Opinion Magazine
Number of visits: 9457398
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મમતાનું મોત!

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 January 2024

રવીન્દ્ર પારેખ

એનું નામ સૂચના. સૂચના શેઠ. આમ પશ્ચિમ બંગાળની, પણ બેંગ્લુરુમાં એક સ્ટાર્ટ અપ કંપનીની તે CEO છે. ઉંમર 39 વર્ષ. તે AI એથિક્સ એક્સપર્ટ અને ડેટા સાયન્ટિસ્ટ છે. એ ક્ષેત્રનો તેને બારેક વર્ષનો અનુભવ છે. આ ઉપરાંત રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચરમાંથી, સંસ્કૃતમાં, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમામાં, તેણે પ્રથમ ક્રમ મેળવ્યો છે તો, ભવાનીપુર એજ્યુકેશન સોસાયટી કોલેજ, કોલકાતામાંથી પ્રથમ ક્રમે ફિઝિક્સ(ઓનર્સ)માં ગ્રેજ્યુએશન પણ કર્યું છે. તે પછી કોલકાતાથી જ તેણે પ્લાઝમા ફિઝિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. તે હાવર્ડમાં બે વર્ષ સુધી બર્કમેન કલેઇન સેન્ટરમાં ફેલો પણ રહી ચૂકી છે. અમેરિકામાં એ.આઈ. કંપનીમાં પણ તે કામ કરી ચૂકી છે. 2020માં ‘ધ માઇન્ડફૂલ આઈ.ટી. લેબ કંપની’ તેણે સ્થાપી છે ને આઇ.ટી. હબ મનાતા બેંગ્લુરુમાં તેનું નામ ને નામના છે. એ.આઈ. એથિક્સ દ્વારા 2021માં 100 બ્રિલિયન્ટ વિમેનની યાદી બહાર પડી, એમાં સૂચના શેઠનું નામ છે. લગ્નનાં નવેક વર્ષે તેને એક દીકરો જન્મેલો. તેનાં લગ્ન 2010માં કેરળના વેંકટ રામન સાથે થયાં ને 2023માં તો વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ. પતિ પુત્રને મળે તે સૂચનાને મંજૂર ન હતું, પણ કોર્ટે તેને આદેશ કર્યો હતો કે પિતાને, પુત્રને મળતા રોકી શકાય નહીં, એટલે દર રવિવારે તેને દીકરાને મળવા દેવો.

પિતા ન મળે એટલે સૂચના દીકરાને લઈને ગોવાના ડાબોલિમ એરપોર્ટ પર પહોંચી. 6 જાન્યુઆરી, 2024ને રોજ તેણે પુત્રની સાથે કેન્ડોલિમ સર્વિસ એપાર્ટમેન્ટમાં ચાલતી સોલ બાયાન ગ્રાન્ડ હોટેલનાં રૂમ નંબર 404માં ચેક ઇન કર્યું. 6,7,8 જાન્યુઆરીએ તે પુત્ર સાથે ગોવા ફરે છે ને 8 જાન્યુઆરીની રાત્રે દસેક વાગે હોટેલ રિસેપ્શનને બેંગ્લુરુ જવાનો ઇરાદો જાહેર કરીને કેબ બુક કરવા કહે છે. ટ્રાવેલ ડેસ્કને તેની વાત વિચિત્ર લાગે છે. સ્ટાફે તેને સમય ઓછો લાગે ને ખર્ચ પણ ઓછો થાય એ ગણતરીએ ફ્લાઇટમાં જવા સમજાવી, પણ સૂચના ટેક્સી દ્વારા જ બેંગલુરુ જવા મક્કમ હતી. સ્ટાફે તેનાં આગ્રહને માન આપીને ટેક્સી મંગાવી, પણ એક સવાલ પૂછ્યો કે તે આવી ત્યારે દીકરો સાથે હતો, તે જતી વખતે જણાતો ન હતો. સૂચનાએ કહ્યું કે દીકરાને એક મિત્રને ત્યાં માર્ગોવામાં મૂક્યો છે ને એક મોટી બેગ સાથે તે બેંગ્લુરુ જવા રવાના થઈ ગઈ.

સૂચનાના ચેક આઉટ પછી, બીજી સવારે હોટેલ સ્ટાફ સાફસફાઇ માટે રૂમ નંબર 404માં ગયો, તો ત્યાં લોહીના ડાઘા જોવા મળ્યા. સ્ટાફની વાત સાંભળીને હોટેલે તરત જ કાલંગુટ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. જે ડ્રાઈવર સૂચનાને લઈને જઇ રહ્યો હતો, તેને કર્ણાટકના નજીકના ચિત્રદુર્ગ વિસ્તારના ઇમંગલા પોલીસ સ્ટેશન તરફ જવા ગોવા પોલીસે સૂચના આપી. ડ્રાઇવરે તેનો અમલ કર્યો. પોલીસે સૂચનાને અટકમાં લઈને દીકરા અંગે જાણવા પૂછ્યું તો તે મિત્ર પાસે છે તેવો ખુલાસો કરતા એ મિત્રને સરનામે તપાસ કરાઇ તો સરનામું ખોટું નીકળ્યું. વધુ તપાસ કરતાં બેગમાંથી દીકરાની લાશ મળી આવી. સૂચનાને કોર્ટમાં રજૂ કરીને તેનાં ટ્રાન્ઝિટ રિમાન્ડ પોલીસે મેળવ્યા. તેનો

સૂચના શેઠ

પતિ વારા પ્રમાણે રવિવારે મળવા આવે તો ન મળી શકે એ માટે તે ગોવા પહોંચી, પણ તેનો પતિ પહોંચે એમ જ ન હતું, કારણ એ તો ઇન્ડોનેશિયાના જકાર્તામાં હતો. જો એ જકાર્તા હતો તો એ આવશે એવી ગણતરીએ તે ગોવા કેમ ગઈ કે કારણ કોઈ બીજું જ હતું, તેની ખબર નથી, પણ કૈંક ભેદ છે એવું લાગ્યા વગર રહેતું નથી. એમાં કોઈ શંકા નથી કે સૂચના પ્રખર મેધાવી મહિલા છે ને તેણે બુદ્ધિનો ઉપયોગ આ હત્યા પાછળ કર્યો છે. વધુ વાતો તપાસ પછી બહાર આવે એમ બને.

જો કે, કાયદો, કાયદાની રીતે કામ કરશે, પણ આ ઘટના આજની નારીના બદલાતાં આવતાં અત્યંત નિષ્ઠુર સ્વરૂપને પ્રગટ કરે છે. આજની સ્ત્રી કેરિયર ઓરિએન્ટેડ થઈ છે ને તે હવે લગ્ન ન કરવાના મતની થતી જાય છે. કદાચને સૂચના જેવી સ્ત્રી લગ્ન મોડે મોડે કરે છે, તો વાત ઘણુંખરું છૂટાછેડા પર આવે છે. આવા સંજોગોમાં લગ્ન મોડા થવાથી સંતાન સુખથી વંચિત રહેવાનું પણ આવે છે ને જેમને કેરિયરમાં રસ છે તે સ્ત્રીઓ તો સંતાન બહુ ઇચ્છતી પણ નથી. સૂચનાની વાત થોડી જુદી પડે છે, તે એ રીતે કે સંતાન તો તે મેળવે છે, પણ પતિ સાથે છેડા છોડવા પર વાત આવે છે. મોટે ભાગે એવું બને છે કે કેરિયર ઓરિએન્ટેડ સ્ત્રીને, જો તે પરણે છે તો લગ્ન, જીવન સંઘર્ષનું એક કારણ મોડું વહેલું પણ બને છે. તે સ્વસ્થ અને સ્વતંત્ર નિર્ણયો લઈ શકતી મક્કમ સ્ત્રી અલબત્ત ! થઈ છે. તે પ્રખર બુદ્ધિ ધરાવે છે ને પુરુષની જેમ જ તે પણ તેનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિઓમાં કરી શકે છે.

સૂચનાનો આ દાખલો આવનાર સમયની સ્ત્રીનો પડઘો પાડતો હોય તો નવાઈ નહીં !  એક સ્વર એવો પણ ઊઠે છે કે કુટુંબ વ્યવસ્થા લગભગ ખોરવાઇ ગઈ છે. આવનારી પેઢી પાસે સત્તા, સંપત્તિ અને સ્વાસ્થ્યની સગવડો હશે, પણ સંવેદન, સ્નેહ અને સંવર્ધનની તકો ઉત્તરોત્તર ઘટતી આવે છે. માંગણી છે, પણ લાગણી નથી. ચામડી છે, પણ રૂંવાડું ફરકતું નથી. આ ગાળામાં બુદ્ધિ વધુ સ્વસ્થ રાખશે, પણ કલેજું ક્રૂર અને ઠંડું હશે. હત્યાઓ ઉશ્કેરાટમાં નહીં, તેટલી ઠંડે કલેજે થતી હશે, જે સૂચનાના કિસ્સામાં પણ જોઈ શકાય છે. તે ચાર વર્ષના સગા દીકરાને નિર્મમતાથી મોતને ઘાટ ઉતારી શકે છે ને કશું જ બન્યું ન હોય તેમ લાશને બેગમાં ભરીને સ્વસ્થતાથી ગોવા છોડી શકે છે. કુદરત આટલી સ્વસ્થતા કોઈને ન આપે એવી પ્રાર્થના કરવી પડે એવા દિવસો આવ્યા છે. આમ તો ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ ગવાયું છે. એવું પિતા કે પુત્ર માટે નથી કહેવાયું. માનો દરજ્જો આજ સુધી વિશેષ ગણાયો છે. આજે ય મા અજોડ જ છે, પણ જે રીતે તેની જુદી છબી ઊભરી રહી છે, એ પરથી લાગે છે કે છેવટે તો તે પણ સ્ત્રી જ છે. સ્ત્રી કોમળ આજે ય છે, પણ તે નિષ્ઠુર, નિર્દયી, નિર્લજ્જ હોઈ શકે છે એ અનિચ્છાએ પણ સ્વીકારવું પડે એમ છે. સ્ત્રી હત્યારી હોઈ શકે છે, પણ મા હત્યારી હોય એ અસહ્ય છે.

સૂચનાને જોઈએ તો થાય છે કે તે બધી રીતે સક્ષમ છે. તેને પતિ સાથે ન ફાવે ને છૂટાછેડા લે તે ય સમજી શકાય એમ છે, પણ તે ચાર વર્ષનાં પોતાનાં જ દીકરાની હત્યા કરે ત્યારે અરેરાટી વ્યાપી જાય છે. પોલીસના કહેવા પરથી પતિ દીકરાને મળવા આવે એ તેને ગમતું ન હતું ને તે ચાર વર્ષનાં માસૂમ દીકરાને ન મળી શકે એટલે તેને મોઢે ઓશીકું દાબીને ઘાતકી રીતે મારી નાખે તે નિષ્ઠુરતાની પરાકાષ્ટા છે. પતિ દીકરાને મળે તે માને ગમતું નથી, પણ દીકરો તો તેનો પણ હતો, તેને તો ગમતો હતોને ! તો તેને મારી કેમ શકાય? વાંધો પતિ સામે હતો, પણ પતિને આંગળીયે અડાડયા વગર તે ભોગ સગા દીકરાનો લે છે, એ દીકરાનો જેણે તેનું કઇ જ બગાડયું નથી. ગોવા તે હત્યાને ઇરાદે જ આવી હોવાનું પોલીસનું માનવું છે. એ તો હોટેલ સ્ટાફ અને ડ્રાઈવરની સમયસૂચકતા હતી કે સૂચનાને પોલીસ સુધી પહોંચાડી શકાઈ. એટલું છે કે હત્યાનું જે કારણ તેણે આપ્યું છે તે ગળે ઊતરે એમ નથી. પતિને દીકરાને મળતો રોકવા તે ગોવા આવી, તે પણ પતિ જકાર્તા છે, ત્યારે ! કોઈ પણ રીતે પતિ મળી શકે એમ જ નથી એવી શક્યતા હતી, ત્યારે જ તે ગોવા આવે છે. એટલે તેણે જે સમય પસંદ કર્યો છે, તે પતિની નિશ્ચિત ગેરહાજરીનો છે. દીકરો પાછો લઈને બેંગ્લુરુ જાય તે પછી પણ પિતા દીકરાને મળવા આવે એ શક્યતા તો દરેક રવિવારે હતી જ હતી, એટલે તેને થયું હશે કે ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી – જેવું જ કરવું, પણ એટલું કરવામાં તેણે દીકરાને તો મોત આપ્યું, પણ મમતાને પણ મોત જ આપ્યું. સૂચનાએ માતાની વ્યાખ્યા જ જાણે બદલી નાખી છે. મા આવી પણ હોય એવી શક્યતાને તેણે વધુ દૃઢ કરી છે. મા પર પણ અવિશ્વાસ થઈ શકે એ વાત સૂચનાએ, કોઈ પણ સૂચના આપ્યા વગર સિદ્ધ કરી આપી તે દુ:ખદ છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 14 જાન્યુઆરી 2024

Loading

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (26) : રુય્યક

સુમન શાહ|Opinion - Opinion|14 January 2024

આજે, રુય્યક વિશે —

રુય્યકનો સમય છે, બારમી શતાબ્દીનો મધ્ય ભાગ. એમનો ગ્રન્થ છે, “અલંકારસર્વસ્વ”. 

રુય્યકનો મહિમા એ કારણે છે કે એમણે મોટા ભાગના પૂર્વવર્તી આચાર્યોની કાવ્યશાસ્ત્રસમ્બન્ધી ધારણાઓની ફેરતપાસ કરી છે – પર્યવેક્ષણ, સુપરવિઝન.

પર્યવેક્ષણ — Supervision

એક તો છે, ભામહ આદિ અલંકારિકોનાં અલંકારવિષયક મન્તવ્યો. “અલંકારસર્વસ્વ”-ના રચયિતા રુય્યક પોતે આ પર્યવેક્ષણ કરતાં કહે છે —

૧ :

ભામહ, રુદ્રટ વગેરે આલંકારિકોએ પ્રતીયમાન અથવા વ્યંગ્ય અર્થને અલંકારોમાં સમાવી દીધો છે, કેમ કે એ વાચ્યાર્થનો ઉત્કર્ષ કરે છે; જેમ કે, પર્યાયોક્તિ, અપ્રસ્તુતપ્રશંસા, સમાસોક્તિ, વ્યાજસ્તુતિ, અનન્વય અલંકારોમાં. 

૨ :

રુય્યક કહે છે, રુદ્રટે તો ઉપમા વગેરે અલંકારોને અર્થનો ઉત્કર્ષ કરનારા લેખ્યા છે. એટલે સુધી કહ્યું છે કે ઉત્પ્રેક્ષા અલંકાર તો પોતે જ પ્રતીયમાન છે. રસવત્ અને પ્રેય: અલંકારોમાં એમણે રસ-ભાવ વગેરેને વાચ્યાર્થની શોભાનું કારણ ગણ્યાં છે. 

૩ :

કહે છે, વામને તો ગૌણી લક્ષણાને વક્રોકતિ અલંકાર ગણ્યો છે, એ તો ઠીક, પણ જુદા જુદા ધ્વનિભેદોમાં અલંકારરૂપતા જોઈ છે.

૪ :

કહે છે, ઉદ્ભટ્ટ વગેરે કાવ્યાચાર્યો તો ગુણ અને અલંકારને મોટે ભાગે સમરૂપ ગણીને ચાલ્યા છે.

બીજું એ કે રુય્યકે આ આલંકારિકોએ અલંકારયુક્ત ઉક્તિને જ કાવ્યનો આત્મા કહી છે, એ ધારણાની પણ ફેરતપાસ કરી છે.

જેમ કે —

૧ :

વામને ગુણયુક્ત પદરચના-રીતિને કાવ્યનો આત્મા ગણી છે.

૨ : 

“વક્રોક્તિજીવિત”-કાર કુન્તકે તો વૈદ્ગ્ધ્યભંગિભણિતિને, એટલે કે, વિદગ્ધતાયુક્ત છટાદાર ઉક્તિને, કાવ્યનો આત્મા માની છે. એમનો મત એમ સમજાય છે કે વ્યંગ્યાર્થ નહીં પણ ઉક્તિવૈચિત્ર્ય કાવ્યનો આત્મા છે.

૩ :

ભટ્ટ નાયક પણ પ્રૌઢોક્તિને આગળ કરે છે. એથી સંભવેલા વ્યંગ્ય-વ્યાપારમાં કાવ્યત્વ જુએ છે.

૪ :

આનન્દવર્ધનના મત અનુસાર, વ્યંજના એક વ્યાપાર છે. વળી, વાક્યાર્થ જ વ્યંગ્ય છે, ગુણ અને અલંકાર એના ઉપસ્કારક છે – અલંકૃત કરનારા. એ વ્યંગ્ય જ પ્રધાન હોય છે અને તેથી વિશ્રામસ્થાન કહેવાય છે, અને એ જ છે, કાવ્યનો આત્મા.

કુન્તક કાવ્યના બન્ધને વક્રકવિવ્યાપારશાલિન કહીને કાવ્યને વ્યાપારપ્રધાન ગણે છે. ભટ્ટ નાયક વ્યંગ્ય-વ્યાપારમાં કાવ્યત્વ જુએ છે. આનન્દવર્ધન પણ વ્યંજનાને અભિધા તાત્પર્ય લક્ષણા વ્યાપારો પછીનો વ્યાપાર માને છે.

આ ‘વ્યાપાર’ વિશે રુય્યકનું મન્ત્વ્ય ધ્યાનપાત્ર છે. એ કહે છે —

વિષય અનુસાર જ વ્યાપારને સ્વરૂપ મળે છે. જેવી વિષયની પ્રધાનતા તેવી વ્યાપારની પ્રધાનતા. વ્યાપાર સ્વતન્ત્ર સ્વરૂપે નથી અવગત થતો, એટલે વિષયે જ બધો ભાર સહેવો અને વહેવો પડે છે. એ કારણે વ્યંગ્ય નામના વિષયને જ કાવ્યનો આત્મા કહેવો જોઈએ, રુય્યક સરસ ઉમેરે છે કે, એના ગુણ અને અલંકારથી ચારુત્વનું સામ્રાજ્ય રચાય છે —

તસ્માદ્વિષય એવ વ્યંગ્યનામા જીવિત્વેન વક્તવ્ય: I યસ્ય ગુણાલંકારકૃતચારુત્વપરિગ્રહસામ્રાજ્યમ્ I 

પોતાનું મુખ્ય મન્તવ્ય રજૂ કરતાં રુય્યક જણાવે છે કે કાવ્યનું જીવન રસ છે, એને અલંકારરૂપ ન ગણવું જોઇએ, કેમ કે અલંકારો તો ઉપસ્કારક છે, શોભાવૃદ્ધિ કરે, પરન્તુ રસાદિ તો આત્મા છે અને તેથી એ ઉપસ્કાર્ય છે, શોભિત થનારા છે. તેથી વાક્યનો અર્થભૂત વ્યંગ્ય જ કાવ્યનું જીવિત છે. રુય્યક ઉમેરે છે કે આ જ પક્ષ વાક્યાર્થ-કોવિદ એવા સહૃદયોને રાજી કરે છે — 

તસ્માત્ વ્યંગ્ય એવ વાક્યાર્થોભૂત: કાવ્યજીવિતમિત્યેષ પક્ષો વાક્યાર્થવિદામ્ સહૃદયાનામાવર્જક: I

રુય્યકનું દૃષ્ટાન્ત સૂચવે છે કે કાવ્યશાસ્ત્રસમ્બન્ધી પૂર્વવર્તી ધારણાઓની પણ કેટલી ચીવટથી અધ્યયનપૂત વિચારણા થતી હતી. 

= = = 

(01/14/24)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

માલદીવ કે લક્ષદ્વીપઃ બેની લડાઈમાં ત્રીજો ‘ચીન’ ફાવે વાળો ઘાટ રોકવા સોશ્યલ મીડિયા યુદ્ધ રોકવું જરૂરી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|14 January 2024

કોઇએ પણ કલ્પના નહીં કરી હોય કે કાશ્મીરી સ્ટાઇલની શાલ પહેરીને લક્ષદ્વીપ પર ખુરશી નાખી ફોટો પડાવનારા કે લાઇફ જેકેટ પહેરીને સ્નોર્કલિંગ કરનારા વડા પ્રધાનની તસવીરો વિવાદની આટલી મોટી હોળી સળગાવશે

ચિરંતના ભટ્ટ

ભૂગોળ વિષયનો ગોળો વાળીને ગોટે ચઢાવી દેનારા એકેએક માણસે છેલ્લા એક અઠવાડિયામાં લક્ષદ્વીપ ક્યાં છે એ બરાબર યાદ કરી લીધું છે. જો કે એવું ય બને કે દેકારામાં એક બૂમ ઉમેરનારાઓને ખરેખર લક્ષદ્વીપ કે માલદીવ ક્યાં ય પણ જવામાં જરા ય રસ નથી કારણ કે એણે તો ગલ્લે ઊભાં રહીને દાંત ખોતરતા ખોતરતા માત્ર જે ‘ટ્રેન્ડ’ થાય છે એને જ ટેકો આપવાનો છે. લક્ષદ્વીપ અને માલદીવ વચ્ચેની રસાકસીમાં આપણા વડા પ્રધાનની તસવીરો, માલદીવનાં સસ્પેન્ડ થયેલાં મંત્રીઓ, ટુરિઝમનો ધંધો કરનારા, રણવીર સિંઘે જે પોસ્ટમાં બાફેલું એ પોસ્ટ, એક અખબારે રણવીર સિંઘની ભૂલ વિષે બે કૉલમના સમાચારમાં રણબીર કપૂરનો ફોટો મૂક્યો એ, માલદીવ જનારા સેલિબ્રિટીઝની ટીકા કરનારા બીજા સેલિબ્રિટીઝ અને લોકલ પ્રવાસે જવાયનો છાતી ઠોકીને દાવો કરનારા ઇન્ફ્લુએન્સર્સ અથવા સેલિબ્રિટીઝ વગેરે ભારે વાઈરલ થઇ ગયાં છે.

ભારત અને માલદીવ વચ્ચે જે બબાલ થઇ એમાં આમ તો રાજદ્વારી પગલાં લઇને આખી વાત ઠારી શકાઇ હોત, પણ માલદીવનો બૉયકૉટ એ 2024ના વર્ષનો સૌથી પહેલો એવો ટ્રેન્ડ છે જેણે આખેઆખું સોશ્યલ મીડિયા યુદ્ધ છેડી નાખ્યું. કોઇએ પણ કલ્પના નહીં કરી હોય કે કાશ્મીરી સ્ટાઇલની શાલ પહેરીને લક્ષદ્વીપ પર ખુરશી નાખી ફોટો પડાવનારા કે લાઇફ જેકેટ પહેરીને સ્નોર્કલિંગ કરનારા વડા પ્રધાનની તસવીરો વિવાદની આટલી મોટી હોળી સળગાવશે. વડા પ્રધાને જે કર્યું એ કર્યું પણ તેમના ભક્તોએ તેમના પ્રવાસને ઝાલીને માલદીવને સપાટામાં લઇ લીધો. એમાં માલદીવના સોશ્યલ મીડિયા પર ભારત સરકારની ટીકા કરાઇ એ પણ ત્યાંના મંત્રીઓએ કરી અને પછી તેમને સસ્પેન્ડ કરી દેવાયાં.

માલદીવમાં જે નવી સરકાર આવી છે તે ભારત વિરોધી મુદ્દાને ચાગવીને જ સત્તા પર આવી છે અને તેમણે ભારતને માલદીવમાંથી તગેડી મુકવાની વાત પર ભાર મૂક્યો હતો. માલદીવ વર્સિઝ લક્ષદ્વીપ થયું એમાં માલદીવે પણ આફતમાં અવસર જોઇને ઝુકાવ્યું. ત્યાંના મંત્રીઓએ સોશ્યલ મીડિયા પર ભારત અને વડા પ્રધાન મોદી વિશે એલફેલ લખી નાખ્યું અને પછી વિરોધનું સુનામી માલદીવ પર ફરી વળ્યું. ત્યાંના ટુરિઝમ એસોસિયેશને તો પોતાના જ મંત્રીઓના બકવાસને પોતે ટેકો નથી આપતા એવી પ્રેસનોટ પણ જાહેર કરી. જેનું ઠેકાણે હતું એવા માલદીવના સત્તાધીશોએ માફી પણ માગી પણ આ મુદ્દાની ચર્ચા હજી સુધી ચાલી જ રહી છે. માલદીવનાં ત્રણ મંત્રીઓ સસ્પેન્ડ કરાયાં એ માલદીવની સરકારની પહેલ હતી જેનાથી વાત વધારે વણસે નહીં. પણ સોશ્યલ મીડિયાને મોંએ કોણ ગરણાં બાંધે? જેવા ભક્તો અહીં હોય એવા ત્યાં પણ હોય જ એટલે સરકારો શાંતિથી કોઈ રસ્તો કાઢે તેની પરવા કર્યા વિના સોશ્યલ મીડિયા પર બન્ને દેશોના લોકોએ કચકચાવીને એકબીજા તરફનો રોષ દેખાડી દીધો.

માલદીવ – 300 સ્ક્વેર કિલોમિટરના અને છ લાખની વસ્તી ધરાવતા મુસલમાન બહુમતી દેશે ભારત સાથે શિંગડા ભેરવતી વખતે એ યાદ ન રાખ્યું કે નાના રાષ્ટ્રોએ પોતાના પાડોશી દેશો સાથે વાટાઘાટ કરવામાં જરા સાચવવું તો જોઇએ. વગર કારણની ઉશ્કેરણીથી નાના રાષ્ટ્રને વધારે નુકસાન થાય અને એમાં ય પાછા સોશ્યલ મીડિયા પર ભારતીયોએ જે ઘોંઘાટ કર્યો છે તેને કારણે સંજોગો બદના ય બદતર થઇ ગયા. રાષ્ટ્રવાદને નામે જે અવાજો થઇ રહ્યા છે તે અતિશયોક્તિભર્યા છે અને તે બીજા દેશ કરતાં પોતાના દેશને – ભારતને વધારે નુકસાન કરી શકે છે. પણ ચૂંટણી માથે છે ત્યારે ટાણે વડા પ્રધાન લોકોને મુંગા રહેવાનું કહેવાની માથાકૂટમાં પડશે કે પ્રચાર-પ્રસારની યોજનાઓ બરાબર પાર પડી રહી છે કે નહીં એ જોવા બેસશે? વાંક માલદીવના મંત્રીઓનો જ છે જેમણે રાજકારણી તરીકેની આમન્યા ન જાળવી અને તેમનો ભારત-વિરોધી અભિગમ દેખાઈ આવ્યો.

હવે રાજકારણની ચર્ચા કરીએ જે આ બધી બબાલનું સાચું કારણ છે. આપણે શ્રીલંકા, બાંગ્લાદેશ સાથે સારાસારી નથી. વળી સરકારને મામલે એવું છે કે લક્ષદ્વીપનું ભરપૂર પ્રમોશન ભલે થયું હોય અને માલદીવના બહિષ્કાર પર ઘોંઘાટ કરાયો હોય પણ આ લડાઇમાં ચીનની કારી ફાવી જવાની છે જેનું કારણ છે ભૌગોલિક રાજકારણ. ભારત અને માલદીવ વચ્ચે અંતર વધે એમાં ચીનને પૂરો રસ છે. 2019માં મોદીએ માલદીવની મુલાકાત લીધી ત્યારે જોઇન્ટ હાઇડ્રોગ્રાફિક સરવે પેક્ટ પર હસ્તાક્ષર કરેલા જે ડિફેન્સ રિલેટેડ બાબત હતી. માલદીવમાં સરકાર બદલાય છે અને આ પેક્ટ અચાનક જ અમાન્ય થઇ જાય છે કારણ કે આ નવી સરકાર ચીન તરફી છે.  આ આડોડાઇ એ હદે કે માલદીવના પ્રેસિડન્ટે કોલોમ્બોમાં સિક્યોરિટી અંગે જે કોન્ક્લેવ થયું એમાં ય હાજરી ન આપી. વળી પોતાની પહેલી સ્ટેટ મુલાકાત માટે માલદીવના નવા ચૂંટાયેલા પ્રમુખ મોહંમદ મુઝ્ઝુએ ટર્કી અને ચીન પર પસંદગી ઊતારી. અત્યારે આ બધી બબાલ થઇ રહી છે ત્યારે માલદીવના પ્રમુખ ચીન ગયા કારણ કે તે જતાવવા માગતા હતા કે તેમણે ચૂંટણી જીતવા માટે જે ભારત વિરોધી એજન્ડાની વાત કરી હતી તેને અને ભારતથી માલદીવને ખતરો છે એ વાતને વળગી રહ્યા છે. વળી ભારતીય સૈન્યને (75 જણા જે ત્યાંના સૈન્યના બેઝ, હેલીકૉપ્ટર વગેરેને સાચવાતા હતા) પણ માલદીવમાંથી બહાર મોકલી દેવાયું છે. વળી એક દેશનું સૈન્ય પોતાની સીમામાંથી જાય એટલે બીજા દેશનું આવી શકે અને આ બીજો દેશ એટલે ચીન.  શી ઝિનપિંગને, બેઇજિંગને માલદીવમાં ચીનના પૈસાનું રોકાણ થાય એવી પૂરી દાનત છે. 48 કલાકના આ ખેલમાં ભારતને ભાંડવામાં આવે છે અને ચીનને માલદીવ અગત્યનો કોલાબરેટર દેશ ગણાવે છે. માલદીવ ચીન સાથે ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ્સ કરવા માગે છે, જેમ કે માછલાંની નિકાસ પર જેના કારણે માલદીવ સારા એવા પૈસા મળશે. ચીને બાંગ્લાદેશ સાથે પણ 25 બિલિયનનો નિકાસનો વ્યાપાર કર્યો છે અને એવું જ ચીન માલદીવમાં પણ કરવા માગે છે. ચીને માલદીવને એરપોર્ટ અને તોતિંગ બ્રીજ જેવા વચનો આપ્યા છે, તગડું રોકાણ પણ કર્યું છે. વળી માલદીવના ટાપુઓ જ્યાં રિસોર્ટ્સ આવેલા છે તે બધા માલેથી દૂર છે, ત્યાં માલદીવના સ્થાનિક લોકો નથી વસતા. ત્યાં માલેમાં જે સામાજિક-રાજકીય ગોઠવણ છે તેનાથી સાવ જ જુદી સ્થિતિ છે અને તેને માલદીવની મૂળ સંસ્કૃતિ સાથે કંઇ લેવા દેવા નથી. એક દેશ અને બે તંત્ર વાળો ઘાટ છે જે હોંગકોંગ અને ચીન વચ્ચે પણ ગોઠવાયેલો છે.

માલદીવના લોકોમાં સાન આવે તો સારું કારણ કે ત્યાં વંશીય ખુન્નસની ઘટનાઓ પણ બની છે. ભૂતકાળમાં કોઇ યુરોપિયન યુગલ જે પોતાના લગ્નનાં વચનને રિન્યૂ કરવા માલદીવ ગયા હતા ત્યારે ત્યાંના પાદરીએ ત્યાંની ભાષામાં વચન બોલવાનું આવ્યું ત્યારે ત્યાં ગાળાગાળી કરી હતી જે એ યુરોપિયન યુગલને બાદમાં ખબર પડી હતી, જ્યારે સોશ્યલ મીડિયા પર ત્યાંની ભાષા જાણનારા લોકોએ તેમને એ હકીકત કોમેન્ટ્સમાં જણાવી હતી. માલદીવ આવું કરશે તો કેવી રીતે ચાલશે? ચીનમાં દોસ્ત જોનારા માલદીવને ખબર હશે કે ચીન કેટલી હદે આક્રમક અને વર્ચસ્વ જમાવનારો દેશ સાબિત થઇ શકે છે?

ભારત અને માલદીવ વચ્ચે ભૂતકાળમાં બહુ જ સારા સંબંધો રહ્યા છે. એ હદે કે એંશીના દાયકામાં માલદીવ પર થયેલા એક હુમલામાં માલદીવના પ્રમુખ મામુન અબ્દુલ રયુમે પોતાના મહેલમાંથી જીવ બચાવીને ભાગતી વખતે કોર્ડલેસ ફોન પરથી ભારતના વડા પ્રધાનની ઑફિસમાં ફોન કરીને પોતાનો જીવ બચાવવા મદદ માંગી હતી. માલદીવ ઇચ્છે તો પણ ચીન સાથે ભારત સાથે જેટલા સારા સંબંધો રહી ચૂક્યાં છે એટલા સારા સંબંધ તો નહીં જ કેળવી શકે.

હવે છેલ્લે જરા બહુ જ પૉપ્યુલર થઇ ગયેલા વાત કરીએ લક્ષદ્વીપની કારણ કે માલદીવની સવલતો તો આપણે આપણા ફિલ્મ સ્ટાર્સના સોશ્યલ મીડિયા પર જોઇ જ લીધી છે. લક્ષદ્વીપ માટે એક જ ફ્લાઇટ છે અને ત્યાં માત્ર એક એર સ્ટ્રીપ છે, એરપોર્ટ નથી. પેસેન્જર શીપ પણ સોળ કલાકે કોચિનથી લક્ષદ્વીપ પહોંચાડી શકે છે અને આવી છ શીપ્સ જ છે. માલદીવમાં જોરદાર એરપોર્ટ, સી પ્લેન, સ્પીડ બોટ વગેરે બધું જ છે. લક્ષદ્વીપમાં એન્ટ્રી પરમીટ મેળવવાની કાર્યવાહી વિઝા ઓન અરાઇવલ કરતાં ય અઘરી છે. હજી તો લક્ષદ્વીપમાં ઘર ઘરમાં પીવાલાયક પાણી મળે એની કામગીરી ચાલુ થઇ રહી છે. 35 ટાપુ, 32 સ્ક્વેર કિલોમીટરના લક્ષદ્વીપ પર 10 ટાપુ પર જ લોકો વસે છે. લક્ષદ્વીપમાં દારૂબંધી છે, ત્યાં પર્યાવરણીય સ્થિતિ સંવેદનશીલ છે, એક ટાપુ તો પાણીમાં ડૂબી પણ ગયો છે અને ત્યાં ગ્લોબલ વોર્મિંગનું જોખમ મોટું છે.

બાય ધી વેઃ  

માલદીવમાં દારુબંધી નથી, ત્યાં પાર્ટીઓ થાય છે કારણ કે ટુરિઝમની વાત આવે ત્યાં ગણતરી પૂર્વકની છૂટછાટ લેવાની સમજ આ દેશમાં છે કારણ કે તેમનું અર્થતંત્ર પ્રવાસન પર જ ચાલે છે. મુત્સદ્દીગીરીથી ઉકેલી શકાય એવી બાબત સોશ્યલ મીડિયા પર ઘોંઘાટ કરનારાઓએ બગાડી નાખી છે અને આ લડાઇની મજા ચીન લઇ રહ્યો છે. માલદીવનો બહિષ્કાર કરવાની લ્હાયમાં આપણે ભારતનું જ નુકસાન કરાવીએ છીએ કારણ કે કાલે ઊઠીને માલદીવની સરકાર એમ કહી શકશે કે ભારતના લોકો તો આવા જ છે એટલે આપણે તેમને દૂર રાખીએ તો જ સારું. માલદીવના આ વિરોધ અને બહિષ્કારને લઇને ભારતીયો ભારે મોજમાં છે અને લક્ષદ્વીપ જ જવાય વાળા ગાણાં ગાયા કરે છે. પરંતુ આ વાત માત્ર ટુરિઝમની છે જ નહીં. બે બિલાડીની લડાઇમાં ત્રીજો ફાવે એવો ઘાટ છે પણ એટલું લાંબુ વિચારવાની શક્તિ સોશ્યલ મીડિયા પર રાચનારા અને રમનારાઓને કદાચ રામ મંદિરના મહોત્સવ પછી પ્રાપ્ત થાય એમ બને.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 જાન્યુઆરી 2024

Loading

...102030...693694695696...700710720...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved