Opinion Magazine
Number of visits: 9687299
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંવાદ અને સહયોગનો નવો તબક્કો

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|13 January 2018

વર્ણ-માનસિક્તા હિંદુત્વ પ્રોજેક્ટને કેમ આભડી ગઈ છે અને આભડતી રહી છે એ બુનિયાદી તપાસ મુદ્દો છે

સાંભળ્યું છે કે નવસર્જન-ખ્યાત કર્મશીલ માર્ટિન મેકવાન ગુજરાતના નાગરિક સમાજ સક્રિયકોને ભીમા-કોરેગાંવ ઘટનાક્રમે છેડેલાછંછેડેલા વિચાર-અને-આંદોલન-મુદ્દાઓના ઉજાસમાં સહવિચાર સારુ એકત્ર કરવા ઇચ્છે છે. આ અલબત્ત એક સોજ્જો ઉપક્રમ છે, અને ઉના ઘટનાએ દેશમાં સરજેલી શક્યતાઓના અગ્રચરણરૂપે આવી એક ચર્ચાનો દોર આગળ ચાલે એ જરૂરી પણ છે.

માર્ટિનભાઈએ ગુજરાતનાં ગામોમાં રામપાત્ર નહીં પણ ભીમપાત્ર સહી એ તરજ પર ચલાવેલ સુધારચળવળનું આ તબક્કે અનાયાસ સ્મરણ થઈ આવે છે. સુધાર જેમ વ્યાપક સમાજમાં તેમ દલિત સમાજની અંદર પણ, એવો એમનો અભિગમ રહ્યો છે એ રીતે ગાંધીની પ્રાયશ્ચિત સ્કૂલ અને આંબેડકરની અધિકાર સ્કૂલ એમ બે ય છેડેથી અપેક્ષિત કામગીરીના વ્યાપક વર્તુળમાં એમનીયે એક ભૂમિકા રહી છે. માર્ક્સ-આંબેડકર સંસ્કાર તો ગાંધી જેપી પરંપરાની લોકસમિતિ હિલચાલનોયે સ્વલ્પ સંપર્ક એ જિજ્ઞેશ મેવાણીનો કંઈક નિંભાડો તો કંઈક અખાડો રહ્યો છે.

નારણભાઈ રાઠોડ કે ભીમાભાઈ રાઠોડની ગાંધી સર્વોદય પરંપરા કરતાં માર્ટિન અને જિજ્ઞેશ પોતપોતાની ઘાટીએ સ્વાભાવિક જ જુદા પડે છે. પાટડી-દસાડાના પૂર્વધારાસભ્ય સદ્‌ગત ભીમાભાઈ જો કે એક વાત સરસ કરતા કે કૌરવપાંડવ વચ્ચેના સંઘર્ષમાંથી જો ગીતા જેવી મહદ્‌ ઉપલબ્ધિ થઈ હોય તો ગાંધી-આંબેડકર તો કોઈ કૌરવોપાંડવની જેમ શુભ/ઈષ્ટ વિ. અનિષ્ટ એવાં સામસામાં પાત્રો નહોતાં. એમના સંઘર્ષમાંથી તો સમતા ને સ્વતંત્રતા સારુ નાગરિક જીવનમાં અદકેરી લબ્ધિ કેમ ન થાય, વારુ!

આ જે અદકેરી લબ્ધિ, એની દિશા અને એનું સ્વરૂપ શું હોય તેની સંભાવના સમજવામાં અને તપાસવામાં એક નિમિત્ત તરીકે ભીમા-કોરેગાંવ ઘટનામાં ઊહ અને અપોહનાં જે વિચારવાનાં પડેલાં છે એ શું છે? ભાઈ, પ્રજાસત્તાક સ્વરાજનિર્માણના વ્યાપક અર્થમાં આપણે રાષ્ટ્રરૂપે વિલસવાનો ઇતિહાસ પ્રોજેક્ટ રહેલો છે. ગાંધીચીંધ્યા નેહરુપટેલ નિમંત્ર્યા આંબેડકરની અગ્રભૂમિકાએ બની આવેલા બંધારણે તે માટે એક રન વે અને ઉડ્ડાનબિંદુ સ્વાતંત્ર્યસંગ્રામની પૃષ્ઠભૂ પર પૂરાં પાડ્યાં છે.

એના ગતિ અને દિશામાં પ્રજાકીય છેડેથી તેમ શાસકીય છેડેથી સંસ્કારક/અવરોધક પહેલ-પ્રવાહ-પરિબળ કામ કરતા રહ્યાં છે. માર્ક્‌સે ભારત ઇતિહાસ નોંધમાં એક માર્મિક ટિપ્પણી કરી છે કે ઇતિહાસ હિંદુ દેવતાઓની પેઠે મનુષ્યની ખોપરીમાંથી રક્તપાન કરતો હોય છે. (જો કે ઇંચબઇંચ આગળ વધતી વિશ્વમાનવતાનું ઋત ભૂલવા જેવું નથી.)

તો, આ જે રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયા છે એમાં મે 2014 સાથે વિધિવત્‌ તખ્તનશીન વિચારધારાએ (અને તે અગાઉ પણ એની યથા સંભવ પ્રભાવકતાએ) પોતાના હિંદુત્વ અભિગમપૂર્વક જેમ મુસ્લિમો તેમ દલિત-આદિવાસી-ઓ.બી.સી. સાથે કામ પાડવું રહે છે.

ઇતિહાસમાં બત્રીસલક્ષણા બલિદાની યુવકની શોધમાં દલિત પર કળશ ઢોળાતો રહ્યો છે, જેમ કે વીરમાયા. પ્રભાવક ‘હિંદુ’ તબકાને ખાણદાણની શોધમાં દલિત પર લાંગરવું ઠીક ફાવતું આવે છે. ઓ.બી.સી. મુખ્યમંત્રીના કાળમાં ગુજરાતમાં જે સંહારસત્ર બની આવ્યું એને હિંદુ ઉચ્ચ વર્ણવાદના ટીકાકારો જો ઉપલી વરણ જ બહાદુર હોય એવી વર્ણ-માનસિકતા પરની લપડાકરૂપે ઘટાવી શકે તો સામે છેડે ઓ.બી.સી. પોતાને હિંદુ શૌર્યમૂર્તિઓમાંયે સ્થાપી શકે: આ બે પરસ્પરવિરોધી વાચનાઓ એક આંતરબાહ્ય મંથનમુદ્દો ઉપસ્થિત કરે છે.

ભીમા-કોરેગાંવ (1 જાન્યુઆરી 1818), એ રીતે અંગ્રેજબહાદુરની મહાર સહિતની ટુકડી અને બ્રાહ્મણ પેશવાઈની ટુકડી વચ્ચેની લડાઈમાં દલિત વિ. બ્રાહ્મણ વર્ચસ્‌ની એક વાચના પૂરી પાડે છે. પણ ઉલટ પક્ષે પેશવાની ફોજમાં માતંગ (દલિત) પણ હતા એ લક્ષમાં લઈએ તો કંપની સરકારની ફોજમાં મહાર (દલિત) પણ હતા તેને કારણે બેઉનો છેદ ઊડી જાય છે. દિલ્હી યુનિવર્સિટીના ઇતિહાસના પ્રાધ્યાપક અભિનવ પ્રકાશે આ મુદ્દો હમણાં સંઘ પરિવારની એક થિંક ટૅંક રૂપ મુખર્જી ફાઉન્ડેશનના ઉપક્રમે મળેલી વિચારગોષ્ઠીમાં ઉપસ્થિત કર્યો હતો.

અભિનવ પ્રકાશ પોતાને જમણેરી આંબેડકરી તરીકે ઓળખાવે છે. છેક વિદ્યાર્થી પરિષદના વારાથી સંઘ પરિવાર જોડે રહેલા અભિનવ પ્રકાશનું એક માર્મિક અવલોકન હજુ હમણે લગીના હિંદુત્વ પ્રોજેક્ટ બાબતે એ છે કે આપણા ઇતિહાસ લેખનમાં અને ઇતિહાસ કથનમાં દલિત ને આદિવાસી ક્યાં છે. એમની ચિંતા આ મુદ્દે એ છે કે જો આપણે દલિત ને આદિવાસીને નહીં સમાવી શકીએ તો સામેવાળા એમને પોતાના કરી લેશે. જો કે વિચારમુદ્દો એ છે કે ‘આપણાવાળા’ અને ‘સામેવાળા’થી ભાજપ વિ. કૉંગ્રેસી એવું કોઈ વલણ બનતું હોય તો તે બેહદ બેહદ અપૂરતું અને એકાંગી લેખાશે.

વર્ણ-માનસિકતા હિંદુત્વ પ્રોજેક્ટને કેમ આભડી ગઈ છે અને આભડતી રહી છે એ બેશક બુનિયાદી તપાસમુદ્દો છે. સ્વરાજસંગ્રામની જે વ્યાપક ધારામાં કૉંગ્રેસે અને બીજા આવ્યાં એમાં સમાજગત વર્ણવણછાની સામેનાં વૈચારિક બળોનો યત્કિંચિત પણ પ્રવેશ હતો. એની પણ મર્યાદાઓ હોઈ શકે છે, પણ હિંદુત્વની હદે તે ગળથૂથીગત નથી. હિંદુત્વ રાજનીતિ મંડલમંદિર જોડાણ અને દલિત સમાસની રણનીતિથી એકત્રીસ ટકે પહોંચી છે. આ એકત્રીકરણ ચાલુ રાખવા માટે એને ‘ધ અધર’ની જરૂર સતત પડે છે.

ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ ઢબે એકત્રીસ ટકે બહુમતી બેઠકો જરૂર શક્ય બની પણ આ ટકાવારી વધારવી અને ટકાવવી હોય તો કથિત વચલી-નીચલી વરણની રાજકીય બહુમતીની સરસાઈ તળે ઉજળિયાત માનસિકતા એક લઘુમતી દરજ્જો સાંખી શકે એવી સુધારસમજ કેળવાવી જોઈએ. તો, નાગરિક ધોરણ કેળવાય અને વિકસે. જો કે ત્યાર પછી પણ રાષ્ટ્રનિર્માણના પ્રોજેક્ટને જે ગળથૂથીગત ‘અધર’ની ગરજ રહે છે એમાંથી ઊંચે ઊઠવું બાકી રહે છે.

આંબેડકર છેડેથી દલિત કલ્યાણ નિધિ સાથે ગાંધીનું નામ જોડવાની દરખાસ્ત આવેલી એમાં પ્રજાસત્તાક સ્વરાજલાયક સહિયારી નાગરિકતાની કૂંચી પડેલી છે. જેમ આલોચના તેમ કદરબૂજને ધોરણે પ્રાયશ્ચિત અને અધિકાર સ્કૂલો વચ્ચે સાર્થક સંવાદ અને સહયોગનો નવો તબક્કો રાહ જુએ છે. ઇ.પી.ડબલ્યૂ.ના વરાયેલા સંપાદક ગોપાલ ગુરુએ આ દિશામાં એક વિચારબારી ખોલી છે, એની વાત વળી ક્યારેક.

‘ધ અધર’ (આ કિસ્સામાં ‘મુસ્લિમ’) પરત્વે અત્યારે સંઘ પરિવારે અજમાવેલા વ્યૂહ પરત્વે તીન તલાક પ્રકરણ સહિતના મુદ્દે વિગતે વ્યાપક ચર્ચા જરૂરી છે. આ ક્ષણે એમાં લાંબે કે ઊંડે નહીં જતાં એક સાદો પણ બુનિયાદી વિગતમુદ્દો કરીશું કે ચૂંટણી અને મતના રાજકારણમાં અમે (ભા.જ.પ./સંઘ પરિવાર) તમારા વિના ચલાવી શકીએ તેમ છીએ એવી ભૂમિકા જણાય છે. આ વ્યૂહ જ્યારે સફળ થતો જણાય ત્યારે પણ એક પાયાનો પ્રશ્ન રહે છે.

અને તે એ કે મુસ્લિમોને રાજકીય મુખ્યપ્રવાહગત પ્રતિનિધિત્વમાંથી બાકાત રાખીને તમે રાષ્ટ્રરાજ્ય તરીકેની તમારી મજબૂતીને સવાલિયા દાયરામાં નાખો છો તેનું શું. શું દલિત, શું મુસ્લિમ કે શું બીજા: છેવટે તો ખલિલ જિબ્રાનની સ્મરણીય સૂક્તિ મુજબ કોઈ પણ સાંકળ છેવટે તો એની નબળામાં નબળી કડી જેટલી જ મજબૂત હોઈ શકે છે.

સૌજન્ય : ‘મંથન’, “દિવ્ય ભાસ્કર”, 13 જાન્યુઆરી 2018

Loading

સમયની માંગ છે કે સર્વ કલાઓ સાથે જોડાઈએ; એ માટે બદ્ધચિત્ત સાહિત્યકારોના સાહિત્યથી વહેલી તકે છૂટા થઈ જઈએ

સુમન શાહ|Opinion - Literature|13 January 2018

ફિલ્મ ‘ધાડ’ આવકાર્ય છે. એક સારી વાર્તા પરથી બનેલી ફિલ્મ ૧૮ વર્ષના સમયગાળા પછી સૂર્યપ્રકાશમાં મુકાઈ છે

ફિલ્મ ‘ધાડ’-ને આવકાર

અહીં અમેરિકામાં જાણ્યું કે આ ૨૦૧૮-ના વર્ષમાં સાહિત્યકૃતિઓ પર આધારિત ઓછામાં ઓછી ૩૫ ફિલ્મો રજૂ થવાની છે. બીજે દિવસે જાણ્યું કે પાંચ જાન્યુઆરીએ જયન્ત ખત્રીની ‘ધાડ’ નવલિકા પરથી બનેલી ફિલ્મ ગુજરાતમાં અનેક થીએટરોમાં રજૂ થવાની છે. (હવે રજૂ થઈ ગઈ છે). આ શુભારમ્ભથી લાગે છે કે સાહિત્ય અને ફિલ્મના રસિયાઓને અમેરિકામાં અને આ નરવી ગુજરાતી ફિલ્મથી ગુજરાતમાં સાહિત્યકારોને તેમ જ ફિલ્મ-મેકરોને જરૂર આનન્દ થવાનો. કેટલાક, સાહિત્યને ગ્રેટ ગણશે; કેટલાક, ફિલ્મને. જો કે અમુકો, બન્નેમાં રહેલી કલાને ગ્રેટ ગણશે.

૧૯૯૯-માં શરૂ થયેલી ફિલ્મ ‘ધાડ’-નું અનેક વિટંબણાઓ પછી થયેલું અવતરણ આવકાર્ય છે કેમ કે એ એક સારી વાર્તા પરથી બની છે અને ૧૮ વર્ષના લાંબા સમયગાળા પછી સૂર્યપ્રકાશમાં મુકાઈ છે. નિર્માતા કીર્તિ ખત્રી અને દિગ્દર્શક પરેશ નાયકની ખુશીમાં ગુજરાતને અભિનન્દનપૂર્વક સહભાગી થવાનો અવસર સાંપડ્યો છે.

જયન્ત ખત્રીએ ‘ધાડ’ ૧૯૫૩-માં ‘આરસી’ સામયિકમાં બે હપતે છપાવેલી. ખાસ ફેરફાર વગર ૧૯૬૮-માં ગ્રન્થસ્થ કરેલી. એ પરથી પરેશે ફિલ્મ બનાવી. વીનેશ અંતાણીએ પટકથા લખી. વીનેશે નવલકથા પણ લખી. એ દરેકનું શીર્ષક, ‘ધાડ’ ! સાહિત્યકારો આમે ય ધાડપાડુ તો ખરા જ ! એકબીજામાંથી શુંયે લૂંટી લેતા હોય. પણ જોનારા કહેશે કે વીનેશે અને પરેશે જે લૂંટ્યું એને સવાયું કરીને પાછું વાળ્યું છે. ખત્રીને ભણાવતી વખતે મેં હમેશાં ‘ધાડ’ વિશે ચર્ચા કરી છે. વીનેશની નવલકથા વિશે વ્યાખ્યાન કર્યું છે, લેખ કર્યો છે. ફિલ્મ જોવી બાકી છે. ખત્રી (1909-1968) કચ્છના. વ્યવસાયે ડૉક્ટર. પેઇન્ટિન્ગ પણ કરતા. પોતાની વાર્તાઓ માટે ચિત્રો કરેલાં. વીનેશ પણ મૂળે કચ્છના; નવલકથાકાર, નવલિકાકાર. પરેશ અમદાવાદના; નવલકથાકાર, નવલિકાકાર, દિગ્દર્શક; જરૂર પડ્યે અભિનય પણ કરી જાણે. મેં જોયું છે કે એમની પાસે આગવી કલાસૂઝ છે. આ ફિલ્મ ઘાંચમાં પડેલી એની વ્યથા અમે શૅઅર કરી છે અને સાહિત્ય, ફિલ્મ કે કલામાત્ર બાબતે આપણે કેટલા તો ઊણા ઊતરીએ છીએ એવા બળાપા કર્યા છે.

નવલકથા, પટકથા અને મૂળાધાર નવલિકા, ત્રણેયને સર્જન કહેવાય. એ-ને-એ કથાવસ્તુ પરનાં આ કામને સર્જનાન્તર કહેવાય. ફિલ્મમાં તો અભિનેતાઓની સર્જકતા પણ દાખલ થવાની. આમાં, કે.કે. મૅનન, ઘૅલો છે. નંદિતા દાસ, મૉંઘી. સંદીપ કુલકર્ણી, પ્રાણજીવન. સુજાતા મહેતા, ધનબાઈ. રઘુવીર યાદવ, જુસબ. સિનેમૅટોગ્રાફી કોની હશે? મને ખબર નથી. સંગીત વનરાજ ભાટિયાનું છે. આ બધાં સો-કૉલ્ડ સ્ટાર નથી, સીઝન્ડ આર્ટિસ્ટ છે. પોતપોતાની સર્જકતા સાથે એ સૌ અને બીજાં સહયોગીઓ ‘ધાડ’-માં ભાગીદાર બન્યાં છે. ખત્રી હયાત હોત તો એમને અ-કલ્પ્ય આનન્દ થયો હોત. ૪૧ વાર્તાઓના વાર્તાકાર. બીજી આઠેક વાર્તાઓ સામયિકોમાં પ્રગટેલી. એક ધારાવાહી નવલકથા લખેલી. મંગલ પાંડે પર એકાંકી લખેલું. પહેલો વાર્તાસંગ્રહ ‘ફોરાં’ ૧૯૪૪-માં પ્રકાશિત થયેલો. બીજો, ’ખરા બપોર’ ૧૯૬૮-માં. પોતાની સૃષ્ટિમાં એમણે મુખ્યત્વે કચ્છના રણપ્રદેશની પાર્શ્વભૂ પરથી માનવીય સુખદુ:ખની રાગિણીઓ પ્રગટાવી છે. એમની કલમમાં દૃશ્યો ઊભાં કરવાની ક્ષમતા છે. આ નવલિકા પણ એ ગુણે શોભે છે. ફિલ્મસર્જનને પ્રેરનારો મુખ્ય ગુણ પણ એ જ છે.

કથાનાયક ઘૅલો ધાડપાડુ છે. એની જિન્દગીનો પરિવેશ પણ એ જ છે, કચ્છ. ‘વાંઝણી નિર્વીર્ય અને જેને ધાવણ નથી આવતું એવી ધરતી’. ધાડનો ધંધો એને વારસામાં મળેલો. માણસ માથાભારે છે. માને છે કે માથાભારે હોઇએ તો જ જીવતરનો ભેદ અને એના ઉકેલનો માર્ગ મળી આવે. માણસજાત જુલમને સહેલાઈથી વશ થાય છે, સમજાવટને નહીં. આવી ફિલસૂફી ધરાવતો ઘૅલો દાજી શેઠને ત્યાં ધાડ પાડે છે. ખત્રીનો કથાકસબ, નવલિકાની એ મુખ્ય ઘટના લગી પ્હૉંચવામાં અને પ્હૉંચ્યા પછી તેના જરૂરી નિર્વહણમાં ખરચાયો છે. ઘટના ખાસ્સી નાટ્યાત્મક પણ છે. ઘૅલો પક્ષાઘાતના હુમલાથી પછડાય છે. મ્હાત્ થાય છે. કારકિર્દીને હારી જાય છે. ધાડને ત્રીજે દિવસે એનું મૃત્યુ થયું હોય છે. એનો સાથી પ્રાણજીવન લૂંટેલી વસ્તુઓ શેઠના લાભમાં પાછી ફૅંકી દે છે. પ્રાણજીવનને ઘૅલાએ બૅળેબૅળે સાથમાં લીધેલો. છતાં એ જ સાથી અને એ જ ધાડી-ઊંટ ઘેલાના ભાંગી પડેલા શરીરને લઈ, ગામ-ઘરે પાછાં ફરે છે. એ બધું વિપરીત જોઈને ઘૅલાની પત્ની મૉંઘી બઘવઈ જાય છે. એક ઝુઝારુ, ખૂંખાર અને ઝિંદાદિલ પુરુષના આપોપા જીવન-તન્તનું આમ કરુણ પરિણામ આવે છે.

વિષમ પરિવેશ અને પરિસ્થતિ પર માણસ ગુમાનથી ઝનૂનપૂર્વક વર્તીને કદાચે ય વિજય મેળવી શકે પણ કુદરત બીજી રીતે ય વીફરે છે. પરિણામમાં ઘોર પરાજય મળે છે. જો કે વાર્તાને ખત્રીએ એવા સ્પષ્ટ પૉઇન્ટ ઑફ વ્યૂ-થી નથી ચલાવી. છતાં એક અન્ડરટોન પકડાય તો એ પકડાય કે પ્રકૃતિ અને મનુષ્યપ્રકૃતિ પાસે માણસ લાચાર સ-મર્યાદ પ્રાણી છે. અગાઉના પાઠમાં ખત્રીએ મૉંઘીને ત્રીજી વારની પત્ની કહેલી. એટલે પહેલી પત્ની રૂપે ધનબાઈ અને બીજી રૂપે રતની, વીનેશનાં ઉમેરણ છે. જુસબ પણ ઉમેરણ છે. એ ઘૅલાનું પૂરક-પાત્ર છે. ઘૅલો રંજાડમાં માને, જુસબ હળવાશમાં. વેરાન પટ વચ્ચે મોરચંગનો સ્થિર સૂર, ચામડી બાળી નાખે એવો તડકો, ખારાપાટની ગન્ધ, વગેરે સંકેતો વચ્ચે, મૉંઢે ઢાંકેલું ફાળિયું ખસેડીને ઘૅલો આપણને સમક્ષ થાય છે. પરેશની ફિલ્મમાં ઘૅલાની ઍન્ટ્રી કેવી હશે અને સમગ્ર ફિલ્મ કેવી બની હશે, જોયા પછી કહેવાય; માટે, અટકું.

આ પ્રસંગે મને અધ્યાપકમિત્રો માટે કેટલાંક બીજાં સર્જનાન્તરોનો ઉલ્લેખ કરવો ઉચિત સમજાય છે : મહાભારત’-ના ‘નલોપાખ્યાન’-ને આધારે શ્રીહર્ષે મહાકાવ્ય કર્યું, ‘નૈષધીયચરિતમ્’. પ્રેમાનન્દ વગેરે ગુજરાતી આખ્યાનકારોએ કર્યાં, ‘નળાખ્યાન’. સુરેશ જોષીએ રચી ટૂંકીવાર્તા, ‘નળદમયન્તી’. ચિનુ મોદીએ રચ્યું ‘બાહુક’. મધુ રાયે પોતાના ‘કોઈપણ એક ફૂલનું નામ બોલો’ નાટક પરથી નવલકથા કરી, ‘કામિની’. મણિલાલ હ. પટેલે રાવજીની રચનાને ‘લલિતા’ રૂપે અવતારી. અધ્યાપકો આ રચનાઓનો તુલનાત્મક અભ્યાસ કરે તો સમજાય કે સાહિત્યજાળ જુદા જુદા સર્જકો વડે કેવી ગુંથાતી આવે છે અને સાહિત્યપદાર્થનો અવનવી રીતે ને ભાતે કેવો તો ઉછેર થતો હોય છે.

સાહિત્ય અને ફિલ્મનો સંગમ કરવા માગતા સાહસિકોને જણાવું કે એ માટે રઘુવીર ચૌધરીની નવલકથા ‘અમૃતા’ કે ચન્દ્રકાન્ત બક્ષીની ‘આકાર’ સક્ષમ છે. અનેક આધુનિક નવલિકાઓ પરથી કલાકેકની લઘુ ફિલ્મો બની શકે એમ છે. આગળ આવો અને આપણા સાચકલા કથાસાહિત્યને જાણો. એના દૈવતને ઓળખો, અને પ્રસરાવો.

વાચકોને ખાસ કહું કે ‘ધાડ’ વાર્તા વાંચીને ફિલ્મ જોવા જજો અથવા જોયા પછી વાર્તા જરૂર વાંચી લેજો. સમજાશે કે કલાનો જાદુ પ્રગટે એ માટે શબ્દની તાકાતને અને ચલચિત્રની વિશેષતાને, બેયને સાચવવા દિગ્દર્શકને કેવાં કેવાં સરવાળા-બાદબાકી કરવાં પડ્યાં છે. ૨૧-મી સદીનો બીજો દાયકો પૂરજોશમાં પ્રગતિશીલતા તરફ ધપી રહ્યો છે. સમયની માંગ એ છે કે સર્વ કલાઓ સાથે જોડાઈએ અને એ માટે બદ્ધચિત્ત સાહિત્યકારોના સાહિત્યથી વહેલી તકે છૂટા થઈ જઈએ. ક્યાં લગી બીજી કલાઓથી છેટા રહીને બંધિયાર સાહિત્યથી ખુશ રહેવું છે? મૉડું થઈ રહ્યું છે, યાર…

= = =

સૌજન્ય : ‘સાહિત્ય સાહિત્ય’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 13 જાન્યુઆરી 2018

Loading

સાંગપો, ઝાંગબો, સિઆંગ ઉર્ફે બ્રહ્મપુત્ર

વિશાલ શાહ|Opinion - Opinion|13 January 2018

બ્રહ્મપુત્ર. ભારતની એકમાત્ર પુરુષ નામ ધરાવતી નદી. છેલ્લા બે મહિનાથી બ્રહ્મપુત્ર ચર્ચામાં છે કારણ કે, ચીનમાંથી ભારતમાં પ્રવેશતી બ્રહ્મપુત્રનું વહેણ અસામાન્ય રીતે કાળું પડી ગયું છે. ચીનનું આધિપત્ય ધરાવતા તિબેટમાંથી ભારતમાં પ્રવેશતી નદી અચાનક કાળી પડી જાય એટલે ચીન પર શંકા જવી સ્વાભાવિક છે. ભારતની પૌરાણિક નદીઓ પૈકીની એક ગણાતી બ્રહ્મપુત્ર ચીનમાં પણ આશરે બે હજાર કિલોમીટરનો પ્રવાસ કરે છે. એટલે ભારતને શંકા ગઈ કે, ચીન બ્રહ્મપુત્રના કિનારા પર લશ્કરી હેતુથી ક્યાંક બાંધકામ કરતું હશે! જો કે, એવું કશું નહોતું. બ્રહ્મપુત્રનું પાણી અત્યંત નિર્જન પહાડી પ્રદેશોમાં શક્તિશાળી ભૂકંપ આવવાના કારણે કાળું પડી ગયું હતું.

બ્રહ્મપુત્ર તિબેટમાં યારલૂંગ સાંગપો, ચીનમાં યારલૂંગ ઝાંગબો અને અરુણાચલ પ્રદેશમાં સિઆંગ તરીકે જાણીતી છે. આ ત્રણેય નદીનું મૂળ એક જ છે, એ વાત ૧૮૮૪-૮૬ સુધી કોઈ જાણતું ન હતું. ચીન, ભારત અને બાંગ્લાદેશમાં વહેતી બ્રહ્મપુત્રની કુલ લંબાઈ ૩,૮૪૮ મીટર છે. આ ત્રણેય દેશના અનેક વિસ્તારોમાં બ્રહ્મપુત્ર બીજાં પણ અનેક નામે ઓળખાય છે. ભારતની બ્રહ્મોઝ મિસાઈલનું નામકરણ આ જ નદી પરથી કરાયું હતું. બ્રહ્મોઝ વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક મિસાઈલ છે. એવી જ રીતે, સેનાના એક જહાજને પણ બ્રહ્મપુત્ર નામ અપાયું છે.

પાણીના જથ્થાની દૃષ્ટિએ બ્રહ્મપુત્ર દુનિયામાં દસમા નંબરની અને લંબાઈની રીતે ૧૫મી સૌથી લાંબી નદી છે. બ્રહ્મપુત્રના ૭,૧૨,૦૩૫ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા તટપ્રદેશનો મોટા ભાગનો હિસ્સો હિમાલયના દૂરદરાજના જંગલોમાં છે. આ વિસ્તારોમાં થતાં ભૌગોલિક ફેરફારો જાણવા અત્યારે તો ઉપગ્રહ અને એરિયલ ફોટોગ્રાફી જેવી ટેક્નોલોજી છે, પરંતુ આવા હાઇટેક સાધનો નહોતા ત્યારે કેટલાક સાહસિકોએ બ્રહ્મપુત્રનો નકશો તૈયાર કરવા હિમાલયમાં વર્ષો સુધી પગપાળા અને ઘોડા પર જીવના જોખમે પ્રવાસ કર્યો હતો.

એ વિશે વાત કરતાં પહેલાં બ્રહ્મપુત્ર વિશે થોડી વાત.

બ્રહ્મપુત્ર વિશે આપણને ઓછી જાણકારી કેમ?

આપણે ગંગા, યમુના, નર્મદા, સરસ્વતી, સિંધુ, ચિનાબ, બિયાસ, ક્ષિપ્રા કે ગોદાવરી વિશે જેટલું જાણીએ છીએ એટલું બ્રહ્મપુત્ર નદી વિશે નથી જાણતા. શું હશે કારણ? બ્રહ્મપુત્ર નદી ઉત્તર પૂર્વીય ભારતમાં વહે છે એટલે? નવી દિલ્હીથી ઓપરેટ થતાં રાષ્ટ્રીય મીડિયામાં આખી દુનિયાની પંચાત થાય છે પણ ઉત્તરપૂર્વીય રાજ્યોને લગતી ગમે તેવી મોટી ઘટનામાં 'લેક ઓફ ઈન્ટરેસ્ટ' સ્પષ્ટ દેખાઈ આવે છે. ઉત્તરપૂર્વીય રાજ્યો વિશે એક સરેરાશ ભારતીય પાસે સચોટ માહિતી ઓછી અને પૂર્વગ્રહો વધારે હોય છે.

તિબેટના દક્ષિણ-પશ્ચિમ  લ્હાસાના ઊંચાઈવાળા વિસ્તારોમાં અંશતઃ થીજેલી સાંગપો, જે ધીમે ધીમે પીગળીને ત્રણ દેશનો પ્રવાસ કરે છે

તિબેટના બુરાંગ પ્રાંતના ઉત્તરી હિમાલયમાં કૈલાશ પર્વત નજીક આવેલા આંગસી ગ્લેિશયરમાંથી એક વહેણ ઉત્પન્ન થાય છે, જે હિમાલય પર્વતમાળામાંથી પૂર્વ તરફ (તિબેટ-ચીન) આગળ વધે છે. આ વહેણ એટલે ત્રણ દેશના અત્યંત નિર્જન વિસ્તારોને ભેદીને આગળ વધતી તિબેટની સાંગપો, ચીનની ઝાંગપો અને ભારતની બ્રહ્મપુત્ર. આ વહેણ તિબેટના ગ્યાલા પેરી અને નામચા બારવા નામના પર્વતને કાપીને વિશ્વની સૌથી મોટી ખીણનું સર્જન કરે છે, જે યારલૂંગ સાંગપો ગ્રાન્ડ કેન્યોન (ખીણ) તરીકે ઓળખાય છે. વિશ્વની સૌથી ઊંડી આ ખીણની લંબાઈ ૫૦૪.૬ કિલોમીટર છે. (અમેરિકાની કોલોરાડો નદી પરની ગ્રાન્ડ કેન્યોનની લંબાઈ ૪૪૬ કિલોમીટર છે). 

૧૭મી નવેમ્બરે વહેલી સવારે ચાર વાગ્યે આ ખીણના કિનારે આવેલા ગ્યાલા પેરીના પર્વતીય વિસ્તારમાં ૬.૪ રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો હતો. એ પછીના ૩૨ કલાકમાં એ પ્રદેશે સરેરાશ ચાર રિક્ટર સ્કેલના બીજા પાંચ આફ્ટરશૉક્સ પણ ઝીલ્યા. આ ભૂકંપના કારણે થયેલા ભૂસ્ખલનને કારણે તિબેટમાં વહેતી સાંગપો નદીમાં હજારો ટન માટી-પથ્થરોનો કચરો ઠલવાયો અને બ્રહ્મપુત્રનું વહેણ પણ ગંદુ થઈ ગયું. ભારત સરકારે ઉપગ્રહોથી લીધેલી તસવીરોમાં પણ સાબિતી મળી કે, ભૂકંપના આંચકાની સાંકળ રચાવાના કારણે આશરે ૧૦૦ સ્ક્વેર કિલોમીટરના વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતું.

યારલૂંગ સાંગપો ગ્રાન્ડ કેન્યોનમાંથી ધસમસતી આગળ વધીને ઝીગઝેગ પર્વતમાળામાં એક જગ્યાએ 'યુ' ટર્ન લઈને પશ્ચિમ (ભારત) તરફ આગળ વધે છે. હિમાલયના અનેક દુર્લભ વિસ્તારોને ભેદીને સાંગપો ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે. ત્યાં સાંગપોને નવું નામ મળે છે, સિઆંગ. સિઆંગ આસામ ખીણ તરફ વહીને દિહાંગ અને લોહતી નદીને મળે છે. એ પછી સિઆંગને પણ નવી સંસ્કૃિત પ્રમાણે નવું નામ મળે છે, બ્રહ્મપુત્ર. આ નદી અરુણાચલ પ્રદેશ અને આસામની જીવાદોરી છે અને એટલે જ તેનું વહેણ કાળું પડી જતાં ભારત સરકાર હરકતમાં આવી ગઈ હતી.

દેશની એકમાત્ર પુરુષ નામ ધરાવતી નદી

બ્રહ્મપુત્ર એટલે બ્રહ્મનો પુત્ર. બ્રહ્મપુત્ર દેશની એકમાત્ર પુરુષ નામ ધરાવતી નદી હોવાનું રહસ્ય એક પૌરાણિક વાર્તામાં મળે છે. બ્રહ્મપુત્ર નદીના જન્મની આ રસપ્રદ વાર્તામાં કહેવાયું છે કે, પ્રાચીન સમયમાં શાંતનુ નામના એક ઋષિ થઈ ગયા. શાંતનુ હિમાલયમાં આવેલા બ્રહ્મકુંડ નામના સરોવર નજીક આશ્રમ બાંધીને રહેતા હતા. શાંતનુ પરીણિત હતા અને તેમની પત્ની અમોઘા અત્યંત સૌંદર્યવાન સ્ત્રી હતી. એકવાર શાંતનુના તપથી ખુશ થઈને ખુદ બ્રહ્મા તેમના આશ્રમે આવે છે. અમોઘા બ્રહ્માની આગતાસ્વાગતા કરે છે અને તેમની સંપૂર્ણ કાળજી લે છે. આ દરમિયાન બ્રહ્મા અમોઘા પર મોહી પડે છે અને તેઓ કામુક થતાં સ્ખલિત થઈ જાય છે. ત્યાર પછી બ્રહ્મા તો જતા રહે છે, પરંતુ શાંતનુ જમીન પર વીર્યનું ટીપું જુએ છે અને આખી વાત સમજી જાય છે. જો કે, તેઓ ગુસ્સે થવાના બદલે બ્રહ્માના વીર્યનું અમોઘાના ગર્ભમાં આરોપણ કરે છે. એ પછી અમોઘાની કુખે જે પુત્ર જન્મે છે, એ બ્રહ્મપુત્ર કહેવાય છે.

૫૦૪.૬ કિલોમીટર લાંબી યારલૂંગ સાંગપો ગ્રાન્ડ કેન્યોન (ખીણ)

હિંદુ પૌરાણિક સાહિત્યમાં બ્રહ્મપુત્ર નદી સાથે સંકળાયેલી અનેક વાર્તાઓ મળે છે, ક્યાંક વિરોધાભાસી  ઉલ્લેખો પણ છે, પરંતુ બ્રહ્મપુત્રના જન્મની આ સૌથી પ્રચલિત વાર્તા છે. એવું પણ કહેવાય છે કે, ભારતીય ઉપખંડની સૌથી મોટી નદી બ્રહ્મપુત્ર છે અને એટલે સદીઓ પહેલાં તેને પુરુષ નામ અપાયું હતું. આ નદી પણ ગંગા જેટલી જ પવિત્ર મનાય છે અને તેમાં સ્નાન કરવાથી મોટામાં મોટું પાપ પણ ધોવાઈ જાય છે. પરશુરામે બ્રહ્મપુત્રમાં સ્નાન કરીને જ માતાની હત્યાનું પ્રાયશ્ચિત કર્યું હતું.

બ્રહ્મપુત્રમાં સ્નાન કરી પરશુરામનું પ્રાયશ્ચિત

ભગવાન વિષ્ણુના અવતાર એવા પરશુરામના પિતા ઋષિ જમદગ્નિએ એકવાર હવનનું આયોજન કર્યું હતું. આ હવન માટે પવિત્ર જળ લેવા જમદગ્નિએ પત્ની રેણુકાને ગંગા કિનારે મોકલ્યા. જો કે, ગંગામાં અપ્સરાઓ સાથે મજાક મસ્તી કરી રહેલા ગંધર્વરાજ ચિત્રરથને જોઈને રેણુકા પણ આસક્ત થઈ ગયાં. એ પછી રેણુકા પણ થોડી વાર ત્યાં જ રોકાઈ ગયાં. બીજી બાજુ, જમદગ્નિનો હવન કાળ વીતી ગયો અને તેઓ ખૂબ જ ગુસ્સે થયા.

જમદગ્નિએ આર્ય મર્યાદા વિરોધી આચરણ અને માનસિક વ્યભિચારના આરોપસર રેણુકાને સજા કરવાનું નક્કી કર્યું. જમદગ્નિના પાંચ પુત્ર હતા. તેમણે આ પાંચેય પુત્રને માતાનો વધ કરવાનો હુકમ કર્યો, પરંતુ પરશુરામ સિવાય એકેય પુત્ર આ મહાપાપ કરવા તૈયાર ના થયો. પરશુરામે પિતાની આજ્ઞાને પગલે માતાનો શિરચ્છેદ કરી દીધો અને માતાને બચાવવા વચ્ચે પડેલા ચાર ભાઈની પણ હત્યા કરી. આ આજ્ઞાપાલનથી પ્રસન્ન થઈ જમદગ્નિએ પરશુરામને વરદાન માંગવા કહ્યું. પરશુરામે પિતા જમદગ્નિ પાસે બધાને જીવતા કરી દેવાનું અને પોતાના દ્વારા કરાયેલી હત્યાની સ્મૃિત પણ ભૂંસાઈ જાય એવું વરદાન માંગ્યું.

સાંગપો ઉર્ફે બ્રહ્મપુત્રનો નકશો

જમદગ્નિએ કહ્યું, તથાસ્તુ. જો કે, એ પછી પરશુરામ ઘરેથી નીકળી ગયા અને માતાની હત્યાના મહાપાપનું પ્રાયશ્ચિત બ્રહ્મપુત્રમાં સ્નાન કરીને કર્યું. બ્રહ્મપુત્ર એ બ્રહ્માનો પુત્ર છે અને એટલે તેમાં સ્નાન કરવાથી ઘોર પાપ પણ ધોવાઈ જાય છે. આ તો પુરાણોની વાત થઈ, હવે વાત કરીએ એ સાહસિકોની જે પગપાળા અને ઘોડા પર બેસીને બ્રહ્મપુત્રના મૂળ નજીક પહોંચ્યા હતા.

અજાણતા જ પહોંચી ગયા બ્રહ્મપુત્રના મૂળ નજીક

વાત છે, ૧૬મી સદીમાં થઈ ગયેલા ઈટાલીના પાદરી ઇપોલિતો દેસીદેરીની. તેઓ તિબેટમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાના હેતુથી સપ્ટેમ્બર, ૧૭૧૩માં ઈટાલીથી જળમાર્ગે ગોવા આવ્યા હતા. ગોવામાં થોડો સમય રોકાઈને દેસીદેરી વાયા સુરત, અમદાવાદ, રાજસ્થાન, દિલ્હી, કાશ્મીર, લદાખ થઈને તિબેટ જવા નીકળ્યા. આ પ્રવાસમાં દેસીદેરીએ અનેક સ્થળે ખ્રિસ્તી ધર્મનો ઉપદેશ આપ્યો, પરંતુ ઉંમર અને વાતાવરણના કારણે આંતરડાના રોગોનો ભોગ બન્યા. આ કારણસર દેસીદેરી છ મહિના મોડા કાશ્મીર પહોંચ્યા, પરંતુ ત્યાંના ખુશનુમા વાતાવરણમાં થોડા દિવસ આરામ કરી દેસીદેરી ફરી એકવાર બિસ્ત્રોપોટલા લઈને લેહ જવા નીકળ્યા. દેસીદેરીનો નાનકડો કાફલો ૨૫મી જૂન, ૧૭૧૫ના રોજ લેહ પહોંચ્યો હોવાની ઐતિહાસિક સાબિતી છે.

ઈપોલિતો દેસીદેરીના બે દુર્લભ પુસ્તક ‘એન એકાઉન્ટ ઓફ તિબેટ’ અને  ‘મિશન ટુ તિબેટ’ના કવરપેજ

‘એન એકાઉન્ટ ઓફ તિબેટ’માં ૩૨૯માં પાને દેસીદેરીએ ગુજરાતનો સ્પેિલંગ કંઈક આવો (સ્ક્રીન શોટ જુઓ ) કર્યો હતો. એ પછીની આવૃત્તિઓમાં કૌંસમાં સાચો સ્પેિલંગ લખાયેલો છે

યુરોપથી આવેલા ખ્રિસ્તી ધર્મગુરુનું લદાખના રાજાએ સ્વાગત કર્યું, પરંતુ તેમણે દેસીદેરીના ઉપરી તરીકે પોર્ટુગીઝ પાદરી મેન્યુઅલ ફ્રેયરેની નિમણૂક કરી. દેસીદેરીએ ફ્રેયરેની આજ્ઞાનું પાલન કરવું ફરજિયાત હતું. લેહમાં સંપૂર્ણ તૈયારી સાથે ઇપોલિતો દેસીદેરી અને મેન્યુઅલ ફ્રેયરેએ હિમાલયની હાડ ઓગાળી દેતી ઠંડીમાં એક નાનકડા કાફલા સાથે તિબેટ પ્રવાસ શરૂ કર્યો. આ બંને પાદરી સાત મહિનાના અતિ જોખમી પ્રવાસ પછી તિબેટ પહોંચ્યા. આ દરમિયાન તેઓ માન સરોવરની દક્ષિણ પૂર્વે આવેલા માયૂમ લા નામના માઉન્ટેઇન પાસ નજીક પણ રોકાયા હતા. માયૂમ લા પાસના કારણે જ આંગસી ગ્લેિશયરમાંથી નીકળતું વહેણ બે જુદી જુદી દિશામાં ફંટાય છે, જે આગળ જઈને બ્રહ્મપુત્ર અને સિંધુ જેવી બે મહાકાય નદીનું સર્જન કરે છે. જો કે, દેસીદેરી કે ફ્રેયરે જાણતા ન હતા કે, તેઓ સાંગપો કે બ્રહ્મપુત્રના મૂળ નજીક પહોંચી ગયા છે.

દેસીદેરીએ 'એન એકાઉન્ટ ઓફ તિબેટ', 'મિશન ટુ ધ તિબેટ: ધ એક્સ્ટ્રાઓર્ડિનરી એઈટીન્થ સેન્ચુરી એકાઉન્ટ' અને 'એ મિશનરી ઈન તિબેટ' જેવાં અનેક પુસ્તકોમાં કરેલી નોંધોની ખરાઈ પછી સાબિત થઈ ગયું છે કે, દેસીદેરીએ જુદી જુદી દિશાઓમાંથી વહેતી નદીઓ અને સરોવરોનું વર્ણન કર્યું છે તે  સાંગપો જ હતી. 

***

દેસીદેરી પહેલાં કોઈ યુરોપિયન તિબેટમાં આટલા અંતરિયાળ વિસ્તારમાં પહોંચ્યો ન હતો. દેસીદેરી બ્રહ્મપુત્રના મૂળ નજીક પહોંચ્યા ખરા, પરંતુ તેમનો હેતુ તિબેટમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાનો હતો, બ્રહ્મપુત્રનો નકશો તૈયાર કરવાનો નહીં. આ ઘટનાની દોઢ સદી પછી કેટલાક સાહસિકોએ બ્રહ્મપુત્રનું મૂળ શોધી સમગ્ર નદીનો નકશો તૈયાર કરવા તેના કિનારે કિનારે પગપાળા પ્રવાસ શરૂ કર્યો.

શું તેઓ સફળ થયા? એ રસપ્રદ સાહસકથા વાંચો આવતા અંકે.

——

સૌજન્યઃ “ગુજરાત સમાચાર”, ‘શતદલ’ પૂર્તિ, ‘ફ્રેન્કલી સ્પીકિંગ’

http://vishnubharatiya.blogspot.co.uk

Loading

...102030...3,2353,2363,2373,238...3,2503,2603,270...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved