Opinion Magazine
Number of visits: 9767459
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નોબેલ અને ન્યુિક્લયર બૉમ્બ

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|12 October 2017

દર વર્ષે 5 થી 12 ઑક્ટોબરના દિવસોમાં નોબેલ પુરસ્કારો જાહેર થતા હોય છે. કોઈ પણ પુરસ્કાર કે એવોર્ડ વિવાદોથી પર હોય, એવું આપણે જાણ્યું નથી. નોબેલનું નામ પડતાં જ આપણને તરત રવીન્દ્રનાથ ટાગોર અને ગાંધીજી યાદ આવી જતા હોય છે. ટાગોરને એવોર્ડ મળ્યો હતો, એટલા માટે અને મહાત્મા ગાંધીને નહોતો મળ્યો એટલા માટે! અલબત્ત, ગાંધીમાર્ગે ચાલનારા ઘણા મહાનુભાવો શાંતિનો નોબેલ મેળવી શક્યા છેે. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, મેડિસિન કે અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં અપાતા નોબેલ અંગે ભાગ્યે જ વિવાદ પેદા થતો હોય છે, પરંતુ સાહિત્ય અને શાંતિનો નોબેલ પારિતોષિક કોઈ ને કોઈ કારણસર વિવાદમાં આવતો હોય છે. જો કે, આ વર્ષે કોઈ વિવાદ પેદા થયો નથી. આ વર્ષે ઉલ્લેખનીય એ છે કે આ બન્ને એવોર્ડ હાંસલ કરનારા કોઈ ને કોઈ રીતે પરમાણુ શસ્ત્રો સાથે જોડાયેલા છે.

‘રિમેઇન્સ ઑફ ધ ડે’ નામની નવલકથા માટે મેન બુકર પ્રાઇઝ જીતેલા સાહિત્યકાર કાઝુઓ ઇશિગુરોને આ વર્ષનું સાહિત્યનું નોબેલ પ્રાઇઝ મળ્યું છે. દુનિયા સાથે જોડાયેલી આપણી ગૂઢ સંવેદનાઓને શબ્દયાત્રા કરાવનારા મૂળ જાપાનના કાઝુઓ પાંચ વર્ષની વયથી બ્રિટનમાં રહે છે. તેમનો પરમાણુ શસ્ત્રો સાથેનો સંબંધ જીવનને લગતો છે. કાઝુઓનો જન્મ ઈ.સ. 1954માં જાપાનના નાગાસાકી શહેરમાં થયો હતો, આ એ જ શહેર છે, જ્યાં અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધ વખતે પરમાણુ બૉમ્બ ઝીંક્યો હતો.

ખેર, આપણો મૂળ મુદ્દો તો શાંતિનું નોબેલ પારિતોષિકનો છે, જે આ વર્ષે ‘ઇન્ટરનેશનલ કેમ્પેઇન ટુ અબોલિશ ન્યુિક્લયર વેપન્સ(ICAN)ને મળ્યો છે. આ વર્ષે શાંતિના નોબેલ માટેના દાવેદારોમાં આ સંસ્થાનો ભાગ્યે જ ક્યાં ય ઉલ્લેખ જોવા મળતો હતો, છતાં આ સંસ્થા મેદાન મારી ગઈ છે ત્યારે ઘણાને આશ્ચર્ય પણ થયું છે. આ સંસ્થાને શા માટે પસંદ કરવામાં આવી, તેની સ્પષ્ટતા નોબેલ પસંદગી સમિતિએ કરી છે. નોર્વેની સમિતિએ 2017ના શાંતિના નોબેલને પરમાણુ શસ્ત્રો ધરાવતા દેશોને 15,000 પરમાણુ હથિયારો નષ્ટ કરી દેવાની અપીલ ગણાવી છે. ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે યુદ્ધનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. એમાં ય ઉત્તર કોરિયા તો પરમાણુ હુમલાની ધમકીઓ આપ્યા કરે છે. આવા માહોલમાં પરમાણુ શસ્ત્રો જગતની શાંતિ જ નહીં અસ્તિત્વ સામેનો પણ મોટો પડકાર બની ગયો છે. આ સંજોગોમાં એક આંતરરાષ્ટ્રીય સંસ્થા જ્યારે દુનિયાને પરમાણુ શસ્ત્રોથી મુક્ત કરાવવાની ઝુંબેશ ચલાવી રહી છે, પરમાણુ સંપન્ન દેશોને પરમાણુ શસ્ત્રોનો નાશ કરી દેવા સમજાવી રહી છે, એ પ્રશંસનીય અને પોંખવાલાયક પ્રયાસ છે.

ICAN નામની સંસ્થા છેલ્લા એક દાયકાથી દુનિયાને પરમાણુ શસ્ત્રથી મુક્ત કરવા મથી રહી છે અને તેની સાથે દુનિયાના કુલ 101 દેશોની 468 સંસ્થાઓ પણ આ મામલે સક્રિય છે. આ સંસ્થાને હમણાં જુલાઈ-2017માં જ એક મોટી સફળતા મળી હતી. આ સંસ્થાના પ્રયાસોને કારણે જ 7 જુલાઈ, 2017ના રોજ ન્યૂ યૉર્ક ખાતે દુનિયાના 122 દેશોએ યુનાઇટેડ નેશન્સ ન્યુિક્લયર વેપન્સ બાન ટ્રીટી પર હસ્તાક્ષર કર્યા હતા. અલબત્ત, પરમાણુ હથિયારો ધરાવતા દેશોએ આ સંધિમાં હસ્તાક્ષર કર્યા નહોતા, છતાં આજે દુનિયા પરમાણુ મુક્ત થવા માગે છે, એ વાત વધારે નક્કર રીતે વ્યક્ત થઈ હતી અને પરમાણુ હથિયારો માટે મૂછો મરડનારાને કડક સંદેશો આપવામાં આવ્યો હતો. આ સંસ્થાને નોબેલ મળ્યો, તેની સૌથી વધારે ખુશી જાપાનીઝ લોકોને થઈ છે, કારણ કે તેઓ પરમાણુ શસ્ત્રનો ભોગ બની ચૂક્યા છે.

પરમાણુ સમ્પન્ન દેશો પણ શું આવી દુર્ઘટનાનો ભોગ બન્યા પછી જ જાગશે?

e.mail : divyeshvyas.bhaskar@gmail.com

સૌજન્ય : ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 11 અૉક્ટોબર 2017

Loading

ગાંંધીહત્યાઃ વાદ વિવાદ અને વિકૃતિ

ઉર્વીશ કોઠારી|Gandhiana|12 October 2017

વર્તમાન સત્તાધીશોને ગોડસેના વિચારોના ફેલાલાવાથી શરમ આવે છે ? કે મીઠી ગલીપચી થાય છે ?

ગાંધી એક એવું પાત્ર છે, જેને મારી નાખ્યા પછી પણ તે પીછો છોડતું નથી. કટ્ટર હિંદુત્વકેન્દ્રી એક સંગઠને કરેલી અપીલ પછી સર્વોચ્ચ અદાલતે ગાંધીહત્યા વિશે નવેસરથી તપાસની દિશામાં ડગ માંડ્યું છે અને તે માટે ‘એમિકસ ક્યુરી’(amicus curiae = અદાલતના મદદકર્તા)ની નિમણૂક કરી છે. 

આવતા વર્ષે ગાંધીને ગોળીએ દીધાનાં સિત્તેર વર્ષ પૂરાં થશે, પણ ચિત્રકથાના ફેન્ટમ જેવા પાત્રની માફક, ગાંધી ‘મરતો’ નથી. પ્રયાસો સતત થાય છે: કોઈ એને ભગવાન બનાવીને મારે છે, તો કોઈ શેતાન તરીકે ચિતરીને. કોઈ એને ધૂર્ત રાજકારણી (ચતુર બનિયા) તરીકે મનોમન મારે છે, તો કોઈ એને દંભી સંત તરીકે. ડાબેરીઓને તે રૂઢિવાદી ને ક્રાંતિવિરોધી લાગે છે, તો જમણેરીઓને તે અસ્પૃશ્યતા – હિંદુ ધર્મની સમજ જેવી ઘણી બાબતોમાં રૂઢિ – પરંપરા ખોરવનાર જણાય છે. જમણેરીઓમાં પણ જે જમણેરી છે અને જેમના માટે મુસ્લિમો અને પાકિસ્તાન વચ્ચે કશો ફરક નથી, તેમને ગાંધી મુસ્લિમતરફી – પાકિસ્તાનતરફી અને ભારતવિરોધી લાગે છે. હા, ભારતવિરોધી અને તેનાથી ઓછું કશું જ નહીં. એવા લોકો હત્યારા નથુરામ ગોડસેની જુબાનીને ધગધગતી દેશભક્તિનો દસ્તાવેજ માને છે.

જે સમયે ગાંધીહત્યા થઈ, તે અરસામાં આવેશનાં પૂર માનવતાનાં બધાં બંધનો તોડીને ફરી વળ્યાં હતાં. ભારતે કદી ન જોયેલા પ્રમાણમાં માનવ હત્યાકાંડ અને અત્યાચાર ત્યારે થયાં. આવા વખતે શાંતિની અને માનવતાની વાત કરનાર વિલન અને દેશદ્રોહી સુધ્ધાં લાગી શકે. (આ હકીકતનો અનુભવ પછીનાં વર્ષોમાં થયેલાં હુલ્લડ વખતે શાંતિ અને વિશ્વાસ માટે પ્રયાસ કરનાર સૌ કોઈને થયો હશે.) ભાગલા વખતે ઉશ્કેરાટના અભૂતપૂર્વ વાવાઝોડામાં એક માત્ર ધ્રૂજતી-ટમટમતી છતાં અવિચળ જ્યોતનું નામ હતું: ગાંધી. હતાશ-નિરાશ-સ્વપ્નભંગ થયેલા, છતાં છેલ્લા શ્વાસ સુધી પ્રયાસ ન છોડનારા ગાંધી.

કપરો સમય હીરો અને વિલન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરી આપે છે, પણ લોકોની સમજ પર ત્યારે એવો પડદો પડેલો હોય છે કે ખોટું સાચું લાગે ને સાચું ખોટું. ઇચ્છનીય અનિષ્ટ લાગે ને અનિષ્ટ આવકાર્ય. એ વખતે ગાંધી પાકિસ્તાનમાં હોત અને મુસ્લિમ હોત તો ગાંધીહત્યા કોઈ ઝનૂની મુસ્લિમના હાથે થઈ હોત. (આ કલ્પના છે, પણ તેમાં રહેલું તથ્ય સમજવા માટે, પાકિસ્તાનની સરકારોએ ખાન અબ્દુલ ગફારખાન સાથે કરેલો ક્રૂર વ્યવહાર તપાસી શકાય). ગાંધી હિંદુ હતા અને તેમના પોતાના કહેવા પ્રમાણે ચુસ્ત, સનાતની હિંદુ. એટલે તેમની હત્યા ભારતમાં હિંદુુના હાથે થાય, તે કરુણ કવિન્યાય તરીકે સમજી શકાય એવું હતું. મુસ્લિમોનો વિરોધ કરીને પોતાની જાતને સવાયા દેશભક્ત સમજનારા ગોડસે અને એની વિચારસરણીવાળા બધાની આંખો પર ત્યારે ધિક્કારની પટ્ટી બંધાયેલી હતી. તેમના માટે દેશની અને દેશભક્તિની વ્યાખ્યાનો પાયો કોઈની તરફેણ કરતાં અનેક ગણો વધારે કોઈના વિરોધ પર આધારિત હતો. હિંદુહિતની બડી બડી વાતો કરનારા હિંદુ મહાસભા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘવાળાએ આઝાદી પહેલાં કૉંગ્રેસ સામે અને મુસ્લિમો સામે ધિક્કાર ફેલાવવા ઉપરાંત અને મુસ્લિમ લીગના હિંદુ અડધિયાની ભૂમિકા અદા કરવા ઉપરાંત, દેશહિતનાં કે અંગ્રેજી રાજના વિરોધનાં બીજાં કયાં કાર્યો કર્યાં?

હવે કેટલાક સંશોધકો શોધી લાવ્યા છે કે ‘અમારી (એટલે કે હિંદુહિતના નામે ધિક્કાર ફેલાવનારી) વિચારધારાવાળા કેટલાકે આઝાદીની લડાઈમાં ભાગ લીધો હતો ને ભોગ પણ આપ્યો હતો.’ જાણીને આનંદ થયો, પણ સવાલ એ છે કે કેમ એ કોઈ નાયકોના કે આદર્શના સ્થાને નથી? એ લોકોની આ કામગીરી તમારી સંસ્થા કે વિચારધારાની મુખ્ય ધરી કેમ ન બની શકી? કેમ એ તમારામાં અપવાદ બની રહ્યા? અને કેમ હવે એવા અપવાદોના સાચકલા પ્રદાનનો સ્વાર્થી ઉપયોગ તમે સ્વતંત્રતા સંગ્રામથી અળગા રહ્યાની તમારી શરમ ઢાંકવા કરો છો? માન્યું કે પાઠ્યપુસ્તકો સરકારી હતાં ને સરકારો કાૅંગ્રેસની, પણ તમારાં સમાંતર પાઠ્યપુસ્તકો તમે ક્યાં નથી બનાવ્યાં? તેમાં કેમ શિવાજી – રાણા પ્રતાપથી માંડીને ભલભલા દેશનાયકોને મુસ્લિમવિરોધના સગવડિયા ખાંચા ને ખાનાંમાં પૂરીને રજૂ કરવા પડે છે?

ધિક્કારકેન્દ્રી માનસિકતાને દેશભક્તિની પરાકાષ્ઠા સમજનારામાંથી કોઈ 1948માં ગાંધીને ગોળીએ દઈ દે, તે દુઃખદ છે પણ આશ્ચર્યજનક નથી. એ વખતે આ ‘પરાક્રમ’નાં ઉજવણાં થાય, તે શરમજનક છે, પણ આશ્ચર્યજનક નથી. દુઃખ-શરમ-આઘાત-આશ્ચર્ય એ બધું ત્યારે થાય છે, જ્યારે સાત-સાત દાયકા પછી પણ એ ધિક્કાર ઓસરતો નથી, બલકે તેને નવાં નવાં સ્વરૂપે, નવા પેકિંગમાં રજૂ કરાતો રહે છે. ગાંધીની હસ્તીને ભૂંસી નાખવાનું અશક્ય લાગતાં, તેને અપનાવવાનો દંભ કરીને, સમાંતરે તેના હત્યારાઓની માનસિકતાને પુનઃ પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં આવે છે — કદીક પુસ્તિકાઓ ને ચોપાનિયાં દ્વારા, તો હવેના જમાનામાં વૉટ્સઅેપ અને ફેસબુકની પોસ્ટ પર.

લોકોની દેશભક્તિનેે જગાડવા માટે ગાંધીને બદલે ગોડસેનો ઉપયોગ થાય, એવા હીણપતભર્યા સમયમાં આપણે આવી ગયા છીએ? 1947-48માં ચોતરફ ઉશ્કેરાટ અને આવેગનાં પૂર હતાં અને તે સ્થિતિ અસાધારણ હતી. અત્યારે નથી એવા હત્યાકાંડ ને નથી એટલા મોટા પાયાના સંઘર્ષ. છતાં ગાંધી પ્રત્યેનો ધિક્કાર અકસીરપણે શી રીતે ફેલાવી શકાય છે? વર્તમાન સરકાર એવું વાતાવરણ ઊભું કરવામાં અથવા એવું વાતાવરણ ઊભું કરનારને માનસિક હૈયાધારણ પૂરી પાડવામાં મન, વચન ને કાર્યથી કેટલા અંશે જવાબદાર છે? વર્તમાન સત્તાધીશોને ગોડસેના ‘દેશભક્તિ’ના વિચારોના ફેલાવાથી શરમ આવે છે? કે મીઠી ગલીપચી થાય છે? શરમ આવતી હોય તો, ઇન્ટરનેટ પર મસમોટું ભાડૂતી સૈન્ય ધરાવતા સત્તાધીશો દેશભક્તિના નામે ધિક્કાર ફેલાતો અટકાવવા, ગાંધીને બદલે ગોડસેને મહાન દેશભક્ત સાબિત કરનારો પ્રચાર અટકાવવા અને સાચી માહિતી આપવા માટે કેવાં પગલાં લે છે?

ગોડસેને હીરો ગણનારા વાત કરવા બેસે ત્યારે દંભી ગાંધીવાદીઓ ભણી આંગળી ચીંધે છે. નિરપેક્ષ દૃષ્ટિએ વાત સાચી છેઃ દંભી ગાંધીવાદીઓએ દંભ, અણસમજ અને સ્વાર્થથી ગાંધીવિચારની હત્યા કરી છે, પરંતુ આવું કહેવાનો ગોડસેના ચાહકો અને તરફદારોને અધિકાર નથી. ગોડસેની દલીલો વૉટ્સએપ પર ફોરવર્ડ કરનારા ગોડસેના જમાનામાં પેદા થયા હોત તો તેમણે પણ ગાંધીહત્યાનો જશ્ન મનાવ્યો હોત. અત્યારે તેમના દ્વારા ફોરવર્ડ થતા કે પોસ્ટ કરાતા ગોડસેની તરફેણના સંદેશા ગાંધીહત્યાનો પશ્ચાદવર્તી (રેટ્રોસ્પેિક્ટવ) અસરથી મનાવાતો જશ્ન જ છે. ગાંધી ને ગોડસેની વાત આવે, ત્યારે સૂફિયાણી હાંકનારા કહે છે કે ગાંધીનું પણ સત્ય હોય છે ને ગોડસેનું પણ સત્ય હોય છે.

બરાબર છે. પણ તમારું સત્ય કોના સત્યની સાથે છે?

સૌજન્ય : ‘પોઇન્ટ બ્લેન્ક’, “દિવ્ય ભાસ્કર”, 10 અૉક્ટોબર 2017

Loading

ગાંધીજીની ત્રણ વાંદરાની મૂર્તિમાંથી ગાયબ ચોથો વાંદરો

વિશાલ શાહ|Gandhiana|12 October 2017

ગાંધીજીને ત્રણ વાંદરાની મૂર્તિ જાપાનીઝ સાધુ નિચિદાત્સુ ફૂજીએ ભેટમાં આપી હતી. એ જાપાનીઝ સાધુ ફૂજી અને ગાંધીજીની મુલાકાત વિશે ગયા અઠવાડિયે આ કોલમમાં વાત કરાઈ હતી. [જૂઓ : https://opinionmagazine.co.uk/details/2960/bauddh-saadhu-nichidatsu-fujii-gandhijinaa-japani-antevaasee] આ સાથે ગાંધીજી અને ફૂજી વચ્ચે થયેલી વાતચીત, બૌદ્ધ ધર્મ વિશે ગાંધીજીની માન્યતા, મહારાષ્ટ્રના સેવાગ્રામ આશ્રમમાં ફૂજી અંતેવાસી બનીને રહ્યા એ તેમ જ ભારત-જાપાન સંબંધ મજબૂત કરવામાં ફૂજીનું પ્રદાન જેવા વિવિધ મુદ્દાની પણ ચર્ચા થઈ ગઈ. હવે વાત, ગાંધીજીના ત્રણ વાંદરાની.

ફૂજીએ ગાંધીજીને આપેલા ત્રણ વાંદરા બૌદ્ધ ધર્મનું અત્યંત પ્રાચીન પ્રતીક છે. જાપાનના પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં ખોટું જોવું નહીં, ખોટું સાંભળવું નહીં અને ખોટું બોલવું નહીં, એ સિદ્ધાંત ભારપૂર્વક કહેવાયો છે. 'થ્રી વાઈઝ મન્કીઝ' (ત્રણ ડાહ્યા વાંદરા) કે 'થ્રી મિસ્ટિક એપ્સ' (ત્રણ રહસ્યમય વાંદરા) જેવાં નામે ઓળખાતા આ ત્રણેય વાંદરા સંયુક્ત રીતે એ જ સંદેશ આપે છે. એક જ વાનરની મૂર્તિ આ ત્રણેય સંદેશ એકસાથે ના આપી શકે કારણ કે, વાનરને પણ માણસની જેમ બે જ હાથ હોય એવી કલ્પના કરાઈ છે. આ કારણસર ઋષિઓ, ધર્મગુરુઓએ ત્રણ વાંદરાના છ હાથની મદદથી આપણને ઉપરોક્ત ત્રણ સંદેશ આપ્યા!

જો કે, ચીનના પ્રાચીન સાહિત્યમાં ચોથો સંદેશ આપતા ચોથા વાંદરાનો પણ ઉલ્લેખ મળે છે. તો પછી એ મૂર્તિમાંથી ચોથો વાંદરો ગયો ક્યાં? આ સવાલનો જવાબ મેળવતા પહેલાં વાંદરાની મૂર્તિનો ઉદ્ભવ કેવી રીતે થયો એ વિશે વાત કરીએ.

જાપાનના ૧૭મી સદીમાં બંધાયેલા તોશો-ગુ મંદિરના દરવાજા પર જોવા મળતા ત્રણ વાંદરા

ભારતમાં જોવા મળતી ત્રણ વાંદરાની મૂર્તિમાં મોટા ભાગે લંગુર નામની પ્રજાતિના વાંદરા હોય છે. લંગુર એટલે ભારતભરમાં જોવા મળતા કાળા મ્હોંવાળા વાંદરા. જો કે, આ મૂર્તિનો ઉદ્ભવ જાપાનમાં થયો હોવાથી તેમાં જોવા મળતા ત્રણ વાંદરા હકીકતમાં જાપાનમાં મોટા પાયે જોવા મળતા લાલ મોંઢાવાળા 'મકાક' છે. મકાક અત્યંત ઠંડા વિસ્તારોમાં રહી શકતા હોવાથી 'સ્નો મન્કી' તરીકે પણ ઓળખાય છે. પ્રાચીન જાપાનીઝ સાહિત્યમાં આ ત્રણેય વાંદરાના નામના પણ ઉલ્લેખ છે. હાથથી આંખો બંધ કરનારો વાંદરો 'મિઝારુ' છે, કાન બંધ કરનારો 'કિકાઝારુ' છે અને મ્હોં ઢાંકનારો 'ઇવાઝારુ' છે. જાપાનીઝ ભાષામાં 'ઝારુ'નો અર્થ 'ના કરો' એવો થાય છે. એશિયામાં ચીન, જાપાન સહિતના દેશોમાં બૌદ્ધ ધર્મના પણ અનેક ફાંટા પડ્યા છે. આવા અનેક ધર્મો, સંપ્રદાયોમાં ત્રણ વાંદરા શું સંદેશ આપે છે એ વિશે જુદા જુદા ઉલ્લેખો વાંચવા મળે છે. આ ત્રણેય વાંદરા આધ્યાત્મિક સંદેશ આપવાનું પ્રતીક કેવી રીતે બન્યા એ વિશે ચોક્કસ માહિતી મળતી નથી, પરંતુ અતિ પ્રાચીન ઉલ્લેખો જરૂર મળે છે.

ચીનના તાઓ અને જાપાનના શિન્ટો ધર્મનો પ્રભાવ ધરાવતા કોશિન નામના સંપ્રદાયના દસમી સદીના શિલાલેખોમાં પણ ત્રણ વાંદરાના ચિત્રો જોવા મળે છે. જાપાનની રાજધાની ટોક્યોની આસપાસ કોશિન સંપ્રદાય સાથે સંકળાયેલા અનેક શિલાલેખો આજે ય અડીખમ ઊભા છે. જાપાનના નિક્કો શહેરમાં ૧૭મી સદીમાં બંધાયેલા તોશો-ગુ મંદિરના દરવાજાના ઉપરના ભાગમાં પણ ત્રણ વાંદરા કોતરેલા છે. કોતરણી કામ માટે જાણીતું આ મંદિર શિન્ટો ધર્મ સાથે સંકળાયેલું છે. આધુનિક શિન્ટો ધર્મ પર કોન્ફ્યુસિયસ, તાઓ, બૌદ્ધ અને હિંદુ ધર્મની પણ અસર છે, પરંતુ આ ધર્મના ઉદ્ભવના તાર છેક સાતમી સદી સુધી જાય છે. આજે જાપાનની ૮૦ ટકા વસતી શિન્ટો ધર્મ પાળે છે. નાનકડા જાપાનમાં શિન્ટો ધર્મના ૮૧ હજાર સ્થાનકો છે, જ્યારે શિન્ટો સાધુઓની સંખ્યા ૮૫ હજાર છે. શિન્ટો ધર્મ સાથે સંકળાયેલા અનેક તીર્થસ્થાનોમાં ત્રણ વાંદરાની મૂર્તિ, કોતરણી કે ચિત્રો જોવા મળે છે.

એવું કહેવાય છે કે, કોન્ફ્યુસિયસ ધર્મ સાથે સંકળાયેલા ત્રણ વાંદરા તેન્ડાઈ સાધુઓ થકી જાપાન પહોંચ્યા હતા. મહાયાન બૌદ્ધ સંપ્રદાયના ચાઈનીઝ સાધુઓ સાતમીથી આઠમી સદી વચ્ચે જાપાનમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો કરવા ગયા ત્યારે તેન્ડાઈ ધર્મ અસ્તિત્વમાં આવ્યો હતો. શિન્ટો અને તેન્ડાઈ ધર્મમાં વાનરને ભગવાનનો સંદેશાવાહક મનાયો છે. ચાઈનીઝ કેલેન્ડર પ્રમાણે દર બાર વર્ષે વાનરનું વર્ષ આવે છે. એવી જ રીતે, જાપાનના કોશિન સંપ્રદાયમાં દર ૧૬ વર્ષે વાનરનું વર્ષ ઊજવાય છે. આમ, ચીન-જાપાનની ધાર્મિક પરંપરામાં વાનરને મળેલા મહત્ત્વ પાછળ બૌદ્ધ ધર્મ જવાબદાર છે, જ્યારે બૌદ્ધ ધર્મ પર હિંદુ ધર્મનો પ્રભાવ વર્તાય છે. વાનરની (હનુમાનજી) પૂજા થતી હોય એવા સૌથી પ્રાચીન ઉલ્લેખો હિંદુ ધર્મમાં છે.

પરંપરાગત પોષાકમાં સજ્જ શિન્ટો સંપ્રદાયના સાધુ

હવે પેલા ચોથા વાંદરાની વાત કરીએ. જાપાનીઝ સંસ્કૃિતમાં ત્રણ વાંદરા જે સંદેશ આપે છે, એવા જ સંદેશનો સૌથી પ્રાચીન ઉલ્લેખ ચીનમાં બીજી સદીમાં લખાયેલા કોન્ફ્યુસિયસ સાહિત્યમાં વાંચવા મળે છે. કોન્ફ્યુસિયસ ધર્મમાં કહેવાયું છે કે, 'જે ઉચિત નથી એ તરફ જુઓ નહીં, જે ઉચિત નથી એ સાંભળો નહીં, જે ઉચિત નથી એ બોલો નહીં અને જે ઉચિત નથી એ કરો નહીં.' આ ચોથો સંદેશ પેલો ચોથો વાંદરો આપે છે. વિશ્વની બીજી કેટલીક સંસ્કૃિતઓમાં પણ આવા ચાર સંદેશનો ઉલ્લેખ મળે છે. હંગેરીના એશિયન ગોલ્ડ મ્યુિઝયમમાં અત્યારે પણ ચાર આદિમાનવોની એક સોનાની મૂર્તિ સચવાયેલી છે. આ મૂર્તિ પણ ખોટું નહીં જોવાની, ખોટું નહીં સાંભળવાની, ખોટું નહીં બોલવાની અને ખોટું નહીં કરવાની સલાહ આપે છે.

જાપાનના અમુક તીર્થસ્થાનોમાં પણ ચોથો વાંદરો દર્શાવાયો હોય છે. એવા પણ ઉલ્લેખ મળે છે કે, આ ચોથા વાંદરાનું નામ 'શિઝારુ' છે, જે બે હાથથી ગુપ્તાંગો ઢાંકીને 'દુષ્ટ કામ ના કરો' એવો સંદેશ આપે છે. બીજી એક માન્યતા એ પણ છે કે, આ વાંદરો ‘તમારા આનંદ પ્રમોદનું પ્રદર્શન ના કરો’ એવો સંદેશ આપે છે. હવે સવાલ એ છે કે, મૂર્તિમાંથી આ ચોથો વાંદરો નીકળી કેમ ગયો? એક થિયરી પ્રમાણે, ચોથો વાંદરો શિઝારુ ગુપ્તાંગો છુપાવી રહ્યો છે, જે થોડું વિચિત્ર કે અસામાન્ય લાગી રહ્યું છે. સમય જતાં હિંદુ કે બૌદ્ધ ધર્મગુરુઓને એ અયોગ્ય લાગ્યું હોઈ શકે. આ કારણસર સમય જતાં તેને મૂર્તિમાંથી નીકાળી દેવાયો હશે! શિઝારુ ભૂલાઈ ગયો એની પાછળનું સૌથી પ્રચલિત કારણ આ જ અપાય છે.

બૌદ્ધ ધર્મના પ્રખર અભ્યાસુ ઓશો રજનીશના પ્રવચનોમાં પણ ચોથા વાંદરાની વાત સાંભળવા મળે છે. એકવાર ઓશોએ દાવો કર્યો હતો કે, માણસોને સંદેશ આપતા વાંદરા મૂળ હિંદુ ધર્મની કલ્પના છે. બૌદ્ધ સાધુઓ થકી આ પ્રતીક ચીન, જાપાન અને પછી સમગ્ર એશિયામાં ફરી વળ્યું. હિંદુ ધર્મમાં કુલ ચાર વાંદરાની કલ્પના છે. પેલા ત્રણ વાંદરા આંખ, કાન અને મ્હોં ઢાંકે છે, જ્યારે ચોથો વાંદરો પોતાના ગુપ્તાંગો ઢાંકે છે. બૌદ્ધ માન્યતા પ્રમાણે, આ ચોથો વાંદરો સંદેશ આપે છે કે, કશું ખોટું ન કરો. જો કે, હિંદુ માન્યતા પ્રમાણે ચોથો વાંદરો કહે છે કે, તમારા આનંદ, ભોગવિલાસને છુપાવીને રાખો. તેનું પ્રદર્શન ના કરો.

ત્રણ નહીં, ચાર વાંદરા

એકવાર ઓશોએ હળવા અંદાજમાં કહ્યું હતું કે, એકવાર હું ગાંધીના આશ્રમે ગયો ત્યારે તેમના પુત્ર રામદાસ મને આસપાસની ચીજો બતાવતા હતા. એ વખતે તેમણે મને પેલા ત્રણ વાંદરાની મૂર્તિ પણ બતાવી. એ વખતે મેં રામદાસને પૂછ્યું કે, આ ત્રણ વાંદરામાંથી ચોથો વાંદરો ક્યાં ગયો? ત્યારે રામદાસે જવાબ આપ્યો કે, હજુ સુધી કોઈએ ચોથા વાંદરા વિશે પૂછ્યું નથી. પછી મેં રામદાસને કહ્યું કે, ચોથો વાંદરો ભાગી ગયો હોવો જોઈએ. ઘણી શક્યતાઓ છે. અથવા તો ગાંધીએ જ મૂર્તિમાંથી ચોથો વાંદરો કાપી નાંખ્યો હોવો જોઈએ કારણ કે, ભારતના સંદર્ભમાં એ ચોથો વાંદરો બરાબર ન હતો. એ વાંદરાએ ગુપ્તાંગ છુપાવી રાખ્યા હતા. એ પરાણે બ્રહ્મચર્ય પાળતો હતો. એ પછી એકવાર હું મોરારજી દેસાઈને મળ્યો અને તરત જ તેમને ઓળખી ગયો. આ જ છે, ચોથો વાંદરો …

મેઘાવી વિચારક ઓશોએ રાજકારણથી માંડીને સામાજિક મુદ્દા સમજાવવા ત્રણ વાંદરાની મૂર્તિના અનેક વખત જાતભાતના અર્થઘટન કર્યા હતા. મોરારજી દેસાઈની મજાક કરીને ઓશો ફરી આગળ વાત માંડે છે. વાંચો એમના જ શબ્દોમાં.

ગાંધીજીના ત્રણ વાંદરાના પ્રતીકનું જે કંઈ અર્થઘટન કરાય છે એ મને મંજૂર નથી. માણસજાતના મનોવિજ્ઞાન પર નજર કરો ત્યારે આ વાંદરા કંઈક જુદો જ સંદેશ આપતા હોય એવું લાગે છે. કાન બંધ કરીને બેઠેલો પહેલો વાંદરો કહે છે કે, સત્ય ના સાંભળો. જો સત્ય સાંભળશો તો તમારા બધા જ જૂઠા આશ્વાસનો છિન્નભિન્ન થઈ જશે. આંખ બંધ કરીને બેઠેલો બીજો વાંદરો કહે છે કે, સત્ય તરફ નજર સુદ્ધાં ના કરો. નહીં તો તમારો ભગવાન મરી જશે અને તમારા સ્વર્ગ-નર્ક પળવારમાં ગાયબ થઈ જશે. મ્હોં બંધ રાખીને બેઠેલો ત્રીજો વાંદરો સત્ય નહીં બોલવાની સલાહ આપે છે કારણ કે, માણસોનાં ટોળાં સત્ય બોલનારાને ઠપકો આપે છે, યાતનાઓ આપે છે, ઝેર આપે છે, ક્રોસ પર ચડાવી દે છે અને રિબાવી રિબાવીને મારી નાંખે છે. ગુપ્તાંગો છુપાવીને બેઠેલો એટલે કે ગાયબ થઈ ગયેલો ચોથો વાંદરો પણ મહત્ત્વનો સંદેશ આપે છે. એ કહે છે કે, તમારા આનંદ-પ્રમોદનું બિભત્સ પ્રદર્શન ના કરો. તમે સુખી હશો તો લોકો ઈર્ષા કરશે, તમને ખતમ કરી નાંખશે.

ચાર વાંદરાની મૂર્તિ વિશે ઓશોનું આ અર્થઘટન આજે પણ સટીક નથી?

સૌજન્ય: “ગુજરાત સમાચાર”, ‘શતદલ’ પૂર્તિ, ‘ફ્રેન્કલી સ્પીકિંગ’

નોંધઃ આ લેખનો ભાગ-1 – http://vishnubharatiya.blogspot.co.uk/2017/10/blog-post.html

http://vishnubharatiya.blogspot.co.uk/2017/10/blog-post.html

Loading

...102030...3,3353,3363,3373,338...3,3503,3603,370...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved