Opinion Magazine
Number of visits: 9457463
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇઝરાયલ-પેલેસ્ટાઇન સમસ્યાનું સ્થાયી સમાધાન કિયે રસ્તે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|30 November 2023

હાંફતે યુદ્ધવિરામે

બંને મુલક પરસ્પરના રાષ્ટ્રીય અસ્તિત્વનો ખરા દિલથી સ્વીકાર અને પુરસ્કાર કરે અને રાષ્ટ્રવાદના અતિકારણથી કિનારો કરે ત્યારે વાત બને તો બને

પ્રકાશ ન. શાહ

સહેજસાજ લંબાયેલ અને ગમે તે ક્ષણે નકો નકો થઈ શકતા ઇઝરાયલ – હમાસ યુદ્ધવિરામના કલાકોમાં લખી રહ્યો છું, ત્યારે જોઉં છું કે અમેરિકી વિદેશમંત્રી બ્લિન્કન વળી આ દિવસોમાં એમની ત્રીજી પશ્ચિમ એશિયાઈ મુલાકાતે પહોંચવામાં છે. દેખીતી રીતે જ, કશાક ચાલચલાઉ પણ સમાધાન સારુ આ ખેપ હશે. ઇઝરાયલી ગુપ્તચર તંત્ર મોસાદના તેમ અમેરિકી સી.આઈ.એ.ના વડાઓ દોહામાં કતાર સરકારની સત્તાવાર મધ્યસ્થીમાં આ જ મુદ્દે મળી ચૂક્યા છે.

મુદ્દે, ઇઝરાયલ-પેલેસ્ટાઇલ વચ્ચે અત્યાર સુધીમાં જે સમજૂતી કે સમાધાન યદ્દાતદ્દા પણ થયાં છે તે લગભગ કામચલાઉ જેવાં જ રહ્યાં છે, કેમ કે, સુવાંગ અરબ મુલકમાં યહૂદી ઇલાકો કોતરી કઢાયો તે ન્યાય-અન્યાયની એક આંતરરાષ્ટ્રીય રમણા હતી. મહાસત્તાઓને જેમ યહૂદીઓને ન્યાય અપાવવાની ઇચ્છા હશે તેમ એથી સહેજે ઓછી નહીં બલકે કદાચ વધુ જ ગણતરી પશ્ચિમ એશિયામાં રાજકીય ભિલ્લુ ઊભો કરવાની હતી.

ન્યાય-અન્યાયની આ રમણામાં અરબ બહુમતી સાથેનો અન્યાય યહૂદીઓને મળેલ ન્યાયને મુકાબલે મુદ્દલ ઓછો નહોતો. પણ સાધારણપણે પેલેસ્ટાઇને જે રીતે દ્વિરાષ્ટ્રીય વાસ્તવિકતાનો સ્વીકાર કરી લીધો જણાય છે એવો સ્વીકાર એકંદર ઇઝરાયલી નેતૃત્વને પક્ષે જણાતો નથી એ દુર્દૈવ વાસ્તવ છે. અમેરિકી પ્રમુખ બાઇડને તાજેતરમાં આ મુદ્દો કર્યો જરૂર છે, પણ ઇઝરાયલી નેતૃત્વ એમને બદે એવાં ચિહ્ન ઓછાં છે.

ઊલટ પક્ષે, બાઇડન જેનું વર્તમાન પ્રતિનિધિત્વ કરે છે તે એકંદર અમેરિકી નેતૃત્વ પણ એક હદથી વધુ આગ્રહ કદાચ કરી શકે તેમ નથી, કેમ કે ઇઝરાયલ જેમ એમના વિદેશવ્યૂહની અનિવાર્યતા છે તેમ ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષ (હમાસથી કે અન્યથા) એમના ગૃહકારણની કંઈક ખંધી લાચારી છે. વાત એમ છે કે અમેરિકી અર્થકારણ (ખરું જોતાં જો કે અનર્થકારણ) શસ્ત્રનિર્માણ ને શસ્ત્રસોદાગરી પર હદ સે જ્યાદા નિર્ભર છે. થોડા દિવસ પર અમેરિકાની બે મોટી શસ્ત્રસોદાગરી અને કંત્રાટી પેઢીઓ, કોર્પ અને જનરલ ડાઇનેમિક્સના બડેખાંઓના ખરી દૂંટીના ઓડકાર બહાર આવ્યા હતા કે હાલની ગાઝા ઘટના આપણે સારુ સારા સમાચાર લઈને આવી છે. હમાસની આતંકી કારવાઈ સામે ઇઝરાયલે ગાઝાપટ્ટીમાં તેરથી ચૌદ હજાર જેટલા લોકોના જીવ લીધા છે અને એ પંથકના લાખો રહેવાસીઓને અમાનવીય યંત્રણામાં મૂકી દીધા છે, પણ કોર્પ-ડાઇનેમિક્સ જુગલબંધી એમાંથી વાજીકરણ શી લિજ્જત લે છે, અને એમના અર્થકારણ પર આધારિત અમેરિકી રાજકારણ વચ્ચે વચ્ચે વિરામખેલ પાડી સરવાળે એક કન્ટ્રોલ્ડ ‘વૉર થિયેટર’ને ધોરણે ચાલે છે એવું લાગ્યા વગર રહેતું નથી.

બે અભિન્નસખા, કેલનબેક અને ગાંધી અહીં સાંભરે છે. જર્મન પૃષ્ઠભૂ ધરાવતા યહૂદી કેલનબેક અને ગાંધી વચ્ચે દક્ષિણ આફ્રિકામાં પાંગરેલી જીવનશોધલક્ષી કર્મબાંધવી એક અનેરું પ્રકરણ છે. કેલનબેકને 1914-15માં જ ગાંધી સાથે હિંદ આવવાની હોંશ હતી. પણ પ્રથમ વિશ્વયુદ્ધને કારણે એક જર્મન સારુ એ શક્ય નહોતું. દાયકાઓ પછી કેલનબેક હિંદ આવ્યા ત્યારે ઇઝરાયલ માટેની ચળવળનો યે મુદ્દો લેતા આવ્યા હતા. અભિન્નસખાનો અનન્ય મૈત્રીમિલાપ છતાં ગાંધી એમાં સમ્મત થયા નહોતા, કેમ કે, મૂળ વતનના ખયાલે અને ન્યાયના ખયાલે અરબ વસ્તીને જફા પહોંચાડવું એમને દુરસ્ત નહોતું લાગતું. યહૂદીઓને જે પણ વેઠવું પડ્યું એને વિશે એમને સમસંવેદના અવશ્ય હતી. પણ યહૂદીઓને ન્યાય અપાવવા ઇચ્છતાં પશ્ચિમી રાષ્ટ્રોએ, પોતપોતાને ત્યાં વસી ગયેલા યહૂદીઓની સંભાળ લેવી જોઈએ, અને યહૂદીઓએ પણ નવાં વતનોને દિલથી અપનાવવાં જોઈએ એવી એમની લાગણી હતી.

અલબત્ત, આ એક જુદી જ વાત થઈ. અત્યારે તો યુદ્ધવિરામ કાયમી બને એ માટે વહેવારુ સમાધાનનો સવાલ છે, અને બેઉ પક્ષે દ્વિરાષ્ટ્રી વાસ્તવિકતાના તહેદિલ સ્વીકારને ધોરણે જ આવું કોઈ પણ સમાધાન આખરે સ્થાયી બની શકે. બેશક, આ સ્વીકારની પૂંઠે રાષ્ટ્રવાદના ‘અતિ’ નીચે એક ભૂમિકા અનિવાર્યપણે હોવી જોઈશે, અને નૉનસ્ટેટ એક્ટર્સ વિશે ય સાફ ભૂમિકા જોઈશે. 

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 29 નવેમ્બર 2023

Loading

તો હિંદુ રાષ્ટૃની કલ્પના સામાજિક ન્યાય તરફ કેન્દ્રિત થાય

રમેશ ઓઝા|Opinion - Opinion|30 November 2023

રમેશ ઓઝા

બિહારની જ્ઞાતિકીય વસ્તી ગણતરીએ બી.જે.પી. સામે મુશ્કેલી ઊભી કરી છે. આઝાદીનાં ૭૫ વર્ષ પછી પણ ભારતમાં સવર્ણોનું સર્વત્ર પ્રભુત્વ છે, પછાત જાતિઓને હજુ પણ અન્યાય થઈ રહ્યો છે અથવા ન્યાય નથી મળી રહ્યો એ જો સ્વીકારવામાં આવે તો આખી હિંદુ રાષ્ટ્રની કલ્પના સામે પ્રશ્ન ઉપસ્થિત થાય કે એનું સ્વરૂપ કેવું હશે અને તેમાં પરંપરાગત પછાત જાતિઓનું શું સ્થાન હશે? અનુભવ તો એવો છે કે હિંદુ સામાજિક પરંપરાએ વંચિતોને, સ્ત્રીઓને અને કેટલીક જ્ઞાતિઓને બહાર રાખ્યા હતા. તેમને સમાન દરજ્જા સાથે અંદર લેવાની સુવર્ણ તક ભારતનાં બંધારણે આપી છે.

પણ તક આપી એનો અર્થ એવો નથી કે તેઓ તક ઝડપવા જેટલા સક્ષમ છે. ઉપલબ્ધતા અને સક્ષમતા એ બે જુદી વસ્તુ છે. બજારમાં ઘણી વસ્તુ ઉપલબ્ધ છે, પણ તે ખરીદવા જેટલી ક્ષમતા ન હોય તો એ વસ્તુ હોવા છતાં ય તેને માટે તે નથી. બંધારણે ઉપલબ્ધ કરાવી આપેલી જોગવાઈ હજુ આજે પણ લોકો સુધી પહોંચી નથી એ એક હકીકત છે. પણ સવાલ એ છે કે એની જાણકારી કેવી રીતે મેળવવી? એનો સૌથી સચોટ ઉપાય છે; જ્ઞાતિકીય સર્વેક્ષણ. માત્ર માથાંની ગણતરી નહીં; આર્થિક, સામાજિક, શૈક્ષણિક સર્વેક્ષણ પણ કરવામાં આવે. પછાતપણાને અને વંચિતપણાને સંબંધ છે. બિહારમાં કરવામાં આવેલી જ્ઞાતિકીય ગણતરીએ એ સિદ્ધ કરી આપ્યું છે. બિહારમાં અતિ પછાત જ્ઞાતિઓ અતિ વંચિત છે એ સાબિત થઈ ગયું છે.

બી.જે.પી.ની સમસ્યા એ છે કે જો હિંદુઓ વચ્ચે તક અને તકથી વંચિતપણા વચ્ચેના અંતરનો સ્વીકાર કરવામાં આવે તો આખી હિંદુ રાષ્ટ્રની કલ્પના સામાજિક ન્યાય તરફ કેન્દ્રિત થાય. હિંદુ હિંદુ ભાઈભાઈની વાત પોકળ સાબિત થાય. હિંદુઓને માંડ મુસલમાનોનાં પાપ યાદ કરાવી કરાવીને રડતા અને ડરતા કર્યા છે એ ભૂલીને હિંદુ સમાજમાંના પછાત વંચિતો બ્રાહ્મણોનાં પાપ યાદ કરીને રડતા અને ડરતા થાય. સામાજિક અન્યાયના અને વંચિતપણાના ડામ સહન કરી લો પણ મુસલમાનોનાં પાપ નહીં ભૂલતા એમ તો જાહેરમાં કહેવાય નહીં. પણ એમ તો જરૂર કહી શકાય કે હિંદુ રાષ્ટ્રમાં કોઈને ય અન્યાય નહીં થાય, તે સાચા અર્થમાં રામરાજ્ય હશે વગેરે વગેરે. આવું કહેવામાં પણ આવે છે.

આવું તો ગાંધીજીએ પણ કહ્યું હતું અને કાઁગ્રેસે આઝાદીની લડત વખતે ઠરાવો (ઠરાવ નહીં ઠરાવો) કરીને કહ્યું હતું કે ભારતીય રાષ્ટ્રમાં કોઈને ય અન્યાય નહીં થાય. સામાજિક એકત્વ અને સામાજિક ન્યાય માટે ગાંધીજીએ પોતાની રીતે પ્રયત્નો કર્યા હતા (ડૉ આંબેડકરને એ અધૂરાં કે અપ્રામાણિક લાગ્યાં હતાં એ જુદી વાત છે) એ એક હકીકત છે. તેમને અને કાઁગ્રેસના નેતાઓને જાણ હતી કે હિંદુ સમાજ આદર્શ સમાજ નથી. જે સમાજ કોઈ ખાસ કોમને કે સ્ત્રીઓને સમાજિક વ્યવસ્થામાંથી બહાર રાખતો હોય એ આદર્શ ન હોઈ શકે. ગાંધીજીએ અને કાઁગ્રેસે આનો સ્વીકાર કર્યો હતો, શરમ અનુભવી હતી, પ્રાયશ્ચિત કર્યું હતું, સંવાદ સાધ્યો હતો, સેતુ રચવાનો પ્રયાસ કર્યો હતો અને સૌથી શિરમોર બંધારણમાં કોઈની પણ સાથે અન્યાય ન થાય એની પાકી જોગવાઈ કરી હતી. આ બાજુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ચોક્કસ કોમ અને સ્ત્રીઓ સાથેના અન્યાયનો નથી ખુલ્લો સ્વીકાર કર્યો, નથી શરમ અનુભવી, નથી પ્રાયશ્ચિત કર્યું. માત્ર આદર્શ હિંદુ રાષ્ટ્રની વાત કરવામાં આવે છે. જો આની ખાતરી કરવી હોય તો ભંવર મેઘવંશીનું ‘મેં એક કારસેવક થા’ નામનું પુસ્તક વાંચી જાવ. એ બિચારાને સંઘમાં દલિત હોવાનો કડવો અનુભવ થયો હતો.

વાત એમ છે કે આઝાદી પછી શિક્ષણનો વિસ્તાર થયો. ગામેગામ શાળાઓ અને ગામની નજીક કસ્બાઓમાં કોલેજો ઉઘડવા લાગી. જે પ્રજાને શિક્ષણ ઉપલબ્ધ નહોતું એ ભણતી થઇ. ધીરે ધીરે તેમની અંદર રાજકીય અને સામાજિક જાગૃતું આવી. તેમને ન્યાય-અન્યાયનો, હિંદુ સામાજિક વ્યવસ્થાના અસલી ચહેરાનો, સવર્ણોના ઢોંગનો અને તેમની સંખ્યાની તાકાતનો બોધ થવા લાગ્યો. ભારતમાં સામાજિક ન્યાયના નામે જ્ઞાતિકીય રાજકારણ વિકસ્યું અને સંસદીય રાજકારણમાં જ્ઞાતિઓની વોટ બેંક બનવા લાગી. સંઘને સમજાતું નહોતું કે આ પ્રબળ બનતી જતી જ્ઞાતિચેતનાનું શું કરવું? આ તો હિંદુ ચેતનાને મારક છે. પહેલાં જનસંઘ અને હવે ભારતીય જનતા પક્ષ સંઘના રાજકીય પક્ષો છે અને તેને સંસદીય રાજકારણમાં પછાત હિંદુઓના મત મેળવવા જરૂરી હતી. સંઘે પછાત જાતિઓમાં પ્રવેશ કરવાનું શરૂ કર્યું અથવા પ્રવેશ આપવાનું શરૂ કર્યું. પણ પેલો પ્રશ્ન તો તેની જગ્યાએ કાયમ હતો કે કહેવાતા હિંદુ રાષ્ટ્રમાં સામાજિક ન્યાયનું સ્વરૂપ શું હશે.

સંઘ અને બી.જે.પી.ના સદ્દનસીબે આ જાગૃત થયેલી જ્ઞાતિઓમાં મધ્યમવર્ગ અસ્તિત્વમાં આવ્યો અને તેનું કલ્યાણ થઈ ગયું હોવાથી તેમની જ જ્ઞાતિમાં જેમનું કલ્યાણ હજુ નહોતું થયું તેમના કલ્યાણમાં તેમને કોઈ રસ નહોતો. મધ્યમવર્ગનો આ સ્વભાવ છે. કાર્લ માર્કસે કહ્યું હતું કે મધ્યમવર્ગ વિશ્વાસઘાતી હોય છે. સંઘ પરિવારે મુસ્લિમ વિરોધી પ્રચાર કરીને તેમનાં કાન ભરવાનું શરૂ કર્યું અને તેઓ હિન્દુત્વવાદી રંગે રંગાવા લાગ્યા. બી.જે.પી. એકલે હાથે સત્તા સુધી પહોંચી શકી છે એ આ બહુજન સમાજના તેમ જ દલિત અને આદિવાસીઓમાંના મધ્યમ વર્ગના સહારે.

પણ હવે બી.જે.પી.નું દાયકાનું શાસન જોઇને પછાત જાતિઓના મધ્યમવર્ગને સમજમાં આવે કે ન આવે જેમને કોઈ લાભ મળ્યો નથી એવા પછાત જ્ઞાતિના લોકોને સમજમાં આવવા માંડ્યું છે કે હિંદુરાષ્ટ્રમાં તેનું સ્થાન ક્યાં હશે? એમાં વળી બિહાર સરકારે જ્ઞાતિકીય પણ સર્વાંગીણ સર્વેક્ષણ કરાવ્યું જેણે પછાત તેમ જ વંચિતોને હજુ વધુ ચોંકાવી દિશા. જ્યાં બી.જે.પી.નું શાસન નથી એવાં રાજ્યોએ પણ જ્ઞાતિકીય વસ્તી ગણતરી કરાવવાની જાહેરાત કરી છે અને કાઁગ્રેસે વચન આપ્યું છે કે જો ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવશે તો રાષ્ટ્રીય સ્તરે વસ્તી ગણતરી કરવામાં આવશે.

ભારતમાં જ્ઞાતિ કોમવાદનું મારણ અને વારણ છે એ વાત સંઘપરિવાર સારી રીતે જાણે છે. કેન્દ્રમાં સ્પષ્ટ બહુમતી સાથે સત્તા સુધી પહોંચતા ૬૭ વરસ લાગ્યાં એ જ્ઞાતિઓના કારણે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 30 નવેમ્બર 2023

Loading

રહેં ના રહેં હમ, મહેકા કરેંગે : સુચિત્રા સેનના પ્રેમના બગીચાની ‘મમતા’

રાજ ગોસ્વામી|Opinion - Opinion|30 November 2023

રાજ ગોસ્વામી

હિન્દી સિનેમા જગતમાં એક ફિલ્મ સર્જકની જોઈએ એટલી કદર નથી થઇ. તેમનું નામ આસિત સેન છે (એક બીજા બંગાળી બાબુ આસીત સેન હિન્દી સિનેમામાં કોમેડિયન તરીકે લોકપ્રિય થયા હતા). કદાચ એનું કારણ એ હશે કે હિન્દીમાં આવીને છવાઈ ગયેલા અન્ય નિર્દેશકોની જેમ આસિત સેને બહુ ફિલ્મો બનાવી નથી. 79 વર્ષ જીવેલા આસિત સેને કુલ મળીને માત્ર 17 જ ફિલ્મો બનાવી હતી. તેમાં 5 બંગાળીમાં અને 12 હિન્દીમાં. હિન્દીમાં તેમની 4 ફિલ્મો જ યાદગાર સાબિત થઇ હતી; મમતા (1966), ખામોશી (1969), અનોખી રાત (1968) અને સફર (1970).

સુપરસ્ટાર રાજેશ ખન્નાએ તેની ઝળહળતી કારકિર્દીમાં, અમુક લો-બજેટની, પણ સંવેદનશીલ ફિલ્મો આપી હતી તેમાં ખામોશી અને સફર મોખરે છે. એમ તો આસિત સેને બે મોટી ફિલ્મો બનાવવાનું પણ સાહસ કર્યું હતું, પણ બંનેનો ધબડકો થયો હતો; 1976માં, તેમણે દિલીપ કુમારની ત્રેવડી ભૂમિકામાં ‘બૈરાગ’ બનાવી હતી અને 1982માં રાજ કપૂર અને તેમના ભાઈ શશી કપૂરને લઈને ‘વકીલ બાબુ’ બનાવી હતી. હીરો તરીકે દિલીપ કુમાર અને રાજ કપૂરનો સૂરજ ત્યારે આથમી ગયો હતો એટલે બંને ફિલ્મોને ચાહકોનો પ્રેમ ન મળ્યો.

ઢાકામાં જન્મેલા આસિત સેનને, તેમના સિનેમેટોગ્રાફર કાકા રામાનંદ સેનગુપ્તાની દેખાદેખી ફોટોગ્રાફીમાં રસ પડ્યો હતો. બંગાળી ફિલ્મોમાં સહાયક તરીકે કારકિર્દી શરૂ કરનાર આસિત સેને સ્વતંત્ર ફિલ્મ સર્જક તરીકે પહેલીવાર મહાત્મા ગાંધીની નોઆખલી અને પટનાની યાત્રાની ડોક્યુમેન્ટરી બનાવી હતી.

આપણે અગાઉ, લોહીના કેન્સરથી પીડાતા દર્દી (રાજેશ ખન્ના) અને તેની સારવાર કરતી ડોકટર(વહીદા રહેમાન)ની અધૂરી પ્રેમ કહાની પરની ફિલ્મ ‘સફર’ની વાત કરી ગયા હતા. આજે આપણે આસિત સેનની પહેલી હિન્દી ફિલ્મ ‘મમતા’ની વાત કરીએ. એ પછી ‘ખામોશી’ અને ‘અનોખી રાત’ની વાત પણ માંડીશું.

‘મમતા’ આસિત સેનની સફળ બંગાળી ફિલ્મ ‘ઉત્તર ફાલ્ગુની’ (ઉત્તર એટલે ‘પછી’ અને ફાલ્ગુની એટલે ‘વસંત ઋતુ’)ની હિન્દી રીમેક હતી. 1963માં બનેલી સ્ત્રી-કેન્દ્રિત આ ફિલ્મમાં બંગાળી સુપરસ્ટાર સુચિત્રા સેનનો ડબલ રોલ હતો. બંગાળીમાં આ ફિલ્મને લોકોએ સારો આવકાર આપ્યો હતો અને તેને શ્રેષ્ઠ બંગાળી ફિલ્મનો રાષ્ટ્રીય પુરષ્કાર પણ મળ્યો હતો. ત્રણ વર્ષ પછી આસિત સિને તેની હિન્દી રીમેક બનાવી હતી. તેમાં પણ સુચિત્રા સેન હતી અને હીરો તરીકે ધર્મેન્દ્ર અને અશોક કુમાર હતા.

‘મમતા’ માતૃત્વની કહાની હતી અને સુચિત્રા સેને તે ભૂમિકા બખૂબી નિભાવી હતી. ફિલ્મમાં, અમીર પરિવારનો મોનીષ (અશોક કુમાર) વકીલાતનું ભણવા પરદેશ જાય છે એટલે તેની ગરીબ પ્રેમિકા દેવયાની(સુચિત્રા)ને તેના પિતાની સારવાર માટે થઈને ગામના ઉતાર સમા રાખાલ સાથે પરણાવી દેવામાં આવે છે. તેનાથી તેને એક દીકરી સુપર્ણા (સુચિત્રા) થાય છે.

શરાબી અને ઐયાશ પતિથી બચવા માટે દેવયાની ઘર છોડીને જતી રહે છે અને ગુજરાન ચલાવવા માટે પન્નાબાઈ નામની તવાયફ બની જાય છે. રાખાલ ત્યાં પણ આવીને તેને પરેશાન કરે છે એટલે તે દીકરીને એક ઈસાઈ મિશનમાં મૂકી દે છે જેથી તેની પર દેવીયાનીના જીવનની છાયા ન પડે.

એ પછી મોનીષ ભણીને પાછો આવે છે અને દેવીયાનીને શોધે છે પણ પન્નાબાઈ બની ગયેલી દેવીયાની તેને તેની સાથે શું બન્યું હતું તે જણાવીને તેના જીવનથી દૂર રહેવા વિનંતી કરે છે. જો કે તે મોનીષને સુપર્ણાનું ધ્યાન રાખવા કહે છે. પન્નાબાઈ તેના નાચ-ગાનમાં વ્યસ્ત થઇ જાય છે અને મોનીષ સુપર્ણાનો કાકો બની જાય છે. સુપર્ણા પણ મોટી થઈને વકીલનું ભણે છે.

સમય વીતે છે અને એક ઇન્દ્રનીલ (ધર્મેન્દ્ર) નામનો એક યુવાન વકીલ નોકરી માટે સુપર્ણાના ભલામણ પત્ર સાથે મોનીષની ઓફીસમાં આવે છે. પન્નાબાઈની હવે ઉંમર થઇ ગઈ છે. મોનીષ સુપર્ણાનો પત્ર તેને બતાવે છે. બંનેને લાગે છે કે સુપર્ણા અને ઇન્દ્રનીલ પ્રેમમાં છે. બંને ખુશ થાય છે. મોનીષ હવે દેવીયાનીને આગ્રહ કરે છે કે તે સુપર્ણાને તેની અસલી ઓળખાણ આપી દે, પણ દેવીયાની ના પાડે છે કારણ કે રાખાલ હજુ પણ તેને ત્રાસ આપે છે અને તેને ય ખબર પડે છે કે સુપર્ણા તેની જ દીકરી છે એટલે તે દેવીયાનીને બ્લેકમેલ કરે છે.

વર્ષોથી ત્રાસેલી દેવીયાની તેની દીકરીને આ ગંદકીથી બચાવવા માટે જોશમાં આવીને એક દિવસ રાખાલનું ખૂન કરી નાખે છે. દેવીયાની પર હત્યાનો ગુનો નોંધાય છે અને તેની પર કેસ ચાલે છે. કોર્ટમાં સરકાર તરફથી સુવર્ણા વકીલ છે અને દેવીયાનીના બચાવમાં મોનીષ વકીલ છે. સરકારી વકીલ સુપર્ણા દેવીયાની પર ખૂનનો આરોપ સિદ્ધ કરવા મહેનત કરે છે અને મોનીષ તેને બચાવવા પ્રયાસ કરે છે અને એમ જ એક દિવસ તે સુપર્ણાએ અસલી હકીકતની જાણ કરે છે.

વર્ષો પછી, ‘દીવાર’ ફિલ્મના વિજયે (અમિતાભ બચ્ચને) જેમ ભગવાન શિવના મંદિરમાં જઈને મરણ પથારીએ પડેલી તેની માતાનું જીવન માગ્યું હતું, તેવી રીતે ‘મમતા’ ફિલ્મમાં સુપર્ણાએ અદાલત સમક્ષ મા-દીકરીની અસલ ઓળખાણ આપીને કાલાવાલા કરે છે કે ‘મુજે મેરી મા દે દો.’ કોર્ટરૂમનું એ દૃશ્ય યાદગાર છે. સુપર્ણા જજ સમક્ષ તેની માતાનું જીવન માંગે છે અને દીકરીને તેની અસલિયત ખબર પડી ગઈ છે તેના આઘાતમાં દેવીયાની કઠેડામાં ફસડાઈ પડે છે અને અંતે દીકરીના જ ખોળામાં દમ તોડી દે છે.

દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરતી માતા દેવીયાની / પન્નાબાઈ અને એક આદર્શવાદી વકીલ સુપર્ણાની ભુમિકામાં સુચિત્રા સેને ‘મમતા’ને એકલા હાથે ખભા પર ઊંચકી લીધી હતી. સેનની આ એકમાત્ર બંગાળીમાંથી રીમેક હતી એટલે ભૂમિકા અને વાર્તામાં તેનો આત્મવિશ્વાસ પડદા પર દેખાય છે.

ફિલ્મનું બીજું જમા પાસું તેનું સંગીત છે. રાકેશ રોશન – રાજેશ રોશનના સંગીતકાર પિતા રોશન લાલ નાગરાથે ગીતકાર મજરૂહ સુલતાનપૂરીનાં ગીતો પર યાદગાર સંગીત આપ્યું હતું. તેનું એક ગીત આજે પણ યાદગાર છે. રોશને 1954માં બી.આર. ચોપરાની ફિલ્મ ‘ચાંદની ચોક’માં ‘તેરા દિલ કહાં હૈ’ ગીત માટે એક મધુર ધૂન બનાવી હતી. એ જ ધૂનમાં થોડા ફેરફાર કરીને તેમણે ‘મમતા’માં એક કર્ણપ્રિય ગીત રચ્યું હતું; રહેં ના રહેં હમ, મહેકા કરેંગે, બનકે કલી, બનકે સબા, બાગ-એ-વફા મેં.’

ફિલ્મમાં આ ગીત બે વાર આવે છે. પહેલીવાર તે લતા મંગેશકરના અવાજમાં છે અને સુચિત્રા સેન અશોક કુમાર માટે ગાય છે અને બીજી વાર મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરના અવાજમાં સુચિત્રા અને ધર્મેન્દ્ર પર શૂટ થયું હતું. મોનીષ અને દેવીયાનીના અધૂરા પ્રેમની યાદ અપાવવા માટે આ જ ગીતની ધૂન બેકગ્રાઉન્ડમાં પણ વાગતી રહે છે. અત્યંત સંવેદન વાર્તા, તમામ કલાકારોના ઉત્કૃષ્ઠ અભિનય, રોશનનું મધુર સંગીત અને આસિત સેનનું સક્ષમ નિર્દેશન ‘મમતા’ને એક સીમાચિન્હ રૂપ ફિલ્મ બનાવી ગયું હતું.

આસિત સેનની જેમ, સુચિત્રા સેને પણ બહુ હિન્દી ફિલ્મો કરી નહોતી (કદાચ હિન્દી ભાષા તેમને અનુકૂળ નહોતી). તેમની ડેબ્યુ ફિલ્મ બિમલ રોયની ‘દેવદાસ’ હતી (જેમાં તેમણે પારોની ભુમિકા કરી હતી), પણ તે દિલીપ કુમારની ફિલ્મ હતી. એ સિવાય ગુલઝારની ‘આંધી’ ફિલ્મમાં સેનને ઇન્દિરા ગાંધીની સશક્ત ભૂમિકા મળી હતી. એ બે વચ્ચે ‘મમતા’ જ એવી ફિલ્મ હતી, જેમાં એક અદાકારા તરીકેની તેમની પૂરી આવડતનો ભરપૂર ઉપયોગ થયો હતો.

1981માં આવેલી, રાજેશ ખન્ના અને હેમા માલિનીની ફિલ્મ ‘દર્દ’ની પ્રેરણા ‘મમતા’ હતી. એમાં રાજેશ ખન્ના પર એક તવાયફની હત્યાનો આરોપ છે અને તેની વકીલ હેમા માલિની (જે તેની ભૂતપૂર્વ પ્રેમીકા છે) તેને આજીવન સજા અપાવે છે. આ ફિલ્મમાં ખય્યામનું સંગીત બહુ લોકપ્રિય થયું હતું. 

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 29 નવેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...747748749750...760770780...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved