Opinion Magazine
Number of visits: 9553068
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પેશાવરથી પેરિસ : અંદરની હિંસા અને બહારની હિંસામાં ફર્ક છે? …

રાજ ગોસ્વામી|Opinion - Opinion|20 January 2015

યુરોપ બીજા મહાયુદ્ધમાં ઝુલસ્યું હતું ત્યારે એક અમેરિકન મહિલા જે. કૃષ્ણમૂર્તિને મળવા આવી હતી. એના બે દીકરા હતા. એક ઇટલીમાં ‘શહીદ’ થઈ ગયો હતો અને બીજો જે 16 વર્ષનો હતો એ યુદ્ધની ગિરફતમાં ન આવી જાય તે માટે કૃષ્ણમૂર્તિની મદદ લેવા આવી હતી. એણે એના માનસિક સંતાપ અને ઉકળાટની વાત કરી. કૃષ્ણમૂર્તિએ એને એમના ચિર-પરિચિત અંદાજમાં સૂચન કર્યું કે દીકરાને બચાવવો હોય તો એણે અમેરિકન હોવાની ઓળખ છોડી દેવી પડે, ધન-દોલત અને લાલચ જતી કરવી પડે, બીજા પર પ્રભુત્વ જમાવવાની કોશિશ બંધ કરવી પડે અને માત્ર રહેણી-કરણીમાં જ નહીં, વિચારોમાં, સંબંધોમાં સાવ સાદી જિંદગી જીવવાનું શરૂ કરવું પડે. મહિલાએ કહ્યું, ‘કૃષ્ણજી, આટલું બધું છોડવું તો બહુ અઘરું છે. આ બધી પરિસ્થિતિઓ સામે લડવા હું તો બહુ નાની છું.’

કૃષ્ણમૂર્તિએ આ કિસ્સો યાદ કરીને કહ્યું હતું કે એના દીકરાના વિનાશ માટે એ ખુદ જવાબદાર હતી. દુનિયામાં જે યુદ્ધ ચાલે છે તેના માટે પ્રત્યેક વ્યક્તિ જવાબદાર છે, કારણ કે એની અંદર પૈસાનું, પોઝિશનનું, સંબંધોનું, માન્યતાઓનું અને વિચારોનું યુદ્ધ ચાલે છે. કૃષ્ણમૂર્તિ કહેતા કે વૈચારિક માન્યતાઓમાંથી આતંક પેદા થાય છે. ચાહે એ માન્યતા રાષ્ટ્રવાદમાં હોય, આદર્શમાં હોય, ધર્મમાં હોય કે સંપ્રદાયમાં હોય, એ એકબીજાને તોડવાનું કામ કરે છે અને એ વિભાજન, અલગાવમાંથી ઘર્ષણ પેદા થાય છે.

પેશાવર કે પેરિસની આતંકી ઘટનાને ઇસ્લામિક આતંકવાદના ચશ્માંમાંથી જોઈને એને ‘એ તો એવા જ છે’ અથવા ‘મારે શું લેવા-દેવા?’ એવા સીમિત દાયરામાં મૂકી દેવું આસાન અને અનુકૂળ છે, પરંતુ યુદ્ધ કે આતંક કે હિંસા કે સંઘર્ષને સમજવો હોય તો કેન્દ્રમાં બીજી વ્યક્તિ નહીં, સ્વયં આપણે હોવા જોઈએ. દુનિયામાં જે પણ છે, સારું કે ખરાબ, એ આપણું જ એક્સ્ટેન્શન છે. દુનિયા આપણાથી અલગ નથી, આપણે જ દુનિયા છીએ.

આપણું પૂરું જીવન પસંદગીઓ આધારિત છે. આપણે આપણી જરૂરિયાતો અને માનસિકતા પ્રમાણે કેટલીક બાબતો સ્વીકારીએ છીએ અને કેટલીક બાબતો છોડી દઈએ છીએ. જીવનના વિભિન્ન સ્તર પર પસંદગી-નાપસંદગી, સ્વીકાર-અસ્વીકાર અને લગાવ-અલગવાની પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે. આ અવિરત પ્રક્રિયામાં એક સંઘર્ષ હોય છે.

જેને આપણે મહત્ત્વાકાંક્ષા કહીએ છીએ એ આ પસંદગીની પ્રક્રિયાનું જ બીજું નામ છે. આપણે કંઈક બનવા માગીએ છીએ, આપણે પદ અને પ્રતિષ્ઠા ઇચ્છીએ છીએ, આપણને ઇજ્જત અને વાહવાહી જોઈએ છીએ, આપણને આપણી આજુબાજુમાં મર્યાદિત માણસો પરની સત્તાનો વિસ્તાર કરીને સમાજ કે દેશ પર સત્તા જમાવવી છે, હું અભણ છું તો બુદ્ધિશાળી બનવું છે, અશાંત છું તો પલાંઠી મારી ધ્યાન ધરવું છે, એક પત્નીથી સંતોષ નથી તો બીજી સ્ત્રીનો સંગ શોધવો છે, સિગારેટથી કામ ચાલતું નથી એટલે દારૂની જરૂરિયાત છે, 25 હજારની નોકરી ઓછી પડે છે એટલે એક લાખની કંપનીમાં જવું છે, મોહ-માયાથી પેટ ભરાઈ ગયું છે એટલે ઉત્તમ સાધુ બનવું છે. પૂરી જિંદગી આપણે માનસિક આવેગો પ્રમાણે પસંદગી કરતા રહીએ છીએ. ‘કંઈક કરવાની’ અથવા ‘કંઈક બનવાની’ આ પ્રક્રિયા મહત્ત્વાકાંક્ષા છે. જીવન એટલા માટે સંઘર્ષોની એક લાંબી સાંકળ જેવું છે.

આપણી પોતાની અને આપણે જેને બાહ્ય જગત કહીએ છીએ તે દુનિયાની પૂરી કહાની આવી મહત્ત્વાકાંક્ષાઓની બનેલી છે. માણસે એની ઇચ્છા પ્રમાણે આ દુનિયાનો વિકાસ કર્યો છે. માણસ ગુફામાં રહેતો હતો ત્યાંથી બહાર નીકળીને એણે દુનિયામાં એ બધી જ વસ્તુઓનું સર્જન કર્યું જે એને પૂરા સંસાર, પૂરા બ્રહ્માંડમાં રહેવા લાયક સૌથી શ્રેષ્ઠ જગ્યા તરીકે સાબિત કરે. કૃષિ ક્રાંતિ, ઔદ્યોગિક ક્રાંતિ, ટેક્નોલોજિકલ ક્રાંતિ અને ઇન્ફર્મેશન ક્રાંતિના પડાવો પર માણસે જીવનને બહેતરથી અતિ બહેતર બનાવ્યું છે પરંતુ એને શાંતિ કેમ નથી મળી? વિકાસની આ પૂરી દડમજલના અંતિમ દોર પર એનો સંઘર્ષ કેમ ખતમ થયો નથી?

ચાહે વ્યક્તિગત જીવન હોય, સામાજિક જીવન હોય કે રાષ્ટ્રીય જીવન હોય – અા તમામ સ્તરે માણસ અસંતુષ્ટ, દુ:ખી અને ખિન્ન રહ્યો છે. માણસે જ્યારે જ્યારે નવો વિકાસ, નવી શોધખોળ, નવી સિદ્ધિ કે નવી ક્રાંતિ કરી છે ત્યારે ત્યારે એણે સુખ અને શાંતિના આગલા પડાવ પર જવાની આશા બાંધી છે. વિકાસની સફરમાં માણસને કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, પયગંબર, ગાંધી અને કૃષ્ણમૂર્તિ જેવા માર્ગદર્શક પણ મળ્યા છે પણ માણસનો સંઘર્ષ યથાવત્ રહ્યો છે, શાંતિની ચીસ થમી નથી.

એ આશ્ચર્ય નથી કે જે માણસે કલાકોમાં ઇન્ટરનેશનલ પ્રવાસ કરી શકાય તેવા જેટ પ્લેન બનાવ્યાં છે તે જ માણસે અત્યંત ઘાતક મિલિટરી ફાઇટર પ્લેન પણ બનાવ્યાં છે ? યુ. જી. નામના બીજા એક કૃષ્ણમૂર્તિ બ્રિટિશ ચિંતક બટ્રાન્ડ રસેલને મળ્યા ત્યારે તેમના વિશ્વશાંતિના પ્રયાસોની (સાચી) મજાક કરતાં યુ.જી.એ એમને કહ્યું હતું, ‘તમે જે હાઇડ્રોજન બોમ્બની નિંદા કરો છો અને તેના વિનાશની અપીલ કરો છે એ તમારા પોલીસમેનનું જ એક્સ્ટેન્શન છે. જે જાન-માલની રક્ષા કરવાની જરૂરિયાતમાંથી પોલીસમેનનો જન્મ થયો હતો તે જ જરૂરિયાતમાંથી હાઇડ્રોજન બોમ્બનો જન્મ થયો છે. બોમ્બને કાઢતા પહેલાં પોલીસમનને કાઢો. કાઢશો?’

પેશાવરમાં આતંકવાદીઓએ બંદૂકથી નિર્દોષ માણસને રહેંસી નાખ્યા અને આપણે કકળાટ કરી મૂક્યો. 2008માં અજમલ કસાબ અને એના બીજા 9 ‘ભાઈબંધો’એ ચાર દિવસ સુધી 12 શૂટઆઉટ અને બોમ્બિંગ કરીને 164 મુંબઈગરાને ઉડાવી દીધા હતા તેવી જ રીતે બે બંદૂકધારીઓએ પેરિસમાં બે દિવસમાં 20 માણસોને ઉડાવી દીધા.

આ કત્લેઆમમાં ઇસ્લામિક આતંકની વાસ્તવિકતા તો છે જ પરંતુ એથી ય મોટી વાસ્તવિકતા એ છે પરધર્મીની હત્યા કરવાના ધાર્મિક ઝનૂન પાછળ ગુફાવાસી આદિમાનવની એ સુરક્ષા છે જેના કારણે એણે ગધેડાના હાડકામાંથી ભાલો બનાવીને પાડોશીને માર્યો હતો.

માણસ એની હિંસક સંસ્કૃિતનો વારસદાર છે. દ્વિતીય મહાયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોએ ભેગા મળીને હિટલરનો ખાત્મો કર્યો ત્યારે એવી આશા હતી કે સંસારમાં હવે શાંતિનો સૂરજ ઊગશે. આજે 50 વર્ષ પછી દુનિયા આતંકના યુદ્ધ સામે ઝઝૂમી રહી છે. તમામ વિકાસ પછી પણ મરવાની અને મારવાની માણસની વૃત્તિમાં કોઈ ફરક આવ્યો નથી.

ગુફામાં બેસીને ગધેડાના હાડકાને અણી કાઢનારોએ માણસ આજે વ્હાઇટ હાઉસમાં બેઠો છે, અફઘાનિસ્તાનમાં બેઠો છે, ઇરાક-સીરિયામાં બેઠો છે કે ઉત્તર કોરિયામાં બેઠો છે.

મંચ પર ચઢીને આપણે એક બાજુ શાંતિ અને પ્રેમની વાતો કરીએ છીએ અને બીજી તરફ સેકન્ડોમાં સંહાર કરે તેવાં સાધનો ય બનાવીએ છીએ. આ ગડબડ નથી ? આશ્ચર્ય છે કે માણસ શાંતિ માટે યુદ્ધ કરે છે! જંગલમાં રહેતાં પશુ માણસ કરતાં ય હિંસક છે પરંતુ એ બીજા પશુને ત્યારે જ મારે છે જ્યારે એને ભૂખ મિટાવવાની હોય. પૃથ્વી પર માણસ એકમાત્ર એવું પ્રાણી છે જેની પાસે ભૂખ મિટાવવાનાં તમામ સાધન મોજૂદ હોવા છતાં એ માત્ર માન્યતા, શ્રદ્ધા કે વિચારને લઇને બીજા માણસની હત્યા કરે છે.

1985માં સંયુક્ત રાષ્ટ્ર સંઘની 40મી વર્ષગાંઠ પર જે. કૃષ્ણમૂર્તિને વિશ્વશાંતિની ચર્ચા કરવા બોલાવાયા હતા. તેમણે ત્યારે કહ્યું હતું કે, ‘આપણે સ્વયંને એ સવાલ પૂછવો જોઇએ કે આપણી અંદર દુ:ખ, સંતાપ અને ચિંતાનું ક્યારે ય સમાપન થશે કે નહીં.’ મોટાભાગના લોકો પોતાના ગિરેહબાનમાં જોતા ડરે છે અને પોતાનામાં પરિવર્તન સામે પ્રતિરોધ પેદા કરી લે છે. વિકાસની લાંબી યાત્રામાં માણસનું મસ્તિક યુદ્ધ, હિંસા, સંઘર્ષ અને નફરત માટે સંસ્કારિત થઈ ગયું છે. માનવીય મસ્તક સંઘર્ષ અને હિંસાના સંસ્કારથી બંધાયેલું છે. આ મસ્તક એની સંસ્કારબદ્ધતાથી મુક્ત થઈ શકે?

મિલિટરી યુદ્ધ કહો કે ધાર્મિક આતંકવાદ, હિંસાની અનિવાર્યતા આપણી અંદર છે. ઘરમાં પતિ-પત્ની વચ્ચે કે પાડોશમાં બે પરિવાર વચ્ચે જે થઈ રહ્યું છે તે જ જુદા અને મોટા સ્વરૂપે બે દેશો કે બે સંપ્રદાયો વચ્ચે થઈ રહ્યું છે. મૂળ સવાલ એ છે કે માણસમાં વૈચારિક ક્રાંતિ કેવી રીતે આવે? નવા વિચારો, નવી માન્યતાઓ, નવા આદર્શો કે નવા ચિંતનોથી માણસની મૂળભૂત વૃત્તિમાં કોઈ ફરક આવ્યો નથી. એક ઉપાય માણસના મસ્તકમાં કેમિકલ પરિવર્તન લાવવાનો છે. એમ તો અમેરિકા જિનેટિક એન્જિનિયરિંગ દ્વારા ‘રોબોટિક સૈનિકો’ પેદા કરવા પર કામ કરી રહ્યું છે. જે મશીનની જેમ આદેશ પ્રમાણે જ કામ કરે. આ જિનેટિક ટેક્નોલોજી ભવિષ્યના આતંકવાદીઓના હાથમાં આવી જાય તો ?

તો ફરી પાછો મુંબઈ, પેશાવર અને પેરિસનો કકળાટ.

https://www.facebook.com/raj.goswami.31/posts/894211883962489:0

Loading

ત્રણ દિવસ અંધાપો જતો રહે તો ….

હેલન કેલર [અનુવાદ : જયંત મેઘાણી]|Opinion - Opinion|18 January 2015


મને હંમેશાં લાગ્યું છે કે દરેક માણસને મોટી ઉંમરે થોડા દિવસ અંધાપો અને બહેરાશ મળે તો એ એક દૈવી આશીર્વાદ નીવડે. આંખોમાં અંધકાર હોય એ પરિસ્થિતિ એને ચક્ષુઓનું મૂલ્ય સમજાવે; મૌન થકી તેને ધ્વનિનો આનંદ સમજાય. મારા દેખતા મિત્રો ખરેખર શું જુએ છે તેનો મેં અવારનવાર ખ્યાલ મેળવ્યો છે. થોડા દિવસ પહેલાં મારાં એક મિત્ર વનમાં ફરી આવેલાં. એમને મેં પૂછ્યું, “જંગલમાં શું શું જોવા મળ્યું?” તો કહે, “ખાસ તો કાંઇ નહીં.” 
         

મેં મારી જાતને પ્રશ્ન કર્યો, ‘અરે, એક કલાક જંગલમાં લટાર મારીએ તો કશું નોંધપાત્ર જોવા ન મળે એ તે કેવી વાત?’ આંખો વિનાની હું અપરંપાર મજાની વસ્તુઓને માત્ર સ્પર્શ વડે અનુભવી શકું છું : પાંદડાંના નાજુક આકાર પામી શકું છું, સરસ મજાના વૃક્ષની મુલાયમ છાલ પર હાથ ફેરવી શકું છું, અથવા કોઈ ઝાડની ખરબચડી છાલને સ્પર્શ થકી પારખી શકું છું. શિયાળો પૂરો થાય, વસંત હજુ બેસતી હોય અને ઝાડની ડાળો ઉપર હાથ ફેરવીને નવી કૂંપળ ફૂટી કે નહીં એ ‘જોઈ’ શકું છું. અને, બહુ નસીબદાર હોઉં તો, કોઈ નાના ઝાડની ડાળને અડીને પંખીઓના કલશોરનાં સ્પંદનો પામી શકું. 
         

કદીક મારું હૃદય આ બધી વસ્તુઓને ખરેખર જોવા માટે આર્તસ્વર કાઢી બેસે છે. સ્પર્શમાત્રથી હું આટલો બધો આનંદ મેળવું છું, તો એ બધું સાચેસાચ નજરે જોઈ શકું તો કેટલા અધિક સૌંદર્યનું પાન કરી શકું!  અને પછી કલ્પનાના ઘોડે ચડું : જો ત્રણ દિવસ માટે મારો અંધાપો જતો રહેવાનો હોય તો હું શું શું જોઈ લેવા ઝંખું? 
         

એ અણમૂલ ત્રણ દિવસને ત્રણ હિસ્સામાં વહેંચું. પહેલા દિવસે શું કરું? સ્નેહ અને સોબત આપીને મારા જીવનને મધુર બનાવનાર લોકોને પ્રત્યક્ષ જોવા ઇચ્છું.  આંખને આત્માની બારી કહી છે, પણ મને ખબર નથી કે મિત્રના હૃદયને તેના વડે કઈ રીતે નીરખી શકાય. હું તો કોઈ ચહેરાને મારી આંગળીઓનાં ટેરવાં વડે જ ‘જોઈ’ શકું છું. સ્પર્શ થકી જ હાસ્ય, હતાશા અને બીજી અનેક અનુભૂતિઓને હું પામી શકું છું. મિત્રોને એમના ચહેરાના સ્પર્શ થકી પારખી શકું છું. ઓહો, તમે સહુ તો કેટલી સરળતાથી, બહેતર રીતે અને તત્ક્ષણ કોઈના ચહેરાના મરોડોને, એમના સ્નાયુઓનાં સ્પંદનોને, હસ્તમુદ્રાઓને જોઈ શકો છો! પણ તમને દૃષ્ટિનો ઉપયોગ બીજાના અંતર-વૈભવને નિહાળવા માટે કરવાનો વિચાર આવ્યો છે? મોટા ભાગના લોકો માત્ર ચહેરાના બાહ્યાકારને જોઈ લેવામાં ઇતિશ્રી માનતા નથી?

ઉદાહરણ આપું : તમારા પાંચેક મિત્રોના ચહેરાનું ઝીણવટભર્યું વર્ણન કરી શકો? મેં પ્રયોગ કર્યો :  મેં કેટલાક પુરુષોને એમની પત્નીઓની આંખોનો રંગ પૂછી જોયો છે, પણ થોડા ઝંખવાઈને એમણે કહ્યું છે કે એમને તેનો બરાબર ખ્યાલ નથી. 
                    
         

ઓહ, મને ત્રણ જ દિવસ આંખો પાછી મળે તો શું શું જોઉં?

પહેલો દિવસ તો ભરચક હશે. મારા બધા પ્યારા મિત્રોને બોલાવું, એમના ચહેરાઓને લાંબા સમય સુધી નીરખી રહું, અને એમના બાહ્ય સૌંદર્યની રેખાઓને મારા અંતરમાં અંકિત કરી લઉં. મારી નજરને કોઈ શિશુચહેરા પર સ્થિર થવા દઉં અને મોટપણે નઠારા જીવનાનુભવોથી ખરડાઈ જાય એ પૂર્વેના તેના વિસ્મિત-નિર્મળ સૌંદર્યને મારા અંત:સ્તલમાં ઉતારી લઉં. જેનું પઠન જ મેં સાંભળ્યું છે અને જેમણે માનવહૃદયનાં ગહન જળમાં મને ઝબોળી છે એ પુસ્તકોના મારે પ્રત્યક્ષ દર્શન કરવાં છે. અને મારા વફાદાર શ્વાન-મિત્રોની ઇતબાર-ઝરતી આંખોમાં મારે નજર પરોવવી છે.

નમતી સાંજે વનાંચલમાં જરી ઊતરીને પ્રકૃતિની સુંદરતા મારી આંખોમાં આંજી લેવી છે. અને પછી ભવ્યાતિભવ્ય સૂર્યાસ્ત જોવા પામું એવી મારી પ્રાર્થના છે. માનું છું કે એ રાત્રે મારી આંખો મટકું નહીં મારી શકે.

બીજો દિવસ : પ્રભાતના પ્રથમ કિરણ સાથે મારે જાગવું છે અને રાત્રિનાં અંધારાં  દિવસના ઉજાસમાં પલટાઈ જાય છે એ ઘટનાનું રોમહર્ષણ માણવું છે. સૂરજ આ પૃથિવીને નીંદરમાંથી ઢંઢોળે છે એ પ્રકાશ-પર્વની ભવ્ય ક્ષણનું દર્શન કરવું છે.  
          

આજે મારે આ જગતના વર્તમાન અને અતીતની ઉતાવળી ઝાંખી કરવી છે. મનુષ્યની પ્રગતિનું કૂચદૃષ્ય જોવા માટે મારે સંગ્રહસ્થાનોમાં જવું છે. ત્યાં મારી આંખો જોશે સૃષ્ટિનો સંક્ષિપ્ત ઇતિહાસ : પ્રાણીઓ અને માનવીની જૂજવી જાતિઓ તેના તળપદ વાતાવરણમાં કેવી રીતે વસી હશે તેનાં ચિત્રો મને જોવા મળશે. સાધારણ કદના પણ અતિ શક્તિવંત મગજવાળા મનુષ્યે પ્રાણીજગત ઉપર વિજય મેળવ્યો એ પહેલાં જે મહાકાય પ્રાણીઓ વિચર્યાં હશે તેના દેહ-નમૂના મારે જોવા છે. 
         

એ પછી મારે કલાના સંગ્રહાલયમાં પહોંચવું છે. સ્પર્શેન્દ્રિય થકી પ્રાચીન નાઈલ-ભૂમિનાં દેવ-દેવીઓની પ્રતિમાઓને હું પિછાની શકી છું, ગ્રીસ અને રોમની સંસ્કૃિતઓનો પરિચય મેળવ્યો છે, મહાકવિ હોમરના દાઢીએ શોભતા ચહેરાની હું ચાહક છું – એમને પણ અંધાપાનો અનુભવ હતો ને! 
         

એટલે, આજે બીજા દિવસે માનવીની કલાસિદ્ધિ વાટે તેના આતમ સુધી પહોંચવું છે. સ્પર્શથી જે અનેક બાબતો મેં અનુભવી છે એ હવે ચક્ષુઓથી આતમમાં ઉતારવી છે. માનવીની ચિત્રકલાનું ભવ્ય જગત મારી સમક્ષ થશે. પણ હું તો કલાનું સાવ ઉપરછલ્લું દર્શન જ પામી શકીશ એ જાણું છું, કારણ કે કલાની ઊંડી સમજ પામવા અર્થે તો દૃષ્ટિને કેળવવાની હોય છે. રેખાઓ, રંગો અને આકૃતિઓનાં સંયોજનો સમજવા માટે કેટલું શીખવું પડે! મારે આંખો હોત તો હું આવા મુગ્ધકર પરિશીલનની દિશા પકડત. 
         

મારા આ બીજા દિવસની રાતે હું કોઈ નાટક કે ફિલ્મ જોવા જાત. ઓહો, હૅમ્લેટના ચહેરાને અને બીજાં પાત્રોને એ જૂના એલિઝાબેથ-કાળના પરિધાનમાં નિહાળવાં છે. સ્પર્શથી પામી શકાય એટલું જરીક જ તાલતત્ત્વ અત્યારે હું માણી શકું છું. કોઈ નૃત્યકારની નમણી અંગભંગિઓ હું અલ્પ જ સમજી શકું છું, ભલે હું તાલના આનંદને ક્યારેક મંચ ઉપર રમતાં આંદોલનો મારફત ઝીલી શકતી હોઉં. મંચ ઉપરનાં ચલન જગતનાં શ્રેષ્ઠ દૃષ્યો હશે એ હું સમજું છું. આરસની પ્રતિમાઓ પર અંગુલિઓ પસવારીને હું થોડું પ્રતિમા-દર્શન કરી શકતી હોઉં, એ સ્થિર જણસનું સંવેદન મને સૌંદર્યનો અનુભવ આપી શકતું હોય, તો કોઈ ચલનવતી દૃષ્યાવલીને જીવતી આંખે જોવાની અનુભૂતિ કેટલી ઉત્કૃષ્ટ હશે!       
         

વળતી સવારે, ફરી પાછી હું નવલ ઉષાનાં સૌંદર્યોને, નિત્યનૂતન આનંદને સત્કારવા સજ્જ હોઈશ. આજે આ ત્રીજા દિવસે હું જગતના કર્મપરાયણ માનવ-સંસારને જોવા તત્પર રહીશ; એ માટે નગર તરફ પ્રયાણ કરીશ. 
         

પહેલા તો હું ન્યૂયોર્ક નગરના ધમધમતા મહામાર્ગને ખૂણે ઊભી રહું. મારે નગરજનોની રોજિંદી જીવન-ઘટમાળ જરીક જોવી છે. માણસોના મુખમલકાટ જોઇને હું ખુશ થાઉં. એમના મુખારવિંદ પર આત્મવિશ્વાસ ચિતરાયેલો નીરખીને મારા અંતરમાં ગૌરવનો સંચાર થાય. અને પીડન જોવા પામું છું ત્યારે કરુણાનો ભાવ થાય. 
         

કલ્પનામાં રાચું છું : નગરના રાજમાર્ગ પર હું ટહેલું છું. મારે કોઈ અમુક વસ્તુઓ જોવી નથી; બસ, નજરને મોકળી મેલીને રંગોની વિસ્તરતી સૃષ્ટિ નિહાળું છું. ખાતરી છે કે વિધવિધ રંગોનાં પરિધાનમાં શોભતાં સ્ત્રીવૃંદો નીરખતાં મારી આંખો કદી ન થાકે. પણ મારે આંખો હોત તો હું પણ બીજી સ્ત્રીઓ જેવી જ હોત – પોષાકોનાં અવનવાં રીતિઓ અને રંગો ધારણ કરીને સમુદાયમાં રંગોની રેલમછેલ વહેવરાવવાનું મને ગમત. 
         

રાજમાર્ગ પરથી હું નગરયાત્રાએ નીકળી પડત :  ઝૂંપડપટ્ટીઓમાં, કારખાનાઓમાં, બાળ-ક્રીડાંગણોમાં પહોંચત. અને વિદેશીઓના જ્યાં વસવાટ હોય એવા વિસ્તારોનાં ઘરોમાં જઈને એમની જીવનરીતિની ઓળખ પામત. મારે માનવ-સમાજને બરાબર સમજવો છે તેથી હું હંમેશા લોકોનાં સુખ-દુ:ખને બરાબર પિછાનવા ચિત્તની બારી ઉઘાડી રાખું છું. 
         

દેખતી જિંદગીનો ત્રીજો ને છેલ્લો દિવસ હવે અસ્ત થવાનો હશે. આ આખરી પ્રહરમાં કેટલી ય ગંભીર પ્રવૃત્તિઓ કરવામાં મને રસ છે ખરો, પણ ના, જીવ, આજે છેલ્લી સંધ્યાએ પણ મારે તો કોઈ નાટક જોવા જતા રહેવું છે : મારે જોવું છે કોઈ ખડખડાટ હાસ્ય-છોળો ઉડાડનાર નાટક, કારણ કે માનવપ્રકૃતિમાં નર્મમર્મના લસરકા કેવા ઉપયોગી છે એ પણ મારે સમજવું છે.  
         

મધરાત : ફરી પાછી શાશ્વત અંધકારામાં હું સમાઈ જવાની છું. એ નાનકડા ત્રણ દિવસમાં મારે જોવું હોય એ બધું તો ક્યાંથી જોઈ શકી હોઉં? જ્યારે પૂર્ણ અંધકાર મારા વિશ્વ પર છવાશે ત્યારે જ મને સમજાશે કે કેટલું બધું અણદીઠું રહી ગયું!  
         

જો જાણો કે અંધાપો તમને આંબી જવાનો છે તો તમે મારા જેવું જ સમયપત્રક બનાવો એવું નથી. પણ તમારે ભાગે એવી નિયતિ આવે તો તમે આંખોનો કદી ન કર્યો હોય એવો ઉપયોગ કરી લેવા ઇચ્છશો. તમે સૃષ્ટિમાં જે કાંઈ નિહાળ્યું હશે એ તમને પ્રિય થઈ પડશે. તમારી ચોપાસ જે વસ્તુઓ પથરાયેલી છે એ બધી ચક્ષુઓમાં ઉતારી લેવા તમે તત્પર રહેશો. અને ત્યારે, છેવટે, તમે સૃષ્ટિને ખરેખર નીરખશો, સૌંદર્યની એક નવી જ દુનિયા તમારી સમક્ષ ખૂલી જશે. 
         

હું અંધ નારી બીજું તો શું કહું, પણ જે લોકો દૃષ્ટિનું વરદાન પામ્યાં છે એમને એક સૂચન કરું : આવતી કાલે અંધાપો આવવાનો છે એમ માનીને તમારાં નેત્રોનો ઉપયોગ કરજો. અને, અન્ય ઇન્દ્રિયોની બાબતમાં પણ એવું જ કરજો : ગીતો સાંભળજો, પંખીગાન સુણજો, અનેક વાદ્યોના લહેરાતા સમૂહ-સ્વરોને કાનમાં ભરી લેજો – એમ માનીને કે આવતીકાલે જ તમે શ્રવણેન્દ્રિય ગુમાવવાના છો. દરેક પદાર્થને એમ સમજીને સ્પર્શી લેજો કે તમે સ્પર્શનું સંવેદન ખોઈ બેસવાના છો. હરએક પુષ્પના પરિમલનું પાન એ રીતે કરી લેજો કે જાણે ગંધ તમારા નાસિકાદ્વારે પછી આવી શકવાની નથી. પ્રિય સ્વાદ માણી લેજો – કદાચ સ્વાદેન્દ્રિય દગો દેવાની હોય. સર્વ ઇન્દ્રિયોને મહત્તમ માણજો, આનંદનો પ્રત્યેક આહ્‌લાદ ગ્રહી લેજો. પ્રકૃતિએ નિર્મેલાં સૌંદર્ય અને આનંદનાં સકલ નિમિત્તો સેવી લેજો, પણ સર્વ ઇન્દ્રિયોમાં ચક્ષુ એ સહુથી વધુ આનંદદાયક છે એવું માનજો.

[‘રીડર્સ ડાયજેસ્ટ’, મે 2002]

e.mail : jayantmeghani@gmail.com

Loading

ડાયસ્પોરા, અપ્રવાસી, ગિરમીટિયા અને ગાંધી ….

રાજ ગોસ્વામી|Diaspora - History|17 January 2015

વિદેશોમાં વસતા ગુજરાતીઓ માટેનો અંગ્રેજી શબ્દ જે હવે ગુજરાતી બની ગયો છે તે ડાયસ્પોરા મૂળ ગ્રીક શબ્દ ‘ડિસ્પેઈરીન' (ડાયસ્પર) પરથી આવ્યો છે. જેનો મતલબ થાય છે : વિખરાઈ જવું, ફેલાઈ જવું કે તિતર-બિતર થઈ જવું. હિબ્રુ બાઈબલનો જ્યારે ગ્રીકમાં અનુવાદ થયો ત્યારે ઈઝરાયલ-પેલેસ્ટાઈનની ભૂમિ પરથી યહૂદીઓના નિષ્કાસન માટે પહેલીવાર આ શબ્દનું પ્રયોજન થયેલું.

છેલ્લા બે દાયકાથી ડાયસ્પોરા શબ્દ યહૂદી નિષ્કાસનના દાયરામાંથી બહાર નીકળીને દેશાંતર કરતા મજદૂરો, ડબલ નાગરિકત્વ ધરાવતા લોકો, વિદેશી વિદ્યાર્થીઓ, બીજી-ત્રીજી-ચોથી પેઢીના વિદેશીઓ અને નસ્લીય વિરાસતમાં િહસ્સેદારી ધરાવતા લોકોની ઓળખાણ સુધી પહોંચ્યો છે. ડાયસ્પોરા ત્રણ પ્રકારના હોય છે: ઉત્પીડિત ડાયસ્પોરા, શ્રમિક ડાયસ્પોરા અને વ્યાપારી ડાયસ્પોરા.

ગુજરાતીઓ મૂળે ધંધાર્થે સ્થળાંતર કરતા હતા એટલે એમને યહૂદીઓ, જીપ્સીઓ પારસીઓ કે બૌદ્ધોના ઉત્પીડિત નિષ્કાસનનો અર્થ ખબર ન હોય તે સ્વભાવિક છે. હવે તો ઈમિગ્રાન્ટ અથવા અપ્રવાસી જેવો વધુ સભ્ય શબ્દ પણ વપરાશમાં આવી ગયો છે પરંતુ નરેન્દ્ર મોદી જેને ‘પહેલા ભારતીય પ્રવાસી' તરીકે ઓળખાવીને અમદાવાદમાં પ્રવાસી ભારતીયોનો મેળો યોજી ગયા તે મહાત્મા ગાંધી એક બીજો શબ્દ લઈને આવેલા : ગિરમીટિયા.

ગાંધીજી ‘પહેલા ભારતીય પ્રવાસી' હતા એવું કહેવામાં અને સાંભળવામાં સારું લાગે છે, પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે ગાંધીએ પોતાને ‘પહેલા ગિરમીટિયા' તરીકે ગણાવ્યા હતા. ગિરમીટિયા એટલે વેઠિયા મજદૂર. 1879માં ગુલામ ભારતમાં એક ઠેકા વ્યવસ્થા (ઈન્ડેચર િસસ્ટમ) તહત ભારતીય મજદૂરોને ફિજીનાં ખેત-બગીચાઓમાં કામ કરવા માટે લઈ જવામાં આવતા હતા. આ ઈન્ડેચર વ્યવસ્થામાં મજદૂરીના જે ‘એગ્રિમેન્ટ' પર એમના અંગૂઠા લેવામાં આવતા તે ‘એગ્રિમેન્ટ'ને આ અભણ-ગમાર ભારતીયો ‘ગિરમીટ' કહીને બોલાવતા હતા. 1916માં ફિજીમાં જ્યારે આ ઠેકેદારીનો અંત આવ્યો ત્યારે ત્યાં 60,965 ‘ગિરમીટિયા' પુરુષો, સ્ત્રીઓ અને બાળકો હતાં.

જે ફર્ક કેરીબિયન, મોરીશિયસ, ફિજી, મેલેશિયા અને આફ્રિકન બ્રિટિશ કોલોનીઓમાં મજદૂરી કરતા ભારતીયો અને યુએસ, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયા કામ કરતા ભારતીયો વચ્ચે છે તે જ ફર્ક ગિરમીટિયા અને ડાયસ્પોરા શબ્દ વચ્ચે છે. ડાયસ્પોરા અથવા અપ્રવાસીમાં મૂળ વતનનાં મૂળિયાં અભિપ્રેત છે જ્યારે ગિરમીટિયા એટલે સુખની શોધમાં બે-વતન થઈ ગયેલા લોકો. 1838માં બ્રિટને કાયદા મારફતે ગુલામી પ્રથા નાબૂદ કરી ત્યારે એમાંથી ઈસ્ટ ઈન્ડિયા કંપની હેઠળના પ્રદેશ બાકાત રખાયેલા.

ભારતમાં જ્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સંપૂર્ણ હકૂમત સ્થપાઈ ત્યારે ભારતમાંથી મજદૂરોને વેઠિયા કામો માટે લઈ જવાની ઈન્ડેચર વ્યવસ્થા શરૂ થયેલી. ફિજીમાં જે ભારતીય મૂળના લોકો છે તે સંપૂર્ણ પણે આ ગિરમીટિયા પ્રથાને ‘આભારી' છે. 1838થી લઈને 1916 સુધી આ ગિરમીટિયા પ્રથા હેઠળ લગભગ 12 લાખ ભારતીયોને મોરીશિયસ, ગ્યુએના, ત્રિનિદાદ એન્ડ ટોબેગો, દક્ષિણ આફ્રિકા, ફ્રેન્ચ રિયુનિયન, સુરીનામ, જમૈકા અને ફિજીનાં ખેતરોમાં વેઠિયા મજદૂર તરીકે ઝુલસી દેવાયા હતા.

ઈન્ડેચર વ્યવસ્થાનો આ આખો કાળો ઇતિહાસ આજે જનસ્મૃિતમાંથી ભૂંસાઈ ગયો છે પરંતુ ગાંધીએ પ્રચલિત બનાવેલા ‘ગિરમીટિયા' શબ્દમાં એ સચવાઈ ગયો છે. 24 વર્ષની ઉંમરે ગાંધી ખુદ એક વર્ષના એગ્રિમેન્ટ પર બેિરસ્ટર તરીકે દક્ષિણ આફ્રિકા ગયા હતા. દક્ષિણ આફ્રિકાના શેઠ અબ્દુલાએ ગાંધીને બેરિસ્ટરની સેવા આપવા બોલાવેલા. એક જ અઠવાડિયામાં ગાંધીને કડવા અનુભવો થયા અને ત્યાંની પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો.

વકીલાત શરૂ કર્યાના બે-ચાર મહિનામાં જ ગાંધી પાસે બાલાસુંદરમ નામના તમિળ ભારતીય મજદૂરનો કેસ આવેલો જેને એના માલિકે સખત માર મારીને લોહીલુહાણ કરી નાખ્યો હતો અને બે દાંત પણ પડી ગયા હતા. ગાંધી એમની આત્મકથામાં લખે છે, ‘હું ગિરમીટિયાને લગતો કાયદો તપાસી ગયો. સામાન્ય નોકર જો નોકરી છોડે તો શેઠ તેના ઉપર દીવાની દાવો માંડી શકે. તેને ફોજદારીમાં ન લઈ જઈ શકે. ગિરમીટ અને સામાન્ય નોકરીમાં ઘણો ભેદ હતો. મુખ્ય ભેદ એ હતો કે ગિરમીટિયા શેઠને છોડે તો ફોજદારી ગુનો ગણાય ને તેને સારુ તેને કેદ ભોગવવી પડે. ગિરમીટિયો શેઠની મિલકત ગણાય. ગોરાને ત્યાં દાખલ થાય ત્યારે તેના માનાર્થે પાઘડી ઉતારે, બે હાથે સલામ ભરે તે બસ ન થાય.’

બીજા એક સ્થાને ગાંધી લખે છે, ‘જે કરાર કરીને પાંચ વર્ષની મજૂરી કરવા ગરીબ િહંદીઓ તે વેળા નાતાલ જતા તે કરાર અથવા ‘એગ્રિમેન્ટ'નું અપભ્રષ્ટ ગિરમીટ. આ ગિરમીટિયાને અંગ્રેજો ‘કુલી' તરીકે ઓળખે. ‘કુલી'ને બદલે ‘સામી' પણ કહે. ‘સામી' એટલે ઘણાં તામિળ નામોને છોડે આવતો ‘સ્વામી.' તેથી હું ‘કુલી બારિસ્ટર' જ કહેવાયો.’

ન્યૂયોર્ક ટાઈમ્સના સંપાદક જોસેફ લેલિવેલ્ડ એમની કિતાબ ‘ગ્રેટ સોલ : મહાત્મા ગાંધી એન્ડ હીઝ સ્ટ્રગલ વિથ ઈન્ડિયા'માં એવો દાવો કરે છે કે અંગ્રેજો દક્ષિણ આફ્રિકાના હિન્દુસ્તાની વેપારીઓ માટે પણ કુલી શબ્દનો પ્રયોગ કરતા હતા તે ગાંધીને પસંદ ન હતું અને એ અરસામાં ગિરમીટિયાઓ માટે આ શબ્દ વપરાય તેમાં એમને કંઈ વાંધાજનક લાગતું ન હતું. એ વખતે એ હિન્દુસ્તાની વેપારીઓના જ પ્રવક્તા હતા. 1913માં જોહાનિસબર્ગમાં ગોરા ખાણ કામદારોએ હિંસાત્મક હડતાળ પાડી તે દિવસોમાં ગાંધીજીને ગિરમીટિયાઓ માટે ‘કંઈક' કરવાના વિચારો આવેલા એવું એમના સચિવ પ્યારેલાલ નોંધે છે.

ગાંધીએ જ્યારે હિન્દુસ્તાનીઓ માટે લડત શરૂ કરી ત્યારે પોતાને પહેલા ગિરમીટ તરીકે ઓળખાવ્યા હતા. ગાંધી લખે છે, ‘ગીરમીટ એ અડધી ગુલામી જ છે.' િહન્દીમાં ગિરિરાજ કિશોરે ગાંધી ચરિત્ર લખ્યું છે તેનું શીર્ષક ‘પહેલા ગિરમીયા' છે. ગુજરાતીમાં મોહન દાંડીકરે નવજીવન પ્રકાશન માટે ‘પહેલો ગિરમીટિયો’ નામથી અનુવાદ કર્યો છે.

આ કદાચ પ્રથમ વાર્તા છે જેમાં મોહનદાસથી મહાત્મા સુધીની સફર કહાનીનુમા રૂપે પેશ કરવામાં આવી છે. એમાં નાયક મોહનદાસ ગિરમીટિયા છે જે રોજી-રોટીની તલાશમાં દક્ષિણ આફ્રિકા ગયો છે. મોહનદાસ પહેલો ગિરમીટિયો હતો જે બેરિસ્ટર પણ હતો અને કુલી પણ.

ગિરિરાજ કિશોર આ કહાનીની પ્રસ્તાવવામાં લખે છે, ‘આ કહાનીનું મુખ્ય પાત્ર મોહનદાસ એટલી જ સામાન્ય વ્યક્તિ છે જેટલી મારા-તમારા જેવી હોય છે. એ ન તો ચાંદીની ચમચી સાથે પેદા થયો હતો કે ન તો સોનાના મુગટ સાથે. પત્નીનાં ઘરેણાં વેચીને લંડન બાર-એટ-લો કરવા ગયો હતો. પિતા મરી ગયા હતા, કાકાએ બહાનું બતાવીને ઠેંગો બતાવ્યો હતો, મોટા ભાઈની પોતાની મર્યાદાઓ હતી. જ્યારે બેરિસ્ટર બનીને પાછો આવ્યો તો બેરોજગાર રહી ગયો. મોટા ભાઈના માથે પડ્યો. કોર્ટોનાં ચક્કરમાં અનૈતિકતા અને વ્યક્તિગત નૈતિકતાના સંઘર્ષમાં ફસાઈ ગયો. બોલતાં ન આવડે એટલે કેસ હારી જાય. થોડી ઘણી કમાણી મોટાભાઈના વકીલ દોસ્તોના ક્લાયન્ટો માટેની લખાપટ્ટીમાંથી થતી હતી અને એમાંથી અડધો હિસ્સો વકીલ લઈ લેતો. શોષણની આ રીતથી મોહનદાસ પરેશાન હતા. પરિણામે દેશના હજારો ગરીબ અભણ, બેરોજગાર મજદૂરોની જેમ એ બેરિસ્ટરને પણ રોજી-રોટી કમાવા માટે એક વર્ષના ગિરમીટ (એગ્રિમેન્ટ) પર દક્ષિણ આફ્રિકા જવું પડ્યું.'

ગયા મે મહિનામાં ફિજીમાં ગિરમીટિયાઓના આગમનને 180 વર્ષ પૂરાં થયાં ત્યારે આંતરરાષ્ટ્રીય ગિરમીટ દિવસ 2014નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગિરમીટિયાઓના અનેક વારસદારો, જે આજે પ્રતિષ્ઠિત જિંદગી જીવી રહ્યા છે, તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ એક પ્રકારનું પ્રવાસી ભારતીય સંમેલન જ હતું.

સવાલ : ગાંધીજી જીવતા હોત તો પ્રવાસી ભારતીય દિવસને તેમણે ગિરમીટિયા ભારતીય દિવસ ગણ્યો હોત?

… સોચો.

https://www.facebook.com/photo.php?fbid=891324457584565&set=a.105033859546966.2361.100001210570216&type=1&theater

Loading

...102030...3,8303,8313,8323,833...3,8403,8503,860...

Search by

Opinion

  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 
  • ભૂખ
  • ગાંધીબાગ કે ગાંધી ભાગ?

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved