Opinion Magazine
Number of visits: 9687304
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વાયત્તતા મુદ્દે રૂડો અવસર

ઓમપ્રકાશ ઉદાસી|Samantar Gujarat - Samantar|5 November 2017

ગુજરાતમાં લોકશાહીનો ઉત્સવ છે. સમાંતર ઉત્સવ ગણીએ તો ગુજરાત વિધાનસભા અને ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણીનો અવસર. પરિષદની ચૂંટણીનું પરિણામ આવી ગયું. પ્રમુખ સહિત સહુને અભિનંદન. હરીફોને પણ અભિનંદન પાઠવીએ. ક્યાં ય પણ બિનહરીફ ચૂંટણી લોકશાહીનું લક્ષણ નથી.

(૧) એક અખબારે ૧૨૬૩/૩૭૦૦ના રેકૉર્ડબ્રેકનો (૩૪ ટકા) રાજીપો વ્યક્ત કર્યો છે. જીતનાર સૌને રાજીપો થાય એ પણ સાહજિક છે, પરંતુ આ લોકતંત્રનો રાજીપો નથી. લોકતંત્રમાં તો ૫૧ ટકા (એકાવન ટકા)નું મહત્ત્વ હોય છે. એટલે મૂઠી ઊંચેરો માનતા કે મનાતાઓએ અને એ થકી સંસ્થાએ સંતોષનો ઓડકાર લેવાનો ના હોય. સાહિત્ય સમાજનું દર્પણ છે કે ‘નિસબત’ જેવા શબ્દોની સાર્થકતાને આવા અવસરે પ્રતીક તરીકે ય સિદ્ધ કરવાની હોય છે. ઉમેદવારો અને મતદાતાઓની જીવંત સહભાગિતાનો અભાવ કેમ હશે? જાણ્યા-અજાણ્યાં બધા ઉમેદવારોએ પોતાની કેફિયત મતદાતાઓને પહોંચતી કરવી જરૂરી છે, પછી ભલે એવા ઉમેદવારો ગમે તેવા પ્રખ્યાત કે પ્રતિષ્ઠિત હોય! લોકશાહીની પ્રક્રિયાને સન્માન આપવાનો આ એક ભાગ છે. હું તો અંગત રીતે માનું છું કે આવા રૂડા અવસરે ઉમેદવારે માત્ર મર્યાદિત મતદાતાઓના બદલે સમગ્ર સમાજ સમક્ષ પોતાની રજૂઆત કોઈ ને કોઈ માધ્યમથી રજૂ કરવી જોઈએ. આ નિમિત્તે સાહિત્યકાર/ઉમેદવાર, આમ સમાજ/સામાન્ય માણસ (વિશિષ્ટ વર્ગ કે શ્રેષ્ઠીવર્ગ સાથે નહીં) સાથે જોડાશે. એકદંડિયા મહેલમાંથી રસ્તા ઉપર આવીને ગુજરાતી ભાષા બચાવવાનો રોડ-શો કરવાની પછી જરૂર નહીં રહે!

(૨) પરિષદની ચૂંટણી-પ્રક્રિયા સુધારવી જરૂરી છે. મતદાતાઓની નામ-સરનામાં-સંપર્કનંબર સાથેની યાદી પણ અપડેટ નથી હોતી એવી પણ વાત ચાલે છે. ગુપ્ત મતદાન આવકાર્ય છે, પરંતુ મતપત્રક જાણે એવું ભોંયરામાં ભંડારેલું હોય છે કે એને શોધી કાઢવાનું કામ હંફાવી દે છે. એક પછી બીજા, પછી ત્રીજા, પછી ચોથા પરબીડિયામાં સુરક્ષિત મતદાનફૉર્મ પામવા માટે ભારે કિલ્લબંધીને પાર કરવી પડે છે. ઉમેદવાર ક્યારેક એમાં અટવાઈ પણ જાય. પહેલી ગલીમાં બીજી ગલી, બીજી ગલીમાં ત્રીજી ગલી, ત્રીજી ગલીમાં ચોથી ગલી, આવું ટાળવું જોઈએ.

હવે પરિષદમાં નવા ચૂંટાયેલા સભ્યો છે. પરિષદ અને સમાજનાં અન્ય સજ્જનો પણ સરકાર હસ્તક સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાની તરફેણમાં છે. ચૂંટણીનો રૂડો અવસર ગુજરાતમાં ચાલી રહ્યો છે. હવે સ્વાયત્તતા-આંદોલનના પ્રેરક અને પ્રણેતાઓની ફરજ બને છે કે વર્તમાન ગુજરાત સરકારકના હરીફ પક્ષ કૉંગ્રેસ સમક્ષ ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાની વાત મૂકીને તેમની પાસેથી લેખિત કમિટમેન્ટ લે. કૉંગ્રેસ જો સરકારમાં આવે, તો આ મુદ્દે તેની શી ભૂમિકા રહેશે, તે જાણવું જરૂરી છે. આ માટે કૉંગ્રેસ ચૂંટણી પ્રચારની વ્યસ્તતા વચ્ચે પણ સાહિત્ય માટે થોડીક ક્ષણો ‘અનામત’ રાખશે, એવી આશા અસ્થાને નથી.

મને લાગે છે, મતદાનપૂર્વે ગુજરાતી સાહિત્ય પરિષદે આ અંગે એક ઠરાવ પસાર કરવો જોઈએ. સાથે જ સમાજનાં અન્ય સુજ્ઞજનો સાહિત્યકારોએ જોડાઈને કૉંગ્રેસના મોવડીમંડળને રૂબરૂ મળવું જોઈએ.

લોકતંત્રની દુહાઈ દેતા સાહિત્યકારો અને સંસ્થાઓએ, રાજકારણમાં આપણું કામ નહીં એમ હજુ વિચારીને પલાયન કરવાનું ટાળવું રહ્યું.

૪, જયંતી ઍપાર્ટમેન્ટ, ગુરુકુળરોડ, અમદાવાદ-૩૮૦ ૦૫૨

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2017; પૃ. 05

Loading

પરંપરાગત વ્યવસાય પર જીવતા અને રઝળતા લોકોના અધિકારો ચૂંટણી ઢંઢેરાઓમાં આવશે ?

સંજય શ્રીપાદ ભાવે|Samantar Gujarat - Samantar|4 November 2017

ગુજરાતમાં ચાળીસથી વધુ વિચરતી-વિમુક્ત જાતિઓના ચાળીસ લાખ લોકો વંચિત દશામાં છે

આપણી સોસાયટીઓમાં છરી-ચપ્પાની ધાર કાઢવા માટે આવનાર ભાઈઓ સરાણિયા નામની કોમના હોય છે. ચાદરો વેચનાર સલાટ અને ગધેડાં પર માટીફેરા કરનાર તે ઓડ. થોડાં વર્ષો પહેલાં સુધી સાપ લઈને આવનાર મદારી અને અને કાંસકામાં ઊતરી આવેલા વાળ વેચાતા લેનાર કાંગસિયા. શહેરમાં રસ્તાની બાજુએ નેતર કે વાંસમાંથી પડદા બનાવનાર તે વાંસફોડા,  દોરડાં પર ખેલ કરનાર તે બજાણિયા અને અને અંગકસરતના દાવ બતાવનાર નટ. રાવણહથ્થા વગાડતાં ફરનાર ભરથરી, લોબાન લઈને ફરનાર ફકીર, મૂર્તિઓ બનાવનાર કે નદીના ભાઠામાં શાકભાજી ઊગાડીને વેચનાર દેવીપૂજક. પોલીસના અમાનુષ જુલમોનો હંમેશાં વગર કારણે ભોગ બનનારા ડફેર.

આ કોમોને બંધારણ, સમાજશાસ્ત્ર અને સરકારી પરિભાષામાં તેમને  વિચરતી અને વિમુક્ત જાતિઓ અથવા ડિનોટિફાઇડ અને નૉમૅડિક ટ્રાઇબ્સ (ડી.એન.ટી.) તરીકે ઓળખવામાં આવે છે. આ સમૂહોના મહેનતકશ હુન્નર અને કામધંધાનું સ્વરૂપ એવું છે કે જે તેમને ફરતી જિંદગી જીવવા માટે મજબૂર કરે છે. આ સમૂહોના લોકો જંગલમાં કે પહાડોમાં નહીં, પણ આપણાં શહેરો અને કસબાની રોજબરોજની જિંદગીમાં પણ જોવા મળતા હોય છે. તેઓ આપણી આજુબાજુ જ હોય છે. આ સમૂહો વિશે સુરેન્દ્રનગરના સમર્પિત દિવંગત ધારાસભ્ય અરવિંદ આચાર્યે ‘સરનામાં વિનાના માનવીઓ’ નામનું પુસ્તક લખ્યું  છે. આજે  તેમની સંખ્યા ચાળીસ લાખ છે. પણ  રાજ્યની સવા છ કરોડ જનતાના હિસ્સા તરીકે  તેમનાં હોવાની દખલ ભાગ્યે જ લેવામાં આવી છે.

એમ છતાં ગયાં દસેક વર્ષથી આ સમૂહોની બેહાલી પર સમાજનું થોડુંક ધ્યાન પડવા લાગ્યું છે. તેનો કેટલોક શ્રેય ‘વિચરતા સમુદાય સમર્થન મંચ’ સંસ્થાએ મહેનતપૂર્વક કરેલી કામગીરીને  આપી શકાય. સંસ્થાએ તેના યુવા કર્મશીલ સ્થાપક મિત્તલ પટેલનાં સંવેદનશીલ નેતૃત્વ  હેઠળ,  વિચરતા સમુદાયના પાંચ હજાર પરિવારોને રેશન કાર્ડ અને હજારને ઘર અપાવવા ઉપરાંત આજીવિકા અને શિક્ષણ માટે પણ નોંધપાત્ર કામ કર્યું છે. મંચે ચૌદમી ઑક્ટોબરે વિચરતા  સમુદાયોનું સહુ પ્રથમ સંમેલન પાલનપુરના પરામાં યોજ્યું હતું. આ વિશાળ સંમેલનમાં વંચિતો માટે અન્ન, આવક, આવાસ, આરોગ્ય, અને ઓળખ સાથેના ભારતીય નાગરિકો તરીકેનું ધોરણસરનું જીવન જીવવા મળે તેને લગતી બાવીસ માગણીઓ કરવામાં આવી. સંમેલનમાં વારંવાર સંભળાતો નારો હતો – ‘અમે છીએ, અમે પણ છીએ.’

વ્યવસાયને કારણે જે કેટલીક વિચરતી જાતિઓના લોકો જોવા મળતા અને ઓળખાતાં હોય છે તેનો ઉલ્લેખ લેખની શરૂઆતમાં છે. તે સિવાયની જાતિઓ છે : વણઝારા, વાદી, વિટોળિયા, શિકલીગર. વિમુક્ત જાતિઓ આ મુજબ છે : બાફણ, સંધી, ઠેબા (ત્રણેય મુસ્લિમ), છારા, મે, મિયાણા, વાઘરી, વાઘેર, હિંગોરા, રાપર અને ભચાઉ તાલુકાના કોળી. ઘણી જાતિઓનાં  લાક્ષણિક નાનકડાં ચિત્રો અને નામ સંમેલનના મંચ પરનાં મોટા બૅનરમાં જોવા મળતાં હતાં. સંમેલનમાં જે માગણીઓ કરવામાં આવી તેમાંથી કેટલીક બધા સમુદાયો માટેની હતી. જેમ કે  : ઘર બાંધવા માટે જમીન અને આર્થિક સહાય; બી.પી.એલ./અંત્યોદય, આધાર, અમૃતમ જેવાં કાર્ડ; જાતિ તેમ જ વ્યવસાય પ્રમાણપત્ર, અનામતની જોગવાઈ, અલગ નિગમ અને તેમાં પૂરતું પ્રતિનિધિત્વ, ડ્રાઇવિંગ લાઇસન્સ, બજેટ ફાળવણી અને તેનો ઉપયોગ, પડતર કે ખરાબાની જમીનની ફાળવણી, પાક વીમા યોજનાનો લાભ. આ ઉપરાંતની કેટલીક માગણીઓ જે-તે કોમ સંબંધિત હતી. જેમ કે, શાકભાજી કે અન્ય વેચાણ કરતી કોમો માટે જગ્યા, ઓડ અને વણઝારાને નદીના પટમાં રેતી ખોદવાની મંજૂરીમાં અગ્રતા, દેવીપૂજક અને રાવળ કોમને નદીના પટમાં શાકભાજી ઊગાડવા માટેની મંજૂરી, ભવાઈ ભજવનાર તરગાળા અને અંગકસરતના ખેલ બતાવનાર નટ સમુદાયો માટે તાલીમી સંસ્થા, વાદી-મદારી લોકોને સાપનું ઝેર કાઢવા માટેનું લાયસન્સ અને તેમનું ઝેર બૅન્ક સાથે જોડાણ, ડફેર પરિવારો પોલીસ દ્વારા થતા જુલમનો કાયમી અટકાવ.

સંમેલનના વિશાળ રંગબેરંગી મંડપમાં સજાવટ હતી, લાચારી કે ગરીબીની નિશાનીઓ ન હતી. અનેક શારિરીક ક્ષતિઓને કારણે ઊભા પણ ન રહી શકનારા ગંગારામ રાવળ બનાસકાંઠાના થરા પાસેના ખાખલગામના હતા. વાલીબહેન વિકલાંગતાને ઓળંગીને વીરમગામથી આવ્યાં હતાં. સંખ્યાબંધ સ્ત્રી-પુરુષો, યુવાનો, બાળકો, આધેડો અને ઘરડેરાં મેલાંઘેલાં કે થિગડાંવાળાં કપડાંમાં હતાં. પણ તે વરણવેશમાં ક્યાંક તેમની ઓળખનો ઇશારો હતો – લાલ કે પીળી  પાઘડી, ક્યાંક છૂંદણાં તો વળી ક્યાંક બલોયાં, કોઈકની પાસે રાવણહથ્થો તો કોઈકની પાસે પુંગી. આ બંને વાદ્યો બિલકુલ તળના કલાકારો પાસેથી સાંભળવાનો મોકો સંમેલનની શરૂઆતમાં મળ્યો. ત્યારબાદ ડીજેના તાલે ગરબા થયા. મિત્તલબહેન સહિત કેટલાંક ભાઈ-બહેનો હાથમાં નાના પ્લેકાર્ડસ લઈને ગરબા કરી રહ્યાં હતાં. તેની પરનાં સૂત્રો હતાં, ‘અમે છીએ’, ‘નામ ઉમેરો’ , ‘અનાજ મળે તેવાં રેશન કાર્ડ આપો’.

સંગઠનના બહુ સક્રિય ટેકેદાર અને રાજ્યના પૂર્વ મુખ્ય સચીવ પ્રવીણ લહેરીએ વિચરતા સમુદાયના લોકો સામે પાંચ મહત્ત્વનાં ધ્યેયો મૂકી આપ્યાં : મળવાપત્ર  અધિકાર ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં મેળવીને જંપવું, બાળકોને ભણાવવા માટેની વ્યવસ્થા પાકી કરવી, રોજગારલક્ષી કૌશલની તાલીમ મેળવવી, વ્યસનો તેમ જ  અન્ય બદીઓમાંથી મુક્ત થવું અને કાર્યકર્તાઓનું વ્યવસ્થિત માળખું ગોઠવવું.

સમુદાયોની માગણીઓ મિત્તલબહેને તેમનાં હંમેશ મુજબનાં જુસ્સાદાર ભાષણમાં વર્ણવી. ‘માથેથી આ કાળા કલરનું પ્લાસ્ટિક ક્યારે જશે ?’, એમ પૂછીને એમણે જણાવ્યું કે ઘર માટેનો ઠરાવ સરકારમાં થઈ ચૂક્યો છે. ચોકાવનારી માહિતી પણ તેમના ભાષણમાં હતી. જેમ કે, ધાર કાઢવાનું કામ કરતાં કરતાં સરાણિયાઓના અંગુઠા એવા થઈ ગયા છે કે આધાર કાર્ડ માટે પાંચ-પાંચ વાર લાઈનમાં ઊભા રહેવા છતાં તેમની છાપ જ નથી આવતી. ચાળીસ જાતિઓ સરકારની યાદીમાં છે, અને હજુ બેતાળીસ સમાવાઈ નથી ! વિમુક્ત જાતિઓ માટે 2003 સુધી અનામત હતી. વિચરતા સમુદાયો માટે વિજાપુર પાસે બનેલી વસાહતમાં આઠેક વર્ષથી વીજળી અને પાણી નથી. સરાણિયાઓના એક જૂથને માગણીઓ માટે મહેસાણા કલેક્ટરને મળવા લઈ ગયેલા એક કાર્યકર્તાને અધિકારીના મદદનીશે છણકો કર્યો : ‘તમે ઉકરડો લઈને આવી ગયા!’ મિત્તલબહેને કહ્યું કે અધિકારીઓને મળીએ ત્યારે તેઓ કહે છે કે ‘મંચની માગણીઓમાંથી ૭૦% માગણીઓ તો એવી છે કે જે ચપટીમાં પૂરી થઈ જાય’. પ્રમાણપત્ર આપવા માટે જાતિ અને પરંપરાગત વ્યવસાય પિછાણવા માટે તંત્રએ કેવી પદ્ધતિ અપનાવવી જોઈએ તેના માટેનાં, અનુભવ અધારિત સૂચનો પણ મિત્તલબહેને જણાવ્યાં. સંગઠનનાં નિષ્ઠાવાન કાર્યકરો વર્ષોથી રખડપટ્ટી અને લખાપટ્ટી કરતાં રહ્યાં છે.  છતાં પણ તંત્ર ખાસ હલતું નથી. આવાં જડ તંત્રને સક્રિય કરવા, ગમે તેટલી મુશ્કેલીઓની વચ્ચે પણ ગાંધીનગર અને દિલ્હી તરફ આગળ વધવાનો નિર્ધાર પણ તેમણે પ્રકટ કર્યો.

‘જે પક્ષ આપણું કામ કરશે તેને આપણે ટેકો આપીશું … અમે પણ છીએ એ સમજીને રાજકીય પક્ષોએ અમારા અધિકારોને ચૂંટણી ઢંઢેરામાં સમાવવા જોઈએ … ’ મિત્તલબહેનની તાજેતરની ફેઇસબુક પોસ્ટ જણાવે છે કે એક પક્ષે ચોથી તારીખ પછીનો સમય આપ્યો છે. બીજાએ હજુ ધ્યાન આપ્યું નથી. જોઈએ આ સરનામાં વિનાના માનવીઓનાં મતોની કોને પડી છે ?

+++++++

૦૧ નવેમ્બર  ૨૦૧૭

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 03 નવેમ્બર 2017

છબિ સૌજન્ય : મિત્તલબહેન પટેલની ફેઇસબૂક વૉલથી સાભાર

Loading

નાગરિકોને હિસાબ આપવાનો સમય

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|4 November 2017

ગુજરાતમાં છેલ્લા બે દાયકા સુવાંગ ભા.જ.પ.ના જ રહ્યા હોય ત્યારે કેવળ કૉંગ્રેસની ટીકાને ધોરણે તે હંકારી શકે ?

મંડાતી ચૂંટણીચોપાટે સમાચાર ઉતરે છે કે સંસદની શિયાળુ બેઠક વખત છે ને પડતી પણ મૂકાય. મળે તો પણ નામ કે વાસ્તે, આઠ દિવસ માંડ. આ જ દિવસોમાં એ વિગત પણ બહાર આવી છે કે ગુજરાત વિધાનસભા છેલ્લાં પાચ વરસમાં સરેરાશ બત્રીસ દિવસને ધોરણે મળી છે. બધે થતું હશે, પણ ઘરઆંગણાની વાત કરીએ તો આ બત્રીસ દિવસમાં કોઈ પણ કાયદાને પૂરતો ન્યાય આપવાનું નથી બનતું. ઉપરાંત રાજ્ય સરકારે જે કાર્યશૈલી (ખરું જોતાં, વ્યૂહ) ઉપજાવેલ છે તે પ્રમાણે કેગનો હેવાલ ગૃહના છેલ્લા દિવસે ટેબલ પર મુકાય છે એટલે એના પર ચર્ચાને સારુ મુદ્દલ અવકાશ નથી રહેતો. આનો અર્થ એ થયો કે લોકો પાંચ વરસે એક વાર પ્રતિનિધિત્વની દિશામાં જે વ્યાયામ કરે છે એનો વસ્તુત: કોઈ મતલબ કે માયનો જ વ્યવહારમાં કદાચ રહેતો નથી.

હમણાં પાંચ વરસે કરાતા વ્યાયામની (ચૂંટણીની) જિકર કરી તે સાથે અલબત્ત એવું ચોક્કસ જ કહી શકીએ કે કમસે કમ અત્યારે તો એ બધી ચર્ચા કરવાનો અને પ્રશ્નો પૂછવાનો અવસર છે, જ્યારે બત્રીસ દિવસમાં જે કંઈ છૂટી ગયું હોય એનું સાટું વાળી શકીએ. પણ એવી ધોરણસરની ચર્ચાનો છે કોઈ અવકાશ ક્યાંયે? ચેનલચોવીસા કને જઈ તો શકીએ પણ ચર્ચાની જે ‘સંસ્કૃિત’ રંગ રંગ ચેનલિયાંએ વિકસાવી છે એમાં કેટલું બધું કે‌વળ અને કેવળ પ્રાયોજિત છે? ક્યાંક તો એન્કર જ એજન્ડાબદ્ધ આક્રોશ મુદ્દામાં પેશ આવે છે. ટીવી ડિબેટમાં જુદા જુદા પક્ષોના પ્રવક્તાઓ આવે છે જરૂર, પણ ચર્ચા બધી ઘોંઘાટમાં ડુબી જાય છે – અને પ્રવક્તાઓ પણ મુદ્દા કરતાં ઘાંટા પર વધુ ભાર મૂકતા માલુમ પડે છે. એમાં પણ ભા.જ.પ.ના પ્રવકતાઓ (અપવાદ માફ) ઊંચા અવાજ સાથે આક્રમક વલણને અગ્રતા આપતા જણાય છે. સામસામી જુમલે સે જુમલા શૈલી સરવાળે મતઘડતરમાં કોઈ સકારાત્મક ફાળો આપી શકે એવી ખાતરી પછી ક્યાંથી રહે.

ભા.જ.પે. સ્વરાજના સાત દાયકામાં કૉંગ્રેસે શું કર્યું (કશું કર્યું નથી) – પ્રકારના અવાજમારામાં પાછું વળીને જોવા જેવું કદાચ રાખ્યું નથી. અહીં કૉંગ્રેસની બ્રીફ ઝાલવાનો સવાલ નથી. (આમે ય, સોશિયલ મીડિયા પર વિકાસ ગાંડો થયો છે. સાથે ભા.જ.પ.ની લાંબા સમયની એક તરફી સરસાઈ તૂટી પણ છે.) પણ, જ્યાં સુધી પ્રત્યક્ષ કામગીરીનો સવાલ છે, ગુજરાતમાં છેલ્લાં બાવીસ વરસ બાબતે જવાબ આપવા સારુ એ બંધાયેલ છે.

આ બાવીસ વરસમાંથી માનો કે રા.જ.પ.-કૉંગ્રેસ અફરાતફરીનો ગાળો બાદ કરીએ તો પણ બે દાયકાથી તો એ છે જ. કેન્દ્રમાં 1996થી 2004 વાજપેયીની સરકાર હતી અને હવે મે 2014થી નવેમ્બર 2017 એટલે કે સાડા ત્રણ વરસથી મોદી સરકાર છે. એટલે રાજ્યનાં વીસ વરસ પૈકી લગભગ અડધોઅડધ સમયગાળો કેન્દ્રમાં પણ પોતાની સરકારનો છે. તે પૂર્વે 1967ના સંયુક્ત વિધાયક દળ-સંવિદ પ્રયોગમાં ભા.જ.પ. (જનસંઘ) સહિતના બિનકૉંગ્રેસ પક્ષો સત્તાસહભાગી હતા જ.

મોરારજી દેસાઈના વડપણ હેઠળની જનતા સરકાર (જેમાં વાજપેયી અને અડવાણી આગળ પડતા હોદ્દે હતા) પણ, એમ તો બિનકૉંગ્રેસી સરકાર જ હતી ને? 1995ની કેશુભાઈ પટેલ સરકાર પૂર્વે ગુજરાતમાં ચિમનભાઈ પટેલની સરકારમાં ભા.જ.પ. સહિતનું મિશ્ર પ્રધાનમંડળ કાર્યરત હતું. 1975ની જનતા મોરચા સરકારમાં પણ જનસંઘ હતો જ. એટલે આગલાં વરસો બધાં કૉંગ્રેસનાં જ હતાં એમ કહેવામાં અતિશયોક્તિ નહીં છતાં કંઈક વધુ પડતું તો છે જ. (સ્વરાજના પહેલા પ્રધાનમંડળમાંં શ્યામપ્રસાદ મુખર્જી ક્યાં નહોતા?)

સાર એટલો કે ભા.જ.પે. હજુ હમણે જ અમે સત્તા પર આવ્યા એવું કહેવાનું મૂકીને – અને બધી જ કમજોરી ને અવગતિનો ટોપલો કૉંગ્રેસ કે બીજાને માથે નાખતા પહેલાં પોતાની જવાબદારીનો હિસાબ આપવાનો સમય પાકી ગયો ગણાય. ગુજરાતમાં છેલ્લા બે દાયકા સુવાંગ એના જ રહ્યા હોય ત્યારે કેવળ કૉંગ્રેસની ટીકાને ધોરણે તે હંકારી શકે? કૉંગ્રેસની ટીકા ચાહે તેટલી કરો – પણ તે કર્યાં પછી, સળંગ ચારપાંચ વિધાનસભા જિત્યા પછી – તમારી જે જવાબદારી બને છે એ તો બને જ છે. કૉંગ્રેસને તો આ પૂર્વે પ્રજાએ વાજતેગાજતે રવાના કરી છે, તેમ ભા.જ.પ.ને ઉપરાછાપરી પોંખીને પોતાની રીતે ન્યાય કરેલો જ છે. એટલે હવે કૉંગ્રેસની વહી વાંચવા કરતાં વધુ જરૂર ભા.જ.પ.ની વહી વંચાય તે છે.

ભા.જ.પે. જેમ પોતાનો હિસાબ આપવો રહે છે તેમ હમણે હમણે એણે જે નવું સૂત્ર ઉપસાવવા માંડ્યું છે એને ધોરણે પણ કેટલીક સફાઈ કરવી રહે છે. ‘જાતિવાદ નહીં પણ રાષ્ટ્રવાદ’ એ તરજ પરનું આ સૂત્ર છે. ભા.જ.પ.ને (જનતા – જનસંઘને) સંજયકૃપાએ 1977માં સૂંડલા મોઢે મુસ્લિમ મતો મળ્યો હતા એ અહીં અમસ્તા જ યાદ આવ્યું. છતાં એનો પણ ચોક્કસ સંદર્ભ છે. આખો કિસ્સો કૉંગ્રેસની કથિત વોટ બૅન્કનો હતો. ભા.જ.પે. રાષ્ટ્રવાદ કે હિંદુત્વની કોકટેલ પાછળથી કરી એમાં પટેલો સાથે સમીકૃત થવાના તબક્કાથી માંડીને ઓ.બી.સી. ઓળખ વગેરે વાનાં તરત ધ્યાન ખેંચે છે. એમાં હિંદુત્વરૂપે ગોળબંદ થયા પછી અને છતાં આ બધી રેખાઓ સાફ દેખાય છે.

માધવસિંહ – ઝીણાભાઈ – સનત મહેતા વગેરેની ‘ખામ’ ફોર્મ્યૂલાનો, મુસ્લિમોને બાદ કરીને રાખેલો એ અભિગમ હતો. પણ આ બધાને દેખીતી એકત્ર અને ગોળબંદ કરવા છતાં નાગરિકતાની પાયરીએ તે એકત્ર ન કરી શક્યો એ ગુજરાતના હાર્દિક – અલ્પેશ ઉઠાવથી સાફ દેખાય છે. એટલે આજે જો એ જાતિવાદ વિ. રાષ્ટ્રવાદ એવા સૂત્ર પર આગળ જવાની વાત કરતો હોય તો ગુજરાતમાં એણે જે સામાજિક ઈજનેરીનો દાવો કર્યો હતો એમાં પડેલી તિરાડો માટેની પોતાની જવાબદારી એને સમજાવી જોઈએ. હિંદુત્વ નામના રાજકીય વિચારધારાવાદમાં કમનસીબે નાતજાતથી ઊંચે ઊઠી નરવી ને નક્કુર નાગરિક ઓળખની કીમિયાગરી નથી. કૉંગ્રેસની મતબૅન્કવાદ બદલ ટીકા કરતી વખતે વૈકલ્પિક વ્યૂહની દૃષ્ટિએ આપણે ક્યાં ઊભા છીએ તે વિચારવું રહે.

હાલની ચૂંટણીમાં ભા.જ.પ.નાં વીસબાવીસ વરસ સામે નાગરિક છેડેથી આ પ્રશ્ન પૂછવો લાજિમ એટલા માટે છે કે વિકાસ ગાંડો થયો હોય ત્યારે આ પક્ષ કોમી ગાંડપણમાં પોતાનો મોક્ષ શોધે એવું બની શકે છે. આટલું કહેવા માટે કોઈ જોશીનજૂમીની જરૂર નથી તે નથી. સોશિયલ મીડિયામાં આગળપાછળ રહેવાની કે કોઈ વનલાઇનર વાયરલ થઈ વસંતવગડે મત્ત મહાલે, એટલી સહેલી આ નથી. પ્રજાસૂય પરિબળોએ વીસ-બાવીસ વરસનાં શાસન તળે વિકાસના વાસ્તવ અને રાષ્ટ્રવાદને નામે ચાલેલ વહેવાર બાબતે સવાલો ઉઠાવવા રહે છે.

e.mail : prakash.nireekshak@gmail.com 

સૌજન્ય : ‘દર્પણ’, “દિવ્ય ભાસ્કર”, 04 નવેમ્બર 2017

Loading

...102030...3,2913,2923,2933,294...3,3003,3103,320...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved