Opinion Magazine
Number of visits: 9584224
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કરવા જેવું હોય તો ગાંધીમૂલ્યોનું પુનઃસ્થાપન

ઇલા ર. ભટ્ટ|Gandhiana|24 August 2017

તા. ૧૭મી જૂન ને ૨૦૧૭, સત્યાગ્રહ આશ્રમ-સાબરમતીની શતાબ્દીની ઉજવણીનો પ્રસંગ હતો. ગાંધીજી સાથે માત્ર પારિવારિક નહીં, વિચાર અને આચારનું પણ સંધાણ ધરાવતા ગોપાલકૃષ્ણ ગાંધીના મુખ્ય મહેમાનપદે ને અમદાવાદની સર્વ ગાંધી સંસ્થાઓ તથા નગરજનોની ઉપસ્થિતિમાં આ પ્રસંગ ઊજવાયો. કેટલાંક સંસ્મરણો વાગોળાયાં, તો કેટલાક વિચાર મુકાયા, કેટલાક કાર્યોલ્લેખો થયા તો કેટલાંક કરવાનાં કાર્યોની વાત પણ થઈ. આ પ્રસંગે Letters to Gandhi (ગાંધીજીને લખાયેલ પત્રોના સંગ્રહનો ભાગ-૧), Pioneers of Satyagrah (દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ અને ગાંધીજી સાથે સંકળાયેલા અન્ય સત્યાગ્રહીઓ વિશેનું સંશોધનાત્મક પુસ્તક, Author E. S. Ready, Kalpana Hiralal) રાષ્ટ્રવાદ (રવીન્દ્રનાથ ટાગોરે જાપાન અને અમેરિકાના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રવાદ પર આપેલાં ત્રણ વ્યાખ્યાનો, અનુ. ત્રિદીપ સુહૃદ)નું લોકાર્પણ થયું. આ ઉપરાંત, ગાંધીજીનાં જીવન અને કાર્યને આવરી લેતી ચુનંદી તસવીરો સાથેની અત્યાધુનિક ગૅલરી અને ‘આશ્રમનો પ્રાણ’ કહેવાયેલા મગનલાલ ગાંધીના નિવાસસ્થાન મગનનિવાસમાં ચરખા ગૅલરી ખુલ્લી મુકાઈ. એક કરતાં અનેક પ્રસંગો માટે નિમિત્ત લઈને આવેલા આ શતાબ્દી-વર્ષ દિને, આમ છતાં જેની સૌથી વધુ ખોટ વર્તાતી હતી તે આશ્રમશાળાની બાલિકાઓ સાથે સુમધુર સંવાદ સાધીને ગોપાલકૃષ્ણ ગાંધીએ સૌને ગાંધીજીને જોયાની લાગણી જન્માવી. તો સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારકટ્રસ્ટનાં અધ્યક્ષા અને ગૂજરાત વિદ્યાપીઠનાં કુલપતિ ઇલાબહેને આપેલું પ્રાસંગિક વક્તવ્ય, આત્મનિરીક્ષણ કરવાની જરૂરિયાત પર ભાર મૂકી ગયું. આ સાથે એ વક્તવ્ય …

નોંધ : કેતન રૂપેરા

માનનીય સભાગણ, મુખ્ય મહેમાન માનનીય ગોપાલકૃષ્ણ ગાંધી, આપણે આઠ સંસ્થાઓના અધ્યક્ષ ભાઈઓ, અહીં આશ્રમમાં રહેતા સર્વ રહેવાસીઓ – જે સર્વનેહું એક આશ્રમ તરીકે ઓળખું છું, અને અમદાવાદનાં નગરજનો. સાબરમતી આશ્રમ શતાબ્દી-સમારોહમાં સૌનું સ્વાગત છે.

ગાંધીજીના આશ્રમનાં ૧૦૦ વર્ષ ઊજવીએ છીએ, તે જ પુરવાર કરે છે કે ગાંધીજી આપણી સાથે જ છે, હતા અને રહેશે. અમદાવાદમાં તો છે જ. જુઓને પાંચ આંગળીની મુઠ્ઠી સમાન પાંચે ય સંસ્થાઓ સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ, સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ, સાબરમતી આશ્રમ ગૌશાળા ટ્રસ્ટ, ગુજરાત હરિજન સેવકસંઘ, ગુજરાત ખાદી ગ્રામોદ્યોગમંડળ, તે જ જૂના આશ્રમમાં ભેગાં મળી આશ્રમની શતાબ્દી ઊજવી રહી છે. ઉપરાંત મજૂર મહાજન સંઘ (૧૯૧૭), નવજીવન પ્રેસ (૧૯૧૯) અને ગૂજરાત વિદ્યાપીઠ (૧૯૨૦), આપણી આઠે ય સંસ્થાઓ આજે જીવંત અને કાર્યશીલ બેઠી છે. આપ સૌ પણ પધાર્યાં છો.

ગૂજરાત વિદ્યાપીઠમાં ૩૦-૩૧ જાન્યુઆરી, ૨૦૧૭માં મળેલા રાષ્ટ્રીય સંમેલન, જેનો વિષય હતો ‘Gandhi Returns’ Back to Basics, તેના પ્રારંભમાં મેં કહેલું કે ગાંધી આપણી સાથે છે, એમના Returnનો સવાલ જ નથી. પણ સવાલ એ છે કે આપણે ગાંધી સાથે છીએ ખરાં ?

ગાંધીજીએ દેશભરમાંથી અમદાવાદ પસંદ કર્યું. એટલું જ નહીં ૧૦૦ વરસ પહેલાં તેમણે, લડત ઉપરાંત વૈકલ્પિક સમાજ, રચનાત્મક, શાંતિમય સમાજરચના અને ભવિષ્યનું ભારત કેવું હશે, તેનો પણ વિચાર કર્યો અને તેમ જીવી જાણવાનો જાતે પ્રયોગ કર્યો આ પ્રયોગો આપણા અમદાવાદમાં કર્યા. સૌ પ્રથમ, મિલોનાં મજૂર-સ્ત્રીબાળકોની અવદશા તથા તેમના પર થતો અન્યાય જોઈને તેમની સુખાકારી તથા ન્યાય માટે તેમનું સંગઠન બાંધ્યું – જો કે મૂળ શરૂઆત તો અનસૂયાબહેન કરી ચૂક્યાં હતાં – એ યુનિયન પ્રયોગમાંથી ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત જન્મ્યો, જે દુનિયાભરમાં આજે સ્વીકારાયો છે.

બ્રિટિશ શિક્ષણપ્રથા સ્વતંત્ર ભારતમાં તો ન જ ખપે, તે માટે બુનિયાદી તાલીમનો શિક્ષણપ્રયોગ ગૂજરાત વિદ્યાપીઠમાં કર્યો.

સ્વતંત્ર ભારતની પ્રજાની રોજિંદી જીવનશૈલી બ્રિટિશ સરીખી તો ન જ ખપે! તો આપણી જીવનશૈલી કેવી હોય તેના પ્રયોગ માટે આશ્રમ સ્થાપ્યો. નવજીવન મુદ્રણાલય શરૂ કર્યું કે જેથી પૂર્ણ સ્વરાજના વિચાર-પ્રયોગો અને અનુભવોનો ઘર-ઘર પ્રસાર કરી શકાય.

આજે આશ્રમની શતાબ્દીની ઉજવણી માટે આપણે મળી રહ્યાં છીએ અને માનનીય મહેમાન  ગોપાલકૃષ્ણ ગાંધી પણ આપણી સાથે સામેલ થવા પધાર્યા છે. ખૂબ આભાર.

પણ, સાચું કહું તો મારા મનમાં ઉજવણીનો કોઈ ઉત્સાહ થતો નથી. ગ્લાનિ અને પસ્તાવાની લાગણી જ મનમાં ઊભરી આવે છે. ગાંધીજીએ સ્વરાજપ્રાપ્તિ માટે જીવનભર કેટકેટલા સંઘર્ષો કર્યા, કેટલાં બલિદાનો દેશ વાસ્તે હોમાયાં પછી જેમજેમ સ્વરાજ નજીક આવતું ગયું, આપણને કોણ જાણે શું થઈ ગયું સ્વરાજના પાઠ જે ભણ્યા’તા તે આપણે જાણે ફેંકી જ દીધા?! દેશભરમાં હિંસાત્મક વાતાવરણ સઘળે ફરી વળ્યું. ત્રીસ વરસના કર્યા કરાવ્યા પર પાણી (કે લોહી!) ફરી વળ્યું. ગાંધીજીના દિલને પાર વગરની પીડા આપણે આપી. તેમનાં જિંદગીનાં છેલ્લાં બે વર્ષ તો તે કેટલા બધા વ્યથિત રહ્યા, તે તેમની ત્યારની પ્રાર્થના સભાઓનાં પ્રવચનો પરથી હવે વધુ સમજાય છે. સાચું જ નથી શું કે એમની વ્યથાની ગાથા આખા દેશની ગાથા છે! કેવા નગુણા, બેજવાબદાર આપણે છીએ, તેવી ટીસ મનમાં ઘર કરી બેઠી છે.

ગાંધી પોતે તો સાધુપુરુષ હતા, મહાત્મા હતા પણ તો ય મનુષ્ય હતાને? એ મહાત્માને જીવવું અકારું કરી મૂક્યું તેવા આપણે છીએ. તેની શી ઉજવણી કરીએ? શતાબ્દીનો ઉમંગ નથી થતો અને ગર્વ પણ નથી થતો!

હા, આપણે સંસ્થાઓ સાચવી ખરી. આ આશ્રમ સાચવ્યો, મકાન સાચવ્યાં, તેમની ચીજવસ્તુઓ સાચવી. પણ આશ્રમ ક્યાં? આશ્રમવાસી ક્યાં?! એ જીવનશૈલી ક્યાં? તો, શું કરીએ? જો ઉજવણી નહીં તો શું તે આપણી જાતને પૂછીએ.

મારી સમજ પ્રમાણે ગાંધીવિચારના ચાર મુખ્ય આધારસ્તંભ – સાદગી, અહિંસા, શ્રમનું ગૌરવ અને માનવતા. આ જીવનમૂલ્યો તરફ ગંભીરતાપૂર્વક ધ્યાન આપીએ. ગાંધીજીએ આ જીવનશૈલી બતાવી, હરિજનની તથા ગરીબની સેવા બતાવી, મુસલમાન અને હિંદુ સર્વધર્મનો સમભાવ કેળવી નિર્ભયપણે સાથે જીવન જીવે, જે તેમણે જાતે જીવીને બતાવ્યું. બુનિયાદી શિક્ષણ બતાવ્યું, મજૂર-માલિકના સંબંધો સાચવવાનો માર્ગ બતાવ્યો. વિચારપ્રસારની રીત બતાવી. આ વિચારમૂલ્યો તથા જીવનમૂલ્યોને સમજીને પોતે જાતે આચરણ કરી બતાવ્યું અને લાખોને કરાવ્યું.

તરછોડાયેલાં એ મૂલ્યોનું આચરણ કરવાનો નિર્ધાર કરવાનો આ પ્રસંગ છે. Gandhi returns નહીં, We return to Gandhi – એ માટે, અંગત તથા જાહેરજીવનમાં મૂલ્યોપૂર્વક આચરણ કરીએ તે જ મહત્ત્વનું છે, તે જ ગાંધી છે.

ગાંધી વિશે બહુ ભરપૂર લખાયું, લખાયે જ જાય છે, ભણાવે જાય છે, વિચારાતું જાય છે. સારું છે. પણ, આચરણ તો રડ્યુંખડ્યું ક્યાંક જ દેખાય છે! Archives, Multimedia, Research આ બધું વધતું જાય છે, બરાબર છે. પણ મને લાગે છે ગાંધીનાં એકાદશ મૂલ્યોને યથાશક્તિ આચરણમાં મૂકતાં થઈએ – તેનો આ પ્રસંગ છે – જાહેર-અંગત રીતે, સામૂહિક-વ્યક્તિગત રીતે અને વિચારોકાર્યોમાં. જીવન-મૂલ્યોના પુનઃસ્થાપનનો આ અવસર છે. વાંચીએ છીએ કે ભવિષ્યમાં બદલાતી પરિસ્થિતિઓમાં એમનાં કાર્ય અને કથનના નવા-નવા અર્થ ખૂલતા રહેશે. હા, પરિસ્થિતિઓ બદલાતી રહે છે, પણ જીવનમૂલ્યો બદલાતાં નથી; કેમ કે ગાંધીમૂલ્યો એ જીવન મૂલ્યો જ છે, માનવતાનાં મૂલ્યો છે; તે કદી નષ્ટ થાય? સત્ય, અહિંસા કદી વાસી થાય? વાસી તો આપણે છીએ, જે આ બધું જાણતા નથી.

ક્યારેક તો લાગે છે કે શિક્ષણ વધતું ગયું અને આર્થિક સમૃદ્ધિ વધતી ગઈ તેમ તેમ આપણે જીવનમૂલ્યોથી દૂર ગયાં છીએ. જો આશા બચી હોય, તો જે લોકોને આપણે હજુ ય ગરીબ રાખ્યા છે, તેમની પાસે મને આશા છે, જેને આપણે અભણ કહીએ છીએ, તેઓ પાસે જીવનમૂલ્યો જાણ્યે-અજાણ્યે હજુ બચ્યાં છે, ખાસ કરીને તેમની બહેનો પાસે. મારો અનુભવ કહે છે કે ગરીબ, શ્રમિક બહેનો એ મારી ભાવિની આશા છે.

કંઈ નહીં ને હવે કરવા જેવું હોય, તો તે આ ગાંધીમૂલ્યોનું પુનઃસ્થાપન, ભલે તેમ કરતાં બીજાં ૧૦૦ વર્ષ લાગે પણ ગરીબી-નિવારણની મજલ કાપ્યે જ છૂટકો! ગરીબી સતત ચાલતી હિંસા છે અને એ સમાજની સંમતિથી થતી હિંસા છે. દયા, દાન, સબસિડીથી નહીં, પણ ઉત્પાદક કામ વડે, દરેક જણની રોટી, કપડાં, મકાનની પ્રાથમિક જરૂરિયાત સંતોષાય અને કુટુંબ સ્વનિર્ભર થઈ શકે, તેવો કોઈ માર્ગ અપનાવીએ અને કામે લાગી જઈએ. ભારતીય પરંપરા, સંસ્કાર, કૌશલ્યનો સાવ વિલોપ થઈ જાય તે પહેલાં આપણે ડગ ઉપાડીએ. મારું દૃઢ માનવું છે કે કોઈ પણ સરકાર ચાહે તો પણ મનુષ્યને જીવનમાં સ્વનિર્ભર કરવામાં કશું નહીં કરી શકે. એ આપણે નાગરિકોએ જ કરવું રહ્યું.

બીજી એક વાત. હાલમાં તો જાણે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે ગાંધીવિચાર તે રાષ્ટ્રવિચારથી અલગ છે અને જાણે રાષ્ટ્રઘડતરનો એ માર્ગ નથી. એવું પણ જોઈએ છીએ કે ગાંધીજન ભારતીય નાગરિક જ નથી, કંઈક અલગ છે, સ્પેિશયલ છે, અને ગાંધીવિચારને જાળવવાનું, સંવર્ધન કરવાનું કામ જાણે માત્ર ‘ગાંધીજનો’નું છે, બાકી દેશને જેમ ફાવે તેમ કરતો જાય! ગાંધીજનને અલગ જોવાની વિચારસરણી છોડવી જોઈશે. પહેલાં તો ગાંધીજને પોતે છોડવી જોઈશે, એવું મારું કહેવું છે.

અંતમાં, ફરીથી, જીવનમૂલ્યોને આચરીએ, એકાદશવ્રત સમજીએ, વૈષ્ણવજનનું ભજન ધ્યાનથી સમજીને આચરીએ – વ્યક્તિગત અને જાહેર – એમ બંને જીવનમાં. એમ થાય તો બાકીનું અધૂરું સ્વરાજ હાંસલ કરવાનો માર્ગ સહેલો છે. વાંચ્યું છે કે આઝાદીની લડત સમયે બહેનો ગરબો ગાતી, કૂંડાળામાં વચ્ચે રેંટિયો અને ફરતે ગરબો ગાતી કે ….

એકડેએક,

ગાંધીની રાખો ટેક,  

મારી બહેનો, સ્વરાજ લેવું સહેલ છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2017; પૃ. 07-08

Loading

લદાખ : યે દિલ માંગે નો મોર ટુરિસ્ટ્સ

વિશાલ શાહ|Opinion - Opinion|23 August 2017

લદાખ સર્ચ કરતા જ ગૂગલ ૦.૮૭ સેકન્ડમાં જ ૧.૩૦ કરોડ રિઝલ્ટ્સ બતાવે છે. આ બધા જ રિઝલ્ટ્સ લદાખ ટુર પેકેજ, બજેટ ટ્રાવેલ, લદાખ કેવી રીતે પહોંચવું, હોટેલ, સાઇટ સીઇંગ, ટ્રેકિંગ, ફોટોગ્રાફી, બાઇક રાઇડિંગ, સાયકલિંગ અને ઈકો ટુરિઝમ વગેરેના લગતા છે. ભારત સરકારના પ્રવાસન મંત્રાલયે શરૂ કરેલા અભિયાનની ટેગ લાઇન છે, અતિથિ દેવો ભવ. જો કે, જમ્મુ કાશ્મીરના ફક્ત ૮૬,૯૦૪ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા લદાખમાં વધુ અતિથિ વિનાશ નોતરી શકે છે. આ માટે આપણે અત્યારથી જ સાવચેત થઈ જવું જોઈએ.

હિમાચલ પ્રદેશમાંકુલુ, મનાલી અને સિમલા જેવા અત્યંત સુંદર સ્થળોએ બેજવાબદાર પ્રવાસીઓનો પ્રવાહ વધ્યો એ પછી તેના શું હાલ થયા એ આપણે જાણીએ છીએ. હિમાચલના અનેક સુંદર વિસ્તારોમાં જળ, જમીન અને વાયુ પ્રદૂષણે માઝા મૂકી છે. અનેક સ્થળે કચરો અને પ્લાસ્ટિકના ઢગ ખડકાયા છે, પરંતુ તેનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ થતો નથી. મનાલીમાંથી વહેતી બિયાસ નદીના કાંઠે ઊભેલો પ્રવાસી ફેફસામાં ઊંડો શ્વાસ ભરી શકતો નથી કારણ કે, નદી કિનારાના વાતાવરણમાં માથું ફાટી જાય એવી દુર્ગંધના હવાઈ કિલ્લા બંધાયેલા છે.

કેન્દ્રિય પ્રવાસન મંત્રાલયે લદાખમાં પ્રવાસીઓ આકર્ષવા ૨૦૧૦માં અભિયાન શરૂ કર્યું હતું. કાગળ પર તો આ અભિયાનને બહુ મોટી સફળતા મળી છે, પણ જરા બીજી આંકડાકીય વિગતો પર પણ નજર કરીએ. લદાખમાં ૧૯૭૪માં વર્ષે માંડ ૫૨૭ પ્રવાસી આવ્યા હતા, જ્યારે સરકારી સ્ટાઈલના અભિયાન પછી ૨૦૧૬માં આ આંકડો બે લાખ, ૩૦ હજારને પાર થઈ ગયો છે. હવે લદાખમાં મોજશોખ કરીને પર્યાવરણનો કચ્ચરઘાણ કાઢતા પ્રવાસીઓ માટે બધી જ સુવિધા ઉપલબ્ધ છે. વર્ષ ૧૯૮૪માં આખા લદાખમાં માંડ ૨૪ હોટેલ હતી અને અત્યારે ૬૭૦ છે. આ ૬૭૦ હોટેલમાંથી આશરે ૬૦ ટકા હોટેલ એકલા લેહમાં જ છે. જેટલી વધારે હોટેલ્સ એટલા વધારે બાથરૂમ અને ટોઈલેટ. લદાખ જમીનથી ૯,૮૦૦ ફૂટની ઊંચાઈએ છે અને ત્યાં પાણીની જબરદસ્ત તંગી છે.

જો કે, પ્રવાસીઓ વધવાથી લદાખના લોકોને રોજગારી પણ મળી છે. આ કારણથી પ્રવાસન વિભાગ ખુશખુશાલ છે. જેમ કે, લેહમાં આશરે ૩૦ હજારની વસતી છે, જેમાંના ૭૫ ટકા લોકોને હોટેલ-ગેસ્ટ હાઉસમાંથી જ રોજીરોટી મળી જાય છે. આ લોકોએ પોતપોતાના મકાનો, જમીનો પર જ 'રૂમ' આપવાનો ધંધો શરૂ કરી દીધો છે. આપણી મુશ્કેલી જ આ છે. દેશમાં ચારધામ યાત્રા કરનારા વધ્યા પછી કેદારનાથમાં પણ નદી કિનારાની જમીન પર આડેધડ બાંધકામો કરી દેવાયા હતા. સરકારને પણ આવક હતી તેથી કોઈ વાંધો લેતું ન હતું. એ પછી ઉત્તરાખંડમાં પૂર આવ્યું અને 'દેવભૂમિ'ના કેવા હાલ કર્યા એ આપણે જાણીએ છીએ. આ તાજા ઇતિહાસમાંથી પણ આપણે કોઈ બોધપાઠ લીધો નથી.

લદાખની મુશ્કેલી કેદારનાથથી થોડી અલગ છે પણ મૂળ પ્રશ્ન પ્રવાસનના કારણે પર્યાવરણ પર ભારણ વધી રહ્યું છે, એ જ છે. લદાખમાં પણ વગરવિચાર્યે કરેલા પ્રવાસીઓ આકર્ષવાના અભિયાનના કારણે બેજવાબદાર ધંધાદારીઓ ફૂટી નીકળ્યા છે. લોકોને તો રોજગારી જોઈએ, જે તેમણે આપમેળે મેળવી લીધી. સરકાર યોગ્ય દિશા-માર્ગ ચીંધવામાં નિષ્ફળ ગઈ. હવે શું? હવે જળ, જમીન અને વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે. પાણીની જોરદાર અછત છે અને ખેતીના ભાગનું પાણી પણ પ્રવાસનના કારણે છૂ થઈ જાય છે. લદાખની હોટેલોના પાણીની જરૂરિયાત સંતોષવા જમીન નીચેનું પાણી ખેંચવામાં આવે છે, જેથી ભૂગર્ભ જળની સપાટી નીચી જઈ રહી છે. આઘાતજનક વાત એ છે કે, પર્યાવરણીય દૃષ્ટિએ સંવેદનશીલ ગણાતા લદાખ જેવા હિમાલયન વિસ્તારમાં હજુયે બોરવેલ ખોદવાના નીતિનિયમો લાગુ કરાયા નથી.

લદાખના ટૂર ઓપરેટરોએ આ મુશ્કેલીઓનો ઉપાય આપતા રજૂઆત કરી છે કે, જમ્મુ-કાશ્મીર સરકારે બધા જ પ્રવાસીઓ પાસેથી પર્યાવરણ વેરો ઉઘરાવવો જોઈએ! બોલો, છે ને સરકારી ઉપાય. આ ઉપાય અમલમાં મૂકાશે તો ખતરનાક સાબિત થશે કારણ કે, એકવાર સરકારને પર્યાવરણ વેરાની આવક મળશે તો ટૂર ઓપરેટરોના ગોરખધંધાને ઉની આંચ પણ નહીં આવે. તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ. દેશની આર્થિક, નાણાકીય, વિદેશ અને લશ્કરી નીતિની જેમ પ્રવાસન નીતિ પણ અત્યંત સમજણપૂર્વક તૈયાર થયેલી હોવી જોઈએ. આ નીતિમાં પર્યાવરણની સાથે સાંસ્કૃિતક અને સામાજિક પાસાંનો પણ વિચાર થયેલો હોવો જોઈએ.

જમ્મુ કાશ્મીરમાં આવેલું લદાખ આગવી સંસ્કૃિત ધરાવે છે. આશરે એકાદ હજાર વર્ષથી લદાખ પર બૌદ્ધ પરંપરાનો પ્રભાવ રહ્યો છે. લદાખમાં પ્રાચીન સમયમાં બંધાયેલા બૌદ્ધ મઠ આવેલા છે. એટલે લદાખ સદીઓથી બૌદ્ધ શ્રદ્ધાળુઓને આકર્ષી રહ્યું છે. જો કે, ૧૯૭૦માં લદાખ સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકાયું ત્યારથી ત્યાં સ્વની ખોજ માટે આવતા પ્રવાસીઓ કરતા 'વેફર ટુરિસ્ટ્સ'ની સંખ્યા વધી ગઈ. શરૂઆતમાં તો વાંધો ના આવ્યો, પરંતુ છેલ્લાં બે દાયકાથી લદાખના પર્યાવરણની ઘોર ખોદાવાની શરૂ થઈ.

લદાખ ઈકોલોજિકલ ડેવપલમેન્ટ ગ્રૂપના આંકડા પ્રમાણે, એક લદાખી રોજનું સરેરાશ ૨૧ લિટર પાણી વાપરે છે, જ્યારે એક પ્રવાસીને સરેરાશ ૭૫ લિટર પાણી જોઈએ છે. ટૂર ઓપરેટરોનું વલણ તો 'વર મરો, કન્યા મરો પણ મારું તરભાણું ભરો' પ્રકારનો છે. લદાખમાં આશરે બે લાખ, ૭૫ હજારની વસતી છે, જ્યારે અહીં વર્ષે માંડ દસ સેન્ટિમીટર વરસાદ પડે છે. વળી, લદાખનું મોટા ભાગનું વરસાદી પાણી બરફના સ્વરૂપમાં હોય છે. આમ છતાં, અત્યાર સુધી લદાખમાં પાણીની અછત ન હતી કારણ કે, અહીંના લોકો હજારો વર્ષ જૂની પદ્ધતિથી બનાવેલી નહેરોમાંથી પાણી મેળવી લેતા. આ નહેરો નાના-મોટા ગ્લેિશયરો સાથે જોડાયેલી હોય છે, જેનો બરફ પીગળે એટલે દરેક ઘરની પાણીની જરૂરિયાત સંતોષાઈ જાય. લદાખમાં આ નહેરો 'ટોકપો' તરીકે ઓળખાય છે.

કુદરત માણસજાતની જરૂરિયાત સંતોષી શકે છે, પરંતુ લાલચ નહીં. અત્યાર સુધી જે કામ આટલું સરળ હતું તે હવે ઘણું અઘરું થઈ ગયું છે. પ્રવાસીઓ વધ્યા પછી એકલા લેહને જ રોજનું ૩૦ લાખ લિટર પાણી જોઈએ છે. આ પાણી મુખ્યત્વે ત્રણ સ્રોતમાંથી મેળવાય છે. સીધેસીધુ સિંધુ નદીમાંથી, બોરવેલોમાંથી અને નાની નાની નહેરોમાંથી. આ નહેરોમાં નદીઓ કે ગ્લેિશયરોનું જ પાણી હોય છે. હજુ ડિસેમ્બર ૨૦૧૬ સુધી લેહની માંડ ૫૦ ટકા વસતીને સીધું નળ વાટે પાણી મળતું હતું. એ પણ દિવસના ફક્ત બે જ કલાક. હવે પ્રવાસન વધ્યું હોવાથી ૨૪ કલાક નળમાં જ પાણી અપાય એવી માગ થઈ રહી છે. એક સમયે લદાખના ખેડૂતોની જરૂરિયાત ગ્લેિશયરના પાણીથી પૂરી થઈ જતી હતી, પરંતુ હવે તેમને પણ પાણીના ફાંફા છે.

ક્લાઇમેટ ચેન્જના કારણે હિમાલય વિસ્તારોમાં ગ્લેિશયર પીગળવાનો સમય અને વહેણ બદલાઈ ગયા છે. દુર્ગમ સ્થળોએ આવેલા ગ્લેિશયરોનું પાણી ખૂબ જ ઝડપથી સિંધુ ખીણમાં વહી જાય છે. સોનમ વાંગચુક નામના ઈનોવેટર લદાખના પાણીની જરૂરિયાત સંતોષવા આઈસ સ્તૂપના આઈડિયા પર સફળતાપૂર્વક કામ શરૂ કર્યું છે. 'થ્રી ઈડિયટ્સ' ફિલ્મમાં ફૂનસૂક વાંગડુનું પાત્ર તેમના પરથી જ પ્રેરિત હતું. આઈસ સ્તૂપ કૃત્રિમ ગ્લેિશયર છે. શિયાળામાં બરફ પડે ત્યારે આ પ્રકારના કૃત્રિમ ગ્લેિશયર બનાવી દેવાય અને ઉનાળામાં પાઈપલાઈનની મદદથી તે ગ્લેિશયરનું પાણી જરૂર પડે ત્યાં લઈ જઈ શકાય. આ આઈડિયા માટે ડિસેમ્બર ૨૦૧૬માં સોનમ વાંગચુકને રોલેક્સ એવોર્ડ મળ્યો ત્યારે આ કોલમમાં આઈસ સ્તૂપ વિશે વિગતવાર લખ્યું હતું.

આ પ્રકારના કૃત્રિમ ગ્લેિશયરથી લદાખના અનેક વિસ્તારોમાં પાણીની જરૂરિયાત સંતોષી શકાય એમ છે, પરંતુ અઠવાડિયાના સાતેય દિવસ અને ૨૪ કલાક પાણીનો અવિરત પ્રવાહ આવતો હોય ત્યાં જ કૃત્રિમ ગ્લેિશયર બનાવી શકાય છે. આ તેની મર્યાદા છે. લદાખમાં પ્રવાસન અને પાણીનો પ્રશ્ન બીજી પણ એક દૃષ્ટિએ વિચારવા જેવો છે. ભારતીય સેનાનો આશરે એક લાખ અધિકારીઓ, જવાનોનો સ્ટાફ પણ લદાખમાં ફરજ બજાવી રહ્યો છે. ચીન અને પાકિસ્તાન બંને દેશની રીતે ભારત માટે લદાખ વ્યૂહાત્મક રીતે પણ મહત્ત્વનો વિસ્તાર છે. સરકારે ગમે તેવા વિપરિત સંજોગોમાં પણ ભારતીય સેનાની પાણીની જરૂરિયાત સંતોષવાની છે. કદાચ એટલે જ પર્યાવરણવિદો એક દાયકાથી લદાખના બેફામ પ્રવાસન મુદ્દે સરકારને ચેતવી રહ્યા છે.

પ્રવાસનમાં ફક્ત આંકડાકીય વિગતો પર નજર ના કરવાની હોય. પ્રવાસન પણ સસ્ટેઇનેબલ એટલે કે ટકાઉ હોવું જોઈએ. આગામી પેઢીઓ માટે પણ લદાખ જેવા સ્થળોની સુંદરતા જળવાઈ રહે એ આપણી ફરજ છે. હોટેલના નળમાંથી પાણી ટપકતું ના હોય કે હોટેલ સંચાલકો કચરો-ગટરનું પાણી સીધું નદીઓમાં ના ઠાલવતા હોય એ જવાબદારી સરકારની જેમ પ્રવાસીઓની પણ છે. આ કામમાં સરકારે નેચર ટ્રાવેલર્સની મદદ લેવા યોજના ઘડવી જોઈએ.

અફાટ કુદરતી સૌંદર્ય ધરાવતા લદાખમાં સરકારે પ્રવાસીઓના આંકડા કરતાં એડવેન્ચર, નેચર અને ઈકો ટુરિઝમ પર વધુ ભાર મૂકવો જોઈએ. પહાડી વિસ્તારોમાં આવેલા સર્પાકાર રસ્તાના કારણે 'લેન્ડ ઓફ હાઈ પાસીસ' તરીકે ઓળખાતા લદાખમાં તો તેની ઉજ્જવળ તકો પણ રહેલી છે. દેશની સુરક્ષાની દૃષ્ટિએ પણ આ ડહાપણભર્યો નિર્ણય સાબિત થાય એમ છે!

———

સૌજન્યઃ “ગુજરાત સમાચાર”, ‘શતદલ’ પૂર્તિ, ‘ફ્રેન્કલી સ્પીકિંગ’

http://vishnubharatiya.blogspot.co.uk/2017/08/blog-post_23.html

Loading

મુલ્ક કે દુશ્મન કહેલાતે હૈ, જબ હમ કરતે હૈ ફરિયાદ

વિશાલ શાહ|Opinion - Opinion|23 August 2017

૨૫ મી માર્ચ, ૧૯૬૯થી ૨૦મી ડિસેમ્બર ૧૯૬૯. આ દિવસોમાં પાકિસ્તાનમાં યાહ્યા ખાનનું ખૌફનાક લશ્કરી શાસન હતું. આ સમયગાળામાં એક દિવસ રાવલપિંડીના મૂરી નામના સુંદર હિલ સ્ટેશન પર ભવ્ય મુશાયરાનું આયોજન કરાયું હતું. પાકિસ્તાનના દિગ્ગજ કવિઓ, શાયરો અને ગઝલકારો પોતાની રચનાઓ સાંભળવા ખાસ રાવલપિંડી આવ્યા હતા. રાવલપિંડી એટલે પાકિસ્તાની લશ્કર અને આઈ.એસ.આઈ.નું વડું મથક. રાવલપિંડીની હવામાં લશ્કરી બેન્ડની ડણક ગૂંજી રહી હતી. મુશાયરના સ્ટેજની પાછળ કોઈ સર્જકની નહીં પણ યાહ્યા ખાનની તસવીર લગાવાઈ હતી. યાહ્યા ખાનના શાસનમાં અખબારોએ શું છાપવું, લેખકોએ શું લખવું, કોલમકારોએ પ્રજાને કેવી રીતે ભરમાવવા અને કવિઓએ કેવી કવિતા કરવી, એ બધું જ પાકિસ્તાની લશ્કર નક્કી કરતું.

એ મુશાયરામાં એક યુવાન કવિ પણ હાજર હતો. એ કવિ સ્ટેજ પર આવ્યો એ પહેલાં અનેક શાયરો-ગઝલકારો પોતાની રચનાઓ રજૂ કરીને વાહવાહી મેળવી ચૂક્યા હતા. લશ્કરી અધિકારીઓના ઈશારે એ યુવા કવિને કવિતા સંભળાવવા સૌથી છેલ્લે થોડો ઘણો સમય અપાયો હતો. મુશાયરો હોવા છતાં ગજબની શાંતિ હતી, વાતાવરણ ભારેખમ હતું અને ખૌફથી પાંદડું પણ હલતું ન હતું. જો કે, પેલો મસ્ત કવિ તો સ્ટેજ પર યાહ્યા ખાનની તસવીર સામે ખુમારીભરી નજર નાંખીને થોડા ઘોઘરા પણ મીઠા અને જિંદાદિલ અવાજમાં લલકારે છે.  

તુમસે પહેલે વો જો શખ્સ યહાં તખ્ત નશીં થા
ઉસે ભી અપના ખુદા હોને કા ઇતના હી યકીં થા
કોઈ ઠહરા હો જો કિ લોગો કો બતાઓ
વો કહાં હૈ, કે જિન્હે નાઝ અપને તઇં થા.

આ શેર લલકારનાર કવિ એટલે જીવનભર લશ્કરી શાસનનો વિરોધ કરીને લોકશાહીનું સમર્થન કરનારા હબીબ જાલિબ. આ શેરની પહેલી લીટી તો સમજાય એવી છે, પણ બીજી લીટીમાં જાલિબ કહે છે કે, એવો કયો સરમુખત્યાર છે જે લાંબો સમય ટક્યો છે. હોય તો કહો. જેમને પોતાના પર નાઝ હતા એ બધા ખોવાઈ ગયા, જોઈ લો. યાહ્યા ખાનની તસવીર ધરાવતા સ્ટેજ પરથી ગોફણની જેમ વછૂટેલો આ શેર ગૂંજતા જ લશ્કરના ચાંપલૂસ કવિઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો અને સ્વાભાવિક રીતે જ 'મુશાયરો પૂરો થઈ ગયો છે' એવું જાહેર કરી દેવાયું. કોઈ દોઢડાહ્યા કવિએ જાલિબને કહ્યું પણ ખરું કે, યે સબ કહેને કા યે મૌકા નહીં થા. ત્યારે જાલિબે જવાબ આપ્યો કે, મેં મૌકાપરસ્ત (તકવાદી) નહીં હું.

હબીબ જાલિબ

જાલિબે પાકિસ્તાનના અત્યંત મજબૂત લશ્કરી શાસકોના દૌરમાં કલમથી ક્રાંતિની ચિનગારી જીવિત રાખી હતી. જાલિબ જે કંઈ લખતા તે સામાન્ય લોકોના હોઠ પર રમવા લાગતું. એટલે જ મૂરીના મુશાયરામાં યાહ્યા ખાનની ટીમે જાલિબને દિલાવર ફિગારની કવિતાઓ પૂરી થઈ જાય એ પછી બોલવાની તક અપાઈ હતી. ફિગાર પાકિસ્તાનના અત્યંત લોકપ્રિય ઉર્દૂ કવિ અને હાસ્યકાર હતા. લશ્કરી અધિકારીઓને એમ હતું કે, ફિગાર કાવ્યપઠન કરીને જબરદસ્ત જમાવટ કરી દેશે એ પછી જાલિબની કવિતાઓમાં કોઈને રસ નહીં પડે. વળી, અયુબ ખાનના શાસનમાં જાલિબ સીધાદોર થઈ જ ગયા છે, એટલે વાંધો નથી. હવે તેઓ ગમે તેવી કવિતાઓ લલકારે તો પણ કશું જોખમ નથી. જો કે, જાલિબે આ બધી ધારણા ખોટી પાડી.

યાહ્યા ખાનની ટીમના આ અનુમાનો પાછળ કેટલાંક કારણો જવાબદાર હતાં. વાત એમ હતી કે, મૂરીના મુશાયરામાં જાલિબને આશરે દસ વર્ષ પછી કાવ્યપઠનની તક મળી હતી. પાકિસ્તાનમાં યાહ્યા ખાને ફક્ત ત્રણ વર્ષ રાજ કર્યું, પરંતુ એ પહેલાં ૧૯૫૮થી ૧૯૬૯ દરમિયાન જનરલ અયુબ ખાન પાકિસ્તાનમાં જુલમી શાસન કરી ચૂક્યા હતા. અયુબ ખાને દસ વર્ષના શાસનમાં જાલિબને વારંવાર જેલમાં ધકેલીને ખૂબ જ પજવ્યા હતા. આટલું ઓછું હોય તેમ અયુબ ખાને જાલિબ પર દસ વર્ષનો પ્રતિબંધ પણ ફરમાવ્યો હતો. એટલે યાહ્યા ખાનનું શાસન શરૂ થયું ત્યાં સુધી તો મોટા ભાગના લેખકો-કવિઓ લશ્કરી શાસનની દેખરેખ હેઠળ સર્જન કરવા ટેવાઈ ગયા હતા. એ બધા જ સર્જકો સમજી-વિચારીને લખતા, બોલતા અથવા ચૂપ રહેતા.

જો કે, જાલિબે તો દસ વર્ષના પ્રતિબંધ પછીયે એ જ જૂના અંદાજમાં ક્રાંતિકારી કવિતાઓ લલકારતા હતા. યાહ્યા ખાન પહેલાં જાલિબની આગઝરતી કલમનો સૌથી વધુ લાભ અયુબ ખાનને મળ્યો હતો. ભારત-પાકિસ્તાનના ભાગલાને એકાદ દાયકા જેટલો સમય થયો હતો ત્યાં ઓક્ટોબર ૧૯૫૮માં અયુબ ખાને પાકિસ્તાનનું સુકાન સંભાળ્યું. લશ્કરી અધિકારીમાંથી રાજકારણી બનેલા અયુબ ખાને જાહેર કર્યું કે, પાકિસ્તાનની પ્રજા લોકશાહી માટે પરિપક્વ નથી એટલે આપણે કાર્યવાહક પ્રમુખ ચૂંટી લેવા જોઈએ. કહેવાની જરૂર નથી કે, અયુબ ખાન લશ્કરી શાસનને સુંદર કપડાં પહેરાવીને લોકશાહીનું ગળું ઘોંટવાની તૈયારી કરી રહ્યા હતા. અને હા, અયુબ ખાન એટલે પાકિસ્તાનના પહેલા મિલિટરી શાસક, ફાઈવ સ્ટાર રેન્ક આર્મી જનરલ અને ફિલ્ડ માર્શલનું બિરુદ મેળવનારા પાકિસ્તાનના એકમાત્ર લશ્કરી અધિકારી.

એ પછી અયુબ ખાને નવું લશ્કરી બંધારણ પણ જાહેર કર્યું. આ ઘટનાથી વ્યથિત થઈને જાલિબે 'દસ્તૂર' (બંધારણ) નામની મશહૂર નજમ (કવિતાનો અરબી પ્રકાર) લખી, જે પાકિસ્તાનના રાષ્ટ્રગીત જેટલી જ મશહૂર છે. વાંચો શરૂઆતના શબ્દો.

દીપ જિસકા મહલ્લાત હી મેં જલે,
ચંદ લોગો કિ ખુશિયો કો લેકર ચલે
વો જો સાયેં મેં હર મસલહત કે પલે
એસે દસ્તૂર કો સુબ્હે બેનૂર કો
મૈં નહીં માનતા, મૈ નહીં જાનતા …

આ કવિતામાં જાલિબ ફક્ત મહેલોમાં દીવો પ્રગટાવવા આતુર શાસકો સામે બળાપો કાઢે છે. ફક્ત થોડા ઘણાં લોકોનું વિચારીને આગળ વધતા શાસકો સામે જાલિબને રોષ છે. તેઓ કહે છે કે, સ્વાર્થ અને અંગત હિતોના પડછાયામાં સુરક્ષિત છે એવા લોકોએ ઘડેલા બંધારણની અંધારી સવારને (સુબ્હે બેનૂર, નૂર વિનાની) હું નથી માનતો. આ શબ્દો પછીની કડીમાં જાલિબ અયુબ ખાનને સીધો પડકાર ફેંકે છે…

મૈં ભી ખાયફ નહીં તખ્ત એ દાર સે
મૈં ભી મન્સૂર હું કહ દો અગિયાર સે
ક્યૂં ડરાતે હો જિન્દો કિ દીવાર સે
જુલ્મ કિ બાત કો, જેહલ કિ રાત કો
મૈં નહીં માનતા, મૈં નહીં જાનતા …

જાલિબ કહે છે કે, હું ફાંસીના ફંદાથી નથી ડરતો. બધા જ દુશ્મનોને કહી દો કે હું પણ વિજયી છું. મને જેલની દીવાલોથી કેમ ડરાવો છો. જુલમો સિતમથી કે અવગણનાઓના અંધકારને હું નથી માનતો… આ કવિતા આજે ય પાકિસ્તાન-બાંગ્લાદેશના લોકશાહીના સમર્થકોનો અવાજ છે. પ્રજાને હિંમત અને દિશા આપવા શબ્દો ખૂટી જાય ત્યારે બૌદ્ધિકો પણ જાલિબની કવિતાઓ વાંચે છે. એક કવિ માટે આ નાનાસૂનો એવોર્ડ છે? 'દસ્તૂર' નજમમાં જાલિબે લીટીએ લીટીએ ચિનગારીઓ ગૂંથી છે. જાલિબ જાહેરમાં આ નજમ ગાતા ત્યારે લોકોના રૂંવાડા ઊભા થઈ જતા. જાલિબનો એ જિંદાદિલ અવાજ યૂ ટ્યૂબ પર સાંભળી શકાય છે.

સાહિત્યના નોબલ પુરસ્કાર માટે ચાર વાર નોમિનેટ થનારા પાકિસ્તાનના ઉર્દૂ-પંજાબી કવિ ફૈઝ અહેમદ ફૈઝ કહેતા કે, પાકિસ્તાનનો એક જ કવિ છે, જે ખરેખર લોકોનો કવિ છે અને એ છે, હબીબ જાલિબ. 'મૈં નહીં માનતા' કવિતા લોક જીભે ચઢી ગઈ એના બીજા જ વર્ષે, ૧૯૫૯માં, પણ જાલિબે અયુબ ખાનને બરાબરના ઠમઠોર્યા હતા. અયુબ ખાનના રાજમાં પાકિસ્તાન રાઈટર્સ ગિલ્ડ પણ સત્તાની સાથે હતું અને જાલિબ જેવા થોડાઘણાં કવિઓ એકલા પડી ગયા હતા. આ દરમિયાન રાવલપિંડી રેડિયો પર એક મુશાયરો પ્રસારિત થયો. મુશાયરામાં મોટા ભાગના કવિઓએ ઈશ્ક-મહોબ્બતની વાતો કરી, પાકિસ્તાન સરકારના ભરપેટ વખાણ કર્યા અને પ્રજાને ઘેનમાં રાખવામાં સરમુખત્યાર સરકારને મદદ કરી. સાહિત્યકારોની આ નાપાક હરકતથી અયુબ ખાન ચૈનથી સૂઈ શકતા હતા. જો કે, આ મુશાયરામાં એક ભૂલ થઈ હતી. આયોજકોએ જાલિબને પણ બોલાવ્યા હતા.

અયુબ ખાન અને યાહ્યા ખાન

જાલિબે તો લશ્કરની માર્ગદર્શિકાની ઐસીતૈસી કરીને અયુબ ખાનના હત્યાકાંડ, દહેશતના માહોલ અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યમાં નહીં માનતી સરકારના ધજિયા ઊડાવતો શેર રજૂ કર્યો.

કહીં ગેસ કા ધુંઆ હૈ, કહીં ગોલિયો કિ બારિશ
શબ-એ-અહદ-એ-કમનિગાહી તુજે કિસ તરહ સુનાએ

પહેલી લીટીમાં જાલિબ પાકિસ્તાનની સ્થિતિનો ચિતાર આપે છે અને પછી કહે છે કે, રાત્રિના અંધકારમાં કરેલા દૃઢ સંકલ્પો આ વક્રબુદ્ધિ ધરાવનારા લોકોને કેવી રીતે સંભળાવું … સ્વાભાવિક રીતે જ આ શેર પાકિસ્તાનની પ્રજાએ સાંભળી લીધા પછી અયુબ ખાનના લશ્કરના હોશકોશ ઊડી ગયા. રેડિયો સ્ટેશન ડિરેક્ટરને સજા થઈ અને જાલિબને પણ જેલમાં મોકલી દેવાયા. અયુબ ખાન હિંસાચાર છુપાવવા માટે મૂડીવાદના બહુ મોટા સમર્થક તરીકે ઊભરી રહ્યા હતા. આમ છતાં, લશ્કરી શાસનમાં મોંઘવારી કાબૂમાં આવતી ન હતી. પાકિસ્તાનનો આમ આદમી પરેશાન હતો અને પાંચ-પચીસ પરિવારો વધુ ધનવાન થઈ રહ્યા હતા. એટલે જાલિબે દેશના સદ્ર (સર્વોચ્ચ) વડા અયુબ ખાનને સંબોધીને ધારદાર વ્યંગ કર્યો.

વાંચો એ ધારદાર વ્યંગબાણોની નાનકડી ઝલક …

બીસ ઘરાને હૈ આબાદ
ઓર કરોડો હૈ નાશાદ
સદ્ર અય્યુબ જિંદાબાદ
આજ ભી હમ પર જારી હૈ
સદિયોં કે બેદાદ
સદ્ર અય્યુબ જિંદાબાદ

બીસ રૂપિયા મન આટા
ઈસ પર ભી હૈ સન્નાટા
ગૌહર, સહગલ આદમજી
બને હૈ બિરલા ઔર ટાટા
મુલ્ક કે દુશ્મન કહેલાતે હૈ
જબ હમ કરતે હૈ ફરિયાદ
સદ્ર અય્યુબ જિંદાબાદ

કયો સરમુખત્યાર આવા વ્યંગ સહન કરી શકે? જાલિબ ફરી જેલમાં ધકેલાયા. રાજકારણીઓના એક હાંકોટાથી ડરી જતા પત્રકારો, કોલમકારો અને ફિલ્મકારો માટે જાલિબ પ્રેરણાનો ધસમસતો સ્રોત છે. શબ્દોની તાકાત શું હોઈ શકે એ જાલિબે સાબિત કરી બતાવ્યું હતું. કેટલાક લોકો નાનપણમાં પુસ્તકોમાં ભણાવાયેલી નૈતિકતા અને સિદ્ધાંતોને સાચા માની લે છે. કોઈ તેમને ગમે તેટલી 'પ્રેક્ટિકલ' બનવાની સલાહો આપે, પરંતુ તેમને ફર્ક નથી પડતો. સત્યનિષ્ઠા સામે મોત પણ આવી જાય તો આ પ્રકારના લોકો પીછેહટ નથી કરતા. જાલિબ તેમાંના એક હતા. જો કે, જાલિબે ફરી એકવાર જેલમાંથી બહાર આવીને જુલમની સત્તા સામે કવિતા લખી.

એ પછી શું થયું? … હવે પછી, વિગતે −

———-

સૌજન્યઃ “ગુજરાત સમાચાર”, ‘શતદલ’ પૂર્તિ, ‘ફ્રેન્કલી સ્પીકિંગ

http://vishnubharatiya.blogspot.co.uk/2017/08/blog-post_53.html

હબીબ જાલિબની આવી એક નઝમને આ લિંક પરે માણીએ :

https://www.youtube.com/watch?v=7ezO6Rs8YO8

Loading

...102030...3,3043,3053,3063,307...3,3103,3203,330...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved