Opinion Magazine
Number of visits: 9741388
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતમાં અર્વાચીનતાના સૂરજના છડીદાર : ફાર્બસ (6) 

દીપક મહેતા|Opinion - Opinion|12 July 2024

૬

પોતે ગુજરાતનો જે ઇતિહાસ લખવા માગે છે તે અંગેની પૂરતી સામગ્રી એકઠી થઇ ગઈ છે એમ ફાર્બસને લાગ્યું. પણ સરકારી નોકરીનું કામકાજ કરતાં કરતાં આવું પુસ્તક લખવાનું મુશ્કેલ છે એ પણ તેઓ જાણતા હતા. આથી નોકરીમાંથી ત્રણ વરસની રજા લઈને સ્વદેશ પાછા જવાનું તેમણે નક્કી કર્યું. દલપતરામની ઈચ્છા સાહેબ સાથે ઇન્ગ્લન્ડ જવાની હતી. પણ એ વખતના જ્ઞાતિઓના વિધિ નિષેધોથી ફાર્બસ પૂરેપૂરા વાકેફ હતા એટલે તેમણે દલપતરામને કહ્યું કે ત્યાં પરદેશમાં તમે તમારો ધરમ નહિ સાચવી શકો. રોજેરોજ નળનું પાણી પીવું પડશે. પરિણામે પાછા આવ્યા પછી તમને ન્યાત બહાર મૂકવામાં આવશે. માટે તમે મારી સાથે ન આવશો. અત્યાર સુધી દલપતરામ ફાર્બસની અંગત નોકરીમાં હતા, અને પોતે સ્વદેશ પાછા જાય તે પછી દલપતરામ નોકરી વગરના થઇ જશે એ વાતનો પણ ફાર્બસને પૂરો ખ્યાલ હતો. આથી તેમણે મહીકાંઠાના પોલિટિકલ એજન્ટની ઓફિસમાં દલપતરામને નોકરી અપાવી. પછી ફાર્બસ અને તેમનાં પત્ની ૧૮૫૪ના માર્ચની ૨૮મી તારીખે મુંબઈથી જહાજમાં સ્વદેશ જવા રવાના થયાં. દલપતરામની મદદથી જે હસ્તપ્રતો અને બીજી સામગ્રી એકઠી કરી હતી તે બધી જ તેઓ પોતાની સાથે લઇ ગયા. આ સામગ્રી અને બીજાં કેટલાંક પુસ્તકોને આધારે તેમણે ‘રાસમાળા’ લખવાની શરૂઆત કરી. એ વખતે દર બે-ત્રણ મહીને ફાર્બસ દલપતરામને કાગળ લખતા. ૧૮૫૬માં ‘રાસમાળા’ પુસ્તક બે ભાગમાં પ્રગટ થયું તે પછી ફાર્બસ હિન્દુસ્તાન પાછા આવ્યા. ૧૮૫૭ના જાન્યુઆરીની ૧૦મી તારીખે તેઓ સુરત પહોંચ્યા અને એક્ટિંગ જજ અને એજન્ટ ટુ ધ ગવર્નરની જવાબદારીઓ સંભાળી. ભરૂચમાં ૧૮૫૭ના મે મહિનામાં મુસ્લિમ-પારસી રમખાણો ફાટી નીકળ્યાં. આતશબહેરામમાં બંદગી કરી રહેલા બે પારસીઓને મુસ્લિમોના એક ટોળાએ મારી નાખ્યા. મરનારમાંથી એક તો મોબેદ (ધર્મગુરુ) હતો. એક મુસ્લિમ અધિકારી હેઠળની સ્થાનિક પોલીસે આ બનાવ અંગે કોઈ અસરકારક પગલાં લીધાં નહિ. એટલે ૧૮૫૭ના જૂનની ૧૩મી તારીખે સરકારે સુરતથી મિસ્ટર એલેક્ઝાન્ડર રોજર્સને ભરૂચ મોકલ્યા. રમખાણો અંગે વિગતવાર અહેવાલ સરકારને તાબડતોબ મોકલવા તેમને જણાવાયું હતું. આ અધિકારીએ કરેલી તપાસને પરિણામે કેટલાક આરોપીઓને સેશન્સ કોર્ટમાં ઊભા કરવામાં આવ્યા હતા. ઓગસ્ટની ૨૩મી તારીખે સેશન્સ જજ તરીકે ફાર્બસે આ ખટલાનો ચુકાદો આપ્યો જેમાં તેમણે ૪૭ જણાને ગુનેગાર ઠરાવ્યા હતા. તેમાંના બેને ફાંસીની સજા ફરમાવી હતી. બીજા અગિયારને આજીવન કાળાં પાણીની સજા કરી હતી. બાકીનાને વધતી ઓછી મુદ્દતની જેલની સજા કરી હતી. ઝડપી અને વ્યાજબી ચુકાદા માટે ફાર્બસની પ્રશંસા થઇ.

૧૮૫૮ના માર્ચની ૨૪મી તારીખે ફાર્બસની બદલી ખાનદેશના જજ તરીકે થઇ. આ બદલીથી ફાર્બસ નાખુશ થયા હતા, કારણ પોતાના પ્રિય ગુજરાતથી તેમને દૂર જવું પડે તેમ હતું. હજી કાઠિયાવાડના ઇતિહાસ અને સંસ્કૃતિ વિષે ઘણું જાણવાનું બાકી છે એમ તેઓ માનતા હતા, અને એટલે કેટલોક વખત ત્યાં ગાળવા ઇચ્છતા હતા. આથી કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટની જગ્યાએ પોતાની બદલી કરવામાં આવે એવી તેમણે સરકારને વિનંતી કરી. એ વખતે પોલિટિકલ એજન્ટને જજ કરતાં ઓછો પગાર મળતો હતો તે જાણવા છતાં ફાર્બસે ગુજરાત પ્રત્યેના પ્રેમથી પ્રેરાઈને આ અરજી કરી હતી. પણ સરકારે તેમની આ વિનંતી તે વખતે તો સ્વીકારી નહિ. પણ થોડા વખત પછી એવા સંજોગો ઊભા થયા કે ફાર્બસને કાઠિયાવાડ મોકલવાનું સરકાર માટે જરૂરી બન્યું. પૂનાથી ગવર્નર લોર્ડ એલ્ફિન્સ્ટને ધૂળિયા તાર મોકલ્યો જેમાં લખ્યું હતું કે તમારી સાથે અગાઉથી વાત કર્યા વગર તમને કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ તરીકે મોકલવાનું મારે માટે અનિવાર્ય બન્યું છે. તમે આ જવાબદારી વહેલામાં વહેલી તકે ઉપાડી લો એ ખૂબ જ મહત્ત્વનું છે. આ તાર મળ્યેથી મુંબઈ જવા તરત રવાના થજો. વધુ વિગતો ટપાલથી જણાવું છું. ૧૮૫૯ના ઓક્ટોબરની ૧૧મી તારીખે ફાર્બસે કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટની જવાબદારી સંભાળી લીધી. ફાર્બસને આ રીતે તાબડતોબ કાઠિયાવાડ મોકલવાનું કારણ હતું ઓખામંડળના વાઘેરોએ કરેલો બળવો. ગાયકવાડ સરકાર સામે બગાવત કરીને આ વાઘેરોએ બરવાળા, દ્વારકા, અને બેટ કબજે કરી લીધા હતા. તેની આસપાસના પ્રદેશો પર પણ તેમની નજર હતી. તેમની સામે લડવા માટે બ્રિટિશ લશ્કરને મેદાનમાં ઉતારવાને બદલે ફાર્બસે કૂનેહપૂર્વક જૂનાગઢના નવાબની ફોજને એ જવાબદારી સોંપી. બંને વચ્ચે મોટું ધીંગાણ થયું અને છેવટે વાઘેરો હાર્યા. ત્યાર બાદ એ પ્રદેશમાં વ્યવસ્થા સ્થપાઈ અને સરકારે દ્વારકામાં એક પોલિટિકલ ઓફિસરની નિમણૂક કરી. આજીવિકા માટે ચોરી ને લૂંટફાટ કરવાને બદલે વાઘેરોને ખેતી કરવા સમજાવ્યા. સાથોસાથ લશ્કરમાં એક વાઘેર બટાલિયન બનાવી જેથી વધુ લડાયક મિજાજવાળા વાઘેરો તેમાં જોડાઈ શકે. જૂનાગઢના નવાબે પોતાની અલગ ફોજ ઊભી કરી તે અંગે અગાઉ બ્રિટિશ સરકાર નારાજ હતી. પણ ફાર્બસે સરકારને જણાવ્યું કે વાઘેરોનો સામનો કરવામાં એ ફોજ ખૂબ ઉપયોગી થઇ છે અને નવાબનો ઈરાદો ક્યારે ય એ ફોજને બ્રિટિશ લશ્કર સામે ઊભી કરવાનો છે જ નહિ. બલકે, આ કિસ્સામાં બન્યું હતું તેમ સરકાર પોતાના લશ્કરને બદલે નવાબની ફોજનો ઉપયોગ ભવિષ્યમાં પણ કરી શકે છે. વાઘેરોનો આખો મામલો ફાર્બસે જે રીતે સંભાળી લીધો તે અંગે સરકારે તેમનો આભાર માનતો પત્ર લખ્યો. ૧૮૬૦ના ફેબ્રુઆરીની ૨૪મીએ લખેલા પત્રમાં સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયાએ લખ્યું : “જૂનાગઢને લગતી બાબતો અંગે અને એ રાજ્યના ભવિષ્યના શાસન અંગે એક્ટિંગ પોલિટિકલ એજન્ટે તેમના અહેવાલમાં જે લખી જણાવ્યું છે તે જોતાં જણાય છે કે ફાર્બસ જેવા કુશળ અને વિવેકબુદ્ધિ ધરાવતા અફસરને આ કામ સોંપતી વખતે સરકારે જે આશા રાખી હતી તે પૂરેપૂરી યોગ્ય હતી.”૮   

આ કામગીરી પૂરી થયા પછી ફાર્બસ ફરી પાછા સુરત ગયા અને ૧૮૬૦ના માર્ચની ૨૫મી તારીખથી એક્ટિંગ જજ તરીકેની કામગીરી સંભાળી લીધી. ૧૮૬૧ના માર્ચમાં હેન્રી એન્ડરસન લાંબી રજા પર જતાં સરકારે ફાર્બસની નિમણૂક એક્ટિંગ સેક્રેટરી ટુ ધ ગવર્નમેન્ટ તરીકે કરી. ત્યાર પછી થોડા જ વખતમાં તેમને મુંબઈની સદર અદાલતના એક્ટિંગ જજની જગ્યા ઓફર કરવામાં આવી. (આ સદર અદાલત તે હાલની બોમ્બે હાઈકોર્ટની પુરોગામી અદાલત હતી.) ૧૮૬૧ના ડિસેમ્બરની ૧૩મી તારીખે ગવર્નર જ્યોર્જ રસેલ કલાર્કે લખ્યું :

“તમને સદર અદાલતમાં કામ કરવું ગમશે? જો ગમે તેમ હોય તો મારે તમારી નિમણૂક સદર અદાલતમાં કરવી જોઈએ. અલબત્ત, એમ કરતાં જ્યુડીશિયલ એન્ડ પોલિટિકલ સેક્રેટરી ટુ ધ ગવર્નમેન્ટ તરીકેનો તમારો લાભ મને મળતો બંધ થશે.”૯ 

૧૮૬૧ના નવેમ્બરની ૨૩મીથી ફાર્બસે મુંબઈમાં આ હોદ્દો સંભાળી લીધો. પણ એ વખતે આ અદાલતના  છેલ્લા દિવસો ગણાતા હતા. કારણ ૧૮૬૧ના ઓગસ્ટની ૬ઠ્ઠી તારીખે બ્રિટિશ પાર્લામેન્ટે ‘ઇન્ડિયન હાઈ કોર્ટ એક્ટ’ પસાર કરી દીધો હતો. આ કાયદા હેઠળ કલકત્તા, મદ્રાસ અને બોમ્બે ખાતે હાઈ કોર્ટની સ્થાપના કરવા માટેનું હુકમનામું જારી કરવાની સત્તા બ્રિટનનાં મહારાણીને આપવામાં આવી હતી. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે આ કાયદા દ્વારા આ ત્રણ અદાલતો સ્થપાઈ નહોતી, પણ કાયદા દ્વારા એમ કરવાની સત્તા મહારાણીને આપવામાં આવી હતી. એટલે ૧૮૬૨ના જૂન મહિનાની ૨૪મી તારીખે બોમ્બે હાઈ કોર્ટની સ્થાપના કરતું હુકમનામું મહારાણીએ બહાર પાડ્યું હતું. તેમાં બોમ્બે હાઈ કોર્ટમાં કુલ છ ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી હતી. આ છમાંના એક હતા એલેક્ઝાન્ડર ફાર્બસ. આમ તેઓ બોમ્બે હાઈ કોર્ટના પહેલવહેલા છ ન્યાયાધીશોમાંના એક બન્યા. બોમ્બે હાઈ કોર્ટની સત્તાવાર વેબ સાઈટ પર લખવામાં આવ્યું છે : 

“મિસ્ટર જસ્ટિસ એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ આઈ.સી.એસ. હિન્દુસ્તાનની સનદી સેવાના સભ્ય હતા અને ૧૮૬૨માં બોમ્બે હાઈકોર્ટની સ્થાપના થઇ ત્યારે જે પહેલા છ ન્યાયાધીશોની નિમણૂક થઇ તેમાંના તેઓ એક હતા. તેઓ પોતાના જમાનાના એક ઉમદા ન્યાયાધીશ હતા. આ દેશ વિષે તેઓની ઊંડી જાણકારી, હિન્દુસ્તાનની ભાષાઓ, તેના રીતરિવાજો પશ્ચિમ ભારતનું લોકસાહિત્યની જાણકારી વગેરેને લીધે તેઓ હિન્દુસ્તાનીઓમાં પણ ખૂબ લોકપ્રિય બન્યા હતા. તેમના સ્વભાવમાં એક ‘સંતનાં લક્ષણો’ જોવા મળતાં હતાં. યુનિવર્સિટી ઓફ બોમ્બેની એલએલ. બી.ની પરીક્ષામાં અપાતા ગોલ્ડ મેડલ દ્વારા તેમની સ્મૃતિ કાયમ કરવામાં આવી છે.”૧૦

(ક્રમશ:)
e.mail : deepakbmehta@gmail.com

Loading

राहुल गाँधी का हिन्दू धर्म बनाम आरएसएस का हिंदुत्व

राम पुनियानी|Opinion - Opinion|12 July 2024

राम पुनियानी

लोकसभा के हालिया (2024) चुनावों के परिणामों ने संसद को बहस और चर्चा का सार्थक मंच बना दिया है. वहां अब प्रतिपक्ष की आवाज़ भी सुनाई देती है. राष्ट्रपति के अभिभाषण पर धन्यवाद ज्ञापन पर हुई चर्चा के दौरान विपक्ष के नेता राहुल गाँधी ने अपने भाषण में देश के समक्ष प्रस्तुत विभिन्न चुनौतियों और समस्यायों पर चर्चा की. उनके भाषण के एक हिस्से में उन्होंने हिन्दू धर्म की प्रकृति और चरित्र पर भी बात की. उनके भाषण का यह हिस्सा शायद सदन की कार्यवाही से विलोपित कर दिया गया है. राहुल गाँधी ने कहा कि हिन्दू धर्म सत्य और अहिंसा पर आधारित है. “भारत, अहिंसा का देश है, भय का नहीं. हमारे सभी महापुरुषों ने अहिंसा का आचरण करने और भय पर विजय प्राप्त करने की बात कही है.” फिर, भाजपा सदस्यों की ओर इशारा करने हुए उन्होंने कहा, “जो लोग स्वयं को हिन्दू कहते हैं, वे दिन-रात हिंसा और नफरत की बात करते हैं और असत्य बोलते हैं.”

उसके बाद से राहुल के कथन के खिलाफ साधुओं ने कई विरोध प्रदर्शन किए और अहमदाबाद में कांग्रेस के कार्यालय पर हमला हुआ. संघ परिवार यह झूठ फैला रहा है कि राहुल ने सभी हिन्दुओं को हिंसक कहा है. राहुल ने इसके उलट यह साफ़ किया है कि उनकी दृष्टि में हिन्दू धर्म सत्य, अहिंसा और प्रेम पर आधारित है. संघ के नेता कह रहे हैं कि नेहरु से लेकर राहुल गाँधी तक सभी की विचारधारा का ज़मीनी यथार्थ से कोई लेनादेना नहीं रहा है. उनके अनुसार, नेहरु-गाँधी परिवार के सभी नेता केवल अपना वोट बैंक बचाने की जुगत में अल्पसंख्यकों से जुड़े मसले उठाते रहे हैं.

इंडिया गठबंधन के कई नेताओं ने हिन्दू धर्म को मानवतावाद से जोड़ने के राहुल गाँधी के प्रयास का समर्थन किया है. कई सालों से देश में हिन्दू धर्म और हिंदुत्व ये दोनों शब्द इस्तेमाल किये जा रहे हैं. उद्धव ठाकरे ने कहा कि राहुल गाँधी का हिन्दू धर्म ही उनका हिंदुत्व है. आरएसएस ने कर्ताधर्ता नेहरु की इसलिए भी आलोचना करते हैं क्योंकि उनके द्वारा शुरू किये गए साम्प्रदायिकता विरोधी अभियान के निशाने पर आरएसएस था. वे नेहरु के इसलिए भी खिलाफ हैं क्योंकि उन्होंने राष्ट्रपति राजेन्द्र प्रसाद के हाथों सोमनाथ मंदिर के उद्घाटन का विरोध किया है. संघ कहता है कि उसका हिंदुत्व, दयानंद सरस्वती, स्वामी विवेकानंद, बंकिमचन्द्र चट्टोपाध्याय एवं श्यामाप्रसाद मुख़र्जी के विचारों पर आधारित है. सच यह है कि संघ की विचारधारा का दयानंद सरस्वती और स्वामी विवेकानंद के विचारों से कोई लेनादेना नहीं हैं. संघ केवल उन दोनों के नामों का इस्तेमाल लर अपनी विचारधारा को स्वीकार्य बनाने की कोशिश कर रहा है.

हिन्दू धर्म किसी पैगम्बर पर आधारित नहीं है और इसलिए उसकी अलग-अलग ढंग से व्याख्याएं की जाती रही हैं. हिन्दू धर्म के पवित्र ग्रंथों में ‘हिन्दू’ नहीं है. वेदों, उपनिषदों, गीता और मनुस्मृति में कहीं भी यह शब्द नहीं है. इस शब्द का इस्तेमाल सिन्धु नदी के पश्चिम में रहने वाले इस विशाल नदी के पूर्व में रहने वालों के लिए प्रयुक्त करते थे. चूँकि वे ‘स’ का उच्चारण ‘ह’ करते थे इसलिए सिन्धु शब्द हिन्दू बन गया. अतः हिन्दू शब्द का मूल अर्थ था सिन्धु नदी से लेकर समुद्र तक की भूमि पर रहने वाले सभी लोग. इस विशाल भूभाग में मुख्यतः वैदिक धर्म (जिसे हम ब्राह्मणवाद भी कह सकते हैं), आजीवक, तंत्र, नाथ, शैव, बौद्ध व जैन परम्पराएं प्रचलित थीं.

बाद में जैन व बौद्ध धर्मों को छोड़कर, इन सभी परम्पराओं का मिश्रण हिन्दू धर्म कहलाने लगा. ब्राह्मणवाद के अलावा अन्य सभी परम्पराएं ‘श्रमण’ कहलाती थीं. ब्राह्मणवाद और श्रमणवाद में मुख्य अंतर यही था कि ब्राह्मणवाद में जाति प्रथा थी जबकि श्रमणवाद में नहीं थी. हिन्दू धर्म शब्द के उदय के बारे में इतिहासविद डी.एन. झा ने भारतीय इतिहास कांग्रेस, 2006, में अपने अध्यक्षीय संबोधन में कहा था कि, “यह बिलकुल सही है कि यह शब्द (हिन्दू), पूर्व-औपनिवेशिक भारत में प्रचलित था. मगर ब्रिटिश अध्येताओं ने 18वीं सदी के अंत या 19वीं सदी की शुरुआत में इस शब्द का उपयोग करना शुरू किया और धीरे-धीरे यह व्यापक रूप से प्रयुक्त होने लगा. हिन्दू शब्द भारतीय उपमहाद्वीप के उन सभी रहवासियों के लिए प्रयुक्त किया जाता था जो मुसलमान, ईसाई, सिक्ख या जैन नहीं थे.

चूँकि हिन्दू धर्म के कोई निश्चित ग्रन्थ और सिद्धांत नहीं थे इसलिए ब्राह्मणवादियों ने वेदों और मनुस्मृति को पवित्र ग्रन्थ घोषित कर दिया. हिन्दू धर्म की समझ में भी अंतर हैं. अम्बेडकर के दृष्टि में ब्राह्मणवाद और जाति प्रथा ने हिन्दू धर्म को जकड रखा है. यही कारण है कि उन्होंने मनुस्मृति का दहन किया. दूसरी ओर महात्मा गाँधी स्वयं को सनातनी हिन्दू कहते थे. उन्होंने ‘यंग इंडिया’ के 6 अक्टूबर 1921 के अंक में लिखा, “हिन्दू धर्म सभी से कहता है कि वे अपनी-अपनी आस्था और धर्म के आधार पर ईश्वर की आराधना करें और इस प्रकार वह अन्य धर्मों के साथ शांतिपूर्ण सहअस्तित्व बनाये रख पाया है.” यही तो बहुवाद है. यही तो अंतर्धार्मिक रिश्तों की बुनियाद होनी चाहिए. और अब राहुल गाँधी ने कहा है कि सत्य, प्रेम और अहिंसा हिन्दू धर्म का मूल आधार हैं.

हिंदुत्व शब्द को 1892 में चंद्रकांत बसु ने गढ़ा था और इसे आध्यात्मिक ऊंचाईयां अर्जित करने के आदर्शवादी लक्ष्य से जोड़ा था. राजनीति के सन्दर्भ में हिंदुत्व शब्द के इस्तेमाल की शुरुआत सावरकर ने अपनी पुस्तक ‘एस्सेनशियल्स ऑफ़ हिंदूइस्म” (1923) में इसे परिभाषित कर की थी. सावरकर का हिंदुत्व आर्य नस्ल, सिन्धु से समुद्र तक की पवित्र भूमि एवं ब्राह्मणवादी संस्कृति तक सीमित है. सावरकर, बौद्ध धर्म के अहिंसा के सिद्धांत के कड़े आलोचक थे और मानते थे कि बुद्ध द्वारा अहिंसा का प्रचार करने से ही भारत कमज़ोर बना. यह कहना इतिहास की गलत समझ पर आधारित है. उस समय आधुनिक अर्थ में भारत जैसा कोई राष्ट्र नहीं था. और अगर हम राजाओं के साम्राज्यों को राष्ट्र मानें तो हमें यह याद रखना चाहिए कि सम्राट अशोक, जिन्होंने बौद्ध धर्म अपना लिया था, का साम्राज्य प्राचीन भारत का सबसे बड़ा साम्राज्य था. सावरकर के अनुसार हिन्दू केवल वही है जिसकी पितृभूमि और पवित्रभूमि दोनों भारत में हैं.

सावरकर से सीख लेकर आरएसएस इस्लाम और ईसाईयत को विदेशी धर्म मानता है और प्राचीन धर्मग्रंथों (मनुस्मृति आदि) का अनुमोदन करते हैं. संघ ने हिंसा को अपनी विचारधारा का हिस्सा बना लिया है और नागपुर स्थित उसके मुख्यालय में तरह-तरह के हथियारों का संकलन हैं, जिनकी दशहरा के दिन पूजा की जाती है. आरएसएस की शाखाओं में मुस्लिम शासकों जैसे बाबर और औरंगजेब का दानवीकरण कर और हिन्दू राजाओं जैसे राणाप्रताप, शिवाजी और पृथ्वीराज चौहान का महिमामंडन कर नफरत फैलाई जाती है. आरएसएस राष्ट्रीय स्वाधीनता आन्दोलन को भी पसंद नहीं करता क्योंकि उसमें सभी धर्मों के लोगों ने भाग लिया था.

संघ का दावा है कि वह हिन्दुओं का प्रतिनिधि है और वह मंदिरों के विध्वंस, बीफ और जबरिया धर्मपरिवर्तन जैसे भावनात्मक मसले उठाता रहता है. संघ नफरत फैलता है, यह बात सरदार वल्लभभाई पटेल ने 1948 में संघ पर प्रतिबन्ध लगाने के बाद कही थी. उन्होंने कहा था, “उनके सभी भाषण, सांप्रदायिक जहर से भरे रहते थे जिसके अंतिम नतीजे में देश को गांधीजी के बेशकीमती जीवन के बलिदान की पीड़ा से गुजरना पड़ा.”

जहाँ महात्मा गाँधी और राहुल गाँधी जैसे नेता हिन्दू धर्म के मानवीय पक्ष पर जोर देते हैं वही सावरकर से प्रेरित आरएसएस नफरत और हिंसा की राह पर चलते रहे हैं. अम्बेडकर ने भी हिन्दू धर्म पर ब्राह्मणवादियों के वर्चस्व की खिलाफत की थी. राहुल गाँधी, हिन्दू धर्म को समावेशी और अहिंसक चरित्र देने का प्रयास कर रहे हैं.

10 जुलाई 2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)  

Loading

ભારતને સર્વસ્વ સમર્પિત કરનાર ભગિની નિવેદિતા

સોનલ પરીખ|Opinion - Opinion|12 July 2024

આદર્શમય જીવન મહાન હોય છે. પ્રકાશ ન પ્રગટે તો જીવનનો શો અર્થ? જેમણે અંગત સ્વાર્થ છોડી માનવકલ્યાણ માટે અહોરાત્ર અખંડ પરિશ્રમ કરવામાં જ જીવનની ઇતિશ્રી માની છે તેઓ જ સમાજને અને સ્વયંને આગળ વધારી શક્યા છે

— ભગિની નિવેદિતા

લંડનને અડીને પથરાયેલા ગાઢ જંગલમાં પહાડના ઢોળાવ પાસે એક મકાન હતું. 1895માં ત્યાં એક ભારતીય સંન્યાસી થોડો વખત રહ્યા હતા. ભક્તોનાં નાનાં જૂથ જતાં-આવતાં. ધર્મવાર્તા થતી. સંન્યાસી કોઈ કોઈને દીક્ષા પણ આપતા. લેન્ડઝ બર્ગ અને મેરી લૂઈ કૃપાનંદ અને અભયાનંદ બન્યા હતાં. આ યુવાન સંન્યાસીનું નામ સ્વામી વિવેકાનંદ.

ભગિની નિવેદિતા

એ વખતે લંડનમાં એક યુવતી રહેતી. સેવાભાવી પાદરી પિતાને દસેક વર્ષની વયે ગુમાવી બેઠેલી, નાનાં ભાઈબહેનોનાં ભણતર માટે વહેલી વયથી કમાવા લાગેલી, હૃદયભંગ પછી પણ અંદરનું તેજ અકબંધ રાખી શકેલી આ યુવતી નાનાં બાળકો માટે સુંદર શાળા ચલાવતી. એનું વતન આયર્લેન્ડ પણ બ્રિટિશ સામ્રાજ્યવાદ સામે જંગે ચડ્યું હતું એટલે ભારત માટે એના મનમાં સહાનુભૂતિ હતી. એનું નામ માર્ગરેટ એલિઝાબેથ નોબેલ. 25 માર્ચ 1898ના દિવસે સ્વામી વિવેકાનંદે આ માર્ગરેટ નોબેલને દીક્ષા આપી ‘નિવેદિતા’ નામ આપ્યું હતું. યાદ કરીએ ભગિની નિવેદિતા અને એમના ગુરુ સ્વામી વિવેકાનંદને.

બારમી સદીના સેંટ ફ્રાન્સિસ અને સેંટ ક્લેર, મધ્યયુગના સંત દેવીદાસ અને અમરબાઈની જેમ 19-20મી સદીમાં સ્વામી વિવેકાનંદ-ભગિની નિવેદિતા અને મીરાંબહેન-મહાત્મા ગાંધી જેવી ગુરુ-શિષ્યાઓની અદ્દભુત જોડીઓ લોકહૃદયમાં હંમેશ માટે જડાઈ ગઈ છે. આ ગુરુઓની કૃપા અને શિષ્યાઓની શ્રદ્ધા વિષે વિચારતાં માથું નમે, પણ એમના જીવનનો અને સાધનાનો પંથ એટલો સરલસુગમ હોતો નથી. સ્વામી વિવેકાનંદ અને સિસ્ટર નિવેદિતા વચ્ચે ઉંમરમાં પાંચ જ વર્ષનો તફાવત હતો. બંને અસામાન્ય પણ સ્ત્રીપુરુષ તો હતાં. એમનો માર્ગ સેવસાધનાનો, આધ્યાત્મિક હતો; પણ બંને મનુષ્યો તો હતાં. કેવા રહ્યાં હશે એમની વચ્ચેનાં સમીકરણો? સિસ્ટર નિવેદિતાએ લખેલું ‘ધ માસ્ટર એઝ આઈ સો હિમ’ અને રેબા સોમે સિસ્ટર નિવેદિતા પર લખેલું ‘માર્ગોટ-સિસ્ટર નિવેદિતા ઑફ સ્વામી વિવેકાનંદ’ પુસ્તકો આ સંદર્ભે વાંચવા જેવાં.

નવેમ્બર મહિનાની એક ઠંડી સાંજે માર્ગરેટે પહેલી વાર સ્વામી વિવેકાનંદને જોયા-સાંભળ્યા. ફાયરપ્લેસમાં બળતાં લાકડાં તરફ પીઠ કરીને તેઓ બેઠા હતા. કમરબંધવાળો મરુન ઝભ્ભો, ટટ્ટાર કરોડરજ્જુ, ભરેલો સ્વચ્છ ચહેરો, મોટી આંખોમાં દિવ્ય તેજ. વચ્ચે વચ્ચે ‘શિવ!’ શબ્દથી વિરામ લેતી અસ્ખલિત વાક્ધારા. પૂર્વ અને પશ્ચિમના સમન્વય વિષે તેઓ બોલતા હતા. વ્યાખ્યાન પૂરું થયે માર્ગરેટને થયું, લોકો આ સંન્યાસી પાછળ કેમ ગાંડા થયા હશે? મને તો કોઈ નવું સત્ય લાધ્યું નહીં.

પણ ઘેર આવીને તેને થયું કે અપરિચિત સંસ્કૃતિમાંથી આવતી એક નવી વ્યક્તિ માટે એક જ વારમાં અભિપ્રાય બાંધવો એમાં ઉતાવળ, અવિવેક અને અન્યાય છે. એમણે એક જ કલાકમાં અનેક દિશાઓને સ્પર્શ કર્યો હતો એ પણ સત્ય હતું. બીજા રવિવારે એ વ્યાખ્યાનમાં હાજર હતી. આ વખતે પણ અનેક ‘જો’ અને ‘તો’એ એને પજવી, પણ હવે ઉપેક્ષા કરવાનું સંભવ રહ્યું નહીં.

માર્ગરેટે પોતાના સંશયો વ્યક્ત કરતો પત્ર લખ્યો. આશ્ચર્ય વચ્ચે જવાબ પણ આવ્યો, ‘પવિત્રતા, ધૈર્ય અને દૃઢ નિશ્ચયથી સંશય દૂર થાય છે. સ્નેહાશિષ, સ્વામી વિવેકાનંદ.’ પછી તો માર્ગરેટ સ્વામીજીનાં ભક્ત બની ગયાં. 1896માં સ્વામીજીએ હિંદુ ધર્મના વર્ગો શરૂ કર્યા, તેમાં જોડાયાં. સ્વામીજીએ લંડન છોડ્યું ત્યાં સુધીમાં માર્ગરેટે એમણે ‘માસ્ટર’ એટલે કે ગુરુ કહીને સંબોધવા માંડ્યા હતા. સ્વામીજીનો પોતાના દેશવાસીઓ પ્રત્યેનો પ્રેમ જોઈ માર્ગરેટ મુગ્ધ થયાં અને સેવાનો જે અખંડ યજ્ઞ તેમણે શરૂ કર્યો હતો તેમાં પોતાની જિંદગીનું સમિધ હોમવાનો નિર્ણય કર્યો. સ્વામીજી તેમણે ઇંગ્લેંડમાં રહીને જ સેવા કરવાનું સૂચવ્યું.

ભારત આવ્યા બાદ સ્વામીજીએ બેલુર મઠની સ્થાપના કરી. લોકોમાં પુષ્કળ નિરક્ષરતા વ્યાપેલી જોઈ તેઓ વ્યથિત હતા. તેમને થયું, સ્ત્રીઓને પહેલી કેળવવી જોઈશે. મા શિક્ષિત થાય તો સંતાનો કુસંસ્કારમુક્ત, નિર્ભય, યોગ્ય માનવ બને પણ એ માટે સ્ત્રીઓ વચ્ચે રહીને કામ કરે એવી સ્ત્રી જોઈએ. તેમને માર્ગરેટ યાદ આવતી. માર્ગરેટ ભારત આવવા આતુર પણ હતી, પણ એને દૂર દેશમાં, જુદી સંસ્કૃતિમાં, ગરમ આબોહવા અને અસ્વચ્છતા વચ્ચે લાવવામાં સ્વામીજીને સંકોચ થતો હતો. છેવટે માર્ગરેટની વધતી આતુરતા જોઈ 1898માં એમણે તેને ભારત આવવાની અનુમતિ આપી અને પોતે કોલકાતા બંદર પર એને લેવા પણ ગયા. માર્ગરેટે કૉલકાતાના બેલૂરના એક મકાનમાં રહેવાનું શરૂ કર્યું. બંગાળી શીખ્યા. સ્વામીજી સાથે અલમોડા, અમરનાથ અને કાશ્મીરનો પ્રવાસ કર્યો. ભારતનાં ધર્મ, ઇતિહાસ, રીતરિવાજો, સંસ્કૃતિ વિશે જાણકારી મેળવી. યોગ, ધ્યાન અને સમાધિ પણ શીખ્યાં. તેમને દીક્ષા આપતાં સ્વામીજી કહ્યું, ‘તમે ભારતમાં હંમેશ માટે રહેવા અને ભારતની પ્રજાના ઉત્કર્ષ માટે તન, મન અને પ્રાણ અર્પણ કરવા આવ્યાં છો. આજથી તમે નિવેદિતા છો – સિસ્ટર નિવેદિતા.’

સિસ્ટર નિવેદિતાએ બોઝપરા વિસ્તારમાં કન્યાઓ માટે પ્રાથમિક શાળા શરૂ કરી, ‘ભગિની નિવેદિતા ગર્લ્સ સ્કૂલ’. દીન-હીન સ્થિતિમાં સબડતી ભારતની સ્ત્રીઓ અને બાલિકાઓનાં શિક્ષણ અને ઉત્કર્ષ માટે તેમણે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી. બાલવિધવાઓ, ત્યક્તાઓ, મોટી ઉંમરની સ્ત્રીઓ પણ આશ્વાસન, સહાય અને જ્ઞાન મેળવવા આવતી. એમાંથી જ ‘બહેનોના ઘર’ની યોજના જન્મ પામી. તેમાં શિક્ષણ, ચિત્રકામ, સીવણવર્ગ ચાલતા અને વિધવાઓનું જીવન પ્રવૃત્તિમય રહે, આવક વધે, જ્ઞાન મળે એવી યોજનાઓ થતી રહેતી. શાળાની આર્થિક મુશ્કેલીમાં તેમણે યુરોપ-અમેરિકાના પ્રવાસે જઈ ફંડ પણ એકઠું કર્યું.

એમનો સંકલ્પ એટલો પ્રબળ હતો કે તેઓ ઘેર ઘેર જઈ કન્યાશિક્ષણનું મહત્ત્વ સમજાવતા અને દીકરીઓને ભણાવવા અનુરોધ કરતાં. પોતાની શાળામાં દેશપ્રેમના સંસ્કાર આપતાં, ‘મંદિરમાં જઈ ઘંટ વગાડવાને બદલે કોઈ પ્રાંગણમાં રાષ્ટ્રચિંતન કરીએ. યજ્ઞકુંડો અને હવનશાળાઓ બનાવવાને બદલે વિશ્વવિદ્યાલય અને પ્રયોગશાળાઓ બનાવીએ. ગુરુઓની પૂજા કરવાને બદલે ભારતમાતાની પૂજા કરીએ. માળા જપતા બેસવાને બદલે સમાજના અભાવગ્રસ્ત લોકોને સગવડો અપાવીએ.’ એમની શાળામાં પ્રાર્થના સાથે ‘વંદે માતરમ્‌’ પણ ગવાતું.

તેજસ્વી વ્યક્તિત્વો વચ્ચે ઘર્ષણ પણ થતું. નિવેદિતાનો સ્વભાવ વિદ્રોહી હતો. ખૂબ પ્રશ્નો અને ચર્ચાઓ કરે. સ્વામીજી પણ કદીકદી કઠોર થઈ જાય. કદાચ આ સમર્પિત છતાં સ્વતંત્રમિજાજી અને બુદ્ધિમાન શિષ્યા સાથે થોડું અંતર રાખવું સ્વામીજીને જરૂરી લાગતું હશે. પછીથી નિવેદિતાને એ પ્રતીતિ થઈ કે મહાપુરુષો શિષ્યોમાં રહેલા અહંકારને ઓગાળવા માટે અને એના વ્યક્તિનિષ્ઠ મનને વ્યક્તિનિરપેક્ષ બનાવવા માટે કેટલીક વાર કઠોર થતા હોય છે. રોમાં રોલાંએ લખ્યું છે, ‘સ્વામીજીની કઠોરતા એ નિવેદિતાની ભક્તિપૂર્ણ આસક્તિનો પોતાની રીતનો પ્રતિકાર હતો.’

ભગિની નિવેદિતાએ આપેલાં ભાષણોમાં આલ્બર્ટ હૉલમાં અપાયેલું ‘કાલી’ વિશેનું અને કાલિઘાટ મંદિરમાં અપાયેલું ‘કાલીપૂજા’ વિશેનું ભાષણ નોંધપાત્ર છે. તેમણે ‘કાલી ધ મધર’ પુસ્તક પણ લખ્યું હતું. રામકૃષ્ણ પરમહંસનાં પત્ની મા શરદામણિદેવી સાથે એમનો નિકટનો સંબંધ હતો. અરવિંદ ઘોષ, ગોપાલકૃષ્ણ ગોખલે, રવીન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોઝ, જગદીશચંદ્ર બોઝ વગેરે સાથે તેમને સારા સંબંધો હતા.

પ્લેગ પૂર, દુકાળ જેવી આફતોમાં અવિરત શ્રમ લઈ સેવાકાર્ય કરવા સાથે બંગભંગની લડતમાં અને સ્વદેશીની ચળવળમાં તેઓ સક્રિય હતાં. કૉલકાતાનાં કલાકેન્દ્રોમાં, સભાસ્થાનોમાં, શિક્ષણસંસ્થાઓમાં, સાધનામંદિરોમાં કે પછી ગંદી ગલીઓમાં ને મજૂરોનાં ઝૂંપડાંમાં સર્વત્ર તેમનું સ્થાન ને માન હતાં. તેમણે ‘માસ્ટર ઍઝ આઈ સૉ હિમ’, ‘ધ વેબ ઑફ ઇન્ડિયન લાઇફ’, ‘ક્રેડલ સૉંગ્ઝ ઑફ હિન્દુઇઝમ’ સહિત અગિયારેક પુસ્તકો લખ્યાં હતાં. 1911માં માત્ર 43 વર્ષની ઉંમરે એમણે પાર્થિવ દેહ ત્યજ્યો.

‘આદર્શમય જીવન મહાન હોય છે. પ્રકાશ ન પ્રગટે તો જીવનનો શો અર્થ? જેમણે અંગત સ્વાર્થ છોડી માનવકલ્યાણ માટે અહોરાત્ર અખંડ પરિશ્રમ કરવામાં જ જીવનની ઇતિશ્રી માની છે તેઓ જ સમાજને અને સ્વયંને આગળ વધારી શક્યા છે.’ એમના આ શબ્દોમાં જીવનભરનું ભાથું બની શકવાનું સામર્થ્ય છે.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 24 માર્ચ  2024

Loading

...102030...668669670671...680690700...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved