Opinion Magazine
Number of visits: 9772258
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સબૂર … ક્યાં જઈ રહ્યા છીએ આપણે?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|11 October 2014

સબૂર … ક્યાં જઈ રહ્યા છીએ આપણે?

જયપ્રકાશ 2014. સાંકડા રાષ્ટ્રવાદ અને અંધ વિકાસવાદના રાજસૂય ઉધામા વચ્ચે ક્યાં છે ક્રાંતિની પ્રજાસૂય ખોજ, કોઈક તો બોલો

આજે, 1977ના બીજા સ્વરાજની પિતૃમૂર્તિ શા લોકનાયક જયપ્રકાશ નારાયણનું જયંતી પર્વ અમદાવાદ અનોખી રીતે ઉજવશે : નારાયણ દેસાઈએ જયપ્રકાશના જીવનકાર્યને ઉપસાવતું જે એક નાટક લખ્યું છે એનું પ્રકાશન થશે, અને એના કેટલાક અંશોનું મંચન પણ થશે. જયપ્રકાશ અલબત્ત એક મોટું નામ છે, અને હાલની કેન્દ્ર સરકાર પણ એમના જયંતી પર્વ સાથે કોઈક ને કોઈક રીતે જોડાશે. દેશના એકોએક લોકસભા મતવિસ્તારમાં પ્રાયોગિક ધોરણે થોડાં થોડાં ગામોમાં આદર્શ ગ્રામ યોજનાની સાથે જયપ્રકાશનું નામ જોડવાની સત્તાવાર જાહેરાત પણ થઈ ચૂકી છે.

તો, આવા એક રાજસૂય આયોજનના માહોલમાં પ્રજાસૂય મંચનનો જેપી જોગાનુજોગ અનાયાસ જ એક વૈકલ્પિક વિચારખીલો ખોડી રહે એવું પણ બને. વાત એમ છે કે બેઠકોની સુવાંગ બહુમતિ સાથે (જો કે એકત્રીસ ટકે અટકેલ) ગાદીનશીન થયેલ પ્રતિભા, પક્ષ અને વિચારધારા વ્યાપક સ્વીકૃતિની શોધમાં છે. સાંકડી ઓળખનું ઝનૂની રાજકારણ ખેલી સત્તાપાયરીએ પહોંચી શકાતું હોય તો પણ છતી બહુમતીએ સ્વીકૃતિ કહેતાં લેજિટિમસી સુધીનું અંતર કાપવું રહે છે : આજનું જેપી જયંતી પર્વ હો કે આવતીકાલનું લોહિયા સ્મૃિત પર્વ – વર્તમાન શાસન કોઈક ને કોઈક રીતે જેપી-લોહિયા સાથે સંકળાઈને આ અંતર કાપવાનો મનોવૈજ્ઞાનિક વ્યાયામ કરી રહ્યું છે એમ પણ તમે કહી શકો.

ભાઈ, જયપ્રકાશ અને લોહિયા કોઈની માલિકી બેલાશક નહોતા અને નથી. રાષ્ટ્રીય ચળવળમાં, 1947 પહેલાં અને પછી એમ બેઉ તબક્કે એમનું જે યોગદાન રહ્યું છે એ જોતાં કોંગ્રેસ શાસનને પણ એમના સત્તાદર સુમિરનનો સંકોચ હોવાને કારણ નથી. આખરે હતા તો બેઉ કોંગ્રેસ સોશલિસ્ટ પાર્ટીના જ નેતાઓ – અને 1942 બાદ તો નેહરુપટેલ અને એમની હેડીના નેતાઓ પછી તરતની નવી હરોળનાં આ બેઉ અગ્રનામો હતાં. બલકે, 1947ના અરસામાં નેહરુ અને પટેલ સાથે દિલી સંબંધ છતાં ગાંધી જે રીતે અંતર અનુભવતા હતા ત્યારે કોઈક તબક્કે ભાવાત્મક રીતે જેપી અને લોહિયા ગાંધીની વધુ નજીક પણ હોઈ શકતા હતા.

જો કે, ઇતિહાસે કંઈક એવો વળાંક લીધો કે જેપી લોહિયાને હિસ્સે સ્વરાજલડાઈનો સ્વાતંત્ર્યોત્તર તબક્કો કોંગ્રેસની સામે લડવાનો આવ્યો. વિગતોમાં નહીં જતાં અહીં એટલું જ કહેવું બસ થશે કે 1977માં સંયુક્ત વિધાયક દળની સરકારો સાથે તેમ 1975માં ગુજરાતની મોરચા સરકાર અને 1977માં કેન્દ્રની જનતા સરકાર સાથે અનુક્રમે લોહિયા અને જેપી િબનકોંગ્રેસવાદ વાટે લોકશાહી પ્રક્રિયા પ્રવહમાન રાખવામાં ઇતિહાસનિમિત્ત બની રહ્યા. જયપ્રકાશ અને લોહિયા હતા તો રાષ્ટ્રીય ચળવળથી પરિચાલતિ અને બેસતે સ્વરાજે જવાહરલાલે વિધાતા સાથે જે કોલકરારની અનુભૂતિ કરી હતી, કંઈક એવો જ ભાવાત્મક નાતો એમનો પણ હતો. છતાં, એમની સ્વાતંત્ર્યોત્તર ઓળખ ભલે જાડી રીતે પણ બિનકોંગ્રેસવાદના અધ્વર્યુ તરીકેની ઉપસી રહી.

જયપ્રકાશની આ જાડી ઓળખનો લાભ સંસ્થા કોંગ્રેસને, સમાજવાદી પક્ષને અને સવિશેષ તો જનસંઘને સૂંડલા મોઢે મળી રહ્યો એ નોંધવું જોઈશે. સંસ્થા કોંગ્રેસ અને સમાજવાદી પક્ષ પાસે તો પોતીકી તરેહનું રાષ્ટ્રીય સંગ્રામનું સંધાન પણ હતું; જનસંઘ કને એ નહોતું તે સંજોગોમાં જયપ્રકાશ એને વિશેષ ઉપયોગી થઈ પડે. એ દેખીતું હતું. હમણેના ભૂતકાળમાં જેમ ગુજરાતમાં સરદારને વિશેષ આગળ કરવાની ગરજ એને વર્તાય જ છે ને. સરદારની સંઘ આવૃત્તિની ચર્ચા અહીં પૂર્વે કરેલી છે અને યથાપ્રસંગ કરીશું.

પણ જયપ્રકાશ અને લોહિયા સબબ એક વાત સાફ કરી દેવી જોઈએ કે બિનકોંગ્રેસવાદ તો એમનાં સમૃદધ ચિંતન અને અપૂર્વ યોગદાનનો છેક જ નાનો હિસ્સો હતો. રોજમર્રાના નવી અને પેજપવિત્રાથી ઊંચે જ ઊઠી નવી અને ન્યાયી દુનિયા વાસ્તે લડનાર જોદ્ધા એ હતા. એકે સંપૂર્ણ ક્રાંન્તિને ધોરણે વાત કરી, બીજાએ સાત ક્રાંતિને ધોરણે. બિનકોંગ્રેસવાદ એ તો તે માટેની મથામણમાં આવી પડેલો એક ચાલચલાઉ વ્યૂહ હતો, એટલું જ. લોહિયા અને જેપીના ક્રાંતિચિંતનની કસોટીએ ભાજપનો સાંકડો રાષ્ટ્રવાદ અને અંધ વિકાસવાદ બેઉ મુદ્દલ ટકી શકે એમ નથી. જેમ ‘સફાઈ’, ‘સફાઈ’ના શોરથી સમગ્ર ગાંધીને પામી શકાતો નથી તેમ લોહિયા-જેપીને નામે કોઈ યોજના ખતવ્યાથી એમને પામી શકાતા નથી.

આ સંજોગોમાં ગાંધી કથાકાર નારાયણ દેસાઈનું ‘જયપ્રકાશ’ વિષયક લઈને આવવું એ અધિકૃત જેપી શોધ માટેની ઓઝોન ઘટનાથી ઓછું નથી. સ્વરાજ અને પરવર્તિનની એમની વ્યાખ્યા, લોકશાહી અને સમાજવાદની એમની સમજ, હાલના વિષમતાવર્ય વૈશ્વિકીકરણથી જોજનો દૂર હતી. ક્યારેક એની વિગતે ચર્ચા કરીશું, પણ અત્યારે એટલું જ કહેવું બસ થશે કે સહભાગી અને સમતામૂલક વિકાસ એ ભાજપના વશની વાત નથી.

જોગનુજોગ, એમ તો દર્શકની ‘સોક્રેટીસ’ નવલકથા આધારતિ નાટકના મંચનનો પણ ક્યાં નથી? એથેન્સનું નમૂનેદાર લેખાતું નગરરાજ્ય (લોકશાહી ગણતંત્ર) કેટલાક બેફામ ભાષણખોરો – ડેમેગોગ્ઝ-થી ખેંચાઈ કેવું ન કરવાનું કરી બેઠું એનું એ ચિત્ર છે. આ જ તરજ ઉપર ગાંધી, જેપી, લોહિયા વસ્તુત: ડેમેગોગી થકી આહત અને અપહૃત લોકશાહી બાબત લાલબત્તી લઈને આવે છે.

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 11 અૉક્ટોબર 2014

Loading

દર્શક શતાબ્દી વર્ષ એકંદરે …

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|10 October 2014

દર્શક શતાબ્દી વર્ષના સહુથી મહત્ત્વના પ્રકાશન ‘મનીષીની વિચારયાત્રા’માં સંપાદક મોહન દાંડીકરે તેમના આરાધ્ય લેખકનાં વીસ ભાષણો મૂક્યાં છે. ભાષણોના વિષયોમાં ગાંધીવિચાર, નયી તાલીમ સહિતનું  કેળવણી ચિંતન, વિશ્વશાંતિની ગુરુકિલ્લી તરીકે બાળશિક્ષણ, સર્વોદય, મહાભારત, સાહિત્યમહત્તા  અને સ્વામી આનંદ તેમ જ સરદાર પટેલ વ્યક્તિવિશેષોનો સમાવેશ થાય છે. દર્શક પાસે તૈયાર થયેલા, લોકભારતીના એક પ્રબુદ્ધ વિદ્યાર્થી દાંડીકરે ‘દર્શક : જેવા મેં જોયા જાણ્યા’ સહિત એકસઠ પુસ્તકો લખ્યાં છે. તેમાં સઆદત હસન મન્ટો, કમલેશ્વર, દલિપકૌર ટિવાણા અને ગિરીરાજ કિશોરનાં પુસ્તકો ઉપરાંત વિવિધ સંપાદનો પણ છે. દર્શકના જીવનસર્જનના અભ્યાસી સંપાદકે પુસ્તિકાઓ, લેખો, રેકૉર્ડિંગ્સ કે નોંધો રૂપે વિખરાયેલાં ભાષણોને જહેમતથી એકઠાં કરીને કંઈક વિષયવાર ગોઠવ્યાં છે.

દાંડીકરના સંપાદનનો સહુથી મહત્ત્વનો લાભ તેમણે કેટલાંક વ્યાખ્યાનો વિશે પ્રાસ્તાવિકમાં આપેલી રસપ્રદ માહિતી તરીકે મળે છે. ‘મહાભારતનો મર્મ’ વ્યાખ્યાનપુસ્તિકા વિશે ‘હિંદુસ્તાન કી સબ ભાષાઓંમેં અનુવાદ હોના ચાહિયે’ એવો પત્ર પીઢ સર્વોદયી ઠાકુરદાસ બંગે લખ્યો હતો. સાવરકુંડલાના વ્યાખ્યાનમાં દ્રૌપદી-કુંતીની વાત કરતાં વક્તા અને હજારો શ્રોતાઓની આંખો ભીની થઈ ગઈ હતી. ઝવેરચંદ મેઘાણી વિશે સણોસરામાં આપેલાં પાંચ વ્યાખ્યાનોમાં ‘કશી જ નોંધો રાખ્યા વિના સતત છ કલાક વરસેલા’. આ વ્યાખ્યાનોની ‘ભેદની ભીંત્યુને આજ મારે ભાંગવી’ નામે લોકમિલાપ પ્રકાશને બહાર પાડેલી પુસ્તિકા પર ‘આફરીન’ થઈને સ્વામી આનંદે કહ્યું હતું, ‘ગુજરાતમાં મેઘાણીની આવી રજૂઆત કોઈએ કરી નથી.’ નારાયણભાઈ દેસાઈ ‘આ નાનકડી ચોપડીને’ દર્શકની ‘ઉત્તમ નવલકથાઓની હરોળમાં’ મૂકે છે. ગાંધીવિચાર પરનું ભાષણ સાંભળીને યેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરે ‘આવી વાતો અમે પહેલી જ વાર સાંભળી, મહાપુરુષનો સાચો પરિચય થયો’ એ મતલબનું કહ્યું હતું. દર્શકના ચાહકોના એક જૂથે ‘વિશ્વશાંતિની ગુરુકિલ્લી’ની સવા લાખ નકલો છપાવી. દર્શકનાં ભાષણોમાં એમના વિશ્વદર્શન ઉપરાંત ગુજરાતી ભાષાનાં  ઓજસ અને સામર્થ્ય તેમ જ ગોહિલવાડી બોલીની સોડમ માટે પણ મળે છે. ગુર્જર પ્રકાશને બહાર પાડેલા પોણા ત્રણસો પાનાંના આ સંચયનો આસ્વાદ કરાવનાર મનસુખ સલ્લાના શબ્દોમાંકહીએ તો આ વ્યાખ્યાનો થકી ‘પ્રાજ્ઞપુરુષના વિચારલોકમાં પ્રવેશ’ કરાવે છે.

વ્યાખ્યાન સંચયનાં કેટલાંક લખાણો ‘મનુભાઈ પંચોળી સાથે વિચારયાત્રા’ નામે વાચનમહર્ષિ મહેન્દ્ર મેઘાણીએ બાણુંની વયે ‘કિશોરો-યુવાનો માટે’ કરેલાં બાણું પાનાંના સંપાદનમાં પણ મળે છે. દર્શક પરના  લોકમિલાપના  આ પાંચમા  પ્રકાશનમાં ચાળીસેક લખાણો  છે. તેની ‘એક લાખ નકલ નવી પેઢીના વાચકોને પહોંચાડવાની ઉમેદ’ સંપાદક ધરાવે છે. મનુભાઈના થોડાક ચાહકોએ દોઢસો શિક્ષણ સંસ્થાઓમાં સો-સો નકલ મોકલવા માટેની સખાવત તો કરી દીધી છે. જો કે સંપાદક જણાવે છે : ‘આ પુસ્તકની સોથી ઓછી નકલ ખરીદી શકાશે નહીં.’

સર્વોદય વિચારધારાના પખવાડિક મુખપત્ર ‘ભૂમિપુત્ર’નો સોળમી જુલાઈનો વિશેષાંક રમણીય અને સંગ્રાહ્ય છે. પચાસેક તસવીરો મોટાં કદનાં બેતાળીસ પાનાંના આ અંકની મિરાત છે. દર્શકની જુદી જુદી ઉંમરે, જાતભાતની ભાવમુદ્રાઓમાં, અનેક પ્રકારની વ્યક્તિઓ સાથેની ઘણાં સ્થળે અને પ્રસંગે પાડવામાં આવેલી  આ છબિઓમાં કેટલીક દુર્લભ છે. સરસ સંપાદકીય સહિતના ઓગણીસ લખાણોમાં જીવનની વિગતો, ગુણકીર્તન, સ્મરણો, લેખન, આસ્વાદ, પુસ્તક પરિચય જેવી વૈવિધ્યપૂર્ણ સામગ્રી ઝીણવટથી પસંદ કરીને બહુ માવજતથીમૂકવામાં રજનીભાઈ, સ્વાતીબહેન અને પારુલબહેનના બનેલા સંપાદકમંડળની સૂઝ અને મહેનત દેખાય છે.

કમનસીબે આવો કોઈ વિશેષાંક ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર ‘પરબ’એ હજુ સુધી કર્યો નથી. ગયા ઑક્ટોબરથી શરૂ થયેલા શતાબ્દી વર્ષ દરમિયાન ‘પરબ’ના એક પણ અંકમાં દર્શક વિશે ધોરણસરનો એક પણ  લેખ આવ્યો નથી. ગુજરાતી સાહિત્ય અકાદમીના મુખપત્ર ‘શબ્દસૃષ્ટિ’નું પણ લગભગ આવું જ છે. પરિષદના  ડિસેમ્બરના વાર્ષિક જ્ઞાનસત્રમાં દર્શક પર કોઈ બેઠક ન હતી, આગામી અધિવેશનના જાહેર થયેલા કાર્યક્રમમાં પણ નથી. છવ્વીસમી ફેબ્રુઆરીના એક બુધવારે ઉજવણીના ઉજમ-ઉલ્લાસ વિનાના માહોલમાં છએક વ્યાખ્યાનોનો સભોજન કાર્યક્રમ તેણે પદાધિકારીઓ અને વક્તાઓ સહિત પચાસ-પંચોતેર આવતા-જતા  શ્રોતાઓની હાજરીમાં કર્યો. તેમાં ય પરિષદને, દર્શકે જેને સ્વાયત્ત બનાવવા માટે લડત આપી હતી તે,  સરકારીકરણ થઈ ચૂકેલી સાહિત્ય અકાદમીનો સહયોગ લેવો પડ્યો. અકાદમીએ પણ વળી અલગ કાર્યક્રમ કર્યો નથી. તેણે વડોદરાની ‘અક્ષરા’ અને સંભવત: બીજી સંસ્થાઓની સાથે જોડાવાનું પસંદ કર્યું. રાજ્ય સરકારે ‘સૉક્રેટીસ’ના નાટ્યપ્રયોગને ટેકો કર્યા સિવાય ઝાઝું કંઈ કર્યું હોવાનું માલુમ નથી.  

‘સૉક્રેટીસ’ અમદાવાદ ઉપરાંત વાળુકડ અને સણોસરામાં ભજવાયું. ટૉલ્સ્ટૉયના જીવન પરનું દર્શકનું ‘ગૃહારણ્ય’ નાટક રાજકોટના રંગકર્મી ભરત યાજ્ઞિકના દિગ્દર્શનમાં ‘કલાનિકેતન’ સંસ્થાના કલાકારોએ જુલાઈમાં ભજવ્યું. રાજ્યની ઘણીબધી સંસ્થાઓએ પોતપોતાની રીતે નાનામોટા કાર્યક્રમો થકી દર્શકને યાદ કર્યા હોવાની નોંધો મળતી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકાએ તેના રાષ્ટ્રીય પુસ્તકમેળા સાથે દર્શકના જીવનકાર્યને બહુ આકર્ષક રીતે જોડ્યાં હતાં. ‘દર્શક ફાઉન્ડેશન’ શતાબ્દી મહોત્સવ અન્વયે પુસ્તક-આસ્વાદ પ્રવચનો ગોઠવે છે. ગુજરાત સાહિત્યસભાએ નિબંધ સ્પર્ધા યોજી. વળી તેણે ગયા શનિવારે પ્રકાશ ન. શાહનું વ્યાખ્યાન ગોઠવ્યું. વિશ્વકોશમાં દર્શક વિશેનું આ ચોથું વ્યાખ્યાન હતું. વર્ષની પૂર્ણાહુતિને દિવસે એટલે કે આવતા બુધવારે  ઓમ કમ્યુિનકેશને દર્શક વિશે પરિષદના ગોવર્ધન ભવનમાં પરિસંવાદ ગોઠવ્યો છે.

લોકભારતીએ દર્શકના સાહિત્ય પર યોજેલા કાર્યક્રમમાં દસેક અભ્યાસીઓને બોલાવ્યા હતા. વળી સંસ્થાએ શિક્ષણપ્રસાર અને સુધારણા માટે ‘દર્શક લોકગંગા’ ઉપક્રમ હાથ ધર્યો છે. તે હેઠળ નિષ્ણાત શિક્ષકોની એક ટુકડી એક વાહન અને પુસ્તકો તેમ જ ફિલ્મો સહિતની અભ્યાસ સામગ્રી લઈને ચૌદ ગામોની શાળાઓની મુલાકાત લેતી રહે છે. પાલીતાણા પાસેના માઇધારમાં આવેલું દર્શકના સ્વપ્નનું નાગરિક કેળવણી અને લોકશિક્ષણ માટેનું કેન્દ્ર લોકભારતીએ ફરીથી સક્રિય કર્યું છે.

જો કે શતાબ્દી વર્ષ દરમિયાન નાઝીવાદ-ફાસીવાદની અમાનુષતા વચ્ચે માનવતા વિશે ‘હેલન-સોદો-અંતિમ અધ્યાય’ નાટ્યત્રયી લખનારા દર્શક, આ નાટકો પર ભરત દવેએ બનાવેલી ટેલિફિલ્મો છતાં ય ન દેખાયા. ગાંધીવિચાર અને લોકશાહી સમાજવાદ વચ્ચે પ્રગતિશીલ માનવતાવાદી સુમેળ સાધનારા દર્શક ભાગ્યે જ દેખાયા. હજુ જાણવાના બાકી છે જાહેર જીવનમાં સામેલગીરી, હસ્તક્ષેપ, વિરોધ અને સંઘર્ષમાં ઊતરનારા દર્શક !

+++++++++

સૌજન્ય : ‘કદર અને કિતાબ’ નામે લેખકની સાપ્તાહિકી કટાર, “નવગુજરાત સમય”, 08 અૉક્ટોબર 2014

Loading

નટવર ગાંધીના એક કાવ્યનો લગરીક રસાસ્વાદ

'ભભાઈ' ભરત પાઠક|Opinion - Literature|10 October 2014

                                ઉલ્લાસ કરીએ                     • નટવર ગાંધી

 

અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
વસે છે, જીવે છે, જન ગતિ, મતિ ભિન્ન રીતિના,
સુખીદુઃખી, ઘેલા, સમજુ, સલૂણા, કૈંક નગુણા,
બધાને નિભાવી, સમજી સહુ, સહવાસ કરીએ.

 

અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
ન કે એવું કે’તો બધું જ બધું છે સારું સરખું,
વળી જાણું છું કે વિષમ ઘણું ને વિષ પૂરતું,
પરંતુ જ્યાં ઘેરું તમસ, ત્યહીં ઉજાસ કરીએ.

 

અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
પશુ, પંખી, પુષ્પો, તરુ, પરણ, ને અદ્રિ ઝરણાં,
રસે, ગંધે, સ્પર્શે, શ્રવણ, મતિ ને દૃષ્ટિ ધરીને,
બધું જાણી માણી, જીવનવન સુવાસ કરીએ.

 

અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
હવે ઝાઝા છે ના દિવસ, સખી, ઉલ્લાસ કરીએ.

 
(‘પેન્સિલવેનિયા અૅવન્યૂ’ નામક કવિનો કાવ્યસંગ્રહ, પૃ. 94-5)
 
શીખરિણી છંદમાં નિબદ્ધ આ કાવ્ય બે-ત્રણ વાર વાંચીએ ત્યારે એમાંના વિચાર અને ભાવની, લય અને પ્રાસની ગૂંથણી દેખાતી જાય અને ખબર પડે કે આપણને કેમ આ ગમે છે.
 
આ કાવ્ય એક ઉક્તિ છે; એક વ્યક્તિ બીજી વ્યક્તિને કશુક કહી રહી છે. જે કહેવાય છે તે વાત આમ તો સીધી સાદી છે : કે, “આ જગત આવું આવું છે, સારું ય છે અને નરસું પણ છે; પણ એમાં નભાવી લેવા કે ઉજાળી દેવા જેવાની સાથે સાથે માણવા જેવું પણ ઘણું ઘણું છે, જીવન હવે ઝાઝું નથી; આજુબાજુ જે જગત છે તેમાં જ તો વસવાનું છે – અને આપણે વસવું પણ ત્યાં જ છે – તો ચાલને, એમાં માણવા જેવું છે તે બધું માણીને ઉલ્લાસ કરીએ.”
 
આવી, ચાર વાક્યોમાં સમાવી શકાય તેવી સીધી સાદી વાત એ લખનારે ચૌદ પંક્તિના કાવ્યરૂપે કેમ રજૂ કરી હશે તેવો સવાલ સ્વાભાવિક થાય. એનો જવાબ ઉપર અપાયેલો ટૂંક સાર વાંચવાથી મળી રહેશે. સારરૂપ એવા ચાર વાક્યો આપણને એટલાં સ્પર્શી જતાં નથી જેટલી એ ચૌદ પંક્તિઓ સ્પર્શે છે. કારણ કે કાવ્ય વાચકના મનમાં જે ભાવ જગાડી શકે છે તે માત્ર ગદ્યાળુ વાક્યો જગાડી શકતા નથી. એ લખનાર કવિ છે; તે કશું સમજાવવા નથી બેઠો, એ માત્ર એક ભાવભર્યું નોતરું દેવા ચાહે છે. શાનું નોતરું છે આ? ચાલો, જરાક ધ્યાનથી તપાસીએ.  
 
નોતરું તો છેક છેલ્લે આવે છે; પણ એ સ્વીકારવાની ભલામણ તો કાવ્યની “અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ” એ પહેલી પંક્તિથી જ થઈ જાય છે. આગળ વધી આખું કાવ્ય એ ભલામણ આપણને ગળે ઊતરી શકે તે માટે હળવા શા અનાગ્રહી અવાજે, “આ જગત આમ જોઈએ તો આવું આવું છે” એમ બતાવતા જાય છે. અહીં એક ક્યારેક જ જોવામાં આવે તેવું પુનરાવર્તન તરત નજરે ચડે. ક્ષણભર એમ થાય કે દરેક નવી કડી કેમ એકની એક પંક્તિથી શરૂ કરી હશે? આ કાવ્યને જો સંગીતની પરિભાષામાં જોઈએ તો જવાબ મળે કે એ એક પંક્તિ ધ્રુવપંક્તિનું કામ બજાવે છે; ભાવને ઘૂંટે છે. પ્રત્યેક કડીને અંતે મૂકવાને બદલે પ્રારંભે મૂકી; કારણ એ ભાવ જ, એ કથન જ આ કાવ્યનું મુખ્ય અંગ છે, મુખ્ય ભાવ છે. જે જગતમાં જ વસવું છે તેની સર્વ ખૂબી-ખામી પહેલી બે કડીમાં કહી. જગતમાં સારું-નરસું જે બધું વિગતે ગણાવાતું હોય છે બધું, “હા છે; પણ તેથી કરીને કયાં ય ભાગી જવું નથી” તે વાત, માત્ર એ એક પંક્તિ પ્રારંભે મૂકીને કવિ કહે છે ત્યારે એ પોતાના નિશ્ચયમાં દ્રઢ છે તે તો બતાવે જ છે પણ આવી આવી બધી જાણ સાથેનો એ નિશ્ચય છે તે પણ દર્શાવે છે..
 
પછી ત્રીજી કડીમાં, સંસારની જંજાળો આડે માણસનું મન જે જોવાનું ભૂલી જતું હોય છે તે પ્રકૃતિનાં  સૌન્દર્યો યાદ કરાવીને એક શાંત, અને આનંદમય ભાવને જગાડે છે. અને એટલે હવે છેલ્લે બે જ પંક્તિમાં [હા, બે જ, કારણ કે હવે વધારે કહેવાનું હોય નહીં, વધારે કહેવા સમય પણ નથી અથવા તો જે સમય છે તે બોલવા-કહેવામાં ખરચવો નથી; માટે બે જ પંક્તિમાં-] ઉલ્લાસ કરવા નોતરે છે.
 
વળી જુઓ કે કવિ સખીને નોતરે છે. એ સખી કોણ? તમે કહેશો, “એ તો કવિ જાણે; અમે જેમને જોયા નથી, જેમની ઓળખાણ આ કવિતા સિવાય કશેથી છે નહીં, તે કવિની સખીને તો અમે ક્યાં ઓળખીએ છીએ?” પણ વિચારો કે કદાચ કવિ આપણને જ કહે છે કે, “ચાલ, ઉલ્લાસ કરીએ”; આપણે જ એ સખી છીએ – તો? કવિએ આ કાવ્ય એક વિકસેલા, ખીલેલા પ્રેમની ભૂમિકાએ રચી છે, એમનું સંબોધન "સખિ" (આપણે ગુજરાતીમાં દીર્ઘ 'ઈ' વાપરીએ છીએ, પરંતુ છંદમાં 'ખિ' બેસે છે એટલું જ નહીં પણ સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે સંબોધન હોય ત્યારે હ્રસ્વ 'ઇ' વપરાય છે તે દૃષ્ટિએ જોતાં એ ‘સખિ’ સંબોધન) વાચકને ઉદ્દિશીને હોય તો પણ એ સુયોગ્ય છે, સુચારુ છે; કારણ કે કાવ્ય નીચે જેનું નામ છે તે ભલે પુરુષ છે; પરંતુ કાવ્યમાં જે કહેનાર છે તે સ્ત્રી હોય તેમ જોઈ જોશું તો ‘સખિ’ સંબોધન તો સમજાશે જ અને વળી એમ પણ ખ્યાલ આવશે કે, “હા, આવી પ્રેમભરી દૃષ્ટિ, સ્વીકારની દૃષ્ટિ, કદાચ સ્ત્રીની જ હોય.” ખરું પૂછો તો કવિ સ્ત્રી-પુરુષ ઉભય હોય છે. 
 
આટલે સુધી વાંચવા બદલ આભાર; પણ હવે પાછા એ કાવ્ય જ વાંચો; આ વિવરણ ભૂલી જાઓ; જુઓ તમને ય નવુ જડશે.
 
ઓક્ટોબર ૮, ૨૦૧૪. આસો સુદ પૂનમ, વિ..સં. ૨૦૭૦ 
 
ગ્લેન્ડેલ હાઈટ્સ, ઈલિનોઈસ, યુ.એસ.એ.           

Loading

...102030...3,9493,9503,9513,952...3,9603,9703,980...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved