Opinion Magazine
Number of visits: 9772466
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નાળિયેરીઓની વાડીમાં ગાયોનો ઉછેર

‘દર્શક’|Opinion - Literature|7 October 2014

ક્યારે લખવા માંડ્યું, તે યાદ કરું છું ત્યારે યાદ આવે છે કે ચોથી-પાંચમી ચોપડી ભણતો હોઈશ ત્યારે, પરશુરામે પિતાની આજ્ઞાથી માતા રેણુકાનો વધ કર્યો, અને પિતા પ્રસન્ન થયા ત્યારે એણે માતાને જીવતાં કરવાનું અને માતા પોતાનો અલ્પદોષ પણ ભૂલી જાય તેવું માગ્યું, એ કથા સાંભળીને મેં પહેલું નાનકડું નાટક આરંભ્યું – આરંભ્યું જ, બે-ત્રણ પ્રવેશો લખાયા, અને પછી બાળકની જેમ બીજી રમતોમાં મન ચાલ્યું ગયું. પુરાણો, રામાયણ, મહાભારત હું નાનપણથી સાંભળતો અને વાંચતો હતો. પણ આ કથાએ જે કેમ મને સર્જન કરવા પ્રેર્યો તે આજે વિચાર કરું છું ત્યારે થાય છે કે પરશુરામે બાપનું પણ માન્યું, અને માતાને પણ ન્યાય કર્યો, અને તે પણ શુદ્ધ સ્વરૂપે. આ બેવડા રસે મને ધક્કો માર્યો હશે. બેવડો – આજ્ઞાપાનનો રસ અને આજ્ઞાઉત્થાપનનો, અણધાર્યો, નવીન માતૃપ્રેમરસ, અને તે પણ એકવીસ વાર પૃથ્વીને નક્ષત્રી કરનાર પરશુરામમાં ! પરશુ તો ત્યાં નિરર્થક થઈ, રામ જ રહ્યા.

પછી પણ નાટક જ લખાયાં તે વાંકાનેર હાઈસ્કુલમાં ત્રીજી અંગ્રેજીમાં. એકમાં બે શિક્ષકોના અનુભવના આઘાત-પ્રત્યાઘાતો હતા, એક વિદ્યાર્થીને ઉત્સાહ આપનારા અને બીજા ઉત્સાહને મૃતપ્રાય કરનારા. તે ક્યાંક છપાયાનું પણ યાદ છે. વાંકાનેરની નાટકશાળામાં બારીએ ટિંગાઈ, ટિંગાઈ, ‘એક અબળા’ જોયેલું, – અંદર જઈને જોવાના પૈસા તો ક્યાંથી હોય ? પણ રસ તો પાણામાંથી પણ ઝરે છે ને ? ‘એક અબળા’ તે વખતે બહુ જાણીતું થટેલું નાટક, તેમાં ‘એક અબળા’ કોઈક નટી જ થાય, નામ યાદ નથી, પણ સવિનયમાં નમ્રતા, દઢતાનો મેળ મને સ્પર્શી ગયેલો. તેનાં ધક્કાથી નવું નાટક લખ્યું તેમાં રાજકીય ઊથલપાથલનું પણ મેળવણ. નાટક લખાયા પછી બે-ત્રણ વર્ષે વાંચ્યું અને ફાડી નાંખ્યું.

બીજા લેખક કે સર્જકની મૂળ વસ્તુ કે કથા આપણને નવું લખવાની પ્રેરણા કેમ આપતી હશે ? શેક્સપિયરે પ્લુટાર્કનાં જીવનચરિત્રોનો અને  બીજી લોકકથાઓનો ભરપટ્ટે ધક્કો અનુભવ્યો છે તેમ કહેવાય છે.

મોટપણે હ્યુગોનું ‘નાઇન્ટી થ્રી’ મને ‘બંધન અને મુક્તિ’ લખવામાં કાંઈક ધક્કો આપનારું નીવડ્યું હતું.

એવું હોય કે તેમાં મળેલો રસાનંદ પુનરાવર્તિત કરવાની ઇચ્છા હોય. એમ પણ હોય કે એમાં રહેલી ઊણપે પણ આપણને તેને સુધારવાની ઇચ્છા ઊભી કરી હોય. બંને સાથે પણ હોય, કે તેની કલમ આપણી આબોહવાના છોડ સાથે કરવાની ઝંખના પણ હોય.

પણ તેના કરતાંયે મોટો પ્રશ્ન લખવાનું શું કામ થયું તે છે. લખ્યા વિના કેમ ન ચાલ્યું ? તેનો જવાબ સહેલો અને ઘણો અઘરો છે.

વાત પર ઘણી વાર વિચારે ચડી જવાય છે. ત્યારે થયું છે કે આપણા ગાઢ સુખના, તેમ જ અસહ્ય દુઃખના અનુભવોને ફરી ફરીને વાગોળવાની ઇચ્છા રહે છે. સુખના અનુભવો વાગોળવાનું મન તો થાય પણ દુઃખના શા માટે ? એક તો વીતી ગયેલું દુઃખ છે, અને આપણે તે દુઃખને વળોટી ઉપર આવી ગયા છીએ તે કારણ હશે. અને તેથી જ શોકાન્તિકામાં દુઃખ હોય છે, પણ અર્થવાહક હોય છે.

લેખન દ્વારા એક નવું વિશ્વ સર્જવાની, અનુભવાતા સંસારની ઊણપો દૂર કરવાની, એ ક્ષતિઓના દર્શને એ ક્ષતિઓ વિના પરિપૂર્ણ સુંદર જગતનું નિર્માણ કરવાની અદમ્ય ઇચ્છા કામ કરતી હોય છે. આ કાંઈક શબ્દલીલામાં જ નહિ હોય; ટાંકણું, રંગરેખા, બધે જ આ કામ કરતી હશે.

આ પછી લખાઈ બે-ત્રણ વાર્તાઓ, તે ’૩૦ની લડતમાં, બરવાળા-ધંધુકા છાવણીઓમાં. એકાદ છપાઈ, બરવાળાની છાવણી જપ્ત થતી વખતે બેગ સાહેબ ઝૂંટવી ગયા, તેની પાસે જપ્ત થયેલો સામાન માગવા ગયો, તેણે એવી રીતે જોયું! – ‘તું આવડો અમથો છોકરો! લેખક! વાર્તાને શું કરવી છે તારે! ચાલતી પકડ!’ – તે પછી ‘ભૂખ કરતાં ભાલા ભલા’, ‘અંધારામાં’ એવી વાર્તાઓ લખાઈ પણ પછી અટકી ગયું. મનને તેની સીમાઓ ટૂંકી લાગી.

પહેલો કાંઈક ગંભીર પ્રયોગ કહી શકાય તો તે ‘બંદીઘર’ નામે પ્રસિદ્ધ થયેલી નવલકથાનો. વીસાપુર જેલ, મોટું રૂપાળું તળાવ, કામ કાંઈ ખાસ નહિ, ખૂબ શાંતિ, ચારે બાજુ મૈત્રીનું જ વાતાવરણ. થોડા માસ પહેલાં જ નાસિક જેલના પારાવાર ત્રાસ, ભયમાંથી અક્ષત પસાર થયેલા, ‘પાંઉ પર હાથ’ નહીં મૂકવા માટે એકાંત કોટડીઓમાં, ઊભી બેડીઓ – આડી બેડીઓ, ગુણપાટનાં કપડાં, ખારી કાંજી, બધી સજાઓ વેઠેલી, અને જેલરો રોસ અને જેક્સનને અમે દર અઠવાડિયે સજા સ્વીકારતાં ‘ઔર કુછ?’ ખુમારીથી પૂછતા.

આ ખુમારીમાં સ્વામી આનંદ તેલ પૂરે. સાને ગુરુજી અને સ્વામી બીજા વર્ગમાં, થોડું ફરી શકે અમારા કંપાઉન્ડમાં, અમે બંધ ખોલીમાં પુરાયેલા હોઈએ. એ અમને કહી જાય : ‘જો જો, કાઠિયાવાડનું પાણી ન જાય ! હાથી જીવતો લાખનો, પણ મૂઓ સવા લાખનો.’ સ્વામીનો એ પહેલો પરિચય, ઉજ્જવળ-નમણી પુણ્ય નીતરતી કાયા, ભરાવદાર ચહેરો, સ્નેહ નીતરતી આંખો.

અમે એટલે રતુભાઈ અદાણી, રતુભાઈ કોઠારી, ઈશ્વરલાલ દવે, મગનભાઈ-સતીકુમાર અને હું વગેરે – દસબાર જણ.

બધા ઊછરતા વછેરા જેવા. સગાંવહાલાં દૂર, વતન દૂર, એકાંત કોટડીઓ, હૃદયના ધબકારા ગણાય તેવું એકાંત !

વીસાપુરમાં એથી સાવ જુદો જ અનુભવ. મુક્તતા – હિલનમિલન, વીસાપુરની આ છૂટછાટોએ મારામાં નાશિક વિશેષ સજીવન કર્યું, અને તેમાંથી લખાયું ‘બંધીધર’. મૂળ નામ રાખેલું ‘કબ્રસ્તાન’. પછી તે કાંઈક વધારે પડતું લાગ્યું એટલે બદલી નાખ્યું. તેની શૈલી પર રમણલાલની કાંઈક અસર પણ ખરી.

પછી ‘જલિયાંવાલા’-‘૧૮૫૭’ લખાયાં. ત્રણ ત્રણ દિવસનાં સર્જન. બંને જપ્ત થયાં. નાટક તે કેમ કહેવાય ? પણ રાષ્ટ્રીય જાગૃતિના એ કાળે આવા વિષયો મારે જેવા માટે સહજ ગણાય.

મારા પિતાજી પેન્શન પર ઊતરી ગયેલા, બહેનને પરણાવવાની, તે ખર્ચ તો થાય જ. તાજી જ ‘નાઇન્ટી થ્રી’ વાંચેલી, જેલમાં, ‘લા મીઝરેબલ’ – મધ્યમ અને મોટી આવૃત્તિઓ – ફરી ફરી માણેલી, તેનો ધક્કો, ‘૧૮૫૭’નું નાટક તો તાજું જ લખેલું, એટલું તેનું વાતાવરણ – વસ્તુ તો ઘૂમતું જ હતું, પણ સત્તાવન એ ક્રાંતિ નહોતી, બળવો જ હતો, તે તુલનાયે હું સમજ્યો જ હતો.

પાનેલી, મિત્ર ગિરધરભાઈને ત્યાં પહોંચી ગયો. આઠ દિવસ – રોજના દસ કલાક લખ્યું. આઠમે દિવસે પૂરી કરી ઊભો થયો, એક પ્રકરણ કે એક લીટી પણ ફેરવવી ન પડી – લખાયું તેવું જ પ્રેસમાં ગયું. મેઘાણીભાઈને કેટલુંક વંચાવ્યું હતું. એમની આંખો જળે ઊભરાઈ. કહે : ‘આવું ખુશબોદાર લખાણ હવે અમારાથી ન થાય.’

‘બંધન અને મુક્તિ’. ૧૮૫૭ના બળવાની વાત. હિંસા – પ્રતિહિંસાના – વિદ્વેષના પ્રવાહો – મોજા; વીરતા અને અલ્પદર્શિતા – તેની વાહિનીઓ.

‘બંધન અને મુક્તિ’ ઐતિહાસિક નવલકથા છે અને નથી. છે એ અર્થમાં કે બળવાની નિષ્ફળતા તેમાં છે, રાષ્ટ્રની ઊર્જિત આકાંક્ષા છે; પણ શેખર – સુભગા કાંઈ ઐતિહાસિક નથી, તે કાળે તે નહોતાં. તે તો મારા કાળની સમજ અને સ્વપ્નની મૂર્તિઓ છે, પણ રમણલાલે ‘ભારેલો અગ્નિ’માં ગાંધીજીની અહિંસાને એક પાત્ર દ્વારા મૂર્ત કરી તેવી ભૂલ ‘બંધન અને મુક્તિ’માં નથી. યુયુત્સા ‘બંધન અને મુક્તિ’માં ભરપૂર છે. ખાનદાની, સૌકુમાર્ય છે; અહિંસા નહિ.

‘બંધન અને મુક્તિ’ મારી પ્રથમ સાહિત્યિક યશ આપનારી કૃતિ. વિષ્ણુભાઈએ કહેલું કે ‘ઊંઘ બગાડે તેવી કૃતિ’ છે. ‘નાઇન્ટી થ્રી’ સાથે તેને સંબંધ જ નથી રહ્યો.

જોવાનું કે લખવાનું દબાણ અર્થપ્રાપ્તિનું હતું, પણ લખાયું આંતરિક રસની પુનઃ પુનઃ પરિતૃપ્તિ માણવા.

‘પ્રેમ અને પૂજા’ રાજકોટ સત્યાગ્રહના અનુભવે, જે સત્યાગ્રહમાં આગ્રહ વધારે – સત્ય અપૂરતું – જેમાં ગાંધીજીનું અગ્નિસમું અનશન, તેણે લખાવ્યું. ‘પ્રેમ અને પૂજા’ કાંઈ રાજકોટ સત્યાગ્રહની આવૃત્તિ નથી જ, તેમાં બીજાં વહેણો પણ છે. પોતાના અનુભવો, પોતાના અસંતોષ, આત્મવિવેચન, કાલ્પનિક જગતમાં નવા નવા પરિવેષોમાં મુકાયાં છે.

૧૯૪૨માં – ‘ક્વિટ ઇન્ડિયા’ – ‘ભારત છોડો’ – ‘અહીંથી ટળો’-નું વિરાટ આંદોલન, આખરી ફેંસલો કરવાનું ટાણું, ૧૯૩૦માં ઘર છોડ્યું. ૧૯૪૨માં રામચંદ્રને જન્મ્યાને સાત-આઠ દિવસ પણ નહિ થયેલા – નાનાભાઈ પણ જેલમાં, પણ જવાનું તે તો જવાનું જ, અમારા બેમાંથી એકેયને થડકારો નહોતો.

ભાવનગર જેલ. ભલું રાજ્ય. વાંચવા-લખવાની પૂરી સગવડો આપે.

મારો જીવ તો ઇતિહાસનો. સાહિત્યમાં ઇતિહાસ અને ઇતિહાસમાં સાહિત્ય ભાળું. કવિ ઠાકુરને પ્રતાપે રાષ્ટ્રની બિનશરતી ભક્તિ નાડીમાં નહિ, બાપુને પ્રતાપે વિદ્વેષ કોઈ પ્રત્યે નહિ. આ ભૂમિકાએ આંતર-બાહ્ય જગત જોવાની આદત. અંગ્રેજોને ‘ટળો’ તેમ તો કહ્યું, પણ હિટલર – નાઝીવાદ તો પહેલાં જ ટળવો જોઈએ. જાપાનનો ટોજો તો હારવો જ જોઈએ, ભલે સુભાષબાબુ તેની સાથે હોય, અંગ્રેજો સાથે લડાઈ, છતાં અંગ્રેજો જ જીતે. હિટલર હારે તેવી ઇતિહાસ પ્રેરિત આકાંક્ષા અને કેવા અંગ્રેજો ‘અમે દરિયામાં લડશું, દરિયા કાંઠે લડશું – શેરીઓમાં, ઘરોમાં લડશું. પણ નમતું તો નહિ આપીએ.’ આવી વીરવાણી ! જગતમાં સ્વતંત્રતાના નામનો સોપો પડી ગયો હતો. હિટલરની ડાકણો જેવી ટૅકોનાં ધાડાંનાં ધાડાં ફ્રાન્સ – ઉત્તર આફ્રિકા – યુગોસ્લાવિયા – ગ્રીસ – ક્રીટમાં ફરી વળ્યાં છે, તે વખતે વિષ્ણુના ચાપ જેવો આ ટંકાર, ચિત્તમાં તુમુલ સંગ્રામ જાગે, અંગ્રેજો તો જાય, પણ તેઓ જીતે, આમાંથી પ્રગટ્યું ‘દીપનિર્વાણ’. નિર્વાણ એટલે ઓલવાઈ જવું, વાસના-અહ્મનું મહાવિલીનીકરણ – તે બૌદ્ધધર્મનું ચરમ બળ. પણ તેની કલ્પના એવી કે જેની મશાલ ઓલવાય છે તે એક વિશાળ વર્તુળમાં ઊભો છે, ઓલવાતાં પહેલાં તે પોતાની મશાલથી બાજુની મશાલ ચેતવતો જાય છે, માલવ ગણ હારીને માધ્યમિકામાં નવું ગણરાજ્ય જમાવે; હારેલું ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ, અમેરિકા, રશિયાની મશાલ ચેતવતું જાય છે. ગણરાજ્યોનો સામ્રાજ્ય સામેનો સંગ્રામ. ગણ એટલે સમૂહ, એમાં થોડા જ શૂરવીરો નથી – બધા જ શૂરવીરો. અને રસિકતા વિનાની શૂરવીરતા એટલે બર્બરતા. ગણોમાં આનંદોત્સવો હતા જ, તેમ જ જયસ્વાલ વગેરે ઇતિહાસકારોએ સમાજ-ઉત્સવો નોંધીને કહ્યું જ છે.

પેલે છેડે ઍથેન્સના ગણરાજ્યના નાયક પેરિક્લેસે તો કહ્યું જ હતું : ‘અહીં આ શહેરમાં ઉત્સવો ચાલ્યા જ કરે છે. અમારો હેતુ જ સમૂહના શોક નિવારણનો છે.’

એટલે ‘દીપનિર્વાણ’માં સુચરિતા, કૃષ્ણા, આનંદ-ગૌતમી – સુદત્ત, રથસ્પર્ધા, મિલન-વિરહ.

કઠો – માલવકો – આભીરૉની જેમ અંગ્રેજ લોકશાહી હારતાં હારતાં છેવટ જીતી – અને એ જ લોકશાહી જીતીને ભારત ખાલી કરી ગઈ, અને તેને પરિણામે જ ભાઈઓ-ભાઈઓ વચ્ચે લોહીની નદીઓ વહી. ઇતિહાસની કેવી શોકાન્તિકા ! કેવી વક્રતા !

‘દીપનિર્વાણ’ ઐતિહાસિક નવલકથાઓમાં સીમાસ્તંભ બની.

પણ મને એથીયે વધારે સ્નેહ – લગભગ પારિવારિક સ્નેહ અપાવ્યો તે તો ‘ઝેર તો પીધાં છે’એ ….

આજ અરસામાં, ‘વાંચો અને વૈભવ’ લખાયું. ઇતિહાસ આ સારુ નવલકથા જેટલો રસદાયી ન બની શકે ? તેવું કરવાની મારી મહત્ત્વાકાંક્ષા; પણ સાથોસાથ એ સામાજિક આત્મવિવેચન કરતો રહેવો જોઈએ, ન રહે તો રસમય બને અને ઇતિહાસ મરી જાય.

વળી, ઇતિહાસે ભૂતકાળમાં લઈ જઈ વર્તમાનને સમજવાની શક્તિ અને રુચિ આપવાં જોઈએ, ‘આપણો વૈભવ અને વારસો’ આ માટે ઠીક ઉપયોગી થયેલ છે તેમ લાગ્યું છે ….

‘સૉક્રેટિસ’ મારા સાહિત્યજીવનની યશકલગી, મારે મતે પ્રૌઢ – પકવ સર્જન.

આમ તો દરેક કૃતિને એનો પોતાનો કાયદો હોય છે; પણ ‘સૉક્રેટિસ’ વિશેષે પોતાના જ પ્રકારનું સર્જન છે. તે ચીલાનું, તે આબોહવાનું બીજું આપણી ભાષામાં નથી. ‘સૉક્રેટિસ’ શરૂ વહેલાં કરેલું, પણ આગળ ચાલ્યું નહિ. પાંચ-સાત વર્ષ પડી રહ્યું, જેમ ‘કુરુક્ષેત્ર’ પડ્યું છે. ‘મહારાષ્ટ્રલક્ષ્મી’ પડી છે, પણ મારાં ભાગ્ય એટલાં સવળાં કે ધારાસભામાં ગયો અને ત્યાં લોકશાહીની વિદારક હરરાજી થતી જોઈ, અને મને તંતુ મળી ગયો.

‘સૉક્રેટિસ’ બહુ વંચાયું-વખણાયું. એમાં કટોકટીનો ફાળો પણ હશે. તે વખતે કારાગારમાં તે ખૂબ વંચાઈ, પણ સમજાઈ હશે કે કેમ તે શંકાસ્પદ છે; કારણ કે તેમાં લોકશાહીની ટીકા પણ ભરેલી છે, જે લોકશાહી સૉક્રેટિસને ઝેર પીવાનું ફરમાવે છે તે જોખમી તો ગણાય જ, પણ તે કાળે તો આ બાજુ પર ઓછાનું જ ધ્યાન ગયું.

વસ્તુતઃ સ્વતંત્રતા સિંહણનું દૂધ છે. બંધુતા અને સમાનતા અને આત્મવિવેચન-આત્મનિયમનના ટેકા વિનાની સ્વતંત્રતા આત્મનાશક બની જાય છે, તે દેખાયું હોય તો સારું.

આ સ્વતંત્રતા, બંધુતા અને સમાનતાની વાત ધર્મોએ તો ઘણી વાર કરી છે, અને કરશે, પણ તેનો બૌદ્ધિક અને માનવીય આધાર સોક્રેટિસે ખડો કર્યો તેવો કોઈએ કર્યો નથી. એ હસમુખો સૉક્રેટિસ આ કૃતિમાં હરતો-ફરતો થઈ શક્યો. કંઈ કાળ પૂર્વે, ક્યાંયે થયેલો, સૌના મિત્ર, પ્રેમાનંદ, ગોવર્ધનરામ, ગાંધીની ગુજરાતી ભાષામાં અવતરી શક્યો તે જ મારું પરમ સૌભાગ્ય.

વાંચનારને હું કહીશ કે આ નાટ્યલેખન અને નવલકથાલેખન માટે બહુ વાંચવું પડે છે. ‘દીપનિર્વાણ’, ‘ઝેર તો પીધાં છે’ કે ‘સૉક્રેટિસ’નાં પાનાં કરતાં સોગણાં પાનાં મેં વાંચ્યાફંફોસ્યાં છે; ‘અંતિમ અધ્યાય’માં ‘સોદો’ને ‘હેલન’ માટે કેટલાં – સેંકડો, કદાચ હજારો પાનાં વાંચ્યાં છે. એમાંથી કોઈ વાર એકાદ પાનું જ પ્રત્યક્ષ કામ લાગ્યું હોય – પણ આવા પરિશ્રમ વિના કોઈ રસપૂર્ણ – જીવંત આલેખન કરવા ધારે તો તે અસંભવિત છે. પણ આ પુરુષાર્થ ઉપરાંત ભગવત્કૃપા પણ જોઈએ. देवमेवात्र पंचमम। મેં કાંઈ અનન્ય લખી નાખ્યું છે તેવું નથી, પણ જે લખ્યું છે તે માટે પણ જોઈતી સામગ્રી-જોઈતો સમય એ ટાણે ભગવાને પહોંચાડ્યો છે, તેમ કશા સંકોચ વિના કહી શકું.

‘પરિત્રાણ’ કે બીજાં નાટકો લખાયાં ટૂંક જ સમયમાં, ગણ્યા કલાકો, કે બે-ત્રણ દિવસમાં, પણ તીવ્ર દબાણ નીચે આપણી દર્શન-શ્રવણ-મનનની શક્તિ વધી જાય છે, નાટ્યલેખન જેટલી તીવ્રતા નવલકથા લખતી વખતે નથી હોતી. તેમાં થોડોક પહોળો પટ મળે છે, થોડી આસોએસ પણ હોય છે, અને છતાં નવલકથાલેખન એ પ્રિય છે તેનું કારણ તેમાં વ્યાપકતા અને ઊંડાણ બંનેનો એકીક્ષણે અનુભવ થાય છે. ઊંડાણ તો નાનકડા દુહામાં કે સાખીમાં ય હોય. નાગમતીએ નાગડાએ કહ્યું :

પાઘડીના છેડા વતી મોં ન ઢાક્ય.
પગે બેડી પહેરીને, હાથે ડહકલાં હોય,
નાગડા નેવળ ન્હોય આંખો કેરે ઓરડે.

એનું ઊંડાણ, કોઈ વાર્તા, નાટક કે નવલકથા કરતાં ઊતરતું નથી. પણ વ્યાપકતા ? આ સઘન સચોટ વાણીમાં ચારે દિશામાં વ્યાપક થતા જતા જગતનાં રંગબેરંગી તાણાવાણાં ક્યાં ? एकोङहम् बहुस्याम् । – નો સંકલ્પ જ જગત્સ્ફુિર્તનું આધારસ્થાન. આ બહુનો મેળાપ જેવો નવલકથામાં મને થાય છે તેવો બીજા મહાકાવ્ય સિવાયના પ્રકારોમાં નથી થતો અને આ યુગમાં તો મહાકાવ્ય છે ક્યાં ? નવલકથાઓએ જ તે થવું પડશે.

ઘણાએ મને લખવા પાછળ વધારે સમય આપવા કહ્યું છે. તેમાં તથ્ય છે, પણ તેનો અર્થ એવો લીધો નથી કે મારાં જાહેરકામો મારાં લેખનકાર્યને અવરોધક છે.

ઊલટું, મેં માન્યું છે કે એ બધા અનુભવો વિનાનું લેખન ન જીવંત હોત, ન પ્રિયકર હોત. મેં આંબલા-સણોસરામાં આમ્રવનો વિકસાવ્યાં, તે માટે ખાડા ખોદ્યા, ખાતર-પાણી આપ્યાં. મણારના સાગરકાંઠે નાળિયેરના ઝુંડ નીચે આરામથી વાગોળતી ઘડા ભરી દૂધ દેતી ગાયો ઉછેરી તેનાથી મારા લેખનને ફાયદો થયો છે.

જીવનના અનુભવ વિનાનું સર્જન વેરવિખેર કે ફિસ્સું કે વાતુલ બની જાય છે. અલબત્ત, અનુભવ ભલે થોડો હોય પણ સજાગ હોય; ઉપલક નહિ, ઊંડો હોય.

સર્જકનું ચિત્ત વિશેષ દ્રવ્ય છે, તે પોતાના અને બીજાના અનુભવોને તીવ્ર સજાગતાથી છેક તળિયા સુધી ગ્રહણ કરી શકે છે અને તે અનુભવનું મધુરસમાં પરિવર્તન પણ કરી શકે છે.

આવું હૈયું જેને મળ્યું હોય તે ભાગ્યવંત છે, પણ સાથોસાથ ઉત્તરદાયી પણ છે.

[‘સર્જકની આંતરકથા’માંથી સંપાદિત]

માતૃધારા, ૩-૩-૧૯૮૪

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2014, પૃ.10-11-18

Loading

ટાઈપ ગયા, લીસોટા રહી ગયા

દીપક મહેતા|Opinion - Opinion|6 October 2014

ઓગણીસમી સદીમાં મુંબઈ ઈલાકામાં ગુજરાતી મુદ્રણનો આરંભ થયો ત્યારે છાપખાનાનું બધું કામ હાથ વડે કરવું પડતું. હાથ વડે ચાલતા યંત્ર પર એક કલાકમાં ૨૪૦ થી ૪૮૦ નકલ છાપી શકાતી, કાગળની એક બાજુએ. આ નકલો પરની શાહી સૂકાઈ જાય પછી જ કાગળની બીજી બાજુ પર છાપકામ થઈ શકતું. યુરોપ અને બ્રિટનમાં પણ ૧૮૧૨ સુધી હાથ વડે ચાલતા મશીન પર જ છાપકામ થતું. ૧૮૧૨ના અરસામાં તેને બદલે સ્ટીમ પ્રેસ પ્રચલિત બનવા લાગ્યાં. જેમાં મશીન શરૂઆતમાં કલાકની ૮૦૦ નકલ છાપી શકતાં પણ ૧૮૧૮ સુધીમાં તે ઝડપ વધીને ૨૪૦૦ પાનાં જેટલી થઈ. આ જ અરસામાં અગાઉ વપરાતાં ફલેટબેડ મશીનને બદલે રોટરી સિલિન્ડરવાળાં મશીન કામ કરતાં થયાં. તેના પર કાગળની બંને બાજુ એક સાથે છાપી શકાતું. જો કે આવાં મશીન અખબારો છાપવા માટે જ વપરાતાં. પુસ્તકો છાપવા માટે તો ફલેટબેડ કે પછીથી આવેલાં પગથી ચલાવાતાં ટ્રેડલ મશીન જ વપરાતાં. જો કે મુંબઈ ઈલાકામાં સ્ટીમ પ્રેસ, રોટરી સિલિન્ડર પ્રેસ, ટ્રેડલ મશીન કયારથી વપરાતાં  થયાં તેની માહિતી મળતી નથી. પણ ૧૯મી સદીની છેલ્લી પચીસીમાં આ પ્રકારનાં કેટલાંક છાપખાનાં મુંબઈ શહેરમાં તો હતાં જ. ૧૯૧૧થી મુંબઇ શહેરમાં વીજળીનો ઔદ્યોગિક વપરાશ શરૂ થયો. પણ શરૂઆતમાં તો સુતરાઉ કાપડની મિલ જેવા મોટા ઉદ્યોગો જ વીજળી વાપરતા થયા. મુદ્રણ જેવા લઘુ ઉદ્યોગોમાં તો વીજળીનો વપરાશ ઘણો મોડો શરૂ થયો.

છાપવા માટેનાં મશીન બદલાયાં, તેમની ઝડપ વધી, પણ ૧૭૯૭થી માંડીને ૨૦મી સદીનાં છેલ્લાં વર્ષો સુધી ગુજરાતી પુસ્તકોનું મોટા ભાગનું છાપકામ હેન્ડ કમ્પોઝ વડે થતું. તેમાં એક એક અક્ષરનું બીબું હાથ વડે ગોઠવવું પડતું જે કામ કમ્પોઝિટરો કરતા. હેન્ડ કમ્પોઝમાં વપરાતાં બીંબા વધુ સુઘડ અને સુડોળ થયાં, તેનું ટાઇપ ફાઉન્ડ્રીઓમાં મોટે પાયે ઉત્પાદન થવા લાગ્યું, છતાં એક અક્ષર માટે એક બીબું એ મૂળભૂત વાત તો જેમની તેમ રહી.

આમાં આમૂલ પરિવર્તન આવ્યું છેલ્લાં કેટલાંક વર્ષોમાં કમ્પ્યુટરના ઉપયોગને કારણે. જો કે દેશની બીજી કેટલીક ભાષાઓની સરખામણીમાં આપણે આ સગવડ જરા મોડેથી અપનાવી. હવે ધાતુનાં બીબાં જ રહ્યાં નથી એટલે તેની સાથેનો સરંજામ પણ રહ્યો નથી. હવે નથી તો મૂળ લખાણના કાગળ પર શાહીના ડાઘ પડતા. અક્ષરોના વળાંક તો જેવા હતા તેવા જ રહ્યા છે, થોડાક નજીવા ફેરફારને બાદ કરતાં – પણ હવે લખાણ કમ્પોઝ કરવાને બદલે ડેટા એન્ટ્રી વડે કમ્પ્યુટર પર તૈયાર થાય છે. ભાંગેલા, ઘસાયેલા, ખોટા માપના ટાઇપ બદલવા પડે એવું હવે રહ્યું જ નથી. એકંદરે છાપકામની સમગ્ર પ્રક્રિયા વધુ સહેલી, ઝડપી, સ્વચ્છ-સુઘડ અને ઓછી ખર્ચાળ બની છે. અખબારો અને સામયિકો માટે જ નહીં, પુસ્તકો છાપવા માટે પણ આ નવી પદ્ધતિ ઝડપથી પ્રચલિત બની છે.

આજે મુંબઈ જેવાં શહેરમાં ગુજરાતી લેટર પ્રેસ ભાગ્યે જ જોવા મળે. વળી કમ્પોઝ કામ અને મુદ્રણ એક જ સ્થળે થાય એ પણ હવે જરૂરી રહ્યું નથી. ડેટા એન્ટ્રી એક શહેરમાં થાય, તૈયાર થયેલાં પાનાં ઇમેલથી મોકલાવાય અને છાપકામ સેંકડોં માઇલ દૂરના શહેરમાં થાય એ હવે સ્વાભાવિક વાત બનવા લાગી છે.

જો કોઈ મોટો અવરોધ હોય તો તે એ છે કે મોટાભાગના ગુજરાતી ફોન્ટ (ટાઇપ) યુનિકોડ – આંતરરાષ્ટ્રીય સ્વીકૃત ધોરણ – પ્રમાણેના નથી. તેથી એક ફોન્ટ વાપરીને તૈયાર કરેલું લખાણ બીજા ફોન્ટમાં બદલવાનું કે છાપવાનું મુશ્કેલ છે. આથી ઘણીવાર એક કરતાં વધારે વાર ડેટા એન્ટ્રી કરવી પડે છે. તેથી સમય, શ્રમ અને પૈસાનો બગાડ થાય છે. વખત જતાં આવી મુશ્કેલીઓ દૂર થશે એવી આશા રાખી શકાય. નોન-યુનિકોડ ફોન્ટનું યુનિકોડ ફોન્ટમાં રૂપાંતર કરવા માટેની સગવડ એ આ દિશાનું પહેલું પગલું છે, પણ ખરી જરૂર નોન-યુનિકોડ ફોન્ટનો ઉપયોગ કરવાનું ટાળવાની છે. આજે હવે હેન્ડ કમ્પોઝ માટે ધાતુના ટાઈપ વાપરીને લેટર પ્રેસથી છાપકામ કરવાનું લગભગ બંધ થઈ ગયું છે. પણ કમ્પ્યુટરના સ્ક્રીન પર તેના લીસોટા તો રહી ગયા છે. 

(વધુ હવે પછી)

સૌજન્ય : ‘ફલેશબેક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 06 અૉક્ટોબર 2014

Loading

સુચરિતાનું વીણાવાદન

દીપક મહેતા|Opinion - Literature|6 October 2014

(૧૯૧૪ના ઓક્ટોબરની પંદરમી તારીખે જન્મેલા મનુભાઈ પંચોળી ‘દર્શક એટલે આપણા એક મોટા ગજાના સર્જક, મૌલિક ચિંતક, સંનિષ્ઠ શિક્ષક, અને જાહેર જીવનના સદા જાગૃત રખેવાળ. દર્શકની દીપનિર્વાણ નવલકથાને ઉમાશંકર જોશીએ ગોવર્ધનરામની નવલકથા પછીની એક અગ્રગણ્ય નવલકથા તરીકે ઓળખાવી છે. આજથી બે-અઢી હજાર વર્ષ પહેલાંના ભારતને પાર્શ્વભૂમિ તરીકે રાખીને લેખકે સુચરિતા, સુદત્ત, અને આનંદ વચ્ચેનો પ્રણયત્રિકોણ અહીં આલેખ્યો છે. આ નવલકથાના મુખ્ય સ્ત્રીપાત્ર સુચરિતાની વાત તેની જ એકોક્તિ રૂપે સાંભળીએ, દર્શકની જન્મ શતાબ્દી નિમિત્તે)

મારું નામ સુચરિતા. હું દ્વિજન્મા છું. આ સાંભળી ચોંકી ગયા ને? સ્ત્રીને તો યજ્ઞોપવિતનો અધિકાર હોય નહિ, પછી તે દ્વિજન્મા કઈ રીતે હોઈ શકે, એમ પૂછશો નહિ. મારો પહેલો જન્મ થયો આજથી અઢી હજાર વર્ષ પહેલાં. મહામના મહાકાશ્યપ મારા પિતા. મારો બીજો જન્મ થયો, આજથી સિત્તેર વર્ષ પહેલાં, તમારી ગણતરીની રીતે ગણતાં ઇ.સ. ૧૯૪૪માં. ત્યારે હું બની મનુદાદાની માનસપુત્રી. કોણ મનુદાદા? તમે સૌ તેમને મનુભાઈ પંચોળીના નામથી, કે પછી ‘દર્શક’ના ઉપનામથી ઓળખો છો. પણ મારે માટે તો એ ‘મનુદાદા.’ અઢી હજાર વર્ષ પહેલાં જીવીને મેં જે જે જીરવ્યું તેની વાત તેમણે ‘દીપનિર્વાણ’ નામની નવલકથામાં લખી છે. મનુદાદાએ ૧૯૪૨ની હિન્દ છોડોની લડતમાં ભાગ લીધેલો અને અગિયાર મહિના જેલમાં રહેલા. જેલમાં બેઠાં બેઠાં એમણે આ નવલકથા લખેલી. તમે કહેશો : ઓહો, એમની પેલી જાણીતી ઐતિહાસિક નવલકથાની વાત કરો છો? પણ ના. મારી વાત કહેતી ‘દીપનિર્વાણ’ બીજી કેટલીક નવલકથાઓ જેવી ચીલાચાલુ ઐતિહાસિક નવલકથા નથી હોં. ઇતિહાસની ચોપડીઓમાં જોઈ જોઈને તેમાંથી ઉતારા નથી કર્યા મનુદાદાએ. તેમણે તો પોતાની કલ્પનાથી ભૂતકાળની એક આખી સૃષ્ટિ ઊભી કરી છે. આ નવલકથા લખવા પાછળ તેમનાં ત્રણ પ્રયોજન હતાં. પહેલું, પ્રાચીન ભારતના ગણતંત્રના સ્વપ્નને અંજલિ આપવી. બીજું, એ વખતે પરાધીન હતું તેવા ભારતને સ્વાધીન પ્રજાતંત્રની પ્રેરણા આપવી. અને ત્રીજું, આંતરિક સત્તાલાલસા સામે લાલ બત્તી ધરવી. મારી, આનંદની, કે સુદત્તના જીવનની વાત કરવી એ તો એમનો ગૌણ હેતુ હતો. છતાં એમણે અમારાં જીવનની વાતો લખી છે. એવી રીતે કે અઢી હજાર વર્ષ પહેલાંનો જમાનો તમારી આંખ આગળ ઊભો થઈ જાય. પણ આજે તો હું પોતે જ તમારી આંખ સામે આવીને ઊભી છું અને તમને મારી વાત કહેવાની છું. અને હા, અત્યારે હું નથી મહાકાશ્યપની પુત્રી, કે નથી મનુદાદાની માનસ પુત્રી. અત્યારે તો હું છું કેવળ એક સ્ત્રી. તો સાંભળો મારી વાત.

ઉતાવળમાં થઈ ગયેલું એકાદ કામ પણ માણસના આખા જીવનમાં કેટકેટલો પલટો લાવી દી છે! હું સુદત્તની શિલ્પકલા પર મુગ્ધ હતી. તેની પદ્મપાણિની મૂર્તિ સર્વોત્તમ બને એ જોવાની મને હોંશ હતી. એ હોંશમાં અને મુગ્ધતાના ઘેનમાં હું એને વચન આપી બેઠી એટલું જ નહિ, પણ મારી અંગૂઠી પણ મેં તેને આપી. કલાનું સન્માન કરવાને બદલે મેં કલાકારનું સન્માન કરવાનો પ્રયત્ન કર્યો. મેં સુદત્તને વચન આપ્યું ત્યારે એ મારી પાસે શું માગશે એની મને ખબર નહોતી એમ તો કેમ કહેવાય? કદાચ મારા મનમાં પણ ઊંડે ઊંડે એ એ જ માગે તો સારું એમ હશે. કારણ હું તેની કલાથી અંજાઈ ગઈ હતી. કલા અને કલાકાર, બંનેને અહોભાવથી હું જોતી હતી. પણ એ અહોભાવને જ પ્રેમ માની લેવાની ભૂલ મેં કરી.

પ્રેમ એટલે શું એ તો મને આનંદનો મેળાપ થયો તે પછી જ સમજાયું. હું આશ્રમમાં વીણા વગાડતી બેઠી હતી ત્યાં આનંદ આવ્યો, અને મને ‘ભગવતી’ કહી બોલાવી એ ક્ષણથી મારા જીવનના વહેણે દિશા બદલી. જે સ્થાન સુદત્તનું છે એમ મારા મનને મનાવવાનો હું પ્રયત્ન કરતી હતી તે સ્થાન આનંદે આપોઆપ, સહજ રીતે લઈ લીધું. પણ એક વાત કહું? સુદત્ત કે આનંદ જ નહિ, હર કોઈ પુરુષ કોઈ સ્ત્રીને જુએ છે ત્યારે પહેલાં તો એના બાહ્ય રૂપને જ જુએ છે. સુદત્ત મારા રૂપ પર જ મોહ્યો હતો. તો આનંદની આંખમાં પણ સૌથી પહેલાં તો મારું રૂપ જ વસ્યું હતું. પણ કેટલાક પુરુષો રૂપ ઉપરાંત સ્ત્રીની અંદર રહેલું બીજું કશુંક પણ જોઈ શકે છે, અને આનંદ તેમાંનો એક હતો. એટલે તો મને જોયા પછી તેણે આંખો બંધ કરી દીધી, કારણ મારું રૂપ મારું સંગીત સાંભળવાની આડે આવતું હતું તેમ તેને લાગ્યું. પુરુષદેહના સૌન્દર્યની બાબતમાં તો આનંદ સુદત્તની કોઈ રીતે બરોબરી કરી શકે તેવો નહોતો. વળી આનંદ સુદત્ત જેટલો ધનવાન પણ નહોતો. પણ આનંદ ધનવાન ભલે ન હોય, સમૃદ્ધ હતો, ખૂબ સમૃદ્ધ હતો. એટલે જ તે મારું વીણાવાદન સાંભળવામાં મારું રૂપ અંતરાય ન બને એટલા ખાતર આંખો મીંચી ગયો. અને તેની આ સંસ્કારસમૃદ્ધિ પર જ હું વારી ગઈ. પરીક્ષા વખતે હું પિતાજી મહાકાશ્યપની અને સુદત્તની હાજરીમાં આનંદને પ્રશ્નો પૂછતી હતી. ત્યાં મેં તેને અચાનક પૂછેલું : “સૂર્યનાં કિરણ કેવાં મનોહર છે?” અને આનંદે કશા સંકોચ વગર જવાબ આપ્યો : “તમારી વેણીના વાળ જેવાં.” એ સાંભળીને મારા તો કાન લાલ થઈ ગયેલા, પણ સુદત્તની આંખો લાલ થઈ ગઈ હતી.

અને કેમ ન થાય? એણે માની લીધેલું કે હું તેની જ છું. એ વચનમાં માગશે, અને હું તેની બની જઈશ. પોતાની માનેલી સુચીને આનંદ ઉપાડી જાય એ સુદત્ત કેમ સહન કરી શકે? જો કે મને લાગે છે કે સુદત્ત શિલ્પકલામાં જેટલો મહાન હતો તેટલો જો જીવનકલામાં મહાન હોત તો હું અને આનંદ એકબીજા પ્રત્યે ઢળ્યાં છીએ એ જાણ્યા પછી ઉદારતાપૂર્વક અમારી વચ્ચેથી ખસી ગયો હોત. એક વાર આનંદે સુદત્તને કહેલું પણ ખરું : ‘જો વસ્તુ મારી છે કે કેમ તેની મને શંકા રહે તો હું તો એ વસ્તુ સામે પણ ન જોઉં.’ પણ સુદત્ત તો ઉલટાનો હઠે ચડ્યો. આનંદને રથ સ્પર્ધામાં હરાવવા માટે તેણે દગો કર્યો. તેમાં ન ફાવતાં આનંદના જન્મ અંગેની ગુપ્ત ઘટના છતી કરીને તેને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો. તેમાં ય ન ફાવ્યો ત્યારે મગધરાજ સાથે મળી જઈને મારા પરનું વેર આખા નંદીગ્રામ પર વાળ્યું.

જ્યારે બીજી બાજુ આનંદ? મને હૃદયથી ચાહતો હતો છતાં સુદત્તનો હક્ક પહેલો છે એ વાત સતત સ્વીકારતો હતો. આથી જ આનંદે કહેલું : ‘સુદત્તની જોડે કદિ કૂડ નહિ કરું.’ તેણે સુદત્તને સમજાવવાના પ્રયત્નો પણ કર્યા. એક વર્ષ નંદીગ્રામની બહાર રહેવા પણ તૈયાર થયો. તેના મનમાં મને ક્યારે ય સુદત્ત માટે દ્વેષની લાગણી જોવા મળી નથી. કારણ પિતાજીએ એક વાર કહેલા શબ્દો આનંદના મનમાં જડાઈ ગયા હતા : “લોકોત્તર પ્રેમ કદી ખેંચતાણ કરતો નથી. જે પોતીકું છે તે યુગયુગાંતરોના વિયોગ પછી પણ પોતીકું મટતું નથી. ને જે પારકું છે તેને ગમે તેટલું નિકટ ખેંચો તો ય પોતીકું થવાનું નથી.” હું જેમ જેમ આનંદને ઓળખતી ગઈ તેમ તેમ મને સમજાતું ગયું કે સુદત્ત પથ્થરની મૂર્તિનો વિધાયક ભલે બની શકે, મારા જેવી જીવતી જાગતી સ્ત્રીના જીવનનો વિધાયક તે બની શકે તેમ નથી. એ વિધાયક તો આનંદ જ બની શકે, અને તેથી જ મેં મનોમન નક્કી કર્યું : “સુદત્તને જણાવી દઈશ કે એની કલાને હું અભિનંદુ છું, પણ એને ચાહી શકતી નથી, ચાહી શકવાની પણ નથી, કારણ કે સુચરિતા આનંદની થઈ ગઈ છે.” પણ એ વખતે સુદત્ત એ વાત સ્વીકારી ન શક્યો.

(વધુ હવે પછી)

સૌજન્ય : ‘ફોકસ’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 06 અૉક્ટોબર 2014

Loading

...102030...3,9513,9523,9533,954...3,9603,9703,980...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved