Opinion Magazine
Number of visits: 9584247
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘સંસ્કૃિત-સૂચિ’ અને ‘સમયરંગ’ વિશે

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|8 August 2017

સંસ્કૃિત-સૂચિ

ઉમાશંકર જોશીના પ્રદાન વિશે તાજેતરમાં થયેલું બહુ મહત્ત્વનું કામ એટલે ‘સંસ્કૃિત’ સામયિકના ચારસો સોળ જેટલા અંકોમાં પ્રસિદ્ધ થયેલાં પાંચ હજારથી વધુ લખાણોની સૂચિ. તેનું નામ છે ‘સંસ્કૃિત-સૂચિ’, પેટા નામ ‘સામયિકની વર્ગીકૃત સૂચિ’. આઠસો જેટલાં પાનાંનો આ ઉપયોગી, દૃષ્ટિપૂર્ણ અને શ્રમસાધ્ય સંદર્ભગ્રંથ અમદાવાદની શ્રી હરિવલ્લભદાસ કાળિદાસ આટ્‌ર્સ કૉલેજનાં સમર્પિત ગ્રંથપાલ તોરલ પટેલ અને જાણીતાં સાહિત્યકાર શ્રદ્ધા ત્રિવેદીએ તૈયાર કર્યો છે. સૂચિકર્તાઓએ ‘સંસ્કૃિત’ની સામગ્રીને ત્રીસ વિભાગમાં વહેંચી છે. તે આ સામયિકના ફલકની અને સૂચિકર્તાઓની ચીવટની ઝલક આપે છે.  સૂચિની યથાર્થતા સમજવા માટે ‘સંસ્કૃિત’ના અંકો સુલભ હોવા જરૂરી છે. પણ તે આપણાં જાહેર ગ્રંથાલયો કે ઉચ્ચશિક્ષણની સંસ્થાઓમાં બહુ ભાગ્યે જ હોય છે. ઉકેલ તરીકે, સંસ્કૃિત’ના તમામ અંકો ઉમાશંકરે સ્થાપેલાં ગંગોત્રી ટ્રસ્ટ માટે, મુદ્રણ-પ્રકાશનના કીમિયાગર અપૂર્વ આશરે તૈયાર કરેલી ઉમાશંકર જોશીની અધિકૃત વેબસાઇટ www.umashankarjoshi.in પર વાંચી શકાય છે.

‘સંસ્કૃિત’ સૂચિનો પહેલો જ વિભાગ સૂઝપૂર્ણ છે. આ વિભાગ  અંકોનાં ‘આવરણ પૃષ્ઠ’ અંગેનો છે.  તેમાં દરેક અંકના મુખપૃષ્ઠ પરનાં ચિત્ર/રેખાંકન/છબીની માહિતી છે. ત્રીજા કે ચોથા પૂંઠા પર મોટે ભાગે કવિતા  કે ફકરો છે તેની નોંધ છે. સૂચિમાં શુદ્ધ સાહિત્યને લગતા વિભાગો આ મુજબ છે : કવિતા, વાર્તા, નવલકથા : અભ્યાસ/સમીક્ષા/સાર/પ્રસ્તાવના, નાટક, નિબંધ, આત્મકથન, ચરિત્રકથન, સાહિત્ય-અભ્યાસ : સિદ્ધાન્ત/ઇતિહાસ/સ્વરૂપ/વિવેચન, ભાષાવિજ્ઞાન, લોકસાહિત્ય, પ્રવાસ. ‘સંસ્કૃિત’ની બહુ મોટી સિદ્ધિ તો સાહિત્યેતર વિષયોને તેમાં મળેલું સ્થાન છે. એટલા માટે સૂચિમાં આ મુજબના વિભાગો પણ છે : જાહેરજીવન-રાજકારણ-ઇતિહાસ, સમાજકારણ, અર્થકારણ, શિક્ષણ, ધર્મ-તત્ત્વજ્ઞાન, કળા-સંસ્કૃિત, પત્રકારત્વ; અને પુસ્તકોને લગતો વિભાગ ‘સ્વાધ્યાય અને સમીક્ષા’. સર્જનાત્મક લખાણો સિવાયનાં લખાણોમાંથી દરેકને એક કે તેથી વધુ વિષયમાં વર્ગીકૃત કરવા એ કસોટીરૂપ બાબત છે. ઉમાશંકર એકંદર જાહેરજીવનનાં સંખ્યાબંધ સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પાસાંને લગતી લાંબી-ટૂંકી પ્રાસંગિક નોંધો લખતા. તેનો ‘સમયરંગ’ નામનો વિભાગ સૂચિમાં બીજા ક્રમે છે. તેના પછીના ‘અર્ઘ્ય’ વિભાગમાં એવાં લખાણોની યાદી છે, જે તંત્રીએ બીજાં પ્રકાશનોમાંથી લીધેલાં હોય. પત્રમ્‌પુષ્પમ્‌, ‘સંસ્કૃિત’ના વિશેષાંકોના વર્ગ પછી લેખકોનાં નામોની યાદી છેલ્લા ત્રીસમા વિભાગ તરીકે છે.

છેલ્લેથી બીજો વિભાગ, ‘ઉલ્લેખ-સૂચિ’ એટલે કે ચાવીરૂપ શબ્દોની યાદી એ આ ગ્રંથની અનોખી સિદ્ધિ છે. તેમાં સર્જનાત્મક સાહિત્ય સિવાયનાં લખાણોમાં આવતાં મહત્ત્વનાં વ્યક્તિ/સંસ્થા/કૃતિ/પારિતોષિકો વગેરેનાં નામ તેમ જ નોંધપાત્ર ઘટનાઓને લગતા શબ્દો છે. વધુ પડકારરૂપ છે તે મુખ્ય વિચાર કે વિષય દર્શાવતા શબ્દો. જેમ કે ‘લોકશાહી’, ‘વિજ્ઞાન’, ‘સમાજ’ વગેરે. એટલે જે લેખોમાં ‘લોકશાહી’ને લગતું કંઈ પણ હોય તે દરેકનું ‘સંસ્કૃિત’ના અંકોમાંનું સ્થાન ‘લોકશાહી’ શબ્દની સામે નોંધવામાં આવ્યું છે. ઉલ્લેખ-સૂચિ ઝડપી વાચન (સ્પીડ રીડિંગ) અને આકલન પ્રક્રિયાથી તૈયાર થાય છે. દરેક લખાણનું હેતુપૂર્ણ વાચન, તેમાંના કયા શબ્દો ઉલ્લેખ-સૂચિમાં આવી શકે તેની તારવણી, અને આવી તારવણી દરમિયાન ઊભો થતો, વધતો  શબ્દરાશિ સતત મનમાં જાગતો રાખવાની સતેજતા અનિવાર્ય હોય છે. પાંચેક હજાર ચાવીરૂપ શબ્દોનો આ વિભાગ ‘સંસ્કૃિત’ની ઉપયોગિતા ખૂબ વધારી શકે, તેવું મૌલિક પ્રદાન છે.

આવી મૌલિકતા કવિતા વિભાગમાં પણ છે. વિશ્વસાહિત્યના આરાધક ઉમાશંકરના ‘સંસ્કૃિત’માં દેશ અને દુનિયાની ભાષાઓની કવિતાઓના સંખ્યાબંધ અનુવાદ વાંચવા મળે છે. તેમાં ભારતનાં રાજ્યો ઉપરાંત અમેરિકા, આફ્રિકા, એશિયા, ઑસ્ટ્રેલિયા અને યુરોપના દેશોની કવિતાઓના અંગ્રેજીમાંથી થયેલા અનુવાદ પણ છે. સૂચિમાં તેમાંથી મોટા ભાગની કવિતાઓનાં મૂળ શીર્ષક મળે છે. કાવ્યાસ્વાદના વિભાગને પણ બિલકુલ આ જ બાબત લાગુ પડે છે. ‘સંસ્કૃિત’ના પાને ઘણું કરીને અનુવાદનાં અંગ્રેજી શીર્ષકો આપેલાં નથી. દુનિયાભરની આવી સો કરતાં વધુ પદ્યરચનાઓનાં અંગ્રેજી નામ, કોઈ પણ ભાષાના સાહિત્યનો ઔપચારિક અભ્યાસ ન ધરાવનાર, તોરલબહેને શોધ્યાં છે. તેમાં ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનની તેમની તાલીમનો પ્રસ્તુત ઉપયોગ જોઈ શકાય છે. અભ્યાસીઓ સૂચિની મર્યાદાઓ તરફ આંગળી ચીંધી શકશે. પણ ગુજરાતી સાહિત્ય અકાદમીએ બહાર પાડેલી આ સૂચિનાં ઊજળાં પાસાં અનેક છે : એકંદર રચનામાં ડગલે ને પગલે જોવા મળતી સૂઝ, પૃષ્ઠરચના, વિરામચિહ્નોની ઝીણવટ, યુઝર-ફ્રૅન્ડલી બનવાની તમામ કોશિશ અને અન્ય. એ પણ નોંધવું જોઈએ કે આ વેબસાઇટનો આ સૂચિની મદદથી કરેલો ઉપયોગ અનેક સંકલનો, સંચયો, સંપાદનો, સંશોધનો અને ઉઠાંતરીઓનો સ્રોત બની શકે એમ છે.

ગુજરાતે ઉમાશંકરને સાહિત્યકાર પૂરતાં જ મર્યાદિત રાખ્યા છે. દુનિયા આખાના જાહેરજીવનના પ્રશ્નો જ નહીં પણ સિવિલાઇઝેશન વિશે નક્કર સંદર્ભમાં સતત વિચારનારા પ્રાજ્ઞજન તરીકે એમની મોટાઈ ચૂકી જવાઈ છે. આ માન્યતા ‘સંસ્કૃિત’ સૂચિમાંથી પસાર થતાં બે રીતે દૃઢ થાય છે : એક, સંસ્કૃિતની પોતાની સામગ્રી; અને બે, સંસ્કૃિત વિષયક લેખોનો અઠ્ઠાવીસમો વિભાગ. તેમાં નોંધવામાં આવેલા મોટા ભાગના અભ્યાસો સાહિત્યકાર ઉમાશંકર વિશે જ લખે છે, સિવિલાઇઝેશનના માનવતાવાદી ચિંતક ઉમાશંકર વિશે નહીં.

સમયરંગ

આપણા સાહિત્યિક વિમર્શની આવી મર્યાદાનો દાખલો એ ઉમાશંકરના ‘સમયરંગ’ અને ‘શેષ-સમયરંગ’ પુસ્તકો છે. તેમાં પ્રકટતા લેખક ઉમાશંકર આવશ્યક અને ઉપેક્ષિત બંને છે. આ બંને પુસ્તકો ‘સંસ્કૃિત’માં ઉમાશંકરે ખુદ લખેલાં લખાણોના સંચય છે. ‘સમયરંગ’ ૧૯૭૮માં મુંબઈના ચીમનલાલ લિટરરી ટ્રસ્ટે પ્રસિદ્ધ  કર્યું. તેનું પુનર્મુદ્રણ ૨૦૦૪માં ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે કર્યું. સાથોસાથ તેણે ‘શેષ સમયરંગ’ પણ બહાર પાડ્યું. સ્વાતિ જોશી સંપાદિત આ સંચયમાં ‘સંસ્કૃિત’ના ‘સમયરંગ’ વિભાગનાં બાકીનાં લખાણો ઉપરાંત ‘નિરીક્ષક’ના અગ્રલેખો અને ‘બુદ્ધિપ્રકાશ’ના તંત્રી તરીકે ઉમાશંકરે લખેલી નોંધોનો સમાવેશ થાય છે. આ બંને પુસ્તકોનાં કુલ ૯૮૦ પાનાંમાં ૧૦૬૩ લખાણો છે. તેમાં આ મુજબની બાબતો આવે છે : રાજકારણ, શિક્ષણ, અર્થકારણ, ભાષા સાહિત્ય, કલા, સંસ્કૃિત જેવાં વિવિધ ક્ષેત્રનાં ‘ચાલુ બનાવો પરની નોંધો’, અગ્રલેખો, ભાષણો, સંસદીય પ્રવચનો, મુલાકાતો, ટૂંકા અહેવાલો, વ્યાખ્યાન-સંક્ષેપો અને અંજલિલેખો. નાનામાં નાની નોંધ એક વાક્યની છે : ‘‘પથેર પાંચાલી’ પરદા પર જોયું?’ (‘સમયરંગ’, પાનું ૨૧૭), લાંબામાં લાંબા લેખ પાંચ પાનાંના છે. જેમ કે, ‘સોવિયેત-દોસ્તી ભલે, સોવિયેત-પરસ્તી હરગિજ નહીં’, અથવા નવનિર્માણ આંદોલન પછી રાજ્યસભામાં આપેલું પ્રવચન ‘વિસર્જન અનિવાર્ય છે, તો વિલંબ શા માટે ?’ આંતરરાષ્ટ્રીય તથા એતદ્દેશીય રાજકારણ વિશેનાં મોટા ભાગનાં લખાણો વિસ્તૃત અને વિપુલ છે. બંને ગ્રંથોનાં કુલ લખાણોના ચોથા ભાગનાં એટલે કે અઢીસો જેટલાં લખાણો રાજકારણને લગતાં છે, એ હકીકત ઉમાશંકરનો અગ્રતાક્રમ સૂચવે છે. ‘સમયરંગ’ની પ્રસ્તાવનામાં તે લખે છે : ‘રાજકારણ પણ મનુષ્યના જીવનની એક અત્યંત મહત્ત્વની રગ છે, કહો કે રાજકારણ પ્રાણવાયુ સમાન છે. જાગ્રત નાગરિક રાજકારણથી અસ્પૃષ્ટ રહી શકતો નથી, પણ હું રાજકારણ કરતાં જાહેર બનાવો(પબ્લિક અફેર્સ)માં રસ લઉં છું એમ જ કહેવાનું વધુ પસંદ કરું.’ રાજકારણની સભાનતાનું ઉમાશંકરને મન કેટલું મહત્ત્વ છે તે ‘સમયરંગ’નાં અન્ય બે અવતરણોમાં પણ બહાર આવે છે : ‘રાજકારણ એ પ્રાણવાયુ સમાન છે. મારા જેવો કવિતાનો માણસ પણ રાજકારણ વગર શ્વાસ લઈ શકે નહીં’ (પૃ.૩૩૫). અને ‘પોલિટિક્સનો છોછ રાખ્યે નહીં ચાલે. યા તો બુદ્ધ યા તો બુદ્ધુ સમાજની બહાર રહી શકે, પણ આપણે સમાજના બધા વ્યવહારમાં રહેનાર રાજકારણનો છોછ રાખીએ તે ન ચાલે, કેમ કે આપણે રાજકારણને છોડીએ ભલે, રાજકારણ આપણને છોડશે નહીં’ (પૃ ૩૭૪).

બધા સ્તરની મહત્ત્વની રાજકીય ગતિવિધિઓ વિશે ઉમાશંકરે એક દૃષ્ટિપૂર્ણ વિશ્લેષક તરીકે લખ્યું છે. એમણે અમદાવાદ મ્યુિનસિપલ કૉર્પોરેશનની ચૂંટણીઓથી લઈને સંસદની ચૂંટણીઓને આવરી લીધી છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિ, વિલિનીકરણ, ભાષાવાર પ્રાંતરચના, બંધારણસભા, સમાજવાદી પક્ષની રચના, ગોવામુક્તિ આંદોલન, તેલંગણનો પ્રશ્ન, તાશકંદ-કરાર જેવા જૂજ ઉલ્લેખો જ અહીં કરી શકાય. તે જ પ્રમાણે ભારતના બધા પડોશી દેશો તેમ જ મહાસત્તાઓ સાથેના સંબંધોના મુદ્દે વારંવાર લખવાનું થયું છે. વળી, પ્રજાસમૂહના દેશો, ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવના, શીતયુદ્ધ, બાંડુંગ-પરિષદ, અણુશસ્ત્ર વિરોધ જેવી સંખ્યાબંધ રાજકીય ઘટનાઓ વિશેનાં સરેરાશ દોઢ-બે પાનાંના અભ્યાસપૂર્ણ લેખો મળે છે.

કવિ-સાંસદનું રાજ્યસભામાંનું પહેલું ભાષણ ‘હરિજનો અને ગિરિજનોની સમસ્યા’ વિષય પરનું છે, નવનિર્માણ આંદોલન પરનાં સંસદીય પ્રવચનો કડક છે. ગુજરાતમાં

પોલીસ અને દિલ્હીથી  ઊતરી આવેલ લશ્કર તેમ જ મુખ્ય પ્રધાનના રેડિયો પરના ભાષણ પરનો ઉલ્લેખ કરીને તે કહે  છે : ‘આપણા મનમાં નાઝી જર્મની સાથે આ જાતની વસ્તુઓ જોડાયેલી છે’ (સમયરંગ, ૩૪૫). નવનિર્માણ આંદોલનને ‘હું ક્રાન્તિથી ઓછું મૂલવતો નથી … એ એક સામાજિક મહાઘટના છે’, એમ પણ લેખક કહે છે. ‘શેષ-સમયરંગ’માં પણ નવનિર્માણને લગતા આઠ ધારદાર લેખો છે. રાષ્ટ્રપતિનિયુક્ત સાંસદ ઉમાશંકર ‘રાષ્ટ્રપતિ મૂર્ધન્ય વ્યક્તિ કે રબરસ્ટૅમ્પ?’ નામનો લેખ આપે છે. ભ્રષ્ટાચાર અને શાસકોની ઓસરતી જતી વિશ્વસનીયતા વિશે તેઓ લખે છે.  કટોકટી સત્રમાંના નિર્ભીક ભાષણ ‘મૂર્તિ ખંડિત થઈ’માં આ સાંસદ કહે છે : ‘ ભારતમાં ક્યારે ય પ્રિ-સેન્સરશિપ ઠોકી બેસાડવામાં આવી નથી, પણ આપણે સત્યથી બીઈએ છીએ. દેશ આખાને આવરી લેતો આ કાળમુખો પડછાયો આવે છે ક્યાંથી? …. આજે આ દેશમાં આપણે એવે તબક્કે પહોંચ્યા છીએ, જ્યાં જીવનનું સત્ય ઝપાટાભેર હણાઈ રહ્યું છે’ (સમયરંગ, ૩૯૦).

રાજકારણને લગતા વ્યાપક લેખનના કેન્દ્રસ્થાને લોકશાહીની વિભાવના છે. લેખક લોકશાહીની જે અનેક પ્રસંગો  કે સંદર્ભોમાં વાત કરે છે, તેમાંના કેટલાક આ મુજબ છે : પાઠ્યપુસ્તકો, પત્રકારત્વ, ગુજરાતી સાહિત્ય પરિષદ, સમાજવાદ, રાજકીય બળોનું ધ્રુવીકરણ, આકાશભારતી, જયપ્રકાશ નારાયણ, બ્રિટિશ અને અમેરિકન સંસ્થાનવાદ – આ યાદી ઘણી લાંબી થઈ શકે. લોકશાહીના ઉછેરના તબક્કે ઉમાશંકરનો સૂર આશા અને અગમચેતીનો છે, વીતતાં વર્ષોની સાથે ક્યારેક દિલાસાનો, પણ મોટે ભાગે ચિંતા અને આક્રોશનો છે.

લોકશાહીના પ્રખર પુરસ્કર્તા ઉમાશંકરને મન નાગરિક સ્વાતંત્ર્ય ખૂબ મહત્ત્વનું છે. જ્યારે-જ્યારે એ હણાવાના પ્રસંગો આવે છે, ત્યારે – ત્યારે ઉમાશંકર લખે છે. તેમાંના કેટલાક છે : ઉત્તરપ્રદેશ સરકારે ખૂબ બીમાર સામ્યવાદી નેતા ભારદ્વાજની કરેલી ધરપકડ અને તેમનું કેદમાં અવસાન, દિનકર મહેતાની સલામતીધારા હેઠળ ધરપકડ, સિવિલ લિબર્ટીઝ માટેની ખાનગી સભા પર મુંબઈ પોલીસનો પ્રતિબંધ, અધ્યાપકોનાં સંશોધનો પર બંધનો, અને બીજા અનેક. સાબરમતી જેલના રાજકીય સામ્યવાદી કેદીઓ પરના ગોળીબારના કિસ્સાની વિગતો નોંધીને પછી ઉમાશંકર લખે છે : ’લોકશાહીનાં અનિવાર્ય ધોરણો અને નાગરિકસ્વાતંત્ર્ય જેવી ચીજો ટકાવી રાખવી હોય, તો આવા બનાવોની તપાસ વિના વિલંબે થવી જોઈએ’ (સમયરંગ, ૮૭).

અગ્રણી ભારતીય સાહિત્યકાર ઉમાશંકરનાં આ બે પુસ્તકોનાં લખાણોમાં સંખ્યાની દૃષ્ટિએ બીજા ક્રમે સાહિત્યક્ષેત્ર છે પણ તેને લગતી મોટા ભાગની નોંધો ટૂંકી, તદ્દન પ્રાસંગિક અને ઓછી વિચારપ્રધાન છે. વૈચારિક મહત્ત્વની દૃષ્ટિએ રાજકારણ પછીના ક્રમે કેળવણી આવે છે. તેને લગતાં સવાસો જેટલાં લખાણોના મુખ્ય વિષયો આ મુજબ છે : શાળા અને યુનિવર્સિટી શિક્ષણ, ગામ-ખેતી-હુન્નર-યંત્રવિદ્યાને કેન્દ્રમાં રાખતું શિક્ષણ, શિક્ષણનું માધ્યમ, પાઠ્યપુસ્તકો, શિક્ષણમાં રાજકીય હસ્તક્ષેપ, અધ્યાપકોનું સ્વાતંત્ર્ય ઇત્યાદિ. ‘કેળવણીનો કીમિયો’ નામના ઉમાશંકરના બીજા એક ઓછા જાણીતા પુસ્તકમાં છે એવા ચિંતનાત્મક દીર્ઘ લેખો અહીં ઓછા મળે છે. જો કે જે છે એ લખાણોમાં એકંદરે કલ્યાણરાજ્યમાં વંચિત વર્ગો માટેના સાર્વત્રિક સ્વાયત્ત અને સામાજિક જવાબદારી નિભાવનાર શિક્ષણના હિમાયતી ઉમાશંકર મળે છે.

ઉમાશંકરના કેળવણીવિષયક વિચારોમાં વિદ્યાર્થીની વાત વારંવાર આવે છે. તેમને અભિપ્રેત છે ‘ઠેઠ સૂઈ ગામ, રાધનપુર ને બનાસકાંઠા, કચ્છ, સૌરાષ્ટ્ર, મહીકાંઠા, સાબરકાંઠા … ઠેરઠેરનાં વિદ્યાકાંક્ષી બાળકો’, ‘કેવળ આર્થિક સંકડામણને કારણે વિદ્યાભ્યાસ છોડી દેતાં અકિંચન વિદ્યાર્થીઓ’. એટલા માટે વિસનગર, કોલ્હાપુર કે ગુજરાત કૉલેજમાં ફી-વધારાનો તે વિરોધ કરે છે. નોકરી કરનારા વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા માટે આર્ટ્સ‌ કૉલેજ સવારની કરવાની જોગવાઈને તે આવકારે છે. વિદ્યાર્થીઓમાંનો તેમનો રસ શાળા-કૉલેજનાં કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ પરની નોંધોમાં પણ દેખાય છે. 

વિદ્યાર્થીઓ માટેની લાગણી સહુથી વ્યાપક રીતે વ્યક્ત થઈ હોય, તો તે નવનિર્માણ આંદોલનને લગતાં લખાણોમાં. ત્યાં ઠેકઠેકાણે ઉમાશંકર વિદ્યાર્થીશક્તિનાં જાણે ઓવારણાં લે છે. તે બધાંના સાર સમો ગદ્યાંશ ‘શેષ સમયરંગ’ના એક લેખમાં મળે છે : ‘બધા વિચારકો, શિક્ષણશાસ્ત્રીઓ, સમાજનેતાઓ ચિંતા વ્યક્ત કરતા હતા કે આજના વિદ્યાર્થીના ભણતરનો દેશના દેશમાં જિવાતા જીવન સાથે મેળ નથી. એકાએક એવું બન્યું કે વિદ્યાર્થીના જીવનનો તાર જિવાતા જીવન સાથે બરાબર સંધાઈ ગયો. વિદ્યાર્થીઓના હાથ સહુથી ચોખ્ખા છે, એટલે સહેજે તેઓ ભ્રષ્ટાચાર સામે ઝઝૂમી શકે એમ છે. નૈતિકતામાં તેઓ વડેરા કરતાં વડા નીવડી શકે એમ છે. ગુજરાતના-ભારતના જાગેલા વિદ્યાર્થીઓ આગળથી ભ્રષ્ટાચારે હવે ભાગવું પડશે’ (પૃ. ૪૦૩). વિદ્યાર્થીઓનું આવું ઉદાત્તીકરણ ઉપરછલ્લુંનથી.એટલે જ તે વિદ્યાર્થીઓ પરના હિંસાચારના આરોપોનો રાજ્યસભાના પ્રવચનમાં બચાવ કરે છે. આંદોલન પૂરું થતાં તેમને પરીક્ષા આપવા સમજાવે છે. અનામતના પ્રશ્ને તબીબી શાખાના વિદ્યાર્થીઓને આંદોલન ન કરવા સમજાવતાં બે લેખો ‘શેષ સમયરંગ’માં આપે છે – ‘સાંકડાં હૃદય ન રાખશો’ (પૃ. ૫૧૯) અને ‘માનવીય ગૌરવ અને સામાજિક ન્યાયનો તકાજો’ (પૃ. ૫૨૧). નવનિર્માણમાં વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચારથી ઉમાશંકર વ્યથિત થાય છે. કૉલેજની વિદ્યાર્થિનીઓ પર પોલીસે ગુજારેલા દમનથી તેમનું ‘હૃદય અત્યંત વિહ્વળ બને છે’. બંગાળમાં ૧૯૭૪ના મધ્યમાં ‘નક્સલ કહેવાતી છોકરીઓ પર જે ત્રાસ ગુજારવામાં આવ્યો’, તે એમને ‘અમાનુષતાને હદ વટાવી જાય’ તેવો લાગે છે. આ નિમિત્તે ‘નેતાગીરીને મન યુવાનોની આ કિંમત ?’ એવા વેધક લેખમાં એ કહે છે : ‘છેલ્લાં વરસોમાં દેશના યુવાનો-વિદ્યાર્થીઓમાં સમાજના શોષિત વર્ગ અંગે જાગૃતિ વધતી રહી છે … તેઓની અકળામણ ક્યાંક માઝા વટાવતી હોય તેમ બને … પણ શાસકોએ ચેતી જઈને સામાજિક ન્યાયની પ્રક્રિયાને વેગીલી બનાવવાને બદલે એ પ્રક્રિયાને શક્તિમતિ પ્રમાણે ધપાવવા મથતા જુવાનો પર શી ગુજારી છે, એનો ખ્યાલ પણ કમકમાં ઉપજાવે એવો છે … યુવક-યુવતીઓ શોષિત જનતાને માટે જાનફેસાની કરવા બહાર પડતાં હોય અને તેમને જે દેશની નેતાગીરી  રિબાવે, વેરવિખેર કરવા મથી છૂટે … એ દેશના ભાવિ વિશે, તેની નેતાગીરીના ભાવિ વિશે શું કહેવું ?’

કેટલોક સમય પહેલાં કેન્દ્ર સરકારના યુનિવર્સિટી ગ્રાન્ટ-કમિશન(યુજીસી)એ વિદ્યાર્થીઓને ઉચ્ચશિક્ષણ અને સંશોધન ન પોષાય તેવી નીતિ ઘડી ત્યારે વિદ્યાર્થીઓએ દિલ્હીમાં ‘ઑક્યુપાય યુજીસી’ નામે આંદોલન ચલાવ્યું હતું. દેખાવ કરનારા યુવાઓ પર વૉટરકૅનન અને લાઠીઓનો મારો ચલાવવામાં આવ્યો હતો. આવું જ નિર્ભયા પરના અત્યાચારનો વિરોધ કરનાર યુવતીઓ અને યુવકો પર કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પક્ષના માનીતા એવા અતિસાધારણ અભિનેતાને દેશની મહત્ત્વની ‘ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા’(એફ.ટી.આઇ.આઇ.)ના વડા તરીકે નીમવામાં આવ્યા. તેની સામેના ચારેક મહિનાના આંદોલન બાબતે પર સરકાર આપખુદ અને અસંવેદનશીલ જ રહી. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના જુદું વિચારતા અને સવાલ ઉઠાવતા વિદ્યાર્થીઓ પર તેણે જુલમ ગુજાર્યો. રોહિત વેમુલાની આત્મહત્યાના મુદ્દે હૈદરાબાદ સેંટ્રલ યુનિવર્સિટીમાં વિરોધ કરતા વિદ્યાર્થીઓ પર જુલમ વરસાવવામાં આવ્યો. આ બધી વખતે ઉમાશંકર યાદ આવતા રહ્યા.

(કલ્ચરલ એજ્યુકેશન ફોરમના ઉપક્રમે ઉમાશંકર જયંતીની સાંજે, ગુજરાતી સહિત્ય પરિષદના સંકુલમાં, યોજાયેલ ગોષ્ઠીમાં આપેલા વક્તવ્ય માટે કરેલી નોંધ પરથી)                

૨૬ જુલાઈ, ૨૦૧૭

E-mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2017; પૃ. 09-11

Loading

યુદ્ધ દ્વારા કોઈ પ્રશ્ન ઉકેલાતો નથી, દરેક પ્રશ્ન વાતચીત દ્વારા જ ઉકેલાતો હોય છે એ સુષમા સ્વરાજની વાત સો ટકા સાચી છે. એ નીતિ પાકિસ્તાન સાથે પણ અપનાવવામાં આવે તો કેમ?

રમેશ ઓઝા|Opinion - Opinion|7 August 2017

ચીને ડોકલામ પર કબજો કર્યો છે એ વિશે સંસદમાં ચર્ચા થાય એ સ્વાભાવિક છે.

રાજ્યસભામાં ચાર કલાક માટે ચર્ચા થઈ હતી જેમાં સભ્યોએ રચનાત્મક અભિગમ સાથે ચર્ચા કરી હતી. આવી સ્થિતિ શેને કારણે પેદા થઈ, ચીન ભુતાનનો પ્રદેશ ખાલી કરે એ માટે શું પ્રયત્નો કરવામાં આવ્યા છે અને ભુતાન કેમ ચૂપ છે એવા કેટલાક પ્રશ્નો ઉપસ્થિતિ થવા સ્વાભાવિક છે. ચીન સાથે યુદ્ધની ભાષા પરવડે એમ નથી એ વિરોધ પક્ષો પણ જાણે છે એટલે દેશની આબરૂ જળવાય એ રીતે કોઈ રસ્તો નીકળવો કોઈએ એવો એકંદરે સૂર હતો. જો કે રાજદ્વારી કુનેહ એમાં છે કે જે સરકાર સત્તાવારપણે કહી ન શકતી હોય એ વિરોધ પક્ષો દ્વારા કહેવડાવવામાં આવે છે અને સરકાર વિરોધ પક્ષોની ભાવનાને ધ્યાનમાં રાખીને સભ્યોના ગુસ્સાને સમજવાની અને શાંત પાડવાની કોશિશ કરે છે. હજી જરૂર લાગે તો શાસક પક્ષના સભ્યોને પણ ઉદ્વેગી સૂરમાં બોલવાનું કહેવામાં આવે છે અને હજી વધુ જરૂર હોય તો જુનિયર કે કૅબિનેટ પ્રધાન બોલી જાય છે અને વડા પ્રધાન ભાવનાની નોંધ લઈને શાંત પાડે છે.

આને એકંદરે શાસનવ્યવસ્થા કહેવામાં આવે છે જેમાં દરેકની ભૂમિકા હોય છે અને ક્યારેક તાકીદની કે ગૂંચવાડાભરી સ્થિતિમાં બધું આયોજનપૂર્વક થતું હોય છે. એવું પણ બન્યું છે કે વિરોધ પક્ષોને રસ્તા પર ઊતરીને આંદોલન કે દેખાવો કરવાનું કહેવામાં આવે છે. ડોકલામના મામલામાં વિરોધ પક્ષો ચીની એલચીકચેરી સામે દેખાવો કરે તો એમાં મેસેજ એટલો જ ગયો હોત કે ભારતની પ્રજા ચીનના વલણથી ખૂબ નારાજ છે, આંદોલિત છે અને ભારત સરકાર પ્રચંડ પ્રજાકીય દબાણ હેઠળ છે. રાજકારણમાં દબાણ હેઠળ મજબૂર હોવાનો દેખાવ કરવાનું પણ મહત્ત્વ છે. ભૂતકાળમાં ઇન્દિરા ગાંધીએ, પી. વી. નરસિંહ રાવે અને અટલ બિહારી વાજપેયીએ આ માર્ગ અપનાવ્યો હતો.

અહીં ખાટલે મોટી ખોડ એ છે કે સરકાર જ સાડાત્રણ જણની છે અને વિરોધ પક્ષોને એક કે બીજા બહાને ખતમ કરવાની પેરવી ચાલી રહી છે. વડા પ્રધાન એવા છે જે દબાણ હેઠળ છે કે મજબૂર છે એનો દેખાડો કરવામાં પણ નાનપ અનુભવી રહ્યા છે. મને પૂછ્યા વિના દેશમાં ચકલું પણ ફરકી શકતું નથી એવી શૌર્યરસીય ધાક જમાવવાના મોહમાં મજબૂરીના કરુણરસની સકારાત્મક જરૂરિયાત તેમના ધ્યાનમાં આવતી નથી. સમજાવે કોણ? એ લાખ રૂપિયાનો સવાલ છે. ગૃહિણીઓ રસોડામાં સોએક જેટલી ચીજો રાખતી હોય છે જેમાં રોજના વપરાશમાં પાંચ-દસ ચીજો જ વપરાતી હોય છે અને બાકીની ચીજો વખત આવ્યે ખપમાં લેવાની હોય છે. શાસનવ્યવસ્થામાં દરેકની ભૂમિકા હોય છે અને વખત આવ્યે એને ખપમાં લેવાતી હોય છે. જેમ પાંચ વાનાંનું રસોઈઘર ન હોય એમ સાડાત્રણ જણની સરકાર ન હોય.

ખેર, ચર્ચાના ઉત્તરમાં વિદેશપ્રધાન સુષમા સ્વરાજે જે નિવેદન કર્યું એ મહત્ત્વનું છે અને ખાસ નોંધ લેવા જેવું છે. હકીકતમાં વડા પ્રધાને સરકાર વતી ખુલાસો કરવો જોઈતો હતો. બે મહિનાથી ચીન ભારતની છાતી પર આવીને ગળું દબાવીને બેઠું છે અને વડા પ્રધાને દેશની પ્રજાને સધિયારો આપતો શબ્દ પણ નથી ઉચ્ચાર્યો. પખવાડિયા પહેલાં મન કી બાતમાં પણ ડોકલામ વિશે તેઓ કાંઈ બોલ્યા નથી. ડોકલામે હજી સુધી ભારતના વડા પ્રધાનના મનનો કબજો લીધો નથી એવો એનો અર્થ કરવાનો? જે પ્રશ્ન દરેકના મનમાં હોય એ વડા પ્રધાનના મનમાં ન હોય એવું બને? જો અત્યારે બોલવું ઉચિત ન લાગતું હોય તો મૌન રહેવું જોઈએ, પણ આખી દુનિયાનું ડહાપણ ડોળવું અને પ્રજાના મનમાં જે પ્રશ્ન ઘોળાતો હોય અને જે વાતનો ભય હોય એ વિશે ચૂપ રહેવાનું એ બરોબર નથી.

તો સુષમા સ્વરાજે રાજ્યસભામાં સભ્યોને અને એ દ્વારા દેશની પ્રજાને કહ્યું કે યુદ્ધથી ક્યારે ય કોઈ પ્રશ્ન ઉકેલાતો નથી. જગતમાં બધા પ્રશ્નો વાતચીત દ્વારા જ ઉકેલાયા છે. યુદ્ધ કરી લીધા પછી પણ વાતચીતના ટેબલ પર બેસવું પડતું હોય છે. ટૂંકમાં, વાતચીત સિવાય બીજો કોઈ ઇલાજ નથી અને આ મજબૂરી નથી, દૂરંદેશી છે. ભારત ડોકલામ પ્રશ્ન ચીન સાથે વાતચીત દ્વારા ઉકેલશે અને સરકારને ખાતરી છે કે એ પ્રશ્ન ઉકેલાઈ જશે.

સુષમા સ્વરાજની વાત સો ટકા સાચી છે. આ જગતમાં કોઈ પ્રશ્ન યુદ્ધ દ્વારા ઉકેલાયો નથી અને ઉકેલાવાનો નથી. મહાભારતમાં પાંડવો પણ એક રીતે યુદ્ધ જીત્યા પછી હારી જ ગયા હતા. જો કૃતક રાષ્ટ્રવાદની ભંભેરી ચીવીસે કલાક વગાડવામાં ન આવતી હોત તો ચીન સાથેનો સરહદનો પ્રશ્ન દાયકાઓ પહેલાં ઉકેલાઈ ગયો હોત. ૧૯૬૨ના યુદ્ધ પછી ચીને લદ્દાખનો ગ્લૅસિયરનો પ્રદેશ કબજે કરી લીધો ત્યારે જવાહરલાલ નેહરુએ કહ્યું હતું કે એ પ્રદેશ કોઈ જીવ વસી શકે એવો નથી અને ત્યાં તરણું પણ ઊગતું નથી. નેહરુની એ વાતના જવાબમાં કૉન્ગ્રેસના સભ્ય મહાવીર ત્યાગીએ માથા પરથી ટોપી કાઢીને ટાલ બતાવતાં કહ્યું હતું કે આ પ્રદેશમાં તરણું પણ ઊગતું નથી એટલે શું માથું કોઈને આપી દેવાનું? આવાં રાષ્ટ્રવાદી કથનો ટાંકતાં આપણે થાકતા નથી. એ પછી તો દરેક લોકસભાના પહેલા સત્રમાં ભારતે ગુમાવેલા પ્રદેશને પાછો મેળવવાની પ્રતિજ્ઞા લેવાતી હતી. હવે એ રિવાજ ભૂલી જવાયો છે.

તો યુદ્ધ દ્વારા કોઈ પ્રશ્ન ઉકેલાતો નથી, દરેક પ્રશ્ન વાતચીત દ્વારા જ ઉકેલાતો હોય છે એ સુષમા સ્વરાજની વાત સો ટકા સાચી છે. યાદ માત્ર એટલી જ અપાવવાની કે આ ડહાપણ ભારતની પશ્ચિમે પાકિસ્તાન સાથે પણ ઉપયોગમાં લેવામાં આવે. એક દિશાએ બાવડાં બતાવવામાં આવે અને બીજી દિશાએ અનુનય કરવામાં આવે એ બરાબર નથી. સુષમાબહેને અને ભારત સરકારે આ પરમ જ્ઞાનનો ઉપયોગ ઘરઆંગણે કાશ્મીરીઓ સાથે પણ કરવો જોઈએ. પોતાના લોકો સાથે વાતચીત કરવામાં નાનપ શેની? તમે જ કહો છે કે દરેક પ્રશ્ન માત્ર અને માત્ર વાતચીત દ્વારા જ ઉકેલાતો હોય છે અને લોહી રેડ્યા પછી પણ અંતે તો વાતચીતના ટેબલ પર બેસવું પડતું હોય છે. કાશ્મીરીઓ સાથે પણ વાતચીત કરવામાં આવે એ જરૂરી છે.

ચીન અને પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧માં ભારત અને રશિયા વચ્ચે શાંતિકરાર થયો હતો એવો કોઈક કરાર થશે એવો મને ભય છે. જો ભારત અને રશિયા પર કોઈ ત્રીજો દેશ આક્રમણ કરે તો બન્ને એકબીજાને લશ્કરી સહયોગ કરશે એવો ૧૯૭૧નો ભારત-રશિયા કરાર હશે. જો આવો કોઈક કરાર ચીન અને પાકિસ્તાન વચ્ચે થાય અને એવી સંભાવના નજરે પડી રહી છે ત્યારે ભારતે સાઉથ એશિયા અને ચીન સાથેની વિદેશનીતિ વિશે નવેસરથી વિચારવું જોઈએ. એક જગ્યાએ સિંહ અને બીજી જગ્યાએ શિયાળની છાતીનું પ્રદર્શન કરીને વધારે હાસ્યાસ્પદ બનવાનું થશે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 07 અૉગસ્ટ 2017

Loading

ભારત છોડો આંદોલન એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ

રમેશ ઓઝા|Opinion - Opinion|7 August 2017

૧૯૪૨નું આંદોલન થયું એનો ઇતિહાસ આપણે બધા જાણીએ છીએ, પરંતુ એક ઓછા જાણીતા ઇતિહાસ વિશે રાજમોહન ગાંધીએ તેમના પુસ્તક ‘મોહનદાસ’માં ધ્યાન ખેંચ્યું છે. બ્રિટિશ સરકારે કૉન્ગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓને એક જ જેલમાં અહમદનગરના ર્ફોટમાં કેદ કર્યા હતા. આવું આ પહેલાં કોઈ આંદોલન વખતે બન્યું નહોતું. લગભગ બે વરસના જેલવાસ દરમ્યાન કૉન્ગ્રેસના નેતાઓ વચ્ચે બે વાતની સંમતિ બની ગઈ હતી. એક, યુદ્ધ પછી બ્રિટિશ સરકાર એટલી કમજોર થઈ ચૂકી હશે કે ભારતને આઝાદ કરવા સિવાય સરકાર પાસે બીજો કોઈ માર્ગ નહીં હોય અને એ સ્થિતિમાં પાકિસ્તાન આપી દેવામાં ભારતનું હિત છે. બે, મોહનદાસ કરમચંદ ગાંધી નામના માણસનો ખપ હવે પૂરો થઈ ગયો છે

૯ ઑગસ્ટે ભારત છોડો આંદોલનને ૭૫ વર્ષ થશે એટલે ભારતની પ્રજાએ આઝાદી માટે કરેલા છેલ્લા આંદોલનના અમૃત મહોત્સવનું વર્ષ છે. ૧૯૪૬માં મુંબઈમાં નૌકાદળના કટલાક સૈનિકોએ વિદ્રોહ કર્યો હતો, પરંતુ એ નાનકડી ઘટના હતી અને એ પ્રજાકીય આંદોલન નહોતું એટલે ૧૯૪૨ના આંદોલનને છેલ્લું આંદોલન કહેવું જોઈએ. વર્તમાન સરકારે ૧૯૪૨ના ભારત છોડો આંદોલનની ઉજવણીમાં વિશેષ રસ દાખવ્યો નથી અને એ સ્વાભાવિક પણ છે. તેઓ જે પરિવારમાંથી આવે છે એની દેશપ્રેમની નાદારી એ ઘટના સાથે જોડાયેલી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને હિન્દુ મહાસભાના નેતા વિનાયક દામોદર સાવરકરે ૧૯૪૨ના અંદોલનનો વિરોધ કર્યો હતો એટલું જ નહીં, અંગ્રેજ સરકારને પત્ર લખીને જાણ કરી હતી કે તેઓ આંદોલનનો વિરોધ કરી રહ્યા છે અને સરકારને મદદ કરવા તૈયાર છે. અહીં તેમણે કરેલું પરાક્રમ ચર્ચાનો વિષય નથી એટલે એને બાજુએ મૂકીએ.

વાચકોને જાણ હશે કે ૧૯૪૨ની ૯ ઑગસ્ટે ગાંધીજીએ અંગ્રેજોને ભારત છોડીને જતા રહેવાની હાકલ કરી ત્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું. અંગ્રેજો માટે આ પાર કે પેલે પારનો અસ્તિત્વનો સંઘર્ષ હતો. શરૂઆતમાં અંગ્રેજોએ ભારતીય પ્રજાની ભાવનાની ચિંતા નહોતી કરી અને ભારતના કૉન્ગ્રેસના નેતાઓને કે બીજા પક્ષોના નેતાઓને પૂછ્યા વિના ભારતને યુદ્ધમાં બ્રિટન વતી પક્ષકાર બનાવી દીધું હતું. આના વિરોધમાં કૉન્ગ્રેસની પ્રાંતીય સરકારોએ રાજીનામાં આપી દીધાં હતાં. એ પછી જ્યારે બ્રિટન જર્મની સામે કમજોર પડવા માંડ્યું અને કદાચ યુદ્ધ હારી જશે એવા સંજોગો પેદા થવા લાગ્યા ત્યારે કૂણી પડી ગયેલી બ્રિટિશ સરકારે ભારતમાં ભારતીય નેતાઓ સાથે વાતચીત કરવા એક પ્રતિનિધિમંડળ મોકલ્યું હતું.

ભારતના નેતાઓ સાથેની યુદ્ધને સમર્થન આપવાની વાતચીત નિષ્ફળ નીવડી હતી. ગાંધીજીએ કહ્યું હતું કે જો અંગ્રેજ સરકાર યુદ્ધ પછી ભારતને આઝાદી આપવાનું વચન આપે તો ભારત બ્રિટનના યુદ્ધપ્રયાસોમાં સમર્થન આપવા તૈયાર છે. બીજી બાજુ અંગ્રેજ સરકારના પ્રતિનિધિમંડળે આગ્રહ રાખ્યો હતો કે ભારતની પ્રજાએ અને કૉન્ગ્રેસે બિનશરતે યુદ્ધમાં સહકાર આપવો જોઈએ અને યુદ્ધ પછી સરકાર પૂરી સહાનુભૂતિ સાથે ભારતની પ્રજાની એષણા વિષે વિચારશે. ગાંધીજીએ અંગ્રેજોના વાયદાને નાદાર બૅન્કના પોસ્ટડેટેડ ચેક તરીકે ઓળખાવ્યો હતો. જો કે ગાંધીજીના પૌત્ર અને જાણીતા ઇતિહાસકાર રાજમોહન ગાંધી કહે છે કે આ પોસ્ટડેટેડવાળું વાક્ય કોઈકે ગાંધીજીના મોઢામાં મૂક્યું છે, ગાંધીજી આવું બોલ્યા હોય એવું કોઈ પ્રમાણ મળતું નથી. ગાંધીજી આ વાક્ય બોલ્યા હોય કે ન બોલ્યા હોય, એ વાક્ય અંગ્રેજોના વલણને પ્રગટ કરતું હતું.

અંગ્રેજોની દલીલ એવી હતી કે ‘યુદ્ધ સભ્યતા અને બર્બરતા વચ્ચેનું યુદ્ધ છે. માનવીયતા અને અમાનવીયતા વચ્ચેનું યુદ્ધ છે. બીજું વિશ્વયુદ્ધ ખુલ્લા સમાજ અને ફાસીવાદ વચ્ચેનું યુદ્ધ છે. લોકશાહી અને તાનાશાહી વચ્ચેનું યુદ્ધ છે. ભારતના નેતાઓએ આ હકીકત સ્વીકારવી જોઈએ અને માનવીયતાનો એક જાગતિક પોકાર અને તકાદો સમજીને કોઈ પણ પ્રકારની શરત મૂક્યા વિના ફરજ સમજીને એમાં સાથ આપવો જોઈએ.’

અંગ્રેજોની આ દલીલ જવાહરલાલ નેહરુ સહિત ભારતના અનેક નેતાઓને ગળે ઊતરતી હતી. એને માટે અંગ્રેજોના તર્કશાસ્ત્રની રાહ જોવાની પણ જરૂર નહોતી. આ ઉઘાડું સત્ય હતું અને એ અંગ્રેજો આપણને સમજાવે એ પહેલાં ભારતના નેતાઓ આ સમજતા હતા.

સવાલ હતો અંગ્રજોના બેવડા વલણનો. સંસ્થાનવાદ અને સંસ્થાનોનાં શોષણમાં ક્યાં માનવતા હતી? કોઈ પ્રજાને ગુલામ રાખવામાં આવે એમાં કયાં લોકશાહી મૂલ્યો હતાં? જો અંગ્રેજો ભારતને આઝાદી આપવાનું વચન આપે તો ભારત એ સ્વીકારવા તૈયાર છે કે આ સામ્રાજ્યવાદી યુદ્ધ નથી પરંતુ માનવીયતાને બચાવી લેવાની જેહાદ છે અને પ્રત્યેક ભારતીયની એ ફરજ બને છે કે એમાં એ આહુતિ આપે. જો અંગ્રેજો આવું વચન ન આપે તો એનો અર્થ એટલો જ થાય કે આ સામ્રાજ્યવાદી યુદ્ધ છે અને યુરોપનાં સામ્રાજ્યો ત્રીજા દેશોની ભૂમિ પર કબજો કરવા આપસમાં લડી રહ્યાં છે. ગાંધીજીએ આવા કેટલાક પ્રશ્નો ઉપસ્થિતિ કર્યા હતા અને અંગ્રેજોને આહ્વાન કર્યું હતું કે વધારે મોડું થાય એ પહેલાં બ્રિટિશ સરકારે એ જે કહે છે એ મુજબ ખરા ઊતરવું જોઈએ. સામે પક્ષે હિટલર અને મુસોલિની છે એટલે તમે આપોઆપ મહાત્મા સાબિત નથી થતા.

ગાંધીજીની આ વાત ગળે ઊતરે એવી હતી; પરંતુ ત્યારે જવાહરલાલ નેહરુ, સી. રાજગોપાલાચારી જેવા કૉન્ગ્રેસના ઘણા નેતાઓને આ વાત ગળે નહોતી ઊતરી. તેમને એમ લાગતું હતું કે બીજું વિશ્વયુદ્ધ ખરેખર સભ્યતા અને બર્બરતા વચ્ચેનું યુદ્ધ છે. તેમને એમ પણ લાગતું હતું કે યુદ્ધ માનવીયતાને બચાવી લેવાનો જાગતિક પોકાર છે અને ભારતે આઝાદીની માગણી થોડો સમય મુલતવી રાખીને બ્રિટિશ સરકારને ટેકો આપવો જોઈએ. ગાંધીજીથી ઊલટું તેમને એમ પણ લાગતું હતું કે હિટલર અને મુસોલિની માનવસભ્યતાએ પેદા કરેલા રાક્ષસો છે અને ઉપરથી તેઓ ફાસીવાદી રાક્ષસી વિચારધારા સાથે યુદ્ધ લડી રહ્યા છે, જો યુદ્ધમાં જર્મની અને ઇટાલીનો વિજય થશે તો સામ્રાજ્યવાદી સંસ્થાનવાદની જગ્યા ફાસીવાદી સંસ્થાનવાદ લેશે અને એ ભયાનક હશે. હા, સામે હિટલર અને મુસોલિની છે એટલે ચર્ચિલને મહાત્મા નહીં તો માણસ તો કહેવા જ પડશે. કૉન્ગ્રેસના કેટલાક નેતાઓએ તો કૉન્ગ્રેસની પ્રાંતીય સરકારોએ રાજીનામાં આપવાં જોઈએ એવા પ્રસ્તાવનો પણ વિરોધ કર્યો હતો. ટૂંકમાં, કૉન્ગ્રેસની અંદર બીજા વિશ્વયુદ્ધને લઈને લાંબું વિચારમંથન ચાલ્યું હતું અને નિર્ણય કરવો સહેલો નહોતો.

એક માત્ર સુભાષચંદ્ર બોઝના મનમાં કોઈ મૂંઝવણ નહોતી. તેઓ એમ માનતા હતા કે દુશ્મનના દુશ્મન મિત્ર તરીકે ભારતે ધરી રાષ્ટ્રોને મદદ કરવી જોઈએ અને ભારતમાંથી અંગ્રેજોને તગેડવા મદદ લેવી જોઈએ. તેમની આ રણનીતિને લગભગ હસી કાઢવામાં આવી હતી, કારણ કે એમાં નર્યું રાજકીય અજ્ઞાન અને ભોળપણ હતું. તેમની દેશદાઝ અને જવાંમર્દી માટે જેટલી વાર વંદન કરો એટલાં ઓછાં છે, પરંતુ એમાં રાજકીય અપરિપક્વતા હતી. તેમને ગાંધીજીએ તેમ જ તેમના મિત્ર (જી હા મિત્ર, જિગરજાન મિત્ર) જવાહરલાલ નેહરુએ સમજાવવાની કોશિશ કરી હતી કે આ દુશ્મનને મારવા જમને ઘરે બોલાવવા જેવું થશે એટલે આવું સાહસ કરવા જેવું નથી. બીજું, આમાં સફળતા મળવાની શક્યતા નહીંવત્ છે. સુભાષબાબુ તો સુભાષબાબુ હતા. સંકલ્પ કર્યો કે એની પૂર્તિ માટે જાન આપી દેનારા. એ  પછી જે બન્યું એ ઇતિહાસ છે. સુભાષબાબુની શહાદત એ કારણ વગરની શોકાંતિકા છે.

સામ્યવાદીઓએ તો પોતાને જોકર સાબિત કર્યા હતા. બીજા વિશ્વયુદ્ધને પ્રારંભમાં સામ્યવાદી રશિયાએ સામ્રાજ્યવાદી યુદ્ધ જાહેર કર્યું હતું એટલે ભારતના સામ્યવાદી બિરાદરો બ્રિટનના યુદ્ધપ્રયાસોનો વિરોધ કરતા હતા. તેમણે કૉન્ગ્રેસ નિર્ણય લે એ પહેલાં નિર્ણય લઈ લીધો હતો એટલે સરકારે તેમને જેલમાં ધકેલી દીધા હતા. એ પછી હિટલરે રશિયા પર હુમલો કર્યો અને અત્યાર સુધી તટસ્થ રહેલા રશિયાએ મિત્રરાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં ઊતરવું પડ્યું હતું. રશિયા જેને સામ્રાજ્યવાદી યુદ્ધ તરીકે ઓળખાવતું હતું એ નવી સ્થિતિમાં લોકયુદ્ધ (પીપલ્સ વૉર) તરીકે ઓળખાવા લાગ્યું. અહીં ભારતમાં પણ સામ્યવાદીઓ બીજા વિશ્વયુદ્ધને લોક્યુદ્ધ તરીકે ઓળખાવવા લાગ્યા અને બ્રિટિશ સરકારને મદદ કરવા લાગ્યા. એટલે તો સામ્યવાદીઓ માટે મજાકમાં એમ કહેવાતું હતું કે રશિયામાં વરસાદ પડે તો ભારતના સામ્યવાદીઓ અહીં છત્રી ઉઘાડતા હતા. 

ડૉ. બાબાસાહેબ આંબેડકરે અને સામ્યવાદીમાંથી માનવતાવાદી (હ્યુમનિસ્ટ બનેલા માનવેન્દ્રનાથ રૉયે બ્રિટિશ સરકારને ઉઘાડો અને સક્રિય ટેકો આપ્યો હતો. ભારત છોડો આંદોલનને નિષ્ફળ બનાવવા માટે, બ્રિટિશ સરકારને ટેકો આપવા માટે અને બ્રિટિશ સરકારના યુદ્ધપ્રયાસોની તરફેણમાં લોકમત બનાવવા માટે આ બન્ને નેતાઓને મહિને ૧૩,૦૦૦ રૂપિયા આપવામાં આવતા હતા. ડૉ. આંબેડકર જ્યાં સુધી દલિતોના પ્રશ્ને કૉન્ગ્રેસ સાથે પાકી સમજૂતી ન થાય અને કૉન્ગ્રેસ એની દલિતો માટેની નીતિ સ્પષ્ટ ન કરે ત્યાં સુધી નહોતા ઇચ્છતા કે ભારત સ્વતંત્ર થાય. તેમને કૉન્ગ્રેસ પર અને કંઈક અંશે ગાંધીજી પર પણ ભરોસો નહોતો. માનવેન્દ્રનાથ રૉય એવું માનતા હતા કે સંસ્થાનવાદ અને ભારતની આઝાદી કરતાં આધુનિક માનવીય મૂલ્યોની કિંમત અદકેરી છે માટે મિત્રરાષ્ટ્રોનો વિજય જરૂરી છે. ફાસીવાદ એક ભસ્માસુર છે એટલે ઇન્ડિયન ફ્રીડમ કૅન ઍન્ડ શુડ વેઇટ.

સાવરકર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સહાનુભૂતિ ઇટલીના ફાસિસ્ટ બેનેટો મુસોલિની માટે હતી. બી. એસ. મુંજે નામના હિન્દુત્વવાદી નેતા અને ડૉ. હેડગેવારના ગુરુ ઇટલી જઈ આવ્યા હતા અને ઇટલીમાં ફાસીવાદી સંગઠન કઈ રીતે કામ કરે છે, કઈ રીતે લોકોને ભરમાવે છે, કઈ રીતે સંગઠનની બાંધણી કરે છે, કઈ રીતે તેઓ સત્તા સુધી પહોંચ્યા હતા એનો અભ્યાસ કરી આવ્યા હતા. તેમણે નાશિકમાં ભોસલા મિલિટરી સ્કૂલની સ્થાપના કરી હતી અને તેમના હિન્દુત્વવાદી મિત્ર બૅરિસ્ટર જયકરે મુંબઈમાં સ્વસ્તિક લીગની (હિટલરનો સ્વસ્તિક યાદ હશે). એટલે તો RSS ઇઝ મોર ઇટાલિયન ધેન સોનિયા ગાંધી એમ કહેવાય છે.

બન્યું એવું કે એ પછી વિશ્વયુદ્ધ શરૂ થયું અને બ્રિટિશ સરકારે વિરોધ કરનારાઓને જેલમાં પૂરવાનું શરૂ કર્યું ત્યારે તેમનાં ગાત્રો ઢીલાં થવા લાગ્યાં હતાં અને ડરીને તેમણે સરકારને લખીને જણાવ્યું હતું કે તેઓ સરકારના યુદ્ધપ્રયાસોને ટેકો આપે છે અને ગાંધીજીના ભારત છોડો આંદોલનનો વિરોધ કરે છે. તેમણે જરા વધારે પડતી વફાદારી બતાવવી જરૂરી હતી, કારણ કે બી. એસ. મુંજે ઇટલી ગયા હતા અને મુસોલિનીને મળ્યા હતા એની સરકારને જાણ હતી અને તેમને ડર હતો કે સરકાર તેમને છોડશે નહીં. એટલે તો એ સમયે મજાકમાં એમ કહેવાતું હતું કે ભૂગર્ભ આંદોલન કરનારાઓ માટે છુપાવા માટે સૌથી સુરક્ષિત જગ્યા સામ્યવાદીઓ અને હિન્દુત્વવાદીઓનાં રહેઠાણો અને ઑફિસો છે.

છેલ્લે મુસ્લિમ લીગ. મુસ્લિમ લીગે કૉન્ગ્રેસ જ્યાં સુધી પોતાની ભૂમિકા સ્પષ્ટ ન કરે ત્યાં સુધી દહીં-દૂધમાં પગ રાખ્યો હતો. આગળ કહ્યું એમ કૉન્ગ્રેસમાં બ્રિટિશ સરકારને શરતી ટેકો આપવો કે બિનશરતી એ વિશે મતભેદ હતા. કૉન્ગ્રેસે જ્યારે શરત રજૂ કરી અને છેવટે અંગ્રેજોને ભારત છોડીને જતા રહેવાનું આંદોલન કરવાનો નિર્ણય લીધો એ પછીથી મુસ્લિમ લીગે બ્રિટિશ સરકારને ખુલ્લો ટેકો આપ્યો હતો. સ્વાભાવિકપણે સરકાર કૉન્ગ્રેસવિરોધી વલણ અપનાવવાની હતી અને એમાં મુસ્લિમ લીગને ફાયદો હતો. મુસ્લિમ લીગ બની શકે એટલા પ્રમાણમાં સરકારની નજીક ગઈ હતી અને બ્રિટિશ સંકટનો વધુમાં વધુ લાભ લીધો હતો. મોહમ્મદઅલી જિન્નાહે માત્ર એક ટાઇપરાઇટર દ્વારા એક રાજ્ય(પાકિસ્તાન)ની સ્થાપના કરી હતી એમ જે કહેવાય છે એમાં બીજા વિશ્વયુદ્ધનો મોટો ફાળો હતો. બ્રિટિશ સરકારે પાકિસ્તાન માટેના આંદોલનને શિરપાવ તરીકે વળતો ટેકો આપ્યો હતો અને લીગને એમાં દરેક પ્રકારની મદદ કરી હતી.

કૉન્ગ્રેસે જો બ્રિટિશ સરકારને બિનશરતી ટેકો આપ્યો હોત અને જો ભારત છોડો આંદોલન ન કર્યું હોત તો ભારતનું વિભાજન ન થયું એવી એક થિયરી છે. કૉન્ગ્રેસે ૧૯૩૭માં સંયુક્ત પ્રાંત (અત્યારનું ઉત્તર પ્રદેશ) મુસ્લિમ લીગ સાથે ભાગીદારીમાં સરકાર રચી હોત તો ભારતનું વિભાજન ન થયું હોત એવી બીજી થિયરી છે. ઇતિહાસમાં જો અને તોની વાતો થતી જ રહેતી હોય છે, પરંતુ એનો કોઈ અર્થ હોતો નથી. દરેક નિર્ણય પ્રાપ્ત પરિસ્થિતિના સંદર્ભમાં લેવાતો હોય છે.

ખેર ૧૯૪૨નું આંદોલન થયું એનો ઇતિહાસ આપણે બધા જાણીએ છીએ, પરંતુ એક ઓછા જાણીતા ઇતિહાસ વિશે રાજમોહન ગાંધીએ તેમના પુસ્તક ‘મોહનદાસ’માં ધ્યાન ખેંચ્યું છે. બ્રિટિશ સરકારે કૉન્ગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓને એક જ જેલમાં અહમદનગરના ર્ફોટમાં કેદ કર્યા હતા. આવું આ પહેલાં કોઈ આંદોલન વખતે બન્યું નહોતું. લગભગ બે વરસના જેલવાસ દરમ્યાન કૉન્ગ્રેસના નેતાઓ વચ્ચે બે વાતની સંમતિ બની ગઈ હતી. એક, યુદ્ધ પછી બ્રિટિશ સરકાર એટલી કમજોર થઈ ચૂકી હશે કે ભારતને આઝાદ કરવા સિવાય સરકાર પાસે બીજો કોઈ માર્ગ નહીં હોય અને એ સ્થિતિમાં પાકિસ્તાન આપી દેવામાં ભારતનું હિત છે. આને કારણે આઝાદી વહેલી મળશે અને અર્થાન્તરે સત્તા પણ વહેલી મળશે. બે, મોહનદાસ કરમચંદ ગાંધી નામના માણસનો ખપ હવે પૂરો થઈ ગયો છે એટલે હવે તેમની ઉપેક્ષા થઈ શકે એમ છે. આમાં સરદાર પટેલ અગ્રેસર હતા. ૧૯૧૬થી ૧૯૪૨ દરમ્યાન સરદાર ગાંધીજીનો પડ્યો બોલ ઝીલતા હતા અને ગાંધીના સરદાર તરીકે ઓળખાતા હતા એ જ સરદાર ગાંધીજીને સૌથી ઓછું સાંભળતા હતા.

એ પછીનાં વર્ષો ગાંધીજીની પીડાનાં વર્ષો છે, એકલતાનાં વર્ષો છે, અરણ્યરુદનનાં વર્ષો છે એ આપણે જાણીએ છીએ. અંતે ઇતિહાસનાં વહેણોને ક્યાં કોઈ બદલી શક્યું છે. જે બન્યું એ ઇતિહાસ છે.

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે-સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 06 અૉગસ્ટ 2017

Loading

...102030...3,3173,3183,3193,320...3,3303,3403,350...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved