એક હતું જંગલ
જંગલમાં એક કૂકડો. રોજ સવારે વહેલો ઊઠે. ઝાડ પર ચડે અને જોર જોરથી બોલે : ‘કૂકડે…. કૂક…. કૂકડે… કૂક…..’
કૂકડાની બાંગ સાંભળીને સિંહ, વાધ, વરુ ઊંઘમાંથી ઊઠે. ઊઠીને શિકાર કરવા જાય. કાગડો, મોર, પોપટ ઊઠે. ઊઠીને દાણા ચણવા જાય. મેના, કોયલ અને સુગરી ઊઠે. ઊઠીને સળીઓ વીણે અને માળા બાંધે. બધાં વહેલાં ઊઠે, કામ કરે અને સાંજ પડે ત્યારે કૂકડાનો આભાર માને : ‘વાહ, કૂકડાભાઈ, વાહ ! તમે વહેલા ઉઠાડો છો તો અમારું કામ થાય છે.’
કૂકડાભાઈના વખાણ સૌ કોઈ કરે, પણ એક ચકલો ખૂબ અદેખો. તે કહે : ‘તમે અમસ્તાં કૂકડાનાં વખાણ કરો છો. ઝાડ પર ચઢીને એ જોરજોરથી બરાડે છે એમાં કૂકડા એ શું ધાડ મારી ? હું પણ બધાંને ઉઠાડું.’
બધાં પ્રાણીઓ અને પંખીઓ બહુ ચિડાઈ ગયાં. ચકલાને કહે : ‘ભલે, કાલથી તું ઉઠાડજે, તો અમે તારાં વખાણ કરીશું.’
બીજે દિવસે ચકલો વહેલો ઉઠયો, ઝાડ પર ચઢયો. જોરથી કૂકડે કૂક બોલવા ગળું ફાડયું. પણ અવાજ તો ખૂબ ધીમો નીકળ્યો. : ‘ચીં…ચીં…ચીં….ચીં’. ફરીથી ગળું ફાડયું પણ ચીં…ચીં એવો ધીમો અવાજ જ નીકળ્યો. કોઈને સંભળાયો નહીં. કોઈ ઉઠયું નહીં. કોઈ શિકારે ન ગયું. કોઈ દાણા ચણવા ન ગયું. કોઈએ માળો ન બાંધ્યો.
મોડાં મોડાં બધાં ઉઠયાં. ઊઠીને ચકલાને ખૂબ ધમકાવ્યો. ‘કેમ અમને ઊઠાડયાં નહીં ? અમે ભૂખ્યા રહ્યાં. અમારું કામ રખડી ગયું.’
ચકલો જુઠ્ઠું બોલ્યો : ‘આજે રવિવાર છે ને એટલે.’ બધાં બહુ ચિડાઈ ગયાં. ચકલો કહે : ‘કાલે જરૂર હું તમને ઉઠાડીશ.’
આખો દિવસ ચકલો ચિંતા કરતો રહ્યો : બધાંને કાલે ઉઠાડીશ કેવી રીતે ? છેવટે તેને એક વિચાર આવ્યો. ચકલો ખુશ ખુશ થઈ ગયો. બાજુ ના ગામમાંથી એક મોટું નગારું લઈ આવ્યો. સવારના ચકલો વહેલો ઊઠયો અને જોર જોરથી નગારું વગાડવા માંડયો : ઢડડડડડં ઢમ. ધ્રુબાંગ ઢમ…
જંગલમાં કોઈએ નગારાનો અવાજ સાંભળ્યો ન હતો. બધાં ઝબકીને જાગી ઊઠયાં. ખૂબ ગબરાઈ ગયાં. નાનાં બચ્ચાં રડવા લાગ્યાં. બીકના માર્યા સૌ અંધારામાં અંહીથી તહીં દોડવા લાગ્યાં.
જ્યારે બધાંને ખબર પડી કે આ અવાજ તો નગારાનો છે અને નગારું ચકલો વગાડે છે. ત્યારે બધાં એવાં ચિડાઈ ગયાં કે ચાંચો મારી મારીને ચકલાને અધમૂઓ કરી નાખ્યો. ચકલો રડતો રડતો બાજુના ગામમાં ભાગી ગયો. તે દિવસથી બધાં જ ચકલા-ચકલીઓ ગામમાં રહે છે. કોઈ જંગલમાં રહેવાની હિંમત કરતું નથી.
(સૌજન્ય : "રિડગુજરાતી")
![]()


અમેરિકાથી પધારેલા શ્રી ભરત ભટ્ટ અને શ્રીમતી નીલિમા શુક્લ ભટ્ટના સાનિધ્યમાં, ‘વાર્તા વર્તુળ’ની આજની બેઠકમાં અગવડો વેઠીને ય પધારેલા સહુનું સ્વાગત કરતાં સંચાલક વિપુલ કલ્યાણીના ચહેરા પર વરસેલો છાનો હરખ માણવા કૅમેરો સ્હેજ ઝૂમ કરવો પડશે.
છત્તીસગઢમાં કોંગ્રેસની પરિવર્તન રેલી પર નક્સલવાદીઓના હિચકારા હુમલાના સમાચાર વાંચતાં જ ભૂદાન યજ્ઞ આદરીને નક્સલવાદનો સર્વોદયી ઉકેલ આપનારા વિનોબા ભાવેનું સ્મરણ સ્ફુરી ઊઠયું. અહીં ધર્મ અંગે ચર્ચા કરવી છે ત્યારે અઠંગ અને અનન્ય ગાંધીજન એવા વિનોબાએ આપેલું સૂત્ર પણ સાંભરે છે, વિજ્ઞાન + ધર્મ = શાંતિ (વિકાસ) અને વિજ્ઞાન + અધર્મ = અશાંતિ (વિનાશ). વિજ્ઞાન અને ધર્મને સદીઓથી આપણે એકબીજાની સામસામે મૂકતા આવ્યા છીએ ત્યારે વિનોબાએ તેને જોડીને વિકાસનો માર્ગ ચીંધ્યો હતો. બર્ટ્રાન્ડ રસેલે પણ વિજ્ઞાન અને ધર્મને સાંકળીને સુંદર વાત કરી હતી, ‘ધર્મ વિનાનું વિજ્ઞાન લૂલું છે અને વિજ્ઞાન વિનાનો ધર્મ આંધળો છે.’ આજે વિજ્ઞાન વિકસ્યું છે તો સાથે સાથે ધર્મનો વિસ્તાર પણ ઘણો વધ્યો છે. છતાં એ બન્ને વચ્ચે સેતુ સાધવાનું કામ હજુ ઉપેક્ષિત જ રહ્યું છે.