Opinion Magazine
Number of visits: 9457408
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માચિસ : વર્ષો પછી આજે ય સળગે છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|23 January 2024

રાજ ગોસ્વામી

અભિનેત્રી તબુ આજે તો અદાકારીના વ્યવસાયમાં ઘણી ઊંચાઈ પર પહોંચી ગઈ છે, પરંતુ તેણે જ્યારે ફિલ્મોમાં પદાર્પણ કર્યું હતું, ત્યારે બીજાને તો ઠીક, ખુદ તેને ખબર નહોતી કે તે એટલું સારું કામ કરી શકશે. તબ્બસુમ ફાતિમા હાશમી ઉર્ફે તબુની શરૂઆતની ફિલ્મો ખાસ નોંધપાત્ર નહોતી. જો કે, અમુકે પૈસા સારા બનાવ્યા હતા એટલે તબુ લોકોની નજરમાં આવી ગઈ હતી.

લગભગ દસેક જેટલી ‘મસાલા’ ફિલ્મો પછી, 1996માં આવેલી ગુલઝાર સા’બની ‘માચિસ’ ફિલ્મથી તબુને એક ઉત્તમ કલાકાર તરીકે સ્થાપિત થવાનો અવસર મળ્યો. ‘માચિસ’માં વિરેન્દ્ર કૌર ઉર્ફે વીરનની તેની ભૂમિકા એક શાંત પણ ખાલિસ્તાની જૂથની ગેંગ મેમ્બર તરીકેની હતી. તબુને આ ભૂમિકા કેવી રીતે કરવા મળી તેનો એક રસપ્રદ કિસ્સો છે. તબુ એક ઇન્ટરવ્યૂમાં તે ગુલઝાર સા’બને મળી હતી તે યાદ કરીને કહે છે;

“હું ઘણીવાર ગુલઝાર સાહેબ સાથેની મારી મુલાકાત વિશે વાત કરું છું કારણ કે તે મારી સૌથી મજબૂત યાદોમાંની એક છે. શબાના (આઝમી) આન્ટીએ મને કહ્યું કે તે મને મળવા માંગે છે. હું તેમને મળવા ગઈ તે સમયે તેમને શરદી હતી. હું ત્યાં ગઈ અને તેમની પાસે બેઠી. તે પણ ત્યાં બેઠા હતા. અમે લગભગ એક કલાક ત્યાં બેઠા હતા. હું ગભરાઈ ગઈ હતી અને વિચારતી હતી કે ‘તે મને શું કહેશે? હું કેવી રીતે જવાબ આપીશ?’ તે કંઈક લખી રહ્યા હતા અને હું રાહ જોતી રહી. અમે એક કલાક કંઈ બોલ્યા નહીં. એક કલાક પછી મેં કહ્યું, ‘અચ્છા ગુલઝાર સાહેબ, હું જાઉં,’ અને તેમણે કહ્યું, ‘અચ્છા ઠીક છે.’ હું ગઈ. મને લાગે છે કે તેમણે પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે તે મને ફિલ્મમાં લેવા માંગે છે. બે-ત્રણ દિવસ પછી, તેમણે મને ફોન કર્યો અને મને માચિસની સ્ક્રિપ્ટ આપી. મારે ફિલ્મમાં આવું જ કરવાનું છે તે તેમણે મને આ રીતે કહ્યું હતું.”

ગુલઝાર દ્વારા નિર્દેશિત માચિસ એક દુર્લભ અને કટ્ટર રાજકીય ફિલ્મ હતી. તેમાં પંજાબના ખાલિસ્તાની આતંકવાદના અશાંત સમયને સમજવાનો પ્રયાસ કર્યો હતો. 80ના દાયકાના અંતમાં, સશસ્ત્ર આતંકવાદીઓને બહાર કાઢવા માટે સુવર્ણ મંદિરમાં કરવામાં આવેલા ઓપરેશન બ્લુ સ્ટાર પછીના સમયની પૃષ્ઠભૂમિ પર ફિલ્મ બનાવામાં આવી હતી.

ફિલ્મનું શિર્ષક, માચિસ, એક રૂપકના અર્થમાં હતું કે દેશના યુવાનો દીવાસળી જેવા છે, તેમનો ઉપયોગ દીવો પ્રગટાવવા માટે થઇ શકે કે પછી ડાઈનેમાઈટ ફૂંકવા માટે પણ થઇ શકે છે. ફિલ્મમાં એ પંજાબને બતાવવામાં આવ્યું હતું, જેમાં ભ્રષ્ટ રાજકીય અને પોલીસ વ્યવસ્થાઓ ધાર્મિક ભેદભાવના આધારે લોકોને નિશાન બનાવે છે અને તેમના બદઈરાદાઓ પાર પાડે છે.

‘માચિસ’ મૂળભૂત રીતે એવા લોકો વિશે છે જે સમાજની મુખ્ય ધારામાંથી ઉખડી ગયા છે અને પોતાના જ વતનમાં અલગાવ મહેસૂસ કરી રહ્યા છે. 

જસવંત સિંહ રંધાવા ઉર્ફે જસ્સી (રાજ ઝુત્શી) અને તેની બહેન વિરેન્દ્ર “વીરન” (તબુ) પંજાબના એક ગામમાં તેમની વૃદ્ધ માતા બીજી સાથે રહે છે. કૃપાલ સિંહ (ચન્દ્રચૂર સિંહ) જસવંતનો બાળપણનો મિત્ર અને વીરનનો મંગેતર છે, અને તેના દાદા સાથે નજીકમાં રહે છે. પ્રદેશનો સહાયક પોલીસ કમિશનર ખુરાના અને ઇન્સ્પેક્ટર વોહરા તેમના શાંતિપૂર્ણ જીવનમાં પાડે. તેઓ જિમી (જિમી શેરગીલ) નામના એક આતંકીની શોધમાં તેમના ઘરે આવે છે, જેણે કથિત રીતે સંસદ સભ્ય કેદાર નાથની હત્યાનો પ્રયાસ કર્યો હતો.

જસ્સીને મજાક સૂઝે છે અને તે પોલીસને જિમી નામના કૂતરા પાસે લઇ જાય છે. તેની ઉદ્ધતાઈથી અકળાયેલા ખુરાના અને વોહરા જસ્સીને પૂછપરછના બહાને પકડીને લઇ જાય છે. કૃપાલ તેને શોધવા માટે તે વિસ્તારના પોલીસ સ્ટેશનોની મુલાકાત લે છે, પરંતુ જસ્સીની ભાળ મળતી નથી. આખરે 15 દિવસ પછી જસ્સી પાછો આવે છે. તે ખરાબ રીતે જખ્મી છે. કૃપાલ ગુસ્સે થાય છે કારણ કે જસવંતને એક ટીખળ માટે અમાનવીય પોલીસ નિર્દયતાનો સામનો કરવો પડ્યો હતો.

પોલીસની ક્રૂરતા સામે લડવા માટે કાયદાકીય મદદ મેળવવામાં નિષ્ફળ ગયેલો કૃપાલ અંતે તેના પિતરાઇ ભાઇ જીતેને મળવા માટે નીકળે છે. જીત આતંકવાદી જૂથો સાથે સંબંધ ધરાવે છે અને એ રીતે કૃપાલ ધીમે ધીમે આતંકવાદીઓની એક એવી ગિરોહમાં સામેલ થઇ જાય છે.

કૃપાલ વીરન સાથે ટૂંક સમયમાં લગ્ન કરવાનો હતો, પરંતુ મિત્ર સાથે થયેલા ગંભીર પોલીસ અન્યાયથી વ્યથિત તે આંતકીઓ સાથે ભટકતો રહે છે અને અંતે ન્યાય માટે બંધૂક ઉપાડી લે છે. બીજી તરફ, પરિવાર પર પોલીસની ધોંસ વધી જાય છે અને તેનાથી ત્રાસેલી વીરન પણ કૃપાલને શોધવા માટે બંધૂક ઉપાડી લે છે અને તેની ગિરોહમાં સામેલ થઇ જાય છે.

‘માચિસ’ એક તરફ પોલીસ અત્યાચારનો ભોગ બનતા પંજાબના નિર્દોષ યુવાનોની વાર્તા હતી અને બીજી તરફ બંધૂકો અને બોમ્બની દુનિયામાં પ્રેમની તલાશ કરતાં યુગલની વાર્તા હતી. ફિલ્મના અંતે બંને, કૃપાલ પોલીસ કસ્ટડીમાં અને વીરન ટ્રેકટરની ટ્રોલીમાં, સાઈડનાઈડ ખાઈને જીવનનો અંત લાવે છે, પણ ફિલ્મનો મુખ્ય સૂર એવા કોઈપણ રાજકીય સંઘર્ષને લાગુ પડે છે, જ્યાં અત્યાચારીઓ તેમના વિચારોને ન્યાયી ઠેરવવા માટે હિંસાનો ઉપયોગ કરે છે, પણ એ અત્યાચારનો ભોગ બનેલાઓ જ્યારે એવો જ રસ્તો અપનાવે છે, ત્યારે તેમની પર આતંકવાદીનું લેબલ મારવામાં આવે છે.

ગુલઝાર પૂરી તટસ્થતાથી એ બતાવે છે કે કેવી રીતે યુવાનો એવું માનવા ઉશ્કેરાય છે કે અન્યાયનો એક માત્ર ઉપાય હિંસા છે. ગુલઝારે તેમની પહેલી ફિલ્મ ‘મેરે અપને’માં કોલેજમાં ભણતા છોકરાઓ કેવી રીતે હિંસાના રસ્તે વળી જાય તે બતાવ્યું હતું. ‘માચિસ’ તે જ વિષયનો એક સમકાલીન વિસ્તાર હતો. ‘માચિસ’ અસરકારક રીતે એ દર્શાવે છે કે કેવી રીતે એક વ્યક્તિગત બાબત રાજકીય બની જાય છે.

ફિલ્મમાં, સનાથન નામના આતંકવાદીની મહત્ત્વની ભૂમિકા ભજવનાર ઓમ પૂરી એક જગ્યાએ આ જ ભાવ વ્યક્ત કરતાં કહે છે કે, “કોઈની સાથે સાથે વારંવાર અન્યાય થાય, ત્યારે તે તેના જેવા લોકો સાથે ભળી જાય છે … કોઈની પણ સામે તે લડતો હોય, તેની પ્રતિક્રિયા અન્યાયના જવાબમાં જ હોય છે.”

આ ફિલ્મ યુવાન સંગીતકાર વિશાલ ભારદ્વાજ માટે સીમાચિન્હ રૂપ હતી. ‘છોડ઼ આયે હમ’ અને ‘ચપ્પા ચપ્પા” જેવાં ગીતો અત્યંત લોકપ્રિય બન્યાં હતાં અને આજે પણ લોકો તેને યાદ કરે છે. ‘માચિસ’નું સંગીત જેમનું જીવન તબાહ થઇ ગયું હોય તેવાં યુવા સ્ત્રી-પુરુષોની આશા અને નિરાશા બંનેને પ્રતિબિંબિત કરતું હતું.

આ ફિલ્મથી ચંદ્રચુર સિંહનું નામ ઘેર ઘેર જાણીતું થઇ ગયું હતું. તેને એક ગેરમાર્ગે દોરાયેલા ક્રોધિત યુવાનની અસરકારક ભૂમિકા માટે ખૂબ પ્રશંસા મળી હતી. ગુલઝારની ફિલ્મોમાં મહિલા પાત્રોની ભૂમિકા હંમેશાં મજબૂત રહી છે. જેમ કે ‘આંધી’ ફિલ્મમાં સુચિત્રા સેને એક રાજકારણી આરતી દેવીની સશક્ત ભૂમિકા કરી હતી. આજે પણ લોકો તેને યાદ કરે છે. ‘માચિસ’ પણ તબુ માટે એવા જ એક આશીર્વાદ સમાન હતી. તબુએ તેમાં સાબિત કર્યું હતું કે તે હીરોની આસપાસ ફેરફૂદડી ફરતી શોભાના ગાંઠિયા જેવી નથી. ‘પાની પાની રે’ ગીતમાં તેનું હળવું અને પીડાદાયક આંસુ આજે પણ ચાહકોને મંત્રમુગ્ધ કરે છે.

કોઈ અપવાદ ન હતો કારણ કે તબ્બુનું પાત્ર તેની મુખ્ય વિશેષતાઓમાંનું એક સાબિત થયું હતું. પાવરહાઉસ પર્ફોર્મરને તેમની ફિલ્મમાં તેમના કામ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. તેણીએ ચાંદની બાર અને હૈદર જેવી ફિલ્મોમાં અભિનય કર્યો, જે ભારતીય સિનેમાના પ્રામાણિક ‘લેડી સુપરસ્ટાર્સ’માંથી એક તરીકે ઉભરી આવી. તબુને આ ભૂમિકા માટે પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.

ગુલઝારે એક ઇન્ટરવ્યૂમાં તબુ અંગે કહ્યું હતું, “શબાનાએ મને તેનું નામ સૂચવ્યું હતું. હું તેને જોવા માંગતો હતો. ‘માચિસ’ માટે હું એક લાંબી, પંજાબી દેખાતી છોકરી ઇચ્છતો હતો. એ જ્યારે મારી પાસે આવી, ત્યારે તેને જોતાં વેંત મને તરત ખબર પડી ગઈ હતી કે આ છોકરી કામ કરી શકશે.“

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”, 17 જાન્યુઆરી 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અયોધ્યા

સલિલ ત્રિપાઠી|Poetry|22 January 2024

તમે તો હંમેશાં અહીં જ હતા

તમે પાછા આવ્યા 

પછી કોણે  કર્યા હતા તમને તડીપાર?  

તમે તો અહીં પણ 

અને ત્યાં પણ 

અને પેલે ખૂણે 

અને અમારે ઘરે 

અને નજીક

અને દૂર 

તો જો તમે ગયા જ નહોતા, 

તો આવ્યા ક્યાંથી?

તમને જ્યારે વનવાસ મોકલ્યા 

ત્યારે તમારાં પગરખાં 

બેઠાડેલા સિંહાસને, 

અને અયોધ્યાનો કારોબાર સંભાળ્યો 

તમારી ચરણરજે 

તો તમે ગયા ક્યાંથી? 

અને આવ્યા ક્યાંથી? 

તમે બન્યા મર્યાદા પુરુષોત્તમ કઈ રીતે?

તમે શબરીના બોર ખાધા, 

તમે શબરીને ઠળિયા કાઢતી જોઈ 

પણ રોકી નહીં 

તમે કરવા દીધું એને એનું કર્મ 

તમે વાલી અને સુગ્રીવના 

વિવાદમાં કર્યો પક્ષપાત 

અને ક્યારે ય ન અનુભવ્યો 

એનો આઘાત 

તમે શૂર્પણખાનું નાક કપાવા દીધું – 

એનો ગુનો? એણે કર્યો તમને પ્રેમ. 

તમે ના વઢ્યા લક્ષ્મણને 

ન અનુભવી સહાનુભૂતિ, કે આવું કેમ?   

અને અફવાના નશામાં 

ચકનાચૂર ધોબીએ જ્યારે 

પોતાની પત્નીને 

ઘરમાંથી કાઢી મૂકી 

ત્યારે તમે 

ન દીધો ધોબીને ઠપકો,

ન આપ્યો બેઘર પત્નીને આશરો, 

પણ જબરજસ્તીથી કરાવી સીતાની

અગ્નિપરીક્ષા. 

મોકલી દીધી સીતાને ફરી એક વાર વનવાસ! 

અને વર્ષો પછી 

જ્યારે શક્ય હતું પુનર્મિલન 

ત્યારે પણ 

લાદી દીધી નવી એક કસોટી

સીતા પણ ગઈ ત્રાસી, 

કહ્યું પોતાની ધરતીમાને,

તિરાડ પાડ આ જમીનમાં, 

લઇ લે મને ભીતર, 

બાઝી લે મને, 

લઇ લે મને તારી કૂખમાં – 

અને તો ય તમારા પેટનું પાણી ય ન હલ્યું 

જવા દીધી તમે સીતાને 

તો ય તમને અમે પૂજીએ? 

તમારી આરતી કરીએ? 

તમને પાછા આવકારીએ? 

તમારે નામે ભગવા ઝંડા ફરકાવીએ? 

તમે જ્યારે નહોતા

અમે થઇ શક્યા મોટા

હવે આવ્યા તમે 

ચડ્યો દેશને નશો 

યાદ કરાવ્યું અમને 

ભૂલ્યા નહોતા તમને 

એવાજ  છીએ અમે 

એવોજ  અમારો વારસો 

અમે હનુમાનને અવગણીએ 

અમે વડીલોને માનીએ 

અમને સીતા પર અવિશ્વાસ 

અમે બનીએ તમારા દાસ 

રાખો તમે તમારી મર્યાદા –

ભૂસાડી દે છે એ  

બુદ્ધની શાશ્વત શાંતિ, 

ઈશુની અપાર કરુણા, 

મુહમ્મદની મુત્સદ્દી, 

ઝરતુષ્ટ્રની સાદગી, 

કૃષ્ણની લીલા, 

મીરાંની ભક્તિ,

શિવનો આક્રોશ, 

ગણપતિની કુશળતા,

અને – 

ગાંધીની અહિંસા,

મંડેલાની ક્ષમા,

લિઉ ઝિયાબોની નિર્ભયતા,

હાવેલની સત્યનિષ્ઠા.

તમારે માટે અમે દઈશું પ્રાણ 

આપો અમને ધનુષ્યબાણ 

તીવ્ર બનાવીયે અમે આ તીર 

બનાવી દો અમને શૂરવીર!

e.mail : salil.tripathi@gmail.com

Loading

અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા અને વડોદરામાં પ્રાણહરણ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 January 2024

રવીન્દ્ર પારેખ

આજે 500 વર્ષ પછી અયોધ્યામાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે ને આખો દેશ ઉત્સવમાં રમમાણ છે, ત્યારે વડોદરાનાં હરણી તળાવમાં ચૌદ બાળકો (આ સંખ્યા વધી શકે છે) ને બે શિક્ષિકાઓ તંત્રોની ઘોર બેદરકારીને કારણે જળ સમાધિ લઈ ચૂક્યાં છે. અયોધ્યા પ્રસન્ન છે ને વડોદરા ખિન્ન છે. ઉત્તર પ્રદેશની અયોધ્યા નગરી સોળે શણગાર સજીને ઉજવણું કરી રહી છે ને ગુજરાતની વડોદરા નગરી ઉઠમણું કરી રહી છે. અયોધ્યાએ બાળ રામની સૈકાઓથી રાહ જોઈ છે. આ ભારતીય જ નહીં, વૈશ્વિક તહેવાર છે. અહીં હરખનાં આંસુ છે ને વડોદરામાં લોહીનાં આંસુ છે. અયોધ્યામાં રામલલ્લાની સ્થાપના અણુએ અણુને અભિભૂત કરનારી ઘટના છે, તો વડોદરાના ચૌદ ચૌદ લલ્લાઓની જળમાં ઉત્થાપના કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિને રૂંવે રૂંવેથી તોડી શકે એમ છે. એક તરફ રામલલ્લાની મનમોહક બાળ પ્રતિમામાં વિષ્ણુના, રામ પછી આવનારા (દશ) અવતારોનું નિરૂપણ છે, તો બીજી તરફ હરણી તળાવમાં ચૌદેક બાળ અવતાર પાણીમાં જતાં ભવિષ્ય ભેંકાર થઈ ગયું છે. અયોધ્યાની કૌશલ્યા પ્રસન્ન છે, પણ વડોદરાની માતાઓ પોતાનાં લલ્લાઓને અગ્નિ કે ભૂમિને સોંપતાં કાળજું કોતરી ચૂકી છે. કાળજું એક જ છે. તે આનંદથી ઊછળે છે ને તે જ તેજહીન પણ થઈ ગયું છે.

દશરથની અયોધ્યા નગરીનો આ નવો અવતાર છે. અયોધ્યાના અર્થમાં જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે. સરયૂનું જળ બદલાયું છે, પણ નામ બદલાયું નથી, તેની પવિત્રતા વધુ ફેલાઈ છે ને તે અધ્યાત્મરંગી, કેસરી રાજનીતિનું પરિણામ છે. ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય ભાવ મુદ્રા આસ્થાથી વિપરીત નથી. તેમને 2024નાં ચૂંટણી વિજયની પ્રાણપ્રતિષ્ઠા એમાં દેખાતી હોય તો પણ, આ કેવળ રાજકીય ઉત્સવ એટલે નથી, કારણ તે કોઈ એકાદ રાજ્યનું ધાર્મિક છમકલું નથી. હોય તો તે આટલું વિશ્વ વ્યાપી ન બને. દેશ આખામાં પ્રાણપ્રતિષ્ઠાની જે આબોહવા ઊભી થઈ છે, એ પૂર્ણ પણે રાજકીય હોય તો પણ, પ્રજાનું તેને જે રીતે રાષ્ટ્રીય સમર્થન છે, એમાં રામનામનો મહિમા જરા પણ ઓછો નથી. આખું આયોજન ચૂંટણીલક્ષી હોય તો પણ, આખા દેશને રામસૂત્રે બાંધવાનું પ્રજાની ભાગીદારી વગર શક્ય નથી. રામને નામે ઘણા પથરા તરી જવાના હોય તો પણ, બધા જ પથરા છે એવું નથી. પથરાને તરવા જેટલું જળ ન હોય તો એ તરે નહીં. એ સંદર્ભે પણ રામ મંદિરને કેવળ રાજકીય ઉપજ તરીકે જોવામાં અન્યાય રામને થશે.

એ પણ વિચારવાની જરૂર છે કે પ્રજા તરીકે આપણે વિપક્ષની પતાવટ કે પટાવટમાં હવે નથી આવતાં, આપણે વિપક્ષની ધર્મનિરપેક્ષતામાં દાયકાઓ સુધી આવતા જ ગયાં ને હવે નથી આવતા. કેમ? શાસક પક્ષ આપણને પટાવતો હોય તો પણ, એની વાતોમાં દેશનો ઘણો મોટો જનસમૂહ આવતો જ જાય છે. કેમ? કૈંક તો છે જે એની તરફ પ્રજાને ખેંચે છે. 28 વિપક્ષોમાં હવે એ કૌવત રહ્યું નથી જે શાસક પક્ષમાં પ્રજાને દેખાય છે. પ્રજા બહુ પામી ગઈ છે એવું નથી, પણ તેને દાયકાઓના અનુભવ પરથી એટલું સમજાયું છે કે વિપક્ષ તરફથી તો સાંત્વન પણ મળે એમ નથી. આ સ્થિતિ હોય ને પ્રજાએ છેતરાવાનું જ હોય, તો તે વિપક્ષથી છેતરાવા રાજી નથી, તે 2014 અને 2019ની ચૂંટણીએ સાબિત કરેલું જ છે. એમ પણ છે કે પ્રજા વળી એક વખત શાસકોથી છેતરાવા તૈયાર છે. કારણ તે કહેવાતી ધર્મનિરપેક્ષતાથી પર થઈ ચૂકી છે ને પ્રજા અબૂધ લાગતી હોય તો પણ, તે મૂરખ નથી. તેની રામમાં પહેલેથી આસ્થા હતી જ, તે કૈં શાસકોએ ઊભી કરી નથી. શાસકે તો માત્ર કજળી જવા આવેલી વાટને સંકોરી છે. ધર્મ પણ રાખ નીચે ધરબાયેલો હતો, તેને રાજકીય હેતુસર, શાસકોએ માત્ર ફૂંક જ મારી છે, પરિણામે રામજ્યોતિ પ્રજ્વલિત થઈ ઊઠી છે. રામનામને રાજકીય હૂંફ મળી હશે, પણ રામનામ હતું જ નહીં એવું ન હતું. શાસક પક્ષે તો વાયદો જ પૂરો કરવો હતો કે રામમંદિર બનાવીશું ને બન્યું. કમ સે કમ કહ્યું તે કર્યું તો ખરું !

બાબરી 1992માં ધ્વસ્ત થઈ તે સાથે દેશ કોમી રમખાણોમાં પણ સપડાયો, એમાં પહેલી વખત બહુમતીનો અવાજ લઘુમતીથી દબાયો નહીં. એ લોકમિજાજ પરખાયો હોત ને તે વખતના શાસકોને આ બદલાવ સમજાયો હોત, તો રામ મંદિરની અનિવાર્યતા પણ પ્રતીત થઈ હોત, પણ તેવું ન થયું ને રામ મંદિર 2014/2019ના શાસકોનો એજન્ડા બન્યો ને વાત આજે પ્રાણપ્રતિષ્ઠા સુધી આવી છે. આ રાજકીય નાટક હોય અને શાસકો પ્રજાની ધર્માંધતાનો લાભ લેતા હોય તો પણ, આખું કોળું દાળમાં ગયું નથી. ધારો કે પ્રજાને ધર્મને નામે મૂરખ બનાવાઈ હોય તો પણ, રામ તો કોઈની ચાલમાં આવે એમ નથી. એ ખરું કે મંદિરની પ્રક્રિયા પૂરી થઈ નથી, પણ શરૂ જ નથી થઈ એવું પણ નથી.

એ ખરું કે વડા પ્રધાન કે મુખ્ય મંત્રી દેશ કે રાજ્યમાં બધે પહોંચી શકે નહીં. જ્યાં ન પહોંચાય ત્યાં તંત્રો તેમના વતી કામ કરતાં હોય છે, કેટલાંક તંત્રો વફાદારીથી વર્તે છે, તો કેટલાંક નફાદારીથી પણ વર્તે છે. મોટેભાગનાં તંત્રો નિર્લજ્જ, નિષ્ઠુર ને નિકંદન કાઢી નાખનારાં હોય છે, એનું વરવું ઉદાહરણ હરણી બાળ હત્યાઓ છે. સાવ નિર્દોષ બાળકો, જે આનંદ માણવા સ્કૂલના પ્રવાસમાં નૌકાવિહારના હેતુએ જોડાયાં હતાં, પણ એક કમનસીબ પળે હોડી ઊંધી વળી ગઈ. એ પછી ‘હાહાકાર’ જ બચ્યો. આવે વખતે જેમની ફરજ નથી તેવા લોકો આગળ આવે છે ને જેમની જવાબદારી છે તેવા પાછળ રહેતા હોય છે. અહીં પણ એમ જ થયું.

બાળકોને બચાવવાની કામગીરી થાય કે ન થાય, સરકાર એક્ટિવ મોડ પર આવી જતી હોય છે. પહેલું કામ તે મૃતકોનાં કુટુંબીજનો તરફ આર્થિક સહાય ફેંકવાનું કરે છે, તે એવી રીતે કે કૂતરું ઘવાયા પછી રોટલાના ટુકડા માટે વલખતું હોય ! મદદ જરૂરી છે એની ના નથી, પણ જે રીતે આ વ્યવહાર થાય છે તે યાંત્રિક અને બીભત્સ છે. કોઈ શત્રુ પણ મૃતકનું વળતર આ રીતે ન ઈચ્છે. જેનું બાળક ગયું હોય ને જેનાં પર આખું ભવિષ્ય અનેક સપનાઓથી માબાપે સજાવેલું હોય, તેનું હૈયું વલોવી નાખતું રૂદન સાંત્વના ઇચ્છતું હોય ને એવે વખતે એને માથે હાથ મૂકી આશ્વસ્ત કરવાને બદલે, આર્થિક ભીખ ફેંકવાનું અપમાનિત કરનારું છે. એ પછી સરકાર ગોખેલું બોલવા લાગે છે કે જવાબદારોને બક્ષવામાં નહીં આવે. એ જેટલા જુસ્સાથી બોલાય છે એટલા જ જુસ્સાથી લોકો જાણી જાય છે કે આવી જાહેરાત થતાંની સાથે જ, ડૂબતાંને તો ઠીક, જવાબદારોને બચાવવાની કોશિશ શરૂ થઈ જાય છે.

એ પછી કાવતરું એ ઘડાય છે કે એક – બીજાને, બીજો – ત્રીજાને, ત્રીજો – ચોથાને જવાબદાર ઠેરવવા લાગે છે. આક્ષેપોનો ખો અપાવા લાગે છે ને એમાં જવાબદારો સંતાવામાં સફળ થાય છે. હરણી કાંડમાં પણ એમ જ થયું. કોઈને આ કાંડમાં શાળાની ભૂલ જણાઈ છે, તો કોઈને એજન્સીઓ જવાબદાર લાગી છે ને તેણે મેન્ટેનન્સમાં લોથ વાળી છે. કોઈને બોટ ખરાબ લાગી છે, તો કોઈને ફાયર સેફટીનાં સાધનો એક્સપાયરી વીતી ચૂકેલાં લાગ્યાં છે. બોટની ક્ષમતા કરતાં બેસનારાઓની સંખ્યા ઘણી વધુ થઈ ગઈ … જેવી વાતો થોડા દિવસ ચાલશે ને નવી કોઈ ઘટના બનશે કે આના પર રાખ વળી જશે. સીટની રચના આમાં પણ થઈ છે, કોર્ટ પણ કોઈને જવાબદાર ઠેરવશે અને આપણે વળી નવી કોઈ ઘટના માટે કાળજું કઠણ કરવું પડશે. આ આઘાતો એવા છે કે તંત્રોને વધુ રીઢા અને સંવેદનહીન બનવાની તાલીમ આપે છે ને જે વેઠે છે તે તો આઘાતોથી જ બેવડ વળી જાય છે. આમાં જેનું જાય છે, તેનું જાય છે ને બાકીનાને તો ‘દિવાળી’ જ થતી રહે છે. તંત્રો જાગતાં નથી એવું નથી. રાબેતા મુજબ જાગે છે ને રાબેતા મુજબ ઘોરી પણ જાય છે. આ દેશની કમનસીબી એ છે કે જે થાય છે તે નિર્દોષોને ને જવાબદારોને ભાગ્યે જ કૈં થાય છે. જવાબદારો, કૈં થવાનું નથી એવા વિશ્વાસે વધુ રીઢા અને બેફિકર થઈ જાય છે ને કઇ થવાનું નથી એવો વિશ્વાસ પીડિતોને વધુ નિ:સહાય અને નિષ્ક્રિય કરે છે. સૌથી મોટી દારૂણ હોનારત જ આ છે કે પીડિતને બધું જ થાય છે ને જવાબદારને કૈં થતું જ નથી.

પાઠ ભણાવવા મોરબી પુલ ઘટના થઈ જને ! હરણીમાં મેન્ટેનન્સનો મુદ્દો આવે, પણ મોરબીનો તો પુલ નવો હતો. વડોદરામાં જ 1993માં સૂરસાગરમાં હોડી ડૂબી હતી ને 22 જીવ ગયા હતા, સુરતમાં ટ્યૂશન ક્લાસમાં વિદ્યાર્થીઓ ચોથે માળેથી ભડકો થઈને કૂદ્યા ને કોલસો થઈ ગયા. શું થયું? સવાલ એ થાય કે આવાં કેટલાં મોત પછી આપણે બોધપાઠ લેવાના છીએ? એ ખરું કે તંત્રો બધું રાખ થઈ જાય પછી પગલાં ઝડપથી ભરવા લાગે છે. હોડી ડૂબે છે તો બીજે બોટિંગ ઠીક ચાલતું હોય, તેની પથારી પહેલાં ફેરવે છે. દ્વારકા, રાજકોટમાં બોટિંગ બંધ કરી દેવાયું. સુરતમાં ત્રણેક લેકમાં તો બોટિંગ વખતે લાઈફ જેકેટ આપવાનાં પણ હોય એવું જ્ઞાન જ હરણી ઘટનાએ આપ્યું. તંત્રો સાવ જ નિષ્ક્રિય છે એવું નથી, હરણી કાંડમાં બોટનું મેન્ટેનન્સ 6 વર્ષે, એક પણ વાર થાય નહીં, એની ભારે કાળજી તંત્રે રાખી જ છે. સુરતમાં એક ટ્યૂશન ક્લાસમાં આગ લાગી તો ઘણા ક્લાસિસ પર તવાઈ આવેલી. પુલ તૂટે છે, તો બાકીના પુલ ધંધે લાગી જાય છે, એમાં વિવેક તો નથી જ, પણ યોગ્ય પાસેથી તોડ પાડવાની બેશરમી પણ છે. આ બધું જરા ય નવું નથી, પણ હરામની કમાણીની આપણને એવી ભૂખ ફૂટી છે કે આખી પૃથ્વી ગળી જઈએ તો બ્રહ્માંડ ગળવાની નવી ભૂખ ઊઘડે છે. સાચું તો એ છે કે આપણું રૂંવાડું ફરકે એમ જ નથી, કારણ એ ફરક્વા પણ ચામડી જોઈએ …

એ કેવો સંયોગ છે કે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થવા પહેલાં, પ્રાણહરણનો ઉપક્રમ, માનવસર્જિત હોવા છતાં કુદરતી લાગે એમ યોજાયો. આયોજન બંનેમાં છે. એકમાં ખબર છે, એકમાં નથી. એ પણ યોગાનુયોગ જ છે કે પહેલાં રામ બોલો … થયું છે ને પછી જયશ્રી રામ થવા જઇ રહ્યું છે …   

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 જાન્યુઆરી 2024

Loading

...102030...684685686687...690700710...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved