Opinion Magazine
Number of visits: 9694603
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તમને પાબ્લો જેવા કવિ ગમે કે પપેટ કવિ?

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|12 July 2015

કવિ હૃદયની ભાષા વ્યક્ત કરતો હોય છે અને એટલે જ તેના શબ્દો સીધા હૃદયને સ્પર્શતા હોય છે. કવિ માત્ર શબ્દોનો ઇજનેર નથી હોતો, પણ તે ભાવનાઓનો ભગીરથ હોય છે અને આપણા દિલમાં પડેલી અનેક ઉર્મિઓને વહાવવા માટે નિમિત્ત બનતો હોય છે.

શબ્દ રમત કરીને જોડકણાં જોડનારા કવિઓ જ્યારે લોકોના હૃદય સુધી પહોંચવામાં નિષ્ફળ જાય છે ત્યારે તેઓ લોકોના મનોરંજનના રવાડે ચડતા હોય છે. પ્રલોભનો અને પ્રસિદ્ધિની લાયમાં આ મનોરંજક કવિઓ ક્યારે પપેટ કવિ બની જતા હોય છે, તેમને અંદાજ પણ રહેતો નથી. મનોરંજક કવિતાઓ કરનારાને પદ અને પ્રસિદ્ધિ જરૂર મળે છે, પણ ન તો તેમને લોકોના હૃદયમાં સ્થાન મળે છે કે ન ઇતિહાસ તેમને લાંબો સમય યાદ રાખવાની તસદી લે છે. ભારતે વાલ્મીકિ-વ્યાસ-કાલીદાસ જેવા મહાકવિઓ જોયા છે તો આધુનિક યુગમાં ટાગોર, ગાલિબ જેવા વિશ્વકવિથી માંડીને દિનકરથી લઈને આપણા ગુજરાતી નર્મદ-મેઘાણી-ઉમાશંકર જેવા કવિઓ પણ જોયા છે. આ કવિઓ અમર થઈ ગયા છે, કારણ કે તેમના સર્જનમાં રોજિંદી સંવેદનાઓ ઉપરાંત વિશ્વચેતનાના ચમકારા હતા, હદયના ભાવોની સાથે જનસમુદાયની સંવેદનાઓનો સમન્વય પણ સધાયો હતો. એમનાં સર્જનોમાં 'સ્વ'ની જ નહિ, 'સર્વ'ની નિસબત હતી. શબ્દરમતો થકી સત્તાધીશોના ગુણગાન ગાનારા કવિઓ પણ આદિ કાળથી જોવા મળે છે. આવા પપેટ કવિઓને હંમેશાં માન-પાન-અકરામ મળતાં હોય છે, જ્યારે સત્તાધીશોને ગમે એવું નહીં પણ જે સાચું હોય એ સંભળાવી દેનારા કવિઓ આંખના કણાની જેમ ખટકતા હોય છે. કવિતાને જ્યારે હૃદયની વાણી કહેવામાં આવે છે ત્યારે તેમાં સો ટચના સત્યની શુદ્ધતા અનિવાર્ય હોય. જે કવિઓ સત્યનિષ્ઠા-મૂલ્યનિષ્ઠામાં માનતા હોય છે, તેમણે ખાંડાની ધારે ચાલવા તૈયાર રહેવું પડે છે.

દુનિયાએ એવા કવિઓ પણ જોયા છે, જેમણે સત્યનિષ્ઠા ખાતર સત્તાધીશોના સીતમ સહ્યા છે. આજે કવિઓ અને કાવ્યનિષ્ઠાની પારાયણ માંડવાનું નિમિત્ત છે – ૨૦મી સદીના મહાન કવિ પાબ્લો નેરુદાનો જન્મ દિવસ. ૧૨ જુલાઈ, ૧૯૦૪ના રોજ જન્મેલા પાબ્લો નેરુદા સામ્યવાદી વિચારસરણી ધરાવતા ચિલીના એક એવા કવિ છે, જેમને સાહિત્યનું નોબેલ પારિતોષિક તો મળ્યું જ હતું, તો સામે ચિલીના સત્તાધીશ દ્વારા મોત મળ્યાનું પણ કહેવાય છે! થોડા દિવસ પહેલાં એટલે કે ૫ જૂન, ૨૦૧૫ના રોજ 'ધ ગાર્ડિયન' નામના પ્રતિષ્ઠિત અખબારે પ્રસિદ્ધ કરેલા અહેવાલમાં ખુલાસો કરાયો છે કે ચિલીના જનરલ ઓગસ્ટો પિનોચેટે બળવો કરીને સત્તાને આંચકી લીધા પછી થોડા દિવસોમાં જ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કવિ પાબ્લો નેરુદાના શરીરમાં એવા બેક્ટેિરયાનું ઇન્જેક્શન અપાયું, જેને કારણે તેમનું મોત ૨૩ સપ્ટેમ્બર, ૧૯૭૩ના રોજ થયું હતું. પાબ્લો નેરુદાને ઝેર આપીને મારી નખાયાનો મુદ્દો દાયકાઓ સુધી ચર્ચામાં રહ્યો છે. કવિના મોતનું સાચું કારણ જાણવા માટે તેમની કબરમાંથી મૃતદેહને પાછો કાઢીને ફરી પોસ્ટમોર્ટમ કરાયું હતું. ચિલી ઉપરાંત અમેરિકા, સ્પેન અને છેલ્લે સ્વિટ્ઝર્લેન્ડમાં તેમના મૃતદેહના અંશોનું પરીક્ષણ કરવામાં આવ્યું. મોટા ભાગનાં પરીક્ષણમાં તેમને ઝેર અપાયું હોવાની કોઈ સાબિતી મળતી નથી, પરંતુ છેલ્લે સ્વિટ્ઝર્લેન્ડમાં થયેલા પરીક્ષણમાંથી એવું બહાર આવ્યું છે કે તેમના શરીરમાં એવા કોઈ બેક્ટેિરયાને ઘૂસાડવામાં આવ્યા હતા, જે તેમના મોત માટે જવાબદાર બન્યા હતા.

વીસ વર્ષની વયે રોમેન્ટિક કવિ તરીકે જાણીતા થનારા પાબ્લો નેરુદાએ એવું તે શું લખી નાખ્યું કે લશ્કરી શાસકે તેમના અવાજને કાયમ માટે બંધ કરી દેવો પડયો, એ જાણવા-વિચારવા જેવી વાત છે. જો કે, પિનોચેટ પહેલાં પણ ચિલીમાં જ્યારે ગોન્ઝાલીસ વિડેલાનું સરમુખત્યાર શાસન આવ્યું ત્યારે તેમના વિરુદ્ધ વોરન્ટ નીકળેલું અને મહિનાઓ સુધી અજ્ઞાતવાસમાં રહીને પછી છાનામાના દેશ બહાર ભાગી જવું પડયું હતું. સરમુખત્યાર પ્રકૃતિના શાસકોને મુક્તગાન ગાતા, સત્યગાન ગાતા કવિ ક્યારે ય સહન થતા નથી. શાસક ઇચ્છે છે કે કવિએ તો એવી જ કવિતા લખવી, જેનાથી તેની પ્રશંસા થાય. જે કવિ સત્તાધીશની નહિ સત્યની આરતી ઉતારે છે, તે શાસકને જોખમી લાગે છે અને આંખના કણાની જેમ ખટકવા લાગે છે. આશા અને હરિયાળી લાગણીઓના પ્રતીક સમા લીલા રંગની પેનથી જ લખવાનું પસંદ કરનારા પાબ્લો નેરુદા જેવા કવિએ 'લાલ' શહીદી વહોરવી પડે છે.

તમને પાબ્લો જેવા કવિ ગમે કે પપેટ કવિ?

સૌજન્ય ‘સમય સંકેત’, નામક લેખકની કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 12 જુલાઈ 2015

e.mail : divyeshvyas.amd@gmail.com

Loading

કવિ ચંદ્રેશ ઠાકોરની ચિરવિદાય

રઈશ મણીઆર
|Opinion - Literature|12 July 2015

કવિ ચંદ્રેશ ઠાકોર ગુજરાતના કાવ્યવિશ્વમાં કદાચ ઓછા જાણીતા હશે, પણ એમણે ડિટ્રોઈટ મુકામે કુંદનબહેન ભરતભાઈ જેવાં મિત્રો સાથે મળીને “ડિટ્રોઈટ સાહિત્યવર્તુળ” ચલાવ્યું છે. પ્રત્યેક વિદેશપ્રવાસી ગુજરાતી કવિ જો ડિટ્રોઈટ ગયા હોય તો એમણે ચંદ્રેશભાઈની મહેમાનગતિનો લહાવો માણ્યો જ હશે. 80 વર્ષની વય સુધી ઉત્સાહ અને સ્ફૂિર્તથી ધગધગતું રહેલું આ જીવંત વ્યક્તિત્વ કાળની ગતિને આધીન થયું છે, ત્યારે એમને હું મારી આદરાંજલિ અર્પું છું.

મૂળ ભરુચના, ગોધરા અને જૂનાગઢમાં જીવનનો પૂર્વાર્ધ વિતાવી છેલ્લા ચાર પાંચ દાયકાથી ભારતીય અને અમેરિકન સંસ્કૃિતમાંથી “બેસ્ટ ઓફ બોથ”ને જાળવી તારવીને જીવતા ચંદ્રેશભાઈ મારે મન એક અમેરિકન ભારતીય કેવો હોવો જોઈએ એનો એક આદર્શ હતા. એમના પત્ની જ્યોતિબહેન ઠાકોર (સુરત જીવનભારતી કેળવણીમંડળના સ્થાપક શ્રી. સી.સી. શાહનાં દીકરી) એક મોટાં ગજાનાં કલાકાર. સુંદર મજાનાં ચિત્રો અને શિલ્પોનો ખજાનો એમની પાસે. આ પ્રસન્ન દાંપત્યને અમેરિકાના પ્રવાસોમાં કાયમ નિહાળ્યું. આ જોડી ખંડિત થવાનો વિષાદ હૈયે રહેવાનો.

ગુજરાતી સાહિત્ય રસિકોને આજે એમના સાત હાઈકુનો પરિચય કરાવીને ખ્યાલ આપવો છે કે કેવી કેવી કાવ્યપ્રતિભાઓને સમયસર પોંખવાનું આપણે ચૂકી જતા હોઈએ છીએ.

આ નાનકડાં કોડિયાં જેવાં સાત કાવ્યો મારા મનને એ વાતની પ્રતીતિ કરાવે છે કવિ ચન્દ્રેશ ઠાકોરની કલમ સૂરજના ખડિયામાં બોળીને લખે છે, નહિતર કોડિયાંમાં આવું અજવાળું! સાત અલગ અલગ વિષયો પર આ કાવ્યો છે, કવિએ કોઈ કારણસર એમને હાઈકુ કહેવાનું ટાળ્યું છે. વાંચતા લય પકડાય અને મનોહારી આંતરપ્રાસ પણ ક્યાંક ક્યાંક કાને પડે એ વધારાની શોભા. પણ મને આકર્ષે છે કવિનો કસબ જે નાના નાના ચિત્રો પકડી એમને સિફતથી, સાહજિકતાથી, સલૂકાઈથી એમનું સૌંદર્ય અળપાવા દીધા વગર, તમારી હથેળીમાં વિચાર-પતંગિયાઓ બનાવી મૂકે દે છે.

ઘાટ ઘડાયો
મારો, તારા હાથની
રૂ હથોડીએ

એક અસ્તિત્વ, વ્યક્તિત્વ બને એ માટે એણે ઘાટ ઘડાવાનો આઘાત, એની પીડા સહેવી પડે છે. અહીં કવિ ભાગ્યશાળી છે. જીવનમાં જે પૂરકપાત્ર મળ્યું છે, એ ઘાટ ઘડવાની ફરજ તો અદા કરે જ છે પણ એનું ઓજાર હથોડો નથી, હથોડી છે, અને એ ય રૂની હથોડી છે. પ્રસન્ન દાંપત્યનું સુંદર ચિત્ર!

મન આંખો તો
ખડકી નહીં, પણ
આયખું માપે

મનની આંખ એટલે વિચાર. વિચારની ગતિ સ્થળમાં ઓછી અને કાળમાં વધારે તેથી એ ખડકીને નહીં પણ આયખાને માપતી રહે છે. મનની આંખ વિચારના પિંજણા પર ભૂતકાળ અને ભવિષ્યને ચૂંથતી રહે છે.

અશબ્દ સાવ
શીખવે છે ખડક
મૌનતાકાત

‘ખડક અશબ્દ છે’ એમ કવિ કહે છે ત્યારે કવિને એ કહેવાની ય જરૂર નથી કે એ ખડક ઘૂઘવતા સાગરના ભારે અવાજ સાથે નિરંતર પછડાતાં વેગવંતા મોજાંની વચ્ચે જીવે છે. અને કવિને એ ય કહેવાની જરૂર નથી કે ખડક અડગ રહી મોજાની ગતિની તાકાતને વિફળ બનાવે છે. કવિ તો આપણે માટે બસ એટલું તારવી આપે છે કે મૌનની તાકાત કેવી હોય!

આંખ કદીય
પહેરી શકે નહીં
મૌનનાં વાઘાં

સંવાદનાં, પ્રત્યાયનનાં માધ્યમો ભાષા વાણી કે શબ્દ સિવાય પણ ઘણાં હોઈ શકે. હૃદયની ભાષાને બુદ્ધિ વિચારથી સમજે અથવા ભાષા કે શબ્દોથી અભિવ્યક્ત કરે એના કરતાં કંઈ વધુ ઝડપથી માણસનું શરીર એને વ્યક્ત કરી દે છે. એમાં ય ગમો-અણગમો આકર્ષણ-અપાકર્ષણ વ્યક્ત કરવામાં આંખ જીભ કરતાં વધુ બોલકી હોય છે. જીભ પર લગામ લગાવી શકાય પણ આંખ કદી મૌનના વાઘાં પહેરી શકે?

કાંકરો લીલો
મગદાણાંય લીલા
મા છેતરાય?

અનેક કવિઓએ કશા ય ઉધામા કે મોટા દાવાઓ વગર ઘરનાં નાનાંનાનાં કામોમાં જીવ રેડતી માનાં સુંદર ચિત્રો આલેખ્યાં છે, કાવ્યવિશ્વની એ શોભામાં ઉમેરો કરતું આ લાજવાબ લઘુકાવ્ય છે. મગ ઓરતાં પહેલાં પોતાના સ્નેહીજનોના હિતાર્થે અનિવાર્યપણે કાંકરા ચૂંટતી માના આ નાનકડાં કાર્યમાં રહેલ પડકારને અને એ પડકારને પહોંચી વળવાનાં માનાં કૌશલ્યને કાવ્યદેહે વણી લેવા માટે કાંકરા વીણનારી મા જેવી જ ચકોર કવિનજર અપેક્ષિત છે.

રસ્તો વળે છે
હું જો નહીં વળું તો
ક્યાં જઈશ?

તૈયાર રસ્તાઓ, પરાપૂર્વથી બનેલા રસ્તાઓ પર જ ચાલવાની માનવની નિયતિ આઝાદમિજાજ કવિજીવને ખૂંચે, એ વાત તો જૂની છે. પણ અહીં કવિએ ‘વળવું’ શબ્દનો અદ્દભુત ઉપયોગ કર્યો છે. રસ્તો વળાંક લે છે, ત્યારે સીધું ચાલવાવાળા પાસે પોતાની દિશા પકડી રાખવાની ટેક કે અકડ છોડવા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી. અહીં ‘રસ્તા વળે એટલે સાથે વળવું પડે’ એ એક વાચ્યાર્થ છે પણ સાથે સાથે અકડ છોડીને વળવું (જેમ કે, કોઈ વાળે તેમ વળવું) એ શબ્દપ્રયોગમાં લવચીકતા, સમાધાન અને ઝૂકવાનો પણ સૂર છે.

પાપા પગલી
ભાગે જલદી, લેજો
હૈયે ઝડપી

બાળક પા પા પગલી ભરવા જેવડું પગભર થાય કે તરત માનો પાલવ કે બાપની આંગળી છોડી પોતાની ગતિથી આસપાસના જગતને ખૂંદી વળે છે. એ ચંચળ બાળકની સુરક્ષા માટે ચિંતિત માબાપ એને પકડવા, એને ઝડપવા એની પાછળ દોડતાં હોય છે, આ ચિત્ર આપણાં સૌની અનુભૂતિનો હિસ્સો છે. આ પરિચિત દૃશ્યના સહારે કવિ બીજું નિશાન તાકે છે. બાળકની પા પા પગલી માત્ર સ્થળને નહીં, કાળને ય ખૂંદે છે અને બાળક જોતજોતા મોટું થઈ જાય છે. કવિ કહે છે કે વાત્સલ્યના આનંદની ક્ષણોને હૈયામાં ઝડપી લેવાનું જો જો ચૂકી ન જતાં! અહીં ‘ઝડપવું’ શબ્દને બે રીતે વાપરી કવિએ કમાલ કરી છે.

આ હાઈકુઓમાં ચંદ્રેશભાઈનો શ્વાસ હજુય ધબકે છે. અનુભવાયો?

https://www.facebook.com/raeesh.maniar/posts/878426308877173?comment_id=878461975540273&notif_t=feed_comment_reply

Loading

૬૬૯ બાળકોના પિતાને હૃદયાંજલિ

વિશાલ શાહ|Opinion - Opinion|12 July 2015

૬૬૯ બાળકોના 'પિતા'ને હૃદયાંજલિ

આ દુનિયામાં રોજેરોજ કેટલાંક સારા કર્મો થાય છે અને કેટલાંક ખરાબ. જો કે, નાનામાં નાના સારાં કર્મની અસર ખરાબ કર્મ કરતાં અનેકગણી વધારે શક્તિશાળી હોય છે. એક નાનકડું સારું કર્મ ક્યારે 'મહાનતા'માં ખપી જશે એ કહી શકાતું નથી. આ વાતનું સૌથી ઉત્તમ ઉદાહરણ કોઈ હોય તો તે છે, સર નિકોલસ વિન્ટન. નિકોલસના જીવનમાં પણ એક એવી ક્ષણ આવી હતી જ્યારે તેમણે નૈતિક હિંમત દાખવીને અઘરો અથવા તો સામેથી મુશ્કેલીઓને આમંત્રણ નહીં આપીને સુરક્ષિત રસ્તો અપનાવવાનો હતો. જો કે, તેમણે અઘરો રસ્તો પસંદ કરીને મધ્ય યુરોપના ચેકોસ્લોવેકિયા દેશમાં ફસાયેલા ૬૬૯ યહૂદી બાળકોને નાઝી કેમ્પમાં કમોતે મરતાં બચાવ્યા હતા. નિકોલસે બાળકોને બચાવવા શું કર્યું હતું એ ઇતિહાસ કલ્પના કરતાં પણ વધારે રોચક છે. આ બાળકો આજે ૭૦થી ૮૦ વર્ષની ઉંમરનાં થઈ ગયાં છે, જે આજે પણ 'વિન્ટન્સ ચિલ્ડ્રન્સ' તરીકે ઓળખાય છે. આ યહૂદી બાળકોની બે-ત્રણ પેઢી પણ લગ્ન કરીને ઠરીઠામ થઈ ગઈ છે અને તેમના વંશજોની સંખ્યા છ હજારને પાર થઈ ગઈ છે. નાઝી યુગમાં જબરદસ્ત શૂરવીરતા દાખવનારા સર નિકોલસ વિન્ટનનું પહેલી જુલાઈ, ૨૦૧૫ના રોજ ૧૦૬ વર્ષની વયે અવસાન થયું છે.

નૈતિકતાની કસોટી કરતો નિર્ણય

વર્ષ ૧૯૩૮માં દ્વિતિય વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા ત્યારે નિકોલસ વિન્ટન લંડન સ્ટોક એક્સચેન્જમાં ક્લાર્ક હતા. એ વખતે ચેકોસ્લોવેકિયામાં શિક્ષક તરીકે નોકરી કરતા નિકોલસના ખાસ મિત્ર માર્ટિન બ્લેકે તેમને સ્કિઈંગ વેકેશન પર આવવાનું આમંત્રણ આપ્યું હતું. નિકોલસે ખુશ થઈને આ આમંત્રણ સ્વીકારી લીધું હતું પણ આ દરમિયાન માર્ટિને નિકોલસને ફોન કરીને કહ્યું કે, ''હવે હું સ્કિઈંગ કરવા નહીં પણ પ્રાગ (એ વખતે ચેકોસ્લોવેકિયાની અને અત્યારે ચેક રિપબ્લિકની રાજધાની) જઈ રહ્યો છું અને તારે પણ મારી સાથે આવવું જોઈએ.'' માર્ટિન પ્રાગ જઈને યહૂદીઓને બચાવવાના કામમાં જોડાવવા માગતા હતા કારણ કે, હિટલરના નાઝી લશ્કરે યહૂદીઓની સામૂહિક કત્લેઆમ કરવા તેમને શોધી શોધીને બંદી બનાવવાનું શરૂ કરી દીધું હતું. હવે નિકોલસે નિર્ણય કરવાનો હતો કે, સ્કિઇંગ કરવાના વિચારો પડતા મૂકીને માર્ટિન સાથે યહૂદીઓની મદદે જવું કે પછી લંડન સ્ટોક એક્સચેન્જમાં બેસીને શેરબજારના ઈન્ડેક્સની ચિંતા કરવી? જો કે, નિકોલસ માર્ટિન સાથે પ્રાગ જવાનો નિર્ણય કરે છે અને એ વખતે તેમની ઉંમર હોય છે, ૨૯ વર્ષ.

નાઈટહૂડના ખિતાબ સાથે નિકોલસ વિન્ટન

નિકોલસ ચેકોસ્લોકેવિયા પહોંચીને ત્યાંની સ્થિતિ જોતા દંગ રહી ગયા હતા. જે યહૂદીઓ નાઝી લશ્કરના હાથમાં નહોતા આવ્યા તેઓ કોઈ પણ ભોગે ચેકોસ્લોવેકિયા છોડીને સુરક્ષિત સ્થળે જવા માગતા હતા. જર્મનીના ક્રિસ્ટલ નાઈટ શહેરમાં નવ અને દસ જાન્યુઆરી, ૧૯૩૮ના રોજ હિટલરના લશ્કરે યહૂદીઓની સામૂહિક કત્લેઆમ શરૂ કરી દીધી હતી. આ ઘટનાએ ભયાનક ખૌફનો માહોલ સર્જ્યો હતો. મોતનો ભયાનક ડર, લાચારી અને અવ્યવસ્થાની સ્થિતિમાં હજારો યહૂદી પરિવારો ઘરવિહોણાં થઈને વિખરાઈ ગયા હતા. નાઝી લશ્કરે હજારો યહૂદીઓને ઝડપી લીધા હતા અને તેથી અનેક બાળકો અનાથ થઈ ગયા હતા.

બાળકો બચાવવા શરૂ કર્યું 'મેનેજમેન્ટ'

હિટલરનું લશ્કર યહૂદીઓની કત્લેઆમ કરી રહ્યું હતું ત્યારે બ્રિટન સિવાયના યુરોપના મોટા ભાગના દેશોએ યહૂદીઓ માટેની ઈમિગ્રેશન પ્રક્રિયા કડક બનાવી દીધી હતી. આ દરમિયાન બ્રિટન સહિતના યહૂદી અને બિન-યહૂદી જૂથોએ યહૂદી બાળકોને બચાવવા 'મૂવમેન્ટ ફોર ધ કેર ઓફ ચિલ્ડ્રન ફ્રોમ જર્મની' નામનું સંગઠન સ્થાપ્યું હતું. આ સંગઠનની ઉગ્ર રજૂઆતોને પગલે બ્રિટને યહૂદી શરણાર્થીઓની ઈમિગ્રેશન પ્રક્રિયા અત્યંત ઝડપી કરવાની ખાતરી આપી હતી. આ જૂથના પ્રયાસોથી જ બ્રિટનમાં કિન્ડરસ્પોર્ટ્સ પ્રોગ્રામ શરૂ થયો હતો. દ્વિતિય વિશ્વયુદ્ધના નવેક મહિના પહેલાં જર્મની, ઓસ્ટ્રિયા, ચેકોસ્લોવેકિયા, પોલેન્ડ અને દાનઝિમાં ફસાયેલા યહૂદી બાળકોને સલામત રીતે બ્રિટન પહોંચાડવા શરૂ કરાયેલી યોજના કિન્ડસ્પોર્ટ્સ તરીકે ઓળખાય છે. આ યોજના હેઠળ યહૂદી બાળકો બ્રિટનમાં યજમાન પરિવારોને સોંપાતા હતા. જે બાળકોને હંગામી ધોરણે પણ કોઈ પરિવાર ના મળે તેમને હોટેલો, સ્કૂલો, હોસ્ટેલો અને ખેતરોમાં શરણાર્થી કેમ્પ ઊભા કરીને રખાતા હતા. આ યોજના હેઠળ ૧૭ વર્ષથી મોટા બાળકને બ્રિટન લાવવામાં આવે ત્યારે ૫૦ પાઉન્ડનો બોન્ડ કરવો ફરજિયાત હતો, જેનો હેતુ યહૂદી બાળકો ખતરો ટળ્યા પછી 'વતન'માં પાછા જતા રહે એ હતો.

ચેકોસ્લોવેકિયામાંથી બચાવેલી એક બાળકી સાથે નિકોલસ વિન્ટન

યહૂદીઓને બચાવવાનું કામ શરૂ કર્યું ત્યારે નિકોલસે અનુભવ્યું કે, જેમને પકડીને બંદી બનાવવા સૌથી સહેલા છે એવા હજારો બાળકોનું તો કોઈ રણીધણી જ નથી. આ કારણોસર તેણે બાળકો માટે કંઈક કરવાનું વિચાર્યું. ચેકોસ્લોવેકિયામાં જે બાળકો પર જીવનું સૌથી વધારે જોખમ હતું એવા પાંચેક હજાર બાળકોની તેણે એકલા હાથે માહિતી એકત્રિત કરી. નિકોલસના કામકાજની નાઝી અધિકારીઓને ગંધ આવી ત્યારે તેણે ખિસ્સાખર્ચીમાંથી લાંચ આપીને પતાવટ કરી. આ કામમાં અંશતઃ સફળતા મળ્યા પછી વધુ ચુસ્ત કામ કરવા નિકોલસે એકલા હાથે શરણાર્થી સંસ્થા ચાલુ કરી, જેમાં તેણે સતત નવ મહિના રાત-દિવસ કામ કર્યું. આ માટે નિકોલસે પ્રાગ અને લંડન વચ્ચે પણ રઝળપાટ કરવી પડી.

બાળકોને પ્રાગથી લંડન મોકલવા ટ્રેનો કરાઈ

નિકોલસ પ્રાગની એક હોટેલમાં રોકાઈને આ બધું કામ કરતા હતા. હોટેલના રૂમમાં રહીને નાઝીઓના નરસંહાર કાર્યક્રમની વિરુદ્ધમાં કામ કરવું જોખમી હતું. આ કારણોસર તેણે પ્રાગમાં સ્વખર્ચે એક ઓફિસ શરૂ કરી. નિકોલસે પ્રાગ અને લંડન વચ્ચે ધક્કા ખાઈને મહિનાઓ પછી કિન્ડરસ્પોર્ટ્સ પ્રોગ્રામ માટે ૯૦૦ બાળકોના દસ્તાવેજો તૈયાર કર્યા. હવે નિકોલસ માટે સૌથી મોટી મુશ્કેલી લંડનનું સરકારી તંત્ર હતું કારણ કે, ૯૦૦ બાળકોને પ્રાગથી લંડન લઈ જવા નવ મહિનામાં ઓછામાં ઓછી આઠ ટ્રેનોની જરૂર હતી. બ્રિટનમાં દરેક બાળક માટે યજમાન પરિવાર અને શરણાર્થી કેમ્પની મંજૂરી લેવામાં સરકારી ટેબલો પર બહુ વાર લાગતી હતી. વળી, નિકોલસ પાસે અનેક બાળકોના પૂરતા દસ્તાવેજો પણ ન હતા. આ કામ પતાવવા તેઓ લંડન ગયા, જ્યાં યજમાન પરિવારો શોધવામાં નિકોલસને તેની માતાનો પણ ભરપૂર સાથ આપ્યો હતો.

કિન્ડરસ્પોર્ટ્સ પ્રોગ્રામની ઉજવણી  નિમિત્તે દોડાવાયેલી ખાસ ‘વિન્ટન્સ ટ્રેન’

લંડનમાં યહૂદી બાળકોને રાખવા તૈયાર થનારા પરિવારોમાં યહૂદી જ નહીં બિન-યહૂદી પણ હતા. આ મામલે નિકોલસને બ્રિટનના યહૂદી રાજકારણીઓ સાથે તકરાર થઈ રહી હતી. લંડન પહોંચનારા તમામ બાળકોના ૫૦ પાઉન્ડની જામીનગીરી પણ નિકોલસ ભરતો હતો. અનેક બાળકોને પ્રાગથી લંડન જવાનું ભાડું ચૂકવવા તેણે ફાળો ઉઘરાવવો પડતો હતો કારણ કે, કેટલાક બાળકો અનાથ હતા તો કેટલાક યહૂદી માતા-પિતા પાસે કાણી પાઈ પણ ન હતી. આ બધી જ મુશ્કેલીઓને પાર કરીને નિકોલસે પ્રાગથી વાયા હોલેન્ડ થઈને લંડન જતી એક ટ્રેનમાં કેટલાંક બાળકોને મોકલવાની ગોઠવણ કરી. જો કે, હોલેન્ડ સરકાર 'વિવાદ'માં પડવા માંગતી ન હોવાથી પોતાની ટેરિટરીમાંથી યહૂદીઓને લઈ જતી ટ્રેનને મંજૂરી ના આપી. છેવટે ડચ અધિકારીઓએ લંડન જતી ટ્રેનને વાયા જર્મની મોકલી. જો કે, સદ્દનસીબે બાળકો બચી ગયા. બાદમાં નિકોલસે ડચ અધિકારીઓને સફળતાપૂર્વક સમજાવી લીધા કે, ભવિષ્યમાં બાળકોના જીવ ખાતર તેઓ આવું નહીં કરે.

આવી મુશ્કેલીઓ વચ્ચે  ચોથી માર્ચ, ૧૯૩૯ના રોજ બાળકોને લઈને પહેલી ટ્રેન રવાના થઈ. એના એક જ દિવસ પછી નાઝી લશ્કરે આખું ચેકોસ્લોવેકિયા ધમરોળી નાંખ્યું. આ સ્થિતિમાં પણ નિકોલસે ઠંડે કલેજે આયોજન કલેજે આયોજન કરીને ઓગસ્ટ સુધીમાં બીજી સાત ટ્રેનમાં અનેક યહૂદી બાળકોને પ્રાગથી લંડન મોકલી દીધા હતા. હવે, ૨૫૦ બાળકો સાથેની નવમી ટ્રેન ત્રીજી સપ્ટેમ્બર, ૧૯૩૯ના રોજ લંડન જવાની હતી. આ પહેલાં એકેય ટ્રેનમાં આટલાં બધાં બાળકો ન હતાં. જો કે, પ્રાગ રેલવે સ્ટેશનેથી આ ટ્રેન ઉપડી જ નહીં કારણ કે, કિન્ડરસ્પોર્ટ્‌સ પ્રોગ્રામને ખેદાનમેદાન કરવા નાઝી લશ્કર પહેલી સપ્ટેમ્બરે જ તમામ સરહદો બંધ કરાવી દીધી હતી. આ ૨૫૦ બાળકોનું શું થયું એ વાત આજ સુધી જાણી શકાઈ નથી. જો કે, એ પહેલાં નિકોલસે ૬૬૯ બાળકને લંડન પહોંચાડી દીધા હતા.

૫૦ વર્ષ સુધી રહસ્ય અકબંધ રાખ્યું

નિકોલસ વિન્ટને ૫૦ વર્ષ સુધી પોતાની શૂરવીરતાની વાત છુપાવી રાખી હતી. આ દરમિયાન એંશીના દાયકામાં હોલોકોસ્ટ (સામૂહિક નરસંહાર) રિસર્ચર ડૉ. એલિઝાબેથ મેક્સવેલ વિન્ટન દંપતીના સંપર્કમાં આવ્યા. મેક્સવેલે સંશોધન માટે નિકોલસની પત્ની ગ્રેટે જેલ્સટ્રપ પાસેથી કેટલાક જૂના દસ્તાવેજો મેળવ્યા હતા, જેમાં નિકોલસે બચાવેલા બાળકોનાં નામ-સરનામાં પણ હતાં. આ ઘટના પછી નિકોલસની ૬૬૯ યહૂદી બાળકોને બચાવવાની વાત બહાર આવી અને આગની જેમ ફેલાઈ ગઈ. આ વાત નિકોલસે ૫૦ વર્ષ સુધી છુપાવી રાખી હતી. આ મુદ્દે તેમણે કહ્યું હતું કે, ''એવી ઘણી વાતો હોય છે જે તમે પરિવારજનોને પણ કરી શકતા નથી. એ બધું યુદ્ધ વખતે થયું હતું અને મને યુદ્ધ સહિત આવી કોઈ વાત મહત્ત્વની નથી લાગી રહી …''

વર્ષ 2009માં નિકોલસ વિન્ટનના માનમાં પ્રાગ રેલવે સ્ટેશને મૂકાયેલું વિન્ટનનું પૂતળું

વર્ષ ૨૦૦૩માં બ્રિટિશ ક્વિને નિકોલસ વિન્ટનને નાઈટહૂડના ખિતાબથી સન્માનિત કર્યા હતા. વર્ષ ૨૦૧૪માં ચેક ખગોળશાસ્ત્રીઓએ શોધેલા એક ગ્રહને નિકોલસ વિન્ટનનું નામ અપાયું છે. તેમના માનમાં પહેલી સપ્ટેમ્બર, ૨૦૦૯ના રોજ કિન્ડરસ્પોર્ટ્સની ૭૦મી જન્મજયંતીએ પ્રાગથી લંડન ખાસ 'વિન્ટન્સ ટ્રેન' દોડાવાઈ હતી. આ ટ્રેનમાં એ 'મોટા બાળકો' બેઠાં હતાં, જેમને નિકોલસે બચાવ્યાં હતા. આ ટ્રેન લંડન પહોંચી ત્યારે ૧૦૦ વર્ષના સર નિકોલસ વિન્ટને તેમનું સ્વાગત કર્યું હતું. આ બાળકોએ એ દિવસે પણ આંખોમાં હર્ષાશ્રુ સાથે પોતાને 'વિન્ટન્સ ચિલ્ડ્રન્સ' તરીકે ઓળખાવીને નિકોલસને સૌથી મોટું સન્માન આપ્યું હતું.

http://vishnubharatiya.blogspot.in/2015/07/blog-post_9.html

Loading

...102030...3,7853,7863,7873,788...3,8003,8103,820...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved