Opinion Magazine
Number of visits: 9526046
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અદેખો ચકલો

ઘનશ્યામ દેસાઈ|Opinion - Short Stories|5 June 2013

એક હતું જંગલ

જંગલમાં એક કૂકડો. રોજ સવારે વહેલો ઊઠે. ઝાડ પર ચડે અને જોર જોરથી બોલે : ‘કૂકડે…. કૂક…. કૂકડે… કૂક…..’

કૂકડાની બાંગ સાંભળીને સિંહ, વાધ, વરુ ઊંઘમાંથી ઊઠે. ઊઠીને શિકાર કરવા જાય. કાગડો, મોર, પોપટ ઊઠે. ઊઠીને દાણા ચણવા જાય. મેના, કોયલ અને સુગરી ઊઠે. ઊઠીને સળીઓ વીણે અને માળા બાંધે. બધાં વહેલાં ઊઠે, કામ કરે અને સાંજ પડે ત્યારે કૂકડાનો આભાર માને : ‘વાહ, કૂકડાભાઈ, વાહ ! તમે વહેલા ઉઠાડો છો તો અમારું કામ થાય છે.’

કૂકડાભાઈના વખાણ સૌ કોઈ કરે, પણ એક ચકલો ખૂબ અદેખો. તે કહે : ‘તમે અમસ્તાં કૂકડાનાં વખાણ કરો છો. ઝાડ પર ચઢીને એ જોરજોરથી બરાડે છે એમાં કૂકડા એ શું ધાડ મારી ? હું પણ બધાંને ઉઠાડું.’

બધાં પ્રાણીઓ અને પંખીઓ બહુ ચિડાઈ ગયાં. ચકલાને કહે : ‘ભલે, કાલથી તું ઉઠાડજે, તો અમે તારાં વખાણ કરીશું.’

બીજે દિવસે ચકલો વહેલો ઉઠયો, ઝાડ પર ચઢયો. જોરથી કૂકડે કૂક બોલવા ગળું ફાડયું. પણ અવાજ તો ખૂબ ધીમો નીકળ્યો. : ‘ચીં…ચીં…ચીં….ચીં’. ફરીથી ગળું ફાડયું પણ ચીં…ચીં એવો ધીમો અવાજ જ નીકળ્યો. કોઈને સંભળાયો નહીં. કોઈ ઉઠયું નહીં. કોઈ શિકારે ન ગયું. કોઈ દાણા ચણવા ન ગયું. કોઈએ માળો ન બાંધ્યો.

મોડાં મોડાં બધાં ઉઠયાં. ઊઠીને ચકલાને ખૂબ ધમકાવ્યો. ‘કેમ અમને ઊઠાડયાં નહીં ? અમે ભૂખ્યા રહ્યાં. અમારું કામ રખડી ગયું.’

ચકલો જુઠ્ઠું બોલ્યો : ‘આજે રવિવાર છે ને એટલે.’ બધાં બહુ ચિડાઈ ગયાં. ચકલો કહે : ‘કાલે જરૂર હું તમને ઉઠાડીશ.’

આખો દિવસ ચકલો ચિંતા કરતો રહ્યો : બધાંને કાલે ઉઠાડીશ કેવી રીતે ? છેવટે તેને એક વિચાર આવ્યો. ચકલો ખુશ ખુશ થઈ ગયો. બાજુ ના ગામમાંથી એક મોટું નગારું લઈ આવ્યો. સવારના ચકલો વહેલો ઊઠયો અને જોર જોરથી નગારું વગાડવા માંડયો : ઢડડડડડં ઢમ. ધ્રુબાંગ ઢમ…

જંગલમાં કોઈએ નગારાનો અવાજ સાંભળ્યો ન હતો. બધાં ઝબકીને જાગી ઊઠયાં. ખૂબ ગબરાઈ ગયાં. નાનાં બચ્ચાં રડવા લાગ્યાં. બીકના માર્યા સૌ અંધારામાં અંહીથી તહીં દોડવા લાગ્યાં.

જ્યારે બધાંને ખબર પડી કે આ અવાજ તો નગારાનો છે અને નગારું ચકલો વગાડે છે. ત્યારે બધાં એવાં ચિડાઈ ગયાં કે ચાંચો મારી મારીને ચકલાને અધમૂઓ કરી નાખ્યો. ચકલો રડતો રડતો બાજુના ગામમાં ભાગી ગયો. તે દિવસથી બધાં જ ચકલા-ચકલીઓ ગામમાં રહે છે. કોઈ જંગલમાં રહેવાની હિંમત કરતું નથી.

(સૌજન્ય : "રિડગુજરાતી")

Loading

લૅટ્સ ઝૂઉઉઉઉઉઉઉમ

અનિલ વ્યાસ|Opinion - Literature|4 June 2013

અમેરિકાથી પધારેલા શ્રી ભરત ભટ્ટ અને શ્રીમતી નીલિમા શુક્લ ભટ્ટના સાનિધ્યમાં, ‘વાર્તા વર્તુળ’ની આજની બેઠકમાં અગવડો વેઠીને ય પધારેલા સહુનું સ્વાગત કરતાં સંચાલક વિપુલ કલ્યાણીના ચહેરા પર વરસેલો છાનો હરખ માણવા કૅમેરો સ્હેજ ઝૂમ કરવો પડશે. 

યસ. હવે બરાબર ઝીલાય છે, એમની આંખ પકડું .. ઓહો … એમાં દેખાય છે આ બેઠકબંકાઓ .. પહેલાં રૂપમઢ્યું નારીવૃંદ .. ભદ્રા વડગામા, હંસા પુરોહિત, શશી પટેલ …. હવે દોસ્તો, પંચમ શુક્લ, રમણભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પટેલ, ગવર નથ્થુ, મહેન્દ્ર દેસાઈ, બાબુભાઈ સિકોતરા, સુભાષભાઈ દેસાઈ, પિંડોરિયાજી અને આ ક્ષણે ચહેરો ઉપસે કિન્તુ નામ ન પરખાય એ સહુ.

આવકારની વાણીના મોજા પર સવાર હિમાંશી શેલતની વાર્તા, ‘સાતમા આસમનની ભોંય’ પરના મહેન્દ્ર દેસાઈના રસદર્શન પછી સહુ સ્તબ્ધ છે. શશીબહેન બારી બહાર–અંદર  જોતાં વિચારે છે, પુરુષોની પરંપરાગત ચાલી આવતી આપખુદી અને સ્ત્રીએ વેઠવી પડતી પીડા. એમનો ચિત્કાર ભદ્રા વડગામાના તંગ ચહેરા પર જોઉં છું. લેટસ ક્લિક ધેટ. રમણભાઈના ચહેરા પર અકળામણ તરવરે છે વાર્તામાં પમાતાં ભવાઈના સ્તરગત પરિવર્તનો .. કોઈને મન છે અભિમાનની ટક્કર, તો કોઈ હાથ ઊંચકી, મુઠ્ઠી વાળી વ્યકત કરે છે, રિયાલીટી શૉઝની જનમાનસ પર અસર, બદલાતાં મૂલ્યો અને ધ્રુજતું કૌટુંબિક જીવન.

કેમૅરો બાજુએ રાખી, હવે ભદ્રા વડગામાની વાર્તા ‘ચકરાવો’ની વાત કરું. આ વાર્તામાં લેખિકાએ જે કાળ સદ્શીકરણ અને જક્સટાપૉઝ શન (એકબીજાની પાસે મૂકવું)  રચ્યું છે એ કાબિલેદાદ છે. એમણે આત્મકથાનાત્મક લાગતી વાતને જે કલાત્મકતાથી મૂકી છે, ઉપરાંત જે સંદર્ભો અને ઈંગિતો રચ્યાં છે, એ વાર્તા રસને ઉપકારક બને છે. સહુને આ વાર્તા ગમી અને સહુએ પ્રમાણી.

આ એ એમની ઘડાયેલી સમજ અને સર્જનનો નમૂનો છે. કોણ બોલ્યું ? સંચાલક વિપુલ કલ્યાણી, ઓફકોર્સ. સાથોસાથ એમણે આ સમગ્ર પરિવર્તન પાછળના પરિબળને સ્પષટ કરતાં કહ્યું, ‘વાર્તાની નિખાલસ ચર્ચા અને વિવિધ દ્રષ્ટિકોણને સમજી, વાર્તા પર વધુ ધ્યાન આપી, ફરીથી સર્જન તપાસવાની, વાર્તાકારની તૈયારીનું આ પરિણામ છે.’ વળી અગાઉના વાર્તા વર્તુળના સંચાલકો .. પોપટલાલ પંચાલ, મનેશચંદ્ર કંસારા, વલ્લભ નાંઢા, અને અનિલ વ્યાસના પ્રયાસોની ઉપયોગિતા અને અસરની નોંધ અંકે કરી અતિથિ વિશેષને નિમંત્ર્યા. હવે કેમૅરા .. રોલ … એકશન. ‘આવો, ભરતભાઈ’. (ઈટ ઈઝ જસ્ટ અ વેલકમ જેશ્ચર ઓન્લી, ભદ્રાબે’ન. નોટ અ મેલ ડોમીનન્સ એટઓલ.)

ભરત ભટ્ટના ઝૂમ લૅન્સમાં દેખાતા ચહેરા પર ચિંતા હતી ગુજરાતી ભાષાની. અમેરિકાની કોલેજો અને યુનિવર્સિટીઓમાં અન્ય ભાષાઓના લેકચરર હોય, એ ભાષા માટે ભંડોળ ઊભું થયું હોય, ત્યારે આપણી ભાષાની ખેવના તરફે આવી ઉદાસીનતા? આપણાં બાળકો અમુક અક્ષરો ઓળખતા નથી. સુભાષ દેસાઈથી ન રહેવાયું, ચહેરો આટલો રાતોચોળ ? ઝૂમ હટાવી જોઉં સઘળા ચહેરા સરખા ચિંતિત.

આપણા સંતાનો હવે મોબાઈલ વાપરે છે ફેસબુક કે ઓરકુટ કે કોઈ એપ્સ વાપરી ચૅટ (વાતો, હોં ભઈ.) કરે ત્યારે અંગ્રેજીમાં ગુજરાતી લખે. હવે આપણા ળ, ક્ષ, જ્ઞ અક્ષરો અંગ્રજીમાં જુદા છે. આ ળ તો છે જ નહિ. એટલે ‘મળ્યા’ કહેવું હોય ત્યાં લખવું પડે .. Malya. આ મલ્યા, મલીશું  લખતા આપણાં સંતાનોને ‘ળ’ની ખબર જ નથી. હા સુભાષભાઈ. તમારા નામમાં વપરાતો ‘ષ’ પણ એવો અઘરો જ છે, એમના માટે. એમને ષટ્કોણ એટલે Hexagon.

એની વૅ, ભરતભાઈ તરફ ફરું. બીજી બાજુ એ ચિંતા કરે છે સર્જાતા સાહિત્યના સ્તર અને ગુણવત્તાની. કહે, ગુજરાતમાં આપણું સાહિત્ય કેમ નથી લેખામાં લેવાતું ? નિમંત્રણ મેળવી અમેરિકા ફરવા આવતા ગુજરાતના દિગ્ગજ સાહિત્યકારો આપણાં સર્જનના કેવા કેવા વખાણ કરે છે ? (વાહ, અમારે બ્રિટનમાં આવીને ય એ જ વાત કરે છે, મોટા ભાગના આમંત્રિત સ્વદેશી સર્જકો. કેવું સરસ !)  ત્રીજી વાત … ડાયસ્પોરાનું સાહિત્ય કેમ વતનઝુરાપાની બહાર આવતું નથી ? (અલ્યા ભઈ, માટીની આ કાયાને એમ કંઈ માટીની માયા છૂટે ?) તરત સભામાં ગરમાટો આવી ગયો. સહુએ ખાસ્સી ચર્ચા કરી અને ગંભીરતા પિછાણી, ખસૂસ નક્કી પણ કર્યું જાગતિક રહેવાનું.

સાઉથ એશિયન રિલીજિયન પર વિદ્યા વાચસ્પતિ થયેલાં નીલિમા શુકલ–ભટ્ટને લેન્સ કુમારે તો આગળ વધી સલામ કરી; હું શું કરી શકું ફૉકસ એડજેસ્ટ કરવા સિવાય ? અમેરિકાની વૅલેસ્લી કોલેજમાં પ્રાદ્યાપિકા તરીકે ધર્મની ખેવના કરતાં કરતાં એમણે ગાંધી યુગીન કાવ્યો મુખ્યત્વે સત્યાગ્રહ સંબધે “ઓપીનિયન”માં પ્રગટ થયેલાં કાવ્યોનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. મહાત્મા ગાંધીના અત્યંત પ્રિય પદ ‘વૈષ્ણવ જન તો તેને કહિયે ..’ વિષે વિગતે વાત કરતાં, એ અસ્પૃશ્યતા અને ગાંધીજીનો દ્રષ્ટિકોણ રજૂ કરે છે. વર્ષોથી એક માનવ સમૂહને કરેલા અન્યાયનું પ્રાયશ્ચિત, અસ્પૃશયતા નિવારણ અને ગાંધીજીએ હરિજન શબ્દની કરેલ પસંદગી, અને તે સમયના અને આજના વ્યાપક પ્રતિભાવની ખાસ્સી િવચારશીલ ચર્ચામાં કેમેરો બાજુએ રાખી હું ય જોતરાયો. હું જે સમજ્યો છું એ કે અછૂત, અસ્પૃશય,  દલિત …. આ શબ્દો ગાંધીજીને ન ગમ્યા, એના મૂળમાં સંભવત: એ વાત હોવી જોઈએ કે આ શબ્દો વર્તણૂક સૂચક છે. ક્યાંક છાનો ઈશારો છે. એને ન અડાય કેમ કે એ આ છે. બીજું ગાંધીજી સત્યાગ્રહના માર્ગે સહુને સાથે રાખી ઝઝૂમવાના આગ્રહી હતા, પશ્ચાતાપ કરતાં એકતા, સમભાવ અને સહવાસ જોડાયેલાં સમજવા.

ફરી કેમેરો લઈ, પાછલા પગે જોઉં છું. હરખભર્યા મોં, હસતા હોઠ, છલકાતો ઉમંગ.

આ હોંશ અને ઉલ્લાસ કાયમ રાખું ખર્..ર્.. ર્..ર્..ખટ …. 

Loading

ધર્મ : માનો તો’ય સારું ન માનો તો’ય સારું !

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|2 June 2013

લેટેસ્ટ સર્વે કહે છે કે ધર્મમાં માનનારા ઘટયા છે, યે બાત કુછ હજમ નહીં હૂઈ ! ધર્મ પાખંડીઓને કારણે વારંવાર વગોવાયો છે તો ક્યારેક તેને અફીણ કહીને ઉતારી પડાયો છે, છતાં ધર્મ ટક્યો છે. કમનસીબે ધર્મને નામે ધતિંગ કરનારા વધ્યા છે એટલે ધર્મ અંગેની સમજને સ્પષ્ટ કરવી અને સુધારવી જરૂરી બની છે, સાચું ને ?

છત્તીસગઢમાં કોંગ્રેસની પરિવર્તન રેલી પર નક્સલવાદીઓના હિચકારા હુમલાના સમાચાર વાંચતાં જ ભૂદાન યજ્ઞ આદરીને નક્સલવાદનો સર્વોદયી ઉકેલ આપનારા વિનોબા ભાવેનું સ્મરણ સ્ફુરી ઊઠયું. અહીં ધર્મ અંગે ચર્ચા કરવી છે ત્યારે અઠંગ અને અનન્ય ગાંધીજન એવા વિનોબાએ આપેલું સૂત્ર પણ સાંભરે છે, વિજ્ઞાન + ધર્મ = શાંતિ (વિકાસ) અને વિજ્ઞાન + અધર્મ = અશાંતિ (વિનાશ). વિજ્ઞાન અને ધર્મને સદીઓથી આપણે એકબીજાની સામસામે મૂકતા આવ્યા છીએ ત્યારે વિનોબાએ તેને જોડીને વિકાસનો માર્ગ ચીંધ્યો હતો. બર્ટ્રાન્ડ રસેલે પણ વિજ્ઞાન અને ધર્મને સાંકળીને સુંદર વાત કરી હતી, ‘ધર્મ વિનાનું વિજ્ઞાન લૂલું છે અને વિજ્ઞાન વિનાનો ધર્મ આંધળો છે.’ આજે વિજ્ઞાન વિકસ્યું છે તો સાથે સાથે ધર્મનો વિસ્તાર પણ ઘણો વધ્યો છે. છતાં એ બન્ને વચ્ચે સેતુ સાધવાનું કામ હજુ ઉપેક્ષિત જ રહ્યું છે.

તાજેતરમાં વિન ગેલપ નામની સંસ્થાનો ગ્લોબલ ઇન્ડેક્સ ઓફ રિલિજિયોસિટી એન્ડ એથિઝમનો લેટેસ્ટ સર્વે જારી થયો છે. આ સર્વે કહે છે કે ભારતમાં ધર્મમાં માનનારા લોકોની સંખ્યા ઘટી છે. આંકડા બોલે છે કે વર્ષ ૨૦૦૫માં ભારતના ૮૭ ટકા લોકો ધર્મમાં આસ્થા ધરાવતા હતા, પરંતુ ૨૦૧૩માં આ આંકડો ઘટીને ૮૧ ટકાએ આવી પહોંચ્યો છે ! શું ખરેખર લોકો ધર્મમાંથી શ્રદ્ધા ગુમાવી રહ્યા છે? આધુનિક માનવીએ ધર્મ નામના 'અફીણ'ને અલવિદા કરી દીધી છે? મંદિરોમાં દર્શન માટે લાગતી લાંબી લાંબી લાઇનો, પગપાળા યાત્રાઓમાં ઉમટતાં ટોળેટોળાં, ઉમંગભેર ઊજવાતા ધાર્મિક ઉત્સવો વગેરેને જોતાં ભાગ્યે જ કોઈ આ સર્વે સાથે સહમત થઈ શકે. આજે બાધા-આખડી રાખનારા લોકોની કમી નથી. આધુનિક ગણાતા શહેરી લોકો પણ મંત્ર-તંત્રમાં અંધશ્રદ્ધા ધરાવતા હોવાના પુરાવા ઠેર ઠેર મળતાં રહે છે. સુશિક્ષિત લોકો પણ પોતાની વ્યક્તિગત સમજ કરતાં સાધુ-બાવાઓ-મુલ્લા-પાદરીની સલાહને વધારે મહત્ત્વ આપતા જોવા મળે છે. કહેવાતી ધાર્મિક ચેનલો મનોરંજન ચેનલો જેટલો જ ટી.આર.પી. ઉસેટી રહી છે. આવા માહોલમાં ધર્મ-સંપ્રદાયનું વર્ચસ્વ વધ્યું હોવાના જાગતા પુરાવા મળી રહ્યા છે.

આધુનિક માનવીએ ધર્મથી અળગા થઈ જવાની નહીં તેને ઓળખવાની જરૂર છે. ધર્મ અને શ્રદ્ધાના નામે ચાલતાં પાખંડ અને ધતિંગો સામે તેણે આંખ ઉઘાડવી જ નહીં બલકે લાલ પણ કરવી પડે. કમનસીબે એવું ભાગ્યે જ થઈ રહ્યું છે. આજનો માનવી વિજ્ઞાનની દેણ સમી નિતનવી શોધ-સંશોધનોનો ઉપભોગ તો કરે છે, પણ તેનામાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસ્યો હોય એવું ઓછું જોવા મળે છે અને એટલે જ ધર્મને નામે સદીઓથી ચાલતાં ધતિંગો આજે પણ ધૂમ મચાવી રહ્યાં છે. શ્રદ્ધાના નામે ફેલાવાતી અંધશ્રદ્ધાનાં અંધારાં એકવીસમી સદીમાં પણ ઉલેચાયાં નથી. દોષનો ટોપલો ધર્મને પોતાના પિતાની ધોરાજી સમજીને કંઈ પણ હાંક્યે રાખનારા પાખંડીઓ પર ચોક્કસ ઢોળી શકાય પણ શું ધર્મ અંગેની આપણી અડધીપડધી-અધકચરી અને તકવાદી સમજનો આમાં કંઈ જ વાંક નથી? આ અંગે પણ થોડું વિચારવું રહ્યું.

ધર્મ એટલે કોઈ સંપ્રદાયના ચોક્કસ નિયમોનું પાલનમાત્ર છે? ધર્મ એટલે કોઈ સાધુ-બાવાનાં વચનોને દિમાગની બત્તી બુઝાવીને સાંભળ્યે રાખવાની ફરજમાત્ર છે? કોઈ ધર્મ શું તમને અન્ય ધર્મ કે સંપ્રદાયના દુશ્મન બનાવે ખરો? ધર્મ તમને ગાડરિયા પ્રવાહમાં વહાવ્યે રાખે ખરો? ધર્મ તમને સુધારે નહીં પણ પંપાળ્યે રાખે ખરો? ના, ના અને ચોખ્ખી ના ! ધર્મ તો માણસની પ્રકૃતિગત પશુતાને પાછળ રાખીને ખરા અર્થમાં માણસ બનાવે છે, માનવતાનાં પીયૂષ પાતો હોય છે.

ધર્મ એ એટલી વિશાળ અને જનસામાન્ય (કોમન) બાબત છે કે તેને કોઈ એક પરિભાષા કે માળખામાં બેસાડી શકાય નહીં. કદાચ એટલે જ આપણે ત્યાં અનેક ધર્મો અને સંપ્રદાયો સ્થપાયા છે, પણ એમાં ય છેવટે તો ધર્મને એક વિચારધારામાં કે રીતભાતોમાં જ સીમિત કરી દેવાતો હોય છે. ધર્મ તો જાતને સતત સુધારતા જવાની અવિરત પ્રક્રિયા છે. ધર્મ તો દુર્ગુણોને ત્યાગીને સદ્દગુણોને વિકસાવવાની કવાયત છે. ધર્મ તો મર્યાદાઓ અને સંકુચિતતાઓના વાડાઓને લાંઘીને ઉદારતા અને વિશાળતા પામતા જવાની દિશાદોરી છે. માણસ વિચારતો થાય, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે પોતાની આજુબાજુના માહોલને મૂલવતો જાય તેમ જ પોતાના અનુભવોમાંથી નિતનવું શીખતો જાય, સમજ અને શાણપણ વધારતો જાય ત્યારે તે પોતાના સ્વધર્મને પામે છે, જેનો બોધ ભગવાન શ્રીકૃષ્ણે શ્રીમદ્દ ભગવદ્દગીતા થકી આપ્યો હતો.

ખરો ધર્મ તો માણસને વિચાર કરતો કરે, નહીં કે કોઈ એક વિચારમાં બાંધી દે. જે. કૃષ્ણર્મૂિતએ એક સુંદર વાત કરી હતી કે ‘કોઈ વિચાર જ્યારે થીજી જાય છે ત્યારે તેનાથી સંપ્રદાયની ઇમારત ચણવામાં આવતી હોય છે.’ કોઈનો થીજેલો વિચાર તમારું ભલું કરી શકે નહીં, તમારું સત્ય તમારે જ શોધવું પડે અને એ જ રીતે તમારો ધર્મ પણ તમારે પોતે જ ઘડવો પડે

http://sandesh.com/article.aspx?newsid=173145

લેખકની ‘સમય-સંકેત’ કટાર, “સંદેશ”, Jun 01, 2013 

Loading

...102030...4,0564,0574,0584,059...4,0704,0804,090...

Search by

Opinion

  • રાહુલ ગાંધી ચૂંટણી કેમ હારી જાય છે? 
  • AI ઇમિગ્રન્ટ્સ : AI કો વિઝા નહીં લગતા, AI કી સરહદ નહીં હોતી 
  • આપણને સોક્રેટિસ જોઈએ છે કે સોફિસ્ટ? 
  • બિહારમાં ‘હાર’ એન.ડી.એ.ના ગળામાં …
  • પ્રજાએ હવે અસહમતિ અને વિરોધ વચ્ચેની ભેદરેખા પારખવી પડશે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 

Poetry

  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ
  • નદી
  • ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved