Opinion Magazine
Number of visits: 9581854
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધી સાર્ધશતાબ્દી ઉજવણીની દિશામાં

ગંભીરસિંહ ગોહિલ|Gandhiana|2 February 2018

મહાત્મા ગાંધીનું સ્મરણ દેશ માટે અણમોલ સંપત્તિ સમાન છે. લોકો માને કે ન માને ગાંધી આ દેશને માટે પ્રેરકબળ બની રહ્યા છે, દિશાઓ ચીંધતા રહ્યા છે. ગાંધીજી વિના પણ દેશને સ્વતંત્રતા મળી ગઈ હોત ખરી, પણ તેનું સ્વરૂપ કેવું હોત તે કલ્પી શકાય તેમ નથી. અખંડ ભારતમાંથી પાકિસ્તાન છૂટું પડ્યું તે પછીનો પ્રદેશ પણ અકબંધ રહી શક્યો હોત કે કેમ તેની કલ્પના થઈ શકે તેમ નથી. કેમ કે હિંદ છોડતી વેળાએ બ્રિટિશરો તેના હિંદુ, પાકિસ્તાન અને રાજવીસ્તાન એમ ત્રણ ભાગ કરવા માગતા હતા. ગાંધીજીની લડતોમાં તાલીમ પામેલા સરદાર વલ્લભભાઈ પટેલ જ તેને એકસૂત્ર રાખી શક્યા.

૧૯૬૯માં ગાંધી-શતાબ્દી આયોજનબદ્ધ રીતે ઊજવાઈ હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેના કાર્યક્રમો થયા હતા. ૧૯૯૪માં પણ ગાંધી સવાશતાબ્દીના કાર્યક્રમો યોજાયા હતા. હવે ૨ ઑક્ટોબર, ૨૦૧૯ના રોજ મહાત્મા ગાંધીજીના જન્મને ૧૫૦ વર્ષ પૂરાં થશે, તે વેળાએ ૨ ઑક્ટોબર, ૨૦૧૮થી ૨ ઑક્ટોબર, ૨૦૧૯ સુધીની એક વર્ષ ચાલે તેવી ગાંધી સાર્ધશતાબ્દીની ઉજવણીનું આયોજન થશે. ૨ ઑક્ટોબર, ૨૦૧૮ ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી ગણાશે. તે પછીનું એક વર્ષ એટલે ગાંધી સાર્ધશતાબ્દીનું વર્ષ. શતાબ્દી અને સવાશતાબ્દીની ઉજવણીમાં જે ખૂટતી કડીઓ રહી ગઈ હોય તે આ વખતે પરિપૂર્ણ કરી શકાશે.

૨ ઑક્ટોબર, ૧૯૧૮ના રોજ ગાંધીજીના જન્મની ૫૦મી વર્ષગાંઠ આવતી હતી. તે વખતે ગાંધીજી થોડાં વર્ષથી દક્ષિણ આફ્રિકાની હિંદના વસાહતીઓ સફળ થયેલી લડતો વગેરે કાર્યક્રમો પૂરા કરી દેશમાં આવ્યા હતા. તે દરમિયાન ૧૯૧૭માં તેમણે બિહારમાં ચંપારણ વિસ્તારનો ગળીની ખેતી સામેનો સફળ સત્યાગ્રહ પૂરો કર્યો હતો. દેશભરમાં ગાંધીજીનો આવકાર પામેલો પહેલો સત્યાગ્રહ હતો. તેનાથી અંગ્રેજ માલિકો માટે ફરજિયાત ગળીની ખેતી દ્વારા જેમને પરેશાની સહન કરવી પડતી હતી, તેવા ગિરમીટિયા ખેતીકારોને મુક્તિ મળી. પરંતુ ગાંધીજીની ૫૦મી વર્ષગાંઠ કે તેમના ૨ ઑક્ટોબર, ૧૯૧૮થી ૨ ઑક્ટોબર, ૧૯૧૯ સુધીના રજતવર્ષની કોઈ ઉજવણી થઈ ન હતી. ગાંધીજી ત્યારે દેશની વિવિધ સમસ્યાઓ સાથે કામ પાડી પ્રવૃત્ત રહ્યા હતા.

જો કે ૨ ઑક્ટોબર, ૧૯૧૯ના રોજ ગાંધીજીનાં સતત પ્રવૃત્ત એવાં ૫૦ વર્ષ પૂરાં થતાં હતાં. આ શુભપ્રસંગે મુંબઈના વિલેપાર્લે વિસ્તારના ભગિનીસમાજના આશ્રયે, વનિતાવિશ્રામ નામના સ્થળે સ્ત્રીઓની જાહેરસભા યોજવામાં આવી હતી, જેમાં ગાંધીજીને જાહેર પ્રવૃત્તિઓ માટે રૂ. ૨૦,૧૦૦ની થેલી અર્પણ કરવામાં આવી હતી. આ પછી ૧૯૨૯ની ૭મી સપ્ટેમ્બરે આ સંસ્થાના ભગિની સેવામંદિરના મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ માટે ૧૯૧૯માં ગાંધીજીને થેલીરૂપે જે રકમ આપવામાં આવી હતી, તે રકમ તેમણે પોતે હાજર રહીને મકાનના કામ માટે અર્પણ કરી.

૨ ઑક્ટોબર, ૧૯૪૪ના રોજ ગાંધીજીના જન્મને ૭૫ વર્ષ થતાં હતાં, ત્યારે તેની કોઈ વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી ન હતી. તે દિવસે જન્મદિવસના અભિનંદન રૂપે તેમને ઘણા સંદેશાઓ મળ્યા હતા. તેમાં વિશ્વ વિખ્યાત અંગ્રેજી ભાષાનાં નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શોનો સંદેશો મહત્ત્વનો હતો. તે દિવસે એકત્ર થઈ ચૂકેલી કસ્તૂરબા સ્મારકફંડની થેલી ગાંધીજીને અર્પણ કરવામાં આવી હતી.

મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ ૧૮૬૯ની ૨જી ઑક્ટોબરે પોરબંદરમાં થયો, ત્યારે તેમના ભવિષ્યના મહિમાવંત જીવનની કોઈને કલ્પના ન હતી. ઉપર જોયું તે પ્રમાણે તેમની ૫૦ અને ૭૫મા વર્ષની ઉજવણી પણ મર્યાદિત સ્વરૂપે જ થઈ હતી, જે ઘણું સ્વાભાવિક છે. પરંતુ તે પછીની શતાબ્દી અને સવાશતાબ્દીની ઉજવણી પછી હવે ગાંધીજીનાં જન્મને ૧૫૦ વર્ષ થાય ત્યારે તેમની સાર્ધશતાબ્દીની ઉજવણી રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ્ય આયોજન સાથે થાય તેવી અપેક્ષા રાખી શકીએ.

દેશમાં સર્વત્ર મૂલ્યોને ઘસારો લાગી રહ્યો છે. ખાદીના લેંઘો-ઝભ્ભો પહેરવા માત્રથી ગાંધીને પામવાનું શક્ય નથી. ગાંધીને વાંચ્યા કે સમજ્યા વિના ભાષણ ઝાડવાથી ગાંધીનો ખ્યાલ આપી શકાતો નથી. પક્ષીય રાજકારણથી માંડીને સંસ્થાઓના સંચાલન સુધી સર્વત્ર મૂલ્યો ઉળેખાતાં જાય છે. તેનું પુનઃસ્થાપન આજની તાતી જરૂરિયાત છે. ગાંધી સાર્ધ-શતાબ્દીએ આ દિશામાં વિચારવાનું થાય તો ગાંધીને યોગ્ય અંજલિ આપી ગણાશે.

[સપ્રેસ, ૧૬-૧-૨૦૧૮માંથી સાભાર]

ભાવનગર

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2018; પૃ. 16

Loading

હિન્દુ કોમવાદને ફૂલવા અને ફેલાવામાં કેટલાક કૉન્ગ્રેસીઓનો મોટો ફાળો છે

રમેશ ઓઝા|Gandhiana|2 February 2018

આપણે જોયું કે ગાંધીજીની હત્યાના પ્રયાસ વારંવાર કરવામાં આવતા હતા.

પાકિસ્તાન અને પંચાવન કરોડ રૂપિયાનો પ્રશ્ન ઉપસ્થિત પણ નહોતો થયો એ પહેલાંથી હત્યાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. હત્યાના દરેક પ્રયાસમાં એક જ પ્રાંતના, એક જ શહેરના, એક જ કોમના એટલે કે બ્રાહ્મણોના અને ૧૯૩૪નો અપવાદ છોડીને એક જ ટોળકીનો હાથ હતો.

આની વિગતો પોલીસના ચોપડે નોંધાયેલી છે. એના અહેવાલો વિગતે અખબારોમાં પ્રકાશિત થયા છે. ગાંધીજીની હત્યાના વારંવાર કરવામાં આવતા પ્રયાસો વિશે ઊહાપોહ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના પરા કોટીના વિદ્વાન આચાર્ય જાવડેકરે ગાંધીજીની હત્યાના પ્રયાસ પાછળની કારણમીમાંસા કરી છે. આ બધી વાતની મહારાષ્ટ્રની પ્રજાને જાણ હતી એટલે જ્યારે ગાંધીજીની હત્યા થઈ ત્યારે મહારાષ્ટ્રમાં બ્રાહ્મણો વિરુદ્ધ હિંસા ફાટી નીકળી હતી. બહુજન સમાજે બ્રાહ્મણોનાં ઘરોને આગ ચાંપી હતી. સાને ગુરુજીએ ગાંધીજીની હત્યા પછી પ્રાયશ્ચિત્ત કરવા ઉપવાસ કર્યા હતા. સાને ગુરુજી મહારાષ્ટ્રના પુણેમાં રહેતા ચિત્પાવન બ્રાહ્મણ હતા એટલે તેમને એમ લાગ્યું હતું કે તેઓ આડકતરી રીતે ગાંધીજીની હત્યામાં ભાગીદાર છે.

આ બધું આટલું ઉઘાડું હોવા છતાં ઉઘાડું સત્ય હાંસિયામાં ધકેલાઈ ગયું અને અસત્ય ચલણી બની ગયું. આની પાછળનાં ત્રણ કારણો મુખ્ય છે. એક તો એ કે આ લખનાર જેવા ઉદારમતવાદીઓ પ્રતિવાદ કરવામાં ઓછા પડ્યા. ગાંધીજીની વિરાટતા પર ભરોસો રાખીને અસત્યની ઉપેક્ષા કરી. આની ચર્ચા આગળના લેખમાં આવી ગઈ છે.

બીજું કારણ એ કે આપણી અંદર બ્રાહ્મણ કે દલિત, હિન્દુ કે મુસ્લિમ, આર્ય કે દ્રવિડ, મરાઠી કે ગુજરાતી જેવું કોઈક બેઠું છે જે આપણી અંદરના માણસને માણસ બનતાં રોકે છે. ગાંધીજી વિરાટ બનવાની ઉઘરાણી કરતા હતા અને આપણે આપણી સંકુચિત ઓળખ છોડવી નથી એટલે આપણે ગાંધીજીને પોતીકા કર્યા નથી. જે પોતાના ન હોય તેના વિશે કાંઈ પણ કહેવામાં આવે આપણને શો ફરક પડે છે? આમ ઓળખોમાં વહેંચાયેલા દેશમાં ગાંધીજી કોઈના નથી અને કોઈને પરવડતા નથી.

ત્રીજું કારણ એ છે કે હિન્દુઓમાં એક વર્ગ એવો છે જે એમ માને છે કે મુસલમાનોના કોમવાદને અંકુશમાં રાખવા હિન્દુ કોમવાદીઓનું હોવું જરૂરી છે. આપણને કોઈ હિન્દુ રાષ્ટ્ર જોઈતું નથી, પરંતુ મુસલમાનોને સખણા રાખે એવા થોડા હિન્દુ હોવા જોઈએ. સરદાર પટેલ સહિતના દિગ્ગજ કૉન્ગ્રેસી નેતાઓ આમ માનતા હતા અને આજે પણ કેટલાક લોકો આમ માને છે. તેઓ હિન્દુ કોમવાદીઓને આડકતરી મદદ કરે છે, આંખ આડા કાન કરે છે અને તેઓ જ્યારે સત્તામાં હતા ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પરના પ્રતિબંધો ઉઠાવીને અને બીજી અનેક રીતે મદદ કરી હતી. તેઓ હિન્દુ કોમવાદને ટકાવી રાખવા માગતા ગાંધીજનો હતા કે જેથી વખત આવ્યે કામ આવે. (ગાંધીજીને આની પાછી જાણ હતી કે કોણ શું કરે છે) એક વાત નક્કી કે હિન્દુ કોમવાદને ફૂલવા-ફેલાવામાં કેટલાક કૉન્ગ્રેસીઓનો મોટો ફાળો છે.

આ ત્રણ કારણે સત્ય ઉઘાડું હોવા છતાં ઢંકાઈ ગયું અને પંચાવન કરોડ રૂપિયા પાકિસ્તાનને આપવાના ગાંધીજીના દુરાગ્રહથી ગુસ્સે ભરાયેલા માથાફરેલા હિન્દુએ ગાંધીજીની હત્યા કરી હતી એ અસત્ય રૂઢ થઈ ગયું.

જો એમ હોત તો ૧૯૩૪ના જૂન મહિનામાં ગાંધીજીની હત્યાનો પહેલો પ્રયાસ પુણે શહેરમાં થયો એ ન થયો હોત. ત્યારે ક્યાં પાકિસ્તાનની વાત હતી? જો એમ હોત તો ૧૯૪૪ના જુલાઈ મહિનામાં મહારાષ્ટ્રમાં પંચગનીમાં ગાંધીજીની હત્યાનો બીજો પ્રયાસ થયો એ ન થયો હોત. ત્યારે પાકિસ્તાન હજી બહુ દૂર હતું. જો એમ હોત તો બે મહિના પછી એ જ વરસના સપ્ટેમ્બર મહિનામાં સેવાગ્રામ આશ્રમમાં ગાંધીજીની હત્યા કરવાનો ત્રીજો પ્રયાસ થયો એ ન થયો હોત. બે મહિનામાં પાકિસ્તાન આકાર નહોતું પામ્યું. જો એમ હોત તો ૧૯૪૬ની ૨૯ જૂનની રાતે ગાંધીજી મુંબઈથી પુણે ટ્રેનમાં જતા હતા ત્યારે નેરળ અને કર્જત વચ્ચે પાટા પર મોટો પથ્થર મૂકીને ટ્રેનને પાટા પરથી ઉથલાવવાનો પ્રયાસ ન કરવામાં આવ્યો હોત. ગાંધીજી ખાસ ટ્રેનમાં મુંબઈથી પુણે જવાના છે એવા સમાચાર અખબારોમાં આવ્યા હતા એટલે હત્યાનો પ્રયાસ કરનારાઓને આની જાણ હતી. ત્યારે પાકિસ્તાનની વાત હતી, પરંતુ નહોતી વિભાજનની રેખા દોરાઈ કે નહોતી સ્થાવર-જંગમ મિલકતની વહેંચણીની કોઈ વાત આવી. પંચાવન કરોડ રૂપિયા આ વહેંચણીનો હિસ્સો હતો. ઊલટું વિભાજન ટળી પણ શકે એવી આશા પણ હતી.

આ બધા જ પ્રયાસો મહારાષ્ટ્રમાં થયા હતા, એક જ કોમ અને વિચારધારાના લોકોએ કર્યા હતા અને ૧૯૩૪ને છોડીને બાકીના ત્રણ પ્રયાસમાં ગોડસે-આપ્ટે જોડીનો હાથ હતો એની વિગતો પોલીસને ચોપડે નોંધાયેલી છે. નેરળના પ્રયાસમાં ગોડસે-આપ્ટેની સંડોવણીના પાક્કા પુરાવાઓ મળ્યા નહોતા. ગાંધીજીના ખૂનનો જ્યારે ખટલો ચાલ્યો ત્યારે ખૂનના કાવતરાને સાબિત કરવા માટે આ દસ્તાવેજી પુરાવાઓ અદાલતમાં પેશ કરવામાં આવ્યા હતા. બધું જ ઉઘાડું છે. સત્ય શોધવાની જરાક મહેનત લો, સત્ય શું છે એની તમને જાણ થઈ જશે. કોઈના સહારાની જરૂર નથી. હા, ગાંધી ક્યાં આપણા છે એવી માનસિકતા હશે તો સત્ય હાથ નહીં લાગે અને કોમવાદી મુસલમાનો સામે કોમવાદી હિન્દુઓનો ખપ છે એવું જો માનતા હશો તો ત્યાં સત્યપરાયણતાનો જ અંત આવી જાય છે એટલે કાંઈ કહેવાનું રહેતું નથી. આવું માનનારાઓએ ખૂનખટલામાં વિશ્વવંદ્ય ગાંધીજીને ન્યાય નથી કર્યો એ હકીકત છે, પણ એની વાત આજે નથી કરવી.

તો પછી ગાંધીજીના ખૂનના વારંવાર પ્રયાસ શા માટે કરવામાં આવતા હતા? એનાં કેટલાંક કારણો હતાં, મજેદાર કારણો હતાં અને પંચાવન કરોડ રૂપિયા તો એક બહાનું હતું. આવતી કાલે કારણોની વાત કરવામાં આવશે અને શનિવારે પંચાવન કરોડના ક્ષુલ્લક પ્રકરણ સાથે આ શ્રેણી પૂરી થશે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 02 ફેબ્રુઆરી 2018

Loading

રશિયામાં ઊભરી રહેલું નવું નેતૃત્વ : એલેક્સી નાવાલ્ની

કિરણ કાપુરે|Opinion - Opinion|1 February 2018

રાજ્યશાસન વ્યક્તિકેન્દ્રી બને અને તે વ્યક્તિની જ ઇર્દગિર્દ શાસનની બાગડોર ચાલતી હોય, ત્યારે મહદંશે તે શાસિત વ્યક્તિનો કોઈ વિકલ્પ ઊભો થઈ શકતો નથી. અને તેની સામે જલદીથી કોઈ પડકાર પણ ખડો થતો નથી. વિશ્વના ચુનંદા આવાં નેતાઓની જ્યારે વાત કરીએ ત્યારે તેમાં રશિયાના વ્લાદિમિર પુતિન, ચીનના જિનપિંગ અને આપણા વડાપ્રધાનનું નામ લઈ શકાય – જેઓ પોતાના વિકલ્પ ઉભા થઈ શકે તેવી કોઈ શક્યતા નિર્માણ થવા દેતા નથી. બધી જ બાજુથી સ્થિતિને કસીને રાખતા આ નેતાઓ કોઈ પણ બાબતોને પોતાના પક્ષે કરવામાં માહેર છે. છેલ્લાં વર્ષોનો આ ત્રણેય નેતાઓનાં શાસકીય ગાળો જોઈએ, તો તેનો ખ્યાલ આવી શકે. તેમને ચૅલેન્જિસ મળે છે, પણ તેના પર તુરંત કામ કરીને તેઓ ડેમેજ-કન્ટ્રોલ કરતા રહે છે. આ વખતની રાજ્યની ચૂંટણીમાં સખત પડકાર હોવા છતાં છેલ્લે છેલ્લે પ્રચારમાં વડાપ્રધાન ગુજરાતની પ્રજા અને પોતાના સન્માન પર વાત લાવી દઈને પરિણામ પોતાની તરફેણમાં લાવવામાં કામિયાબ રહ્યા!

ખેર, દેશની અને તેના વડાપ્રધાનની વાતો ખૂબ થાય છે. અહીં વિશ્વફલક પર જે ઘટના અંગે ચર્ચા થઈ રહી છે, તેની વાત કરવાની છે; અને તે છે વ્લદિમિર પુતિનના લોખંડી શાસન સામે સેંધ પાડનાર એલેક્સી નાવાલ્નીની.

છેલ્લા દોઢ દાયકાથી રશિયા પર મજબૂત પકડ ધરાવીને શાસન કરનારા પુતિનની ઇમેજ માત્ર રશિયામાં જ નહીં, વિશ્વસ્તરે એક પાવરફુલ લીડરની રહી છે. પણ પુતિનના આ શાસનને ચૅલેન્જ કરનાર એલેક્સી નાવાલ્ની નામનો (આપણી નજરે) નવો ચહેરો સામે આવ્યો છે, જે પુતિનની પોલ ખોલી રહ્યો છે અને તેની સામે બરાબર ફાઇટ આપી રહ્યો છે. એલેક્સી આમ તો છેલ્લાં કેટલાં ય વર્ષોથી પુતિન શાસન સામે અને રશિયામાં થઈ રહેલા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે, પણ વર્તમાન સ્થિતિ એવી છે કે, આ ૪૨ વર્ષીય એલેક્સી નાવાલ્નીને ૨૦૧૮ની પ્રેસિડેન્શિયલ ચૂંટણીમાં પુતિન સામે લડવા જેટલા સપોર્ટર્સની જરૂર હોય, તેનાથી વધુ લોકોનો ટેકો મળી ગયો છે. એટલે તેઓ આ ચૂંટણી લડવા માટે રજિસ્ટ્રેશન માટેના જરૂરી માપદંડને પૂરા કરી ચૂક્યા છે! આપણી જેમ રશિયામાં પણ તટસ્થ ચૂંટણી થવાને લઈને સવાલ ખડા થતા રહ્યા છે, તે સ્થિતિમાં એલેક્સી સફળ થશે કે નહીં તે સમય બતાવશે. પણ એલેક્સીનો અવાજ આજે કરોડો રશિયાવાસીઓનો અવાજ બન્યો છે; અને જે રીતે પુતિન સામે તેણે બાથ ભીડી છે, તે જોતાં એવું લાગે છે કે ભવિષ્યમાં પુતિનના વિકલ્પ તરીકે તે મજબૂત પ્રેસિડેન્શિયલ કૅન્ડિડેટ છે.

જેમ આપણે ત્યાં ગુજરાતમાં છેલ્લા બેચાર મહિનાનો ઘટનાક્રમ જોઈએ, તો હાર્દિક-જિજ્ઞેશ-અલ્પેશે જે પ્રકારે ભા.જ.પ.ના શાસન સામે બંડ પોકાર્યું, અને જંગી સભાઓ કરીને ભા.જ.પ. અને તેમના નેતાઓને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો, એવી જ રીતે એલેક્સીની ભૂમિકા રશિયામાં રહી છે. રશિયામાં ઘણા સમયથી સરકાર સામે સામૂહિક વિરોધ રૂપે રેલી હોય કે દેખાવ, તેની આગેવાની એલેક્સીની રહી છે. અને એલેક્સીની લોકપ્રિયતા સતત વધતી જઈ રહી છે. ‘વૉલ સ્ટ્રીટ’ અખબારે તો છેક ૨૦૧૨માં જ એલેક્સીને ‘પુતિન માટે સૌથી જોખમી વ્યક્તિ’ એવી ઓળખ આપી દીધી હતી!

પુતિનના શાસનમાં રાજકીય આઝાદી, માનવ અધિકાર અને લોકશાહી મૂલ્યોને લઈને રશિયામાં જબરજસ્ત ઓટ આવતી રહી છે. અમેરિકાની ‘ફ્રિડમ હાઉસ’ સંસ્થાએ (જેની તટસ્થતા બરકરાર છે અને તેના અહેવાલને રશિયા-અમેરિકાના સંબંધના સંદર્ભમાં ન જોવો જોઈએ) એવી ચેતવણી આપી છે કે, સોવિયેત યુનિયનના ભંગાણ બાદ પુતિનકાળમાં લોકોની આઝાદી સતત છિનવાતી રહી છે. આર્થિક ક્ષેત્રે ગણમાન્ય સંસ્થા ઇકોનૉમિસ્ટ ઇન્ટેિલજન્સ યુનિટે તો ૨૦૧૧થી રશિયાના શાસનને ‘આપખુદશાહી’ ગણાવ્યું છે. અને આજે મોટા ભાગના રાજકીય નિષ્ણાતો રશિયાને લોકશાહી દેશ તરીકે જોતા નથી. અરે, વિશ્વના કેટલાક આગેવાનોએ પણ પુતિનના શાસનની ટીકા કરતાં નિવેદન આપ્યાં છે, જેમ કે અમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટ અને પ્રમુખપદનાં પૂર્વ ઉમેદવાર હિલેરી ક્લિન્ટને પુતિનને ‘અભિમાની’ અને ‘ધાકધમકીથી કામ કરાવનાર’ કહ્યા હતા! દલાઈ લામા સુધ્ધાંએ પુતિનને ‘સ્વકેન્દ્રી’ અને ‘અન્ય દેશોના પ્રશ્નોથી અલગ રહેવાની રાજ્યનીતિ રાખનાર’ કહ્યા હતા! આવાં તો અનેક નિવેદનો ચીંધી શકાય, જેમાં પુતિનના શાસન અને સ્વભાવને લઈને તેમની મર્યાદા દર્શાવવામાં આવી હોય. પરંતુ આ બધું છતાં, મહાસત્તા કહેવાતા રશિયા પર દોઢ દાયકાથી પુતિન શાસન કરી રહ્યા છે, તે પણ વાસ્તવિકતા છે.

રશિયામાં એલેક્સી પ્રસિદ્ધિમાં આવ્યા અને પુતિન સામેનો ચહેરો બન્યા, તેની પૃષ્ઠભૂમિમાં તેમણે ઑઇલ કંપનીના લીધેલા શૅર્સ હતા, જેને લઈને તેમની પાસે એવી માહિતી પહોંચી કે રશિયામાં મોટા પાયે ચાલી રહેલો ભ્રષ્ટાચાર તેમની સામે આવ્યો. તેમણે આ તમામ ઑઇલ કંપનીની માહિતી જાહેર કરવાની માંગણી કરી અને પછી તો આ રાહે તેમણે અનેક ઠેકાણે સરકારની લેભાગુ નીતિ જોઈ, જેમાં પ્રજાના પૈસા ચાઉં થઈ રહ્યા હતા. અત્યારે આપણા દેશમાં બૅન્કોની એન.પી.એ.ની સ્થિતિ અને સંભવિત એફ.આર.ડી.એ. બિલ અંગે આવી વિગતો પ્રકાશમાં આવે તો આશ્ચર્ય ન પામવું જોઈએ. ખેર, નવેમ્બર ૨૦૧૦માં એલેક્સીએ રશિયાની જાહેર કંપની ‘ટ્રાન્સનિફ્‌ટ’ના કેટલાક અતિ ગોપનીય દસ્તાવેજ બહાર પાડ્યા, જેમાં આ કંપની દ્વારા થયેલાં કન્સ્ટ્રક્શનમાં ચાર બિલિયન યુએસ ડૉલર્સની ચોરી થઈ છે, તેવું સામે આવ્યું. આવા અનેક હાઇપ્રોફાઇલ ભ્રષ્ટાચાર એલેક્સી લોકો સામે એક પછી એક લાવતા રહ્યા. રશિયન સરકારની પોલ ખોલતી આ બધી જ બાબતો એલેક્સી ‘લાઇવ જનરલ’ના વેબસાઇટના એક બ્લૉગ પર ચલાવે છે. અને આ બ્લૉગથી જ તેઓ લોકો સાથે સંવાદ કરે છે. આ બ્લૉગનો મુખ્ય ઉદ્દેશ જ પુતિન સામે કેમ્પેઇન ચલાવવાનો રહ્યો છે. એવી જ રીતે તેઓ અન્ય માધ્યમો પર પણ રશિયાની વર્તમાન સરકારની ટીકા કરતા જોવા મળે છે. ૨૦૧૧માં તેમણે એક રેડિયો ઇન્ટવ્યૂમાં રશિયાની સરકારને ‘પાર્ટી ઑફ ક્રૂક્સ ઍન્ડ થીવ્સ’ (ધુતારાઓ અને ચોરોની પાર્ટી) કહી હતી, જે પછીના સમયમાં વર્તમાન રશિયન સરકાર માટે આ ચલણી ઉપાધિ બની હતી. આ કેમ્પેઇનને મળેલા જંગી પ્રતિસાદથી જ તેમણે ૨૦૧૧માં ‘ઍન્ટિ કરપ્શન ફાઉન્ડેશન’ની સ્થાપના કરી. આજે આ ફાઉન્ડેશન રશિયાના પુતિનના સાગરીતોના અને અન્ય સરકારી ક્ષેત્રના ઢગલાબંધ ભ્રષ્ટાચાર સામે લાવી ચૂક્યું છે. એલેક્સી આ તમામ ભ્રષ્ટાચારને ખૂબ જ વિસ્તૃત રીતે પ્રકાશમાં લાવ્યા છે; અને ક્યાં-કોણે-કેવી-રીતે કટકી કરી છે, તેનો અહેવાલ પુરાવા સાથે લોકો સમક્ષ મૂકી રહ્યા છે.

વ્યવસાયે વકીલ અને પછી સામાજિક કાર્યકર્તા તરીકે ખ્યાતિ પામેલા એલેક્સીએ સતત વિરોધ કરીને રશિયાની સરકારના નાકે દમ લાવ્યો છે અને જે રીતે રશિયામાં કારભાર ચાલી રહ્યો છે, તેમના પર વોચડોગની ભૂમિકામાં રહીને પબ્લિક મનીનો હિસાબ સતત માગતા રહ્યા છે. તાનાશાહી માનસિકતા ધરાવતાં પુતિનને સ્વાભાવિક છે, એલેક્સીનો વિરોધ યોગ્ય ન લાગતો હોય, એટલે અનેકવાર એલેક્સીના વિરુદ્ધમાં કેસ થયા છે અને તેમને સજા પણ થઈ છે. ૨૦૧૩માં તો તેમને પાંચ વર્ષની સજા કરવામાં આવી હતી, પરંતુ રશિયાની જાણીતી નાગરિક સંસ્થા મેમોરિયલ સોસાયટીએ એલેક્સીને થયેલી સજાને રાજકીય રીતે પ્રેરીત ગણાવી હતી અને તેમને પોલિટિકલ પ્રિઝનર ગણાવ્યા હતા. થોડા સમય બાદ આ સજાને નાબૂદ કરવામાં આવી હતી, પરંતુ અલગ-અલગ રીતે એલેક્સી પર તવાઈ ચાલુ રહી હતી. ૨૦૧૪માં એલેક્સીને ઘરમાં જ કેદ કરીને રાખવામાં આવ્યા હતા, જેને લઈને તેમણે યુરોપિયન કોર્ટ ઑફ હ્યુમન રાઇટ્‌સમાં અપીલ કરી હતી, જે અપીલના સંદર્ભે રશિયન સરકારે જવાબ આપવો પડ્યો હતો. જો કે જેટલી વાર એલેક્સીનો છુટકારો થયો, એટલી જ વાર તેમના પર નવા કેસ થતા ગયા, અને કદાચ આ રીતે જ તેઓ પુતિન શાસન સામે લડતાં લડતાં વધુને વધુ પાવરફુલ થતા ગયા. શાસન સામે બાથ ભીડવાની તેમની આ જ સફરથી આજે તેઓ પ્રેસિડન્ટ માટે સૌથી યોગ્ય ઉમેદવાર બન્યા છે.

E-mail : kirankapure@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2018; પૃ. 06 અને 05

Loading

...102030...3,1793,1803,1813,182...3,1903,2003,210...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved