી છે તે એ વાત પરથી સાબિત થાય છે કે જી-20ની બેઠકના પંદર દિવસ પહેલાં જ ચીને તેનો નકશો જારી કર્યો હતો, જેમાં સમગ્ર અરુણાચલ પ્રદેશને ચીનનો હિસ્સો ગણાવ્યું હતું. ચીન દર વર્ષે આવો નકશો જારી કરતું રહે છે એટલે તેના દાવામાં કશું ‘નવું’ નહોતું, પરંતુ રાજકીય વિશ્લેષકો કહે છે કે દિલ્હીમાં જી-20નો મંડપ બંધાયો હોય, તે જ વખતે આ નકશો જારી કરવો તે એટલી નિર્દોષ વાત પણ નથી.

એશિયન સોશિયલ પોલિસી ઇન્સ્ટિટ્યૂટ (એ.એસ.પી.આઈ.) ખાતે દક્ષિણ એશિયા ઇનિશિયેટિવનાં નિર્દેશક ફરવા આમેર કહે છે કે જી-20 સંમેલનથી દૂર રહેવાના શી જિનપિંગના નિર્ણયમાં ભારતની યજમાન તરીકેની તેની ભૂમિકા પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ હોઈ શકે. ચીન નથી ઈચ્છતું કે ભારત જી-20ના સફળ સંમેલન યોજવાનો દાવો ખાટી જાય અને દક્ષિણ ગોળાર્ધ તેમ જ હિમાલયના દેશોનો અવાજ બને.

આમેર કહે છે કે રાષ્ટ્રપતિ શીનો નિર્ણય અપેક્ષિત હતો. એવું સહેજેય અનુમાન કરી શકાય કે ચીન ભારતને નેતૃત્વની બાગડોર સોંપવા ઇચ્છુક નથી, ખાસ કરીને એશિયા ક્ષેત્રમાં અને તેના પડોશમાં. ચીન આ પ્રદેશમાં તેની પ્રબળ ભૂમિકા અને પ્રભાવ જાળવી રાખવાનો ઈરાદો સેવે છે. ભારત તેમાં આડખીલી છે. જિનપિંગ ભારતના વધતા પ્રભાવને સ્વીકારવા માંગતા નથી.

જિનપિંગે ગયા ઓક્ટોબરમાં ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીની 20મી કાઁગ્રેસના પ્રથમ દિવસે સંકેત આપ્યો હતો કે ભારત સાથેના સંબંધો સુધરશે નહીં. તેઓ જી-20માં હાજર નથી રહ્યા તેનો અર્થ એ થાય કે ભારતે સરહદ પર તનાવ માટે તૈયાર રહેવું પડશે. સામે પક્ષે ભારત પણ તેનું વલણ સખ્ત કરશે. સરવાળે ભારત-ચીનના સંબંધોની ખાઈ વધુ પહોળી થશે.

લાસ્ટ લાઈન :

“આંતરરાષ્ટ્રીય સંબંધો અને માફિયા વચ્ચે વધારે પડતી જ સમાનતા હોય છે”

− નોમ ચોમ્સ્કી, અમેરિકન રાજકીય વિચારક

(પ્રગટ ‘ક્રોસલાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 10 સપ્ટેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

દેવીદેવતાઓ દર્શન માટે છે, દેખાડા માટે નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|11 September 2023

રવીન્દ્ર પારેખ

શ્રાવણથી હિન્દુ તહેવારોની મોસમ બેસે છે. કૃષ્ણજન્મોત્સવ પણ હવે ખાસા દિવસ ચાલે છે. જો કે, એની અગાઉથી ગણેશોત્સવની તૈયારીઓ શરૂ થઈ જાય છે. આમ તો ગણેશ ચતુર્થીને આઠેક દિવસ બાકી છે, પણ ભાગ્યે જ કોઈ સડક ગણપતિના મંડપ વગરની હશે. ક્યાંક તો મંડપો મુખ્ય માર્ગો પર એટલી ખરાબ રીતે ઉતારી દેવાયા છે કે કેટલી ય સડકો એકમાર્ગી થઈ ગઈ છે. એવામાં ક્યાંક આગ લાગે તો ફાયર ફાઇટર્સ પહોંચી ન શકે એવી સ્થિતિ છે. આમ તો મહાપાલિકાના ફાયર વિભાગે ગાઈડલાઇન બહાર પાડી છે, પણ એનું કોણ કેટલું પાલન કરે છે તે સૌ જાણે છે. એક તો આખું શહેર મોહેંજો ડેરો જેવું ખોદકામથી ઊપસી આવ્યું હોય તેવું, મેટ્રોને કારણે લાગે છે, તેમાં ગણેશોત્સવના મંડપો, સરઘસો અરાજક્તામાં વધારો જ કરતા હોય છે. આમાં ક્યાંક શુદ્ધ ધાર્મિક ભાવના પણ હશે જ, પણ મોટે ભાગે તો એમાં સ્પર્ધા, દેખાડો અને ઘોંઘાટ જ કેન્દ્રમાં છે. મહોલ્લાઓ કે રોડ, ઉજવણાં માટે પહેલાં તો ઉઘરાણાં કાઢે છે. પછી દર્શન માટે ફી રખાય છે. જ્યાં લાઈનો વધારે ત્યાં ફી પણ વધુ હોય છે. એમાં ક્યાંક રખાતા મનોરંજક કાર્યક્રમોને ધર્મ જોડે ભાગ્યે જ કશી લેવાદેવા હોય છે. અગાઉ જુગાર રમાયાના કે મંડપમાં દારૂ પીવાયાના બનાવો પણ નોંધાયા છે. એ પછી વિસર્જનને દિવસે હવે તો કૃત્રિમ તળાવો કે દરિયામાં વ્યવસ્થા થાય છે, છતાં ક્યાંક મૂર્તિઓ રઝળવાની, ખંડિત થવાની ઘટનાઓ પણ બને છે, ત્યારે પ્રશ્ન થાય કે આપણો ધર્મ ગણેશની આવી અવદશાની અનુમતિ આપે છે? જો નહીં, તો જે થાય છે એમાં કયો ધર્મ સચવાય છે? વરઘોડાઓ કે સરઘસો કે જુલૂસો લગભગ દરેક ધર્મમાં ઓછુંવત્તું વર્ચસ્વ ભોગવતાં રહે છે ને ક્યારેક વિખવાદનું કારણ પણ બને છે.

ગણેશોત્સવ પતે કે નવરાત્રિના દિવસો આવે છે. ભક્તો માતાજીની ભાવપૂર્ણરીતે સ્થાપના-વંદના કરે છે. તમામ રાત્રિનું આગવું મહાત્મ્ય છે, પણ બધે જ એ સચવાય છે? નવરાત્રિ નિમિત્તે થતા ગરબાએ તેની સાત્ત્વિકતા ગુમાવી દીધી છે ને તેને બદલે યાંત્રિકતા ઉમેરી લીધી છે. ગરબા હવે વ્યવસાય છે. ગરબા શીખવાના ક્લાસિસ ચાલે છે ને તે ય મહિનાઓથી ! તેની ફી હોય છે ને ત્યાં ગરબા ઉપરાંત ઘણાં એવા અનર્થો સર્જાય છે કે નવરાત્રિ, લવરાત્રિમાં પરિણમે છે. ગરબાના ટ્રેડિશનલ ડ્રેસ કે તેનાં ઘરેણાંઓનો પણ સારો એવો વ્યવસાય છે. કોઈને એમાં બે પૈસા મળતા હોય, તેનો તો શો વાંધો હોય, પણ નવરાત્રિ જો ધાર્મિક તહેવાર હોય તો આપણાં એ તહેવારમાં ખરેખર ધર્મ કેટલો તે પ્રશ્ન તો રહે જ છે. એની સામે શેરીઓમાં કે સોસાયટીઓમાં માતાજીની મૂર્તિ કે ફોટો મૂકીને ગરબા ગવાતા હતા તેથી ઓછો આનંદ આવતો હતો એવું તો ન હતું, તો મેદાનોમાં, ઓડિટોરિયમમાં ધૂમ ટિકિટ ખર્ચીને જે ઝળહળ ઘૂમે છે એથી માતાજી વધુ પ્રસન્ન થાય છે એવું ય નથી, પણ જે મોંઘું હોય, જેમાં વધુ ટાપટીપ હોય તેને જ આપણે ધર્મ માની લીધો છે. બધેથી ભાવના ઘટતી ગઈ છે ને ભાવ વધતો આવે છે. દરેક બાબતમાં દેખાડો અનિવાર્ય થઈ પડ્યો છે. એ કુદરતી નથી, પણ કોઈને આંજી નાખવા કે બતાવી દેવા કે ઉશ્કેરવા ધર્મનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. એમ લાગે છે કે ધર્મ માનવા કરતાં મનાવવાની બાબત વધારે છે.

આપણે દર્શન અને દેખાડા વચ્ચેનો ભેદ સમજવાની જરૂર છે. હવે તો નજીકથી અને દૂરથી દર્શન કરવાના ભાવ નક્કી થાય છે, પછી ઊહાપોહ થાય છે તો ભાવમાં ફેર પણ પડે છે. દૂરથી અને નજીકથી દર્શન આપવાના ભાવ ભગવાને નક્કી નથી કર્યા ને ખરેખર તો દેવદેવીનાં દર્શન હોય, પણ આપણે તેમને પ્રદર્શનમાં મૂકી દીધાં છે, એટલે કેટલાંક તીર્થસ્થાનોમાં ભક્તો ચોક્કસ તહેવારે એટલી ભીડ કરતાં હોય છે કે નાસભાગમાં સેંકડો માણસો મૃત્યુ પામે છે. આડે દિવસે પણ મંદિરોમાં ભગવાન દર્શન આપે જ છે, પણ ચોક્કસ વાર-તહેવારે ભગવાનને ઘેરી વળવામાં જ ભક્તોને સાર્થક્ય અનુભવાતું હોય એમ બને.

ખરખર તો ધર્મ અંગત બાબત હોવી જોઈએ. એના જાહેર દેખાડાને વકરાવવામાં ન આવે તો છાશવારે ધાર્મિક લાગણીઓ દુભાયા કરે છે એ ઘટે. એક કાળે ધાર્મિક અનુષ્ઠાનો કે યજ્ઞયાગ જાહેરમાં થતાં હતાં, પણ જપતપ તો એકાંતમાં, વનમાં જ થયાં છે. રાજામહારાજાઓ પણ રાજકાજ છોડીને વનમાં તપ કરવા ગયા છે. એના વરઘોડાઓ ભાગ્યે જ નીકળ્યા હશે. આજે તો અમુક ઉપવાસ થાય તો લાંબા વરઘોડાઓ નીકળે છે. આસ્થા કરતાં ધર્મ, વ્યવસ્થામાં વધુ ગોઠવાઈ ગયો છે.

અત્યારે તો સનાતન ધર્મને નામે રાજકારણીઓ રોટલા શેકી રહ્યા છે. તમિલનાડના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ પર અભદ્ર ટિપ્પણી કરીને તેનો નાશ કરવાની વાત કરી છે. એમ કરીને ઉદયનિધિએ સનાતન ધર્મીઓને ઉશ્કેરવાનું જ કર્યું છે. કોઈકે તો ઉદયનિધિનું માથું લાવનાર માટે લાખોનું ઈનામ પણ જાહેર કર્યું છે. અમદાવાદના એક વકીલે તો એ મંત્રી અને મુખ્યમંત્રી સામે FIR નોંધવા પોલીસ કમિશનરને અરજી પણ કરી છે. એવી તો ઘણી ફરિયાદો ઉદયનિધિ સામે થઈ છે ને તે અંગે ખુલાસો એવો આવ્યો છે કે ધાર્મિક માન્યતાને ઠેસ પહોંચાડવાનો કોઈ ઇરાદો નથી, પણ ધર્મને નામે જે ભેદભાવ કરવામાં આવે છે તે અંગે વિચારો પ્રદર્શિત કર્યાં છે. ઘણીવાર બને છે એવું કે ધર્મ અને રાજકારણ અલગ રહેતાં નથી અને ધર્મની તરફેણ કરનાર કે તેની વિરુદ્ધ મત આપનાર બંને, મોડાવહેલાં રાજકારણથી દૂષિત થઈને રહે છે. એટલું છે કે ઉદયનિધિએ હિન્દુ ધર્મનું અપમાન કરીને ધાર્મિક સંઘર્ષને નિમંત્રણ આપ્યું છે. સનાતન ધર્મને ખતમ કરવાની વાત જ અનધિકાર ચેષ્ટા છે. એમાં ભેદભાવની વાત કરતાં ધર્મ પ્રત્યેની નફરત વધુ ભાગ ભજવે છે.

થોડા દિવસ પર સાળંગપુરનાં હનુમાનનો વિવાદ સામે આવ્યો. સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ સ્વામીને મહાન બતાવવા, હિન્દુ દેવીદેવતાઓ વિષે અતાર્કિક વાતો ફેલાવતા રહે છે. કોઈ પણ કાળે સ્વામીની સેવા હનુમાનજી કરે એ શક્ય જ નથી, તો એવા ભીંત ચિત્રો 54 ફૂટ ઊંચા હનુમાનજીની પ્રતિમા હેઠળ મૂકવાથી શો અર્થ સરે? કોઈ પણ ધર્મ કે સંપ્રદાય સત્યથી વિપરીત તો કેવી રીતે હોય? એ તો સારું છે કે ગુજરાતના મુખ્ય મંત્રીની દરમિયાનગીરીથી વિવાદાસ્પદ ભીંતચિત્રો દૂર થયા ને વિવાદનો સુખદ અંત આવ્યો, પણ સગા બાપ કરતાં તેના દીકરાને કોઈ રીતે ઉંમરમાં મોટો ન કરી શકાય એ તો ખરું કે કેમ?

કોણ જાણે કેમ પણ સંપ્રદાયો પોતાની લીટી લાંબી બતાવવા બીજી લીટીઓ ટૂંકી કરવાની કોશિશો કરતા રહે  છે, પણ ધર્મ વધુ વ્યાપક તો જ બને જો, તે અન્ય ધર્મોની નિંદા કરવાથી દૂર રહે. આપણે વિવિધતામાં એકતા સ્વીકારીએ છીએ, પણ ધર્મના વૈવિધ્યને પ્રમાણતા નથી. કોઈ ધર્મ ક્યારે ય અધર્મની પુષ્ટિ કરતો નથી, પણ વર્ચસ્વ અધર્મનું જ વધતું આવે ત્યારે આઘાત લાગે છે. માતાનો મહિમા બધા જ ધર્મો કરે છે, પણ સ્ત્રીઓનો ધર્મસ્થાનોમાં પ્રવેશ આજે પણ ક્યાંક સરળ-સહજ નથી. જે માતાએ ભાવિ સંતને જન્મ આપ્યો હોય તેનું મોઢું જોવાનો બાધ સહ્ય કેવી રીતે હોય? ધર્મને એક, અદ્વિતીય, અખંડ અને વ્યાપક સહજ રીતે થવા દેવાનો હોય, તેને બદલે તેને ઝનૂનથી ફેલાવવાની કોશિશો થાય તો ધર્મમાં ફાંટા પડે છે. ધર્મ પ્રચારનો મહોતાજ નથી, પણ તે પ્રચારથી વ્યાપક થવાને બદલે સંકુચિત થાય છે, એ સમજાય ત્યારે મોડું થઈ ચૂક્યું હોય છે. વધુ ફેલાય છે તો ધર્મ એક રહેવાને બદલે સંપ્રદાયોમાં વિભાજિત થતો જાય છે ને એ વિભાજન વધુ ઝનૂન દર્શાવે તો વધુ વિભાજનમાં પરિણમે છે. એ વિભાજનને વૈવિધ્યની રીતે જોવાને બદલે, તે જેમાંથી અલગ થાય છે, તેની સામે જ શત્રુતા કેળવવા માંડે છે. હિન્દુ ધર્મમાં પણ સંપ્રદાયો, પંથો વધ્યા છે. શૈવ અને વૈષ્ણવ પંથોની જેમ જ ઇસ્લામમાં શિયા-સુન્ની, ખ્રિસ્તીમાં કેથોલિક-પ્રૉટેસ્ટન્ટ, જૈનમાં શ્વેતાંબર-દિગંબર, બૌદ્ધમાં હિનયાન-મહાયન એમ બીજા ધર્મોમાં પણ ફાંટા પડતા જ ગયા છે. હિન્દુ ધર્મનો કોઈ એક સ્થાપક નથી, પણ જે ધર્મના સ્થાપક એક જ છે, એ પણ ધર્મને એક રાખી શક્યા નથી. આમ તો સ્થાપ્યો ત્યારે ધર્મ એક જ હતો, પણ પછી અનુયાયીઓમાં મતમતાંતરો વધે છે તો ફાંટા પણ પડતા આવે છે. પછી તો સ્પર્ધા જ કેન્દ્રમાં આવી રહે છે. કેટલાક સંપ્રદાયોમાં તો ગાદી માટે હિંસા ને ખૂન સુધી વાત પહોંચી છે. આ બધું શું ધર્મ શીખવે છે? એવું શીખવે તો એ ધર્મ હોય ખરો?

આપણે જેને ઈશ્વર માનીએ છીએ એ બહુ ઉદાર અને દયાળુ છે. એવું ન હોત તો એક પણ નાસ્તિક જગતમાં બચ્યો ન હોત ! જો ઈશ્વર જુદા વર્ગને – નાસ્તિકોને – સ્વીકારી શકતો હોય તો એના સંપ્રદાયોમાં કેમ એ ઉદારતા કે કરુણા નથી? કેમ એ એટલા સગવડિયા છે કે હિન્દુ હોવા છતાં બીજા અવર્ણોને ન સ્વીકારવા પડે એટલે, પોતે હિન્દુ હોવાનું પણ નકારે છે? આજે દરેક ધર્મે પ્રદર્શનને બદલે દર્શનનો મહિમા કરવાની જરૂર છે. આત્મનિરીક્ષણ ન હોય ત્યાં ધર્મ દેખાડો થઈને રહી જાય છે ને એ બીજું કૈં પણ હોય, ધર્મ નથી –

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 સપ્ટેમ્બર 2023

Loading

...102030...996997998999...1,0101,0201,030...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved