Opinion Magazine
Number of visits: 9687535
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક અજાણ્યા ગાંધીની આત્મકથા

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|18 December 2017

એક અજાણ્યા ગાંધીની આત્મકથા : નટવર ગાંધી : પ્રકાશક – ઇમેજ પબ્લિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ, મુંબઈ – અમદાવાદ : ISBN – 978-81-7997-732-3 : પ્રથમ આવૃત્તિ – 2016 : પૃષ્ઠ – 344; ફોટાઓ – 16 પાન : મૂલ્ય રૂપિયા 400; અૅરમેલ સાથે વિદેશમાં – $ 15 : કિન્ડલ [Kindle] ‘ઈ-બૂક’ [E-book] આકારમાં ય મેળવી શકાય છે.

°

સને 1984માં સલમાન ઋષદીએ લખ્યું હતું, ‘રાજકારણ અને સાહિત્યની સેળભેળ થયા કરે છે, તેની મેળવણી એટલી હદે થઈ છે કે તેમને બન્નેને છૂટા પાડવા અઘરા પડે, … અને આ મેળવણથી પરિણામો ય સર્જાતાં રહ્યાં છે.’ આજની ઘડીએ ‘1984’નો ગાળો કદાચ આપણને સાદો, સરળ લાગતો હોય, પણ તે વેળા અનેક વમળો ચોમેર ઉછાળા ખાઈ રહ્યાં હતાં. એવેએવે સમયે, રાજકારણ બાબત લેખકગણે વીતરાગભાવ રાખવો જોઇએ, એવી દલીલ કરવા સારુ જ્યૉર્જ અૉરવેલની આલોચના કરતાં ઋષદીએ કહ્યું હતું કે આપણે સૌ ઇતિહાસથી તો પ્રફુલ્લિત બનીએ છીએ, આપણે ઇતિહાસ તેમ જ રાજકારણથી તો તેજોધર્મી (radioactive) થઇએ છીએ.’ અને તે ય ‘આ જગતમાં જ્યારે કોઈ પણ જગ્યાએ નીરવ ખૂણો મળવો ય દુર્લભ થયો છે ત્યારે ઇતિહાસથી, કોલાહલથી, ભયાનક તેમ જ અશાન્ત ધાંધલધમાલથી આપણે સરળતાએ છૂટી શકવાના નથી.’ … આની પછીતે, ઋષદી, સને 2012માં, ‘જૉસેફ એન્ટૉન’ નામે 650 પાનની સમૃદ્ધ સ્મરણકથા લઈને આવે છે.

જ્યૉર્જ અૉરવેલની આ સલાહથી ઊફરેટા ચાલતા રહી, આપણે અહીં જેની વાત માંડવા જઈ રહ્યા છે, તે નટવર ગાંધીની ‘એક અજાણ્યા ગાંધીની આત્મકથા’માંથી પસાર થતાં થતાં આવો કોઈ વીતરાગભાવ આ લેખકમાં જોવાને મળતો નથી. વળી, નટવરભાઈ લેખકરૂપે સતત તેજોધર્મી હોય તેમ પણ લાગ્યા કર્યું છે.

નટવર ગાંધીની આત્મકથામાં એક વાત દીવા જેવી ચોખ્ખીચટ્ટ છે : લેખકે અહીં સાવર કુંડલા, મુંબઈ, ઉપરાંત અમેરિકાના અૅટલાન્ટા, ગ્રિન્સબરો, બેટન રુજ, પિટ્સબર્ગ તેમ જ વૉશિંગ્ટન નગરની ગતિવિધિ અને એમને ખુદને થયેલા જે તે ગામો ને શહેરોના અનુભવોની વિગતે નોંધ કરી છે.

કહેવું હોય તો કહેવાય : સાવર કુંડલાથી ફક્ત દોરીલોટો લઈને નીકળી પડેલા એક મનેખની આ આપવીતી છે. મુંબઈમાં એ ટીચાય છે, ટીપાય છે, ને રિબાય પણ છે. એ વચ્ચે એ ભણે ય છે અને ગૂંજે ગણતર ઊમેરતા જાય છે. તે પછી ય, એમને મુંબઈ તો સદતું નથી; અને મૂછનો દોરો હજુ ફૂટું ફૂટું થતો હોય તેવી ઉમ્મરે, લાગ જોઈને, કૉલેજમિત્ર નવીન જારેચાની સક્રિય સહાયથી અમેિરકાની ખેપ કરે છે. ખાલી હાથે નીકળી પડેલા આ અપાર મહત્ત્વાંકાક્ષી યુવાન અમેરિકે જે પામે છે, મેળવે છે તેની અનુભવ-ઝાંખી આ આપવીતીમાં અહીં થાય છે.

સાતઆઠ દાયકા પહેલાં, કાઠિયાવાડમાં કુટુંબકબીલાની સાધારણ જે ગતિવિધિ હતી તેનું ચિત્રણ લેખકે કર્યું છે. વાસણ પર કલાઈનું જેમ પડ ચડાવાય છે તેમ અમેરિકાના વસવાટે નટવર ગાંધી પર જે પશ્ચિમી સંસ્કારનું સહજ આવરણ બન્યું છે, તેની પછીતે, સાતઆઠ દાયકા પહેલાંની ગતિવિધિની આલોચના ય અહીં જોવા પામીએ છીએ. બા અને બાપુજી માટે એક ટકો ય આદર ઘટાડ્યા વિના લેખક બાપુજીની રીતરસમ અંગે તાજૂબી જ અનુભવે છે.

બ્રિટિશ રાજના એ આથમતા દિવસો છે અને ગાંધી-પટેલ-નેહરુની નેતાગીરી સાથે આઝાદીના ઉષ:કાળનો એ સંધિકાળ. વિશ્વવ્યાપી બજારવાદની હજુ અસર પહોંચી નથી તેવા કાઠિયાવાડના એક સાધારણ ગામની વાત અહીં મંડાઈ છે. ગાયકવાડી રાજના અમરેલી પરગણાનો એ વિસ્તાર. ટેલિફોન સુવિધા નથી, વીજળીના દીવા ય નહીંવત્‌ છે. હજુ ગાડીની અવરજવર પણ ઝાઝેરી નથી. બળદગાડાંની બોલબાલા છે, ક્યારેક એકાની તો કોઈક વાર ઘોડાગાડીની સોઈ હોય તો હોય. પરગામ જવા માટે આઘે રેલગાડી છે અને તેનો વ્યવહાર પણ ઝાઝેરો જોવા મળતો નથી. ગામમાં એકાદ મુખ્ય શેરીમાં આંગળીને વેઢે ગણાય તેટલી દુકાનો ઊભી છે. વસ્તીનું પ્રમાણ પણ સાધારણ. વળી, દરેક એકબીજાને ઓળખે તેવા તેવા તે દિવસો. નાવલી નામે મોસમી નદીની ચોપાસ સાવર અને કુંડલા નામક બે ગામોનું જોડાણથી બનેલું આ સાવર કુંડલા શહેર છે. તેનું રસિક વર્ણન નટવર ગાંધીની કલમે અને અનુભવે અહીં પામીએ છીએ.

પ્રસિદ્ધ રુસી નવલકથાકાર વ્લાડીમીર નેબોકોવની આત્મકથાનો હવાલો આપતાં આપતાં  બાળપણની વાત છેડી, લેખક લખે છે, ‘… નાનપણથી જ મને એવું કેમ થતું કે આ કુટુંબ, આ ઘર, આ ગામ હું ક્યારે છોડું ? અને એ બધું છોડ્યા પછી મને ક્યારે ય એવું થયું નથી કે ચાલો, પાછા જઈએ. ભલે કોઈનો ઉછેર નેબોકોવની જેમ અમીરી કુટુંબના લાડમાં ન થયો હોય, પણ શિશુ સહજ આનંદ અને ઉલ્લાસનો અધિકાર દરેકનો છે. એમાં કંઈ ગરીબ તવંગરના ભેદભાવ ન હોય. છતાં મારા કુટુંબમાં મેં ઉલ્લાસ અને ઉત્સાહનું વાતાવરણ જોયું નથી. માબાપ, દાદાદાદી કે ભાઈબહેનોના પ્રેમ અને લાડ મને નહીં મળ્યા હોય એવું હું કહેતો નથી, પણ એવા કોઈ લાડ કે વ્હાલ આજે યાદ નથી. એ કેવું ? એ પણ યાદ નથી કે મેં ભાઈબહેનો સાથે સંતાકૂકડી કે બીજી કોઈ રમત રમી હોય, કે દાદાદાદી પાસેથી કોઈ પરીકથાઓ સાંભળી હોય. કે કાકા (બાપુજી) સાથે બેસીને પાંચ મિનિટ વાત કરી હોય. અરે, મારો જન્મદિવસ ક્યારે ય ઉજવાયો હોય એવું પણ યાદ નથી !’

આવા વાતાવરણ વચ્ચે આ એકલસૂરા નટવર ગાંધીનો પાયો ઘડાયો છે. એમાં એમને સદ્દનસીબે સંસ્કાર મંદિરની લાઇબ્રેરીની લત લાગે છે. ત્યાં આવતાં ને ખડકાતાં સમસામયિકોને, પુસ્તકોને સહારે સજ્જબદ્ધ થતા ય જાય છે. ખેર ! ગામમાં શાળાંત પરીક્ષાની ત્યારે જોગવાઈ નહીં, તેથી મેટૃિકની પરીક્ષા ભાવનગર જઈ આપી; અને પછી, પિતા મોટી બહેનને સહારે કુંટુંબની જવાબદારી વહેવા મુંબઈની વાટે રવાના કરે છે …

કમાલની વાત તો એ છે કે નટવર ગાંધીને ક્યાંકથી ને ક્યાંકથી સહાયટેકો મળી જ જાય છે. જિંદગીમાં સાવર કુંડલાથી બહાર પણ કદાચ પગ નથી મુક્યો, તેવા આ મનેખને, વિરમગામે એક ‘ભલા માણસે’ સહાય કરી. મુંબઈની ગાડીમાં બેસાડ્યા, ચાનાસ્તો ય કરાવ્યો અને મુંબઈના પાદરે પહોંચતા જગાડ્યા પણ ખરા ! અને પછીનો એક નવો અવતાર શરૂ − ! અને વળી, િફલ્મોને આધારે મુંબઈનું મનમંદિરિયે ગાંધર્વનગર સરીખું ખડું કરેલું ચિત્ર જાણે કે ધડોધડ ખરડાવા લાગ્યું.

તેમ છતાં, લેખક લખે છે, ‘મારા જીવનમાં જે વળાંકો આવ્યાં છે, જે પરિવર્તનો થયાં છે, તેમાં મોટામાં મોટું તે અમારા નાના ગામમાંથી મુંબઈ આવવું તે. દેશમાંથી અમેરિકામાં આવવા કરતાં પણ એ મોટો બનાવ હતો. મુંબઈ મારા માટે માત્ર દેશની જ નહીં, પણ દુનિયાની બારી હતી. અહીં મને પહેલી વાર ભાત ભાતના લોકો જોવા સાંભળવા મળ્યા. દેશવિદેશના અંગ્રેજી છાપાં અને મૅગેઝિન જોવા વાંચવાં મળ્યાં. મારી આખી દૃષ્ટિ બદલાઈ ગઈ. અંધારિયા કૂવાનો દેડકો જાણે કે મોટી માછલી બનીને મહાસાગરમાં તરવા માંડ્યો !’

કવિ, ખુદ, લખે છે :

અહીં ઊઘડી આંખ, પાંખ પ્રસરી, ઊડ્યો આભ હું,
મહાનગર આ, ભણ્યો જીવનના અહીં પાઠ હું.    

દરમિયાન, મહા ત્મા ગાંધીએ મુંબઈને ‘હિંદનું પ્રથમપહેલું નગર’ ગણાવ્યું હોવાનું ભીખુ પારેખે નોંધ્યું છે. ઉષા ઠક્કર તથા સંધ્યા મહેતાના પુસ્તક ‘ગાંધી ઇન બૉમ્બે’ના આમુખમાં ભીખુભાઈ જણાવે છે તેમ, “યન્ગ ઇન્ડિયા”ના 06 જુલાઈ 1921માં, ગાંધીજી, વળી મુંબઈને ‘સુંદર મુંબઈ’ તો કહે જ છે, પણ પછી ઉમેરે છે, મોટાં મોટાં મકાનોને કારણે મુંબઈ સુંદર નથી, કેમ કે મોટા ભાગનાં મકાનો તો ગંદી ગરીબાઈનો ઢાંકપીછોડો કરે છે; વળી, લોકોનું લોહી ચૂસી ચૂસીને એકઠી કરેલી દોલતના આ મકાનો દ્યોતક છે. પરંતુ પોતાની જગપ્રસિદ્ધ ઉદારતાને કારણે મુંબઈ સુંદર છે. …’ નટવર ગાંધીના અનુભવજગતમાં ય આવું જોવા પામીએ જ છીએ ને ? … ખેર !
મુંબઈ માંહેના ગુજરાતી ડાયસ્પોરાનું અહીં, આ ચોપડીમાં, સરસ ચિત્રણ મળે છે. આવું વર્ણન કદાચ આ પહેલાં ક્યાં ય જોવાવાંચવા પામ્યો હોઉં તેમ સાંભરતું નથી. પ્રિન્સેસ સ્ટૃીટ, કાલાઘોડા, ફ્લોરા ફાઉન્ટન, હૉર્નબી રોડ, બોરીબંદર, કાલબાદેવી, ધોબી તળાવ, મૂળજી જેઠા મારકેટ, માટુંગા, અને તેની ચોપાસના વિસ્તારોમાં જે ગુજરાતી વસાહતો હતી, તેની આછીપાતળી વાતો તો અહીં ગુંથાઈ છે, પણ લેખકને જે તાણ અનુભવી પડતી અને પરિચિત લોકો જે પ્રકારની હાડમારી અનુભવતા તેની જાતઅનુભવવાળી છાંટની રજૂઆત જેટલી રોચક છે તેટલી પીડાકારી પણ છે. બીજી પાસ, મૂળજી જેઠા મારકેટના વેપારવાણિજ્યની આવી આડીઅવળી, ઊંડી વિગતો વિશેષ નોંધપાત્ર છે. અને સિડનમ કૉલેજના આ વિદ્યાર્થીને ખરચો કાઢવા જે પ્રકારની નોકરીઓ અહીં કરવી પડેલી તેની દાસ્તાઁ ય સમજવા જેવી છે. મુંબઈમાં રહી શકાય, ભણી શકાય અને ઘેર કંઈક ચપટીમુઠ્ઠી આપી શકાય તે માટેનાં વલખાં નટવર ગાંધીને માટે હાંફકારી નીવડેલાં. એમાં એ નલિનીબહેન વોરાને પરણ્યાં. અને પછીની પરિણામલક્ષી વાતો આટલે વરસે રમૂજ જરૂર પેદા કરે છે, પણ તે સમયે આ જણ હેબતાયેલા રહેતા હશે જ. નલિનીબહેનને સાવર કુંડલા બાબાપુજીની ઓથે રાખવાનો વારો આવ્યો અને પછી એક પછી એક જુદી જુદી સેનેટેરિયમોનો રઝળપાટી નિવાસકાળ. આશરે ત્રણ ત્રણ મહિને ફેરબદલીના આ નિવાસકાળમાં વળી નાના ભાઈને સાથે સાંચવવાની જવાબદારી આવી પડી. તાણીતૂણીને વળી એક ઓરડી ખરીદીની જોગવાઈ થઈ. તેનો ય વળી ભાતીગળ પણ વરવો અનુભવ.

આ બધી હાલાકીઓ વચ્ચે નટવર ગાંધી પોતાની ગમતી પ્રવૃત્તિઓ − લાઇબ્રેરીઓમાં જઈ સમસામયિકો, પુસ્તકો વાંચવાની ટેવ, આ કે તે સિનેમાઘરોમાં જઈ ફિલ્મો જોવાની લત, એ સાઠીના દાયકામાં જે સાહિત્યની તેમ જ રાજકારણ સમેતના જાહેર જીવનની સભાબેઠકો થતી તેમાં અચૂક હાજરી – ચાલુ રાખી શકેલા તેનું અચરજ છે. એ અરસાના મુંબઈનો મને ય પરિચય. નટવર ગાંધી જે જે સભાબેઠકોમાં જતા તેમાં બહુધા હું ય હાજર. પણ ત્યારે અમારે ક્યારે ય મળવાહળવાનું બનેલું જ નહીં !

સિડનમ કૉલેજમાં નટવરભાઈના એક મિત્ર હતા, નામે નવીન જારેચા. નવીનભાઈએ અમેિરકા પ્રયાણ કર્યું, અને લેખક પણ ત્યાં જવાના સ્વપ્ન જોવાં લાગે છે. નવીન જારેચાએ નટવર ગાંધી માટે અૅટલાન્ટા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલો અને તેની ડૉર્મિટરીમાં રહેવાની વ્યવસ્થા કરી આપેલી. વળી, ખંડ સમય માટેની નોકરી પણ નટવરભાઈએ મેળવી કે જેથી બર્સરી સિવાય આ પારથી કંઈક બચત પણ થાય. નલિનીબહેનને અને સાવર કુંડલામાંના પરિવારને કંઈક મોકલી શકાય.

દરમિયાન, અહીંથી એમ.બી.એ.ની ઉપાધિ મેળવે છે. અને ત્યાંથી નૉર્થ કેરોલિના રાજ્યના ગ્રિન્સબરૉની પબ્લિક યુનિવર્સિટીમાં નોકરી કરવાનો આરંભ કરે છે. પ્રૉફેસર બને છે. લોકપ્રિયતા ય મેળવે છે. પીએચ.ડી. ભણવાનો આરંભ કરે છે. દરમિયાન, નલિનીબહેન ભારતથી આવી જાય છે અને પીએચ.ડી. અભ્યાસ પૂરા સમય કરવા સારુ ‘ડેરા તંબૂ ઊપાડીને’ હાલ્યા બૅટન રુજ. અમેરિકાના દક્ષિણ વિસ્તારના રાજ્યોએ આમ લેખકનું ઘડતર કર્યું છે. ડૉક્ટરેટ મેળવ્યા કેડે પીટ્સબર્ગ પહોંચ્યા. અહીં પોતાનું ઘર ખરીદ કરી વસે છે. અમેિરકન નાગરિક પણ બને છે. અને છેવટે, વૉશિંગ્ટન [ડિસ્ટૃીક્ટ અૉવ્‌ કોલમ્બિયા] ખાતે ઠરીઠામ થાય છે. સીડીના એક પછી એક દાદરા ચડતા જઈ, નટવર ગાંધી ચીફ ફાઈનાન્સિયલ અૉફિસરની પદવી પરથી ફાડચામાં ગયેલા દફતરને ખમતીધર પણ કરી બતાવે છે. ત્યાં સુધીમાં એ ‘એક અજાણ્યા ગાંધી’ રહેતા નથી; બલકે વિશ્વપ્રખ્યાત નટવર ગાંધીમાં પરિણમિત બન્યા છે. હવે, આજે નિવૃત્તિ સમયે પોતાનો સમય વાંચનલેખનમાં વ્યતિત કરે છે, વિશ્વ બૅન્કને સલાહકાર તરીકેની સેવાઓ ય આપ્યા કરે છે.          

જેમ મુંબઈ માંહેના ગુજરાતી ડાયસ્પોરાનું તેમ અહીં અમેરિકાનિવાસી ગુજરાતી ડાયસ્પોરાનું વાચકને ચિત્ર મળે છે. અને તેમાંથી કોઈ સંશોધકને જોઈએ એટલી સામગ્રી મળી જાય છે. અમેિરકા ગયેલા ગુજરાતીઓ જ નહીં, બલકે હિન્દવી જમાતના વિધવિધ લોકોની અનેકવિધ ખાસિયતો અને જીવનીની અનેક વાતો જાણવાસમજવા પામીએ છીએ.

આપ્રવાસ, દેશાતંર અધિવાસ [immigration] બાબત લેખક સજાગ રહ્યા હોય અને સતર્કપણે વિચારતા હોય તેમ આ પુસ્તકમાંથી પસાર થતાં લાગ્યા કર્યું છે. પુસ્તકના ભાગ બેમાંથી પસાર થતાં લાગશે કે લેખક, સ્વામી આનંદ કહે છે તેમ, કોઈક જાતના ‘અમરધામાભિમુખ’ પ્રદેશ[‘પ્રૉમિસ્ડ લૅન્ડ’]ની જાણે કે તલાશમાં છે. અને હળુ હળુ અૅટલાન્ટા, ગ્રિન્સબરો, બેટન રુજ, પીટ્સબર્ગ આવતાં આવતાં સુધીમાં એ અમેિરકાને પોતાની કર્મભૂમિ માનતા થઈ ગયા છે. એટલું જ નહીં, વૉશિંગ્ટન પહોંચતા સુધીમાં ગાંધી દંપતી અમેિરકી નાગરિકપદ ઉલ્લાસભેર સ્વીકારે છે. અને પછી પૂરી સમજદારીથી નાગરિક તરીકે પોતાની ફરજ અદા કરવામાં પાછા પડતા નથી. લેખક, ખુદ, લખે છે : ‘દેશમાં, ખાસ કરીને મુંબઈમાં મને જે કડવા અનુભવો થયા હતા તે કારણે દેશમાં પાછા જઈ દેશસેવા કરવી છે એવા શેખચલ્લીના વિચારો મને ક્યારે ય નહોતા આવ્યા. જ્યારે મેં એર ઇન્ડિયાનું ન્યૂ યૉર્ક આવવાનું પ્લેન લીધું ત્યારે જ મેં દેશને રામરામ કરેલા. … જે કાંઈક મારું ભવિષ્ય છે તે મારે અમેિરકામાં જ ઘડવાનું છે.’

અને પછી સ્વગત જાણે બોલતા હોય તેમ, નટવર ગાંધી કહી બેસે છે, ‘આ તો અમારો સગવડિયો ધર્મ હતો.’ આગળ વધી, એ કહેતા રહ્યા, ‘આ તો અમે માત્ર કાયદેસર અમેરિકન થયા, એટલું જ. સાચું કહો તો અમે સોમથી શુક્ર સુધીના અમેરિકન શનિ રવિએ પાછા ઇન્ડિયન થઈ જઈએ. ભલે અમે અમેિરકામાં રહીએ અમે અમારો કામધંધો કરીએ, પણ ઘરે આવીએ ત્યારે પાછું બધું અમારું ઇન્ડિયન જ !’

જેમ અમેિરકામાં તેમ વિલાયતમાં ગુજરાતી વસાહતમાંની આવી વિચારસરણી અને કરણીમાં ઝાઝો તફાવત નથી. દૂધમાં સાકર ભળે તેમ આપણે મુખ્ય પ્રવાહમાં કેટલા ઓગળ્યા છીએ, તે તો તોતેર મણનો કોયડો બની બેઠો છે ! જો કે દેશપરદેશ વસેલી મોટા ભાગની ડાયસ્પોરિક વસાહતોમાં લગભગ આવું જ જોવા અનુભવવા મળવાનું.

લેખકે અમેરિકી જનજીવનમાં અને જાહેર જીવનમાં ઓગળી જઈ ઓતપ્રોત થયેલાં કેટલાંક વ્યક્તિવિશેષોનાં નામોલ્લેખ જરૂર કર્યા છે. આવું અન્યત્ર પણ છે જ છે. અહીં યુરોપમાં પણ તેવા તેવા દાખલા જડી આવે છે; અને અન્યત્ર પણ.

લેખકે આ અંગે પોતાના વિચારમંતવ્યોને પૂરવણીના પહેલા લેખ – ‘અમેિરકામાં વસતા ભારતીયો -માં વિગતે મૂક્યાં છે.

આ આત્મકથામાં લેખકે કેટલાક બહુ જ સરસ આછાંપાતળાં ચરિત્રચિત્રો આપ્યાં છે : બા, કાકા (એમના પિતા), એમના શાળા શિક્ષક મુકુંદભાઈ, એમના પિતરાઈ રતિભાઈ, મિત્ર નવીન જારેચા અને મેઘનાદ ભટ્ટ, સિડનમ કૉલેજ માંહેના ગુજરાતીના પ્રૉફેસર મુરલી ઠાકુર, વૉશિંગ્ટના મેયર મેરિયન બેરી તેમ જ એન્થની વિલિયમ્સ વિશેષ તરી આવે છે.

પુસ્તકમાંથી પસાર થતાં અનેક ઠેકાણે લેખકે ‘રૅટિરક’[rhetoric]યુક્ત વાક્યોનો ભરપેટ ઉપયોગ કર્યો છે. આટઆટલાં વરસો પરદેશમાં રહ્યા તેથી લેખક પર આ રસમની અસર હોય તેમ પણ ક્વચિત, સ્વાભાવિક, બને. પશ્ચિમમાં આનો સવિશેષ ઉપયોગ લખાણોમાં, વક્તવ્યોમાં થતો હોય છે. લેખક પણ અહીં સવાલે છે, પણ તેના ઉત્તર એ સવાલમાં જ સૂચિત છે. આને કારણે લેખક અહીં ખૂબ પૂછી પણ લે છે અને એમને અપેક્ષિત ઉત્તર વાચકને સારુ ગૂંજે ભરતા ય રહે છે.

અમરેલી વિસ્તારની તળપદી ભાષાનો છૂટથી લેખકે ઉપયોગ કર્યો છે. વાક્યો ક્યાંક ટૂંકા ય છે, અને આશરે છ દાયકાના પરદેશ નિવાસને કારણે ઘર બેઠી અંગ્રેજી શબ્દમાળાની રંગોળી પણ જ્યાં ત્યાં પુરાઈ જોવા મળે છે. આ પુસ્તકમાં બીજી એક વાત પણ આંખે વળગે છે : તે લેખકની ખરાઈ. પોતાની પણ આલોચના કરવાનું ય નટવર ગાંધીએ ટાળ્યું નથી. અને આનાં દૃષ્ટાન્તો ઠેરઠેર જોવાવાંચવાં મળે છે. વૉશિંગ્ટન (ડિસ્ટૃિક્ટ અૉવ્ કોલમ્બિયા) રાજ્યમાં નટવર ગાંધી ખુદ ‘ચીફ ફાઈનાન્સિયલ અૉફિસર’ હતા, તે વેળા, રુશવતખોરીની અસરને કારણે નાણાંકીય ઝંઝાવાતનો સપાટો બોલી ગયો. પોતાને ત્રાજવે મૂકતાં મૂકતાં લેખકે પોતાની વાત બેધડક અહીં મૂકી છે. નીરક્ષીરપણે એ પાર પડે છે તેની ગાથા ય અહીં જોવાઅનુભવવા મળે છે.       

ગુજરાતના નીલ કાંઠેથી પરદેશે કમાવાધમાવા ગયેલી આપણી જમાતની, ટૂંકમાં, અહીં અગત્યની ઇતિહાસનોંધ આપણને મળે છે. પ્રભુદાસ ગાંધીનું ‘જીવનનું પરોઢ’, નાનજી કાળિદાસ મહેતાની આત્મકથા, દીપક બારડોલીકરે આપી ‘સાંકળોનો સિતમ’ તથા ‘ઉછાળા ખાય છે પાણી’ તેમ જ અહમદ ગુલની જીવનકથા ‘આલીપોરથી OBE’ સાથે આ પુસ્તક પણ આપણી વસાહતને પામવાનું, સમજવાનું, જાણવાનું ભારે અગત્યનું સાધન બને છે. અને તેથી તેનું ઊંચેરું સ્વાગત છે.

જ્યારે બીજી બાજુ, લેખક ખુદ લખે જ છે : ‘આ લખવાનો મુખ્ય આશય તો જાતને હિસાબ આપવાનો હતો. મનુષ્ય જીવન જીવવાની જે અમૂલી તક મળી છે તે મેં વેડફી નાખી છે કે એ તકનો મેં કંઈ સદુપયોગ કર્યો છે તે ચકાસવું હતું. એ ઉપરાંત આગળ જણાવ્યું છે તેમ હું મહત્ત્વાકાંક્ષાના મહારોગથી સદાય પીડાતો રહ્યો છું, અને હજી પણ પીડાઉં છું. જે કાંઈ ધાર્યું હતું તે સિદ્ધ નથી થયું તે તો સ્પષ્ટ જ છે, પણ એ માટે મેં યથાશક્તિ અને યથામતિ પ્રયત્નો કર્યા છે કે નહીં તે તો વાચકમિત્ર જ નક્કી કરી શકે.’

ચાલો, એમ રાખીએ !  

પાનબીડું :

‘ … જીવનચરિત્ર એ નરું કાવ્ય, નરો રોમાન્સ કે નરો ઇતિહાસ નથી. એવી ચરિત્રકથા જોડે એક ક્ષણેક્ષણ જદોઝદ ખેડતા, બદલાતા અને વિકસતા આત્માની જીવન-જાત્રા સંકળાયેલી હોય છે. ઇતિહાસ, સાહિત્ય, કાવ્ય, રોમાન્સ અને અપૂર્વ વીરતા(Dare-devilry)નાં સાહસ એમાં ઓતપ્રોત થઈને તાણાવાણાની જેમ અકેક તારે ને ત્રાગડે વણાતાં જતાં હોય છે. એને જુદાં પાડીને જોવા કે મૂલવવા જઈએ તો કપડું જ ફાટે. એટલે ઊંચી ઈશ્વરદત્ત બક્ષિસો અને સમગ્ર દૃષ્ટિવાળા માણસે જ એમાં હાથ નાખવો જોઈએ. માણસમાં સાચું સમતોલન, અનુભવ, ન્યાયદૃષ્ટિ અને Perspective પાકટ ઉંમરે જ આવે છે. પચાસી વીતાવી ન હોય એવા માણસે ચરિત્રકારનો role સ્વીકારવામાં જોખમ છે.’

— સ્વામી આનંદ

મકરંદ દવેને 30-07-1960ના લખેલા જવાબનો અંશ.

(હિમાંશી શેલત સંપાદિત ‘સ્વામી અને સાંઈ’ નામે સ્વામી આનંદ – મકરન્દ દવેના પત્રોમાંથી સાભાર, પૃ. 135)

હેરૉ, 17 ડિસેમ્બર 2017

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

[શબ્દો : 2,371] 

Loading

વિકાસ અને વજૂદનો વ્યાખ્યાવિવેક

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|16 December 2017

જીતી રહેલા જણાતા ભાજપને હાંફ અને હરીફાઈનો સામનો ખાસા બે દાયકે કરવાનો આવ્યો.

એક રીતે, હવે એ ઠીક જ છે કે 18મી ડિસેમ્બરે વિધિવત્ પરિણામ શું હશે એનાં અનુમાનોની સટ્ટાબજારી અને રાજકીય મગજમારીથી હટીને થોડી ચર્ચા કરી લઈએ. હારજીતથી નિરપેક્ષપણે એક વાત 2017ની વિધાનસભા ચૂંટણીમાં બેલાશક ઉભરી રહી, અને તે એ કે છેલ્લા બે દાયકામાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી આટલાં સક્રિય અને પ્રભાવક કદાપિ નહોતાં. જોવાનું એ નથી કે હારે છે અગર જીતે છે. જોવાનું હોય તો એ છે કે તે એનો અત્યારનો ટેમ્પો 2019ની લોકસભાની ચૂંટણી લગી ટકાવી શકે છે કે કેમ.

રાહુલ ગાંધીએ છેલ્લા મહિનાઓમાં સહસા જે કાઠું કાઢ્યું જણાય છે તે પછી એમની શક્તિ અને સંભાવનાને ગુજરાતની હારજીત સાથે નહીં સાંકળતાં સ્વતંત્રપણે જોવામૂલવવાનું વલણ ઠીક રહેશે. વિધિવત્ પક્ષપ્રમુખપદ અને ગુજરાતની સૂચિત ફતેહ, બેઉની સહોપસ્થિતિ જેમણે કલ્પી તે ભલે કલ્પી, પણ પ્રશ્ન કેડે કાંકરો મેલવાનો હતો અને મગજમાં ખાલી કાંકરા ન ખખડતા હોય એનો હતો, આ બેઉ કસોટીએ રાહુલ ધોરણસર પ્રવેશ અને પ્રતિષ્ઠાના હકભાગી છે. માત્ર, એમણે હમણે લગીની કેમિયો તાસીરને વટીને ચાલવું રહેશે અને પૂરતું બળ રેડી વંશનિરપેક્ષ પ્રતિષ્ઠાના હકદાર પુરવાર થવું પડશે.

ખરું જોતાં, કોઈ પણ કહી શકે કે ભારતીય જનતા પક્ષ ગુજરાતમાં સળંગ છઠ્ઠીવાર સરકાર રચવાના વિક્રમ તરફ જઈ રહ્યો જણાતો હોય ત્યારે લખાતી સમીક્ષાનોંધમાં ઉઘાડ અને ઉપાડ એનાથી હોય કે કોંગ્રેસથી. ભાઈ, વાત દેખીતી સાચી છે પણ લાગટ જીતથી સ્થાયી જેવું જે લક્ષણ બની ગયું હોય એને વાસ્તવિક પડકારનો પ્રસંગ આટલે લાંબે ગાળે આવી મળે ત્યારે ચર્ચાનો ક્રમ શીદ ન બદલવો.

હકીકતે, જીતી રહેલા જણાતા ભાજપને પોતાને પક્ષે અન્યને મુકાબલે હાંફ અને હરીફાઈનો અનુભવ ખાસા બે દાયકે કરવાનો આવ્યો. પાંચ વરસમાં ત્રણ પૈકી બે મુખ્યમંત્રીઓ લગભગ નાકામ જણાતાં વડાપ્રધાને ચૂંટણીબોજ લગભગ પોતાને ખભે વેંઢારવો પડ્યો તે સૂચવે છે કે એક પક્ષ અને સંગઠન તરીકે તેમ જ પ્રાદેશિક નેતૃત્વ બાબતે ભાજપ તપાસના દાયરામાં છે. કેમ કે સામે કોંગ્રેસ છે, આ પક્ષ મજબૂત લાગે છે. પણ, આવી કોઈ સરખામણી વગર એ સ્વયમેવ મજબૂત લાગતો હતો એવું ક્યારેક હશે. આજે એ હદે નથી તે નથી.

અને એની હાંફ ને હરીફાઈ કિયે છેડેથી ઝાઝી હતી તે તો કોઈ નોંધો. કોંગ્રેસથી નહીં એવો ને એટલો પડકાર એને હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર ને જિજ્ઞેશ મેવાણી તરફથી હતો. આ ત્રણેએ જે અસંતોષ અને ફરિયાદને વાચા આપી એને કેવળ નાતજાતગત ખાનામાં ખતવીને જોઈ શકાય એમ નથી. કથિત વિકાસથી વધેલી વંચિતતા અને વિષમતા (પાટીદારોના કિસ્સામાં, તે ઉપરાંત, રાજકીય પ્રભાવ ઓસરતો હોવાની લાગણી) આ પડકારની પૂંઠે હતી અને છે.

કોંગ્રેસનું પોતાનું બળ ક્યાં છે? આ તો હાર્દિક-અલ્પેશ-જિજ્ઞેશ ઘટનાનું પરિણામ છે, એવી ટિપ્પણીને અવશ્ય અવકાશ છે. પણ આ પ્રકારના હર ઉઠાવે એકંદરે આગળ ચાલતાં કોઈને કોઈ રાજકીય પક્ષપરિબળ સાથે જોડાવું પડતું હોય છે. એ સંદર્ભમાં ગુજરાતમાં સત્તા-પ્રતિષ્ઠાન સામે કોંગ્રેસનું એક વિકલ્પ હોવું સહજ હતું. રાહુલ ગાંધી અને એમના સલાહકારોની સફળતા એ વાતે છે કે એમણે આ સૌને યથાસંભવ પોતાના કીધા. માત્ર, સ્વરાજની વડી પાર્ટી તરીકે તે આ સૌને નાગરિક સમાજના મુખ્ય પ્રવાહમાં નાતજાતથી ઊંચે ઊઠીને કેટલે અંશે સાંકળી શકે છે તે જોવાનું રહેશે.

કોંગ્રેસને સારુ આ પ્રશ્ન એક અર્થમાં પોતાનું વજૂદ પુરવાર કરવાનો બની રહેશે. પહેલા અને બીજા દોરના મતદાન પછી જે એક અવલોકન બહાર આવ્યું તે એવું છે કે પાટીદારો વહેંચાયા. જે ઉઠાવ અને અસંતોષ હતો તે ધોરણે તેઓ એકજૂટ ન રહ્યા. એક રીતે, આ અવલોકન નાતજાતને ધોરણે સુવાંગ વોટબૅંક બની રહેવાની વાયકાથી જુદું પડે છે, અને એમાં એક પ્રગતિશીલ સંભાવના રહેલી છે.

નાતજાતથી નિરપેક્ષપણે પક્ષપસંદગીની પ્રક્રિયા તે સાથે શરૂ થાય છે. જો કે આ અવલોકનમાં બીજુંયે એક નિરીક્ષણ સમાયેલું છે. અને તે એ કે પાટીદાર મતદારોનો એક ધડો મતદાન બાબતે ઉદાસીન બની ગયો હોઈ તે બહાર જ નીકળ્યો નહીં. આપણા પક્ષો પોતપોતાના વૈચારિક અભિગમને ધોરણે નાગરિકોને જોડી ન શકે – મત માંગવામાં એ હદે સંડોવાય કે મત ઘડવાની ફુરસદ (કે અગ્રતા) જ ન રહે – એવી સ્થિતિ મુદ્દલ ઈષ્ટ નથી. રાહુલ ગાંધીના નવા ચમકારાએ અને હાર્દિક-અલ્પેશ-જિજ્ઞેશ એ યુવા ઘટનાએ તેમ જ સંગઠન અને સત્તા પર મુસ્તાક ભાજપ શ્રેષ્ઠીઓએ આ બાબત ગંભીરતાથી વિચારવાની રહેશે.

હમણાં એકજૂટ મતદાનનો મુદ્દો છેડ્યો તે સાથે કોમી ધ્રુવીકરણની રાજનીતિનું સ્મરણ થવું સ્વાભાવિક છે. ભાજપે ગુજરાત મોડેલ અને વિકાસનો મુદ્દો જોરશોરથી આગળ કીધો પણ ધારી ભોં ભાંગી નહીં એટલે પાકિસ્તાન, અહમદ પટેલ, પાક-કોંગ્રેસ કાવતરું જેવા મુદ્દા, શાહજહાંનો વારસ તો ઓરંગઝેબ જ હોય એમ ખાસ પ્રકારના કાકુએ અધોરેખિત નામોચ્ચાર, આ બધું એણે શીર્ષસ્તરેથી ઉછાળવા માંડ્યું. જિજ્ઞેશના સહાયસ્રોતનો સંબંધ આવા કોઈ ભળતા છેડા સાથે હોય એવો ઇશારામારો પણ ચલાવ્યો. ભાજપને બીજા દોરમાં જે લાભ થયો ગણાય છે એની પાછળ એનો આ કોમી રાબેતો કામ કરી ગયો હશે એમ માનવાને કારણ છે.

પ્રચારના છેલ્લા દિવસે જ્યારે રોડ શોની રજા શક્ય નહોતી ત્યારે વિકલ્પે ભાજપને નમોનો આસમાની જળવિહાર સૂજી રહ્યો. સલામતીના સર્વે નિયમોના છડે ચોક ભંગ સાથે તેમ જ વિપક્ષને સુલભ નહીં એવા પ્રચારસાધનના ‘સત્તા’ વાર દુરુપયોગ સાથે આ સી-પ્લેન ખેલ પડ્યો એ તો ટીકાપાત્ર છે જ. એક નિરીક્ષક તરીકે આ લખનારને જે રસ પડ્યો તે આ આસમાની જળવિહાર વાસ્તે ભાજપે બહાર પાડેલી અધિકૃત યાદીમાં હતો: ‘શ્રી નરેન્દ્ર મોદી આજે સવારે 9.30 વાગ્યે સૌ પ્રથમ વાર રિવરફ્રન્ટથી સી-પ્લેન દ્વારા ધરોઈ ડેમ થઈ અંબાજી દર્શને જશે, તો મોદીજીના આ વિકાસના કામને સત્કારવા, વધુ ને વધુ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાઈએ.’ નોંધ્યું તમે? લોકોએ ‘વિકાસના કામ’ને સત્કારવા ઉમટવાનું છે અને વિકાસને વિશેષણમંડિત કરતાં કહ્યું છે કે ‘મોદીજીના આ વિકાસ કામ’ને સત્કારવાનું છે. બાવાજીના બાયોસ્કોપમાં છોકરાંવને જેમ દિલ્હીદર્શન કરાવી ‘બારા મન કી ધોબન દેખો’ જેવી ચમત્કારિક સહેલ કરાવી ફદિયું ફદિયું રળી ખાનાર હવે ભલે જોવા ન મળે, તમારે એક મતદાર તરીકે વિકાસ નામના જાદુગરને (એના જાદુટોનાને) વશ વર્તવાનું છે.

ગમે તેમ પણ, ઇચ્છીએ કે 18મી ડિસેમ્બર 2017થી મે 2019નો ગાળો વિકાસની તપાસ અને વ્યાખ્યાવિવેક બાબતે જાગૃતિનો બની રહે.

સૌભન્ય : ‘હકીકત’, “દિવ્ય ભાસ્કર”, 16 ડિસેમ્બર 2017

Loading

नरेंद्र मोदी और मोरारी बापू की ‘बाबा’ वाली दोस्ती

रजनीश कुमार [बीबीसी संवाददाता गुजरात से]|Opinion - Opinion|16 December 2017

"पतंजलि योगपीठ में मां गंगा के तट पर मैं उस बात को फिर से दोहरा रहा हूं. इसे मैंने अहमदाबाद में एक बार पहले भी कहा था. मैंने कहा था कि हमारे मुख्यमंत्री नरेंद्र मोदी गुजरात को केवल चला नहीं रहे हैं बल्कि वो अनुष्ठान कर रहे हैं."

मोरारी बापू ने 2013 में इसी बात को आगे बढ़ाते हुए कहा था, "साबरमती आश्रम में रामकथा थी. मैं मानस के साथ महात्मा गांधी को जोड़कर बोल रहा था. उसमें नरेंद्र भाई भी एक दिन आए थे. स्रोता के रूप में और बोले भी. तब मैंने व्यासपीठ से किसी प्रसंगवश कहा था कि मैं तो बाबा हूं, कुछ भी छोड़ सकता हूं. तब इस आदमी ने कुर्सी से बैठे-बैठे कहा कि मैं भी बाबा हूं. तो आज दोनों बाबा साथ बैठे हैं. जो बाबा बनने की तैयारी कर रहा है उसमें निर्णय, राष्ट्र को करना है."

बाद में नरेंद्र मोदी को बीजेपी ने अपना पीएम प्रत्याशी बना दिया था. मोरारी बापू साबरमती आश्रम में जिस मानस महात्मा कथा की बात कर रहे थे उसी का एक दिलचस्प वाक़या एक स्थानीय पत्रकार ने बताया.

उन्होंने कहा, "मोरारी बापू कथा कहते-कहते मोदी पर आ गए. उन्होंने कहा कि अपने मोदी को सत्ता से लगाव नहीं है. वो जिस आसन पर बैठे थे उस पर थोड़ा झुके और उन्होंने तकिये को फेंकते हुए कहा कि मोदी सत्ता को यूं फेंक सकते हैं."

वरिष्ठ पत्रकार प्रकाश शाह कहते हैं, "यह नरेंद्र मोदी की साधने की कला ही है कि उनके संबंध मोरारी बापू, आसाराम बापू और गुजरात की सबसे ताक़तवर धार्मिक संस्था स्वामीनारायण से भी है. अगर आप अप्रत्यक्ष रूप से देखें तो ये तीनों संस्थाएं आपसी प्रतिद्वंद्वी हैं, लेकिन मोदी के तीनों से काफ़ी मधुर संबंध रहे हैं."

'कभी नहीं की मोदी का आलोचना'

प्रकाश शाह का कहना है कि मोरारी बापू की मोदी से दोस्ती चुनावी फ़ायदों के लिहाज से मायने रखती है. उनका कहना है कि मोरारी बापू की हर अपील काम करती है.

2002 के दंगों के बाद मोरारी बापू ने एक शांति मार्च निकाला था. प्रकाश शाह कहते हैं कि यह टोकनिज़्म के अलावा कुछ नहीं था. उर्विश भी इस बात को स्वीकार करते हैं मोरारी बापू ने मोदी की आलोचना कभी नहीं की.

गुजरात यूनिवर्सिटी में सोशल साइंस के प्रोफ़ेसर गौरांग जानी का कहना है कि बीजेपी और मोदी के संबंध मोरारी बापू से हमेशा अच्छे रहे हैं.

उनके मुताबिक, "मोरारी बापू ने हमेशा मोदी के लिए कवच का काम किया है. जब 2002 का दंगा हुआ तो किसी ने मोदी की आलोचना नहीं की और उसमें स्वामीनारायण से लेकर मोरारी बापू तक शामिल हैं."

वरिष्ठ पत्रकार उर्विश कहते हैं कि मोदी और मोरारी बापू के संबंध कभी ख़राब नहीं हुए. उर्विश महुवा में हुए एक जनआंदोलन का ज़िक्र करते हैं. तब बीजेपी विधायक कनुभाई कड़सारिया निरमा प्लांट लगाने के ख़िलाफ़ आंदोलन का नेतृत्व कर रहे थे. पास में ही उनकी व्यासपीठ है.

उर्विश बताते हैं, "मोरारी बापू लंबे समय तक चुप रहे. एक दिन उन्होंने निरमा प्लांट के मालिक दर्शन भाई पटेल और कनुभाई को बुलाया कि आपस में समझौता कर लें, लेकिन बात नहीं बनी."

उर्विश का कहना है कि जहां मोरारी बापू को लोगों के साथ खड़ा रहना चाहिए था वहां उन्होंने निरमा के मालिक को नाराज़ करने का जोखिम नहीं उठाया.

मोरारी बापू 80 के दशक में रामजन्मभूमि आंदोलन में विश्व हिन्दू परिषद के साथ शिलापूजन में भी शामिल रहे हैं. बाबरी विध्वंस पर चर्चित डॉक्यूमेंट्री 'राम के नाम' बनाने वाले फ़िल्मकार आनंद पटवर्धन दो साल पहले मोरारी बापू की व्यासपीठ में गए थे.

मोरारी बापू की अपील से चुनावों में होता है असर?

उन्होंने कहा, "मैंने वहां अपनी फ़िल्म भी दिखाई. अच्छा लगा कि उन्होंने मुझे अनुमति दी. जहां तक उनकी दोस्ती और संबंधों के सवाल हैं तो इससे उनके जीवन के विरोधाभासों का ही पता चलता है. पर मेरा मानना है कि कोई जन्म से ही सांप्रदायिक नहीं होता है. हमें ऐसे लोगों से संवाद कम करने के बजाय बढ़ाने की ज़रूरत है."

मोरारी बापू अक्सर कहते हैं कि वो सेतु का काम करते हैं. मीडिया रिपोर्ट के मुताबिक, मोरारी बापू ने अंबानी भाइयों में भी सुलह कराने की कोशिश की थी, लेकिन यहां कामयाबी नहीं मिली थी.

हालांकि कई लोग हैं जो मोरारी बापू को सेक्युलर और उदार रामकथावाचक मानते हैं. वरिष्ठ पत्रकार गौतम ठक्कर का कहना है कि मोरारी बापू एक सेक्युलर संत हैं और उनकी मोदी या बीजेपी से क़रीबी हिन्दुत्व की विचारधारा के प्रति झुकाव के कारण है.

उन्होंने कहा कि मोरारी बापू कथा के अंदर सद्भावना की बात करते हैं. रामायण की भी बात करते हैं. हालांकि ठक्कर इस बात को मानते हैं कि बापू की अपील से चुनाव में फ़ायदा होता है.

प्रकाश शाह कहते हैं, "मोरारी बापू तटस्थ रहने की कोशिश करते हैं, लेकिन चीज़ें साफ़ झलकती हैं. मोदी से उनकी दोस्ती लंबे समय से है. जब भी पब्लिक में आए तो हमेशा फ़ेवर में ही आए."

मोरारी बापू राम सेतु के समर्थन में भी सक्रिय रहे हैं. मोदी से उनकी दोस्ती को गुजरात में लोग काफ़ी स्मार्ट संबंध मानते हैं.

एक सीनियर पत्रकार ने कहा कि गुजराती में एक कहावत है कि 'जिसे गुड़ से मारा जा सकता है उसे ज़हर देकर नहीं मारना चाहिए.' उन्होंने कहा कि 'गुजरात में धर्म और राजनीति का गठजोड़ कुछ ऐसा ही है.'

14 दिसंबर 2017

सौजन्य : http://www.bbc.com/hindi/india-42350127

Loading

...102030...3,2563,2573,2583,259...3,2703,2803,290...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved