Opinion Magazine
Number of visits: 9457359
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બદલો લેવાની ભાવના બદલો 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 February 2024

રવીન્દ્ર પારેખ

પરિવર્તન જીવનનો નિયમ છે, પણ પરિવર્તન કયું? સહજ ક્રમે આવે તે, કે કોઈ ખાસ હેતુ માટે થોપવામાં આવે તે? બંનેમાં કશુંક બદલાય છે. બંનેમાં લાભ અને હાનિ છે. ફરક એટલો છે કે એક કુદરતી છે ને બીજું, માનવ સર્જિત છે. સ્ત્રી-પુરુષ વચ્ચે આહાર, નિદ્રા, ભય અને મૈથુન કુદરતી છે. મૈથુન અને બાળજન્મ માટે સમાજે લગ્નની વ્યવસ્થા નક્કી કરી છે. હવે તો સજાતીય લગ્નો પણ સહ્ય ગણાય છે, તો ક્યાંક લગ્ન જ સહ્ય નથી, એવું પણ છે. તે એટલે પણ કે લગ્ન કરતાં લગ્નેતર સંબંધોનું પ્રમાણ વધતું આવતું હોય, તો લગ્નનું મહત્ત્વ કેટલુંક રહે તે પણ પ્રશ્ન જ છે. લગ્નને બંધન માનનારાં પણ લગ્નમાં બહુ સંડોવાતાં નથી અને લિવ ઇન રિલેશનશિપને વધુ સગવડ ભરેલા વિકલ્પ તરીકે જુએ છે. એમાં બંધન નથી, તેથી જવાબદારી નથી એવું નથી. તેમાં સગવડ એ છે કે ફાવે ત્યાં સુધી સાથે રહો ને ન ફાવે તો અલગ થઈ જાવ. મોટે ભાગે આવા સંબંધમાં સંતાન ઇચ્છનીય હોતું નથી, એટલે બાળઉછેરની જવાબદારી પણ રહેતી નથી. એ નથી રહેતી એટલે ઘડપણમાં કેવી રીતે રહેવું તે પણ જાતે જ નક્કી કરવાનું રહે છે. જેમને જવાબદારી વગર એકલાં રહેવાનું ગમે છે તેવા લોકો માટે લિવ ઇન… સારો વિકલ્પ છે, પણ જેમને જવાબદારી ઉપાડવાનો વાંધો નથી, તેવા લોકો માટે લગ્ન એક ઉત્તમ વિકલ્પ છે. લગ્ન સંસ્થાની ઘણી મર્યાદાઓ છે, છતાં એનાથી વધુ સારો વિકલ્પ જગત પાસે બીજો નથી.

લિવ ઇન..માં કે લગ્નમાં બે વ્યક્તિઓ સિવાય બીજું કોઈ સાથે હોતું નથી, ત્યાં સુધી જે વેઠવાનું આવે છે તેની એ બેને થાય તેથી વધુ અસરો બીજાને વર્તાતી નથી, પણ લગ્ન પછી જેમને કુટુંબમાં રહેવાનું થાય છે, તેમની સમસ્યાઓ વ્યાપક અસર પાડતી હોય છે. એવે વખતે પતિ-પત્ની જેટલી સ્વસ્થતા દાખવે એટલો ઉકેલ વધુ હાથવગો હોય છે. લગ્ન બે કુટુંબોની સંમતિથી થાય છે, તેથી સમસ્યાઓમાં કુટુંબો પણ સંડોવાય છે કે ઉકેલ તેમના દ્વારા પણ આવતો હોય છે. બને છે એવું કે સમસ્યાઓ મોટે ભાગે સંડોવાયેલાં કુટુંબોમાં, પ્રમાણભાન કે વિવેક ન જળવાવાને લીધે સર્જાય છે. બંને કુટુંબો પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ વધે એની ચિંતા કરે તો સમસ્યાઓ વકરતી અટકે ને ઉકેલ પણ સરળ થઈ જાય છે. ઘણાં કુટુંબોમાં એ રીતે સમસ્યાઓ દૂર થાય પણ છે, પણ બે કુટુંબો નવ પરિણીતોનો વિચાર કર્યાં વગર કૌટુંબિક અહમ્ વચ્ચે લાવે છે, તેને તો ઈશ્વર પણ બચાવી શકતો નથી.

આટલી ભૂમિકા સાથે એ જોઈએ કે કુટુંબો, પતિ-પત્ની વચ્ચે આવી જઈને કેવી રીતે તેમની વચ્ચેનાં પ્રેમનો સર્વનાશ કરતાં હોય છે. આજે પણ આપણો સમાજ પિતૃસત્તાક છે. લગ્ન કરીને વહુ સાસરે આવે છે, એટલે એનાં કુટુંબને શરૂઆતમાં થોડો ઝૂરાપો લાગે છે, એ પછી એ કુટુંબ દીકરી વગર જીવતાં શીખી જાય છે. એ રીતે કુટુંબમાં બહુ ફેર પડતો નથી, પણ વહુ સાસરે આવે છે તો એક નવું વ્યક્તિત્વ આખા કુટુંબમાં ઉમેરાય છે. તેમાં પણ નોકરી કે વ્યવસાયને કારણે લગ્ન પછી દીકરો-વહુ, બીજે સ્થાયી થવાના હોય, તે સંજોગોમાં પણ, કુટુંબને બહુ ફરક પડતો નથી, પણ વહુ કાયમને માટે સાસરે આવી હોય ત્યાં, કેટલુંક બદલાય છે. એક વાત બહુ સ્પષ્ટ છે કે વહુએ સાસરે રહેવાનું છે ને એડજસ્ટ તેણે જ કરવાનું છે. એ પિયરમાં જે રીતે રહી હોય એમ જ સાસરે રહેવાનું બને તો સારી વાત છે, પણ તેવું ન બને તો સમાધાન તેણે જ કરવાનું આવે છે. બદલાવાનું તેણે છે, સાસરાએ નહીં ! એવે વખતે પિયરની તેણે ભોગવેલી જાહોજલાલીનું કીર્તન કર્યાં કરવાથી તો સાસરાને નીચું દેખાડવા જેવું થશે, એટલું જ નહીં તે સાસરામાં અળખામણી પણ થશે. એ સ્થિતિમાં પતિ જ તેનો આધાર હશે અને એ જો જાણશે કે તેની પત્ની કુટુંબમાં પિયરની કથા કહીને વર્ચસ્વ ભોગવવા માંગે છે, તો તે પણ સાથ નહીં આપે ને એ બંને વચ્ચે માન / મોહભંગ પણ વહેલો થશે.

રહી વાત સાસરાની, તો તેણે એટલું સમજવાનું રહે કે આવનારી વહુ એકાએક સમાધાન ન સાધી શકે કે કોઈ વાતે તેની મુશ્કેલી વધે, તો તેને અનુકૂલન સાધવાનો પૂરતો સમય આપવો જોઈએ. એમાં સૌથી વધુ મદદ સાસુ કરી શકે. એક દિવસ તે પણ આ જ રીતે, આજે જે સૌથી પરિચિત વાતાવરણમાં છે, ત્યાં સાવ નવી હતી ને ધીમે ધીમે તે ગૃહસ્વામિની થઈ શકી. એવી તક સાસુએ વહુને પૂરી પાડવાની રહે. એ તક પૂરી પાડશે, તો અન્ય સભ્યો પણ તેને અનુસરશે. આમ થવું જોઈએ, પણ ઘણાં કુટુંબોમાં થતું નથી. સાસુએ જે વેઠ્યું, તે વહુ પણ વેઠે એ માનસિકતા ઘર કરી ગઈ હોય છે ને તે આગળ જતાં ઘર ભાંગવાનું કારણ બને છે. વહુ, એ બદલો લેવાનું સાધન નથી. આજે ઘણાં કુટુંબોમાં બદલો ન લેવાનો બદલાવ આવ્યો છે એ સારી વાત છે. સાસુ અને મા, સમાન સ્તરનાં મહત્ત્વનાં કૌટુંબિક પદો છે, પણ વહુને મા જેટલી વ્હાલી છે, એટલી સાસુ નથી. એવું જ પુત્રને તેની મા જેટલી વ્હાલી લાગે છે એટલી પત્નીની મા નથી જ લાગતી. જો કે, વહુ સાસરે દીકરી બને એમ પણ થયું છે ને સાસુએ વહુની માનું સ્થાન લીધું હોય એમ પણ થયું છે. વિધવા વહુનું કન્યાદાન સાસુ-સસરાએ કર્યું હોવાના દાખલા નથી એવું નથી, પણ એનું પ્રમાણ ઓછું છે. મોટે ભાગે તો પરસ્પર સ્પર્ધાભાવ અને શત્રુભાવ જ કેન્દ્રમાં રહ્યો હોય છે.

એવું નથી કે વહુ બધે સીધી સાદી જ હોય. તેનાં પેટમાં પણ ઘણા આંટા હોય એમ બને, ખાસ કરીને તે અમીર કુટુંબમાંથી સાધારણ કુટુંબમાં આવી હોય ત્યારે તે વધુ આક્રમક અને વઢકણી બનતી હોય છે. તે ઘણું ખરું એવું માનતી હોય છે કે તે પતિને જવાબદાર છે, એટલી કોઈને નથી. આ ઠીક નથી. આમ થવામાં તેનું પિયર ભાગ ભજવતું હોય એમ બને. પિયરનો ઢંઢેરો સાસરે વગાડવાથી કે સાસરાનો ઢોલ પિયર વગાડવાથી સિલકમાં તો આંસુ જ બચે છે. વહુએ પોતાની સમજદારીથી એ નક્કી કરી લેવાનું રહે કે સાસરામાં પિયરને કેટલું આવવા દેવું ને પિયરમાં સાસરું કેટલું લઈ જવું? કારણ કે દીકરી સાથે મા વધુ સંકળાયેલી હોય છે ને તેને દીકરીની ચિંતા હોય જ છે, તેમાં જો પોતાની અમીરીનો સંસ્પર્શ ભળે તો દીકરી ઓવર પ્રોટેક્ટેડ થઈ જાય છે. આવી વધુ પડતી સુરક્ષામાં માતા દીકરીના સુખમાં ઝેર વાવતી જાય છે. દીકરી બહુ મોટી ફરિયાદ લઈને ન આવે તો મમ્મીએ બને ત્યાં સુધી દીકરીના સાસરામાં માથું ન મારવું જોઈએ. દીકરીને ઘર અને વર જોઈને પરણાવી હોય, પછી તેનાં સાસરા પર ભરોસો રાખવો જોઈએ. દીકરી પણ કોઈ ઉકેલ પૂછતી હોય તો ત્યાં દોડી ન જતાં, તેને તેની રીતે રસ્તો કાઢવાનું સૂચવવું જોઈએ. ઘણી માતાઓ તોરમાં ને તોરમાં દીકરીને પિયર તેડાવી લેતી હોય છે. એમાં ઉતાવળ થતી હોય તો રોકવી જોઈએ. છાશવારે દીકરીને પિયર તેડાવવામાં તેને ખોટી ટેવ પાડવા જેવું ન થવું જોઈએ, કારણ દીકરી પછી તેનો સાસરામાં શસ્ત્ર તરીકે ઉપયોગ કરતી થાય છે. દીકરી સાસરે રહેતી હોય ને મોઢું પિયર ભણી જ રાખતી હોય તો જોખમ બંને પક્ષે રહેતું હોય છે.

એવી ઘણી વહુઓ છે જે વાતે વાતે પિયર જવાની ધમકી આપતી રહે છે. જરા કઈં થયું નથી કે પિયર દોડી નથી. સાસરામાં ગંભીર સમસ્યા ઊભી થઈ હોય ને દીકરી ઝઘડીને આવી હોય તો પિયરે તે તરફ ધ્યાન આપવું જ જોઈએ, પણ સાસરાને બતાવી દેવા, ઇગો સંતોષવા પિયર આવી હોય કે પતિ સાથે કોઈ વાતે ખટરાગ થતાં પિયર દોડી ગઈ હોય ને દેખીતી રીતે જ વાંક દીકરીનો હોય, તો તેને છાવરીને પિયર, દીકરીનું અહિત જ કરે છે. આવે વખતે દીકરીને ઊંડે ઊંડે એવી ખાતરી હોય છે કે તેને તો તેનું પિયર રાખવા તૈયાર જ બેઠું છે, પણ એ મોટે ભાગે ભ્રમ પુરવાર થાય છે. સાચું તો એ છે કે થોડા દિવસ માટે દીકરી પિયર આવી હોય તો માને પાને રહે છે, પણ તે કાયમને માટે આવે તો ત્યાં પણ અનવોન્ટેડ જ બની રહે છે ને ખાસ તો ભાભી સાથે તકરારનું કારણ ઉમેરતી રહે છે. સાસરું છોડીને આવેલી કે સાસરેથી તગેડાયેલી દીકરી, પિયરમાં કદી પણ પૂર્વવત્ માન મેળવી શકતી નથી, એવું ખરું કે કેમ?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 04 ફેબ્રુઆરી 2024

Loading

અંદરનાં પંખી

બીજલ જગડ|Opinion - Opinion|4 February 2024

અંદરના પંખીની સંતો વાત કરે છે 

પાંખો પ્રસરાવીને શરૂઆત કરે છે.

સમુદ્રની છાતી પર ઊગેલો સૂરજ,

ભર બપોર છાયડો કદ ઊંચો કરે છે.

સંધ્યા ટાણે સૂર્ય સૌની સામે ડૂબી,

આંખ આંજી ને શરૂઆત કરે છે.

એક આખો દરિયો આંખની અંદર,

અગોચર આ સંગમ અંતર ભરે છે

બજી રહ્યું અંદર ઝીણું મૂક જંતર,

કોઈ અગોચર ખૂણે વેદોના મંતર 

માટીનો ખેલ ને ઘટઘટમાં બિરાજે રામ,

આ સીધી સાફ વાત વેદ ગીતા કહે છે.

ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com

Loading

પાકિસ્તાનના સ્થાપકોની બેવકૂફીમાંથી શું શીખીશું?

રમેશ ઓઝા|Opinion - Opinion|4 February 2024

રમેશ ઓઝા

ગયા સપ્તાહના મારા લેખમાં મેં બે સવાલ પૂછ્યા હતા. એક, શા માટે બંધારણસભામાં ઉપસ્થિત સોએક જેટલા હિંદુહિતને વરેલા સભ્યોએ હિંદુ ભારતની વાત ન કરી અને બે, શા માટે હિંદુ ભારત ઇચ્છનારાઓએ ત્યારે પોતાની કલ્પનાના ભારત વિશેનો મુસદ્દો માગવા છતાં ય નહોતો રજૂ કર્યો?

અહીં બહુ ઇતિહાસમાં ઉતરવાની જરૂર નથી, પણ એટલું જણાવી દઉં કે ભારતના વિભાજનનો પ્રસ્તાવ કાઁગ્રેસે અને મુસ્લિમ લીગે સ્વીકાર્યો એ પછી બંધારણસભામાંથી મુસ્લિમ લીગના ૭૩ સભ્યોએ રાજીનામાં આપ્યાં હતા. હવે તેમણે પાકિસ્તાનનું બંધારણ ઘડવાનું હતું અને ભારતની બંધારણસભામાં તેમનું કોઈ કામ નહોતું. એ વાત પણ આપ જાણતા હશો કે પાકિસ્તાને પણ તેની બંધારણસભા રચી હતી, પરંતુ આંતરિક મતભેદોને કારણે તેઓ પાકિસ્તાનનું બંધારણ ઘડી શક્યા નહોતા. એ મતભેદનો વિષય એક જ હતો : પાકિસ્તાન લોકતાંત્રિક સેક્યુલર રાષ્ટ્ર હોવું જોઈએ કે ઇસ્લામિક રાષ્ટ્ર? જો પાકિસ્તાનને ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવામાં આવે તો માત્ર અને માત્ર અલ્લાહની પ્રભુસત્તા (સોવરેન્ટી) સ્વીકારવી પડે અને નાગરિકનો ખો નીકળી જાય. જો નાગરિકનો ખો નીકળી જાય તો પ્રજાસત્તાક રાજ્યનો ખો નીકળી જાય અને નાગરિક તેના અધિકાર ઇસ્લામની સામે ગુમાવે. અને ઇસ્લામ એટલે શું? ઇસ્લામ તો અમૂર્ત છે, તેનું અર્થઘટન કરનારાઓ મૂર્ત છે. ટૂંકમાં ધર્મના ઠેકેદારોનું પ્રજા ઉપર રાજ સ્થાપિત થાય.

મહમ્મઅલી ઝીણા

આંતરિક સાઠમારી પછી છેવટે ઇસ્લામવાદીઓનો વિજય થયો, પાકિસ્તાન ઇસ્લામિક રાષ્ટ્ર બન્યું અને એનું જે પરિણામ આવ્યું એ તમે જાણો છો. ધર્મના ઠેકેદારો, ધર્મરક્ષકો, ઇસ્લામિક રાષ્ટ્રની રક્ષા કરનાર લશ્કર અને તેનું આર્થિક રીતે પોષણ કરીને આર્થિક લાભ લેનારા આંગળિયાત કુબેરપતિઓનો ત્રિકોણ રચાયો. હવે વિડંબના જુઓ! ભારતનાં મુસલમાનો અલગ રાષ્ટ્રીયતા ધરાવે છે, હિંદુ અને મુસલમાન વચ્ચે કશું જ સમાન નથી એટલે ભારતીય મુસલમાનને તેની અલગ ભૂમિ મળવી જોઈએ એમ કહેનારા મહમ્મદ અલી ઝીણા અને મુસ્લિમ લીગના બીજા પ્રગતિશીલ મુસલમાનોને જાણ હતી કે જો પાકિસ્તાન ઇસ્લામિક રાષ્ટ્ર બનશે તો તેનાં એ હાલ થશે જે વાસ્તવમાં થયાં. પણ કરે શું? કારણ કે ઇસ્લામવાદીઓની દલીલ મજબૂત હતી કે જો પાકિસ્તાનને ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવું નહોતું તો ભારતથી અલગ થવાની જરૂર શું હતી? ભારતના નેતાઓએ તો જાહેરાત કરી જ દીધી હતી કે ભારત સેક્યુલર લોકતાંત્રિક રાષ્ટ્ર બનવાનું છે.

હવે મહમ્મદ અલી ઝીણા અને મુસ્લિમ લીગના બીજા પ્રગતિશીલ નેતાઓ મુસલમાનોનું અલગતાવાદી રાજકારણ કરતા હોવા છતાં તેમને એ વાતની જાણ હતી કે રાષ્ટ્ર તો સેક્યુલર લોકતાંત્રિક જ હોવું જોઈએ જેમાં નાગરિકને તેનાં અબાધિત અધિકારો હોય અને કાયદાનું રાજ હોય. કાયદાના જવાબદાર રાજ્યમાં લઘુમતી કોમને ફાયદો થાય છે એનાં કરતાં બહુમતી કોમને વધારે ફાયદો થાય છે. જો બહુમતી પ્રજાની ઓળખ (પછી ધર્મ, ભાષા, વંશ કે બીજી કોઈ પણ) આધારિત રાષ્ટ્ર સ્થાપવામાં આવે તો લઘુમતી કોમને તો જે નુકસાન થવાનું હોય તે થાય, તેમાં બહુમતી કોમને વધારે નુકસાન થાય, કારણ કે તે બહુમતીમાં છે. લઘુમતી કોમને નુકસાન પહોંચાડવા માટે બહુમતીનું નખોદ ન વળાય. માત્ર બેવકૂફો જ આવું કરે! માટે પાકિસ્તાનની સ્થાપના પછી ઝીણા અને તેમના સાથીદારોએ જેમાં બહુમતી મુસલમાનોને ફાયદો થાય અને નુકસાન ન પહોંચે એવું જવાબદાર કાયદાનું રાજ ઈચ્છતા હતા. એને કારણે પાકિસ્તાનમાં વસતા હિંદુઓ અને સીખોને ફાયદો થતો હોય તો ભલે થાય. હું ભલે મરું પણ તને રાંડ કરું એવો વિદ્વેષ બેવકૂફી છે.

મહમ્મદ અલી ઝીણા અને તેમના સાથીઓને સફળતા મળી નહીં. સાધન જ ખોટું હતું એટલે સફળતા મળે તેમ પણ નહોતી અને આગળ કહ્યું એમ ધર્મના ઠેકેદારો, ધર્મરક્ષકો, ઇસ્લામિક રાષ્ટ્રની રક્ષા કરનાર લશ્કર અને તેનું આર્થિક રીતે પોષણ કરીને આર્થિક લાભ લેનારા આંગળિયાત કુબેરપતિઓની ધરી રચાઈ અને પાકિસ્તાન તેમાં હોમાઈ ગયું.

ભીમરાવ આમ્બેડકર

જેમ મહમ્મદ અલી ઝીણા અને તેમના પ્રગતિશીલ મુસ્લિમ નેતાઓ જાણતા હતા કે બહુમતી પ્રજાનું હિત કાયદાના રાજમાં જ છે અને હું ભલે મરું પણ તને રાંડ કરું એ ન્યાયે લઘુમતી તરફના દ્વેષથી પ્રેરાઈને બહુમતી પ્રજાને ઠેકેદાર વરુઓના વિકરાળ મુખમાં ધકેલી દેવી એ બેવકૂફી છે એમ ભારતના હિંદુ નેતાઓ પણ જાણતા હતા કે સ્વતંત્ર ભારતમાં હિંદુહિત શેમાં છે. એટલે તો ભારતની બંધારણસભામાં હિંદુહિતને વરેલા હિંદુ સભ્યો બહુમતીમાં હોવા છતાં કોઈએ કહ્યું નહોતું કે જ્યારે મુસલમાનો તેમનું ઇસ્લામિક રાષ્ટ્ર રચી રહ્યા છે ત્યારે હિંદુઓએ હિંદુ રાષ્ટ્ર રચવું જોઈએ. તેમને જાણ હતી કે બહુમતી હિંદુઓનું હિત સેક્યુલર લોકતાંત્રિક પ્રજાસત્તાક રાજ્યમાં છે જે મૂળભૂત રીતે કાયદાનું રાજ હોય. તેમાં લઘુમતીને આશ્રય મળે છે એટલે તેમને બેઘર કરવા આખું ઘર સળગાવી દેવાનું ન હોય. વાડ સાથે એરંડો પાણી પીતો હોય તો પીવા દેવો જોઈએ. એરંડાને તરસ્યો રાખવા વાડ(શેરડી)ને તરસ્યો ન રખાય. આને સાદી સમજ કહેવામાં આવે છે જે વિવેકીજનોમાં હોય છે. વિવેકી એ કહેવાય જેને ક્યાં સુધી જવું અને ક્યાં થોભવું એનું ભાન હોય છે.

પણ કોમવાદીઓ લઘુમતી કોમને બેઘર કરવા માટે સમૂળગા ઘરને સળગાવી દેવામાં માને છે. પાકિસ્તાનના ઇસ્લામિક કોમવાદીઓએ ઘર સળગાવી દીધું અને હવે આપણો વારો છે. ઝેરીલા કોમવાદીઓ પોતે જ પોતાનું ઘર સળગાવતા હોય ત્યારે ડફલી વગાડનારી બેવકૂફ પ્રજા પણ સાથ પૂરાવે છે. પાકિસ્તાની ઇસ્લામવાદી મુસલમાનોએ સાથ પૂરાવ્યો હતો. પાણી રેડવાની જગ્યાએ ડફલી વગાડતા હતા. આપણે ત્યાં પણ ડફલીના અવાજો સંભળાઈ રહ્યા છે અને એ અવાજો સાંભળીને ડર લાગે છે.

કનૈયાલાલ મુનશી

હવે અહીં એક પ્રશ્ન થવો જોઈએ. બંધારણસભામાં હિંદુહિતને વરેલા જે સભ્યો હતા તેમણે હું કહું છું એ કારણે સેક્યુલર લોકતાંત્રિક પ્રજાસત્તાક રાષ્ટ્રનો આગ્રહ રાખ્યો હતો અને કાયદાના રાજ માટે આગ્રહ રાખતા હતા તેનું શું પ્રમાણ? તમે કહો છો એટલે અમારે માની લેવાનું? ના. તેમાંના કેટલાક લોકો તેમના બંધારણસભામાંના અનુભવો વિષે લખતા ગયા છે. એમાંથી બે નામ હું તમને આપું છું જે બન્ને બંધારણનો મુસદ્દો ઘડનારી સમિતિમાં હતા. એક છે ડૉ આંબેડકર અને બીજા કનૈયાલાલ મુનશી. એક દલિત અને બીજા બ્રાહ્મણ. એ બન્નેએ તેમના અનેક લેખોમાં લખ્યું છે કે તેમણે સેક્યુલર લોકતાંત્રિક પ્રજાસત્તાક રાષ્ટ્ર માટે તેમ જ એકંદરે કાયદાના રાજ માટે શા માટે આગ્રહ રાખ્યો હતો. પ્રમાણ જોઈતું હોય તો બન્નેના ઓછામાં ઓછા દસ દસ લેખો મળી જશે. તેમની વાતનો એટલો જ કે દુ:શ્મનને બેઘર કરવા માટે ઘર બાળી ન નખાય. બહુમતી કોમનું હિત કાયદાના રાજમાં છે.

હવે બીજો સવાલ : શા માટે હિંદુ ભારત ઇચ્છનારાઓએ ત્યારે પોતાની કલ્પનાના ભારત વિશેનો મુસદ્દો માગવા છતાં ય નહોતો રજૂ કર્યો?

જવાબ બહુ દેખીતો છે. તેમને જાણ હતી કે બંધારણસભા તેમનાં મુસદ્દાને અને સૂચનોને ફગાવી દેશે. ફગાવી દેનારા સરદાર પટેલ, ડૉ રાજેન્દ્ર પ્રસાદ, કનૈયાલાલ મુનશી, અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર, એમ.એસ. અણે (જેમણે ગોલવલકરનાં વિવાદાસ્પદ પુસ્તક ‘વી ધ નેશનહૂડ દીફાઈન્ડ’ની પ્રસ્તાવના લખી હતી અને સંસ્કૃત ભાષામાં તિલકચરિત્ર લખ્યું હતું) એ લોકો ફાગાવી દેશે. જો આદરણીય હિંદુઓ હિંદુ રાષ્ટ્રનો મુસદ્દો ફાગવી દે તો વજન અને વજૂદ બન્ને ઘટે એટલે લખીને કે બોલીને કાંઈ આપવા કરતાં મૂંગા રહેવું વધારે સારુ. આમ પણ એ લોકો મુક્ત વિમર્શ કરતાં કર્ણોપકર્ણ વાત પહોંચાડવામાં વધારે માને છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 04 ફેબ્રુઆરી 2024

Loading

...102030...670671672673...680690700...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved