Opinion Magazine
Number of visits: 9766538
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નીરુભાઈ દેસાઈ સન્માન સ્વીકારતાં

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|5 April 2018

ગુજરાતના એક સમયના શીર્ષ પત્રકાર નીરુ દેસાઈની સ્મૃિતમાં રચાયેલા ફાઉન્ડેશને હાથ ધરેલા વિવિધ ઉપક્રમો પૈકી એક ચાલુ વરસથી શરૂ થયેલ પત્રકારત્વ સન્માનનો છે. નીરુભાઈ એક સ્વાતંત્ર્યસૈનિક હતા અને કૉંગ્રેસ સમાજવાદી આંદોલનમાં જયન્તિ દલાલ તેમ જ ભોગીભાઈ ગાંધીની જેમ જ અગ્રહરોળમાં યુવા નેતૃત્વ સાહનારાઓમાં લેખાતા. પ્રાંતિક સમિતિના મંત્રી હોવું કે વ્યવસાયી પત્રકાર, આ બે વિકલ્પો વચ્ચે સ્વરાજના ઉગમકાળે એમણે પત્રકારત્વ પર પસંદગી ઢોળી હતી. પછીથી, એલચી ખાતાની ને સંસદીય કામગીરીની તકો આવી મળી ત્યારે પણ એ પૂર્વપસંદગીથી ચલિત થાય નહોતા. ‘ગુજરાત સમાચાર’ સાથેના સુદીર્ઘ જોડાણ દરમ્યાન ‘લોકનાદ’ મારફતે વિકસાવેલ બપોરિયા છાપાનો ખયાલ, ‘શ્રીરંગ’ માસિક અને ‘ચિત્રલોક’ સાપ્તાહિકની પહેલકારીથી માંડીને આર્થિક સમીક્ષા અને અંગતબિઅંગત ઇતિહાસડાયરી ‘વાસરિકા’ વગેરે એમના વિશેષ પ્રદાનરૂપે સંભારાશે. ‘જન્મભૂમિ’ જૂથના ‘વ્યાપાર’ સામયિકનો પ્રથમ ગિલાણી ઍવૉર્ડ એમની આર્થિક પત્રકારિતા બદલ એનાયત થયો હતો એનું આ લખતાં સ્મરણ થાય છે.

ડાબે, ઇન્દિરા ગાંધી, જમણે, નીરુભાઈ દેસાઈ. વચ્ચે ગુજરાતના તત્કાલીન રાજ્યપાલ ડૉ. શ્રીમન્‌નારાયણ

રવિવાર, તા. ૨૫ માર્ચની સવારે પત્રકારત્વ સન્માનના આ ઉપક્રમ સાથે પ્રથમ સ્મૃિત વ્યાખ્યાનનું પણ આયોજન કરાયું હતું. બે’ક દાયકા પર ગુજરાતને ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ના નિવાસી તંત્રી તરીકે સુપરિચિત અને પછીનાં વર્ષોમાં ‘હિંદુ’ના દિલ્હી-તંત્રીથી માંડીને ‘ટ્રિબ્યુન’(ચંડીગઢ)ના મુખ્ય તંત્રી તેમ જ વચગાળામાં વળી વડાપ્રધાન મનમોહનસિંહના અખબારી સલાહકાર તરીકે સુપ્રતિષ્ઠ હરીશ ખરે એ ‘ડુઇંગ જર્નલિઝમ ઇન ટાઈમ ઑફ મોદી’ વિષય પર આપેલું વ્યાખ્યાન ‘નિરીક્ષક’ના વાચકોને હવે પછી સુલભ કરીશું.

સન્માનિત પત્રકાર ઉર્વીશ કોઠારીનો પ્રતિભાવ આ સાથે પ્રગટ કરતાં આનંદ થાય છે. ઉર્વીશભાઈની પત્રકારિતાને અંગે ચંદુ મહેરિયાની સહૃદય ને સ્વાધ્યાયપુત નોંધ હવે પછી પ્રગટ કરવાનો ખયાલ છે.

આવી બધી સામગ્રી વાચકો સમક્ષ આગ્રહપૂર્વક રજૂ કરવાનો ને રમતી મૂકવા પાછળનો ધક્કો એ કારણે સવિશેષ અનુભવાય છે કે ચકાચોંધ કરી મેલતા ચેનલ ચોવીસાના શોરમાં પ્રિન્ટ મીડિયા પાસે અપેક્ષિત કામગીરી વિશે તેમ જ તેને અંગે સમીક્ષાત્મક દૃષ્ટિકોણ પરત્વે આપણે યથાસંભવ અતન્દ્ર રહીએ.

૧૯૯૫માં પત્રકારત્વ ક્ષેત્રે આવી ચડ્યા પછી ૨૦૦૧માં નક્કી કર્યું હતું કે હવે પત્રકારત્વમાં ફુલટાઇમ કામ નહીં કરું અને આજે માર્ચ ૨૦૧૮માં તમારી સામે ઊભો છું ત્યારે નક્કી કર્યું છે કે હવે મીડિયાની ઓફિસમાં જઈને કામ નહીં કરું. આ નિર્ણય તમારી સામે ઊભા રહીને, પ્રસંગના ઉત્સાહમાં લીધો નથી. એ સંપૂર્ણપણે બિનકેફી અવસ્થામાં, અગાઉ ઘેરથી નક્કી કરીને, ફેસબુક પર લખ્યા પછી તમારી આગળ જાહેર કરું છું. હવે લખીશ ખરો, વધારે લખીશ, પણ મીડિયાની ઓફિસમાં ગયા વિના.

મારું પત્રકારત્વ, જેના માટે મને આ સન્માન મળે છે, તે શાનાથી દોરવાયું છે અને તેમાંથી હું શું શીખ્યો તેની થોડી વાત કરવી છે. ૨૩ વર્ષની મારી કારકિર્દીમાં પત્રકાર તરીકે સૌથી વધુ સંતોષ એ વાતનો રહ્યો કે જ્યારે જે કહેવા જેવું હતું, તે મેં કહ્યું છે. અંગ્રેજીમાં જેને ‘સ્ટેન્ડ અપ એન્ડ બી કાઉન્ટેડ’ કહે છે, તે કરી શક્યો તેનો સંતોષ છે. મારા પત્રકારત્વ માટે મારા મનમાં એવો કોઈ ખ્યાલ નથી કે મેં સમાજસેવા કરી છે. એ મારા માટે વ્યવસાય હતો. મારું ઘર એનાથી ચાલ્યું છે. પણ ‘એન્ટી-એસ્ટાબ્લિશમેન્ટ’ એ મારી મૂળ વૃત્તિ. અવિનાશ પારેખ અને કેતન સંઘવીના ‘અભિયાન’માં તે સંસ્થાગત રીતે દૃઢ થઈ. ગુજરાતના રાજકારણના અને સાંસ્કૃિતક જીવનમાં, દાઢીવાળાં ને દાઢી વગરનાં સ્થાપિત હિતોની દાઢીમાં હાથ નાખ્યા વિના ૨૩ વર્ષ સુધી મારું ચાલી ગયું છે.

સંસ્થા હોય એટલે એની મર્યાદા હોવાની – ભલે તે ગાંધીજીનો આશ્રમ કેમ ન હોય. તો મીડિયાની ઓફિસો તેમાંથી બાકાત શી રીતે રહે? પણ એક વાત હું બહુ પહેલાં સમજ્યો હતો કે સંસ્થાની મર્યાદા કદી મારી મર્યાદા બનવી ન જોઈએ અને સંસ્થાની મહત્તાને મેં કદી મારી મહત્તા તરીકે ઓઢી નથી. હું જે છું, તે આ જ છું.

ટ્રેઇન સિવાય બીજા કશાની પાછળ દોડ્યો નથી – મહેમદાવાદથી અમદાવાદ અપડાઉન કરવાનું હોય એટલે ટ્રેન તો પકડવી પડે – પણ એ સિવાય રૂપિયા, હોદ્દો … એ કશાની પાછળ દોડ્યો નથી. એવું નથી કે હું સંતમહાત્મા છું. હું એકદમ નૉર્મલ માણસ છું. પણ મને એનું ખેંચાણ નથી … કે આપણી એક કૅબિન હોય ને આપણા હાથ નીચે આટલા માણસ કામ કરતા હોય. મને એ બધું છોકરાં ઘરઘર રમતાં હોય એવું લાગે છે. એ મારો વિષય છે. બધાને એવું લાગે તે જરૂરી નથી. હું જે છું અને જે નથી તેના વિશે જરા ય ભ્રમમાં નથી. મને જે મળ્યું છે તે સહજ ક્રમમાં મળ્યું છે અને એનો સૌથી મોટો આનંદ છે.

બે વસ્તુઓ મને બહુ કામ લાગી છે : સંતોષ અને સ્પષ્ટતા. એ મારામાં છે એ મને ખબર છે. બીજો બહુ મોટો સંતોષ : મેં જે ન ઇચ્છ્યું, એ મારે કદી લખવું પડ્યું નથી. અને આ સંતોષની ક્રેડિટ હું મારા તંત્રીઓને પણ આપવા માગું છું. ‘ગુજરાત સમાચાર’માં આઠ વર્ષ શ્રેયાંસભાઈ સાથે કામ કર્યું, પછી ‘દિવ્ય ભાસ્કર’ના મિત્રો સાથે કામ કર્યું. તેમણે કદી આવું કહ્યું નથી. પહેલાં ક્યારેક કોઈ લખાણ ન છપાય એવું બને. કોઈ પત્રકારે એવો ફાંકો રાખવાની જરૂર નથી કે આપણે લખીએ તે બધું જ છપાય. પણ એનું એક પ્રમાણ હોય છે. એ તમારે નક્કી કરવું પડે. સોમાંથી નેવુ-પંચાણું લખાણ છપાય તો બરાબર કહેવાય. સો ટકા લખાણ તો આપણું પોતાનું છાપું હોય તો પણ કદાચ ન છપાય. ટૂંકમાં, મને કોઈએ દબાણ કર્યું નથી. કદાચ મારા મોઢા પર લખેલું હશે કે દબાણ ન કરવું.

મારી સમજ માટે મને બીજું કોઈ વિશેષણ મળતું નથી. એટલે હું માનું છું કે મારી સમજ મહેમદાવાદી છે. એ કોઈ વાદમાં બેસતી નથી. હું એકેય વાદી નથી. હું મહેમદાવાદી છું. ડાબેરી-જમણેરી એવું બધું મને ન આવડે. હું એવો પંડિત નથી ને થવા પણ નથી માગતો. દુનિયામાં અડધો દાટ પંડિતોએ વાળ્યો છે. મારી એવી સાદી સમજ છે કે હું મહેમદાવાદમાં રહું અને ત્યાં દાયકાઓથી અમે એકબીજા સાથે શાંતિથી રહીએ. હિંદુમુસલમાન ને બીજા બધા. બધાના બે-ત્રણ પેઢીના સંબંધ. અહીં જ્ઞાતિના ભેદભાવની વાત નથી કરતો. એ તો આપણું રાષ્ટ્રીય દૂષણ છે. પણ સામાન્ય હિંદુમુસલમાનની વાત કરું તો, અમે શાંતિથી જોડે રહેવા માટે ટેવાયેલા. અમારી વચ્ચે પેઢીઓનો સંબંધ. એટલે મારી જે કંઈ અન્ડરસ્ટેિન્ડગ અને મારું જે કંઈ સ્ટેિન્ડગ છે એ મહેમદાવાદની જમીન પર ઊભા રહીને જોતા માણસનું છે. મહેમદાવાદ અથવા એવાં નાનાં ગામની જે વૈચારિક સંકુચિતતા હોય, એ બહુ બધા મિત્રોને કારણે નીકળી શકી છે-હજુ કાઢી રહ્યો છું. અને મૂળિયાં સતત મજબૂત થયાં છે.

મને કોઈ રાજકીય વિશ્લેષક કહે ત્યારે હસવું આવે છે … હું એ ઓળખાણને કદી અપનાવી શક્યો નથી. કારણ કે મને કદી એવું લાગ્યું જ નથી કે હું રાજકારણનો માણસ છું.  હું એક દુઃખી નાગરિક છું અને મને લાગે છે કે એટલું પૂરતું છે. મને તો મારા લમણે કોણ લખાયું છે એમાં રસ છે. અને એ કેમ લખાયા છે એમાં રસ છે અને એ કેવી રીતે બદલવા જોઈએ અને એમાં હું શું કરી શકું ને તમે શું કરી શકો, એમાં રસ છે. મને ઉમાશંકર જોષીનો પ્રયોગ બહુ ગમે છેઃ પબ્લિક અફેર્સ. મને એ અભિવ્યક્તિ નહોતી મળતી, તે એમનામાંથી મળી. મને જે અડે છે તે પબ્લિક અફેર્સ છે. મને બહુ સ્પષ્ટ સમજાય છે કે આવું થાય અને આવું ન થાય. પછી આપણા જેટલા કે આપણાથી વધુ સજ્જ લોકો સાથે ઊઠીએબેસીએ ત્યારે આપણામાં અનેક સ્પષ્ટતાઓ થતી હોય છે અને મૂલ્યો દૃઢ થતાં હોય છે.

કોઈ પણ પત્રકારત્વના એવોર્ડમાં પરિવારનો હિસ્સો મોટો હોય છે. એ કરવા દે, ત્યારે જ સારું પત્રકારત્વ થઈ શકતું હોય છે. મારાં મમ્મી સ્મિતા કોઠારી, પત્ની સોનલ કોઠારીને એનો જશ જાય છે. મારે પૈસા પાછળ નહીં દોડવું એ મારી પ્રકૃતિ છે – એમની હોવી જરૂરી નથી. એ મને ધંધે લગાડે કે તું ગાડી લાવ, પછી મોટી ગાડી લાવ, પછી બીજી ગાડી લાવ, પછી બીજી મોટી લાવ … તો હું જિંદગીમાં કદી ઊંચો જ ન આવું. પણ મારો સંતોષ છે એ ફક્ત મારો નથી, અમારો બધાનો સહિયારો છે.

બીજું નામ છે : મારો ભાઈ બીરેન કોઠારી. મારું બધું જ છે – લખવાનું, વાંચવાનું, બહુ જ વ્યાપક અર્થમાં કહીએ તો સંસ્કાર – એ બધું જ એનું છે.  મારા ઘણા ગુરુજનો  છે. ઘણાને મારા ગુરુજનોની રેન્જ જોઈને નવાઈ લાગે છે. પણ એ તો દરેકની ક્ષમતાનો વિષય છે. એ બધા ગુરુઓ પાસેથી ઘણું પામ્યો છું. તેમનાં નામ આપું તો, રજનીકુમાર પંડ્યા. તેમની પાસેથી હું સાહિત્ય અને જીવનના ઘણા પાઠ શીખ્યો છું. વિનોદ ભટ્ટ, અિશ્વની ભટ્ટ, નગેન્દ્ર વિજય. પત્રકારત્વમાં આવ્યો ત્યારે મને બે જ વસ્તુ લખતાં આવડતી હતી : જૂના ફિલ્મસંગીત વિશે અને પ્રોફાઇલ (શબ્દચિત્રો). એમાંથી મને પત્રકારત્વના કેટકેટલા વિષયો કેવી રીતે લખાય તેનું પ્રત્યક્ષ જ્ઞાન નગેન્દ્રભાઈ પાસેથી મળ્યું. હર્ષલ પુષ્કર્ણા અને તેની પત્ની ફાલ્ગુની — હર્ષલ પાસેથી હું શીખ્યો છું, એ બંને મિત્રો છે અને મિત્રોથી પણ ઘણાં વધારે છે. તારક મહેતા અને રતિલાલ બોરીસાગર પણ ગુરુજનો છે.

પબ્લિક અફેર્સવાળી વાત ૨૦૦૨માં શરૂ થઈ, તે પહેલાં હું માર્ટિનભાઈ મેકવાનના પરિચયમાં આવ્યો અને ‘નવસર્જન’ સાથે પત્રકાર તરીકે સંકળાયો. પછી ચંદુભાઈનો અને પ્રકાશભાઈનો પરિચય થયો. આ ત્રણ જણે જાહેર જીવનને લગતા મારા વિચારોના ઘડતરમાં મોટો ફાળો આપ્યો છે. આ બાબતમાં મારા વિચારોનાં ધરી, ધડો અને ધાર ઘણે અંશે આ ત્રણેને આભારી છે.

મિત્રો મેળવવાની બાબતમાં હું બહુ સમૃદ્ધ છું. મને મારા દુઃખે દુઃખી અને મારા સુખે સુખી થાય એવા  અઢળક સારા મિત્રો મળ્યા છે. છેલ્લાં પચીસેક વર્ષથી દર વર્ષે ઓછામાં ઓછો એક સારો, આજીવન ટકી શકે એવો, મિત્ર મળે છે અને એ સિલસિલો હજુ ચાલુ છે. એ બધા પ્રિય મિત્રો છે. તેમનાં બધાનાં નામ લેવાનો સમય નથી. પણ પત્રકારત્વ સંદર્ભે બે મિત્રોને ખાસ યાદ કરું છું. એક છે : પ્રશાંત દયાળ. આ સન્માન પચાસ વર્ષથી નીચેના પત્રકારને આપવાનો નિયમ ન હોત, તો મેં પહેલા વર્ષના સન્માન માટે મારે બદલે પ્રશાંતનું નામ સૂચવ્યું હોત. જે નિર્ભિકતાથી, જીવનું જોખમ ખેડીને છતાં શહીદીના વાઘા પહેર્યા વિના તે પત્રકારત્વ કરી રહ્યો છે, તેની કોઈ જોડ નથી. અમારો બાવીસ-ત્રેવીસ વર્ષનો સાથ છે. એવી બીજી મિત્ર છે પૂર્વી ગજ્જર. બિનીત મોદી પત્રકારત્વથી પણ પહેલાંનો મિત્ર છે. જીવનના તમામ વળાંકે તેની હાજરી અને હૂંફ રહ્યાં છે.

હું ઘણુંબધું સારું કરી શક્યો તે મારામાં રહેલી ખીજને કારણે. મારાં ઘણાં કામની શરૂઆત ખીજમાંથી થાય છે. કોઈ બાબત જોઉં એટલે મને થાય કે આવું કેવી રીતે ચાલે? પહેલાં ફક્ત ખીજ ચઢતી હતી. પછી આવું ન ચાલે તો શું ચાલે, તેના વિકલ્પની દિશામાં જવાનું થયું. પત્રકારત્વનું શિક્ષણ કેવી રીતે અપાવું જોઈએ, એવો એક ખ્યાલ હતો. નડિયાદની મહિલા આટ્‌ર્સ કૉલેજના આચાર્ય અને પરમ મિત્ર હસિત મહેતા સાથે એ વિશે અનેક વાર વાત થઈ હશે. છેવટે એ ખ્યાલ સાકાર કરવાની તક મળી અને બે વર્ષ પહેલાં નડિયાદમાં હસિત મહેતા, કેતન રૂપેરા, પારસ જ્હા અને પારુલ પટેલ સાથે પત્રકારત્વનો ગ્રેજ્યુએશન કોર્સ શરૂ થઈ શક્યો છે. એવી જ રીતે, આપણાં ગમતાં પ્રકાશન થઈ શકે એવી એક પ્રકાશનસંસ્થા હોવી જોઈએ, એવું ઘણા સમયથી લાગતું હતું. તેમાંથી દીપક સોલિયા, ધૈવત ત્રિવેદી અને કાર્તિક શાહ જેવા મિત્રોની સાથે ‘સાર્થક પ્રકાશન’ અસ્તિત્વમાં આવ્યું. આ એપ્રિલમાં સાર્થકને પાંચ વર્ષ પૂરાં થશે. કાર્તિકભાઈના પ્રતાપે, કારણે સાર્થક પ્રકાશન સારી રીતે ટકી શક્યું છે. તેનું છ માસિક સામયિક સાર્થક જલસો અમારું ગમતું મૅગેઝીન કેવું હોય, તેના અમારા ખ્યાલનું સાકાર સ્વરૂપ છે.

૨૦૦૨ પછી મારે જે કંઈ લખવાનું થયું, તે મને હેલિકોપ્ટરમાંથી બીજ વેરવા જેવું લાગ્યું હતું : આપણે બીજ વેરીને આગળ વધી જવાનું. ક્યાં શું ઊગ્યું તેની આપણને ખબર ન પડે.  એક વાર અમેરિકાથી એક ભાઈનો ફોન આવ્યો. નામ : કેતન પટેલ. ચરોતરના. વ્યવસાયે ડેન્ટિસ્ટ. થોડી દોસ્તી થયા પછી તેમણે કહ્યું કે ૨૦૦૨ પછી હું પણ અમુક રીતે વિચારતો થઈ ગયો હતો, પણ તમારા લેખ વાંચ્યા પછી ધીમે ધીમે મને સમજાયું કે એ રીતે વિચારવા જેવું છે. પછી મારો અભિપ્રાય બદલાયો. કેતનભાઈએ જે કહ્યું, એ કહેવામાં હિંમત જોઈએ. આવી હિંમતવાળા વધારે લોકોની જરૂર છે.

પત્રકારત્વમાં આવ્યો ત્યારે મારા ઘણા મિત્રો ૭૦ વર્ષની સરેરાશ વયના હતા. પાંચ વર્ષ પહેલાં પત્રકારત્વની માસ્ટર્સ ડિગ્રી માટે ભણવા ગયો, તેમાં મારાથી વીસબાવીસ વર્ષ નાનાં મિત્રો મળ્યાં. શૈલી ભટ્ટ, નિશા પરીખ, આરતી નાયર જેવાં મારાથી એક પેઢી નાનાં મિત્રોને કહી રાખ્યું છે કે અત્યારે તો મારું ઠેકાણે છે પણ જ્યારે તમને લાગે કે ઠેકાણે નથી રહ્યું, ત્યારે મહેરબાની કરીને કહી દેજો. લખવાનું બંધ કરીશ અને બોલવાનું તો પહેલી તકે બંધ કરીશ. કારણ કે જાહેર જીવનમાં મોટી ઉંમરના ઘણા લોકોને જોઈએ છે, તે એક સમયે સરસ હોય છે. પણ પછી તે બોલ્યા જ કરે છે, બોલ્યા જ કરે છે, લખ્યા જ કરે છે, લખ્યા જ કરે છે. આમન્યાને કારણે કોઈ એમને કહેતું નથી, પણ એ જાય ત્યારે પોતાની આબરૂનો મોટો હિસ્સો પોતાના જ હાથે ભૂંસીને જાય છે. એમની આબરૂ તો બહુ હશે, એટલે એમને પોસાતું હશે. મારી એટલી બધી નથી. એટલે મને એ ન પોસાય.

હવે છાપાંની ઓફિસમાં જવાનું નથી. પણ લખવાનું ચાલુ જ રહેશે. ફ્રીલાન્સ લેખન ઉપરાંત લખવાનાં ઘણાં કામ રાહ જુએ છે. ગાંધીજી વિશેનાં એક-બે લાંબાં કામ, જ્યોતીન્દ્ર દવેના જીવન અને અગ્રંથસ્થ સાહિત્ય વિશે દોઢેક દાયકાથી ચાલતું કામ અને એ બધાથી પહેલાં, આવતા મહિને પીએચ.ડી.નો મહાનિબંધ જમા કરાવી દેવાનો છે.  કામ કરવામાં હું બહુ ઉત્સાહી અને ઝડપી છું. ઘરનો મોરચો મજબૂત હોય – આર્થિક નહીં, માનસિક રીતે – તો દુનિયા જોડે પહોંચી વળાય છે. એટલે એની ચિંતા નથી.

નીરુભાઈ દેસાઈના નામ સાથે સંકળાયેલા આ સન્માનની શરૂઆત માટે મારી પર વિશ્વાસ મુકવા બદલ અને મારી પસંદગી કરવા બદલ આભાર.

(સન્માન સ્વીકાર વક્તવ્યનો સંપાદિત પાઠ)

Email : uakothari@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅ પ્રિલ 2018; પૃ. 08, 09 અને 15 

Loading

હાસ્ય-વ્યંગની પ્રથમ દલિત લઘુનવલ : ભદ્રંભદ્ર – અનામત આંદોલનમાં

સાહિલ પરમાર|Opinion - Opinion|5 April 2018

‘દલિત ચેતના’ના એક અંકમાં મેં મારી વાત મૂકતાં કહ્યું હતું કે હવે દલિતસાહિત્ય જુદા-જુદા રસમાં લખાતું થશે, જેના માથે શંકર પેન્ટરે ભયંકર માછલાં ધોયાં હતાં, પરંતુ મેં પોતે નીઓ-રોમૅન્ટિક કવિતાઓ લખી હતી અને એની પુષ્ટિ કરી હતી, આદરણીય મિત્ર ઉર્વીશભાઈએ દલિતસાહિત્યમાં હાસ્યરસનું ખેડાણ કરીને એની પરિપુષ્ટિ કરી છે. દલિતસાહિત્યમાં ખૂટતા હાસ્યરસનો તેમણે પ્રાદુર્ભાવ કર્યો છે અને દલિતસાહિત્યમાં હાસ્યરસ પણ વહાવી શકાય એનું પરિપક્વ પ્રતિપાદન કર્યું છે.

‘ભદ્રંભદ્ર – અનામત આંદોલનમાં’ (સાર્થક પ્રકાશન) લઘુનવલમાં શ્રી ભદ્રંભદ્ર પ્રાગટ્યમહિમા ગાતાં ઉર્વીશભાઈ લખે છે : ‘આઠેક વર્ષ સુધી ‘ગુજરાત સમાચાર’માં લખ્યા પછી ૨૦૧૫ના મધ્યમાં ‘દિવ્ય ભાસ્કર’માં જોડાયો. ત્યાં બીજી બે કૉલમ ઉપરાંત હાસ્યની સાપ્તાહિક કૉલમ ‘બોલ્યુંચાલ્યું માફ’ ચાલુ રાખી, ત્યારે પણ એવો ખ્યાલ ન હતો કે મારા લેખનજીવનમાં ભદ્રંભદ્ર જેવા મહાનુભાવના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે.

‘દિવ્ય ભાસ્કર’માં થોડો વખત થયો ને પાટીદાર અનામત આંદોલન શરૂ થયું. એ વિશે (મંગળવારની ઍડિટ પેજની કૉલમમાં) ગંભીર લેખો તો લખ્યા, પરંતુ આંદોલન લોકોના, સરકારના અને કદાચ આંદોલનકારીઓના પણ-ધાર્યા કરતાં લાંબું ચાલ્યું. એ દિવસોમાં એક વખત, સાંજની ટ્રેન ચૂકી જવાને કારણે, બસમાં મણિનગરથી ઘરે (મહેમદાવદ) જતો હતો. હાસ્યલેખ લખવાનો દિવસ હતો એટલે ટચૂકડું લેપટૉપ કાઢ્યું. ખ્યાલ એવો હતો કે અનામત વિશે ગંભીર લેખો લખ્યા પછી એકાદ હાસ્યલેખ પણ ‘બનતા હૈ’ રાબેતા મુજબ લખવાનું શરુ કર્યું. એકાદ ફકરો લખાઈ પણ ગયો. અચાનક, બસમાં ઝાંખાપાંખા અજવાળાની છાયાપ્રકાશલીલામાં ક્યાંકથી ભદ્રંભદ્ર યાદ આવ્યા અને થયું, ‘અનામતમાં ભદ્રંભદ્રને લવાય?’

ભદ્રંભદ્રના આ પ્રથમ પ્રાગટ્ય પછી તો ભદ્રંભદ્ર અને તેમના સાથીદાર અંબારામ લેખકના ચિત્તનો કબજો જમાવી બેઠા. થોડા વખત પહેલાં પોતાના પ્રિય હાસ્યલેખક રતિલાલ બોરીસાગરની ‘ભદ્રંભદ્ર અમર છે’ લેખકે વાંચી હતી. રાબેતા મુજબ વિગતો એમને યાદ ન રહી હોય, પણ શક્ય છે કે તેના કારણે ભદ્રંભદ્રનું નામ મનમાં એકદમ ઊપસી આવ્યું હોય. એટલે માત્ર એક જ લેખ કરવાના આશયથી લેખકે કલમ ઉપાડી ને એ વખતે બીજો ચમકારો થયો : ‘(દલિતોની) અનામતના વિરોધીઓની દલીલો, તેમાં રહેલી આત્યંતિકતા-વિચારજડતા, કહેવાતી ઊંચી જ્ઞાતિનું ગૌરવ, જ્ઞાતિદ્વેષ – આ બધાં તો આબાદ ભદ્રંભદ્રનાં હોઈ શકે તેવાં લક્ષણ છે. ભદ્રંભદ્ર અત્યારે જો હોય, તો એ અનામતના વિરોધી જ હોય. એ વિચારથી અસલી ભદ્રંભદ્રની તર્કસૃષ્ટિ સાથે પોતાના ભદ્રંભદ્રના ‘યુગકાર્ય’નું સંધાન મનમાં બરાબર બેસી ગયું. પાત્રનું લૉજિક આબાદ ગોઠવાઈ જવાની ખાતરી થતાં પહેલો લેખ તેમણે લખ્યો અને ખ્યાલ આવ્યો કે હજુ તો ભદ્રંભદ્ર-અંબારામ માંડ આવ્યા છે, એટલે પ્રથમ લેખને અંતે ‘ક્રમશઃ’ લખવું પડ્યું. બીજા હપ્તા પછી લેખકને લાગ્યું કે આ જણસો ઝડપથી વિદાય થાય તેમ નથી. છતાં, ચાર-પાંચ હપ્તામાં તેમને રવાના કરી દેવાશે, પરંતુ બે-ત્રણ હપ્તા થયા પછી સુખદ આશ્ચર્યના આંચકા જેવા પ્રતિભાવ મળવા લાગ્યા. એ વખતે એમને સમજાયું કે પાત્ર તરીકે ભદ્રંભદ્ર ગુજરાતી હાસ્યસાહિત્યમાં જ નહીં, સમગ્ર ગુજરાતી ગદ્યસાહિત્યનાં અમર પાત્રોમાં ‘અર્વાચીનમાં આદિ’ હશે : મુનશીના કાક-મંજરી કરતાં પણ જૂનું.

ચોથા-પાંચમા હપ્તા પછી લેખકે એને બિનજરૂરી લંબાણ પણ ન થઈ જાય અને એકદમ ટૂંકાણ પણ ન થઈ જાય એ રીતે સભાનતાપૂર્વક લઘુનવલકથાનો ઘાટ આપ્યો.

રમણલાલ નીલકંઠ અને રતિલાલ બોરીસાગર જેવા પોતપોતાની રીતે મહાન બે હાસ્યસાહિત્યકારોના ભદ્રંભદ્રની છાયામાં પોતાના ભદ્રંભદ્ર એકદમ ભળી ન જાય અને થોડા પણ અલાયદા ઊપસી આવે તેની પૂરતી ચીવટ લેખકે લીધી છે. લેખ બ્લૉગ પર મૂકતાં પહેલાં ભદ્રંભદ્રીય શબ્દોના સારા વિકલ્પો સૂઝી આવતાં લેખકે સાત-આઠ વાર સુધારા કર્યા છે. પુસ્તક બનાવતાં પહેલાં પણ નવેસરથી લેખમાળાનું ઍડિટિંગ કર્યું છે. લઘુનવલને નુકસાન ન થાય એ માટે તેમાં વર્તમાન ઘટનાઓ – સાચાં પાત્રોને બાકાત રાખ્યાં છે. લેખક માટે આનંદીબહેન પટેલ કે હાર્દિક પટેલ જેવી સાચુકલી વ્યક્તિઓ કરતાં વૃત્તિ મહત્ત્વની રહી છે.

અઢી-સાડા ત્રણ પાનાંનું ફલક ધરાવતાં કુલ ૨૦ પ્રકરણો આ લઘુનવલમાં છે.

આ લઘુનવલમાં ભદ્રંભદ્ર-અંબારામની એક જ દિવસની, સવારથી રાત સુધીની ઘટનાઓનું વર્ણન છે. ભદ્રંભદ્રનું પુનઃપ્રાગટ્ય થાય છે અને તેઓ પાનના ગલ્લાવાળાની ધોલ ખાઈને અનામત હટાવવાનું યુગકાર્ય આગળ ધપાવવાની યોજના બનાવી હોટલમાં જમવા જાય છે. ત્યાં તેમને ન્યૂઝચૅનલ રિપૉર્ટરનો ભેટો થઈ જાય છે. ન્યૂઝચૅનલમાં ઇન્ટરવ્યૂ આપે છે. ત્યાંથી રિપૉર્ટરના બાઇક પર સભાસ્થળે જવા પ્રયાણ કરે છે. રસ્તામાં ટ્રાફિકપોલીસ સાથે માથાકૂટ પછી બમ્પ આવતાં ભદ્રંભદ્ર-અંબારામ બાઇક પરથી ગબડી પડે છે. ભદ્રંભદ્રનું નાક ઘવાય છે, લોહી નીકળે છે. દવાખાને જઈને ડ્રેસિંગ કરાવે છે અને રિક્ષામાં સભાસ્થળે જાય છે. માંડ-માંડ મંચ પર પહોંચી સભા સંબોધી આમરણ અનશનની જાહેરાત કરે છે. એમની મુખ્યમંત્રી સાથે મુલાકાત થાય છે અને છેલ્લે પોલીસવાનમાં બેસાડી તેમને અજ્ઞાત સ્થાળે લઈ જઈ ઍન્કાઉન્ટરની ધમકી આપી ભગાડી મૂકવામાં આવે છે.

આ આખી કથામાં લેખકે તોંતેર જેટલાં સ્થળોએ વ્યંગબાણ કસીકસીને ચલાવ્યાં છે અને હાસ્યરસ તો અનેક ઠેકાણે નિષ્પન્ન કર્યો છે. જેમ કે પ્રથમ પ્રકરણમાં લેખક લખે છે : વાત શ્રીકૃષ્ણની નહીં, ‘સંભવામિ યુગે-યુગે’ની છે અને એ વચન શ્રીકૃષ્ણે ભલે ન પાળ્યું હોય, પણ ભદ્રંભદ્રે બરાબર પાળ્યું છે. પૂર્વઅવતારમાં ભદ્રંભદ્ર સુધારાવાળાઓનો નાશ કરવા મેદાને પડ્યા હતા, તો નવા અવતારમાં તે અનામતની નાબૂદી માટે પ્રગટ થયા છે. પોતાના શિષ્યશિરોમણિને એમણે કહ્યું, ‘હે અંબારામ, મારી સાથે આર્યાવર્ત – ગુર્જરદેશ પહોંચવા સજ્જ થા. વધુ એક યુગકાર્ય આપણી પ્રતીક્ષા કરી રહ્યું છે’. ભદ્રંભદ્રના અગાઉના ‘યુગકાર્યો’માં માર ખાવાનો અને કારાવાસ વેઠવાનો પણ સમાવેશ થતો હતો, એટલે અંબારામ ખાસ ઉત્સાહી ન હતા. પરંતુ જેમ સોમ પાછળ મંગળ, કમાન્ડોની પાછળ નેતાઓ ને ભ્રષ્ટાચારની પાછળ તપાસપંચો, તેમ ભદ્રંભદ્રની પાછળ અંબારામ. એમ.ઓ.યુ. શબ્દનું ભદ્રંભદ્રીય ગુજરાતી લેખકે ‘પ્રથમ લાભદાયી પત્ર’ કર્યું છે અને પાન વેચનારનું ‘તાંબૂલવિક્રેતા’.

બીજા પ્રકરણમાં અંબારામ કહે છે, ‘સાંભળ્યું છે કે જુદા-જુદા સમાજો અનામતની માગણી સાથે કૂચ કરી રહ્યા છે, મેં આપને આ સમાચાર સહેતુક જણાવ્યા છે, કારણ કે અનામતની માગણી માટેની ઘણી કૂચો ખરેખર અનામતનો વિરોધ કરી રહી છે. કૂચને અંતે ‘મોદકભોજનની સનાતન પરંપરા’ ટકી રહી છે કે કેમ તેવી ભદ્રંભદ્રની પૃચ્છાના જવાબમાં અંબારામ જણાવે છે કે એક કૂચ પછી મોદકપ્રસાદ તો નહીં, પણ મોદીપ્રસાદ છૂટથી વહેંચાયો હતો. આ વાત મેં કેવળ કર્ણોપકર્ણ સાંભળી હોઈ ‘મોદીપ્રસાદ’ શું છે એ હું જાણી શક્યો નથી.’ ભદ્રંભદ્ર કહે છે : ‘અંબારામ, મારા માટે આ ધર્મયુદ્ધ છે. તેમાં રણક્ષેત્રે પ્રાણત્યાગ માટે હું તત્પર છું. કિંતુ ક્ષુધાતુર થઈને, મોદકનું ચિંતવન કરતાં-કરતાં પ્રાણ જાય, તેમાં મારી, મોદકની કે પ્રાણની – કોઈની શોભા નથી, એટલે તને પૂછ્યું. અન્યથા મારુ સંપૂર્ણ લક્ષ ..; ‘લાડવા પર નહીં, લડવા પર કેન્દ્રિત છે.’ અંબારામે ભદ્રંભદ્રનું અધુરું વાક્ય પૂરું કર્યું. આગળ ભદ્રંભદ્ર કહે છે : ‘ભગવાન નરસિંહે જેમ ઊંબર પર બેસીને હિરણ્યકશિપુનો વધ કર્યો હતો, તેમ હું મંચ પરથી આરક્ષણનો અંત આણીશ. મને એમ કરતો અને એ માટે મંચ પર પહોંચતો અટકાવવો એ શ્રીરામના બાણને રોકવા સમું અસંભવિત કાર્ય છે." અંબારામે કામની વાત કરતાં કહ્યું, ‘એક વાતથી આપને વિદિત કરી દઉં. વર્તમાનકાળનાં આર્યજનો આરક્ષણને ‘અનામત’ તરીકે ઓળખે છે અને શૂદ્રાદિ જ્ઞાતિઓ વિશે જાહેરમાં અપમાનજનક બોલી શકાતું નથી. કાયદા બહુ ખરાબ છે.’ એ સાંભળીને ભદ્રંભદ્રના ચહેરા પર અણગમો પથરાઈ ગયો. ‘તારી જાગૃતિ પ્રશંસનીય છે. કારાગૃહયોગનું પુનરાવર્તન ત્યાજ્ય છે, એ વિશે હું તારી સાથે સંમત છું. દુષ્ટ સુધારાવાળાઓની કુટિલતા મારાથી અજાણ નથી, શૂદ્રાદિ જ્ઞાતિઓને  આરક્ષણ આપવાથી જ નહીં, તેમનો સાદર ઉલ્લેખ કરવાથી પણ સનાતન- ધર્મને હાનિ પહોંચે છે. સદ્‌ભાગ્યે ઘણા આર્યવીરો લોકનિંદા વહોરીને પણ આરક્ષણ અને તેના લાભાર્થીઓની યથોચિત ભર્ત્સના કરે છે, તેમ કરવા પાછળનો તેમનો સદાશય શૂદ્રાદિને તેમના મૂળ વ્યવસાયોથી અને ખરેખર તો સનાતનધર્મથી વિમુખ થતા રોકવાનો છે. એવા જીહ્‌વાયોદ્ધાઓની સનાતન ધર્મપ્રીતિરીતિનીતિભીતિ ધન્ય છે.’

હોટલમાં ‘ઇટાલિયન પિત્ઝા’નું વિવેચન કરતાં ભદ્રંભદ્ર અંબારામને જણાવે છે : ‘મારા ઘનિષ્ઠ સહવાસના કારણે આર્યસંસ્કૃિતભક્ત હોવા છતાં, તને એ જ્ઞાન નહીં હોય કે એ રાષ્ટ્રનું ખરું નામ ઈશસ્થલી હતું. ભ્રષ્ટ યવનોને ઉચ્ચાર આવડે નહીં એટલે તે અપભ્રંશ કરીને ‘ઈટાલી’ કહેવા લાગ્યા. ઈશસ્થલીના આર્યોએ રોટલા પર નવનીતલેપન કરીને, તેની પર વિવિધ જડીબુટ્ટીઓના લઘુખંડ એક વ્યંજનનું સર્જન કર્યું હતું. તેના ઔષધીય ગુણ પરથી એ ‘પિત્તશામક’ કહેવાતું હતું. નામ ટૂંકા કરવાના મોહથી ગ્રસ્ત યવનો તેને કાલક્રમે ‘પિત્તશા’ અને ‘પિત્ઝા’ કહેવા લાગ્યા.’

ન્યૂઝચૅનલનું ગુજરાતી ભદ્રંભદ્રે ‘વૃત્તાંતવાહિની’ કર્યું, એનાથી મૂંઝાયેલા પત્રકારે અંબારામને કહ્યું, ‘આ મહારાજ ભલે ગમે તેમ બોલે, પણ તમે તો યાર ગુજરાતીમાં બોલો, વાહિની એટલે શું ? મારી પાસે ચૅનલની ગાડી છે એ?’ અંબારામે કરુપૂર્વક કહ્યું, ‘વૃત્તાંતવાહિની એટલે ન્યૂઝચૅનલ. ગાડીને તો આર્ય ભદ્રંભદ્ર જ્વલનશીલતેલચાલિતચતુષ્ચક્રીલોહરથ તરીકે ઓળખે છે’. તમ્મર ખાઈ ગયેલા પત્રકારને અંબારામે આગળ સમજાવ્યું. ‘જુઓ જ્વલનશીલ તેલ એટલે પેટ્રોલ. તેનાથી ચાલિતચતુષ્ચક્રી એટલે ફોર વ્હીલર અને લોહરથ એટલે તમારી ગાડી. કેટલું સિમ્પલ છે! ચેનલની ગાડી પેટ્રોલચલિત નહીં, સી.એન.જી.વાળી હતી, પણ એ સુધારો કરવા જતાં ‘દાબસંકુચિતપ્રાકૃતિકવાયુચાલિત….’ જેવો કોઈ હથોડો આવવાની બીકે પત્રકારે ગાડીનો બળતણવિષયક સુધારો કરવાનું ટાળ્યું અને બંને જણનું બીલ ચૂકવી દીધું. ચૅનલની ઑફિસમાં જઈને ભદ્રંભદ્રે સૂત્રોચ્ચાર કર્યો : સનાતનધર્મનો જય … આરક્ષણનો ક્ષય ..’  ઑફિસમાં અચાનક સૂત્રોચ્ચાર સાંભળીને પત્રકારે હોઠ પર આંગળી મૂકીને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. ભદ્રંભદ્રે પત્રકારને કહ્યું, ‘અમને વક્તવ્ય આપવા માટે નિમંત્રિત કર્યા પછી મૌન રહેવાનું સૂચિત કરવામાં કેવળ વચનભંગ નહીં. વિવેકભંગ, પરંપરાભંગ અને સંસ્કૃિતહ્રાસ પણ છે.’ ચૅનલ પત્રકારને થયું : આ ભાઈનો કેસ પણ આપણા નેતાઓ જેવો લાગે છે. એમના ધોતિયાનો છેડો ભરાઈ જાય, તો સનાતનધર્મ ખતરામાં ને ઘડીક ચૂપ રહેવાનું કહીએ, તો સંસ્કૃિતહ્રાસ થાય. બૂટ વિશે કૃત્રિમચરણાવરણ શબ્દ પ્રયોજાયો છે. બ્લેઝર અને પૅન્ટ્‌માં સજ્જ ઍન્કરે એમનો પરિચય ભદ્રેશભાઈ તરીકે આપતાં રોષ ખાળીને કૅમેરા તરફ પ્રણામની મુદ્રામાં જોઈને ભદ્રંભદ્ર બોલ્યા, ‘સુજ્ઞ શ્રોતાગણ, પ્રસન્નોસ્તુ. વિદિત થાય કે આ લોકમાં તેમ જ દેવલોકમાં ભદ્રેશભાઈ તરીકે નહીં, આર્ય ભદ્રંભદ્ર તરીકે હું વિદ્યમાન તેમ જ દૈદીપ્યમાન છું. કિંતુ આ નરવસ્ત્રધારિણી, સનાતનધર્મસંહારિણી, આર્યકુલકલંકિણી, ભાષાભિવ્યક્તિદ્રોહિણી એવી વૃત્તાંતવાહિનીઉદ્‌ઘોષિણી પાસેથી શુદ્ધ નામોચ્ચાર અપેક્ષીને આર્યધર્મને કક્ષાચ્યુત કરવાના પાપમાં પડવા હું ઈચ્છુક નથી. ‘ચૅનલકન્યાના એક સવાલથી ભદ્રંભદ્ર બગડ્યા, ‘હે અજ્ઞકન્યકા, મારા વિધાનના પ્રમાણ તરીકે હું સાક્ષાત્‌ પ્રભુને આ અંકીય દૃશ્યશ્રાવ્યાંકનસંગ્રહિકા સમક્ષ ઉપસ્થિત કરી શકું છું, કિંતુ વૃત્તાંતવાહિની માટે મમ વાક્ય પ્રમાણમ્‌.’ ચકરાયેલી ઍન્કરે મદદ માંગતી નજરે અંબારામ સામે જોયું. એટલે તેમણે કહ્યું, ‘અંકીય એટલે કે ડિજિટલ અને દૃશ્યશ્રાવ્યનું અંકન (રેકૉર્ડિંગ) તથા સંગ્રહ (સ્ટોરેજ) કરતા કૅમેરા. મતલબ કે, તમે ઈચ્છો તો આર્યભદ્રંભદ્ર સાક્ષાત્ ‌ઈશ્વરને કૅમેરા સામે હાજર કરી શકે."

ઍન્કરે એકદમ ટૅન્શનમાં આવીને કહ્યું, ‘ના, હોં સર, બીજા કોઈને પણ પ્રોગ્રામમાં બોલાવવા માટે સાહેબ સાથે વાત કરવી પડે, નહીંતર સર ….’  ચૅનલની ઑફિસમાંથી બહાર નીકળી પ્રેસરિપૉર્ટર, ભદ્રંભદ્ર અને અંબારામ રિપૉર્ટરના બાઇક પર બેસી સભાસ્થળે જતાં ચાર રસ્તે ટ્રાફિકપોલીસ (યાતાયાતનિયંત્રક) ત્રણેને પકડે છે. છૂટ્યા પછી આગળ જતાં બમ્પનો ખ્યાલ ન રહેતાં ભદ્રંભદ્ર અને અંબારામ પડી જાય છે. ભદ્રંભદ્રના નાકેથી લોહી દદડવા માંડે છે.ત્રણે ડૉક્ટર પાસે જાય છે. ભદ્રંભદ્ર ડૉક્ટર પર તૂટી પડે છે, પરંતુ લાઘવ માટે એ ભાગનું વ્યંગદર્શન જતું કરી રિક્ષામાંથી ઊતરી સભાસ્થળ તરફ જતા ભદ્રંભદ્ર-રિપૉર્ટર વચ્ચેનો વાર્તાલાપ રજૂ કરું છું.

રિપૉર્ટરે ભદ્રંભદ્ર્‌ને પૂછ્યું, ‘તમે એમ કહેવા માંગો છો કે આપણા ઋષિમુનિઓએ જ બધી શોધો કરેલી, બરાબર?’ ‘નિઃશંક, નિસંશય, નિશ્ચિત, નિરપવાદ.’ ભદ્રંભદ્રે પૂરા આત્મવિશ્વાસથી કહ્યું. રિપૉર્ટરે પૂછ્યું,’ ઓ.કે. એ કહો કે એમણે કરેલી શોધો સામાન્ય માણસને કંઈ કામ લાગતી હતી?’ ભદ્રંભદ્રે જવાબ આપ્યો, ‘ના, વર્ષોની તપશ્ચર્યા પછી પ્રાપ્ત થયેલી એ સિદ્ધિઓ પામર મનુષ્યોને અપ્રાપ્ય રહેવી જોઈએ, કેવળ યોગબળ ધરાવતા મહાનુભાવો જ તેને પ્રયોજી શકે.’ રિપૉર્ટરે સામે કહ્યું, ‘તો એવી શોધોથી સામાન્ય માણસને શો ફાયદો? લાઇટ, મોબાઇલ કે ઇન્ટરનેટનો લાભ મેળવવા માટે યોગશક્તિની જરૂર નથી. સામાન્ય માણસ પણ એ વાપરી શકે છે ….’ ‘યવનસંસ્કૃિતમોહગ્રસ્ત આ પ્રશ્ન અજ્ઞાનનો દ્યોતક અને કુતર્કનો કારક છે’, ભદ્રંભદ્ર ન્યાયાધીશમુદ્રામાં બોલ્યા. ‘પ્રાચીન કાલમાં સઘળા આવિષ્કાર આર્યભૂમિમાં થયા હોવાથી, સર્વ આર્યજનો તેના વિશે ગૌરવ લઈ શકતાં હતાં એ લાભ પર્યાપ્ત નથી?’ ‘ગૌરવલાભ?, રિપૉર્ટર હસ્યો. ‘તમે અત્યારના નેતાઓ જેવી દલીલ કરી. ગૌરવને ખાવાનું કે પીવાનું? ઓઢવાનું કે પાથરવાનું?,’ તેનો જવાબ આપ્યા વિના ભદ્રંભદ્રે કહ્યું, ‘બહુમતીજનસમુદાય તે વિદ્યાઓના ઉપયોગ માટે અધિકારી ન હોઈ, તેમનું એ સિદ્ધિઓથી વંચિત રહેવું સર્વથા ઉચિત હતું. શૂદ્રાદિ તેનો ઉપભોગ કરે, તો વર્ણાશ્રમનો હ્રાસ થાય અને યોગસિદ્ધિ નષ્ટ થાય.’ રિપૉર્ટરે કહ્યું, ‘પણ આ સિદ્ધિઓ ક્યાં ટકી? નષ્ટ થઈ જને?’ ઠીક છે, પણ ભારતના આ સુવર્ણયુગનો અંત વિદેશી આક્રમણખોરોને લીધે આવ્યો એવું કહેવાય છે તે સાચું?’ ભદ્રંભદ્રે હકારમાં ડોકું હલાવ્યું. એટલે રિપૉર્ટરે કહ્યું. ‘તો આટલા બધા સિદ્ધ પુરુષો હોવા છતાં, પોતાની મહાન સંસ્કૃિતના રક્ષણ માટે તે કશું કરી ન શક્યા? ભદ્રંભદ્ર ગૂંચવાયા, ‘એ તો તપસ્વી હતા. સિદ્ધ પુરુષો …. દુન્યવી બાબતોમાં …’ રિપૉર્ટરે કહ્યું, ‘એમની શોધો ન સામાન્ય માણસને કામ લાગે ને એ પોતે વાપરે તો પછી એનો અર્થ શો?’ ભદ્રંભદ્ર કહે, ‘એ સિદ્ધિઓ અને આવિષ્કારો પ્રતિપાદિત કરે છે કે યવનો અંધકારમાં અટવાતા હતા, ત્યારે આર્યસંસ્કૃિત શિખરે હતી.’ પત્રકારે સામે કહ્યું, ‘અને એ જ અંધકારમાં અથડાતા યવનોએ આર્યસંસ્કૃિતના સુવર્ણયુગનો અંત આણી દીધો હોય, તો પછી વધારે મહાન કોણ? ‘સનાતનધર્મની હાનિ થવાથી જ કલિયુગનો આરંભ થયો છે, એમ ભદ્રંભદ્રે કહેતાં પત્રકારે કહ્યું ‘તો તમારા કહેવા પ્રમાણે, સનાતનધર્મ પ્રમાણે ભણવાનો અધિકાર ફક્ત બ્રાહ્મણોનો જ ગણાય, બરાબર?’ ભદ્રંભદ્રે નિશ્ચયપૂર્વક કહ્યું, ‘એવું શાસ્ત્રો કહે છે અને તેનો નિષેધ એટલે દેવાજ્ઞાનું અપમાન, જે હું કદાપિ સાંખી શકું નહીં.’ પત્રકારે કહ્યું, ‘તેનો અર્થ એ થયો કે સદીઓ સુધી શિક્ષણમાં બ્રાહ્મણો માટે સો ટકા અનામત હતી અને તેનો તમને વાંધો નથી. એ તમને સંસ્કૃિત ને સનાતનધર્મ લાગે છે, પણ થોડા દાયકાથી એસ.સી.-એસ.ટી.-ઓ.બી.સી.ને અનામત મળે તેને નાબૂદ કરવા માટે તમારે સ્પેિશયલ અવતાર લેવો પડે છે.’ એટલામાં તો સભાસ્થળ સાવ નજીક આવી ગયું. સભામાં પણ ભદ્રંભદ્ર આમરણ અનશનની ઘોષણા કરે છે અને મુખ્યમંત્રી સાથે તેમની મુલાકાત ગોઠવાય છે. મુખ્યમંત્રી યુક્તિપૂર્વક પત્રકારોને રવાના કરે છે અને એમની સૂચનાનુસાર ભદ્રંભદ્ર અને અંબારામને પોલીસજીપમાં બેસાડી અજ્ઞાત સ્થળે લઈ જાય છે અને એન્કાઉન્ટરની બીક બતાવતાં બન્ને અંધારામાં ભાગી જાય છે.

આખી લઘુનવલમાં લેખકે હાસ્યરસ ભરપૂર રેલાવ્યો છે અને કસીકસીને વ્યંગબાણ માર્યાં છે. આર.એસ.એસ.ની વિચારધારાનો તો લેખકે બરાબરનો ખીમો કરી નાખ્યો છે. ‘મેરા ભારત મહાન’નું તો તેમણે કચુંબર જ કરી નાખ્યું છે. ભૂતકાળને વાગોળી અનામતમાં રોકડી  કરનારાઓની દશા બૂરી કરી દીધી છે. જન્મે દલિતસાહિત્યકારે હાસ્યરસ દલિતસાહિત્યમાં લાવવાનું કામ કરવું જોઈએ, પરંતુ એ કામ જન્મે બિનદલિત ઉર્વીશ કોઠારીએ કર્યું, જે ખરેખર અભિનંદનને પાત્ર છે. આ નવલને હું દલિતસાહિત્યમાં હાસ્યરસની પ્રથમ નવલ કહું, તો એ યથાયોગ્ય ગણાશે.

E-mail : jesal.sahil.js@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2018; પૃ. 10-12

Loading

CTRL + ALT + DEL: કોઈને માફી આપવી એ સેવા નહીં, સ્વાર્થ છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|3 April 2018

રાહુલ ગાંધીએ એના પિતાના કાતીલોને માફ કરી દીધા છે. "સદંતર માફ કરી દીધા છે," એવું રાહુલે ભાર દઈને કહ્યું, જેથી એનું વિધાન સંદિગ્ધ ના રહે. સિંગાપોરમાં ગયા સપ્તાહે IIMના સ્નાતકો સાથેની ગુફતેગુમાં રાહુલને અચાનક એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે, શું તેમણે અને તેમની બહેન પ્રિયંકાએ તેમના પિતાના કાતીલોને જતા કર્યા છે? રાહુલ કહ્યું, "અમે અપસેટ અને ખિન્ન હતા, અને બહુ વર્ષો સુધી ગુસ્સામાં રહ્યાં હતા. પણ ખબર નહીં કેમ, અમે એમને માફ … ઇન ફેક્ટ, સદંતર માફ કરી દીધા છે."

રાહુલ ગાંધીની રાજનીતિ ગમે તે હોય, પણ આ વાત એનાથી પર, અને ગહેરી છે. તમને જેણે અન્યાય કર્યો હોય, હાનિ પહોંચાડી હોય, પીડા આપી હોય તેને માફી બક્ષવાનું ના તો સરળ છે, ના તો આપણા સ્વભાવ કે સંસ્કૃિતમાં. એનાથી વિપરીત, એ અન્યાયનો બદલો લેવાનું એકદમ જાયજ લેખાય છે. તમે બદલો ના લો તો જ એ અપ્રાકૃતિક કહેવાય. આપણી પૂરી વ્યવસ્થા વેરવૃત્તિની તરફદારી કરે છે. આપણો ઇતિહાસ વેરઝેરથી ભરેલો છે. આપણા ધાર્મિક પુરાણોમાં ન્યાય-અન્યાયની વાર્તાઓ છે.

જંગલમાં રહેતા માણસની નીજી લાગણીથી લઇને એણે બનાવેલી ધાર્મિક પરંપરા કે આધુનિક કાનૂની રસમમાં સજાની વ્યવસ્થા બુનિયાદી રીતે ઇન્તિકામની આક્રમક વૃત્તિમાંથી આવે છે. સદીઓ પહેલાં શેક્સપિયરે લખ્યું હતું, ‘તું મને ડંખ મારે તો મને લોહી ના નીકળે? તું મને ગુદગુદી કરે તો મને હસવું ના આવે? તું મને ઝેર આપે તો હું મરી ન જાઉં? અને તું મને અન્યાય કરે તો હું બદલો ન લઉં?’ માણસ તરીકે આપણે ભાગ્યે જ પ્રતિશોધની ભાવના સામે સવાલ ઉઠાવીએ છીએ. આપણને પીડા પહોંચાડે તેને તકલીફ આપવી એ આપણા માટે શ્વાસ લેવા જેટલું સ્વાભાવિક છે.

રાહુલ ગાંધીએ આ લાગણી, આ વૃત્તિને પડકારી છે, એટલે એની વાત કરવી જરૂરી છે. પોતાના પિતાના કાતીલોને જતા કરવાનો ભાવ આવે કેવી રીતે? એ જ જવાબને વિસ્તારીને એણે કહ્યું હતું, "આવી ઘટનાઓ બને ત્યારે તેમાં બહુ બધી વાતો-વિચારો અને પરિબળોનો ગૂંચવાડો થાય. મને યાદ છે મેં જ્યારે ટીવી પર (લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઇલમના પૂર્વ વડા) પ્રભાકરનને ફર્શ ઉપર મરેલો જોયો ત્યારે મને બે અહેસાસ થયા હતા-એક તો મને એમ થયું કે, આ માણસને આ રીતે (ટીવી પર) અપમાનિત કરવાની જરૂર શું હતી. બીજું મને એની અને એનાં બાળકોની દયા આવી. મને થયું કે, આ બધા પાછળ અંતે તો એક ઇન્સાન છે, પરિવાર છે, રડતાં બાળકો જ છે ને."

માનવ સંસ્કૃિતમાં ક્રોધને સદાચારનો દરજ્જો અપાયેલો છે. આપણા તમામ ધાર્મિક અને ન્યાયિક કાનૂન દંડ આધારિત છે. આપણા, ઉચિત કે અનુચિત, તમામ યુદ્ધો પ્રતિશોધમાંથી આવે છે. આપણો સમાજ સૌથી કજિયાખોર અને મુકદમાબાજ છે. સાચા કે માની લીધેલા કોઈ પણ જખમ આપણે બર્દાશ્ત કરતા નથી. આપણે એના માટે 'પુણ્યપ્રકોપ' નામ પણ આપ્યું છે. આપણા ઈશ્વર, આપણા ગુરુ અને આપણા નેતાને આપણે કોપાયમાન જોઈએ છીએ, કારણ કે એ આપણા ગુસ્સાનું પ્રતીક છે.

આવા માહોલમાં કોઈને માફ કરવાનો ભાવ સમાજમાં પ્રચલિત ના હોય તો તેમાં આશ્ચર્ય નથી. એક્ચુઅલી, દયા, માફી, કરુણા એ આપણા સમાજમાં કમજોરી અને નપુંસકતાના ગુણ ગણાય છે. કોઈને મારવો એ વીરતા છે, એવું ઘરમાંથી જ શીખવાડવામાં આવે છે. આપણને ઈજા પહોંચાડનારને પ્રતિ-પીડા આપવાની લાગણી એટલી સશક્ત હોય છે કે, એમાં કરુણા ઢંકાઈ જાય છે. પણ સવાલ એ છે કે માફ કરવાની કરુણા એટલે શું? માફ કરવાને અન્યાયને ભૂલી જવા કે અન્યાયકર્તા સાથે મનમેળાપ તરીકે જોવામાં આવે છે. ઘણા લોકો માફી બક્ષવાના પક્ષમાં નથી હોતા કારણ કે એમને એમ લાગે છે કે, માફી આપવાથી આપણે અન્યાયને ઉચિત ઠેરવીએ છીએ, અને અન્યાયકર્તાને બીજા સાથે એવું કરવા પ્રોત્સાહન આપીએ છીએ.

માફીની આ સમજ ગલત છે, અને એને ગહેરાઈથી સમજવા જેવું છે.

હકીકતમાં આપણે જ્યારે આપણને હાનિ પહોંચાડનાર, પીડા આપનારને માફી કરીએ છીએ ત્યારે, નારાજ થવાનો, ગુસ્સે થવાનો, ફરિયાદ કરવાનો આપણો અધિકાર જતો કરીએ છીએ. આપણે આપણી જાતને અન્યાયના, ક્રોધના નકારાત્મક ઈમોશનમાંથી ઉગારવા ઇચ્છીએ છીએ એટલે કહીએ છીએ, "જા, તારા જેવું કોણ થાય?" આપણે એના જેવા થવા નથી માંગતા એ માફીનો મૂળ હેતુ છે.

માફી એટલે જવા દેવું, અંગ્રેજીમાં લેટ-ગો. એ બીજા માટે નથી, આપણા માટે છે. પ્રતિશોધની ભાવનામાંથી આપણે આપણી જાતને મુક્ત કરીએ તે માફીની સાચી વ્યાખ્યા છે. કોઈને માફ કરવાનો મતલબ એને અન્યાયની જવાબદારીમાંથી મુક્ત કરવો એવો થતો નથી; એનો મતલબ આપણે આપણને કડવાહટની કેદમાંથી મુક્ત કરીએ છીએ તે.

આપણી સાથે ભૂતકાળમાં જે થયું હતું તેના આક્રોશમાં જીવતા રહેવાનો ગેરફાયદો એ છે કે, એ આપણી અંદર પરિવર્તનમાં બાધા બને છે. વળતામાં, બદલાઈ નહીં શકવાની આ લાચારી આપણને જીવન પ્રત્યે નિરાશાવાદી બનાવે છે. જે થયું છે તે ના-થયું કરવાનું અશક્ય છે, પણ આપણી ઉપર એ ભૂતકાળનો જે સકંજો છે તેમાંથી મુક્ત થવાનું આપણા હાથમાં છે.

નફરત એ ભૂતકાળનો ભાવ છે. તમે કોઈની ઉપર ખફા છો કારણ કે એણે પાંચ વર્ષ પહેલાં કે પચ્ચીસ વર્ષ પહેલાં તમને અન્યાય કર્યો હતો. ક્રોધ તમને અતીતમાં રાખે છે. એમાંથી બહાર આવવા માટે તાકાતની નહીં, સભાન પ્રયત્નની જરૂર હોય છે. એ અર્થમાં માફી સેવા નહીં, સ્વાર્થ છે; એ તમે તમારા માટે કરો છો.

આફ્રિકન નેતા નેલ્સન મંડેલાએ ૨૭ વર્ષના કારાવાસ પછી એમને જેલમાં બંધ કરનાર લોકોને માફ કરી દીધા હતા. ૧૯૮૧માં તુર્કીશ હુમલાખોર મેહમેત અલી એગ્કાએ પોપ જ્હોન દ્વિતીયને ૪ ગોળીઓ ધરબી દીધી. પોપ ઈમરજન્સી ઓપરેશનમાં માંડ બચ્યા. બે વર્ષ પછી એ એગ્કાને જેલમાં મળ્યા, અને જે હાથે ગન પકડી હતી તેને પકડીને કહ્યું કે, મેં તને માફ કરી દીધો છે. મહાત્મા ગાંધીનું આખું જીવન માફીની બુનિયાદ પર ટક્યું હતું. સ્વામી દયાનંદ સરસ્વતીએ ૧૯મી સદીના પછાત ભારતમાં સમાજ સુધારાનું કામ શરુ કર્યું ત્યારે બહુ લોકો એમના દુશ્મન બની ગયા હતા. એમાંથી એમના જ એક સહાયકે એમના આહારમાં ઝેર મિલાવ્યું હતું. સ્વામીને આ ખબર પડી તો એમણે એ સહાયકને નેપાળ ભગાડી મુક્યો, જેથી એનો જીવ બચી જાય.

આ બધાં મહાન પુરુષોનાં નહીં, મહાન પુરુષાર્થનાં ઉદાહરણ છે. કોઈને જતો કરવો એ ઈચ્છા, આયાસ અને સભાન વિકલ્પ છે. માફી સરળ નથી એટલે જ એના માટે જહેમત કરવી પડે છે. પ્રતિશોધ માણસની બુનિયાદી વૃતિ છે. જખ્મી માણસને એના જખ્મના સોર્સને ખતમ કર્યા પછી જ 'સારું' લાગે છે. પ્રતિહિંસા એ મગજનો ઓટોમેટિક રિસ્પોન્સ છે. હિંસા પાશવિક ગુણ છે, માફી માનવીય ભાવ છે. માફી ઓટોમેટિક નથી. એના માટે પ્રયાસ કરવો પડે છે. ઇતિહાસના આ લોકોએ એ પરિશ્રમ કર્યો હતો. એમણે જ્યારે એમને અન્યાય કરનારને માફ કર્યા હતા ત્યારે એમણે પોતાની અંદર પડેલા પ્રતિશોધના પશુને કહ્યું હતું, "જા, તારા જેવું કોણ થાય."

માફી હકીકતમાં આપણે આપણને જ આપેલી ગીફ્ટ છે.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 01 અૅપ્રિલ 2018

Loading

...102030...3,2073,2083,2093,210...3,2203,2303,240...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved