Opinion Magazine
Number of visits: 9552801
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Stopping by Woods on a Snowy Evening / બરફની સાંજે વનમાં વિરામ

Robert Frost / અનુવાદક : ‘સુન્દરમ્’|Poetry|20 March 2015

બરફની સાંજે વનમાં વિરામ

(શાલિની-મંદાક્રાન્તા)

હું ધારું હું જાણું આ વંન કોનાં.
જોકે એનું ઘર અહીં રહ્યું ગામમાં તોય એ ના
જોશે કે હું થંભિયો છું અહીં હા
જોવા એના વન પર છવાતો કશો બર્ફ હાવાં.

મારા નાના અશ્વને મંન થાશે −
પેલા થીજ્યા સરવર અને વંન આ બેની વચ્ચે
માંહી ખેતી-વાસ ના તોય થંભુ !
સૌથી કાળી વરસભરની સંધિકાએ, વિચિત્ર !

થાતી કૈં ના ભૂલ તો ? − જાણવાને
જાણે એ હા નિજ ધૂસરીના ઘૂઘરા લે હલાવી,
ને બીજો છે માત્ર આંહીં અવાજ
આસ્તે થાતો પવન-પડતો પિચ્છ શો બર્ફ-એનો.

રૂડાં આ છે વંન, શાં શ્યામ, ઊંડાં
કિંતુ મારે કંઈક કંઇ છે વાયદા પૂરવાના,
ને જાવાના કોશ કૈં નીંદ પ્હેલાં,
ને જાવાના કંઈક કંઇ રે કોશ હા નીંદ પ્હેલાં.

અનુવાદક : ‘સુન્દરમ્’

[“ગ્રંથ”, અૉગસ્ટ 1964, પૂ. 61]

Stopping by Woods on a Snowy Evening


By Robert Frost

Whose woods these are I think I know.   
His house is in the village though;   
He will not see me stopping here   
To watch his woods fill up with snow.   

My little horse must think it queer   
To stop without a farmhouse near   
Between the woods and frozen lake   
The darkest evening of the year.   

He gives his harness bells a shake   
To ask if there is some mistake.   
The only other sound’s the sweep   
Of easy wind and downy flake.   

The woods are lovely, dark and deep,   
But I have promises to keep,   
And miles to go before I sleep,   
And miles to go before I sleep.

Loading

કામકાજમાં વિસરાઈ ગયેલી ‘સાંજ’ યાદ છે?

તેજસ વૈદ્ય|Opinion - Opinion|20 March 2015

સાંજ એટલે એવો સમય જે વાતાવરણના ઉત્સવ જેવો હોય છે. સૂરજ ડૂબે એ પહેલાંની સોનેરી આભા અને સૂરજ ડૂબે એ પછી અંધારું થાય એ પહેલાંની લાલાશ એટલી અદ્દભુત હોય છે કે 'અદ્દભુત' શબ્દ એના માટે ટૂંકો પડે. જીવનમાં કેટલીક સાહ્યબી માણવા પૈસા ખર્ચવાની જરૂર નથી પડતી. બસ, થોડી ક્ષણ ફાળવવાની જ જરૂર હોય છે. સાંજે માત્ર ઘરની બારી ઉઘાડવાની કે અગાસીએ જવાની કે પછી હાઇવે પર ચાલ્યા જવાની જરૂર હોય છે. કે પછી બધું પડતું મૂકીને માત્ર સાંજના આકાશને જોવાની જરૂર હોય છે. જો તમારી પાસે બે ઘડીની ફુરસદ હોય તો સાંજ રોજ તમારા માટે જ પડે છે.

ફિલ્મમેકર મણિ રત્નમે એક વખત કહ્યું હતું કે "સાંજ એ એવો સમય છે કે જ્યારે દરેક માણસને પોતાના મૂડની પ્રવૃત્તિ કરવાનું ગમે છે." જેમ કે, કોઈને સંગીતનો શોખ હોય તો સાંજે એ તંબૂરો ખોલીને તાર ઝણઝણાવવાનું કે પછી મ્યુિઝક પ્લેયર શરૂ કરીને ગમતું સંગીત સાંભળવાનું પસંદ કરે છે. કેટલીક ગૃહિણીઓ સાંજે શાક સમારતાં સમારતાં ગીતો ગણગણતી હોય છે. ચિત્રો દોરવાનો શોખ હોય એ સૂરજ ઢળતો જાય એની સાથે કેન્વાસ પર રંગો ઢાળતો જાય છે. કોઈને ગપ્પાં મારવાનો શોખ હોય તો સાંજે કોફીહાઉસમાં જઈને યારોની મંડળી વચ્ચે મહેફિલ માંડે છે.

સાંજ એ ખરેખર તો અર્ધનારીશ્વરનું સમય સ્વરૂપ છે. એ દિવસ અને રાતની સંધિ કરે છે. એ સંધિટાણું એટલે કે સંધ્યાકાળ છે એટલે કે દિવસ પણ નથી ને રાત પણ નથી પણ બંનેનું કોકટેલ છે. કહેવાય છે કે કાઠિયાવાડમાં તો દિવસ જ બાર કલાકનો હોય છે. બપોરે સૂઈ જવાની સાહ્યબી છે. તેથી સાંજ પછી બીજો દિવસ શરૂ થાય છે, એટલે ત્યાં સાંજનાં પણ છાપાં નીકળે છે.

દિવસના ચોથા પ્રહરની શરૂઆતને સાંજ કહે છે. સૂરજ ડૂબતા પહેલાંનો સોનેરી સમય અને સૂરજ ડૂબ્યા પછી વાતાવરણમાં રહેતા અંધારા પહેલાંની સંધ્યાનો સમય એટલે સાંજ. એ વાતાવરણ ખરેખર અદ્દભુત હોય છે. સૂરજ ડૂબવાનો હોય એને જ સાંજ નથી કહેતા. તમે જેને મહેસૂસ કરી શકો એને સાંજ કહે છે. એ વાતાવરણની સાથે જિંદગી થોડી ઝિલમિલાય એને સાંજ કહે છે.

કલકત્તાનાં કોફીહાઉસોની એ સાંજ

જે માણસ કમસેકમ સાંજે પોતાના મૂડની પ્રવૃત્તિ માટે સમય ફાળવી શકતો હોય એ રજવાડું ભોગવે છે. પચાસથી સિત્તેરના દાયકાના બંગાળનાં કોફીહાઉસો રજવાડાં જ હતાં. સાંજ પડે ને ત્યાં કમ્યુિનસ્ટો, કવિઓ, રાજકારણીઓ, પત્રકારો ભેગા થઈને વાતોનો દૌર જમાવતા. બંગાળીઓ માને છે કે તેમને ત્યાં ત્રણ સાંસ્કૃિતક સંસ્થાનો થઈ ગયાં. રવીન્દ્રનાથ ઠાકુર, સત્યજિત રાય અને કોફીહાઉસ.

બંગાળના જાણીતા સાહિત્યકર્મી સુનિલ ગંગોપાધ્યાયે કહ્યું હતું કે "કોફીહાઉસ જ્યારે ઉફાન પર હતાં ત્યારે ત્યાં કવિઓનું અલગ ટેબલ રહેતું, ટૂંકી વાર્તાકારોનું અલગ ટેબલ રહેતું, રાજકારણીઓનું અલગ ટેબલ અને આંદોલનકારીઓનું અલગ ટેબલ રહેતું હતું."

ખરેખર તો આ બધાને એક જગ્યા પર ભેગા કરવા એ તગારામાં દેડકા ભેગા કરવા જેવું કામ છે, પણ કોફીહાઉસ બધાને એકસાથે ભેગા કરી દેતું. સાંજ પડયે ત્યાં રોજ બૌદ્ધિક મેળાવડો ભરાતો હતો. સત્યજિત રાય, અમર્ત્ય સેન, મૃણાલ સેન, ઋત્વિક ઘટક, સુનિલ ગંગોપાધ્યાય નિયમિત રીતે સાંજે કલકત્તાના કોંફીહાઉસોમાં જતા હતા. ત્યાં જઈને દોસ્તો વચ્ચે કોફીની ચુસકી સાથે ચર્ચા કરતા હતા.

બંગાળના શિષ્ટ સાહિત્યથી માંડીને સસ્તું સનસનીખેજ સાહિત્ય પણ કોફીહાઉસમાં સાંજે જામતાં દૌરમાંથી નીકળ્યું છે. ચીપ પેપરબેક સિરીઝ 'દસ્યુ મોહન'ના રાઇટર શશધર દત્તા પણ ત્યાં નિયમિત જતા હતા. બંગાળના બૌદ્ધિક વિકાસમાં કોફીહાઉસનું કેટલું પ્રદાન છે એ પી.એચડીનો વિષય બની શકે છે. હવે આ કોફીહાઉસોની સાંજની એ રોનક પહેલાં જેવી નથી રહી એ અલગ વાત છે.

શહેરોમાં જે ફેશનેબલ સુંવાળાં કોફીહાઉસ શરૂ થયાં છે એનું ગોત્ર પણ કલકત્તાનાં કોફીહાઉસ જ છે.

શહેરોમાંથી ગાયબ થઈ ગયેલી સાંજ

અમદાવાદ, દિલ્હી, હૈદરાબાદ, પૂણે, મુંબઈની કોર્પોરેટ ઓફિસોમાં કામ કરતાં લોકો સાંજવંચિત લોકો છે. સવારે કે બપોરે કામ પર ચઢે ને આઠ – દશ કલાકની નોકરી પછી ઓફિસની બહાર નીકળે ત્યારે સૂરજ ડૂબી જ ગયો હોય છે ને સીધી રાત જ સામી ભટકાય છે. સાંજ કેવી રીતે પડે છે એ તેમને અઠવાડિયે એક વાર માત્ર રવિવારે જ કદાચ ખબર પડે છે.

જે શહેર પર કોર્પોરેટીકરણ હાવી થઈ ગયું છે ત્યાંના નોકરિયાતોના જીવનમાં સાંજનું વધેલું ઘટેલું અજવાળું બસ કે લોકલ ટ્રેનમાં લટકતાં કે ટ્રાફિકમાંથી વ્હીકલને પસાર કરવામાં પતી જાય છે.

ધોળા દિવસે પણ જ્યાં બત્તીઓ બળતી હોય એવી ઓફિસોમાં સાંજની બારીક બ્યુટીનો સ્પર્શ અને સમજ લોકો ગુમાવી બેસે છે.

સાંજ ઠહેરાવ, ઇત્મિનાન અને ફુરસદની ઘટના છે. દિવસભર જે કંઈ કર્યું હોય પણ સાંજે એમાંથી થોડું પરવારીને ખૂણે બેસીને ખુદને જોવાની ઘડી છે. કામ તો આખો દિવસ રહેવાનું જ છે પણ એમાંથી બે ઘડી ચોરીને જાતમાં ઝાંખવાની ઘટના છે. રોજ જે કંઈ કામ કરતાં હોય એને બે ઘડી પડતું મૂકીને સાંજને નિહાળો, ન્યાલ થઈ જશો.

સાંજ એટલે સાંજી : હે રી સખી મંગલ ગાઓ રી …

કૈલાશ ખેરે ગાયેલું અને હવે ગુજરાતી ડાયરામાં ઓસમાણ મીર અને કીર્તિદાન ગઢવી જેવા ગાયકોએ પોપ્યુલર કરેલું 'હે રી સખી મંગલ ગાઓ રી …' ગીત એ સાંજી છે.

આપણે ત્યાં બે પ્રકારે સાંજી પ્રચલિત છે. એક લગ્નમાં ગવાતી સાંજી અને બીજી પુષ્ટીમાર્ગીય હવેલીમાં ઊજવાતો સાંજી ઉત્સવ. લગ્નમાં ગવાતી સાંજી પણ ગોપી અને વ્રજની પુષ્ટિમાર્ગીય પરંપરામાંથી આવેલું સ્વરૂપ છે. આ બંનેમાં સાંજનું ખૂબ મહત્ત્વ છે. તેથી જ એને સાંજી કહે છે.

સાંજી એ વ્રજની ગોપીઓનો કૃષ્ણ માટેનો એક ભાવ છે. વ્રજમાં સવારથી સાંજ કૃષ્ણની રાહ જોતી ગોપીઓ સાંજે કૃષ્ણ પાછા ફરે ત્યારે તેમને રિઝવવા સાંજી ગાય છે અને આંગણે રંગોળી પૂરે છે. એ પરંપરા અનુસાર લગ્નમાં સાંજી આવી છે. વિવાહવાળું ઘર હોય ત્યાં લગ્નની વધામણીરૂપે તેઓ સાંજી ગોઠવે છે.

એ જ રીતે હવેલી મંદિરોમાં સાંજીઉત્સવ વખતે રંગોળી પૂરવામાં આવે છે. ભાદ્રપદ પૂનમથી લઈને અમાસ સુધી વિવિધ હવેલી મંદિરોમાં સાંજી ઉત્સવ ઊજવાય છે. જેમાં વિવિધ હવેલીઓમાં રંગોળી પૂરવામાં આવે છે. જેનાં દર્શન કરવા ભાવિકો આવે છે.

લગ્નમાં ગવાતી સાંજીની પરંપરાની વાત આગળ વધારીએ તો જે પરિવારમાં વિવાહ લેવાયા હોય ત્યાં આગલી સાંજે મહિલાઓ ભેગી મળીને પ્રીત-પિયુ-પરણેતરનાં ગીતો ગાય. એ માહોલ ખરેખર જોવાલાયક હોય છે. આસપાસની મહિલાઓ અને યુવતીઓ હાથમાં શુકનની ખાંડ ભરેલી ડિશ લઈને આવે અને વિવાહવાળા ઘરમાં આપે. બધી ભેગી મળીને સાંજી ગાય. સૂરના કોઈ ઠેકાણાં ન હોય. બે-ત્રણ મહિલાઓ એવી હોય જેને સાંજી ગીતો આવડતાં હોય. એનો લય મોઢે હોય. સાંજીમાં હુકમના એક્કા જેવી એ મહિલાઓ સાંજીગીતોમાં વટ પાડવા તત્પર હોય છે. કેટલાંક નિવડેલા શાયરો જેમ મુશાયરો લૂંટી લે એમ એ સાંજી સ્પેિશયાલિસ્ટ માનુનીઓ સાંજી લૂંટી લે છે.

કન્યાવિદાયની જેમ હવે સાંજી પણ લગ્ન પરંપરામાંથી વિદાય થઈ રહી છે. સાંજીનું સ્થાન સંગીતે લઈ લીધું છે. જેમાં લોકો ગરબા અને દાંડિયા રમે છે. એ પણ સરસ પરંપરા છે.

'સાંજ' નામનો ટૂરિસ્ટ પોઇન્ટ

માઉન્ટ આબુ એવું સ્થળ છે જેનું મુખ્ય આકર્ષણ સાંજ છે. માઉન્ટ આબુ સનસેટ પોઇન્ટ માટે જાણીતું સ્થળ છે. પહાડની ટોચે બેસીને લોકો ડૂબતા લાલ સૂરજની લીલા માણે છે. માથેરાન, મહાબળેશ્વર જેવાં હિલસ્ટેશનો પર પણ સનસેટ પોઇન્ટ ડેવલપ કરવામાં આવ્યા છે અને પ્રવાસીઓને આકર્ષવામાં આવ્યા છે. ગિરનાર પર લોકો પ્રદક્ષિણા કરવા અને ફરવા જાય છે. ઊગતા અને ડૂબતા સૂરજનું સૌંદર્ય ગિરનાર પરથી નિરખવું એ ખરેખર લહાવો છે. ગિરનારનું ધાર્મિક માહાત્મ્ય તો ખૂબ છે. ત્યાં સનસેટ પોઇન્ટ જેવાં આકર્ષણ ઊભાં કરીને પર્યટન માહાત્મ્ય પણ વધારી શકાય છે. જો પડોશનું રાજસ્થાન માઉન્ટ આબુ જેવા ડુંગરાને સનસેટ પોઇન્ટ તરીકે ડેવલપ કરી શકતું હોય અને મહારાષ્ટ્ર હિલસ્ટેશનો પર સનસેટ પોઇન્ટનાં આકર્ષણ ઊભાં કરી શકતું હોય તો ગુજરાતના પર્યટન વિભાગને એવું કેમ સૂઝતું નથી, એ સવાલ છે. સાપુતારામાં સનસેટ પોઇન્ટ છે પણ સાપુતારાનાં અન્ય આકર્ષણો વધુ પોપ્યુલર છે.

આવી જ રીતે દરિયાકાંઠાઓને પણ સાંજના ટૂરિસ્ટ આકર્ષણ તરીકે વિકસાવીને શકાય છે. દેશમાં સૌથી લાંબો સાગરકાંઠો ગુજરાત પાસે છે. ૧૬૬૦ કિલો મિટર લાંબો આપણો દરિયાકિનારો છે. છતાં આપણે એક દરિયાકિનારાને સનસેટ કે સનરાઇઝ પોઇન્ટ તરીકે વિકસાવ્યો નથી. સાંજે દરિયાની છોળો ઉપરથી સૂર્ય ઓઝલ થાય એ દૃશ્ય એટલું બેનમૂન હોય છે કે એ જોઇએ ત્યારે એ દૃશ્યને આજીવન આંખોમાં ભરી રાખવાનું મન થાય.

સોમનાથ, ચોરવાડ સહિત કેટલાં ય સાગરકાંઠે રોજ સાંજે આંખોને ઠારે એવું સૂર્યાસ્તનું દૃશ્ય સર્જાય છે. એ સાગરકાંઠાને સનસેટ પોઇન્ટ તરીકે વિકસાવીને એમાંથી પૈસા રળી શકાય છે એવો કોઈ આઇડિયા આપણા ટૂરિઝમ વિભાગને હજી સુધી નથી આવ્યો એ આશ્ચર્યની વાત છે. સોમનાથના સાગરકાંઠે તો સૂરજ સાગરમાં ઓગળતો હોય અને મનોહારી દૃશ્ય માંડ જામ્યું હોય ત્યાં પોલીસના જવાનો પર્યટકોને દરિયાકાંઠેથી હાંકી કાઢે છે.

શામ એ અવધ

સાંજની વાત કરીએ અને 'શામ એ અવધ'નો જિકર ન થાય તો વાત જ અધૂરી કહેવાય. અવધ એટલે કે અયોધ્યા. લખનઉ એ અવધની રાજધાની હતું. તેથી લખનઉની મુલાયમ સાંજ 'શામ એ અવધ' તરીકે ઓળખાતી હતી. લખનઉની સાંજ ભારતની શાન હતી. ૧૮૫૭નો વિપ્લવ થયો એની સાથે જ 'શામ એ અવધ'ની રાત પડી ગઈ હતી. અવધના આખરી નવાબ વાજિદ અલી શાહને ૧૮૫૬માં અંગ્રેજોએ પદથી હટાવ્યા ત્યારથી ત્યાંની સાંજની રોનક પણ ઊતરી ગઈ હતી. નવાબોના સમયની એ શામ હવે યાદોનું નઝરાણું રહી ગઈ છે. હજી લખનઉમાં એ શાહી સાંજની થોડી ઝાંખી જોવા મળે છે. લખનઉમાં નકશીકામ, હીરામોતી તેમ જ વસ્ત્રોમાં ચિકનકારી ખૂબ ઉત્કર્ષ પામ્યા હતા. ત્યાં ગલી ગલીએ મિનારા અને નકશીદાર મકાનો હતાં. ૧૮૮૫માં અંગ્રેજ અધિકારી વિલિયમ ટેનન્ટે પોતાનાં યાત્રા સંસ્મરણો 'ઇન્ડિયન રિક્રિએશન'માં લખ્યું હતું કે ઇંગ્લેન્ડમાં એવી કોઈ ઈમારત નથી કે જેની બહારની સાજસજ્જા લખનઉના મહેલો જેવી હોય. લંડનના 'ટાઇમ્સ'ના રિપોર્ટર વિલિયમ હાવર્ડ રસેલે 'માય ડાયરી ઓફ ઇન્ડિયન મ્યુિટની'માં લખ્યું હતું કે અહીંના મહેલ, મિનારા અને ગુંબજ પર સોના અને તાંબાનો વરખ ચડાવેલો છે. એ સાંજના સમયે એટલા સુંદર લાગે છે કે જાણે શાંત સમુદ્રમાં સૂરજનાં કિરણો દૂર દૂર ફેલાયેલાં હોય.

અવધ – લખનઉમાં મહેલો, મિનારા અને ગુંબજો પર સાંજનાં સોનેરી કિરણો ફેલાતાં ત્યારે આખું શહેર સોનાવરણું બની જતું હતું તેથી ત્યાંની સાંજ વખણાતી હતી. લોકો ત્યાં ખાસ સાંજનો નજારો જોવા આવતા હતા. હવે એ નકશીદાર મકાનો – મહેલો નથી. હવે એ સાંજ પણ ત્યાં નથી.

અન્ય શહેરોની રોનકદાર સાંજ

બનારસની સાંજની ગંગાઆરતીનો નજારો આંખો માટે ઉત્સવ જેવો હોય છે. મુંબઈમાં દરિયાકાંઠે મરિનડ્રાઈવની પાળે સાંજે ફરવા જાવ તો એવું ચોક્કસ માનવાનું મન થાય કે જગત ખરેખર પ્રેમ પર જ ટકેલું છે. ત્યાં અસંખ્ય જોડકાં દુનિયાની સામે પીઠ અને દરિયાની સામે હૈયું ધરીને પોતપોતાનામાં પરોવાયેલાં હોય છે. એ વખતે એમ પણ માનવાનું મન થાય કે ડૂબતા સૂરજ પાસે નક્કી રોમાન્સની ભૂરકી હોવી જ જોઇએ જે આ જોડકાંવ પર છંટાયેલી હોવી જોઇએ. કલકત્તામાં કોફીહાઉસની સાંજની જેમ મુંબઇમાં ઈરાની કેફેની સાંજ વખણાતી હતી. લોકો ત્યાં સાંજે મોટી સંખ્યામાં એકઠા થતા હતા. હજી પણ મુંબઇમાં કેટલીક ઈરાની કેફેમાં એ રંગત છે.

જૂની દિલ્હીની સાંજ જેટલી ભરીભરી છે એટલી જ નવી દિલ્હીની સાંજ બોરિંગ છે. લુટિયનની દિલ્હી સૂરજ ડૂબે એ પહેલાં બંધ થઈ જાય છે. નવી દિલ્હી સરકારી કાર્યાલયો તેમ જ પ્રધાનોના આવાસથી ભરેલી છે. સૂરજ ડૂબી જાય પછી નવી દિલ્હીમાં ચાની લારી શોધવા કોલંબસને બોલાવવો પડે. નવી દિલ્હીની સાંજ એકદમ સરકારી હોય છે. એકદમ સૂકી સાંજ. જ્યારે કે જૂની દિલ્હીની સાંજ ગાલીબની ગઝલ જેવી તલબગાર હોય છે.

દીવાબત્તીટાણું, ગોરજવેળા અને શફ.ક.

સાંજ માટે ભાષામાં શબ્દોનું પણ કેવું સૌંદર્ય છે. 'દીવાબત્તીટાણું' અને 'ઝાલરટાણું' આ બે સાંજને ચિતરતા સુંદર શબ્દો છે. એવાં કેટલાં ય ઘરો હજી પણ હશે કે જ્યાં સાંજ થઈ એમ ન કહે પણ દીવાબત્તીટાણું થયું એમ કહેતાં હશે. એ ઘરોમાં મંદિરમાં દીવાબત્તી થયા બાદ જ ઘરની ટયુબલાઈટની સ્વિચ પડતી હશે. સાંજે મંદિરની આરતી વખતે ઝાલર વાગે એટલે એને ઝાલરટાણું કહે છે. 'ગોધુલિકવેળા' અને 'ગોરજવેળા' એ બંને પણ સમી સાંજ માટે વપરાતાં શબ્દો છે. ગાયો ચરીને સાંજે પાછી ફરે ત્યારે ઊડતી 'ધૂળ' કે 'રજ' પરથી આ બંને શબ્દો આવ્યા છે. સાંજને 'સંધ્યાકાળ' જેવો શૃંગાર-શબ્દ સંસ્કૃતમાંથી મળે છે. ઉર્દૂમાં 'શફ.ક.' એટલે સંધ્યાની લાલી. સાંજે ક્ષિતિજ લાલ થાય એને 'શામ ફૂલના' પણ ઉર્દૂમાં કહે છે. ઊગતા સૂરજને દેશ નમે છે પણ બિહાર – ઉત્તર પ્રદેશમાં ઊજવાતો 'છઠપૂજા' એવો ઉત્સવ છે જ્યાં મહિલાઓ ડૂબતા સૂરજને અર્ધ્ય આપે છે.

સાંજનો એટલો મહિમા છે કે સુબહ કા ભૂલા અગર શામ કો લૌટ આયે તો ઉસે ભૂલા ભી નહીં કહેતે, બરખુરદાર કુછ સમજે !

…. અને છેલ્લે સાંજ અને ઉદાસી

હિન્દી ફિલ્મોમાં સાંજને વ્યક્ત કરતાં 'યે શામ મસ્તાની …' જેવાં ખુશનુમા ગીતો રજૂ થયાં છે તો સાંજની ઉદાસીને ઝીલતાં 'વો શામ કુછ અજીબ થી …' જેવાં ગીતો પણ રજૂ થયાં છે. સાંજ પાસે સૌંદર્ય છે એમ ઘેરી ઉદાસી પણ છે. આપણા કવિ રાવજી પટેલે તેમની રચના 'મારી આંખે કંકુના સૂરજ આથમ્યા …'માં મોતને સાંજની અટારી પર બેસાડી છે. માણસે આખો દિવસ ઢાંકી રાખેલી એકલતાને સાંજ ઉઘાડી કરી દે છે. ઉદાસ માણસ સાંજ પાસે ઢોંગ નથી કરી શકતો. હિન્દી કવિ સૂર્યભાનુ ગુપ્તે પોતાના એક કાવ્યમાં સાંજની ઉદાસીના આત્માને પકડયો છે. વાંચો,

શામ ટૂટે હુએં દિલ વાલોં કે ઘર ઢૂંઢતી હૈ,
શામ કે વક્ત કભી ઘર મેં અકેલે ન રહો
 
શામ આયેગી તો ઝખ્મોં કા પતા પૂછેગી,
શામ આયેગી તો તસવીર કોઈ ઢૂંઢેગી.
ઈસ કદર તુમસે બડા હોગા તુમ્હારા સાયા,
શામ આયેગી તો પીને કો લહુ માંગેગી
 
શામ હર રોજ કહીં ખૂને-જીગર ઢૂંઢતી હૈ,
શામ કે વક્ત કભી ઘર મેં અકેલે ન રહો.
 
યાદ રહે રહે કર કોઈ સિલસિલા આયેગા તુમ્હેં,
બાર-બાર અપની બહોત યાદ દિલાયેગા તુમ્હેં.
ન તો જીતે હી, ન મરતે હી બનેગા તુમસે,
દર્દ બંસી કી તરહ લેકે બજાયેગા તુમ્હે.
 
શામ સૂલી ચઢેં લોગોં કી કબર ઢૂંઢતી હૈ,
શામ કે વક્ત કભી ઘર મેં અકેલે ન રહો.
 
ઘર મેં સહરા(રણ) કા ગુમાન ઈતના ઝ્યાદા હોગા,
મોમ કે જિસ્મ મેં રોશન કોઈ ધાગા હોગા.
રૂહ સે લિપટેંગી ઇસ તરહ પુરાની યાદેં,
શામ કે બાદ બહોત ખૂનખરાબા હોગા.
 
શામ ઝુલસે હુએ પરવાનોં કે પર ઢૂંઢતી હૈ,
શામ કે વક્ત કભી ઘર મેં અકેલે ન રહો
 
કિસી મહેફિલ, કિસી જલસે, કિસી મેલે મેં રહો,
શામ જબ આયે કિસી ભીડ કે રેલે મેં રહો
શામ કો ભૂલે સે ભી આઓ ન કભી હાથ અપને,
ખુદ કો ઉલઝાયે કિસી ઐસે ઝમેલે મેં રહો
 
શામ હર રોજ કોઈ તનહા બશર ઢૂંઢતી હૈ,
શામ કે વક્ત કભી ઘર મેં અકેલે ન રહો.
 

સત્યજિત રાય, અમર્ત્ય સેન, મૃણાલ સેન, ઋત્વિક ઘટક, સુનિલ ગંગોપાધ્યાય નિયમિત રીતે સાંજે કલકત્તાના કોફીહાઉસોમાં જતા હતા. ત્યાં જઇને દોસ્તો વચ્ચે કોફીની ચુસકી સાથે બૌદ્ધિક ચર્ચા કરતા હતા.

સાંજ એ એવો સમય છે કે જ્યારે દરેક માણસને પોતાના મૂડની પ્રવૃત્તિ કરવાનું ગમે છે.

– મણિ રત્નમ –

સૌજન્ય : ‘છપ્પનવખારી’ નામ લેખકની કટાર, “સંદેશ”, 18 માર્ચ 2015 

e.mail : tejas.vd@gmail.com

http://www.sandesh.com/article.aspx?newsid=3054110

Loading

ભીષ્મ થવું પડયું !

નયના પટેલ|Opinion - Short Stories|19 March 2015

શિલ્પા યુ.કે. આવી ત્યારથી ક્યાં તો આખો દિવસ એવી ઝરમર થયા કરે કે જાણે વાદળ નથી વરસી શકતાં કે નથી વરસ્યા વગર રહી શકતાં. કાં તો પછી અટકી અટકીને ધીમી ધીમી ધારે વરસ્યા કરે! પરંતુ બહાર ન વરસે મનમાં જ વરસે! જાણે સમ ખાધા હોય તેમ આંસુ પાંપણ સુધી આવતાં જ નથી!

શિલ્પાનાં બા-બાપુજી મણિભાઈ – રમાબહેન અને નાના ભાઈ ધીરુભાઈ – સુમનબહેનને એકબીજાં પર અપાર સ્નેહ. લગ્ન કરીને આવ્યાં પછી બે વર્ષ રહીને સુમનબહેન અને ધીરુભાઈને ત્યાં દીકરો જન્મ્યો! નામ રાખ્યું શિવ. શિલ્પા અને શિવ-બંને જણ સાથે જ ઉછર્યાં સગ્ગાં ભાઈ-બહેનની જેમ જ. એ જ એનો વહાલો ભાઈલો શિવ અને તેની પત્ની શ્રેયા પણ તેની સાથે વાત કરવાના પ્રયત્નો કરતાં રહે છે, પણ જેવી ડિવોર્સની વાત આવે એટલે એ ચૂપકીદી સાધી લે.

કુમારને આપેલા વચન મુજબ એણે કોઈને કાંઈ કહ્યું નહોતું, પરંતુ એને થયેલા ભયંકર અન્યાયના વિચારોના દ્વન્દ્વ યુદ્ધમાં એનાં ૧૫ વર્ષ સ્વાહા થઈ ગયાં!

ઘરનાં વડીલોને અવગણવાનું પરિણામ આટલું વસમું હશે તેનો વિચાર આવતાં જ એ સઘળું નસીબ ઉપર છોડીને ગૂમસૂમ બેસી રહે છે.

આફ્રિકામાં ધીરુભાઈ અને સુમનબહેન, ચંદુભાઈ જે નાનકડા ગામમાં રહેતાં તે જ ગામમાં થોડો વખત રહ્યાં હતાં. ત્યારે ચંદુભાઈની ચારિત્રહીનતાની ઊડતી ઊડતી વાતો સુમનબહેનને કાને આવી હતી. ચંદુભાઈની અણસારવાળાં આફ્રિકન બાળકોની વાતો પણ ગામમાં થતી! કુમારના જન્મ પછી ડાયાબિટીસ વધી જતાં વિદ્યાબહેનની આંખોએ દગો દીધો અને ભરયુવાનીમાં અંધાપો આવ્યો! પારકા દેશમાં એ સ્ત્રી નિઃસહાય હતી અને તેમાં અકાળે આવેલો અંધાપો! નાનકડા કુમારને સાચવવા માટે રાખેલી આફ્રિકન આયા હતી એટલે ચંદુભાઈને વિદ્યાબહેનની જરૂર નહોતી!!

મોટા થતાં કુમારના કૂણા મગજમાં ઘણાં બધાં દૃશ્યો સમજ્યા વગર એક ખૂણે સચવાઈ રહ્યાં હતાં, પરંતુ કરે તો પણ ૧૪-૧૫ વર્ષનો દીકરો શું કરે? યુગાન્ડાથી ઇદી અમીને એશિયનોને ભગાડયા ત્યારે ધીરુભાઈ અને સુમનબહેન યુ.કે. આવ્યાં અને મણિભાઈ અને રમાબહેને ભારત આવી, બાપ-દાદાના વખતની ખેતી સંભાળી લીધી.

એક વખત ધીરુભાઈ ન્યાતના પ્રીતિભોજનમાં એક ખૂણે શાંતિથી બેઠેલો એક ઠરેલ યુવાન તેમની નજરમાં વસી ગયો.

એ જ શહેરમાં રહેતાં મિત્ર પાસેથી જ્યારે જાણ્યું કે તે ચંદુભાઈનો એકનો એક પુત્ર કુમાર છે – તે સાંભળી ધીરુભાઈનું મન બે ડગલાં પાછું હટી ગયું!

નસીબ કોને કહેવાય તેનું પ્રત્યક્ષ ઉદાહરણ કોઈને જોવું હોય તો શિલ્પા અને કુમારનાં લગ્ન!

કુમારને પુરુષસહજ કુદરતી માગણીની સાથે બાને સમજે અને મદદરૂપ પણ થાય એવી જીવનસંગિનીની ઇચ્છા હતી અને … અને એ માટે ભારત આવેલા કુમારને પહેલી નજરે શિલ્પા ગમી અને શિલ્પાને કુમાર! શિલ્પાના વડીલોની ખાસ મરજી નહોતી, પરંતુ શિલ્પાના અફર નિર્ણય આગળ એ લોકોએ મન મનાવ્યું – જમાઈ સારા છે એ મહત્ત્વનું છે ને! હવે કદાચ વનમાં પ્રવેશેલા ચંદુભાઈ …! દીકરીને આડકતરી રીતે ચેતવી પણ હતી, ધીરુભાઈએ ન્યાતમાં અને ચંદુભાઈ જે શહેમાં રહેતા હતા ત્યાં તપાસ કરી. આમ તો બધું 'ઓકે' હતું, લગ્ન થઈ ગયાં અને શિલ્પા યુ.કે. પહોંચી ગઈ.

ઘરમાં ચોવીસે કલાક એક જુવાન સ્ત્રીના વસવાટે, સમય જતાં ધીમે ધીમે ચંદુભાઈની આંખોમાં સંતાયેલાં સાપોલિયાં સળવળવાં માંડયાં અને એ સળવળાટ શિલ્પાની છઠ્ઠી ઇન્દ્રિયને ધ્રુજાવી ગયો!

બા-બાપુજી, કાકા-કાકીએ ચેતવી હતી!

નીનીના જન્મ પછી એક દિવસ પોતાના બેડરૂમમાં નીનીને બ્રેસ્ટફીડ કરાવતી શિલ્પાના રૂમમાં બારણુ ય 'નોક' કર્યા વગર કાંઈ લેવાને બહાને ઘૂસી આવેલા સસરાની નજર …!

એમ ને એમ ત્રણ વર્ષ નીકળી ગયાં. ચંદુભાઈની નજરથી શિલ્પા હંમેશાં દૂર રહેવાનો પ્રયત્ન કરતી રહી.

પરંતુ એક દિવસ સ્ટોરરૂમમાં કાંઈ લેવા ગયેલી શિલ્પાની પાછળ આવીને સાવ જ નજીક ઊભેલા ચંદુભાઈને અચાનક જોઈને છળી ઊઠેલી શિલ્પાની ચીસ ભૂલી ગયેલી બ્રીફકેસ લેવા પાછા આવેલા કુમારે સાંભળી!

તે દિવસે "આવા બાપના દીકરાને લગ્ન કરવાનો હક્ક નથી" કહી હંમેશ માટે ઇન્ડિયા જતા રહેવાનું વિનવતાં કુમારે રડતી શિલ્પાનાં પગ પકડીને માફી માંગી. એટલું જ નહીં, "હું તને હેરાન કરું છું" એવો જૂઠો આરોપ પોતાની ઉપર મૂકીને ડિવોર્સ લઈ લેવાનું, બીજા લગ્ન કરી લેવાનું કહી ખૂબ ખૂબ રડયો. બીજે દિવસે ડૂસકાંને સમાવી કુમારે વિદ્યાબહેનને કહ્યું, "બા, શિલ્પા અને નીનીને લઈને હું થોડા સમય માટે ઇન્ડિયા જાઉં છું."

લગ્ન કરવાની ભૂલ કરી બેઠેલા આ આધુનિક ભીષ્મના પશ્ચાત્તાપનો પાર નહોતો. પોતાની યુવાનીને પ્રતિજ્ઞાની અગ્નિમાં આહુતિ આપનાર મહાભારતના ભીષ્મની મા કદાચ આંધળી નહોતી કે એને કોઈ રક્ષકની પણ કદાચ જરૂર નહોતી.

એકે પિતૃપ્રેમથી વશ 'ભીષ્મપ્રતિજ્ઞા' લીધી, લગ્ન ન કર્યાં અને છતાં ય મહાભારત સર્જાયું અને દુરાચારીને હાથે થતા રહેલા અન્યાયોના સાક્ષી બની રહેવું પડયું!

આજનો આ ભીષ્મ 'માતૃપ્રેમ'ને વશ થઈ લગ્ન કર્યાં પછી ભૂલનાં પ્રાયશ્ચિતરૂપે આખી જિંદગી માટે પત્ની વગર રહેવા તૈયાર થયો અને વાંક વગરની પત્નીને અને દીકરીને ત્યાગવાનો નિર્ણય કરી બેઠો. જવાના આગલા દિવસે સાંજે વિદ્યાબહેને અંતરની વાત કુમારને કરી, "મને મારા નસીબ પર છોડી અને તું તારું ઘર વસાવી લે બેટા, જા! મારે માટે થઈને …"

ચુપચાપ સીલિંગને તાકી રહેલા કુમારને વિદ્યાબહેને નીનીને ઇન્ડિયા ન મોકલવા વિનવ્યો! "કોના વિશ્વાસે એને રાખુ બા? એ પણ આખરે તો …" બાકીનું વાક્ય પૂરું કરવાની જરૂર નહોતી એને! એક દિવસ અચાનક ટૂંકી માંદગીમાં થયેલા ચંદુભાઈના મૃત્યુએ કુમારની ઈશ્વર પ્રત્યેની રહી સહી શ્રદ્ધા હચમચાવી મૂકી. મનને સાતમે પડદે કદાચ એણે ઇચ્છયું હતું કે એને એના પાપની સજા મળવી જ જોઈએ. રિબાઈ રિબાઈને મરવો જોઈતો હતો એ માણસ! પણ, એવું ન થયું. જો કે, રોજ ને રોજના તિરસ્કારમાંથી જીવતે જીવત 'છૂટયા'નો 'હાશકારો' થયો!

ત્યારથી હજીયે ફરી લગ્ન ન કરનારી કે છૂટાછેડા ન લેનારી શિલ્પાને બોલાવી લેવા માટે એનું અંતર ઉપર તળે થતું હતું, પરંતુ બોલાવે તો પણ કયા મોઢે બોલાવે?

એક અક્ષર બોલ્યા વગર ઘરની ઈજ્જત સાચવીને અને કોઈને પણ વાત ન કરીને એની ખાનદાની સાબિત કરી આપી હતી. અને આજે જ્યારે ભાર હળવો કરવાનો સમય આવ્યો ત્યારે ગુનાઓનો બોજ વધવા માંડયો હતો. એને ખબર પડી કે શિલ્પાને એનાં કાકાએ ડિવોર્સ લેવા યુ.કે. બોલાવી છે ત્યારથી એના કાકાનો ફોન નંબર શોધીને રોજ ફોન હાથમાં પકડીને બેસી રહે છે. આ બાજુ "હવે તો બોલાવી લેશેની આશા" પર ટિંગાતી રહેલી શિલ્પા ન તો ફોન કરી શકી, ન તો કાકાને ડિવોર્સ પેપર મોકલવાની ના પાડી શકી.

કુમાર દરરોજ "આજે તો સાંજે ફોન કરીશ જ" નક્કી કરે અને સાંજ આખી ફોનની આજુબાજુ જીવવામાં જ વહી જવા માંડી! એક દિવસ કુમાર સવારની પોસ્ટ લઈને રૂમમાં આવ્યો અને એક જાડું પરબીડિયું ખોલ્યું. શિલ્પાની સહીવાળાં ડિવોર્સ પેપર્સ હતાં! ચુપચાપ વાંચીને રોજની જેમ ઓફિસે જવા નીકળી ગયો.

અર્ધ સાપ્તાહિક, “સંદેશ”, 12 માર્ચ 2013

e.mail  : ninapatel47@hotmail.com

Loading

...102030...3,7863,7873,7883,789...3,8003,8103,820...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved