Opinion Magazine
Number of visits: 9584087
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આઝાદીના 70 વર્ષનાં સંભારણાં

સરોજબહેન અંજારિયા|Opinion - Opinion|11 August 2017

15 ઓગસ્ટ 1947. 17 વર્ષની હું. ભાવનગરની મુકતાલક્ષ્મી મહિલા વિદ્યાલયની વિદ્યાર્થિની. 14મી ઓગસ્ટની મધરાતે બાર વાગે સાર્વજનિક છાત્રાલયના ચોગાનમાં ગણ્યાગણાય નહીં તેટલા મોટા સમૂહે આનંદાશ્રુ સાથે ઘ્વજવંદન કર્યું. તે વખતે ‘ઝંડા અજર અમર રહેજે વધ વધ આકાશે જાજે’ પહેલું ગવાયું. ‘જન ગણ મન અધિનાયક’, ‘સારે જાહાંસે અચ્છા’, ‘ઝંડા ઊંચા રહે હમારા’ એ રાષ્ટ્રગીતો ગવાયાં, ત્યારે જે ગૌરવ અને સ્વાભિમાનની લાગણી થઇ તે અજોડ હતી, ત્યાર પછી તેવી કદી નથી અનુભવવા મળી.

વિશ્વમાં બનતી ઘટનાઓનાં મારાં સ્મરણો છેક 1939માં શરૂ થયેલ દ્વિતીય વિશ્વયુદ્ધથી આરંભાય છે. તે સમયે છાપાંઓમાં સમાચાર વાંચવા મળતા. સત્યાગ્રહ સંગ્રામનો ઇતિહાસ હું જાણતી હતી. ત્યાં આવી 1942ની સાલ. 9મી ઓગસ્ટે ‘ભારત છોડો’નું એલાન થયું. ભુજમાં હું મારા સહપાઠીઓ સાથે સરઘસ, પ્રભાતફેરી, દારૂના પીઠાં અને સરકારી ઓફિસો પર પિકેટિંગ વગેરેમાં શામેલ થઇ. ‘સર જાવે તો જાવે પર આઝાદી ઘર આવે’, ‘અસ્સી નહીં હારના, કભી નહીં હારના, ચાહે સારી જાન જાયે, કભી નહીં હારના,’ વગેરે જેવાં જોમભર્યા દેશભક્તિની લાગણીઓથી તરબોળ ગીતો ગાતાં શેરીઓ ગજવી દીધી. એક દિવસ પ્રભાતફેરી વેળા હાથમાં ત્રિરંગો પકડી ‘નહીં નમશે નહીં નમશે નિશાન ભૂમિ ભારતનું,’ ગાતાં ગાતાં શેરીઓમાં ફરતાં હતાં અને ધ્વજ નીચે પડવા નહોતાં દેતાં, તેથી અમ બાર-ચૌદ વર્ષની ઉંમરનાં બાળકોની ધરપકડ કરી શકાય તેવી જોગવાઈ ન હોવાને કારણે અમને સહુને એક મોટા ઓરડામાં બેસાડી રાખ્યાં. એ ચારેક કલાકની શિક્ષા દરમ્યાન અમે શાંતિથી બેસીને રાષ્ટ્રગીતો ગાઈને અમારા નૈતિક બાલ અને જોમ-જુસ્સાને ટકાવી રાખ્યાં. આઝાદીની લડતમાં યતકિંચિત ફાળો આપ્યાના સંતોષની મારી એ પળો હતી.

1947થી 2017 સુધીનાં 70 વર્ષોની ઘટનાઓ એક એક દાયકાના મણકા રૂપી મારી સ્મૃિતમાળામાં પરોવાઈ રહ્યાં છે.

પહેલા દાયકામાં સહુથી મોટી આઘાતજનક ઘટના – 30 જાન્યુઆરી 1948માં ગાંધીજીની હત્યા. હું ભાવનગર ભણતી હતી. ત્યાંના છાત્રાલયમાં સાંય ભોજન પછી વાસણ સાફ કરતાં હતાં ત્યાં અચાનક એક સહપાઠી બહેને પડોશના રેડિયો પર સાંભળેલ સમાચાર કહ્યા. અમારું હાસ્ય આઘાત અને રુદનમાં પલટાઈ ગયું. બે-ત્રણ દિવસ સુધી રેડિયો પર સતત આ ઘટના વિશેના અહેવાલો સાંભળતાં રહ્યાં.

1950માં ભારત પ્રજાસત્તાક બન્યું. ‘47માં વિદેશી શાસનમાંથી મુક્તિનો આનંદ હતો, તો ‘50માં સુવ્યવસ્થિત ન્યાય અને વહીવટી તંત્ર ઊભાં કર્યાનો હરખ હતો. 1951ની સાલ એક અનોખી ચળવળના મંડાણ લઈને આવી. વિનોબાજી પ્રેરિત ભૂદાન આંદોલનમાં અમે સક્રિય ભાગ લીધો. 1952માં પ્રથમ સામાન્ય ચૂંટણી થઇ. તે વખતનો માહોલ કેમેય વિસરાય તેવો નથી. અમે અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં કામ કરતાં હતાં. સ્વ. જવાહરલાલ નહેરુનું ભાષણ સાંભળવા બે બળદ જોડેલ ગાડામાં અમદાવાદના એરપોર્ટ પાસેના મેદાનની સફર, જવાહરલાલજીનું જોમ જુસ્સાથી ભરેલ ઉદ્દબોધન અને પ્રજાનો ઉત્સાહ હજુ પણ દિલમાં કંપન પેદા કરે છે. પહેલા દાયકામાં હિજરતીઓને આવાસ અને રોજગારીની તકો આપવાના પ્રયત્નો થયા, પ્રાથમિક શિક્ષણનો પ્રસાર થયો, ખેતીમાં વિકાસ થયો અને આમ પ્રજામાં સરકારી અને વહીવટી બાબતો વિષે જાગૃતિ આવી.

આઝાદી બાદનો બીજો દાયકો ઘણી આશા-ઉમંગ સાથે શરૂ થયો. 1960ની સાલ મહાગુજરાતની સ્થાપના રવિશંકર મહારાજના શુભ ઉદ્બોધનથી થઇ એટલે કાયમ યાદ રહેશે. પોર્ટુગીઝ શાસન તળે હજુ ત્રણેક રાજ્યો હતાં જેમાંના દમણને 1954માં અને દીવ અને ગોવાને ‘61માં સંપૂર્ણપણે ભારતના કબજા હેઠળ સમાવી દીધું એ સમયે જાણે પૂર્ણ સ્વાતંત્ર્યનું સ્વપ્ન સાકાર થયું લાગેલું. 1962માં ચીન સાથે લડાઈ થઇ તેનું ય સ્મરણ હજુ તાજું જ હતું, ત્યાં 27 મે 1964ને દિવસે આખા દેશને, કહો કે આખી દુનિયાને શોકમાં ગરકાવ કરે એવા સમાચાર આવ્યા – ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું અવસાન થયું. દેશ જાણે 1948માં ગાંધીજીના ચાલ્યા જવાથી જેમ નોધારો બની ગયો તેમ નહેરુના જવાથી એક ન પૂરી શકાય તેવા અવકાશમાં ઘેરાઈ ગયો. દેશનું સુકાન લાલબહાદુર શાસ્ત્રીએ સુપેરે સાંભળ્યું. એ ગમગીનીનીનાં વાદળો હજુ હઠ્યાં નહોતાં ત્યાં 1965માં પાકિસ્તના સાથે કાશ્મીરના પ્રશ્ને યુદ્ધ થયું. ચીન અને પાકિસ્તાન સાથેની લડાઈમાં ભારતની જીત થઇ એમ કહી શકાય. આમ જુઓ તો આઝાદી સમયે નવા બનેલ રાષ્ટ્ર પાકિસ્તાન સાથે યુદ્ધ નહોતું ખેલાયું, પરંતુ પરસ્પર બંને દેશની કોમના સંહારનો દોર તો ચાલેલો જ. તેમ ઈ.સ.1971-72માં બાંગલાદેશની વહારે ધાઈને ફરી ભારતે પાડોશી પાકિસ્તાન સાથે યુદ્ધ ખેલ્યું અને જાણે એ પૂરતું ન હોય તેમ ‘99માં કારગીલ યુદ્ધ તરીકે જાણીતું થયેલ યુદ્ધ પણ વિસરાય તેવું નથી. આઝાદી પછીનો બીજો દાયકો જાણે સરહદી પ્રશ્નો અને નેતાગીરીના શૂન્યાવકાશ લઈને આવ્યો. ઈ.સ.1966માં ભારત દેશે પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ઇન્દિરાબહેનની વરણી કરી.

સ્વતંત્રતા પ્રાપ્તિના ત્રીજા દાયકામાં પગ માંડતાં જાણે દેશ અનેક અનુભવોમાંથી પસાર થઇ ચુક્યો હોય તેમ લાગતું હતું. 1972માં ફરી ભારત એક સશસ્ત્ર સંગ્રામમાં સંડોવાયું. બાંગ્લાદેશ પાકિસ્તાનના તાબામાંથી મુક્ત થવા પ્રયાસ કરી રહ્યું હતું તેને ભારતે સહાય કરીને વિજય અપાવવામાં નિમિત્ત બન્યું. તે દરમ્યાનમાં પ્રજાને કેન્દ્રીય શાસન વિષે અનેક બાબતોમાં અસંતોષ હતો તે વિવિધ રૂપે પ્રગટ થવા લાગ્યો. કોંગ્રેસ પક્ષના બે વિભાગ થયા, એક ઇન્દિરાબહેન તરફી કોંગ્રેસ આઈ. અને બીજો માત્ર કોંગ્રેસ પક્ષ. તત્કાલીન વડાપ્રધાને દેશને સુરક્ષિત રાખવાના બહાને કટોકટી જાહેર કરી. વિચાર અને વાણી સ્વાતંત્ર્યને મર્યાદિત કરવામાં આવ્યું, ઠેર ઠેર કર્ફ્યુ લાદવામાં આવતા, સમાચાર માધ્યમો પર અંકુશ મુકાયા. એ સમયે અમે, જેમણે આઝાદીને રુમઝુમ કરતી આવેલી જોઈ હતી તેઓ સ્વતંત્રતાને શોધવા લાગ્યા. આમ આઝાદી બાદનો ત્રીજો દાયકો ઘેરી નિરાશા સાથે પૂરો થયો.

1977-1987ના દસ વર્ષના ગાળામાં ભારતમાં મહદ્દ અંશે વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વિકાસ થયો જેના કેટલાક ફાયદાઓ આમ જનતાને અનાયાસ થયા. ગુજરાતના કમનસીબે ‘79માં ગજબનું પૂર આવ્યું અને તમામ પ્રજાએ કરુણા અને સ્વાર્પણ દાખવી એ પરિસ્થિતિનો સામનો કર્યો. જનતા પક્ષ, જનસંઘ અને સમાજવાદી પક્ષ કોંગ્રેસને હંફાવવા ઉભરી આવેલા. રાજકીય ઝંઝાવાતો વચ્ચે 1980માં ઇન્દિરાબહેન ગાંધી ફરી વડાપ્રધાન પદે ચૂંટાઈ આવ્યાં. તત્કાલીન સરકારની ગૃહનીતિ એવી હતી કે સીખ લોકોને પોતાના અધિકારોની રક્ષા ન થતી હોવાની લાગણી બળવત્તર બની જેને પરિણામે 1984માં ઇન્દિરાબહેનના બોડીગાર્ડના હાથે તેમનું મૃત્યુ નીપજ્યું. આ એક અત્યંત કરુણ ઘટના હતી. આમ પહેલા ત્રણ દાયકાની રાજકીય સ્થિરતા કે જે લોકશાહીનાં મૂલ્યોને જાળવીને પ્રગતિ પામતી રહી તેની ઓટનાં મંડાણ થઇ ચૂક્યાં.

1980-90ના દાયકા દરમ્યાન હું શિક્ષણ ક્ષેત્રે સક્રિય હતી તેથી કહી શકું કે અમે જેવા ભારતની કલ્પના કરેલી એવો દેશ બનાવવા શિક્ષણ અને સ્વાસ્થ્ય, ખેતી, ઉદ્યોગો અને વ્યાપાર એ સઘળાં ક્ષેત્રો જાણે સાચી દિશામાં ડગ માંડીને દોડતા હતા. ત્યાર બાદ વિકાસની પ્રગતિ ઝડપી થઇ ગઈ પણ તેનું સુકાન જાણે બદલાઈ ગયું. 1990માં બજારોનું ઉદારીકરણ થયું, વિદેશી કંપનીઓએ ભારતમાં પગપેસારો કર્યો. જાણે સમગ્ર અર્થતંત્ર ચપટીભર ધનવાનોને લક્ષ્યમાં રાખીને ચાલવા લાગ્યું. 1992 પછી સમાજના તાણાવાણા નબળા પાડવા લાગ્યા, કોમી તણાવ વધવા માંડ્યો. આઝાદીની અર્ધ શતાબ્દી કંઈ કેટલા ય પ્રશ્નો છોડી ગઈ.

21મી સદીનું પ્રથમ વર્ષ સારા ય ભારત વર્ષ માટે, પણ મુખ્યત્વે ગુજરાત માટે ગોઝારું નીવડ્યું. 26 જાન્યુઆરી 2001ને દિવસે એક ભારે વિનાશક ભૂકંપે ધરા ધ્રુજાવી દીધી. તેનું મધ્યબિંદુ કચ્છ વિસ્તારમાં હોવાને કારણે ત્યાં સહુથી વધુ તારાજી સર્જાઈ. ફરીને લોકોએ એકમેકને સાથ આપીને આ કુદરતી ઘટના વખતે માનવતાનું અદ્દભુત દ્ર્ષ્ટાન્ત પૂરું પાડ્યું. જાપાન અને અન્ય દૂર પૂર્વના દેશોના કેટલાક પ્રદેશો સુનામીમાં લુપ્ત થયા અથવા માનવની જાનહાનિનો ભોગ બન્યા. ભારતથી હજારો માઈલ દૂર અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હવાઈ હુમલો થયો, હજારો નિર્દોષ કર્મચારીઓ અને મુલાકાતીઓએ જાન ગુમાવ્યા, જેનાં વમળોમાં હજુ આજે પણ દુનિયા ફસાઈ છે. તેવામાં 2002માં ગોધરા અને અનુગોધરા હત્યાકાંડ ભારતની પ્રતિમા પર કાળું ટીલું લગાવી ગયા. ઇકબાલ રચિત ગીત ‘મઝહબ નહીં સિખાતા આપસમેં બૈર રખના’ અમે ગાતાં એ ભાવના જાણે કોમી આગની ચિતામાં ભસ્મ થતી જોઈ.

આઝાદી મળ્યા પછીના આ છેલ્લા દાયકા દરમ્યાન ભારતમાં આધુનિક ઉપકરણો જેવા કે સ્માર્ટ ફોન, કમ્પ્યુટર વગેરેની ઉપલબ્ધિ સરળ બની જેને કારણે માહિતી અને પ્રચાર-પ્રસાર માધ્યમો ઘેર ઘેર મળતાં થયાં. આ સુવિધાનો લાભ શિક્ષણ ક્ષેત્રે પણ મળવા લાગ્યો. નવી પેઢી પોતાને વધુ સ્માર્ટ અનુભવવા લાગી, તેમનામાં એક જુદો જ આત્મવિશ્વાસ દેખાવા લાગ્યો. દુનિયા આખીને નવી ટેક્નોલોજીમાં નિષ્ણાત વૈજ્ઞાનિકો અને પ્રોગ્રામ બનાવનારા પૂરો પાડનાર દેશ તરીકે ભારતની ખ્યાતિ વધી.

આ 70 વર્ષનું સરવૈયું કાઢવા બેસું છું ત્યારે ભારતે મેળવેલ સફળતાઓની લાંબી શૃંખલા સુખદ લાગણી જગાડી જાય છે. ખેત પેદાશ વધી. હરિયાળી ક્રાંતિએ દેશને અનાજ ઉત્પાદનમાં પગભર બનાવ્યો અને ભૂખમરો અને દુષ્કાળ જેવા ભયંકર આપદકાળને પહોંચી વળવાની તાકાત કેળવી. એવું જ શ્વેત ક્રાંતિને પરિણામે દૂધ અને તેની ઉપજોને કારણે કુપોષણને નાથવાનું શક્ય બન્યું. દેશના મોટા ભાગના પ્રાંતોમાં રસ્તાઓ અને રેલવેમાં સુધાર આવ્યો, લોકો અને માલ-સામાનની હેરાફેરીથી ફાયદો થયો. શિક્ષણનો પ્રસાર થયો. સ્ત્રીઓની આર્થિક અને સામાજિક સ્થિતિમાં સુધારો થવાનાં મંડાણ થયાં. અસ્પૃશ્યતા જેવી સામાજિક બદીઓની પકડ ઢીલી થઇ. વીજળી અને પાણીની સુવિધાઓ હવે દૂર સુદૂરના ગામોમાં પહોંચવા માંડી છે. આરોગ્ય અને સારવારની વ્યવસ્થા વધવાની સાથે આયુષ્ય મર્યાદા વધી, બાળ મરણ ઘટ્યું. અર્થ વ્યવસ્થા ભલે હજુ ચંદ ધનિકોને જ લાભકારી રહી છે છતાં રસ્તે રઝળતા ભિક્ષુકોની સંખ્યા ઓછી જોવા મળે છે.

ઓગસ્ટ માસ એટલે ભારતના ઇતિહાસમાં અનેક યાદગાર દિવસોની શૃંખલાઓનો મહિનો. પહેલી ઓગસ્ટ બાળગંગાધર તિલકનું નિધન, સાત ઓગસ્ટ રવીન્દ્રનાથ ટાગોરનું નિધન, નવ ઓગસ્ટ 1942ને દિવસે ભારત છોડો આંદોલનનું એલાન થયું, અને 15મી ઓગસ્ટ એટલે શ્રી મહર્ષિ અરવિંદની જન્મતિથિ, ગાંધીજીના સચિવ મહાદેવભાઈ દેસાઈની પુણ્યતિથિ અને ભારતનો સ્વાતંત્ર્ય દિન. આ વર્ષે ખાસ કરીને ભારતની સિદ્ધિના લેખાં-જોખાં સહેજે થઇ જાય. ઉપર ગણાવેલ સફળતાઓ સામે બીજા પલ્લામાં હજુ કેટલું કરવાનું બાકી છે તેની યાદી પણ ઓછી લાંબી નથી. આરોગ્ય સેવાઓ અત્યન્ત મોંઘી છે, તેને સુલભ કરવી જરૂરી છે. એવું જ આવાસ અને નાનાં ગામડાઓમાં મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડતી સેવાઓ પહોંચી નથી. નાના ઉદ્યોગો અને ખેતીને અવગણીને મોટા આંતરરાષ્ટ્રીય વેપાર-ઉદ્યોગોને મહત્ત્વ આપવાને કારણે ગરીબ-તવંગરની ખાઈ ગહેરી થતી જાય છે જે પ્રજામાં આક્રમક વૃત્તિને પોષે છે. એવું જ જનસામાન્યમાં નાગરિક ભાવના અને કોમ, ધર્મ, જ્ઞાતિ અને જાતિના પાયા પર આધારિત એકતા જેવા કડી રૂપ લક્ષણો અદ્રશ્ય થતાં લાગે છે. કેટલીક રૂઢિગત માન્યતાઓના વર્ચસ્વને કારણે કેટલાક રાજ્યો, કેટલીક જાતિઓ હજુ પણ પછાત રહી ગયાં છે જે હિંસા જન્માવે છે. અને આ બધું જ ક્યારેક દિલમાં નિરાશા જન્માવી જાય. ભારત દેશ જાણે ધનિક થયો છે પણ લોક હજુ રંક રહ્યા છે જેનું કારણ સંપત્તિની અસમાન વહેંચણી છે જે દૂર કરવાની તાતી જરૂરિયાત છે.

આઝાદીના સ્વપ્નોને પૂર્ણ કરવાનો હક દેશના તમામ લોકોને છે. મને નવી પેઢી પર વિશ્વાસ છે કે આઝાદી સમયે જે દિશામાં પ્રગતિના શ્રી ગણેશ મંડાયેલા હતા, તે દિશામાં આજના યુગને અનુરૂપ માર્ગો લઈને આઝાદીને ખરા અર્થમાં ઘેર ઘેર પહોંચાડવાનું અધૂરું કાર્ય પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે.

જય જગત

06-08-2017

Loading

તાર્કિકતા અને વિજ્ઞાનવિચારઃ શિક્ષણનો દાયરો

રોહિત શુક્લ|Opinion - Opinion|11 August 2017

પંડિત નેહરુ આઝાદ ભારતને સાંપડેલા એક અણમોલ રત્ન સમાન હતા. ‘જગતના ઇતિહાસનું રેખાદર્શન’ તથા ‘ઇંદુ(પ્રિયદર્શિની)ને પત્રો’ આજે પણ એટલા જ તાજગીભર્યા અને સાંપ્રત જણાય છે. આઝાદીના સંગ્રામકાળ તથા તે પછીના આઝાદ ભારતના અરુણોદય વેળાએ આ અત્યંત કંગાળ અને અનેક રીતે પીડાતા દેશને પંડિત નેહરુની સેવાઓ અત્યંત શાતાપ્રદ રહી.

તેમણે ભાવિ ભારત વાસ્તે પણ ગહન વિચારો કર્યા હતા અને તેનો નિષ્ઠા અને ખંતથી અમલ કરાવ્યો હતો. ભારતના અર્થતંત્ર, રાજતંત્ર, વિદેશનીતિ, સમાજ વ્યવસ્થા વગેરે જેવાં અનેક ક્ષેત્રોમાં તેમણે નેત્રદીપક કામગીરી બજાવી હતી. આ સમગ્ર વ્યવહાર-વિચારમાં કેન્દ્રવર્તી ખ્યાલ ‘સાયન્ટિફિક ટેમ્પર’, વૈજ્ઞાનિક વલણનો હતો. જે દેશમાં વૈષ્ણવો ‘શિવ’ શબ્દ પણ ન બોલે, કપડાં ‘સીવવાં’ ન કહે પણ કપડાં બનાવ્યાં કહે – તે દેશમાં બિનસાંપ્રદાયિકતા અને તર્કવિચાર અતિ દોહ્યલા હોય છે. ભારતની આઝાદીની લગભગ સાથેસાથે મુક્ત થયેલા અન્ય આફ્રોએશિયન દેશોની સ્થિતિ જોવાથી પણ વૈજ્ઞાનિક વલણના મહત્ત્વનો અંદાજ આવી શકશે. પણ વૈજ્ઞાનિક દૃષ્ટિ, વલણ કે અભિગમનો ઘણો બધો ભાવ શિક્ષણ ઉપર છે. શિક્ષણ દ્વારા સમાજને સુધારતા રહેવાનું બને તેવી નીતિઓની જરૂર રહે જ. ભૂવા, બાધા-આખડી, માનતા, યાત્રાઓ, ‘સાધુ-સંતો’ની પધરામણીઓ વગેરેની પાછળ ધર્મભાવ રહેલો છે. પણ આ ધર્મભાવ અને તાર્કિકતા તથા વધુ વ્યાપક રીતે વિજ્ઞાન પરસ્તી વગર કોઈ પણ સમાજ આધુનિક બની શકતો નથી. ભારતે રોકેટ વિજ્ઞાનના ક્ષેત્રે તાજેતરમાં બે મુખ્ય સિદ્ધિઓ હાંસલ કરીઃ

(૧) માત્ર રૂ. ૪૫૦ કરોડના ખર્ચે મંગળયાન મોકલ્યું. વિશ્વભરના દેશોના આવા પ્રયાસોમાં આના કરતાં ઘણું વધારે ખર્ચ થાય છે. યાનની કામગીરી પૂર્ણપણે સફળ રહી.

(૨) દુનિયાના અનેક દેશો તથા સંસ્થાઓના કુલ ૧૪૦ ઉપગ્રહો એક સાથે જ અંતરિક્ષમાં ભારતે ચઢાવ્યા. આ ક્ષેત્રે પણ ભારતે જ્વલંત સિદ્ધિ હાંસલ કરી.

આ બન્ને નમૂનારૂપ કાર્યો વિજ્ઞાનના આધારે શક્ય બન્યા કે ધર્મના આધારે?

આ રોકેટો સફળતાપૂર્વક છોડવામાં કોઈ મંત્ર, તંત્ર, દોરા-ધાગા, યજ્ઞ, વ્રત કશાની પણ જરૂર ખરી? આમ છતાં આપણા સમાજના બહુ મોટા પ્રમાણમાં લોકો એમ જ કહેશે કે આ બધાને કારણે જ આમ બન્યું. ભારત પાકિસ્તાન સામે ક્રિકેટ રમે ત્યારે યજ્ઞો થતા દેખાય જ છે ને!

કેટલાકના મતે ધર્મભાવ અને વિજ્ઞાન વચ્ચે કોઈ  સંઘર્ષ નથી પણ આવું સિદ્ધ કરવા વાસ્તે ધર્મે પોતાની સીમાઓની પુનઃ વ્યાખ્યાયિત કરવી પડે, વિજ્ઞાને નહીં. વિનોબા ભાવેની દૃષ્ટિમાં જે ધર્મભાવ હતો તે વિજ્ઞાનના વિચારો અને અભિગમને એક સાથે રાખવાનો પ્રયાસ હતો પરંતુ મુખ્ય ચિંતા દેશદુનિયામાં શિક્ષણ તથા આધુનિક શિક્ષણ પામેલા શિક્ષિતોમાં પરંપરા, રૂઢિ તથા અંધશ્રદ્ધાના મોટા પ્રમાણના કારણે છે. તાજેતરના કેટલાક બનાવો ચિંતા ઉપજાવે તેવા છે.

(૧) એક હૉસ્પિટલમાં શિશુ તથા માતૃમૃત્યુ દર ઊંચા રહેતા હતા. સંચાલકોએ હૉસ્પિટલમાં યજ્ઞ કરાવ્યો.

(૨) કોઈક રાજ્ય હવે શિક્ષણમાં જ્યોતિષવિદ્યાનો અભ્યાસ કરાવશે. ધારણા એવી છે કે દર્દીએ રોગના નિદાન વાસ્તે મોંઘાદાટ ટેસ્ટ કરાવવા નહીં પડે. પેલા ડિગ્રીધારી જ્યોતિષી માત્ર પાંચ જ રૂપિયામાં હાથની રેખાઓ જોઈને કે પછી કુંડલી જોઈને રોગનું નિદાન કરશે. આટલું જ શા માટે, જ્યોતિષી તો મરણના ઘડી-પળ પણ વાંચી શકે. આથી તે માત્ર દરદીના રોગનું નિદાન જ નહીં કરે; તેનો ઉકેલી જવાનો સમય આવી લાગ્યો હોય તો સારવાર પણ શા માટે કરવી, તેવું પણ પેલા પાંચ રૂપિયામાં જાણી શકાશે! હવે નીટની પરીક્ષા આપવી અને મેડિકલ કૉલેજોમાં લાંબા સમય સુધી ખર્ચાળ અભ્યાસ કરવાની જરૂર ખરી?

વિજ્ઞાનનો સાથ છોડી દેવાથી નીચે મુજબના વિધાનો કદાચ વધુ સ્વીકાર્ય બનશેઃ

(૧) તુવેરની દાળના ભાવ રૂ.૨૦૦ થાય તે માટે દેશના ગરીબોની કુંડળીમાં રહેલા કોઈક ગ્રહો જવાબદાર છે કે જેમણે તેમને મળનારા પ્રોટિન ઉપર અંકુશ મૂક્યો.

(૨) દેશની જીડીપી ૭.૫ ટકાને બદલે માત્ર ૬.૦ ટકાના દરે વધી કારણ કે ગ્રહ/રાશિની દશા, મહાદશા, અંતર્દશા જ એવા હતા. આ સ્થિતિમાંથી બહાર નીકળવા વાસ્તે અમુક અમુક ગ્રહોની શાંતિ કરાવવી જોઈએ. અમુક મંત્રોનો જાપ કે અમુક યજ્ઞો કરવાથી પણ જીડીપી વધી શકે! કદાચ આ જ્યોતિષીઓ પાસે ‘નોટબંધી’ માટે પણ કોઈક ખુલાસો હશે જ!

અલબત્ત, વ્યાપક સમાજમાં ‘દિલ કી તસલ્લી કે લિયે’ યાત્રા, મન્નત, ધાર્મિક કાર્યો વગેરે ચાલતા રહે તે એક બાબત છે પણ શિક્ષણમાં વિજ્ઞાનેતર અભ્યાસક્રમો દાખલ કરવા માટેનાં કારણો પણ શિક્ષણેતર હોવાનાં. દા.ત. આટ્‌ર્સની ડિગ્રી લઈને બેકાર ફરવું તેના કરતાં થોડુંક કર્મકાંડ કે જ્યોતિષ શીખી રાખ્યાં હોય તો બે પૈસા કમાઈ શકાય એવી દલીલ કરી શકાય. પણ તો સવાલ એ છે કે તેવા અભ્યાસક્રમોને શિક્ષણની મુખ્ય ધારાથી દૂર રાખી શકાય. આવાં ક્ષેત્રોમાં ઔપચારિક શિક્ષણ વ્યવસ્થાના સ્થાને અન્યથા પણ પ્રવર્તતી અનૌપચારિક પ્રથાઓનો ઉપયોગ થઈ જ શકે. પાઠશાળાઓ, ગુરુકુળો, મદ્રેસાઓ, મઠો વગેરેમાં આ શિક્ષણ કહો, સંસ્કાર કહો કે તાલીમ કહો ચાલતાં જ હોય છે.

બીજી તરફ, સમગ્ર દેશમાં પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીની અવદશા ખેદ ઉપજાવે તેવી છે. બાળકો નદીનાળા ઓળંગીને માંડ શાળાએ પહોંચે; ત્યાં ઘણી વાર શિક્ષક ગેરહાજર હોય, ક્યાંક એક જ શિક્ષક ચાર ધોરણોને એક સાથે ‘ભણાવે’; ક્યાંક વર્ગખંડો ન હોય, ક્યાંક શૌચાલયો પણ ન હોય, ગ્રંથાલય કે રમતનાં મેદાનો ન હોય અને હોય તો તેની સ્થિતિ પણ દયા ઉપજાવે તેવી હોય!

સરકારો પોતપોતાનાં ગુણગાન અને સત્તાપરસ્તીમાં મસ્ત હોય અને વાલીવિદ્યાર્થી ત્રસ્ત હોય તેવી સ્થિતિમાં કદાચ નછૂટકે પણ દિલ કી તસલ્લી કે લિયે …, બધું ઈશ્વર ઉપર છોડે જ છૂટકો!

ભારતમાં એક સમયે વિજ્ઞાન જે મહત્ત્વનું હતું તેમાં હવે ઓટ આવતી જણાય છે. ૨૦૧૫ના ‘હિંદુ’ના એક લેખમાં પુષ્પા ભાર્ગવ જણાવે છે કે વિજ્ઞાન વિરોધી પ્રવાહોની સામે તે કોર્ટે ચઢ્યા ત્યારે તેમની પિટિશનમાં સહી કરવા વિજ્ઞાનીઓ પણ આગળ આવ્યા ન હતા.

પૂરતી સમજ વગરના ધર્મ અને અંધશ્રદ્ધાના આધિપત્યને લીધે સમાજ આગળ વધવાની સંભાવનાઓ ગુમાવી રહ્યો છે. જો આવું વિજ્ઞાન વિરોધી અને જ્યોતિષી કે વાસ્તુ જેવા વિચારો કે જેને પ્રો. જયંત નારલીકર જેવા વિદ્વાન વિજ્ઞાની અવૈજ્ઞાનિક ગણાવે છે, તેનું આધિપત્ય વધતું ચાલે તો શું થઈ શકે તેની એક આત્યંતિક કલ્પના કરીએઃ

માનો કે ભારત-ચીન વચ્ચે યુદ્ધ છેડાય છે. આવા સંજોગોમાં જ્યોતિષીઓ નક્ષત્ર, ઘડી, પળ, ગણીને હુમલો કરવાની સલાહ આપશે? આવા યુદ્ધમાં ભાગ લેનાર સેનાનીઓની રાશિ કઈ હોવી જોઈએ તેનો વિચાર થશે? લશ્કરની ભરતી અને ટુકડીઓ બનાવવામાં પણ ગ્રહો-નક્ષત્રો-રાશિફળનો વિચાર થશે?

આવાં વલણો ચિંતાજનક છે. પ્રો. યશપાલ, યુ.આર. રાવ અને તેમની પહેલાંના ડૉ. વિક્રમ સારાભાઈ કે ડૉ. ભાભાના વિજ્ઞાનની અવદશા કરવાથી આ દેશ જગતગુરુ કે મહાસત્તા બની શકે નહીં.

સમગ્ર જગતમાં વિજ્ઞાન આધારિત સમાજો ઘડાતા આવ્યા છે. તેમાં માનવતા અને સમતાલક્ષી જેવા આયામો ઉમેરાયા છે. જગત ડિજિટલ ક્રાંતિ અને આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સના માર્ગે ચઢી ચૂક્યું છે અને ચોથી ઔદ્યોગિક ક્રાંતિ મંડાઈ ચૂકી છે. આ સઘળું તર્કબદ્ધ, તથ્ય આધારિત અને નિષ્પક્ષ વિચારણાઓના ફળસ્વરૂપે છે. માનવજાત સમગ્રનો આ માર્ગ છે. આપણે વિખૂટા પડી ન શકીએ.

બીજી તરફ, જ્ઞાન અને અનુભવના ક્ષેત્રના અનેક બનાવો ચમત્કારોનું અસ્તિત્વ પણ દર્શાવે છે. રમણ મહર્ષિ, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ, પૂ. મોટા જેવા અનેકના જીવનમાં ચમત્કારિક એટલે કે વિજ્ઞાનના જે તે સમયના માપદંડોથી સમજાવી ન શકાય તેવી ઘટનાઓ પણ બની છે.

આ સંજોગોમાં વિજ્ઞાન, વિજ્ઞાનની પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક માનસિકતા અથવા વલણ કે અભિમુખતા વચ્ચે જરૂરી ભેદરેખા દોરવાની રહે. વિજ્ઞાન પોતે એક એવા જ્ઞાનનો સમુચ્ચય છે કે જે નિષ્પક્ષ તપાસ, તાર્કિકતા અને તથ્યોની કસોટીમાંથી નિષ્પન્ન થયો હોય છે. વિજ્ઞાન હંમેશાં પરિવર્તનક્ષમ, લચીલું અને ખુલ્લું હોય છે.

વૈજ્ઞાનિક પદ્ધતિમાં નિરીક્ષણ, અનુભવો, અનુમાનો, પરિકલ્પનાની કસોટી વગેરે ઓજારોનો ઉપયોગ સમાવાય છે. જ્યારે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતું માનસ, વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે ત્યારે વિજ્ઞાનનો પિંડ આકાર લે છે.

ધર્મ અને તેની આસપાસની તમામેતમામ બાબતોને વૈજ્ઞાનિક માનસમાંથી નિપજતા સવાલોના સંદર્ભે પ્રયોજાતી વૈજ્ઞાનિક પદ્ધતિ વડે તપાસાય અને પછી જે બચે તે આવકારપાત્ર બને. બાકી જે છૂટી જાય તે પરંપરા, અંધશ્રદ્ધા, માનસિક ભ્રમ, મનની શાંતિ માટેની વ્યવસ્થા વગેરે જેવાં ક્ષેત્રોમાં મૂકી શકાય.

આથી જ શિક્ષણમાં વિજ્ઞાનનું મહત્ત્વ છે. દરદી મેડિકલ પ્રોફેશનના આધારે જીવવો જોઈએ; હસ્તરેખા કે ગ્રહોની ચાલના આધારે નહીં. હૉસ્પિટલની સેવાઓને વધુ કાર્યક્ષમ બનાવવાની હોય, યજ્ઞો કરવાથી શિશુ-માતૃ મૃત્યુદર ઘટે નહીં.

તા. ૯મી ઑગસ્ટે ભારતનાં શહેરોમાં વૈજ્ઞાનિક અભિગમના સમર્થન માટે સરઘસો નીકળવાનાં છે. એપ્રિલ, ૧૭માં આ પ્રકારનાં સરઘસો અમેરિકામાં યોજાયાં હતાં.

વૈજ્ઞાનિક અભિગમની વિરુદ્ધ જવાથી હવે સમસ્ત માનવજાતનું નિકંદન નીકળી જાય તેમ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પેરિસ કરાર નહીં સ્વીકારવાની જીદ કરી છે. આથી આવનારાં વર્ષોમાં પર્યાવરણને અતિ ગંભીર નુકસાન થવાનું છે.

યુદ્ધખોર માનસિકતા, આડેધડ ઉદ્યોગીકરણ, ભ્રષ્ટાચાર, બિનકાર્યક્ષમ અને સંવેદનહીન વહીવટ માટેનાં માઠાં ફળ સમગ્ર વિશ્વ ભોગવવાનું છે. હાલમાં જ દક્ષિણ ધ્રુવ પ્રદેશમાંથી એક વિશાળ હિમ ટુકડો જેનો વિસ્તાર કચ્છ જિલ્લા જેટલો અને દળ છ બુર્જ ખલિફા જેટલું છે તે છૂટો પડ્યો છે. આથી સમગ્ર વિશ્વમાં સમુદ્રની પાણીની સપાટી ઊંચકાશે. આથી બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળ વગેરે ઉપરાંત મુંબઈમાં પણ પાણીની સપાટી વધવાથી માનવ સ્થળાંતરની સમસ્યાઓ સર્જાશે.

આ અંગે તાંત્રિકો, ભૂવા, વાસ્તુશાસ્ત્રીઓ કે જ્યોતિષ શાસ્ત્રીઓ કાંઈક કરી બતાવે તો સારું!

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અંક 117, વર્ષ – 11, અૉગસ્ટ 2017; પૃ. 01-04 

Loading

ચીનમાં લોકશાહી માટેના લડવૈયા લિઉ ઝાઓબો

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|11 August 2017

ચીનમાં લોકશાહીની લાંબી અને અહિંસક લડત ચલાવવા માટે નોબેલ શાંતિ પારિતોષિક મેળવનાર અધ્યાપક અને રાજકીય લેખક  લિઉ ઝાઓબોનું તેરમી જુલાઈએ કૅન્સરને કારણે ચીનના શેન્યાન્ગ શહેરની સરકારી હૉસ્પિટલમાં અવસાન થયું. અવસાન સમયે ઝાઓબો  રાજકીય કેદી તરીકે અગિયાર વર્ષના કારાવાસની સજા ભોગવી રહ્યા હતા. તેઓ ૨૦૦૯થી જેલમાં હતા અને ગયા ચારેક મહિનાથી તેમને સારવાર માટે પૅરોલ આપવામાં આવી હતી. ડિપ્રેશન એટલે કે હતાશાથી પીડાઈ રહેલાં તેમના પત્ની ઝિઆ અત્યારે પણ નજરકેદ હેઠળ છે. એકસઠ વર્ષના ઝાઓબોની કાર્યરત જિંદગીના અડધાં એટલે કે સત્તર વર્ષ ચીનની જેલોમાં વીત્યાં છે. આ એવાં વર્ષો હતાં કે જે દરમિયાન તેઓ ચાઇનિઝ સાહિત્યના તેજસ્વી અધ્યાપક તરીકે ઝળહળતી કારકિર્દી બનાવી શક્યા હોત. પણ તેમણે ચીન જેવા દમનકારી દેશમાં નાગરિક સ્વાતંત્ર્ય માટે સંઘર્ષનો કપરો માર્ગ પસંદ કર્યો. તેના માટે તેમને દુનિયાના અનેક દેશોએ અને માનવ અધિકાર સંગઠનોએ ટેકો આપ્યો.

જો કે, ઝાઓબોનું નામ ખુદ ચીનમાં પણ ઓછું જાણીતું હતું. તેમને હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા તે વખતે એ.એફ.પી. સમાચાર સંસ્થાએ આસપાસના જે વીસ માણસોને તેમના વિશે પૂછ્યું તેમાંથી એક જ વ્યક્તિને એમના વિશે ખબર હતી. આમ બનવાનું એક મહત્ત્વનું કારણ એ ચીનની સામ્યવાદી સરકારનાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પરનાં નિયંત્રણો છે. હંમેશ માટે ચીનની સરકાર સામે પડેલા ઝાઓબો વિશે માધ્યમોમાં જે થોડુંઘણું લખાતું તેમાં પણ તેમનો ઉલ્લેખ ઘણું કરીને ચીનદ્રોહી તેમ જ પશ્ચિમપરસ્ત તરીકે જ થતો. તેમના અવસાન પછી ચીન તરફથી તેમના વિશે જે લખાયું તેમાં તેમની માનવ અધિકારો માટેની લડત કરતાં તેમને સરકારે કેવી સારી સારવાર આપી તેના દાવા નોંધવામાં આવ્યા. ચીનના પ્રમુખ અખબાર ‘ગ્લોબલ ટાઇમ્સ’એ તેમને ‘victim led astray’ એટલે કે ગેરમાર્ગે દોરવાઈને ભોગ બનેલા વ્યક્તિ ગણાવ્યા. વળી, દુનિયાનાં માધ્યમોએ તેમના કરેલા ગૌરવનું અર્થઘટન ચીનને ખરાબ ચીતરવાના પ્રયાસ  તરીકે પણ કરવામાં આવ્યું.  તેમના અવસાન અંગે ચીનની સરકારે માધ્યમો પર કડક અંકુશ રાખ્યો છે. ચીનના સર્ચ એન્જિન Baidy કે ટિ્‌વટર જેવાં Weiboમાં LXB એવા તેમના નામના અક્ષરો પણ બ્લૉક કરવામાં આવ્યા છે. Weibo પર તેમનું નામ એન્ટર કરવામાં આવે તો રિઝલ્ટમાં ‘according to relevant laws and policies results for Liu Xiaobo cannot be displayed’ એમ લખાઈને આવે છે. RIP (rest in peace) એવા અક્ષરો પણ સેન્સર ભૂંસી નાખે છે. શ્રદ્ધાંજલિના પ્રતીક સમી કૅન્ડલ એટલે કે મીણબત્તી માટેનો ચીની ભાષાનો શબ્દ કે તેનું ચિત્ર પણ સોશ્યલ મીડિયામાં આવવા દેવામાં આવતાં નથી. એટલે તેમના ચાહકોએ રસ્તા કાઢ્યા. કેટલાકે કાળા ચોખંડામાં માત્ર જીવનકાળ ૧૯૫૫-૨૦૧૭ એટલું લખ્યું, તો વળી ક્યાંક એક દંપતી એકબીજાના કાનમાં કંઈક કહેતું હોય એવી ચહેરા વિનાની આછી આકૃતિ પણ તેમણે મૂકીને ઝાઓબો દંપતીનો નિર્દેશ કર્યો. કેટલાકે મંચ પર, પ્રકાશવર્તૃળ નીચે ગોઠવવામાં આવેલી એક ખાલી ખુરશીની છબી મૂકી.

આવી ખાલી ખુરશીને નોબલ સન્માન સમારોહમાં તેમની ગેરહાજરીના પ્રતીક તરીકે મંચ પર ગોઠવવામાં આવી હતી. ઝાઓબો ૨૦૧૦નું નોબલ સન્માન સ્વીકારવા માટે જઈ શક્યા ન હતા, કારણ કે તેમને ચીનની સરકારે કેદમાં રાખ્યા હતા. આઠમી ડિસેમ્બર ૨૦૦૮થી તેમને અગિયાર વર્ષ માટેના કારવાસની સજા ફટકારવામાં આવી હતી. આ તેમની ચોથી વખતની જેલ હતી જે છેલ્લી સાબિત થઈ. તેમને સરકાર ઉથલાવવા માટે ઉશ્કેરણી પૂરું પાડતું લખાણ કરવા માટે ગુનેગાર ગણવામાં આવ્યા હતા. આ લખાણ Charter-૮ તરીકે જાણીતું છે. તેમાં તેમણે ચીનની એકપક્ષીય નિરંકુશ સામ્યવાદી રાજ્ય પદ્ધતિની જગ્યાએ લોકશાહીનો પુરસ્કાર કર્યો હતો. તેમાં અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય, જનતાંત્રિક ચૂંટણીઓ, ન્યાયતંત્રની સ્વાયત્તતા, રાજ્યહસ્તક ઉદ્યોગોના ખાનગીકરણ અને આર્થિક ઉદારીકરણનો સમાવેશ થતો હતો. તેની પર તેમણે સાડા ત્રણસો બૌદ્ધિકોની સહીઓ પણ મેળવી એટલે ચિંતામાં પડેલી સરકારે તેમને જેલમાં પૂરી દીધા.

જો કે, આવું પહેલી વાર બન્યું ન હતું. ઝાઓબોનો જેલનો પહેલો ફેરો ૧૯૯૨માં હતો. બીઈજિંગ નૉર્મલ યુનિવર્સિટીના પી.એચડી. અને એમાં જ ચાઇનિઝ સાહિત્યના અધ્યાપક ઝાઓબોએ તેમની વિદ્વત્તા અને વિવેચક તરીકેના તેમના રૅડિકલ વિચારોથી પ્રતિષ્ઠા મેળવી હતી. તેઓ કોલંબિયા, ઓસ્લો અને હવાઇ યુનિવર્સિટીઓમાં મુલાકાતી અધ્યાપક બન્યા હતા. તેઓ ૧૯૮૯માં અમેરિકાના અધ્યાપન પ્રવાસમાં હતા ત્યારે ચીનમાં વિદ્યાર્થીઓએ અને લોકોએ સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું. એટલે ઝાઓબો તાકીદે ઘરે પાછા ફરીને આંદોલનમાં જોડાયા. તેમણે દેશ આખામાં ભાષણોની ઝુંબેશ કરી અને ત્રણ દિવસના ઉપવાસ શરૂ કર્યા. પણ તેના પહેલા જ દિવસ એટલે કે ત્રીજી જૂનની રાતથી ચીનની સરકારે તાઇનાન્મન સ્ક્વેરમાં એકઠા થયેલા આંદોલનકારીઓ પર લશ્કરી મશિનગનો અને ટેંકો ચલાવી, સેંકડો લોકોનાં મોત થયાં. હત્યાકાંડ ઉપરાંત સરકારે જે ધરપકડો કરી તેમાંથી વાટાઘાટો દ્વારા સંખ્યાબંધ વિદ્યાર્થીઓને છોડાવવામાં ઝાઓબોનો ફાળો હતો. જો કે, તેમની ખુદની પણ ધરપકડ થઈ અને તેમને એકવીસ  મહિનાની કેદ વેઠવી પડી તેમ જ અધ્યાપક તરીકેની તેમની નોકરી ગઈ.

જેલમાંથી છૂટ્યા બાદ ઝાઓબોએ માનવ અધિકાર અને રાજકીય સમસ્યાઓ પર લખવાનું શરૂ કર્યું, પણ તેમને લખાણો પ્રકાશિત કરવાની મંજૂરી ન હતી. તેમનું પહેલું પુસ્તક તાઈવાનથી બહાર પડ્યું. ૧૯૮૯ના આંદોલનનાં અંગત  સંભારણાં અને તેની સમીક્ષાના આ પુસ્તકનું નામ છે The Monologues of a Doomsday’s Survivor. ઝાઓબોને ૧૯૯૩ના જાન્યુઆરીમાં એક દસ્તાવેજી ફિલ્મ માટે ઑસ્ટ્રેલિયા અને અમેરિકા બોલાવવામાં આવ્યા હતા. તેમના મિત્રોએ તેમને ત્યાં વસી જવાનું સૂચવ્યું હતું. પણ તેમણે ચીન પાછા જઈને ફ્રિલાન્સ લેખનનો રાહ પસંદ કર્યો.

ઝાઓબેએ ૧૯૯૫માં તાઇનાન્મનની છઠ્ઠી વરસીએ સરકાર સામે ફરી એક ઝુંબેશ શરૂ કરી. તેમણે  હત્યાકાંડના પુનઃમૂલ્યાંકન અને લોકશાહી તરફી એકંદર રાજકીય સુધારાની માગણી કરી. એમને ઘરમાં જ અટકાયતમાં રાખવામાં આવ્યા. થોડા સમયની મુક્તિ બાદ ચીનની તાઈવાન તરફની નીતિના વિરોધ કરતા October Tenth Declaration નામના લખાણ માટે ફરીથી તેમની ધરપકડ કરીને તેમને ત્રણ વર્ષ માટે  ‘રિ-એજ્યુકેશન થ્રૂ લેબર’ તરીકે ઓળખાતી મજૂરીની એક્સ્ટ્રાજ્યુડિશિયલ કહી શકાય તેવી શિક્ષા આપવામાં આવી. અહીં તેમણે ઝિઆ સાથે લગ્ન કર્યાં. પત્નીએ તેમને છેલ્લા દિવસ સુધી અસાધારણ સમજ અને ધીરજથી સાથ આપ્યો. એ સજા પૂરી થયા બાદ તેમણે તાઈવાનમાંથી Nation that Lies to Conscience નામનો રાજકીય સમીક્ષાનો ચરસો પાનાંનો ગ્રંથ બહાર પાડ્યો. તદુપરાંત તેમણે કવિતા, જેલવાસ દરમિયાન તેમની પત્ની સાથેના પત્રવ્યવહાર અને સાહિત્ય વિવેચનનાં પુસ્તકો પણ લખ્યાં. ઝાઓબોએ ૨૦૦૩માં ચીનમાં માનવ અધિકારોની પરિસ્થિતિ વિશે અહેવાલ લખવાનો શરૂ કર્યો એટલે તેમનાં દસ્તાવેજો, પત્રો અને કૉમ્પ્યુટર જપ્ત કરવામાં આવ્યાં. તેમના ઘરની પાસે એક ચોકી ઊભી કરવામાં આવી અને એમના ફોન તેમ જ ઇન્ટરનેટ ટૅપ થવાં લાગ્યાં. તેમની પાસેથી બીજાં બે પુસ્તકો પણ મળ્યાં,જેમનાં નામ વિષયનો નિર્દેશ કરે છે : The Future of Free China Exists in Civil Society અને Single-Blade Poisonous Sword: Criticism of Chinese Nationalism. આ પુસ્તકો અને ઝાઓબોનાં લગભગ બધાં લખાણો ચીનની સરકારને જોખમકારક લાગતાં રહ્યાં છે. એમાં બહુપક્ષીય ચૂંટણીઓ, મુક્ત બજાર, સ્વાતંત્ર્ય, સત્તાના વિકેન્દ્રીકરણ અને સરકાર દ્વારા તેનાં દુષ્કૃત્યોનો સ્વીકાર જેવા મુદ્દાની છણાવટ  છે.

ઝાઓબો જ્યારે અધિકૃત રીતે જેલમાં ન હોય ત્યારે પણ સરકાર તેમના પર કડક જાપ્તો રાખતી. વળી, સરકારને જ્યારે જ્યારે રાજકીય વાતાવરણ સંવેદનશીલ લાગે ત્યારે તેમને નજરકેદમાં રાખવામાં આવતા. સ્વાભાવિક રીતે જ ઝાઓબો અને તેમનાં પત્નીની જિંદગી પીડાજનક હતી. તેમનાં પત્નીએ એ મતલબનું કહ્યું છે કે નોબલ સન્માન સ્વીકારવા માટે તેમને સરકારે જવા ન દીધા ત્યારે તેઓ ખૂબ હતાશ થયા, રડ્યા, એ સંજોગો તેમને અસહ્ય લાગ્યા. તેમની ઇચ્છા સન્માનની રકમ તાઇનાન્મનના ભોગ બનેલા માટે ઉપયોગમાં લેવાની હતી એમ પણ ઝિઆએ જણાવ્યું હતું.

જીવનસંગિની ઝિઆ વિશે, ઝાઓબોએ નોબલ સન્માન વખતે વંચાયેલા પોતાના ભાષણમાં લખ્યું છેઃ ‘હું નક્કર જેલમાં છું ત્યારે તું તારા હૃદયના કારાવાસમાં મારી રાહ જોઈ રહી છે. તારો પ્રેમ એવો સૂર્યપ્રકાશ છે કે જે ઊંચી દિવાલો ઓળાંડીને, મારી જેલની બારીના લોખંડના સળિયાની આરપાર થઈને આવે છે, અને મારા રોમરોમને સ્પર્શે છે, મારા શરીરના દરેકેદરેક કોશને હૂંફ આપે છે. તેનાથી મારું મન શાંત, ખુલ્લું અને ઊજળું રહે છે. તારી એ હૂંફ જેલની અંદરની મારી દરેક ક્ષણને અર્થ આપે છે. બીજી તરફ મારો તારા માટેનો પ્રેમ એ રંજ અને પસ્તાવાના ભારથી ક્યારેક ડગી જાય છે. હું વેરાનમાં પડેલા પથ્થર જેવો છું. તે ભયંકર પવનની થપાટો ખાઈને અને ભારે વરસાદમાં ભીંજાઈને તે એટલો બધો કઠોર થઈ ગયો છે કે તેને અડવાની હિમ્મત કોઈ કરતું નથી. પણ મારો પ્રેમ કોઈ પણ અવરોધને વીંધે એવો મજબૂત અને ધારદાર છે. હું ભૂક્કો, થઈ જઉં તો પણ મારી રાખથી તને બાથમાં લઉં.’ 

આમ તો આખી માનવજાતિને પ્રેમથી બાથમાં લેવી એ ઝાઓબોની ખ્વાહિશ હતી. એમનામાં એક જુદી જ ઉદારતા હતી, જેને કારણે કેટલાક કર્મશીલોને એ મવાળ પણ લાગ્યા હતા. જાહેર વાતમાં એ જેમ તેમના અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પરની તરાપને વખોડે છે. સાથે તેમની પર કાર્યવાહીઓ કરનારા પોલિસ અને ન્યાયખાતાના લોકોએ તેમની તરફ બતાવેલા સદભાવને તેઓ વખાણે પણ છે. તાઇનાન્મન વખતે એક વાર તેમણે કહ્યું હતું, ‘I have no enemies and no hatred.’ આ જ ઉચ્ચારણ  નોબલ વ્યાખ્યાનમાં પણ મૂકીને તેઓ કહે  છેઃ ‘હેટરેડ એટલે કે તિરસ્કારથી માણસની બુદ્ધિ અને તેના અંતરાત્મા સડી જાય છે. દુશ્મનાવટની લાગણી  દેશની ચેતનામાં ઝેર રેડી શકે છે, ક્રૂર સંઘર્ષો માટેની ઉશ્કેરણી પૂરી પાડી શકે છે, સમાજની સહિષ્ણુતા અને માણસાઈનો નાશ કરે છે, અને સ્વાતંત્ર્ય અને લોકશાહી તરફની દેશની ગતિને અવરોધે છે. એટલા માટે હું ઇચ્છું છું કે હું મારા વ્યક્તિગત અનુભવોથી પાર જઈને મારા દેશના વિકાસ અને સામાજિક પરિવર્તનનો વિચાર કરી શકું, શાસકોની શત્રુવૃત્તિનો સામનો સર્વોચ્ચ સદભાવથી કરી શકું અને ધિક્કારને પ્રેમથી મીટવી  શકું.’

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અંક 117, વર્ષ – 11, અૉગસ્ટ 2017; પૃ. 09-11 

Loading

...102030...3,3113,3123,3133,314...3,3203,3303,340...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved