Opinion Magazine
Number of visits: 9457068
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જૂઠના ઘટાટોપ પર ખડી જુલમશાહી જાણે પત્તાના મહેલની પેઠે જમીનદોસ્ત

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|8 August 2024

(બળવો) બાંગલા ઘટના

જનરેશન ઝેડની આ કમાલ એમાં ભળી ગયેલાં ઝનૂની પરિબળોને કાબૂમાં રાખવા સહિતના પડકારોએ ભરેલી અને ભારેલી છે : વંચિતોના વાણોતર વચગાળાની આ નવી પાળી ખેલી જાણશે ?

પ્રકાશ ન. શાહ

હજુ બાંગલાદેશના પ્રમુખ શહાબુદ્દીને વિપ્લવી છાત્રજોવનાઈના સૂચવ્યા એમને હસીના વાજેદના ત્યાગપત્ર અને દેશત્યાગ પછીના સંજોગોમાં વચગાળાની જવાબદારી સાહલા સાદ પણ દીધો નહોતો, ત્યારે ઓલિમ્પિકની સલાહકારી જવાબદારી સર પેરિસ બેઠે વંચિતોના વાણોતર યુનુસે એક અખબારી મુલાકાતમાં વતન આંગણે વાસ્તવિકતા શું છે તે સચોટ સમજાવ્યું હતું : ‘જુઠાણાં, જુઠાણેજુઠાણાં … એ હદે એનો મારો કે પછી પોતે પણ એમાં માનવા મંડે.’

કારુણિકા એ છે આ મુલકની કે એક દેશ, એક પક્ષ, એક નેતા અને એક જ કથાનક (નેરેટિવ). જરીક જુદો અવાજ કે જમાત બહાર. ચૂંટણી કેવી તો કહે, નકો નકો હમણાં જાન્યુઆરીમાં શેખ હસીના વાજેદ ચોથી વાર ચુંટાયાં તે કેવી રીતે? વિપક્ષે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો એ રીતે! અને મતાધિકાર તેમ જ મતદાન એ જો લોકશાહી ચૂંટણીની એક ઓળખ હોય તો દેશના સત્તર કરોડ લોકમાંથી ખાસી બે તૃતીયાંશ વસ્તી – બાંગ્લાદેશી યુવાનો – કને વાસ્તવમાં મતાધિકાર છે જ ક્યાં.

તો લોકો અને સરકાર વચ્ચે કોઈ સંવાદતક પણ ક્યાંથી રહે, સિવાય કે જેલ, લાઠીગોળી …. બધી વિકાસવાર્તા વચ્ચે – આર્થિક વિકાસને મોરચે પ્રતિમાન છતાં – લોકશાહીને નામે ભેંકાર સૂનકાર.

એક જરા જુદો મુદ્દો પણ નોંધવો જોઈએ. એક જમાનામાં ટી.વી. ક્રાન્તિનો મહિમા એટલો બધો હતો કે ગોર્બાચોફે સોવિયેત સામ્રાજ્યશાહીના સંકેલાની શરૂઆત કરી ત્યારે રુમાનિયામાં પલટાનું શ્રેય બિનસામ્યવાદીઓએ કેવો ટી.વી. સ્ટુડિયો કબજે કરી લીધો એ બીનાને અપાયું હતું. આજનો દસકો જનરેશન ઝેડનો છે : એ છાત્રયુવા પેઢી કે જેને સારુ ઇન્ટરનેટ થકી ઝુમિંગ સરખી વિશ્વબારી ખુલી છે તે તમારી બંધ દુનિયાની બંદી કે મોહતાજ નથી. (બાય ધ વે, 2024ના આપણે ત્યાંના પરિણામોએ 2014 અને 2019ની ફતેહને ઓક્સિજન પર મુકાઈ જવા જેવો કિંચિત અનુભવ કરાવ્યો, એના કંઈક સગડ અહીં પકડાય છે?)

પરિવર્તનનો જે વાયરો બાંગલાદેશમાં ફુંકાયો છે તે એનાં ભયસ્થાનો ને મર્યાદાઓ પણ લઈને આવ્યો છે. તસલીમા નસરીને સચોટ ટિપ્પણી કરી છે આ દિવસોમાં કે જે ઇસ્લામિસ્ટોને રાજી કરવા હસીના વાજેદે મને તગેડી મૂકી હતી, તે આ છાત્રયુવા ઉઠાવ સાથે ભળી ગયા છે. હવે હિંદુઓનું, સેક્યુલરિસ્ટોનું, બિનકોમવાદીઓનું, રેશનલિસ્ટોનું આવી બન્યું સમજો.

પરિવર્તનની પ્રક્રિયામાત્રમાં જેમ આદર્શવાદનો ધક્કો ને ધખના હોય છે તેમ કશુંક સંમિશ્ર પણ હોવાનું, રહેવાનું. 1971ના આઝાદી લડવૈયાઓની નવી પેઢીને સારુ સરકારમાં ખાસી ત્રીસ ટકા અનામતની (એટલે કે સત્તાપક્ષની કેડરની પરબારી ભરતીની) જાહેરાતે છાત્રયુવા માનસને એક ચિનગારી ચાંપી પણ એ તત્કાળનિમિત્ત પાછળ વાસ્તવિક લોકતંત્રને નામે જે મોટું મીંડુ હતું અને છે એનો ફાળો ઓછો નથી. આ ઉઠાવનો એક ચહેરો તમને જો પૂર્વ વડા પ્રધાનનાં આંતરવસ્ત્રો સરેઆમ પ્રદર્શિત કરવાની હીન ચેષ્ટામાં દેખાતો હોય તો એ પણ એનો ચહેરો છે કે હિંદુ મિલકતો ને મંદિરો પરના હુમલા આડે આ દિવસોમાં એની કવચ કોશિશ પણ રહી છે. રામકૃષ્ણ મિશનના કોઈ સંન્યાસી અને આ યુવજનોની જુગલબંદી હિટલરી જર્મનીમાં યહૂદીઓની પડખે ઊભા રહેલા વણગાયા ખ્રિસ્તી પાદરીઓના વારાની યાદ આપે છે. બાંગલાદેશી સડકો પર લહેરાતા પારાવાર વચ્ચે આવી દ્વીપ ઘટનાઓ સ્તો સ્વામી આનંદ કહે તેમ ‘ધરતીનું લૂણ’ છે.

યુનુસે થોડા દિવસ પર એ મતલબનીયે એક પ્રગટ ફરિયાદ કરી હતી કે અમારે ત્યાંના ઘટનાક્રમને ભારત સરકાર ‘બાંગલાદેશની આંતરિક બાબત’ કહીને બધો વખત બાજુએ કેમ મૂકી દે છે. આપણે અગ્નિ એશિયાઈ દેશો છેવટે તો એક બિરાદરી છીએ. અમારા યુવાજનોનો આતશ ફાટશે તો ભારત કંઈ અસ્પૃષ્ટ રહી શકવાનું નથી. દેશની વિદેશ નીતિ અને સ્વદેશનીતિ રાષ્ટ્રીય હિત અને મૂલ્યમાવજતની રીતે કશુંક નવવિધાન માગે છે, જેમાં પરિવર્તનના વાયરાને આવકાર હોય અને એમાં રહેલી સંમિશ્રતા હોય એમાં રહેલી સંમિશ્રતા પરત્વે શોધનની સોઈ હોય.

Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 07 ઑગસ્ટ 2024

Loading

ભારત, પાકિસ્તાન, બાંગલાદેશમાં ભજવાતું ફારસ

રમેશ ઓઝા|Opinion - Opinion|8 August 2024

રમેશ ઓઝા

મોહનદાસ કરમચંદ ગાંધી ભલે દાવો કરતા હોય, ભારતમાં ભારતીય રાષ્ટ્રવાદ જેવી કોઈ ચીજ નથી, જે છે એ ધર્મ આધારિત કોમી રાષ્ટ્રવાદ છે અને તે પરસ્પર ભિન્ન છે. એક છે હિંદુઓની રાષ્ટ્રીયતા અને બીજી છે મુસલમાનોની રાષ્ટ્રીયતા. તે બેની વચ્ચે સમાનતા નહીંવત્ છે અને જે છે એ પણ ગૌણ છે. માટે આ બે પ્રજા સાથે રહી શકે એમ નથી. હિંદુ મહાસભાના નેતા વિનાયક દામોદર સાવરકરે ૧૯૩૭ની સાલમાં પક્ષના અમદાવાદ અધિવેશનમાં આમ કહ્યું હતું અને ૧૯૪૦માં મુસ્લિમ લીગના નેતા મહમ્મદ અલી ઝીણાએ લીગના લાહોર અધિવેશનમાં આમ કહ્યું હતું. આમ એટલે અદ્દલ એક સરખી ભાષામાં ડીટ્ટો. બન્ને ઠરાવો ઉપલબ્ધ છે જે તમે જોઈ શકો છો અને ખાતરી કરી શકો છો.

એ પછી જે થયું એ ઇતિહાસ છે. ભારતનું ધર્મના નામે વિભાજન થયું અને મુસ્લિમ અથવા ઇસ્લામની રાષ્ટ્રીયતા આધારિત પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું. પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનમાં મુસલમાનો બહુમતીમાં હતા એટલે રાષ્ટ્રવાદની જે પહેલી શરત હોય છે બહુમતીની તો એ બહુમતીની શરત પૂરી થતી હતી. પણ પાકિસ્તાન હજુ અસ્તિત્વના બે દાયકા પણ હજુ તો પૂરા કરે એ પહેલાં તેની અખંડતા સામે પડકારો પેદા થવા લાગ્યા. મુખ્ય પડકાર પૂર્વ પાકિસ્તાનમાંથી પેદા થયો હતો. પૂર્વ પાકિસ્તાનના બંગાળીઓને એમ લાગવા માંડ્યું હતું કે પશ્ચિમ પાકિસ્તાનના શાસકો તેમની કલ્પનાનો ઇસ્લામ, તેમની કલ્પનાનું ઇસ્લામિક શાસન, તેમની કલ્પનાની ઇસ્લામિક જીવનપદ્ધતિ, ભારતીય ઉપખંડના મુસલમાનોની તેમની કલ્પનાની કહેવાતી કોમી મઝહબી ભાષા એટલે કે ઉર્દૂ પૂર્વ બંગાળના મુસલમાનો પર લાદી રહ્યા છે. પશ્ચિમ પાકિસ્તાનના શાસકોએ અને વિશેષ કરીને લશ્કરી શાસકોએ પૂર્વ પાકિસ્તાનને એક સંસ્થાન બનાવી દીધું છે. અંગ્રેજોના સંસ્થાન તરીકે મુક્તિ મેળવીને પશ્ચિમ પાકિસ્તાનનું સંસ્થાન બન્યું. ઊલમાંથી ચૂલમાં પડ્યા હોય એવો અનુભવ પૂર્વ પાકિસ્તાનના મુસલમાનોને થવા લાગ્યો.

પાકિસ્તાનના શાસકો બેખબર હતા અને જો ખબર હતી તો મુસ્તાક હતા. આ મુસ્તાકી ખતરનાક સાબિત થતી હોય છે. બેખબરને ખબરદાર બનાવી શકાય, પણ મુસ્તાકને કોઈ વારી ન શકે, એ પડે ત્યારે જ સમજે અને જ્યારે સમજે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય. પાકિસ્તાનની સ્થાપના પછી તરત જ ૧૯મી માર્ચ ૧૯૪૮ના રોજ પાકિસ્તાનના સ્થાપક અને રાષ્ટ્રપિતા મહમ્મદ અલી ઝીણા પૂર્વ પાકિસ્તાનની રાજધાની ઢાકા ગયા હતા. પૂર્વ પાકિસ્તાનની એ તેમની પહેલી અને છેલ્લી મુલાકાત હતી. ઢાકાની યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કહ્યું હતું કે દરેક દેશને પોતાની પ્રજાને જોડનારી એક ભાષા જોઈએ એટલે અમે નિર્ણય લીધો છે કે પાકિસ્તાનની રાષ્ટ્રભાષા ઉર્દૂ હશે. મહમ્મદ અલી ઝીણાના આશ્ચર્ય વચ્ચે ત્યાંને ત્યાં જ તેમની સામે વિદ્યાર્થીઓએ ઉર્દૂ ભાષાનો વિરોધ કર્યો હતો અને માગણી કરી હતી કે ઉર્દૂની સાથે બંગાળીને પણ રાષ્ટ્રભાષા બનાવવામાં આવે. એક પાકિસ્તાન, એક ધર્મ, બે પાંખ અને બે ભાષા. ઝીણાએ ભારતમાં બે ધર્મના સહઅસ્તિત્વને નકાર્યું અને પાકિસ્તાનમાં બે ભાષાના એક સમાન દરજ્જાને અથવા સહઅસ્તિત્વને નકાર્યું.

અહીં વિરોધાભાસ ધ્યાનમાં આવ્યો? ૧૯૪૦થી ૧૯૪૭ સુધી દલીલ કરવામાં આવતી હતી કે ઇસ્લામ મુસલમાનોને જોડનારી પ્રબળ કડી છે. ૧૯૪૭ પછી કહેવામાં આવ્યું કે બહુમતી પ્રજા એક જ ધર્મને માનતી હોય એ પૂરતું નથી, તેમની એક (અને માત્ર એક જ) ભાષા પણ હોવી જોઈએ. પહેલાં કહેવામાં આવ્યું કે એક ભૂમિમાં બે ધર્મ પાળનારાઓનું સહઅસ્તિત્વ શક્ય નથી અને પછી તરત કહેવામ આવ્યું કે બે ભાષાનું સહઅસ્તિત્વ શક્ય નથી. અને એનાથી મોટું આશ્ચર્ય એ વાતનું હતું કે અવિભાજિત પાકિસ્તાનમાં જેટલા મુસલમાન હતા તેનાથી વધારે મોટી સંખ્યામાં મુસલમાનોએ ભારતમાં રહેવાનું પસંદ કર્યું હતું જેમને ઇસ્લામ સિવાયના બીજા ધર્મો સામે અને ઉર્દૂ સિવાયની બીજી ભાષાઓ સામે કોઈ વાંધો નહોતો. અને તેની સંખ્યા પણ પાછી ડઝનોમાં હતી. ભારતના ઇતિહાસમાં પાકિસ્તાન એક ફારસરૂપ નાટક હતું અને એ ફારસને હિન્દુત્વવાદી હિંદુઓનો ટેકો હતો. તેઓ પણ એવું એક ફારસ ભજવવા માગતા હતા અને અત્યારે તેઓ તે ભજવી રહ્યા છે.

ખેર, પાકિસ્તાનના વિભાજનની શરૂઆત પાકિસ્તાનની સ્થાપના પછી છ મહિનામાં ૧૯મી માર્ચ ૧૯૪૮ના રોજ મહમ્મદ અલી ઝીણાની નજર સામે શરૂ થઈ ગઈ હતી. ઢાકાની યુનિવર્સિટીમાં જે છાત્રોએ ઝીણાનો વિરોધ કર્યો હતો એ છાત્રોનું નેતૃત્વ કરનારા છાત્રનેતા હતા શેખ મુજીબુર રહેમાન. પાકિસ્તાન હજુ તેની સ્થાપનાની રજતજયંતી ઉજવે એ પહેલાં તેનું બંગાળી ભાષાને નામે વિભાજન થયું. ભાષાની અસ્મિતાએ ઇસ્લામની અસ્મિતાને પરાસ્ત કરી. પણ ફારસનો હજુ અંત આવવાનો નહોતો.

પૂર્વ પાકિસ્તાનમાંથી ઇસ્લામના અને ઇસ્લામિક તેહઝીબના ઠેકેદારો ગયા અને તેમની જગ્યા બંગલા અસ્મિતાના ઠેકેદારોએ લીધી. બંગાળી ભાષા બંગલાદેશને જોડનાર એકમાત્ર અંતિમ પરિબળ છે અને જે કોઈ તેનો વિરોધ કરે છે એ બધા દેશદ્રોહી છે. શેખ મુજીબુર રેહમાનના વખતથી ડરાવવાનું શરૂ થયું. ઠેકેદારોને દુશ્મન વિના ચાલતું નથી. બંગાળી ભાષા કરતાં ઇસ્લામ વધારે મહત્ત્વ ધરાવે છે એમ માનનારા અનેક બંગાળી મુસલમાનો બંગલાદેશમાં અસ્તિત્વ ધરાવે છે. એનો અર્થ એવો નથી કે તેઓ બંગાળી અસ્મિતાની વિરુદ્ધ છે. બંગલાદેશમાં મુસલમાનોની જીવનશૈલી પર હિંદુઓનો મોટો પ્રભાવ છે અને તેમણે તે છોડીને ઇસ્લામિક જીવનશૈલી અને રીતિરિવાજ અપનાવવા જોઈએ એમ માનનારા મુસલમાનો પણ મોટી સંખ્યામાં છે, ભારતમાં પણ છે, પાકિસ્તાનમાં પણ છે. ઈરાની મુસલમાનો પર ઝોરોસ્ટ્રીયન સંસ્કારોનો પ્રભાવ છે એમ માનનારા ઈરાની મુસલમાનો છે. બંગલાદેશમાં બંગલા અસ્મિતાના ઠેકેદારોએ તેમને દુશ્મન તરીકે ઓળખી બતાવ્યા અને તેમને સતાવવાનું શરૂ કર્યું. શેખ હસીનાની સરમુખત્યારશાહી આના પર નિર્ભર હતી.

જો હું સત્તામાં નહીં હોઉં તો આ બંગલા અસ્મિતાના દુશ્મનો તમારા પર ચડી બેસશે. હું છું તો તમે સુરક્ષિત છો. આગળ કહ્યું એમ આ ફારસ છે જે ભારત, પાકિસ્તાન અને બંગલાદેશમાં ભજવવામાં આવી રહ્યું છે. ભજવનારાઓ અલગ અલગ છે, ફારસ એક સરખું છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 08 ઑગસ્ટ 2024

Loading

સાદગી, સંઘર્ષ, પ્રામાણિકતા, પારદર્શિતા અને બૌદ્ધિકતાનું પ્રતીક મધુ દંડવતે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|8 August 2024

માર્ચ ૧૯૭૭.

ચંદુ મહેરિયા

ઇન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી ઉઠ્યા પછીની લોકસભા ચૂંટણીમાં જનતા પાર્ટીનો વિજય થયો હતો. એવા સમયે કેટલાક અધિકારીઓ અને રાજનેતાઓએ રાજધાનીના વી.પી. હાઉસના ફ્લેટ નંબર ૪૦૩નો દરવાજો ખખડાવ્યો. કાર્યકરે દરવાજો ખોલ્યો તો તેમણે પ્રો. મધુ દંડવતે ક્યાં?-ની પૃચ્છા કરી. કાર્યકરે પૃચ્છાના જવાબમાં બાથરૂમ તરફ ઈશારો કર્યો. પ્રોફેસર અને નવનિર્વાચિત સાંસદ બાથરૂમમાં કપડાં ધોતાં હતા! મધુ દંડવતે મહારાષ્ટ્રના રાજાપુર મતવિસ્તારમાંથી લોકસભામાં ચૂંટાયા હતા. કોઈ આવ્યાનું જણાતા એ ભીના લૂગડે ચશ્માંની દાંડી નાક પર ચઢાવતા બહાર આવ્યા. આગંતુકોના આશ્ચર્ય અને આઘાતમિશ્રિત ચહેરા નીરખીને તે બોલ્યા, ‘ચૂંટણીમાં  બધાં લૂગડાં બહુ મેલા થઈ ગયાં હતા. આજે મોકો મળ્યો તે ધોવાનો.’ અફસરો અને નેતાઓએ તેમને નવી સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે જોડાવા શપથવિધિમાં પહોંચવાનું ઈજન દીધું. જનતા સરકારના રાજ્યારોહણની તૈયારીમાં દિલ્હી વ્યસ્ત હતું ત્યારે એ બધાથી જાણે કે બેખબર, સાદગી અને સ્વાશ્રયને વરેલા પ્રો. દંડવતે કપડાં ધોવામાં મસ્ત હતા.

મોરારજી દેસાઈના વડપણ હેઠળની જનતા પક્ષની સરકારના રેલવે મંત્રી અને સંનિષ્ઠ એટલા સમર્પિત સમાજવાદી મધુ દંડવતે(૨૧ જાન્યુઆરી ૧૯૨૪ – ૧૨ નવેમ્બર ૨૦૦૫)નું આ જન્મ શતાબ્દી વરસ છે. લાલબત્તીવાળી સરકારી ગાડી તો જાણે કે પહેલીવાર ૧૯૭૭માં મળી પણ સમાજવાદી હોવાના નાતે જેલના તો એ આદિ. ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ લોકોના જીવનમાં મૂળભૂત ફેરફાર લાવનારા જૂજ રાજકીય નેતાઓ પૈકીના એક તેમને ગણાવ્યા છે.  રેલવેના બીજા વર્ગની બર્થ એટલે લાકડાનું પાટિયું. રેલવે મંત્રી દંડવતેએ  તેને  બે ઈંચ ફોમથી મઢ્યું અને સેકન્ડ કલાસના રેલયાત્રીઓની મુસાફરી આરામદાયક બનાવી. રેલવેના મૂળભૂત માળખામાં તેમણે મહત્ત્વના સુધારા કર્યા. રેલવેનું કમ્યુટરીકરણ પણ મધુ દંડવતેની જ દેન છે. દંડવતે જે રાજાપુર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા તે મહારાષ્ટ્રના કોંકણમાં રેલવે પહોંચી નહોતી. તેમના પુરોગામી સમાજવાદી સાંસદ નાથ પૈ જ્યારે આ પ્રશ્ન સંસદમાં ઉઠાવતા ત્યારે તેમને મળતો સરકારી જવાબ, ‘અસંભવ કામ માટેનો મૂર્ખતાપૂર્ણ પ્રયાસ’નો રહેતો. પરંતુ દંડવતે એ કોંકણને રેલવે આપી અસંભવ કામ સંભવ કર્યું હતું. રેલવે કર્મચારીઓની લાંબી હડતાળ પછી સરકાર અને રેલવે યુનિયનો વચ્ચે અંતર વધ્યું હતું. દંડવતે એ તે અંતર ઘટાડ્યું હતું.

મધુ દંડવતે

મહારાષ્ટ્ર્ના અહમદનગરમાં જન્મેલા મધુ દંડવતેના દાદા સાહિત્યકાર હતા અને પિતા ઈજનેર. પિતા દીકરાને ઈજનેર બનાવવા માંગતા હતા. પરંતુ દીકરો કોઈ જુદા જ દેવ માંડી બેઠેલો. મુંબઈની પ્રતિષ્ઠિત રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાંથી ફિઝિક્સમાં એમ.એસસી. કર્યું. ૧૯૪૬માં બાવીસ વરસના મધુ દંડવતે ડો. બાબાસાહેબ આંબેડકર સ્થાપિત સિદ્ધાર્થ કોલેજમાં ફિઝિક્સના અધ્યાપક બન્યા હતા.  અઢાર વરસની વયે  ક્વીટ ઇન્ડિયા મુવમેન્ટમાં જોડાયા ત્યારથી એમના જાહેરજીવનની શરૂઆત થઈ હતી. પાંચવારના આ લોકસભા સભ્યે તેમની બે દાયકા લાંબી સંસદીય કારકિર્દીનો આરંભ ૧૯૭૦માં  મહારાષ્ટ્ર વિધાના પરિષદના સભ્ય તરીકે કર્યો હતો. દંડવતે મોરારજી સરકારના રેલવે મંત્રી હતા તો વી.પી. સિંઘ સરકારના નાણાં મંત્રી, અને હા દેવગૌડા સરકારના પ્લાનિંગ કમિશનના વાઈસ ચેરપર્સન પણ હતા.

સરકારી હોદ્દા અને મંત્રી પદ એમણે પૂર્ણ લાયકાતના ધોરણે મેળવ્યું હતું. હાડના તો એ સંઘર્ષશીલ કર્મશીલ હતા. એટલે ગોવા મુક્તિ આંદોલનમાં કમરનું હાડકું પણ ભંગાવ્યું હતું. કટોકટી દરમિયાન બેંગલુરુની સેન્ટ્રલ જેલમાં તે લાંબો સમય રહ્યા. તે સમયના તેમના બેરેક સાથી અટલ બિહારી વાજપાઈ હતા. સમાજવાદને વરેલાં કર્મશીલ જીવન સાથી પ્રમિલા દંડવતે પણ કટોકટીમાં જેલમાં હતાં. મધુ બંગલુરુમાં તો પ્રમિલા યરવડામાં. જેલવાસ દરમિયાન  દંડવતે દંપતી વચ્ચે થયેલો પત્ર વ્યવહાર ઠીક ઠીક ઉલ્લેખાય છે, પરંતુ જેલમાંથી જ મધુ દંડવતે એ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને પણ તેમની આપખુદ રસમો માટે લલકારતા અને ઠપકારતા બસો જેટલા પત્રો નીડરપણે લખ્યા હતા. એ ન જાને કેટલાને યાદ હશે ?

દંડવતેના નામ સાથે પ્રોફેસરનું લટકણિયું કંઈ અમસ્તું નથી. ડોં. આંબેડકરે નાતજાતના ધોરણે નહીં, પણ પૂર્ણ લાયકાતના ધોરણે સિદ્ધાર્થ કોલેજમાં અધ્યાપકોની નિમણૂક કરી હતી. ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર તરીકે એમને દંડવતે જડ્યા એ પણ એવા કે જે ન્યૂક્લિયર ફિઝિક્સ સ્થાનિક અને સરળ ભાષામાં ભણાવે. “વિજ્ઞાનના કઠિન કહેવાતા પારિભાષિક શબ્દો હિંદી કે ભારતીય ભાષામાં શક્ય છે. હું આખું પરમાણુ ભૌતિકી હિંદી-મરાઠીમાં ભણાવી શકું છું,’ તેમ અદબ અને અભિમાનથી લખતા મધુ દંડવતે કંઈ અમથા પ્રોફેસર કહેવાયા હશે?

સિદ્ધાર્થ કોલેજના અધ્યાપકને નાતે દંડવતેને ડો. આંબેડકર સાથે પણ સારો નાતો બંધાયો હતો. તેમની સાથેના સંવાદે દંડવતેના મનમાં સામાજિક ન્યાયનો ખ્યાલ વધુ દૃઢ થયો હતો. વાજબી રીતે જ બંધારણના ઘડવૈયા કહેવાતા ડો. આંબેડકરના વિચારો પ્રમાણેનું વર્તમાન બંધારણ કેટલું તેનો દંડવતે જ આપી શકે તેવો જવાબ હતો કે, “બંધારણની એક નકલનાં પાનાં પર ડો. આંબેડકરે પોતાની સમાલોચના લખી છે. બંધારણના એક એક પરિચ્છેદ પર ટિપ્પણી સ્વરૂપે. એ પ્રકાશિત થાય તો બાબાસાહેબની યુગદૃષ્ટિની ઝલક જોવા મળે.”

જેમ દંડવતેની બૌદ્ધિકતા, પ્રામાણિકતા અને પારદર્શિતાની દુહાઈ દેવાય છે તેમ તેમની તટસ્થતા પણ વખણાય છે. એટલે પક્ષે ઘણી મહત્ત્વની ચૂંટણીઓના તેમને ચૂંટણી અધિકારી બનાવ્યા હતા. જો કે વી.પી.સિંઘની વડા પ્રધાન તરીકેની પસંદગી ચૂંટણી અધિકારી દંડવતેની તટસ્થતા પર સવાલો કરે તેવી હતી. જનતા દળના સંસદીય પક્ષના નેતાની ચૂંટણીમાં ચન્દ્રશેખર ઝંપલાવવાના હતા. પરંતુ તેમને દેવીલાલના નામે મનાવી લેવાયા. પછી દેવીલાલે “હું તો તાઉ જ ભલો” એમ કહીને વિશ્વનાથ પ્રતાપ સિંઘને પસંદ કર્યા. આ સઘળુ ચન્દ્રશેખરને અંધારામાં રાખીને થયું હતું અને મધુ દંડવતેએ થવા દીધું હતું. આ ઘટનામાં મધુ દંડવતેની ભૂમિકા સંદર્ભે ચન્દ્રશેખરે આત્મકથા “જીવન જૈસા જિયામાં લખ્યું છે, “મધુ દંડવતે ઈસ તરહ કી તિકડમ કે સાઝીદાર હોંગે, ઈસકા મુઝે કભી વિશ્વાસ નહીં હુઆ.” (પૃષ્ઠ- ૧૬૩) દંડવતેની તટસ્થતાનું આથી મોટું પ્રમાણ બીજું શું હોઈ શકે?

૧૯૯૧ અને ૧૯૯૬ની સામાન્ય ચૂંટણીઓમાં દંડવતેની હાર થઈ હતી. એટલે ૧૯૭૧થી ૧૯૯૧ની તેમની દીર્ઘ સંસદીય કારકિર્દીનો અંત આવ્યો. જો કે ૧૯૯૬માં જ્યારે તેઓ ચૂંટણી હાર્યા હતા ત્યારે જ વડા પ્રધાન પદ માટે તેમના નામની વિચારણા ચાલી હતી. પોતે લોકસભાના સભ્ય જ નથી એટલે તેમણે વાતને ઊગતી ડામી દીધી હતી. કહેવાય છે કે તે પછી દેવગૌડાની પ્રધાન મંત્રી તરીકેની પસંદગી દંડવતેની હતી. દેવગૌડાએ તેમને આયોજન પંચના ઉપાધ્યક્ષ બનાવ્યા એટલે ઘણાંને વાતમાં તથ્ય પણ લાગ્યું.

એક્યાસીની વયે ૨૦૦૫માં એમનો દેહવિલય થયો. વાંચતી, લખતી, લડતી, ઝઘડતી અને તર્કવિતર્ક સાથે વિચારવિમર્શ કરતી સમાજવાદીઓની ગઈ પેઢીનું મધુ દંડવતે અણમોલ સંતાન હતા.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...474475476477...480490500...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved