Opinion Magazine
Number of visits: 9457359
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભાજપ અને સંઘની ખિદમતમાં થોડું, બબ્બે ભારતરત્નની સાખે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|10 February 2024

સંઘ શ્રેષ્ઠીઓ જોગ

ભલે માર્ગદર્શક મંડળની અભરાઈએથી પણ અડવાણીએ કહ્યું હતું કે, પૂર્વ વડા પ્રધાન નરસિંહરાવના મૃત્યુ પછી સોનિયા ગાંધીના નેતૃત્વમાં કાઁગ્રેસે સદ્દગત નેતાની ધોરણસરની અંતિમયાત્રાની કાળજી ન લીધી, એમની ઘોર અવહેલના કરી એવું તમે અમારા પક્ષમાં નહીં જુઓ.

પ્રકાશ ન. શાહ

આજે કર્પૂરી, આવતીકાલે અડવાણી અને પરમ દિવસે ? કદાચ કાંસીરામ ભારતરત્નની આ સંભવિત શૃંખલાને કેવી રીતે જોશું, વારું ? સામાજિક ઇજનેરી અને હિંદુત્વના મેળમિલાપથી ચુનાવી દિગ્વિજયની રણનીતિ તરીકે સ્તો. 

રહો. લાલકૃષ્ણ અડવાણીને ભારતરત્ન બનાવાયા, જેમ પૂર્વે અટલબિહારી વાજપેયીને પણ જાહેર કરાયા હતા – આ ઘટનાક્રમને વિનય સીતાપતિ જરી જુદી રીતે ય જુએ છે અને ઘટાવે છે. સીતાપતિને ઓળખ્યા ને ? ‘જુગલબંદી : ધ બી.જે.પી. બીફોર મોદી’ના લેખક. વાજપેયી-અડવાણીની ખાસાં સાઠ વરસની સહયાત્રા ફરતે થયેલી આ નિરુપણા છે. 

સીતાપતિ કહે છે કે આ પુસ્તકના લેખન દરમિયાનમાં હું અડવાણીને મળ્યો ત્યારે મેં નરસિંહરાવ વિશે લખેલું પુસ્તક પ્રકાશિત થયેલું હતું, અને અડવાણીએ તે વાંચ્યું પણ હતું. વાતવાતમાં અડવાણીએ કહ્યું કે નરસિંહરાવના મૃત્યુ પછી સોનિયા ગાંધીના નેતૃત્વમાં કાઁગ્રેસે સદ્દગત નેતાની ધોરણસરની અંતિમ યાત્રાની કાળજી ન લીધી, બલકે એમની ઘોર અવહેલના કરી એવું તમે અમારા પક્ષમાં નહીં જુઓ. અડવાણીનું આ અવલોકન એ દિવસોમાં આવ્યું હતું જ્યારે માર્ગદર્શક મંડળ નામની રૂપાળી અભરાઈએ એમને ચડાવી દેવામાં આવ્યા હતા. વાજપેયીની વાત કરીએ તો નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્ય મંત્રીપદેથી પાણીચું પરખાવવાની એમની ઇચ્છા લગારે ગુપ્ત નહોતી ને નથી. પણ, આ જ વાજપેયી ન.મો.ના પ્રથમ પ્રધાન મંત્રી કાળમાં ભારતરત્ન તરીકે પોંખાયા, અને બીજા કાળમાં આજે અડવાણી પોંખાઈ રહ્યા છે. સોનિયા-રાવના કાઁગ્રેસ મોડેલ કરતાં વાજપેયી-મોદી અને અડવાણી-મોદી મોડેલ ચોક્કસ જ એક જુદી છાપ લઈને આવે છે. 

વિનય સીતાપતિએ આ સંબંધભાતને અનુલક્ષીને સમજૂતી આપતાં ‘હિંદુત્વ ફેવિકોલ’ એવું નામ આપ્યું છે. વાજપેયી જે રીતે હિંદુત્વની લવચિક ને લચીલી વ્યાખ્યામાં ગયા – અમારું હિંદુત્વ સાવરકરનું નથી એ ખાસ સંભાળ લઈને કહ્યું તે જોતાં આ ફેવિકોલ એ હિંદુત્વ કરતાં વધુ તો સંગઠનભાવનાનું છે એમ જ કહેવું જોઈએ. 

વાજપેયી-અડવાણી-મોદી ત્રિકોણને કેવળ ભારતરત્ન પ્રકરણ જેવા ઓઠાથી સમજાવવાથી અને ભા.જ.પ.ને બક્ષવાની ભૂમિકા જો કે એટલી દુરસ્ત નથી જેટલી ઉપલક ઉભડક લાગે છે. પ્રશ્ન આ છે કે વહેવાર તો સાચવી લીધો, પણ પછી શું. વાજપેયી અને અડવાણીનાં પક્ષ જોગ હિતવચનો ભારતરત્નની આડશે લપાઈ જાય તો કથિત ફેવિકોલ એક અર્થમાં બે-મતલબ બની રહે છે એનું શું. 

વાજપેયીએ સંઘ-જનસંઘ સંબંધ સંદર્ભે કહેવા જોગ બધુ જ જનતા ભંગાણ પછી સાઇન્ડ આર્ટિકલમાં ચોખ્ખે ચોખ્ખું આખેઆખું લખ્યું હતું અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને દો ટૂક કહ્યું હતું કે તમે નક્કી કરો, આર્ય સમાજની જેમ સુધારસંગઠના છો કે પછી રાજકીય મહત્ત્વાકાંક્ષી પક્ષવત છો. જનતા પક્ષના ઘટક તરીકે જનસંઘ પરની સંઘપકડ વિશેની ફરિયાદ અને બીજું ઘણુંબધું એમાં હશે.

આ જ મુદ્દો અડવાણીએ બીજે છેડેથી પકડ્યો હતો. ઝીણા પ્રશ્ને એમને આંતરવામાં આવ્યા અને ભા.જ.પે. પોતાની મુસ્લિમવિરોધી છબી સુધારવાની તક ખોઇ ત્યારે એમણે કહ્યું હતું કે પક્ષના નિર્ણયો સંઘના દબાણ હેઠળ થાય છે એવો સંદેશો જાય તે પક્ષ અને પરિવાર બેઉ સારુ ઇષ્ટ નથી. 1992ની છઠ્ઠી ડિસેમ્બરને એમણે એક વિષાદી ને દુઃખદ દિવસ તરીકે ચહીને ઓળખાવવાનું પણું જોયું હતું તે મુદ્દો સંઘચિંતનમાં (વિ.હિં.પ.-બજરંગ વિશેષ સંદર્ભમાં) નહીં ઊતર્યો હોવાની એમની લાગણી સતત રહી. 

અલબત્ત, ભારતરત્ન શો વિવેકોપચાર એમને ઠીક લાગ્યો હશે અને વિનય સીતાપતિને પણ એ અન્યથા વસ્યો હશે. પરંતુ એમણે ઉપસ્થિત કરેલા પ્રશ્નો, જેનો અહીં તો અણસાર માત્ર છે, ખાસી આંતરબાહ્ય તપાસ માગી લે છે. ભા.જ.પ.ને અને સંઘને સમજાવું જોઈએ કે એમનો ઇતિહાસ ખાસી જવાબદારી લઈને આવે છે. સાઠ સાઠ વરસની જુગલબંદીને જે ઓછુંવત્તું સમજાયું ને અડ્યુંનડ્યું એની સમજ છેલ્લા દોઢ દાયકાની જુગલબંદ જોડીને કે સંઘશ્રેષ્ઠીઓને કેટલી હશે ? ન જાને.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 07 ફેબ્રુઆરી 2024

Loading

ઓગણીસમી સદીના મૂલ્યવાન કહેવત સંગ્રહો

દીપક મહેતા|Opinion - Literature|7 February 2024

જૂની મૂડી 

કહેવત એટલે જીવંત ભાષાના દેહ પરનું અત્તરનું પૂમડું. આજે આપણે જેને ‘અભણ’ કહીએ તેવાં સ્ત્રી-પુરુષો પણ વાતચીતમાં કહેવતોનો છૂટથી ઉપયોગ કરે. પણ હવે શહેરીકરણને પ્રતાપે શિક્ષિત વર્ગની રોજની બોલચાલમાં કહેવતોનો ઉપયોગ ઓછો ને ઓછો થતો જાય છે. પણ આપણે ત્યાં મુદ્રણની સગવડ આવી તે પછી સમાજમાં પ્રચલિત કહેવતોને એકઠી કરીને સાચવી લેવાના ઘણા પ્રયત્ન થયા. આવો પહેલો પ્રયત્ન થયો છેક ૧૮૦૮માં, અને તે પણ એક સરકારી નોકરી કરતા અંગ્રેજ ડોક્ટરને હાથે. મુંબઈ ઇલાકામાં કામ કરતા અંગ્રેજ અધિકારીઓ અને પાદરીઓને મદદરૂપ થવાના ઈરાદાથી ડો. રોબર્ટ ડ્રમન્ડે ગુજરાતી-મરાઠી-અંગ્રેજીનું સંયુક્ત વ્યાકરણ લખીને પ્રગટ કર્યું: Illustrations of the grammatical parts of the Guzerattee, Mahratta & English Languages. ગુજરાતી વ્યાકરણની સોદાહરણ સમજણ આપવા ઉપરાંત આ પુસ્તકમાં તેમણે ૧૭૦ જેટલી ગુજરાતી કહેવતો નોંધી છે અને તેનો અંગ્રેજી અનુવાદ પણ આપ્યો છે.

પણ ડ્રમન્ડનું આ પુસ્તક માત્ર કહેવતોનું પુસ્તક નથી. એવું પુસ્તક આપણને પહેલી વાર મળે છે ૧૮૫૦માં. કંપની સરકારમાં ઉચ્ચ હોદ્દાઓ ધરાવનાર એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સની સૂચનાથી કવીશ્વર દલપતરામે ‘કથનસપ્તશતી’ નામનું પુસ્તક તૈયાર કર્યું. તેમાં ૭૦૦ કહેવતો સંઘરાઈ છે. દલપતરામનું અ પુસ્તક પ્રગટ થયું ત્યારે જ તેની સામે બે ફરિયાદ ઊઠી. એક તો, સાત સોની સંખ્યા ઘણી ઓછી છે. બીજું ઘણી બધી જાણીતી કહેવતો તેમાં જોવા મળતી નથી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(આજની ગુજરાત વિદ્યા સભા)એ દલપતરામનું પુસ્તક પ્રગટ કરેલું. ફરિયાદને ધ્યાનમાં લઈને મગનલાલ વખતચંદને બીજું પુસ્તક તૈયાર કરવા સોસાયાટીએ જણાવ્યું. મગનલાલે પોતાનું પુસ્તક પણ ઉતાવળે તૈયાર કર્યું અને ૧૮૫૧માં તો તે પ્રગટ થઈ ગયું. દલપતરામે નહિ સંઘરેલી એવી લગભગ ૧,૮૦૦ કહેવત મગનલાલે પોતાના પુસ્તકમાં સમાવી છે. 

૧૮૬૦ના અરસામાં ‘ગુજરાતી તથા અંગ્રેજી કહેવત-સંગ્રહ’ નામનું પુસ્તક પ્રગટ થયું હોવાનું જાણવા મળે છે. પણ આ લખનારને એ પુસ્તક જોવા મળ્યું નથી. ૧૮૬૩માં પ્રગટ થયેલું ડોસાભાઈ સોરાબજી મુનશીનું ‘દોહરા તથા કહેવત પોથી’ એક પારસી લેખકને હાથે તૈયાર થયેલું અ પ્રકારનું પહેલું પુસ્તક છે. પુસ્તક મુંબઈના દફતર આશકારા પ્રેસમાં છપાયું હતું. ડોસાભાઈના દીકરા બમનજીએ પોતાના એક અંગ્રેજી પુસ્તકની શરૂઆતમાં પિતાનું ટૂંકુ જીવન ચરિત્ર આપ્યું છે. તેમાં તેમણે આ પુસ્તકનો ઉલ્લેખ કર્યો છે. સર એલેક્ઝાન્ડર ગ્રાન્ટે તૈયાર કરેલા કેટલોગ(બીજી આવૃત્તિ, ૧૮૬૭)માં આ પુસ્તકનો ઉલ્લેખ ‘બુક ઓફ ગુજરાતી પ્રોવર્બ્સ’ તરીકે થયો છે. એ જમાનામાં ઘણાં પુસ્તકોમાં બે ટાઈટલ પેજ છપાતાં : એક ગુજરાતીમાં અને બીજું અંગ્રેજીમાં. બનવા જોગ છે કે ગ્રાન્ટે અંગ્રેજી ટાઈટલ પેજ પ્રમાણે નામ નોંધ્યું હોય.

૧૮૬૫માં પ્રગટ થયેલું પેશતનજી કાવશજી રબાડીનું ‘કહેવત મુલ ઇઆને ચાલુ વપરાતી કહેવતોની ઉતપતી અને તવારીખનો મુખતેશર શારાઉંશ’ જરા જૂદી ભાત પાડતું પુસ્તક છે. કારણ, અહીં માત્ર કહેવતો સંઘરાઈ નથી, પણ તેની પાછળની કથાઓ પણ લેખકે આપી છે. ૨૦૭ પાનાંના પુસ્તકમાં લેખકે ૪૩ જેટલી કહેવતો પાછળની કથાઓ સમાવી છે. પુસ્તકની ભાષા, અલબત્ત, પારસી ગુજરાતી છે. 

તે પછી પ્રગટ થયેલાં કેટલાંક પુસ્તકોની માત્ર માહિતી મળે છે. એ પુસ્તકો જોઈ શકાયાં નથી. ૧૮૬૮માં મંછારામ ઘેલાભાઈ અને કીકાભાઈ પ્રભુદાસે ‘ગુજરાતી કહેવતોની ચોપડી’ પ્રગટ કરી હતી. 106 પાનાંનું આ પુસ્તક મુંબઈથી પ્રગટ થયું હતું. તેવી જ રીતે માત્ર ૨૧ પાનાંનો ‘ઉખાણા સંગ્રહ’ ૧૮૭૬માં અમદાવાદથી પ્રગટ થયો હતો. સંગ્રાહકો હતા જેશંગ ત્રિકમદાસ પટેલ અને શ્રીધર કહાનદાસ. આ પુસ્તકની બીજી આવૃત્તિ ૧૮૯૬માં મુંબઈથી પ્રગટ થઈ હતી. તો ૧૮૭૯માં અમદાવાદથી ‘કહેવત સંગ્રહ’ નામના પુસ્તકનો પહેલો ભાગ પ્રગટ થયો હતો. તેમાં ગુજરાતી ઉપરાંત મરાઠી, ફારસી, હિન્દી, અને ઉર્દૂ ભાષાની કહેવતો પણ સમાવી હતી. આ પુસ્તકનો બીજો ભાગ પ્રગટ થયો હોય તેવું જાણવા મળતું નથી. તેના કર્તાનું નામ પણ જાણી શકાયું નથી. 

કરીમઅલી રહીમ નાનજીઆણી પાસેથી કહેવતો અંગેનાં બે પુસ્તક મળ્યાં છે. ૧૮૮૫માં પ્રગટ થયેલું ‘ગુજરાતી કહેવતો’ અને ૧૮૯૨માં પ્રગટ થયેલું ‘કચ્છી સુકેણી.’ કચ્છીનો આ પહેલો કહેવત સંગ્રહ છે. ૧૮૮૮માં અમદાવાદથી નાથુશંકર ઉદયશંકર ધોળકિયા કૃત ‘કહેવતમાળા’ પ્રગટ થઈ હતી. તો સુરતથી ૧૮૮૯માં પ્રગટ થયેલ ડાહ્યાભાઈ દલપતભાઈ દલાલની કૃતિનું ગુજરાતી નામ જાણવા મળ્યું નથી, પણ તેમાં ગુજરાતી કહેવતોને સમાંતરે અંગ્રેજી કહેવતો પણ આપેલી એમ જાણવા મળે છે. ૧૮૯૨માં અમદાવાદથી પ્રગટ થયેલા મહાસુખ ચુનીલાલ શાહના પુસ્તકમાં પણ ગુજરાતીની સાથોસાથ અંગ્રેજી કહેવતો આપવામાં આવેલી. 

માત્ર ૩૨ વરસની ઉંમરે ૧૮૮૮માં જમશેદજી નસરવાનજી પીતીતનું અવસાન થયું તે પહેલાં તેમણે ‘કહેવતમાળા’નો ઘણો મોટો ભાગ તૈયાર કર્યો હતો. પણ તે પુસ્તક પ્રગટ થયું છેક ૧૯૦૩માં. સ્કૂલમાં ભણતા હતા ત્યારથી જમશેદજીને કહેવતો ભેગી કરવાનો શોખ જાગ્યો હતો. તેમણે એકઠી કરેલી દસ હજાર જેટલી કહેવતો ‘કહેવતમાળા’ એવા મથાળા સાથે એ વખતના જાણીતા સામયિક ‘વિદ્યામિત્ર’માં હપ્તાવાર પ્રગટ થઈ હતી. જમશેદજીના અવસાન પછી તેમના નિકટના મિત્ર જીજીભાઈ પેસ્તનજી મિસ્ત્રીએ એ સામગ્રીને સુધારી, મઠારીને ૧૯૦૩માં બે ભાગમાં ‘કહેવત-માળા’ પુસ્તક પ્રગટ કર્યું હતું. આ પુસ્તકમાં લગભગ ૧૨ હજાર જેટલી ગુજરાતી કહેવતો અકારાદિ ક્રમે ગોઠવી છે. અને સાથોઆથ દેશ અને દુનિયાની બીજી ભાષાઓની સમાંતર કહેવતો પણ આપી છે. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ ૨૦૦૯માં આ પુસ્તકનું પુનર્મુદ્રણ કર્યું હતું. 

જમશેદજીનું પુસ્તક પ્રગટ થયું તે પહેલાં ૧૮૯૩મા દામુભાઈ ડાહ્યાભાઈ મહેતાનું ‘ગુજરાતી કહેવતો’ પુસ્તક પ્રગટ થયું હતું. દામુભાઈનો જન્મ ૧૮૬૨માં. મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજના વિદ્યાર્થી. ૧૮૮૩માં બી.એ. અને ૧૮૮૫માં એમ.એ. અને બી.એસસી. થયા પછી ૧૮૮૭માં એલ.એલ.બી.ની ડિગ્રી મેળવી. પછી વડોદરા ટ્રેનિંગ સ્કૂલના હેડ માસ્ટર તરીકે નોકરીની શરૂઆત કરી. પછી શિક્ષણ ખાતામાંથી ન્યાય ખાતામાં ગયા અને અમરેલી પ્રાંતના જજ બન્યા. આ પુસ્તક પ્રગટ થયું ત્યારે તેઓ વડોદરાના એક્સ્ટ્રા આસિસ્ટન્ટ જજ હતા. પુસ્તકની પ્રસ્તાવના વાંચતાં જણાય છે કે કોલેજના અભ્યાસ દરમ્યાન અંગ્રેજી કહેવાતોના સંગ્રહ તેમના જોવામાં આવેલા. ત્યારથી તેમણે મનોમન નક્કી કરેલું કે ગુજરાતી ભાષાનો આવો કહેવત સંગ્રહ તૈયાર કરવો. એટલે કોલેજમાં ભણતા હતા ત્યારથી જ તેમણે ગુજરાતી કહેવતો એકઠી કરવાનું શરૂ કર્યું. એ માટે ઘણાં પુસ્તકો વાંચ્યાં. વડોદરા રાજ્યની નોકરીમાં જોડાયા પછી પણ તેમણે આ કામ ચાલુ રાખ્યું. “કહેવતોનો સંગ્રહ એટલો મોટો થઈ ગયો કે તેનાં કાગળીઆંઓ સાચવી રાખવાનું કામ પણ કઠણ થવા લાગ્યું.” એટલે આ પુસ્તક તેમણે છપાવવાનું નક્કી કર્યું. પ્રસ્તાવના પછી દામુભાઈએ કહેવત વિષે વિસ્તૃત નિબંધ લખ્યો છે. 

xxx xxx xxx

[પ્રગટ : “બુદ્ધિપ્રકાશ”; જાન્યુઆરી 2024] 
નોંધ: બુદ્ધિપ્રકાશમાં ચિત્રો પ્રગટ થયાં નથી. અહીં તે ઉમેર્યાં છે.
e.mail : deepakbmehta@gmail.com

Loading

“બ્હાર કાઢ મને….!” ~ ગઝલ ~ ભાવિન ગોપાણી 

આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ|Opinion - Literature, Opinion - Opinion|7 February 2024

આસ્વાદ – ગઝલ

“બ્હાર કાઢ મને ….!” ~   ગઝલ

ભલેને ફૂલ છું, ગજરાની બ્હાર કાઢ મને
છે અર્થ એ જ કે ટોળાની બ્હાર કાઢ મને

ભડાસ, ભય અને ભ્રમણાની બ્હાર કાઢ મને
બધા પ્રકારના પંજાની બ્હાર કાઢ મને

છે એવા કષ્ટ કે ફરિયાદ થઈ શકે છે હજી
આ સવલતોના તબક્કાની બ્હાર કાઢ મને

કદી ન કામમાં આવી શક્યાનો લઈ અફસોસ
ચલણ કહે છે કે ખિસ્સાની બ્હાર કાઢ મને

છું એવી જ્યોત કે જેણે જગત નથી જોયું
કદી તો મારા ધુમાડાની બ્હાર કાઢ મને

હું તારા નામ સુધી પ્હોંચવા મથું છું હજી
જપી રહ્યો છું એ માળાની બ્હાર કાઢ મને

ગમે તે માર્ગથી પાછો ફરીશ નક્કી છે
હ્રદયની બ્હાર કે દુનિયાની બ્હાર કાઢ મને

હવે તો પાત્ર નહીં મંચ રાડ પાડે છે
“પડી ગયેલ આ પડદાની બ્હાર કાઢ મને”

સમાધિ પામવા થીજી જવાની ઈચ્છા છે
ગુલાબી સ્મિતના તડકાની બ્હાર કાઢ મને

સમગ્ર રૂપનાં દર્શન સુધી હવે લઈ જા,
લે ઝાલી આંગળી પીંછાની બ્હાર કાઢ મને

–     
ભાવિન ગોપાણી

ભાવિન ગોપાણી

નિર્વાણ – Salvationની મંઝિલનો રસ્તો મુક્તિ – Liberation છે. અહીં બધાં જ કોઈ ને કોઈ શલાકામાં જકડાયેલાં છે. “જિંદગી જિંદાન સે છૂટને કા નામ હૈ” ઉર્દૂના મોટા શાયર, મીર તકી મીરની ગઝલના એક શેરનો આ ઉલા મિસરા છે.

જિંદાન એટલે કે બંધન. આ બંધનોમાં કોઈ પોતાની પ્રાકૃતિક અવસ્થાને કારણે બંધાય છે તો કોઈ સ્વેચ્છાએ બંધાય છે. મનને ક્યારે ય ધરવ થતો નથી હોતો. જે ‘નથી’, એને પામવાની મૃગતૃષ્ણા એ જ તો કદાચ જીવનના પૈડાને દોડતું રાખે છે.

સજ્જડ રીતે બારીબારણાં બંધ રાખેલા ઘરમાં, મરવાને વાંકે જીવતી વાસી, બંધિયાર હવામાં ગૂંગળાઈને જીવવા કરતાં, બહાર નીકળી જઈને, “ભોમિયા વિના ભમવા’તા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી..” –  બસ, આ એકતારો જ્યારે અંતરમાં ‘ઝણ ઝણ’ વાગવા માંડે ત્યારે એ નાદબ્રહ્મમાં આસપાસનું વાતાવરણ અને બધાં જ પ્રલોભનો એક પછી એક, અનાયસે જ પીગળવા માંડે  છે.

એ સમયે ન તો ખ્યાલ હોય છે આગમનો કે ન તો ખ્યાલ હોય છે અંતિમ ગંતવ્યનો. જોશ મલિહાબાદીની ગઝલનુમા ગીતની આ પંક્તિઓ અચાનક યાદ આવે છે :

“કહકશાં હૈ મેરી સુંદન
નૂર કા તડકા મેરી ચિલમન,
તોડ ચૂકા હૂં સારે બંધન
પૂરબ પચ્છમ ઉત્તર દક્ખન,
બોલ એક તારે ઝન ઝન
હે … બોલ એક તારે ઝન ઝન…!”

ગજરામાં ગુંથાયેલાં ફૂલો, કરમાયાં પહેલાં, સંપ કરીને કોઈ સુંદરીની અલકલટમાં પોતાની સુગંધનો દરિયો વહાવીને પોતાના હોવાપણાને સાર્થક માની લે છે. પણ એમાં કોઈ એકાદ ફૂલ એવુંયે છે કે જેને તો ન તો સુગંધિત રહીને યાદગીરી મૂકી જવી છે, કે, ન તો અન્યની સાથે ગંઠાયેલા રહીને ખરી જવું છે. એને તો બસ, આ ફૂલોનાં ટોળાં જેવા ગજરામાંથી બહાર જઈને ક્યાંક કદાચ પોતાની અલગ પહેચાન બનાવવી છે.

જિંદગીમાં કેટલાંક એવાં પણ હોય છે કે જેને ક્યાં ય એક મંઝિલ પર પહોંચવું નથી હોતું. એમને તો એકલા, પોતાનાં કદમના તાલ પર ગીત ગણગણતાં મુસાફરીનો આનંદ માણવો હોય છે. આ એક ધૂનકી છે, પોતાપણું જાળવીને સ્વયંભૂ મસ્તીમાં જીવી જવાની ..! કૃષ્ણ બિહારી ‘નૂર’નો આ શેર યાદ આવે છે…
“મૈં એક કતરા, મેરા અલગ વજૂદ તો હૈ
હુઆ કરે જો સમંદર મેરી તલાશ મેં  હૈ”

જિંદગીમાં અનેક મોડ એવા આવે છે કે જે સાવ આંધળાં હોય છે. ભીડ અને ટોળું, સહુને કોઠે બહુ જલદી પડી જાય છે, કારણ કે, એમાં એક Deceiving Sense of Security – છેતરામણી સલામતીનો આભાસ હોય છે. પણ એકવાર આ અસલામતીના ભયમાંથી જો છૂટી જવાયું તો પછી ભડાસ અને ભ્રમણાના “શાર્દૂલપંજા”માંથી મુક્ત થઈ જવાય છે.

આ મુક્તિનું અંતિમ ક્યાં છે, શું છે, એનો નકશો તો નથી, પણ, પછી સાચા અર્થમાં પછી એની તમાયે રહેતી નથી. આ જ છે First Step to Self-Liberation from The Labyrinth of Deceiving Sense of Security – ભૂલભૂલામણીવાળી, છેતરામણી સલામતીમાંથી સ્વ-મુક્તિ તરફ ઉપાડેલું પહેલું પગલું! રાહત ઈંદોરીનો એક શેર છે :

“લોગ હર મોડ પે રુક રુક કે સંભલતે ક્યું હૈં
ઈતના ડરતે હૈં તો ફિર ઘર સે નીકલતે ક્યું હૈં”

પણ, આ “સ્વ-મુક્તિ”નો માર્ગ ક્યાં કદીયે સહેલો હોય છે? અંતરની અનેક મથામણો, તકલીફો અને દુન્યવી ફરિયાદોના વમળો જ્યાં સુધી મનમાં જાગ્યા કરે છે ત્યાં સુધી સવાલોના ઘેરાવાની કેદમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે, છતાં પણ, એક છટપટાહટ સતત અંતરમાં થતી રહે છે કે આમાંથી બહાર નીકળવું છે.

ધારો કે, એકવાર ટોળાંની માનસિકતામાંથી બહાર નીકળી પણ ગયા તો પછી, આગળના અજાણ્યા રસ્તાઓ ક્યાં જશે અને કયાં અટકશે કે પછી રાહમાં ક્યાંક ફરી પાછું પોતાપણું મળશે તો શું થશે, આવા બધા સવાલોના જવાબો તે સમયે તો નથી જ હોતાં. અને, હોય તોયે આ અલગારીઓ જવાબો શોધવામાં સમય પણ ક્યાં બગાડવાનાં હતાં?

મોટાભાગે આપણે આપણા માટે જ આપણો સમય, સંસાધનો અને મૂડી વાપરતાં હોઈએ છીએ, ભલેને પછી, અંતરનો અવાજ કહેતો હોય કે “ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ ને ગમતાનો કરીએ ગુલાલ!”

જિંદગીનું બીજું નામ જ શક્યતાઓ અને સંભાવનાઓ છે. ભીડ અને ટોળું એક ચાતરેલી કેડી પર માથું નીચું રાખીને ચાલતાં રહેવામાં સલામતીનો આભાસી આનંદ આપી શકે છે પણ નવું કંઈ પામવું હોય, તો પરિચિતતાથી અપરિચિતતા તરફ ઉડાન ભરવી જ રહી. બહાર નીકળી જવાનો આ તલસાટ અને તરફડાટને કારણે જ સાચા અર્થમાં તો, દરેક શક્યતા અને સંભાવના, પોતે જ  પોતાના જન્મદાતા શોધી લે છે.

આ બધી જ મથામણ અને ‘સ્વ’ને પામવાની ઝંખનાના મૂળમાં પરમ તત્ત્વને પીછાણવાની આરત રહી છે. મીરાં તો મંજીરા લઈને હરિને પામવા, “મેરે તો ગિરધર ગોપાલ, દૂસરા ન કોઈ” ગાતી ગાતી ‘મહેલ’ની ‘બહાર’ નીકળી ગઈ હતી. તો કૃષ્ણપ્રેમમાં તનમનનું ભાન ગુમાવી બેઠેલી ગોપી, હરિની ઘેલછામાં, મટુકીમાં મૂકેલું માખણ વેચવાને બદલે “કોઈ માધવ લ્યો” કહેતી ‘બહાર’ નીકળી ગઈ હતી.

નરસિંહ, સૂરદાસ, તુલસીદાસ, કબીર આ બધા પ્રભુરસમાં તરબતર થઈને, હરિને પામ્યાં પણ શરીરી તત્ત્વોની બહાર નીકળીને, પોતાની સફર, પોતે જ કંડારેલી કેડી પર કરીને જ પરમને પામ્યા. આપણને પણ પરમને પામવા છે, પણ શી રીતે પામવા, એની મથામણમાં જ ભવાટવીમાં જ અટવાઈ જવાય છે.

રામ, રહીમ, કૃષ્ણ, જિસસ, બુદ્ધ અને ખુદા – કોણ કોનાં, આવા સવાલો ઊભા કરીને, આપણે  ભય, ભીડ, ભ્રમણા – બધામાં ફરી અટવાઈ જઈએ છીએ અને અંતરમાં મૂંઝારો થયા કરે છે.

આ મૂંઝારામાંથી મુક્તિ પામવી છે, હરિને પામવા છે પણ કેવી રીતે? તિલક, ટપકાં, જપમાળા, આ બધાં કદાચ સાધ્યની સાધના કરવા માટે જરૂરી એવી ચિત્તની ચેતના જગાવવા માટેની પ્રારંભિક તૈયારી હોય શકે પણ, એનાં થકી હરિ મળી જાય એવું તો ક્યાંથી બને? કવિ આ સાદગીથી ઊભરાતા શેરમાં કહે છે :

“હું તારા નામ સુધી પ્હોંચવા મથું છું
જપી રહ્યો છું એ માળાની બ્હાર કાઢ મને”

જિંદગી નામનું નાટક Illusion – ઈંદ્રજાળના મંચ પર, સતત ભજવાતું રહે છે. એક નિશ્વિત સ્ટેજ પર, પહેલેથી જ નક્કી કરેલું પોતાનું પાત્ર, ગાડરિયા પ્રવાહમાં તણાઈને ભજવી જવું, એ માથાભારે કેટલાંક લોકો માટે સંભવ જ નથી. આવા દિવાનાઓને મંજૂર નથી કે,

“કાગજ કે ઘરોંદો મેં એક ઉમ્ર બીતાની હૈ,
ઉસ પર યે હિદાયત હૈ યે બાત છિપાની હૈ”

– અજ્ઞાત 

(કદાચ, રંજન અગ્રવાલની આ પંક્તિઓ છે)

“સંભવામિ યુગે યુગે”નું વચન, મહાભારતના યુદ્ધમાં, અર્જુનને ગીતાના ઉદ્દબોધન સમયે શ્રીકૃષ્ણ આપે છે. આ ધરતી પર એમનો અવતાર તો “પરિત્રાણાય સાધુનામ્, વિનાશાય દુષ્કૃતામ્” માટે, એટલે કે, સજ્જનોનો ઉદ્ધાર કરવા અને દુષ્ટોનો વિનાશ કરવાના ચોક્કસ પ્રયોજન માટે થતો રહેશે એવું વચન આપે છે. બાકી, આ પૃથ્વી પર અવતરેલાં બીજાં સહુ જીવો માટે તો, પોતપોતાનાં કર્મો અનુસાર, “પુનર્પિ જન્મમ્, પુનર્પિ મરણમ્” ના ફેરા પ્રાયોજિત છે.

“ગમે તે માર્ગથી પાછો ફરીશ નક્કી છે
હ્રદયની બ્હાર કે દુનિયાની બ્હાર કાઢ મને…!”

અહીં આવીને, અંતરના અલખનાદ પાસે બસ, બધું જ જાણે થંભી જાય છે. અને, છેલ્લો શેર ઉદ્દભવે છે :

“સમગ્ર રૂપનાં દર્શન સુધી હવે લઈ જા,
લે ઝાલી આંગળી પીંછાની બ્હાર કાઢ મને!”

આ શેર, આખી ગઝલનું નવનીત છે. અહીં આવીને એક ચૂપકીદી અનાયસે ઊગી જાય છે અને મૌન એની ચરમ સીમા પર, શબ્દોની વાડ ઊભી કર્યા વિના, અર્થોની ગહનતાને ઉજાગર કરી જાય છે.

કવિના શબ્દો કોઈ બોધ આપ્યા વિના, અગમનિગમના ધુમ્મસની પરે જઈને, જ્યોર્તિમય રાહ પર ચાલવા માટે આંગળી ચીંધવાનું પુણ્ય કરીને, ઓઝલ થઈ જાય છે, ઓગળી જાય છે. કદાચ આ જ તો સાચું કવિકર્મ છે.

ક્લોઝ અપ –

“વો એક સાયા હૈ, અપના હો યા પરાયા હો
જનમ જનમ સે બરાબર, મેરી તલાશ મેં હૈ

મૈં  દેવતા કી તરહ,  કૈદ  અપને  મંદિર મેં
વો મેરે જિસ્મ કી બહાર, મેરી તલાશ મેં હૈ”

                                      – કૃષ્ણ બિહારી ‘નૂર’ 

(“આપણું આંગણું” ના સૌજન્યથી)
January 27, 2024
e.mail : jayumerchant@gmail.com

Loading

...102030...668669670671...680690700...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved