Opinion Magazine
Number of visits: 9766681
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અંધ કવિ હંસરાજ હરખજી કાનાબાર

દીપક મહેતા|Opinion - Literature|30 January 2018

જેમનાં ગીતો આઝાદીની લડત દરમ્યાન ચોરે ને ચૌટે ગવાતાં હતાં

જ્ઞાની કવિ અખાની એક જાણીતી પંક્તિ છે: ‘છીંડું ખોળતાં લાધી પોળ, અખા હવે કર ઝાકમઝોળ.’ “બુદ્ધિપ્રકાશ”ના ઓગસ્ટ ૨૦૧૭ના અંકમાં ‘બ્રિટિશ સરકાર દ્વારા પ્રતિબંધિત ગુજરાતી પુસ્તકો’ લેખ પ્રગટ થયો તે પછી કંઈક આવો જ અનુભવ થયો. એ લેખમાં લખ્યું હતું: “૧૯૩૦માં પ્રગટ થયેલી ‘રાષ્ટ્રીય રણગીતો’ નામની ૧૮ પાનાંની પુસ્તિકાના નિવેદનનું પહેલું વાક્ય આ પ્રમાણે છે: ‘અંધ કવિ શ્રી હંસરાજભાઈને તો ગુજરાત બરોબર ઓળખે છે જ.’ પણ આજે ૮૬ વર્ષ પછી પ્રયત્નો કરવા છતાં અંધકવિ હંસરાજભાઈ વિશેની માહિતી મળી શકી નથી.” આ વાંચીને અમરેલીથી શ્રી કિશોરભાઈ મહેતાએ લાંબો પત્ર લખી હંસરાજભાઈ અંગેની કેટલીક વિગતો મોકલી. ૨૦૧૦માં પ્રગટ થયેલ કાલિન્દી પરીખ સંપાદિત પુસ્તક ‘હંસ-માનસ’ની નકલ પણ મોકલી. તેમાંથી બીજી કેટલીક માહિતી મળી. પછી તો ખાંખાખોળાં શરૂ કર્યાં. હંસરાજભાઈનાં ત્રણ પુસ્તકો જોવા મળ્યાં:

૧૯૨૨માં પ્રગટ થયેલ ‘કાવ્ય ત્રિવેણી.’ ૧૩૨ પાનાંના આ પુસ્તકના ટાઇટલ પેજ પર છાપ્યું છે: ‘રચી પ્રસિદ્ધ કરનાર હંસરાજ હરખજી અમરેલીવાળા.’ પુસ્તક છપાયું છે ભાવનગરના જાણીતા સરસ્વતી છાપખાનામાં. એ જમાનામાં તેની એક હજાર નકલ છપાઈ હતી. તેમાંનાં ઘણાંખરાં કાવ્યો હંસરાજભાઈની ઉત્કટ દેશદાઝને પ્રગટ કરે છે. પુસ્તકની શરૂઆતમાં ‘ચી. ભાઈ હંસરાજ હરખજીનું સંક્ષેપ જીવન વૃત્તાંત’ છાપ્યું છે જે લખ્યું છે તેમના પિતા હરખજી કલ્યાણજીએ. તેમાં જણાવ્યું છે કે હંસરાજભાઈનો જન્મ સંવત ૧૯૪૮ના આસો વદી ૪(એટલે ૨૫ સપ્ટેમ્બર, ૧૮૯૨)ના રોજ થયો હતો. જન્મ વખતે તેમની આંખોમાં કશો રોગ નહોતો, પણ છ એક મહિનાની ઉંમરે આંખની તકલીફ શરૂ થઈ. પહેલાં ઘરગથ્થું ઉપાય કર્યા, અને પછી દાક્તરી સારવાર. તે માટે છ મહિના જૂનાગઢ રહીને ડોક્ટર ત્રિભુવનદાસની દવા કરી. પણ છેવટ ત્રણ-ચાર વર્ષની ઉંમરે બંને આંખો ગુમાવી. પરંપરાગત રીતે શિક્ષણ આપવાનું શક્ય નહોતું એટલે મીણના અક્ષરો અને આંકડા બનાવી સ્પર્શ દ્વારા અક્ષરજ્ઞાન આપ્યું. યાદદાસ્ત સારી હોવાથી કવિતા અને ભૂગોળનું શિક્ષણ સાંભળીને મેળવ્યું, અને આઠ વર્ષની ઉંમરે બીજા ધોરણની પરીક્ષામાં પાસ થયા. પછી એ જ રીતે ગુજરાતી છઠ્ઠા ધોરણ સુધીનો અભ્યાસ મોટે ભાગે અમરેલીમાં રહી પૂરો કર્યો. સાથોસાથ ગાયન અને તબલાં તથા હારમોનિયમ વાદનની તાલીમ પણ લીધી. છ એક મહિના મુંબઈની વિક્ટોરિયા બ્લાઈન્ડ સ્કૂલમાં દાખલ થયા અને બ્રેલ લિપિનું જ્ઞાન મેળવ્યું, પછી ફરી અમરેલી જઈ અંગ્રેજી શીખ્યા અને મેટ્રિકની પરીક્ષા આપી, પણ વિજ્ઞાનના વિષયમાં નાપાસ થયા. પછી ત્રણ વર્ષ વડોદરા રહી ત્યાંની મુખ્ય સંગીત શાળામાં તાલીમ લીધી અને ફિડલ, વીણા, દિલરૂબા, સિતાર, જલતરંગ જેવાં વાદ્યો વગાડતાં શીખ્યા. એક જલસામાં ફિડલ વગાડવા માટે ૭૫ રૂપિયાનું ઇનામ મેળવ્યું. પછી અમરેલી જઈ હારમોનિયમ શિક્ષક તરીકેની નોકરી કરી. ૧૯૨૧ના ડિસેમ્બરની ૧૪મી તારીખે લખેલા આ જીવન વૃત્તાંતને અંતે તેમના પિતા લખે છે: “ભાઈ હંસરાજની કવિત્વ, વાદ્ય અને ગાયનની શક્તિ ઘણી સારી અને ઊંચા પ્રકારની છે. તે સાથે તેમની યાદદાસ્ત પણ ઘણી સારી અને ઉત્તમ છે.”

જીવન વૃત્તાંત પછી હંસરાજભાઈનું ચાર પાનાંનું નિવેદન છપાયું છે. તેમાંથી જાણવા મળે છે કે ૧૯૨૧-૧૯૨૨ના અરસામાં અમરેલીના ખાદી ભંડારે કાઠિયાવાડમાં બધે ફરીને પોતાનાં ગાયન-વાદનથી સ્વદેશીનો પ્રચાર કરવાનું કામ હંસરાજભાઈને સોપ્યું હતું. પોતે જે લખે છે તેની ગુણવત્તા અંગે તેઓ પૂરેપૂરા સભાન છે. નિખાલસતથી લખે છે: “મારાં કેટલાંક ગીતો માત્ર જન સમાજ પર અસર કરવા સારૂ માત્ર જોડકણાં છે. એમાં કવિતાનો એક પણ અંશ નથી. એવાં જોડકણાંને કવિતા કહી કાવ્યમાતાનો ઉપહાસ હું હરગિજ ન કરૂં.” આ ‘કાવ્ય ત્રિવેણી’નું પહેલું વહેણ ભક્તિ કે અધ્યાત્મને લગતી ૩૯ રચનાઓનું છે. બીજું વહેણ દેશભક્તિની રચનાઓનું છે. આ વિભાગની શરૂઆતમાં અલગ ‘અર્પણ પત્રિકા’ અને ‘મંગળાચરણ’ની પદ્યકૃતિઓ મૂકી છે. માતૃભૂમિને અર્પણ કરતાં લખે છે:

ઓ હિન્દ! ધર્મ ધાત્રી, સઘળું તને સમર્પું;
તેત્રીસ કોટિ ત્રાત્રી, સઘળું તને સમર્પું.
આ દેહ ને જીવન આ, આત્મા અને હૃદય આ;
આ પ્રેમ, આ સબંધો, સઘળું તને સમર્પું.

આ બીજા વહેણમાં ઉપરની બે કૃતિઓ ઉપરાંત બીજી ૩૭ કૃતિઓ છે. ત્રીજા વહેણમાં ૨૩ કૃતિઓ છે, જેમાંની કેટલીક સ્વદેશીનો પ્રચાર કરતી, વ્યસનોનો વિરોધ કરતી, અને પ્રકીર્ણ પ્રકારની છે. ત્યાર બાદ ક્રમાંક આપ્યા વગર ૧૨ રચનાઓ મૂકી છે, જે સંભવતઃ પુસ્તક છપાઈ રહેવા આવ્યું હશે ત્યારે ઉમેરી હશે. વ્યસનોનો વિરોધ કરતી રચનાઓમાં હોટેલનો વિરોધ કરતી એક રચના પણ છે. હોટેલ સામેના વિરોધનું એક મુખ્ય કારણ એ કે તેમાં વર્ણાશ્રમના ભેદ જળવાતા નથી.

એક જ ડોલ તણી ગંગામાં સર્વે પ્યાલા પાવન થાય,
શૂદ્ર તણો પીધેલો પ્યાલો એમ જ બ્રાહ્મણને દેવાય.
એકબીજાના મુખ વિષે અથડાએ એક બીજાના શ્વાસ,
શસ્ત્ર વિના વર્ણાશ્રમ કેરું હોટલ વાળે સત્યાનાશ.

હંસરાજભાઈનું સૌથી મહત્ત્વનું પુસ્તક નવેમ્બર ૧૯૩૮માં પ્રગટ થયું હતું. ૮૮૦ પાનાંના આ દળદાર કાવ્યસંગ્રહનું નામ છે ‘હંસ માનસ’. અમરેલીના મિનરવા પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયેલા અ પુસ્તકની કિંમત ફક્ત ત્રણ રૂપિયા હતી. તેનું એક કારણ એ કે પુસ્તકના પ્રકાશનની બધી જવાબદારી ભાવનગર રાજ્યના દીવાન સર પ્રભાશંકર પટ્ટણીએ ઉપાડી લીધી હતી. પુસ્તકના ટાઇટલ પેજ પર પ્રકાશક તરીકે પણ તેમનું જ નામ છાપ્યું છે. જો કે પુસ્તક પ્રગટ થાય તે પહેલાં ૧૯૩૮ના ફેબ્રુઆરીની ૧૬મી તારીખે પટ્ટણીસાહેબનું અવસાન થયું હતું. કવિએ પુસ્તક તેમને જ અર્પણ કર્યું છે અને છ પાનાંનું અર્પણ કાવ્ય તથા ફોટો પણ મૂક્યાં છે. પુસ્તકમાં હંસરાજભાઈનો પણ ફોટો છે. પુસ્તકની શરૂઆતમાં કાકાસાહેબ કાલેલકરની બે પાનાંની પ્રસ્તાવના છે. જો કે માંદગીને કારણે કાકાસાહેબ બધાં કાવ્યો વાંચી શક્યા નહોતા. છતાં તેઓ લખે છે: “કવિ હંસરાજ ગુજરાતના જાહિર જીવનના એક અત્યંત ઉજ્જવળ યુગના પ્રતિનિધિ થઇ શક્યા છે. ગુજરાતે જે જે પરાક્રમો કર્યાં, જે જે ક્ષેત્રો ખેડ્યાં, તે બધાં સાથે કવિએ સમરસ થઈ તેનું વાતાવરણ ગુજરાતી ભાષામાં શબ્દબદ્ધ કરી આપ્યું છે. કવિની ભાષા સરળ છે, સંસ્કારી છે, અને જોમદાર છે.”

કાકાસાહેબની પ્રસ્તાવના પછી હંસરાજભાઈનું પાંચ પાનાનું નિવેદન છે, જેનો મોટો ભાગ જુદી જુદી વ્યક્તિઓનો અભાર માનવા પાછળ રોકાયો છે. હા, તેમાંથી એ માહિતી મળે છે કે હંસરાજભાઈ આઝાદીની લડત દરમ્યાન ૧૯૨૩, ૧૯૩૦ અને ૧૯૩૨માં જેલમાં ગયા હતા. અને પુસ્તકમાંનાં ઘણાં કાવ્યો કારાવાસ દરમ્યાન લખાયાં હતાં. સંગ્રહમાંની રચનાઓને આઠ વિભાગમાં વહેંચી છે: છંદ વિભાગ (૧૭ રચનાઓ), યુવાન વિભાગ (૭૪), રાસ વિભાગ (૫૫), બાળ વિભાગ (૧૧), હરિજન વિભાગ (૩૨), અધ્યાત્મ વિભાગ (૫૩), ભક્તિ વિભાગ (૮૬), અને શેષ વિભાગ (૬૪). કુલ ૩૯૨ રચનાઓ.

હંસરાજભાઈનું ત્રીજું પ્રકાશન તે માત્ર ૩૦ પાનાંની એક પુસ્તિકા. આ લખનારે તેની જે નકલ જોઈ છે તેનું ટાઇટલ પેજ ગેરવલ્લે ગયું છે. પણ દરેક પાનાની ઉપર ફોલિયો લાઈનમાં ‘હંસ માનસ’ એવું પુસ્તકનું નામ છાપ્યું છે. છેલ્લે પાને છાપેલી માહિતી પ્રમાણે રાણપુરના સ્વાધીન મુદ્રણાલયમાં મનુભાઈ અમૃતલાલ શેઠે આ પુસ્તિકા છાપી હતી અને કવિ હંસે ભાટીઆ શેરી, અમરેલીથી પ્રગટ કરી હતી. ‘હંસ માનસ’ નામથી કવિનો દળદાર સંગ્રહ પ્રગટ થયો તે પહેલાં આ પુસ્તિકા છપાઈ હતી કે તે પછી તે જાણવું મુશ્કેલ છે. પણ મોટું પુસ્તક પ્રગટ થયા પછી તે જ નામ ધરાવતી અ પુસ્તિકા પ્રગટ થઈ હોય તેવો સંભવ વધારે છે. બીજી એક વાત પણ ખાસ ધ્યાન ખેંચે છે: એ જમાનામાં હંસરાજભાઈની સૌથી વધુ ગવાતી રચના તે ‘ટોપીવાળાનાં ટોળાં ઊતર્યા.’ પણ ‘કાવ્ય ત્રિવેણી’ પુસ્તકમાં કે ૧૯૩૮માં પ્રગટ થયેલ ‘હંસ માનસ’માં આ રચના જોવા મળતી નથી. બ્રિટિશ સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો તેને કારણે આમ બન્યું હોય. પણ રાણપુરમાં છપાયેલી પુસ્તિકામાં આ રચના જોવા મળે છે જે પૂરાં સાત પાનાં રોકે છે. ‘માનસનાં મોતી’ નામનો ૪૫ રચનાઓ સમાવતો સંગ્રહ પણ પ્રગટ થયો હતો એવી માહિતી મળે છે, પણ આ લખનારને તે જોવા મળ્યો નથી.

૨૦૧૦માં કાલિન્દી પરીખ સંપાદિત ‘હંસ-માનસ’ સંગ્રહ અમરેલીના સ્વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્ટ તરફથી પ્રગટ થયો છે. તેમાં કુલ ૧૨૯ રચનાઓ સમાવી છે. પાછલા પૂંઠા પર ‘ટોપીવાળા’ કાવ્યની ફક્ત ૧૯ પંક્તિ છાપી છે. આખું કાવ્ય પુસ્તકમાં નથી. પુસ્તકની શરૂઆતમાં કિશોરભાઈ મહેતા, કાલિન્દી પરીખ, છેલભાઈ વ્યાસ, જસવંત કાનાબાર (કવિ હંસના પિત્રાઈ મોટા ભાઈ) તથા રાજેન્દ્ર દવેનાં લખાણો મૂકાયાં છે. તેમાંથી જસવંત કાનાબારના લખાણમાંથી કેટલીક મહત્ત્વની માહિતી મળે છે.

૧. કવિ હંસ અપરિણીત હતા. ૨. ૧૯૪૮ સુધી તેઓ અમરેલીની ભાટીઆ શેરીમાં આવેલા નાના મકાનમાં એકમાત્ર બહેન ગોદાવરીબહેન, તેમના પતિ કાનજીભાઈ, તથા ભાણેજ અમૃતલાલ સાથે રહેતા હતા. ત્યાર બાદ સંગીતનાં ખાનગી ટ્યૂશન આપવા તેઓ મુંબઈ ગયા અને ૧૯૪૮થી કાલબદેવી પરના ‘આર્ય નિવાસ’ નામના ગેસ્ટ હાઉસમાં કાયમી ધોરણે રૂમ રાખી રહેવા લાગ્યા. થોડા વખત પછી ભાણેજ અમૃતલાલ અને તેમનાં પત્ની સાવિત્રીબહેનને પણ મુંબઈ બોલાવી ગાયવાડીમાં ભાડાની જગ્યામાં રાખ્યાં. ૩. એ જ અરસામાં જસવંત કાનાબાર પણ મુંબઈવાસી બન્યા હતા અને હંસરાજભાઈને સતત સાથ આપતા હતા. ૪. હંસરાજભાઈ સારા ગાયક પણ હતા તેથી મુંબઈમાં ઘણી વાર ઘર, મંદિર, વગેરેમાં ગાવા જતા. ૧૯૫૭ના માર્ચ મહિનાના એક ગુરુવારે (લેખમાં તારીખ આપી નથી પણ ૧૯૫૭ના માર્ચની ૭, ૧૪, ૨૧ અને ૨૮મી તારીખે ગુરુવાર હતો એટલે અ ચારમાંની કોઈ એક તારીખે) રાતે ભૂલેશ્વરની ફૂલ ગલ્લીમાં કુંવરજીભાઈના ઘરમાં આવેલા જલારામબાપાના મંદિરમાં ભજનો ગાવા ગયા હતા. રાતના સાડા અગિયારના સુમારે પોતાનું ‘આવ્યો તમારે દ્વાર, આવ્યો તમારે દ્વાર, મંદિરિયે લ્યો લ્યો હરિ!’ એ ભજન ગાતાં અત્યંત ભાવવિભોર થઇ ગયા અને અણધાર્યા હૃદયરોગના હુમલાથી એ જ સ્થળે તેમનું અવસાન થયું.

XXX   XXX   XXX

'બુદ્ધિપ્રકાશ'ના ડિસેમ્બર 2017ના અંકમાં પ્રગટ

e.mail : deepakbmehta@gmail.com

Loading

.. અને જ્યાં કોઈ ના પહોંચી શક્યું, ત્યાં એક ગુજરાતી પહોંચ્યો

વિશાલ શાહ|Opinion - Opinion|29 January 2018

બ્રહ્મપુત્રના અગાઉના ત્રણ લેખોમાં આપણે આ નદીનાં પૌરાણિક મહત્ત્વથી માંડીને તેના રૂ ટનો અધકચરો નકશો કેવી રીતે તૈયાર કરાયો, એ વિશે વાત કરી. આજે તો ભારત પાસે નદીઓ-પર્વતોની ભૂગોળ સમજવા સેટેલાઈટ ટેક્નોલોજી છે, પરંતુ દાયકાઓ પહેલાં બ્રહ્મપુત્રના રૂટની માહિતી મેળવવા નૈન સિંઘ રાવત, મણિ સિંઘ, દોલ્પા, નેમ સિંઘ અને કિંથુપ જેવા અનેક ભારતીય સાહસિકોએ હિમાલયમાં જીવનાં જોખમે મહિનાઓ સુધી રઝળપાટ કરી હતી. આ બધા જ પ્રવાસીઓમાં સૌથી જાણીતું નામ એટલે નૈન સિંઘ રાવત. બ્રહ્મપુત્રનો રૂટ જ નહીં, પરંતુ ભારતની પૂર્વે પથરાયેલી હિમાલય પર્વતમાળાની દુર્લભ માહિતી ભેગી કરવા બદલ રોયલ જિયોગ્રાફિક સોસાયટીએ ૧૮૭૭માં નૈન સિંઘનું પેટ્રન્સ મેડલ આપીને સન્માન કર્યું હતું.

કટ ટુ ૨૦૦૪.

માઉન્ટેઇિનયરિંગની દુનિયાના ઓસ્કર ગણાતા પિઓલેટ્સ ડિ’ઓર એવોર્ડ સાથે હરીશ કાપડિયા

નૈન સિંઘને પેટ્રન્સ મેડલ મળ્યાની ઘટનાને ૧૪૦ વર્ષનાં વ્હાણાં વીતી ગયાં પછી ૨૦૦૪માં ફરી એક ભારતીય સાહસિકને આ પ્રતિષ્ઠિત સન્માન મળ્યું. એ ભારતીય એટલે મુંબઈસ્થિત ગુજરાતી માઉન્ટેઇિનયર, એક્સપ્લોરર, હિમાલયન એક્સપ્લોરેશનને લગતા ડઝનેક પુસ્તકોના લેખક તેમ જ 'હિમાલયન જર્નલ'ની ભારતીય આવૃત્તિના એડિટરનો હોદ્દો સળંગ ૨૮ વર્ષ સુધી શોભાવનારા હરીશ કાપડિયા. હરીશ કાપડિયા એટલે સિઆંગ નદી ચોક્કસ ક્યાંથી ભારતમાં પ્રવેશે છે એ સ્થળે પહોંચનારા પહેલા સાહસવીર. ગુજરાત માટે ગૌરવની વાત છે કે, જે સ્થળે પહોંચવા દુનિયાભરના એક્સપ્લોરર્સ દોઢ સદીથી પ્રયાસ કરતા હતા, ત્યાં એક ગુજરાતી નરબંકો પહોંચી ગયો. રસપ્રદ વાત એ છે કે, હરીશ કાપડિયાએ આ ઐતિહાસિક સિદ્ધિ પેટ્રન્સ મેડલનું સન્માન મળ્યાના એક વર્ષ પછી, ૨૬મી નવેમ્બર ૨૦૦૪ના રોજ, નોંધાવી હતી.

એ વિશે વાત કરતાં પહેલાં થોડી જાણકારી. 

અરુણાચલ પ્રદેશના પહાડી જંગલોમાં રખડપટ્ટી

હરીશ કાપડિયાનું નામ એક સરેરાશ ગુજરાતી માટે અજાણ્યું હોઈ શકે, પરંતુ હિમાલયન એક્સપ્લોરેશનની દુનિયામાં તેમનું નામ ખૂબ આદરથી લેવાય છે. ૭૨ વર્ષીય હરીશ કાપડિયા ૫૦ વર્ષની કારકિર્દીમાં હિમાલયના અનેક પ્રદેશો ધમરોળી ચૂક્યા છે. તેઓ ૨૦૦૩થી દર વર્ષે એકવાર અરુણાચલ પ્રદેશના પ્રવાસે જઈને નવા વિસ્તારો ખૂંદે છે અને એ વિશે લખે છે.

અરુણાચલ પ્રદેશનો જિલ્લા નકશો. છેલ્લાં કેટલાંક વર્ષોમાં વહીવટી સરળતા માટે

અમુક જિલ્લાને બે ભાગમાં વહેંચી દેવાયા છે 

હિમાલય પર્વતમાળામાં સૌથી અજાણ્યો વિસ્તાર એટલે ૨૨ જિલ્લામાં ફેલાયેલો અરુણાચલ પ્રદેશ. આજે ય અહીંના અનેક પહાડી જંગલ વિસ્તારો અતિ દુર્લભ છે. એક યોજનાના ભાગરૂપે ૨૦૦૩માં તેમણે તવાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ખેડાણ કર્યું અને બુમ લા નામના વિસ્તાર સુધી પહોંચ્યા. દરિયાઈ સપાટીથી ૪,૬૦૦ મીટર ઊંચે આવેલા બુમ લાના ગાઢ જંગલોમાં ભારત-ચીનની સરહદ છે. આ દરમિયાન તેઓ પશ્ચિમ કામેંગ જિલ્લામાં આવેલો પોશિંગ લા માઉન્ટેઇન પાસ ઓળંગીને બોમડિલાથી તુલુંગ લા થઈને 'બેઇલી ટ્રેઇલ' સુધી પણ ગયા. આ વિસ્તારોમાં ભ્રમણ કરીને તેમણે અરુણાચલ પ્રદેશના સૌથી ઊંચા શિખર કાંગટોની (૭૦૬૦ મીટર) તસવીરો પણ ક્લિક કરી, જે ભારત-ચીન સરહદની વચ્ચે આવેલું છે. આ શિખરને ચીન દક્ષિણ તિબેટનો હિસ્સો ગણાવીને દાવો કરી રહ્યું છે.

બોમડિલા નજીક ઇગલ્સ નેસ્ટ વાઇલ્ડલાઇફ અને સેસા ઓર્કિડ નામનાં ભારતનાં બે અનોખાં અભયારણ્ય આવેલાં છે. બોમડિલામાં આકાશવાણીનું કેન્દ્ર પણ છે. આમ છતાં, એક સરેરાશ ભારતીય અહીંના મોટા ભાગના રાજ્યોથી અજાણ છે. હરીશ કાપડિયાએ અહીંના પહાડી જંગલોમાં અનેક ખીણો અને માઉન્ટેઇન પાસમાંથી આગળ જવાના રસ્તા શોધી કાઢ્યા છે. ખીણોની ધાર પર આવેલા પર્વતોમાંથી નીકળતી કેડીઓને 'માઉન્ટેઇન પાસ' કહેવાય. વેપાર અને સ્થળાંતરનો ઇતિહાસ જાણવા, લશ્કર માટે ચોકીઓ ઊભી કરવા, યુદ્ધને ધ્યાનમાં રાખીને રસ્તા બનાવવા તેમ જ નવી વનસ્પતિઓ અને પશુ-પંખીઓની જાણકારી મેળવવા આ પ્રકારના રૂટ ઘણું મહત્ત્વ ધરાવે છે. અરુણાચલ પ્રદેશ આજે ય વનસ્પતિશાસ્ત્રીઓનું સ્વર્ગ ગણાય છે.  

બિશિંગની ખીણમાં ઉતર્યા તો ઉપર નહીં આવી શકો!

અરુણાચલમાં એકાદ વર્ષના વૉર્મ અપ સેશન પછી, હરીશ કાપડિયાએ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વી.કે. શશીન્દ્રન, પર્વતારોહક મોટુપ ચેવાંગ તેમ જ યોનતોન અને શેરિંગ નામના બે સ્થાનિક સાથે એક એક્સપિડિશનનું આયોજન કર્યું. આ પ્રવાસના મુખ્ય બે હેતુ હતા. પહેલો- સાંગપો નદી ચોક્કસ ક્યાંથી ભારતમાં પ્રવેશે છે એ સ્થળની સંપૂર્ણ ભૌગોલિક માહિતી ભેગી કરવાનો અને બીજો – સિઆંગ ખીણ ઉપરથી નામચા બારવા પર્વત દેખાય છે કે નહીં એ તપાસવાનો.

તિબેટમાંથી દેખાતો નામચા બારવા પર્વત

નામચા બારવા અને ગ્યાલા પેરી સાથેના વિસ્તારનો નકશો

આ બે હેતુ સાથે હરીશ કાપડિયાએ નવેમ્બર ૨૦૦૪માં અપર સિઆંગ જિલ્લાના (અરુણાચલમાં લૉઅર, ઇસ્ટ અને વેસ્ટ સિઆંગ નામના જિલ્લા પણ છે) પહાડી ગામ બિશિંગમાંથી ચીન સરહદ નજીક આવેલો ગુયોર લા માઉન્ટેઇન પાસ ઓળંગીને સિઆંગ નદીની ખીણ તરફ જવાનું નક્કી કર્યું. એ સ્થળેથી નામચા બારવા પર્વત સ્પષ્ટ જોઈ શકાય છે. સાંગપો નદીની ભૂગોળ સમજવા એ દૃશ્ય જોવું જરૂરી હતું. આ વિસ્તાર હરીશ કાપડિયા પહેલાં કોઈ પર્વતારોહક જોઈ શક્યો નથી. કુલ છ દિવસના આ ટ્રેકમાં બિશિંગ ગામની ખીણમાં ઉતરીને, સિઆંગના કિનારે આગળ વધીને, ગાઢ જંગલોમાંથી પસાર થવામાં સફળતા મળે તો ગુયોર લા પહોંચી શકાય! બિશિંગમાંથી હરીશ કાપડિયાની ટીમ નીકળી ત્યારે કેટલીક સ્થાનિક મહિલાઓએ ગુસપુસ પણ કરી કે, 'એકવાર આ લોકો અહીંથી નીચે ઉતરી ગયા તો ઉપર નહીં આવી શકે …'

અરુણાચલના મોટા ભાગના પહાડી ગામોમાં સ્થાનિકોએ અવરજવર કરવા વાંસના પુલો અને નિસરણીઓ બનાવી છે, પરંતુ આ સ્થળે તો સ્થાનિકો ય જવાનું ટાળતા. કેટલાક પર્વતો પર તો આગળ વધવા ૬૦ ફૂટ ઊંચી નિસરણીઓ બનાવાઈ છે, જેના પર ચઢતી વખતે નીચે ખીણમાં ધસમસતી સાંગપો જોઈ શકાય છે.

ટ્રેકમાં અતિ ઝેરી સાપ રસેલ્સ વાઇપર મળ્યો અને …

જો કે, હરીશ કાપડિયા ૫૯ વર્ષની ઉંમરે પોતાની ટીમ સાથે ઝાડીઓ પકડીને આશરે પાંચ હજાર ફૂટ ઊંડી ખીણમાં ઉતરીને સાંગપોના કિનારે પહોંચી ગયા. એ પછી શરૂ થયો ગુયોર લા પહોંચવાનો ટ્રેક. આ ટ્રેકમાં સૌથી આગળ યોનતોન રહેતો, જે ઝાડી ઝાંખરા સાફ કરીને રસ્તો બનાવતો અને શેરિંગ જળો, ઝેરી સાપ અને બીજા જીવજંતુઓ હુમલો ના કરે તેનું ધ્યાન રાખીને ટીમને આગળ વધારતો. અહીંના જંગલોમાં વરસાદ પડે ત્યારે વૃક્ષો પરથી ઝેરીલાં જીવજંતુઓ પણ ટપક્યા કરે, જેમાંથી જીવતા બહાર નીકળવું ગમે તેવા સર્વાઇવલ એક્સપર્ટ માટે લગભગ અશક્ય. અહીં દુનિયાના સૌથી ઝેરી સાપોમાંનો એક રસેલ્સ વાઇપર પણ જોવા મળે છે.

હરીશ કાપડિયાનું પાને પાને ક્યારે ય નહીં સાંભળેલી કહાનીઓ બયાં કરતું પુસ્તક

હરીશ કાપડિયા 'ઈન ટુ ધ અનટ્રાવેલ્ડ હિમાલયઃ ટ્રાવેલ્સ, ટ્રેક્સ એન્ડ ક્લાઇમ્બ્સ' નામના પુસ્તકમાં લખે છે કે, ‘'… એકવાર અમે એક રસેલ્સ વાઇપર જોયો, પરંતુ અમે સાપને ધ્યાનથી જોઈએ એ પહેલાં તો અમારા ગાઇડે તેનું માથું કાપી નાંખ્યું. એ દિવસે તેમણે પાર્ટી કરી. બીજા પણ એક પ્રસંગે તેમણે એક સાપના રામ રમાડી દીધા હતા, પરંતુ એ સાપ તેમણે ખાધો નહીં કારણ કે, એ સાપ ઝેરી નહોતો. તેમણે કહ્યું કે, ફક્ત ઝેરી સાપ જ સ્વાદિષ્ટ હોય! આ સ્થાનિકો ગિલોલના એક જ ઘાથી ગમે તેવી ઝડપે ઊડતા પક્ષીને મારી નાંખતા. તેઓ અમને કહેતા કે, અમે ઊડતા એરોપ્લેન અને માણસ સિવાય બધાનો શિકાર કરીએ છીએ અને બધું ખાઈએ છીએ …''

સાંગપો નદીના કિનારે એક જાદુઇ રાત્રિ

આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરીને હરીશ કાપડિયાની ટીમ મેકમોહન લાઇન નજીક આવેલા ૧,૭૬૦ મીટર ઊંચા ગુયોગ લા માઉન્ટેઇન પાસ પહોંચી. એ સ્થળે ભારતીય સેનાએ હેલિકોપ્ટરોમાંથી ઉતરીને અશોક સ્તંભ મૂક્યો છે, જે ભારતીય પ્રદેશ શરૂ થયો હોવાનો સંદેશ આપે છે.

એ સ્થળે ચારે ય બાજુ સાંગપોના વહેણમાં તણાઈને આવેલાં વૃક્ષોના મૂળસોતા ઉખડેલા ભીના થડ પથરાયેલા હતા. ભેજવાળા અને ઠંડા જંગલના કારણે કેમ્પફાયર માટે સૂકાં લાકડાં મળી શકે એમ ન હતા. આ એ જ સ્થળ હતું, જ્યાં કિંથુપે તિબેટમાંથી ભારત તરફ એંશી કિલોમીટર અંદર આવીને લાકડાંના ૫૦૦ બ્લોક તૈયાર કરીને સાંગપોના વહેણમાં નાંખ્યા હતા. એ વિસ્તારના પહાડો પર ક્લાઇમ્બિંગ કરીને  હરીશ કાપડિયાની ટીમ આગળ વધી અને થોડા જ સમયમાં તેઓ સાંગપો નદી વળાંક લઈને ભારતમાં પ્રવેશે છે, એ સ્થળે પહોંચી. નામચા બારવા અને ગ્યાલા પેરી પર્વતો નજીક સાંગપો અંગ્રેજીના 'એસ' આકારમાં લટકો લઈને ભારતમાં પ્રવેશે છે. આજે પર્વતારોહણની દુનિયામાં એ સ્થળ 'એસ બેન્ડ' તરીકે ઓળખાય છે. આ નામ પણ હરીશ કાપડિયાએ જ આપ્યું છે.

સાંગપો ‘એસ’ આકારમાં લટકો લઈને આ  સ્થળેથી ભારતમાં પ્રવેશે છે

‘એસ’ બેન્ડ પહોંચતા જ આખી ટીમ મંત્રમુગ્ધ થઈને થોડી ક્ષણો સુધી સાંગપોના ભારતમાં પ્રવેશતા પ્રવાહને જોતી રહી. જે સ્થળે પહોંચવા અનેક સાહસિકો દાયકાઓથી ઝઝૂમી રહ્યા હતા, ત્યાં એક ગુજરાતી પોતાની ટીમને લઈને પહોંચી ગયો. એ જ સ્થળેથી સાંગપો અપર સિઆંગ જિલ્લાના તુતિંગ ગામ તરફ વહીને સિયોમ નદીને મળીને આસામ તરફ આગળ વધે છે, જ્યાં તે લોહિત અને દિબાંગ નદીને મળીને બ્રહ્મપુત્ર બને છે અને પછી બાંગ્લાદેશ તરફ જાય છે. એ દિવસે હરીશ કાપડિયાની ટીમે સાંગપોના કિનારે રાત વીતાવી, જેને તેઓ જીવનની સૌથી 'જાદુઇ રાત્રિ' કહે છે.

એ ટ્રેકમાં હરીશ કાપડિયાને અનેક સ્થળે નાના મોટા અકસ્માતોનો સામનો કરવો પડ્યો હતો. સાંગપોના કિનારેથી પરત ફરતી વખતે તેમના જેવા અઠંગ પર્વતારોહક ૧૫૦ ફૂટ નીચે લપસીને ઈજાગ્રસ્ત થયા હતા. એ પછી સતત ચાર કલાક પીડા ભોગવીને તેઓ મુખ્ય પર્વતની કેડીએ પહોંચી શક્યા હતા.

પર્વતારોહણના 'ઓસ્કર' ગણાતા એવોર્ડનું સન્માન

પર્વતારોહણ અને હિમાલય એક્સપ્લોરેશનમાં જબરદસ્ત પ્રદાન આપવા બદલ હરીશ કાપડિયાને ત્રીજી નવેમ્બર, ૨૦૧૭ના રોજ દક્ષિણ કોરિયામાં લાઇફ ટાઇમ એચિવમેન્ટ પિઓલેટ્સ (આઈસ એક્સ) ડિ'ઓર એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા. ટ્રેકિંગની દુનિયાનું 'ઓસ્કર' ગણાતું આ સન્માન આજ સુધી કોઈ ભારતીયને મળ્યું નથી.

૧૯૬૪માં હરીશ કાપડિયા અને તેનજિંગ નોર્ગે

સિઆંગ ભારતમાં પ્રવેશે છે એ સ્થળે પહોંચ્યા, એ તો હરીશ કાપડિયાની હિમાલયન સિદ્ધિઓ પૈકીની એક નાનકડી સિદ્ધિ છે. તેઓ હિમાલયના દુર્લભ ગણાતા દેવતોલી (૬૭૮૮ મીટર), બંદરપૂંછ (૬૧૦૨), પારિલુંગબી (૬૧૬૬), લુંગસર કાંગરી (૬૬૬૬) અને લદાખના સૌથી ઊંચા રૂપશુ શિખરમાં ક્લાઇમ્બિંગ પોસિબિલિટીઝ ખોજી ચૂક્યા છે. હરીશ કાપડિયાની આગેવાનીમાં બ્રિટિશર પાંચ વાર, ફ્રેન્ચ બે વાર અને જાપાનીઝ એક વાર હિમાલયમાં આંતરરાષ્ટ્રીય એક્સપિડિશન કરી ચૂક્યા છે. તેઓ રિમો-૧ (૭૩૮૫ મી), ચોંગ કુમદાન કાંગરી (૭૦૭૧), સુદર્શન અને પદ્મનાભ પર્વત (૭૦૩૦) તેમ જ પંચચુલી નામના પાંચ પર્વતો(૬૯૦૪)માં પણ એક્સપ્લોરેશન કરી ચૂક્યા છે. ઇન્ડિયન માઉન્ટેઇિનયરિંગ ફાઉન્ડેશને ૧૯૯૩માં તેમનું સુવર્ણ ચંદ્રક આપીને સન્માન કર્યું હતું.

આજે ય દુનિયાભરમાં તેમને હિમાલયન ટ્રેકિંગ અને એક્સપ્લોરેશન પર બોલવા આમંત્રણો અપાય છે. હાલ તેઓ બ્રિટિશ અલ્પાઇ ક્લબના માનદ્ સભ્ય તરીકે સેવા આપે છે. હરીશ કાપડિયાએ  હિમાલયના દુર્લભ વિસ્તારોની તસવીરો અને નકશાનું કલેક્શન અમેરિકન અપ્લાઇન ક્લબ અને સ્વિસ નેશનલ મ્યુિઝયમને ભેટમાં આપી દીધું છે. અમેરિકાના ડિઝની વર્લ્ડના એનિમલ કિંગ્ડમમાં 'એક્સપિડિશન એવરેસ્ટઃ લિજેન્ડ્સ ઓફ ફોરબિડન માઉન્ટેઇન્સ' નામના પોઇન્ટ પર હરીશ કાપડિયાનું 'મીટિંગ ધ માઉન્ટેઇન્સ' નામનું પુસ્તક પ્રદર્શિત કરાયું છે. હરીશ કાપડિયા હિમાલયન માઉન્ટેઇિનયરિંગ અને એક્સપ્લોરેશનની અતિ દુર્લભ માહિતી પીરસતા ડઝનેક પુસ્તકો લખી ચૂક્યા છે. તેમના કાર્યકાળમાં જ 'હિમાલયન જર્નલ'ની ભારતીય આવૃત્તિને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વસનિયતા હાંસલ થઈ હતી.

***

હરીશ કાપડિયા ૧૯૭૪માં નંદાદેવી અભયારણ્યની ૬,૨૦૦ મીટર ઊંડી ખાઈમાં લપસી પડ્યા હતા. આ અકસ્માત પછી તેમના સાથીદારોએ ૧૩ દિવસની જહેમત પછી હરીશ કાપડિયાને બેઝ કેમ્પ પહોંચાડ્યા હતા. આ અકસ્માતમાં તેમના થાપાના હાડકાને ભારે નુકસાન થયું હતું, જેથી બેઝ કેમ્પથી તેમને હેલિકોપ્ટરમાં હોસ્પિટલ લઈ જવાયા હતા. આ ઘટના પછી તેમણે લગભગ બે વર્ષ સુધી આરામ કર્યો, પરંતુ સાજા થતા જ ફરી પાછા જંપીને બેસવાના બદલે આજે ૭૨ વર્ષેય સતત ડુંગરોમાં ભમી રહ્યા છે.

xxx

સૌજન્યઃ “ગુજરાત સમાચાર”, ‘શતદલ’ પૂર્તિ, ‘ફ્રેન્કલી સ્પીકિંગ’

http://vishnubharatiya.blogspot.co.uk/2018/01/blog-post_29.html

Loading

બંધારણના એક અને અનન્ય ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર

ચંદુ મહેરિયા|Opinion - Opinion|29 January 2018

ડો. બાબાસાહેબ આંબેડકર દલિતો-પીડિતોના અધિકારો માટે જીવનભર સંઘર્ષ કરનાર સંઘર્ષવીર, સામાજિક ન્યાય અને સમાનતાના લડવૈયા, પ્રકાંડ પંડિત, કુશળ રાજનીતિજ્ઞ અને આર્ષદ્રષ્ટા મહામાનવ તરીકે તો જાણીતા છે જ પણ ભારતીય બંધારણના એક અને અનન્ય ઘડવૈયા તરીકેની એમની ઓળખ કદી ન ભૂંસી શકાય તેવી છે.

આઝાદી પૂર્વે ઈ.સ. ૧૯૪૬માં કેબિનેટ મિશન યોજના મુજબ યોજાયેલી ચૂંટણી પછી પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં કામચલાઉ સરકાર રચાઈ હતી. આ સમય દરમિયાન બંધારણના ઘડતરનું કામ પણ ચાલતું હતું. બંધારણ સમિતિના સભ્યો ચૂંટવાનું કામ પ્રાંતિક ધારાસભાઓ દ્વારા થતું હતું. ડો. બાબાસાહેબ આંબેડકર માટે દલિતોના હકો માટે લડવાનું આ એકમાત્ર અંતિમ ક્ષેત્ર હતું. તેથી બંધારણ સભામાં એમનો પ્રવેશ અનિવાર્ય હતો. તો કોંગ્રેસ તેમના પ્રવેશમાં મુખ્ય અવરોધક હતી. મુંબઈ વિધાનસભામાં એમની ઉમેદવારીને ટેકો આપનાર કોઈ નહોતું એટલે તેઓ બંગાળમાંથી બંધારણ સભાના સભ્ય બન્યા.

૧૩મી ડિસેમ્બર ૧૯૪૬ના રોજ બંધારણ સભાની  બેઠક મળી. તેમાં મુસ્લિમ લીગ અને દેશી રાજ્યોના પ્રતિનિધિઓ ગેરહાજર હતા. તેથી બંધારણસભાના એક સભ્ય ડો. એમ.એમ જયકરે બંધારણસભાનું કામ થોડો સમય મુલત્વી રાખવા પ્રસ્તાવ મૂક્યો. જેની તરફેણ અને વિરોધમાં દલીલો થઈ. પ્રમુખની વિનંતીથી ડો. આંબેડકરે બંધારણસભામાં તેમનું પ્રથમ પ્રવચન આપ્યું. ડો. આંબેડકરના જીવનીકાર ધનંજય કીરે લખ્યું છે, “એક વિશાળ મસ્તક, મક્કમતાથી ભીડાયેલા હોઠ, લંબગોળ તેજસ્વી ચહેરો ધરાવતું એક પ્રચંડ વ્યક્તિત્વ ઊભું થયું. અત્યંત ગંભીરતાથી ભાષા પરના અમર્યાદિત પ્રભુત્વ અને અડગ હિંમત સાથે ડો. આંબેડકરે પોતાનું પ્રવચન શરૂ કર્યું. “બૌદ્ધિક તટસ્થતા અને વાસ્તવિકતાના રણકાર સાથેના એ પ્રથમ પ્રવચનથી જ  ડો. બાબાસાહેબ આંબેડકરે બંધારણ સભાના સભ્યો પર અમીટ છાપ મૂકી હતી. તેમણે  કહ્યું હતું, “આપણે સૌ રાજકીય, સામાજિક અને આર્થિક બધી રીતે વિભાજિત છીએ. આપણે જુદી જુદી છાવણીઓમાં વહેંચાયેલા છીએ અને હું પણ આવી જ એક છાવણીનો નેતા છું. છતાં હું દ્રઢતાપૂર્વક માનું છું કે આવા સંજોગોમાં પણ દુનિયાની કોઈ તાકાત આ દેશને એક થતો રોકી શકશે નહીં.  આપણે એક પ્રજા તરીકે ચોક્કસ બહાર આવીશું.”

૧૫મી જુલાઈ ૧૯૪૭ના રોજ બ્રિટનની સંસદમાં હિંદ સ્વાતંત્ર્ય ધારો પસાર થતાં ભારતની બંધારણ સભા સાર્વભોમ બની. ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારત પાકિસ્તાનના ભાગલા સાથે દેશ આઝાદ થયો. બંગાળના ભાગલાને કારણે બંગાળના સભ્યોની સંખ્યા ઘટી. જેમાં ડો. આંબેડકરનો સમાવેશ થતો હતો. આઝાદ ભારતના બંધારણના ઘડતર માટે જ્યારે દેશ નેતાઓ બ્રિટિશ બંધારણવિદ આયવરી જેનિંગ્સન પર નજર માંડી બેઠા હતા ત્યારે ગાંધીજીએ ‘ઘર આંગણે આંબેડકર છે ને’, એવો આદેશ કરેલો. ડો. આંબેડકરને બંધારણ સભાના સભ્ય તરીકે ચૂંટી લાવવાની જવાબદારી સરદાર પટેલના શિરે મૂકાઈ હતી. મુંબઈમાં જયકરના રાજીનામાથી ખાલી પડેલી બેઠક પર ડો. આંબેડકરને ચૂંટી લાવવા સરદારે તે સમયના મુખ્યમંત્રી બી.જી. ખેરને પત્ર લખી જણાવ્યું હતું કે, “તમારે ૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ પહેલાં ડો. આંબેડકરને જીતાડવાની વ્યવસ્થા કરવાની છે.” (સરદાર પટેલ પત્રવ્યવહાર, ખંડ-૫, પ્રષ્ઠ-૧૩૯) મુંબઈ વિધાનસભામાંથી, કોંગ્રેસના સમર્થનથી બાબાસાહેબ બંધારણ સભાના સભ્ય બન્યા હતા. આજીવન કોંગ્રેસ વિરોધી હોવા છતાં વિશાળ રાષ્ટ્ર હિતમાં તેઓ આઝાદ ભારતના પ્રથમ પ્રધાન મંડળમાં કાયદા મંત્રી બન્યા હતા.

ભારતીય બંધારણની સાત સભ્યોની મુસદા સમિતિના અધ્યક્ષ તરીકે ડો. આંબેડકરની વરણી થઈ અને તેને કારણે સંવિધાનના નિર્માણનું મુખ્ય કાર્ય તેમના શિરે આવ્યું. “માત્ર દલિતોના હિતોની હિફાજત માટે જ હું સંવિધાન સભામાં  આવ્યો હતો.  આ સિવાય મારા મનમાં  બીજો કોઈ વિચાર નહોતો.” એમ કહેનાર ડો. આંબેડકરે ભાંગતી તબિયતે અપાર મહેનત અને લગનથી બંધારણના ઘડતરનું કામ કર્યું હતું. બંધારણ સભાની વિવિધ ૧૩ સમિતિઓમાં અને સમગ્ર બંધારણ સભામાં ભિન્નભિન્ન રાજકીય વિચારધારાના સભ્યોની સામેલગીરી અને ખુદ બંધારણનો મુસદ્દો ઘડનાર સમિતિના સભ્યોના અન્યત્રા રોકાણો છતાં ભારે ધીરજ અને કુનેહથી ડો. આંબેડકરે કામ કર્યું. મુસદ્દાની એકએક કંડિકાઓ પર વિચારવિમર્શ કરી સર્વસંમતિ સાધી ૨ વરસ, ૧૧ માસ અને ૧૭ દિવસોમાં કુલ ૧૬૫ દિવસની ૧૧ બેઠકોમાં આ કપરું કામ બજાવ્યું હતું.

બંધારણ સભાની અંતિમ બેઠકમાં બાબાસાહેબ આંબેડકરના આ અદ્દભુત કાર્યની સરાહના કરતાં બંધારણ સભાના અધ્યક્ષ ડો. રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું,: “બંધારણ સભાની મુસદા સમિતિના કાર્યનું હું પ્રત્યેક દિવસે નિરીક્ષણ કરતો આવ્યો છું.  મુસદા સમિતિના સભ્યોએ જે ઉત્સાહ, ચીવટ અને નિષ્ઠાથી આ કાર્ય પૂર્ણ કર્યું છે તેની ખાતરી બીજી કોઈ પણ વ્યક્તિ કરતાં મને સવિશેષ છે. મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડો. આંબેડકરે પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના આ મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કર્યું છે. આપણે સાત સભ્યોની મુસદા સમિતિમાં નિમણૂક કરી હતી. એક સભ્યએ રાજીનામુ આપી દીધું  અને તે બેઠક કદી ભરવામાં  ન આવી. એક સભ્યનું મૃત્યુ થયું અને તે બેઠક પણ ખાલી રહી. એક સભ્ય અમેરિકા ચાલ્યા ગયા અને તેમની બેઠક પણ ખાલી રહી. એક સભ્ય દેશી રજવાડાંઓના પ્રશ્નમાં ગૂંચવાયેલા રહ્યા. એટલે વાસ્તવિક રીતે તો તે બેઠક પણ ખાલી જ હતી. એક બે સભ્યો આરોગ્ય અને બીજા કારણસર હાજર રહેતા નહોતા. એટલે બંધારણ ઘડવાની સમગ્ર જવાબદારી ડો. આંબેડકરના માથે જ આવી પડી હતી. અને તેમણે આવી પરિસ્થિતિ છતાં ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું છે .. આ બંધારણ સભા તે માટે તેમની ઋણી છે.”

બંધારણ સભાના અનેક સભ્યોએ પણ ડો. આંબેડકરના યોગદાનને મુક્ત રીતે બિરદાવ્યું હતું. બાબાસાહેબે બંધારણના ઘડવૈયા તરીકે દલિતોના હક્કોની હિફાજત કરી છે. બંધારણમાં દલિતોના અનામત સહિતના અધિકારો અને આભડછેટની નાબૂદી કરાવી છે. ગાંધીજીના ગ્રામ સ્વરાજના આદર્શની સદંતર અવહેલના કરી તેમણે બંધારણના કેન્દ્રમાં ગામડાંને નહીં વ્યક્તિને મૂકી છે. પંચાયતી રાજને માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવી દલિતોને રંજાડનાર પંચાયતી રાજને બહુ મહત્ત્વ આપ્યું નહોતું. ભારતના બંધારણમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ સિવાય પુખ્તવયના તમામ નાગરિકોને મતાધિકાર અને મૂળભૂત અધિકારો અપાવ્યા છે.

ભારતનું બંધારણ ભીમ સ્મૃિત તરીકે પણ ઓળખાય છે. એચ.જે. ખાંડેકરે લખ્યું હતું, હું બંધારણને મહાર કાનૂન કહીશ. કેમ કે ડો.આંબેડકર મહાર હતા. હવે ભારતામાં મનુના કાયદાનું સ્થાન મહારનો કાયદો લેશે. જવાહરલાલ નહેરુના જીવનચરિત્રકાર માઈકલ બ્રેચરે  બાબાસાહેબને બંધારણના મુખ્ય નિર્માતા ગણાવ્યા હતા.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 29 જાન્યુઆરી 2018

Loading

...102030...3,2533,2543,2553,256...3,2603,2703,280...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved