Opinion Magazine
Number of visits: 9584099
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કટોકટીના પુનર્જન્મ નિમિત્તે …

સાગર રબારી|Opinion - Opinion|19 July 2017

૨૬ જૂન, કટોકટી દિવસ, નાગરિક અધિકારો ઘોર અંધકાર તળે છુપાઈ ગયા એ સમય ભૂલી ના શકાય એટલો બિહામણો. દમન સામે પ્રતિકારને અંતે લોકશાહીની પુનઃસ્થાપનાનો ઇતિહાસ ગૌરવવંતો છે, ૫રંતુ આજ કેવી છે?

બદલાયેલા સમય અને સંદેશાવ્યવહારનાં અદ્યતન સાધનોના દોરમાં સેન્સરશીપ લાદવી બહુ શક્ય નથી, પ્રત્યક્ષ દમન અઘરું છે ત્યારે સત્તાએ સ્વરૂપ બદલ્યું છે. ગુજરાતનો અને હવે દેશનો અનુભવ કહે છે કે, મહત્તમ શાસન પરિપત્ર થકી થાય છે. વિધાનસભા, લોકસભા જેનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર દરેક નિર્ણય પર મહત્તમ ચર્ચા થકી ઉત્તમ બનાવવાનો છે એને અંધારામાં રખાય છે. જરૂરી કાયદા પસાર કરવા હોય તો પણ વિરોધ પક્ષ ગેરહાજર હોય ત્યારે જ મુકાય છે જેથી ચર્ચા ટાળી શકાય. સામાન્યમાં સામાન્ય સવાલો હોય તો ય જનતાને ધરાર ના જ સાંભળવી એવો અભિગમ કાયમી વલણ બન્યો છે. ના છૂટકે રેલી, પ્રદર્શન કે ધરણાં યોજવાં હોય તો પોલિસ તંત્ર પરવાનગી આપતું નથી, જેનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે એણે પોતાની ભૂમિકા નક્કી કરી લીધી છે કે ક્યારે નાગરિકોને બોલવા દેવા, ક્યારે બહાર નીકળવા દેવા, ક્યારે એકઠા થવા દેવા! ક્યારે ડીટેઈન કરીને છોડી દેવા અને ક્યારે કેસ નોંધીને અદાલતી ચક્કરોમાં અટવાવી દેવા. એના માટે જરૂરી કાનૂની જોગવાઈઓ કટોકટી સમર્થક રાજકીય સત્તાધારીઓએ કરી લીધી છે.

ચૂંટાયેલી ત્રિસ્તરીય પંચાયત રાજ વ્યવસ્થા પૈકી જિલ્લા પંચાયતોના અધિકારો પર સફળતાપૂર્વક તરાપ મારી, કોઈએ વિરોધ ના કર્યો.

બીજી તરાપ સીધી સ્થાનિક, ગ્રામપંચાયતના સ્તરે મારી. એક પરિપત્ર થકી પંચાયતના આર્થિક વહેવારોમાં, ચેક બૂકમાં તલાટીની સહી ફરજિયાત કરી. તલાટીની સહી ફરજિયાત કરવા પાછળ આવનારાં પરિણામોની આજે કોઈ કલ્પના નથી કરી શકતું, પરંતુ એ અતિ ભયંકર હોવાની પૂરી સંભાવના છે. આજે તલાટી ચૂંટાયેલા સરપંચનો મદદનીશ હતો તે આ પરિપત્રથી સરપંચનો ‘સાહેબ’ બની ગયો. સરપંચ તલાટીની સહમતિ વગર નાનકડું સરખું કામ કરાવે તો ય એના ચૂકવણાના ચૅક પર સહી કરવા તલાટી ના પાડી શકે. એટલે, દરેક કામ કરતાં પહેલાં સરપંચે તલાટીને વિશ્વાસમાં લેવા જ પડે! ટૂંકમાં ‘તલાટીસાહેબ’  સહી  કરવાની  હા  પાડે  તો  કામ  કરવાનું  નહિતર  ગામ  રઝળે.  સરપંચ  ગામના, ગામલોકોએ  ચૂંટેલા  અને  તલાટી  સરકારે  નિયુક્ત  કરેલા,  મોટે ભાગે  તાલુકા  મથકે  વસતા  અને અઠવાડિયે માંડ એક-બે વાર ગામમાં આવતા હોય ત્યારે ગામના વહીવટની સ્થિતિ કેવી થાય? તાત્કાલિક કરવાના કામે ગામલોકો તો સરપંચ પાસે ઊઘરાણી કરે, સરપંચ કરી ના શકે અને તલાટી આવે નહીં, અથવા સહી કરવા ના પાડે એવા સંજોગોમાં ગામના સરપંચની સ્થિતિની કલ્પના તો કરી જુઓ! સરપંચ હોવાનો ફાયદો શો?

બીજી તરફ, કેટલાક કાયદાકીય ફેરફારો કર્યા જેમાં –

સિંચાઈ અધિનિયમ ર૦૧૩માં નહેરની આખી વ્યાખ્યા જ બદલી નાખી. નહેર પર સરકારે પોતે નહેર અધિકારી નિયુક્ત કરે અને નહેર અધિકારીને, નવા કૂવા/બોર/ટ્યૂબવેલનાં લાયસન્સ આપવા, લાયસન્સ રદ કરવા, નહેર પર પશુ ચરાવવા બદલ, ઘાસ લેવા, બળતણ લેવા, વિના પરવાનગીએ પસાર થવા જેવી બાબતે જનતાને દંડવાની ઘણી વ્યાપક સત્તાઓ આપી દીધી. ગામની તમામ જળસંપત્તિ નહેર અધિકારીને હસ્તક કરી દીધી. નહેર અધિકારી મારફતે ગ્રામીણ જનતા પર સીધું રાજ્યનું નિયંત્રણ લાદી દીધું.

અર્બન ડેવલપમેન્ટ ઍન્ડ ટાઉન પ્લાનિંગ ઍક્ટમાં

* ‘સ્થાનિક વિસ્તાર’ શબ્દ ઉમેરીને એને એક ગામ કે વિસ્તાર માટે પ્રસ્તુત કરી દીધો.

* ઑથોરિટીની  સાથે  ‘અથવા  સરકાર  નિયુક્ત  અધિકારી’  શબ્દ  ઉમેરીને આખી ઑથોરિટીની સત્તા માત્ર એક પસંદગીના અધિકારીના હાથમાં મૂકી દીધી, હવે અમલીકરણમાં થઈ રહેલા ફેરફારો જોઈએ …

૧. વડાપ્રધાન રાજ્યના મુખ્ય સચિવો સાથે વીડિયો કોન્ફરન્સ કરે છે.

૨. રાજ્યના મુખ્ય સચિવ જિલ્લાના કલેક્ટર/જિલ્લા વિકાસ અધિકારીને સૂચનાઓ આપે છે.

૩. જિલ્લાના કલેક્ટર/જિલ્લા વિકાસ અધિકારીઓ તાલુકાના મામલતદાર/તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપે છે.

૪. મામલતદાર/તાલુકા વિકાસ અધિકારી સીધા પંચાયતના તલાટીને સૂચના આપે છે.

આમ, વડાપ્રધાન સીધા તલાટી, નહેર અધિકારી કે સ્થાનિક વિસ્તાર સત્તા મંડળના અધિકારી સુધી, મુખ્યમંત્રી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતને બાજુએ મુકીને, સીધી સૂચનાઓનો અમલ કરાવી શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ છે!

૫. મુખ્યમંત્રી – વિધાનસભા, જિલ્લા પંચાયત અને પ્રમુખ, તાલુકા પંચાયત અને પ્રમુખ, ગ્રામ પંચાયત અને સરપંચ એમ બધા જ ચૂંટાયેલા સભ્યો માત્ર શોભાના ગાંઠિયા બનીને રહી જાય છે … એમને પૂછે કોણ? શા માટે પૂછે ? એમના અધિકાર જ શું રહ્યા?

દેશ પ્રતિનિધિ  લોકશાહી  તરફથી  પ્રમુખીય  લોકશાહી તરફ ચૂપચાપ  આગળ  વધી  ગયો  અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ, લોકશાહીના પ્રહરીઓ અને જનતા ગાઢ નિંદ્રામાં છે. એક રીતે કહીએ તો દેશ સરમુખત્યારશાહી ભણી વળી ગયો.

આ ગણતરીપૂર્વક કરાઈ રહેલા ફેરફારો પ્રતિ જનતાનું ધ્યાન ના જાય એટલા માટે ગાયના મુદ્દા ચર્ચાય છે. બદલાયેલા સમયમાં મોટા પાયા પરનાં કોમી તોફાનો થાય તો દુનિયાના ચોકમાં જવાબ આપવો પડે, શરમાવું પડે એટલે જ ગણતરીપૂર્વક, જે ચોક્કસ સંદેશો ભયનો પહોંચાડવો છે એ ઠેકાણે પહોંચાડવા માટે સમયાંતરે જુદાં જુદાં રાજ્યોમાં, વિવિધ બહાને લોકો પર જીવલેણ હુમલાઓ થાય છે. આ છૂટક છૂટક થતા હુમલાઓને ટોળાંશાહીમાં ખપાવી દઈ શકાય એમ નથી. એ ચોક્કસ વિચારધારા અને ચોક્કસ ગણતરી સાથે થતા હુમલા છે જેથી બદનામીથી બચીને જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી શકાય. વિશાળ બજારની લાહ્યમાં દુનિયાના દેશો પણ આવા છૂટક હુમલાઓને આંતરિક મામલો કહીને હાથ ખંખેરી દઈ શકે, સત્તાપક્ષ એને કાયદો અને વ્યવસ્થા ખાતે ખતવી શકે એટલું ચોકસાઈપૂર્વકનું બધું લાગે છે.

લોકોને બોલવાની, બહાર નીકળવાની, વિરોધ પ્રગટ કરવાની કોઈ રીતે પરવાનગી ના આપવી અને જરૂર પડે ત્યાં ખૂટતો રંગ રાષ્ટ્રવાદનો ઉમેરીને આખી બંધારણીય વ્યવસ્થા કોઈ પણ જાતની ચર્ચા વગર બદલાઈ રહી છે, આખું બંધારણ ફેરવવું શક્ય નથી તેથી બંધારણનું ખોખું અકબંધ રાખી અંદરથી ઉધઈની જેમ કોતરી ખોખલું કરી દેવાય છે જેથી હોબાળા વગર જ સરમુખ્યત્યારશાહીનો માર્ગ મોકળો થઈ શકે!

દેખીતી કટોકટી સામે તો વિરોધપક્ષ, જનતા અને બૌદ્ધિકો, સૌ મુખર હતાં પરંતુ નરી નજરે નહીં દેખાતી અઘોષિત કટોકટી માથે બેસી ગઈ છતાં ઘણો મોટો વર્ગ સાવ અજાણ છે. આમાં સૌથી ગંભીર બાબત હોય તો, સત્તા પક્ષની મનમાની/જોહુકમી કરતાં વિરોધ પક્ષનું મૌન વધારે ખતરનાક છે.                      

E-mail : sagar45rabari@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2017; પૃ. 04-05

Loading

કિતની આઁહો સે કલેજા ઠંડા હો તેરા …

રિમ્મી વાઘેલા, રિમ્મી વાઘેલા|Opinion - Opinion|19 July 2017

૨૫મી જૂનની ઠંડી ખુશનુમા સાંજ હતી. પ્રકાશ ન. શાહ, રમેશભાઈ ઓઝા (મિડ ડે, ગુજરાતી), મુકુંદભાઈ પંડ્યા (ગુજરાત સમાચાર) અને સંજય શ્રીપાદ ભાવે, સાથેની ચાર દિવસીય કાશ્મીર મુલાકાતનો આજે છેલ્લો દિવસ હતો. રમેશભાઈ તો શ્રીનગરના અતિ સંવેદનશીલ ગણાતા ડાઉન ટાઉન વિસ્તારની મુલાકાતે ગયા હતા. તો અન્ય ત્રણ વડીલ સાથીદારોની રાહ જોતી હું, દાલ સરોવરની પાળીએ બેઠી હતી. વરસાદ પડ્યા પછી સંધ્યાના અનેક રંગોથી આકાશ છવાયેલું હતું. પણ પાછળ દાલ સરોવર તરફ સ્થિર નજરે જોવાની મારી જરા ય હિંમત નહોતી ચાલતી. તરત જ સાંભરી આવતું કે આ જ દાલ સરોવર પોતાની અંદર કેટલા ય નિર્દોષોની લાશો છુપાવીને બેઠું છે. અનેક ચિત્રો વણથંભ્યા મારા માનસપટ પરથી પસાર થતાં હતાં. ક્યારેક મને ‘હાફ મધર’(નવલકથા, લેખક : શહેના બશીર)નો ઈમરાન યાદ આવતો તો, ૨૦૧૧માં રાજ્ય માનવ અધિકાર પંચના આદેશથી ખોદી કાઢવામાં આવેલી સામૂહિક કબરોમાંથી મળી આવેલા ૨૦૦૦ કરતાં પણ વધુ અપરિચિત-વિકૃત મૃતદેહોનો અહેવાલ યાદ આવતા આખા શરીરમાંથી એક ધ્રુજારી પસાર થઈ જતી. બે વર્ષ પહેલાં જ્યારે કુનાન પોશપોરા ગામની મુલાકાત લીધી હતી ત્યારે ભોગ બનેલા લોકોના હતાશ-નિરાશ, ન્યાય માટે વલખાં મારતા ચહેરાઓ હું આજે ય નથી ભૂલી! તો, ૨૦૧૪માં પૂરના ૧૫ દિવસ પણ કેડસમાં પાણીમાં ડૂબેલું અને માંડ-માંડ ઊભા થવાનો પ્રયત્ન કરતું શ્રીનગર શહેર નજર સમક્ષ ખડું થઈ જતું!

‘જંગલી’. ‘કશ્મીર કી ક્લી’, ‘જબ જબ ફૂલ ખીલે’માં જોયેલી નૈસર્ગિક, સુંદરતાથી શરૂ કરીને ‘ઈન્શાલ્લાહ કાશ્મીર’, ‘જશ્ન-એ-આઝાદી’, ‘હારુન’, ‘તહાન’, ‘લમ્હેં’, ‘ઓશન ઑફ ટીઅર્સ’માં જોયેલાં દૃશ્યો વારંવાર સ્મૃિત પર દસ્તક દેતાં હતાં! પરી મહેલની સુંદરતા કરતાં વધુ ઇન્ટ્રોગેશન સેન્ટર નજર સામે દેખાતું. ઠેઠ-ઠેકાણે વર્દીમાં દેખાતા જવાનો, ગણી ન શકાય. એટલા ફેક એન્કાઉન્ટર્સ, હાફમધર-હાફ વીડો, આર્મીના ટોર્ચર સેન્ટરો, પેલો પાપા-૨ પર્વત હાથમાં ફોટા લઈને પોતાના ગુમ થયેલા પતિ-દીકરા-ભાઈને શોધતી, મૃતદેહની ઓળખ માટે પોલીસ સ્ટેશનોની બહાર લાઈનો લગાવતી મહિલાઓ, જેમની પાસે પોતાના પિતાનું નામ નથી તેવા અસંખ્યા બાળકો, ગયા વર્ષે બુરહાન વાનીના એન્કાઉન્ટર પછી જેમણે પેલેટના કારણે પોતાની આંખોથી રોશની સદા માટે ગુમાવી દીધી છે. એવા ત્રણસોથી વધુ બાળકો-કિશોરો … આવું કંઈક મનમાં ચાલી રહ્યું હતુ. ત્યાં જ મોટી ઉંમરના એક વડીલે મારી તંદ્રા તોડી.

‘શિકારા, કી-ચેઈન, ખરીદોગી, બેટી ?’

‘નહીં, ચાચા.’

પછી તો એ ચાચા મારી સાથે વાતો કરવા લાગ્યા.

‘કહાં સે આયી હો?’

‘ગુજરાત-અહમદાબાદ સે.’

‘હમારે ગુજરાતી ભાઈ તો પહેલે બહુત ઘુમને આતે થે, પર અબ નહીં આતે.’

‘હા, આપકી બાત સચ હૈ, હાલાત હી કુછ ઐસે હો ગયે હૈં.’

‘ક્યા હમ સભી આપકો આતંકવાદી દિખતે હૈ?’

સવાલ સાંભળીને હું થોડી ટટ્ટાર થઈ ગઈ. મેં જવાબ આપ્યો :

‘નહીં, નહીં ! બિલકુલ ભી નહીં.’

‘હમ ઐસે નહીં, જેસે ટીવી પર દિખાતે હૈ.’

મારી પાસે એમને જવાબ આપવા કોઈ શબ્દો નહોતા, ચાચા બહુ થાકેલા લાગતા હતા પણ આંખોમાં ખૂબ જ પ્રેમ હતો. કદાચ, રોજા ચાલતા હોવાને કારણે થોડીક નબળાઈ પણ લાગતી હતી. આ પ્રશ્ન માત્ર એમનો નહોતો. આ ચાર દિવસની ટૂંકી મુલાકાતમાં બધાંની આંખોમાં આ એક જ સવાલ હતો. ભારત પાકિસ્તાન બંને માટે કાશ્મીર રાજકીય લાભ ખાટવાનું અગત્યનું સાધન છે. એમાં ત્યાંના સામાન્ય લોકો રોજે રોજ મરી રહ્યા છે. કાશ્મીર ખીણ માટે આવકનું મુખ્ય સાધન પ્રવાસન ઉદ્યોગ છે તેને પણ માધ્યમોમાં સુનિયોજિત ષડ્યંત્રના ભાગરૂપે સતત નકારાત્મક પ્રચાર કરીને ભાંગી નાખવામાં આવેલ છે. કાશ્મીર પ્રશ્નના ઇતિહાસમાં હું જવા નથી માંગતી. એની જટિલતા આજે વધી છે. એક લેખમાં વર્ણવવી એ શક્ય પણ નથી. પણ અમુક વાતો કહેવાનું મન થાય. ૧૯૯૦થી શરૂ કરીને આજ દિન સુધી કોઈ પ્રવાસીની હત્યા થઈ હોય એવી એક પણ ઘટના નથી બની. અમે જે દિવસોમાં ત્યાં હતા એ દરમ્યાન પણ અહીંના છાપાઓમાં કાશ્મીરના સમાચાર પહેલા પાને મુખ્ય મથાળા સાથે આવતા રહ્યા તે અમે આવ્યાં પછી જોયું પણ ત્યાં એવો કોઈ ભયાનક માહોલ અમને જોવા મળ્યો નહીં. ઊલટાનું એક મહિલા તરીકે કાશ્મીર મને અમદાવાદ કરતાં પણ વધુ સલામત લાગ્યું છે. આ દિવસોમાં અમે વિવિધ પ્રકારના, વિવિધ વર્ગોમાંથી આવતા અનેક લોકો-અધ્યાપકો, વિદ્યાર્થીઓ, પત્રકારો, માહિતી અધિકાર કર્મશીલો, નાગરિકો, પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો, વેપારીઓ, શિકારાવાળા, હાઉસબોટવાળાને મળ્યાં. એક એક વ્યક્તિ એટલે એક એક જીવતી જાગતી વાર્તા. દરેકે કંઈકને કંઈક ગુમાવ્યું છે. મારી તો લખવાની એટલી ક્ષમતા નથી. પણ એમની વેદનાની વાતો રડાવી મૂકે તેવી છે.

કાશ્મીરનું નામ લઈએ એટલે આપણને બે જ વાતો સહુ પહેલી યાદ આવે. એક તો એનું મને મોહી લેતું અદ્ભુત નૈસર્ગિક સૌંદર્ય અને બીજું યાદ આવે, ત્યાંનું તંગ વાતાવરણ! બંને કેવા એકબીજાના વિરોધાભાસી છે? કુદરતી સૌંદર્યમાં બેનમૂન એવા આ પ્રદેશને આપણી બિનસંવેદનશીલતાએ ક્યાં લાવીને મૂકી દીધા છે? મને સતત એ સવાલ થયા કરે કે એક લોકશાહી દેશમાં ‘આફ્સ્પા’ જેવો કાયદો આપણે કેવી રીતે સહન કરી શકીએ? શું વીતતી હશે એ બાળકના મન પર જેને એક એવા ટોણાથી ભણવાનું છોડી દેવું પડે છે કે તારા પિતાજી કોણ છે, એની તને ક્યાં ખબર છે? પોતાની નજર સામે પોતાના બાપ-ભાઈ કે દીકરાની ફટ-ફટ પડતી લાશો જોઈને એ મા, બહેન કે પત્નીની માનસિક હાલત શું થતી હશે? પોતાની છાતી પર સુવડાવેલી બે વર્ષની દીકરીને આંખમાં સીધો પેલેટ વાગતા એને પોતાની નજર સામે જ કાયમ માટે અંધ થતી જોનાર બાપ પર શું વીતી હશે? એ વ્યથાની કથા કહેવા માટે તો મારી પેન નાની પડે છે. આટઆટલી પીડાઓમાંથી પસાર થયા બાદ પણ કશ્મીરના લોકો, ભારતના લોકોની વિરુદ્ધમાં નથી. એ તો દમનખોર રાજ્યના વિરોધમાં છે.

કાશ્મીરના સંદર્ભમાં અનેક કમિશનોએ અનેક ભલામણો કરી છે. પડગાંવકર કમિટી, બાજપેયી શાસનમાં વર્ષો, છેલ્લે નિર્ભયા ઘટના સમયે બનેલ જસ્ટિસ વર્મા કમિટીએ આફ્સ્પા હટાવવા માટે કરેલ સૂચનો … આ કંઈ જ અમલમાં નથી આવ્યું. જે પણ લોકો મળ્યા, સૌની એક આશા હતી, આપણા સહુ પ્રત્યેની. કાશ્મીરના લોકો રાહ જુવે છે કોઈ જયપ્રકાશ નારાયણ જેવા નેતાની. મૃદુલાબહેન જેવા કર્મશીલની જે એમની વ્યથાને સાંભળે, એમને થોડો હાશકારો, થોડી હૂંફ આપી શકે. આખો દેશ જ્યારે ભાગલા વખતે કોમી તોફાનોની આગમાં બળતો હતો ત્યારે ગાંધીજીએ કાશ્મીરને એક માત્ર આશાનું કિરણ ગણાવ્યું હતું. આજે ય સામાન્ય કાશ્મીરી નાગરિક કોમવાદી નથી ત્યારે સવાલ એ થાય કે હું/આપણે એમની આશા/અપેક્ષાઓનો કંઈ સકારાત્મક પ્રતિભાવ આપી શકીએ ખરા? હું તો ઇચ્છું કે મારી માનવીય સંવેદના કોઈ ખોટા આંચળા પાછળ મરવી ના જોઈએ. પણ એક ભયંકર લાચારી પણ અનુભવાય છે. એ લાચારીમાંથી બહાર કેમ આવવું, એ મથામણ મનમાં સતત ચાલે છે. લોકોથી લોકોનું મિલન થાય તો કદાચ આ લાચારી દૂર થાય. સંવેદનાઓ ખીલતી રહે, કેળવાતી રહે તો કદાચ ઊંડા ઘાવો પર મલમનું કામ થઈ શકે. બાકી મને તો કાશ્મીરના નામ સાથે જ ફૈઝની નીચેની પંક્તિઓ સિવાય બીજું કંઈ વધુ મનમાં નથી આવતું.

“કિતનો કા લહુ ચહિયે, તુજે એ અહલે વતન,
જો તેરે રંગ એ બેજાર કો ગુલનાર કરે
કિતની આઁહો સે કલેજા ઠંડા કો તેરા,
કિતને આંસુ તેરે સહરાઓ કો ગુલઝાર કરે.”

E-mail : vaghelarimmi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2017; પૃ. 05-06 

Loading

આર્ય-અનાર્યના નિરર્થક વિવાદમાં ડૂબતું આપણું ડહાપણ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|18 July 2017

કોઈ પણ દેશ અથવા સંસ્કૃિતના ઇતિહાસનું રૂપ ખાસ્સું જટિલ હોય છે અને એ સર્વસ્વીકૃત નથી હોતું. સંસ્કૃત ‘ઇતિ’નો અર્થ છે, જેવું થયું તેવું, ‘હ’નો અર્થ છે ‘સાચેસાચ’ અને ‘આસ’નો અર્થ છે, ‘નિરંતર રહેવું અથવા બોધ રહેવો.’ ઇતિ+હ+આસ એટલે પરંપરામાંથી મળતા પ્રસંગોનો સમૂહ. ગ્રીકમાં ‘હિસ્ટ્રી’ શબ્દનો અર્થ થાય છે ‘વણવું’. જે વિદિત હોય તેવી ઘટનાઓને વ્યવસ્થિત વણીને સાર્થક અને સુસંબંધ ચિત્ર ઊભું કરવું એટલે ‘હિસ્ટ્રી’. એટલા માટે જ અતીતના ઇતિહાસકારો, શાસકો, પ્રતિસ્પર્ધી દેશો, યાત્રીઓ અને વિદેશી હિતો માટે કામ કરતા નિષ્ણાતો તરફથી ઇતિહાસનાં ભિન્ન ભિન્ન સ્વરૂપો પેશ થતાં રહે છે અને એને સ્વીકારનારા કે વિરોધ કરવાવાળા લોકો પણ પર્યાપ્ત સંખ્યામાં મળતા રહે છે. આ જ કારણથી ઇતિહાસ સાથે જોડાયેલા ભ્રમ મોટા થઈ જાય છે અને એ બહસ સચ્ચાઇથી દૂર થતી જાય છે.

ભારતીય સભ્યતાના મૂળ સ્થાનને લઈને આવી જ રીતે પરસ્પર વિરોધી વિચારો, તર્કો પેશ થતા રહ્યા છે અને એમાં હવે એક નવો ઉમેરો બી.એમ.સી. (બાયોમેડ સેન્ટ્રલ) ઇવોલ્યુશનરી બાયોલોજીમાં પ્રકાશિત શોધપત્રથી થયો છે. આ જેનેટિક શોધને માધ્યમ બનાવીને વરિષ્ઠ પત્રકાર ટોની જોસેફ ‘ધ હિન્દુ’ સમાચારપત્રમાં એવી દલીલ પેશ કરી છે કે આર્ય ભારતના મૂળ નિવાસી ન હતા.

ત્રણ મહિના પહેલાં પ્રકાશિત જેનેટિક અભ્યાસને ટાંકીને ટોની જોસેફે કહ્યું કે દુનિયામાં અંદાજે એક અરબ લોકોમાં ‘હેપ્લોગ્રુપ આરએ-વન’ ડીએનએ પૂલ જોવા મળે છે. તેના ‘વાય ક્રોમોઝોન’ (જે પિતામાંથી પુત્રમાં જાય છે તે પૈતૃક ગુણ સૂત્ર) ઉપરથી ખબર પડી છે કે ભારતમાં 17.5 પ્રતિશત પુરુષોમાં આ જ ગુણ સૂત્ર છે, જે પૂરા મધ્ય એશિયા, યુરેશિયા અને દક્ષિણેશિયાના પુરુષોમાં પ્રાપ્ત થાય છે. આ એ જ ક્ષેત્રો છે, જે આર્યોની આબાદીવાળાં ક્ષેત્રો ગણાય છે. ટોની જોસેફનો તર્ક છે કે યુરોપ-એશિયામાં આરવન-એ ડીએનએ પૂલ હોવા અને ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં એના ઉપસમૂહ ‘ઝેડ93’નું મળવું એ હકીકત એ તર્કને ખારીજ કરે છે કે ‘હેપ્લોગ્રુપ’નું ઉદ્્ગમ ભારતમાં થયું હતું અને અહીંથી યુરોપ અને મધ્ય એશિયામાં ફેલાયું હતું.

અપેક્ષા પ્રમાણે જ ‘આર્યો વિદેશી હતા’ એવી ટોની જોસેફની દલીલનો વિરોધ થયો છે અને એને વામપંથી (એટલે કે સામ્યવાદી-સમાજવાદી) વિચારધારાનું કાવતરું ગણવામાં આવી છે. આ વર્ગ માને છે કે ગોરા રંગના યુરોપિયન લોકોએ ભારત ઉપર આક્રમણ કરીને શ્યામ રંગી સ્થાનિક મૂળ નિવાસીઓને ગુલામ બનાવીને આર્ય સભ્યતાની સ્થાપના કરી હતી, એવી થિયરી અંગ્રેજોએ પ્રચલિત કરી હતી અને આ કામ જર્મન વિદ્વાન મેક્સમૂલરને સોંપ્યું હતું. આ મેક્સમૂલરે જ સંસ્કૃત શબ્દ ‘આર્ય’નું મૂળ યુરોપિયન મૂળની આર્યન પ્રજાતિમાં જોયું હતું.

આર્ય વિદેશી હતા કે આર્ય મૂળ નિવાસી હતા તેને લઇને જબરદસ્ત વિવાદ, વિચાર અને વિરોધ છે. ભારતીય ઇતિહાસનો આ સૌથી જટિલ પ્રશ્ન છે અને બંને તર્કના સમર્થનમાં પાનાઓનાં પાનાં ભરીને લખાયું છે. નેહરુએ ‘ભારત એક ખોજ’માં લખ્યું છે કે આર્યો ઉત્તર ધ્રુવથી આવ્યા હતા. બાળ ગંગાધર તિલક પણ આર્કટિક ક્ષેત્રનું ઠેકાણું આપે છે. ડૉ. આંબેડકર આ બધા વિચારોને ભ્રામક ગણે છે.

પશ્ચિમના પંડિતો કહે છે કે ઇન્ડો-યુરોપિયન ભાષાઓના સમૂહનો એક છેડો પશ્ચિમમાં યુરોપ તરફ અને પૂર્વમાં ઇરાન અને ભારત તરફ ગયો હતો. આંબેડકરે પણ કહ્યું હતું કે આર્ય શબ્દનો સંબંધ રક્ત સાથે કે શરીરના ઢાંચા સાથે કે વાળ-કપાળ સાથે નથી, પરંતુ ભાષા સાથે છે અને જે લોકો આર્ય ભાષા બોલતા હતા તે આર્ય કહેવાયા છે. પશ્ચિમના પંડિતોએ પણ તર્ક પેશ કર્યો કે જેમ અંગ્રેજી બોલનાર દરેક વર્ગ અંગ્રેજ જાતિ નથી તેવું જ આર્ય ભાષા બોલનારનું છે.

આર્યનો સંબંધ ભાષા સાથે નહીં, પણ જાતિ સાથે છે તેના સમર્થનમાં એક વર્ગ એને હિન્દુ દેવ-દેવતાઓના રંગ સાથે જોડે છે. ઇન્દ્ર, બ્રહ્મા અને દુર્ગા ગુલાબી છે. દાનવો કાળા છે અને વિષ્ણુ, રામ તથા કૃષ્ણ નીલવર્ણ છે. આ થિયરીમાં માનનારા કહે છે કે આર્યો વિદેશી નહીં, પણ ઉત્તર ભારતીયો હતા, જેમણે સિંધુ ખીણમાંથી દક્ષિણ ભારતીયોને ખદેડી મૂક્યા હતા. 

‘આર્યોનું આક્રમણ’ અને ‘આર્યોનું મૂળ નિવાસ’ એવી બે પ્રતિસ્પર્ધી થિયરીમાં તર્ક અને શ્રદ્ધાના એટલાં તેલ પુરાયાં છે કે આર્યોને વિદેશી ગણાવનારાને ‘દેશ વિરોધી’ અને આર્યોને મૂળ નિવાસી માનનારાને ‘અંધ રાષ્ટ્રવાદી’ એવા બે હિંસક લેબલમાં વહેંચી દેવાયા છે. અત્યાર સુધી હિન્દુશાસ્ત્રો, જે 18મી સદીથી વ્યાપક રીતે પશ્ચિમમાં અનુવાદિત થવા લાગ્યાં હતાં, તેનો આધાર લઇને આર્યો જ મૂળ નિવાસી હતા એવી દલીલ કરવાવાળાને અવૈજ્ઞાનિક (અભણ, એવું વાંચો) કહીને ઉતારી પાડવામાં આવતા હતા. હવે જેનેટિક વિજ્ઞાનમાં પ્રગતિ થઇ તે પછી ખૂનની વંશાવલીમાં આર્યોનું કૂળ મધ્ય એશિયા-યુરોપમાં નીકળ્યું તો તેને હિન્દુઓને નીચા પાડવાના ગોરાઓના કાવતરા તરીકે જોવામાં આવે છે.

આ બંને (તરફી અને વિરોધી) દલીલોમાં ભારતીય નસ્લના અંકુર કેવી રીતે ફૂટ્યા એ જાણવાનો તંદુરસ્ત, વૈજ્ઞાનિક અભિગમ ઓછો અને એકબીજાને નીચા પાડવાની જાતીય રાજનીતિ વધારે છે. બ્રહ્માંડ વિજ્ઞાનમાં પૃથ્વી ઉપર માનવ જીવનની શરૂઆત કેવી રીતે થઇ હતી તેની તપાસથી વિપરીત આર્યોની ઉત્પત્તિમાં સત્તાની રાજનીતિ હાવી છે, જેથી એક સમુદાય બીજા સમુદાય ઉપર પ્રભાવ પાડી શકે.

આજે હિન્દુશાસ્ત્રો અને સંસ્કૃિત ઉપરથી એટલું તો સાબિત થાય છે કે એમાં જે જીવન દર્શન, જ્ઞાન અને માનવતાવાદ છે, તે સકળ વિશ્વમાં અનુઠો અને અનુકરણીય છે. સંસ્કૃિતના આરંભની ચર્ચામાં વંશીય રાજનીતિ હાવી થઈ જાય છે અને સંસ્કૃિતનું ડહાપણ કોરાણે મુકાઈ જાય છે, એ સૌથી મોટી ટ્રેજેડી છે. આમ પણ જાતિવાદી (રેસિસ્ટ) લોકોને પ્રજ્ઞા અને પાંડિત્ય સાથે ઓછી, અને રાજનીતિ તથા સત્તા સાથે નિસ્બત વધુ હોય છે. આપણે, મારા-તમારા જેવા સામાન્ય લોકોએ શું કરવું જોઈએ?

સોચો. 

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 16 જુલાઈ 2017

Loading

...102030...3,3313,3323,3333,334...3,3403,3503,360...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved