Opinion Magazine
Number of visits: 9583101
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુગડી કે શીપોકું ચાખ્યું છે કદી?

પુનિતા અરુણ હર્ણે|Opinion - Opinion|5 February 2018

અવેરીને-કરકસરથી રહેવાની ટેવ અને હાથવગું હોય તેમાંથી જલસો કરવાની અને કરાવવાની મધ્યમ વર્ગીય જીવનશૈલીનાં કેટલાંક સ્વાદિષ્ટ સંભારણાં

—

માંડવીની પોળ, સમેત શિખરની પોળમાં અમારું ઘર. મમ્મી મહેસાણાનાં. બી.એ., બી.એડ. માધ્યમિક શાળામાં શિક્ષિકા. પપ્પા એમ.એ, એમ.એડ. એજ્યુકેશન કોલેજમાં અધ્યાપક. અમદાવાદમાં પપ્પાનું ઘર સાંકડી શેરીમાં, રૂઘનાથ બંબની પોળમાં. પણ એ ઘર થોડું અંધારિયું. એટલે બંનેએ ભાડે ઘર શોધ્યું. એ અમારું ૧૩ વર્ષ સુધીનું સ્વર્ગ. દેરાસરને અડીને, ત્રીજે માળ, એક માપસરનો રૂમ — જેમાં દાદરો આવે — એ અમારું રસોડું અને બીજો ખૂબ મોટો ઓરડો. ત્રણ પૈડાંની સાઇકલ આરામથી ચલાવાય એવડો મોટો. આગળ એટલી જ મોટી અગાશી. માથે એસ્બેસ્ટોસનાં પતરાં. પોળનું સૌથી ઊંચું ઘર, જેમાં અમદાવાદની ગરમીને લીધે કોઈ ભાડવાત આવતા નહોતા.

રસોડું. એ અમારા ઘરનું કેન્દ્ર. બધા ત્યાં આવીને જ દિવસભરની વાત કરે. મમ્મીના હાથ એનું કામ કર્યા જ કરતા હોય અને અમારી બડબડ પણ ચાલુ. આખા દિવસની વાત અમે બધા કરીએ. હાથ-પગ ધોયા વગરની અમારી એ બેઠક ઓછામાં ઓછી અડધો કલાક તો ચાલે જ. મમ્મી કુકર ચડાવી દે પછી જરા હલચલ થાય. સાંજના જમવામાં ખીચડી, ભાખરી અને બટાકાનું કે સાંજે થઇ શકે તેવાં દૂધી, ગલકું, તુરિયું, રીંગણ, ટામેટાંમાંથી કોઈ પણ એકનું રસાવાળું શાક અને મોટો વાડકો ભરીને દૂધ. મમ્મી મહેસાણાનાં એટલે જમવાનું પાક્કું જોઈએ. ફાસફૂસ (ફાસ્ટ ફૂડ સંભળાયું?) જરા ય ના ચાલે. ફીણીને ખીચડી ખાવાની અને દૂધ સબડકા સાથે પીવાનું જ. તુવેરની દાળની આછી હળદર અને હિંગ નાખેલી ખીચડીમાં ઘી તો ખરું જ. લૂખી ખીચડી તો ખવાય જ નહિ. ભાખરી તો એની જ. મો(ય)ણ નાખવામાં જરા ય ચિંતા નહિ કરવાની. જીરુંમીઠું નાંખીને જે ઝડપથી એ લોટ બાંધીને બધાને એક પછી એક ગરમ ભાખરી આપતી જાય અને ઉપર તાવેતાથી કે ઘીની જ ચમચીથી ટોચા પડીને ઘી લગાડીને ભાખરી આપે ત્યારે એવું થઈ જાય કે, મારી મમ્મીથી સરસ રસોઈ બનાવતાં કોઈની મમ્મીને આવડતું જ નહિ હોય.

રાતે ખીચડી અને બટાકાનું થોડું શાક વધી ગયું તો? કંઇ વાંધો નહિ. વાલજી, ભાણજી, પ્રતાપ અમારી પોળના અમારા હેલ્પર. રાતનાં વાસણ રાતે જ કાઢી નાખવાનાં. (આ પોળનો શબ્દ પ્રયોગ છે. વાસણને માંજવાને બદલે કાઢી નાંખવાં એવું બોલાય.) જો એ લોકોએ ક્યાંક જમી લીધું હોય તો મમ્મી કથરોટમાં પાણી ભરીને તેમાં વાડકીમાં વધેલી વસ્તુ મૂકીને ઉપર થાળી મૂકીને પાછો ઉપર દસ્તો મૂકે. આ અમારું ફ્રીજ. સવારે બધાં  ઊઠે એ પહેલાં એ ખીચડી અને બટાકાના શાકમાં વાટેલું લસણ, લાલ મરચું, હથેળીથી મસળીને નાખેલો અજમો, થોડો બોરફૂટો તલનો ભૂકો અને મેથી, કોથમીર, મીઠો લીમડો, કે પાલક કે અન્ય જે કોઈ લીલા રંગના પાંદડા ઉમેરી શકાય હોય તે બધું જ ઉમેરીને લોટ બંધાઈ જાય. તવા ઉપર જરા આગળ પડતું તેલ મૂકીને એ લોટમાંથી બનેલી જે વસ્તુ મમ્મી અમને સવારના નાસ્તામાં આપતી એને અમે 'મુગડી' કહેતા. અમારી પ્રિય મુગડી, મુગડી નામ ક્યારે પડ્યું, કોણે પાડ્યું, કેમ પાડ્યું એ ખબર નથી પણ એની પૌષ્ટિકતા વિશે જ્યારે આજે વિચારીએ ત્યારે આજના જમાનાના 'ફાઈવ ગ્રેઇન લોટ'ની ભાખરી કે રોટલીથી એ અમારી મુગડી ક્યાં ય આગળ હતી અને છે. ખીચડી એટલે દાળ ચોખા તો આવી જ ગયા. વળી બટાકાનું કે એ દિવસે જે બન્યું હોય તે શાક, ઘઉં-બાજરીનો લોટ અને એમાંથી જે જાદુ બનતો તે દાળ-ભાત-રોટલી-શાકનું એક સંપૂર્ણ મિશ્રણ એટલે અમારી મુગડી — 'ધ મુગડી'.

અજમો અને લસણ તો એનું કામ કરે જ. મુગડીની સુગંધ સવાર સવારમાં આજુબાજુના ઘરમાં ગરબડ ઊભી કરી દેતી. પોળનાં ઘર બધાં અડી અડીને હોય. મારાં ભાઈ-બહેનને બારીમાંથી રમવા માટે પાડોશીઓ લઈ લેતાં. એ કાચાપોચાનું કામ નહિ. પાડોશીને બારીમાંથી અને એ પણ ત્રીજા માળની બારીમાંથી પોતાનું બાળક રમવા આપવાની કલ્પના તો કરો. એ જ બારી ખખડાવીને મારી બહેનપણીઓ અને તેમનાં મમ્મીપપ્પા માટે ચાર-પાંચ 'મુગડી' મમ્મીએ મોકલી જ દેવી પડે. દર વખતે એક પ્રશ્ન પૂછાતો, ‘દેવીબે'ન, (મમ્મીનું નામ દેવયાની છે) તમે એવું તે શું નાંખો છો? આ હુંયે તમારા જેવી રીતે જ બનાવું છું, પણ આવી બનતી નથી.' એ વખતનું મમ્મીના મોં પરનું મરક-મરક (વિજયી સ્મિત) અમારી મૂડી છે. આજની તારીખમાં પણ એ સ્મિતમાં એનો પરમ સંતોષ જોઈ શકાય છે.

મુગડીની સામગ્રીનું રહસ્ય પછી તો મારા પપ્પાને પણ ખબર પડી ગયું હતું, પણ એમને એમાં વાંધો નહોતો, બલકે ગમ્યું'તું, કેમ કે 'દેવા'(પપ્પા મમ્મીને છેવટ સુધી એ જ નામે બોલાવતા હતા) ઘરનું બજેટ બરોબર સંભાળતી હતી.

કશું જ બગાડવા નહિ દેવું અને જે હોય તેમાંથી જાદુ ઊભો કરવો – જલસો કરવો એ એના જ હાથની વાત. 'રૂંવે રૂંવે જીવ રાખવો' એ એનો તકિયાકલામ. અવિધિસર રીતે મમ્મીએ અમને બધી બહેનો અને ભાભીઓને, મારી બહેનપણીઓને અને અમારી પોળની મારાથી મોટી છોકરીઓને ઘણું શીખવ્યું છે. કેટકેટલી વાનગીઓ અને 'રીપેર થયેલી' કે ગઈ કાલની વસ્તુ નવા અવતારે કેવી રીતે આવી શકે, તેનો તો એ હરતો ફરતો વિશ્વકોષ જ જોઈ લો. 

******

મમ્મીએ મારામાં જે રોપ્યું એ ઊગ્યું, ટક્યું અને વિસ્તર્યું અમારાં આઈ પાસે. મારા સાસરે. અમારા કુટુંબમાં આઈ-દાદા મારાં સાસુ-સસરા, ત્રણ જેઠ-જેઠાણી એક નણંદ-નણદોઈ અને બાળકોનું મોટું કુટુંબ. ગુજરાતમાં અને તેમાં ય અમદાવાદમાં ઘર. મધ્ય પ્રદેશમાં દેવાસ, ઇન્દોર, ઉજ્જૈન, ખરગોન, ઝાંસી, મહારાષ્ટ્રમાં મુંબઈ, પુના અને ગુજરાતમાં વડોદરા, ભરૂચથી અવરજવર ચાલુ જ રહેતી હોય. દાદાનું એમના કુટુંબમાં ખૂબ માન. માંદા-સાજાની સેવા માટે પણ અમારું જ ઘર. અમારાં આઈ ૧૮ વર્ષની ઉંમરે લગ્ન કરીને અમદાવાદ આવ્યાં. દાદા સરકારી નોકરીમાં. ગુજરાતભરમાં બદલીઓ પછી છેલ્લે અમદાવાદમાં પાછા આવ્યા. વડીલોની સેવા માટે, શિક્ષણ માટે કહો કે હવાફેર માટે, અમારું ઘર સૌના સ્વાગત માટે તત્પર. અપ્પા એટલે અમારા દાદાના બાપુજી. તેમની માંદગી સૌથી લાંબી ચાલી. એ દરમ્યાન ઘરે મહેમાનોની ઘણી અવરજવર રહેતી. આવા દિવસોમાં એક પગારમાં આઈ કઈ રીતે ઘર ચલાવતાં અને કઈ રીતે સદાય સૌનું સ્વાગત કરતાં એની અનેક વાતો અને આગવી રીતો અમે જાણી છે. દરેકના જમવાની, કોને શું ભાવે છે તેની અને કોને શાની ચરી પાળવાની છે તેની વાતો આઈને કાયમ યાદ રહે ને એ પ્રમાણે મહેમાનોનું સ્વાગત થાય. જમવાની અને તેમના સ્વાગતની ચિંતા આઇની. બાકીની ચિંતા દાદાની. આવેલી વ્યક્તિ માંદી ના પડે એ પણ ધ્યાન રાખવાનું. જમવામાં સાદું પણ સાત્વિક ભોજન હોવું જરૂરી. આટલા બધા લોકો જમવાના હોય અને એ પણ રોજેરોજ એટલે રોટલીનો અંદાજ સહેજ આગળપાછળ તો થઇ જ જાય.

કેટલીયે વાર એવું થાય કે રાતે રોટલી વધી પડે. વધેલી રોટલીને સવારે વઘારીને ખાવામાં લઈ લેવાની આપણા ગુજરાતીઓમાં ટેવ ખરી. પણ અહીં શું કરતા હશે એનું મને કૌતુક. એક દિવસ સવારના પહોરમાં અમારાં આઈએ વીળી (એ એક પ્રકારનો શાક સમારવાનો સુડો) લઈને કાંદા, ગાજર, કોબી અને લીલાં મરચાં સમારવાનું શરુ કર્યું. અમે તો જોતાં જ રહ્યાં. ખબર નહિ શું બનાવવાના છે. 'સ્વયંપાક ઘર' (મરાઠીમાં) એટલે રસોડું. એમાં અનેક વિસ્મય. ક્યારે ક્યાંથી, કોણ શું બનાવીને આપણને ખવડાવે ખબર જ ના પડે. આપણી હાલત અડૂકિયા દડુકિયા જેવી. સૌથી નાનાં. બધામાં હોઈએ ખરા પણ દૂધપાકની જેમ રે'વાનું. બધું જોવાનું અને શીખવાનું.

આઈએ બતાવેલી વિધી મુજબ રોટલીને હાથેથી મસળીને (મિક્સરમાં નહીં જ) બારીક ભૂકો કરી લેવાનો, તેમાં  ડુંગળી, ગાજર, કોબી, લીલાં મરચાં, હાથવગાં હોય તો એક બે ટામેટાં, જરૂર જેટલું મીઠું અને ખાંડ ઉમેરી દેવાનાં (વર્ષોથી ગુજરાતમાં રહેવાને લીધે બધી રસોઈમાં હવે ચપટી/ચપટા ભરીને ખાંડ નાંખવાની ટેવ આમારા ઘરમાં સ્થાયી થઈ ગઈ છે.) આ બધું જ (હલકે હાથે) કઢાઈમાં ભેગું કરીને તેને થોડું દાબીને ઢાંકી દેવાનું. અને છેલ્લે તેની ઉપર વિશેષ પ્રકારનો વઘાર તો ખરો જ. આ વઘારમાં ઝીણી રાઈ અગત્યની. વઘારિયામાં જરા આગળ પડતું તેલ મુકવાનું. (આ વાત મને બંને ઘરે શીખવા મળી. 'જેમાં જે જોઈએ તે જોઈએ જ’. બાકી મરાઠીમાં 'કાટકસર' અને ગુજરાતીમાં 'કરકસર'ના બીજા અનેક રસ્તા છે.)

ઝીણી રાઈ તો આમે ય નાજુક, જરાક તેલ ગરમ થવા માંડે કે તતડી જાય અને ઉડવા માંડે. આવું થાય એ અગાઉ જ શીંગદાણા (મરાઠી રસોઈમાં શીંગદાણા અને નાળિયેર વગર ન ચાલે) તૈયાર રાખ્યા હોય તેને વઘારમાં જ નાંખી દેવાનાં. પછી વારો આવે મીઠા લીમડાનો. મીઠો લીમડો ભાવતો હોય તો એને પણ કાતરથી ઝીણો સમારીને વઘારમાં જ નાંખી દઈએ તો અદ્દભુત પરિણામ આપે છે. વઘારમાં હિંગ ખરી પણ હળદર નહીં.

રોટલીનો આછો બદામી રંગ, તેની સાથે પેલાં લાલ ટામેટાં, વચ્ચે વચ્ચે ડોકિયું કરતાં ઝીણાં સમારેલાં લીલાં મરચાં, મીઠું નાંખવાને લીધે પાણી છોડીને કુણી પડી ગયેલી આછા ગુલાઈ રંગની ડુંગળી અને સુતરફેણી જેમ દેખાતી આછા લીલા રંગની કોબી. (આઈનો વર્ષોથી શાકભાજી સમારવાની સ્પર્ધામાં અવ્વલ નંબર રહ્યો છે, ‘સ્ટીલ અનબીટન’. કલ્પના કરો કે કેટલી લાંબી અને નાજુક સમારતા હશે કે સુતરફેણી જેવી દેખાય.) હવે આ તમામ રંગોથી જ એ વાનગી એટલી સુંદર દેખાય કે વહેલી તકે ખાવાનું મન થઈ જાય. પણ ના. એમ તરત ન ખવાય. વઘાર રેડીને ફરીથી એને હલકે હાથે/ચમચી વડે ભેગું કરવાનું અને ઘડીક વાર દાબી રાખવાનું. હળદર નહીં નાખવાનું કારણ દરેક શાકભાજીના મૂળ રંગોથી વાનગીની સુંદરતા જળવાઈ રહે તે જોવાનું. આઈ હંમેશાં કહે છે, “જે બનાવ્યું હોય તેની સુગંધ અને દેખાવથી જ ખાવાનું મન થઈ જવું જોઈએ. બધાંને ખાવા બોલાવવાં પડે એ શું કામનું?’

આ અમારું ‘શીપોકુ’. મરાઠીમાં રાતની રોટલીને ‘શીળીપોળી’ કહેવાય. રોટલીના ચુરાને ‘કુસકરા’ કહેવાય, એટલે આ અમારી ‘કોલ્ડ ફેવરીટ’ વાનગી. રાતની રોટલીને કઢાઈમાં વઘાર્યા વગર તેની ઉપર માત્ર વઘાર રેડીને બનાવવામાં આવેલી વાનગી એટલે જ શીપોકુ, થંડા કુસકરા, કચ્ચા કુસકરા. જે અમારો સૌનો પ્રિય નાસ્તો.

મરાઠી રસોઈમાં બનાવવાને જેટલું મહત્ત્વ છે તેથીયે વધારે પીરસવાનું છે. શીપોકુ નાસ્તાની પ્લેટમાં આપ્યા પછી તેની ઉપર ખમણેલું નાળિયેર અને ઝીણી સમારેલી કોથમીર તો ખરી જ. સ્ટોર રૂમમાંથી સેવ લઈને બેસવાની છૂટ. લીંબુ પણ જોઈએ તો જાતે જ લઈ લેવાનું. પણ મોટા ભાગે કોઈને જરૂર પડે નહીં. કેટલીયે વાર એવું બન્યું છે કે અમે શીપોકુ માટે થઈને રોટલીઓ વધારે બનાવીને રાખી હોય. બધાંને બધી વસ્તુ મળવી જોઈએ એ વાતની આઈ ચોક્કસ કાળજી રાખે જ. ને એટલે જે ઘરમાં હાજર ન હોય તેના માટે વાડકીમાં ઢાંકીને રાખી મુકવાનું જ. ને ઢાંકી મુકેલું તો ઓર મસ્ત લાગે. વારે વારે રસોડામાં જઈને એ ઢાંકી મુકેલું જોઈ આવવાનો આનંદ કેવી રીતે કહું?

આવી અનેક વાનગીઓ એટલે મને, હર્ણે કુટુંબની વહુ-દીકરીઓ અને હવે તો પૌત્રો-પૌત્રવધૂઓ અને પૌત્રીઓના બહોળા પરિવારને આઈએ આપેલો મૂલ્યવાન વારસો.

વિશેષ સૂચના: આ વાંચ્યા બાદ ગમે તેટલી ઉતાવળ ચડે તો પણ શીપોકું બનાવવા માટે તાજી રોટલી વાપરવી નહીં. તેનાથી ધાર્યું પરિણામ મળશે નહીં. અને બાકીની બાબતોમાં 'શરતો લાગુ’.

નોંધ : શબ્દકોશમાં ‘મુગડી’ માટે ‘મુગણી’ શબ્દ છે, પરંતુ આ લેખ પૂરતો લેખિકાએ પરિવારમાં બોલચાલમાં પ્રચલિત શબ્દ ‘મુગડી’ રાખ્યો છે.

લેખિકા ગુજરાતી-મરાઠી પાકશાસ્ત્રમાં પ્રવીણ અને ગુજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વનાં અધ્યાપિકા છે.

e.mail : punita68@gmail.com

સૌજન્ય : “સાર્થક જલસો” – 09 : પૃ. 54-57

Loading

મંત્રકવિતાના વધૈયા નિરંજન ભગત

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|3 February 2018

વાત જો યંત્રની અને મંત્રની છે તો એના સમાધાન સારુ, કવિએ તંત્રનું યે ચિંતવન કરેલું છે

શુક્રવારે સવારે પરિષદભવનના ગોમાત્રિ સ્મૃિતખંડમાં રવીન્દ્ર સંગીતની સાખે સૌ કવિ નિરંજન ભગતનાં અંતિમ દર્શન કરી રહ્યા હતા ત્યારે એકથી વધુ વાર આવર્તન પામેલી રચના ‘સન્મુખે શાંતિ પારાવાર’ હતી. સહજ ક્રમપ્રાપ્ત મૃત્યુમાં પરમ સખા જોતી સ્કૂલની રીતે ‘શાંતિ પારાવાર’ની આ ગુંજ અને અનુગુંજનું એક પોતીકું લૉજિક પણ હતું. પણ ‘સન્મુખે શાંતિ પારાવાર’ની આ અનુગુંજ ક્ષણોમાં રહી રહીને થઈ આવતું સ્મરણ રવીન્દ્રનાથનાં ‘પ્રાન્તિક’ કાવ્યોનું હતું.

રવીન્દ્રનાથ લય પામ્યા તો જરી મોડેથી, પણ 1937માં એ પંચોતેરેકના હશે ત્યારે એક સાંજે વાત કરતાં અચાનક બેભાન થઈ ગયા અને ખાસા બે દિવસે ભાનમાં આવ્યા હતા. મૃત્યુનો આ અનુભવ લઈને પાછા ફરેલા કવિએ તે અનુભવનાં જે કાવ્યો આપ્યાં તે ‘પ્રાન્તિક.’ રવીન્દ્રનાથે આ અનુભવયાત્રાની પરિણતિરૂપે પોતે નવજીવન પ્રાપ્ત કર્યું હોવાનું પણ કહ્યું છે.

જો કે, નિરંજન ભગતને વિદાય વંદના પાઠવતે પાઠવતે ‘પ્રાન્તિક’ કાવ્યો સાંભરી આવતાં હોય તો એનું એક કારણ નિરંજન જેમના અનુજવત હતા તે ઉમાશંકર જોશીએ ‘પ્રાન્તિક’ના વિવરણરૂપે કરેલી માંડણી છે: ‘…અંતિમ ક્ષણે પરિપક્વરૂપે કવિની વાણી ‘વગર અવાજે’ અનંતની પૂજાની છાબમાં ભલે ખરી પડશે, પણ તે પૂર્વે મૃત્યુ લગોલગના પ્રાન્તિક પ્રદેશથી પાછા ફરેલા કવિને આસુરી બળો સામે તૈયાર થતાં સૌને બારણે બારણે હાક મારતા જવું એવો સ્વધર્મ સમજાય છે, જેથી તેઓ સૌ ઉદ્યુક્ત રહે, સાવધ રહે, પીઠબળ અનુભવે, ખપી ખૂટવામાં પાછી પાની ન કરે, વિજયી નીવડીને રહે. જીવન છે ત્યાં સુધી, શ્વાસ ચાલે છે ત્યાં સુધી, સત-અસત્્ના સંઘર્ષમાં સક્રિયપણે સંડોવવાનું રહે છે જ એ પ્રતીતિ આગળ ‘પ્રાન્તિક’ અટકે છે.’

આપણા અા કવિ-અધ્યાપક માંડ તેવીસેકના હશે અને ‘છંદોલય’ (1949) લઈને આવ્યા, અને વળતે વરસે ‘કિન્નરી’ (1950). પણ એમનો જે વિશેષ પ્રગટ્યો એ તો 1946થી 1956ના ગાળામાં થયેલી ‘પ્રવાલદ્વીપ’ રચનાઓથી: મહાનગર મુંબઈ આસપાસ બની આવેલી આ કવિતાઓ ‘હાલો ને ગામડે જાંઈ’ એવા ત્રીસીનાં વર્ષોના મુગ્ધ ભાવનાવાદથી મુક્ત નગરચેતનાની હતી.

‘છંદોલય’ અને ‘કિન્નરી’થી ઉફરાટે ‘પ્રવાલદ્વીપ’ને ‘અલ્પવિરામ’, નગરચેતનાને કારણે નિ:શંક એક ‘બ્રેક થ્રૂ’ હતો. કવિની પોતાની દૃષ્ટિએ તે સમજવા કોશિશ કરીએ તો વીસમી સદીના ત્રીજા દાયકાનું અમદાવાદ એક પા ધુમાડો ઓકતી મિલો અને બીજા પા શુભ્ર સૂતરના તારની ઔદ્યોગિક સભ્યતા. આ તાર ગાંધીચરખે કંતાતો આવતો હતો એ નોંધીએ તો મિલો જેનું પ્રતિનિધિત્વ કરતી હતી એ યંત્ર અને રેંટિયાની પૂંઠે રહેલ મંત્ર બેઉની યંત્ર સહોપસ્થિતિ પણ તરત સમજાશે. વાત જો યંત્રની અને મંત્રની છે તો એના સમાધાન સારુ, કવિએ તંત્રનુંયે ચિંતવન કરેલું છે. આ તંત્ર તે એના ઉત્તમ રૂપે શું એનો જો કોઈ એક સૂત્રરૂપ જવાબ નિરંજન ભગતે આપવાનો હોય તો સંભવ છે કે નગર એ એક જ શબ્દ ઉચ્ચારતે ઉચ્ચારતે એમનું મોં ભરાઈ જાય.

નગર કહેતાં એમને અભિપ્રેત અને અભીષ્ટ એક એવું સંઘજીવન છે જેમાં વ્યવસ્થા છે. નગર એટલે એક જ શબ્દમાં કહેવું હોય તો ઑર્ડર. સહજ કૌતુકવશ વેબ્સ્ટરનો કોશ ખોલીને જોઉં છું તો આ ઑર્ડર એ એક કેટકેટલી અર્થચ્છાયાઓ સંભરેલી છે – એરેન્જ, માર્શલ, ઑર્ગેનાઇઝ, સિસ્ટમેટાઇઝ, મેથોડાઇઝ. બીજા શબ્દોમાં પ્રત્યેક વ્યક્તિ અને વસ્તુ માત્ર એના યોગ્ય સ્થાને પરસ્પરના સમ્યક્ સંબંધપૂર્વક હોય એવી જે સુશ્લિષ્ટ રચના કે આયોજના તે નગર.

એમની પહેલી પચીસીની એક મુગ્ધ રચનામાં ‘વ્રજ વિણ રે સૌ અડવું!’ એવી દયારામ પરંપરાની પંક્તિ ઊતરી આવી છે. પણ દેખીતી મુગ્ધતામાં કંઈક વયસ્કતાનો સંચાર છે, અને દયારામથી અંતર પણ છે. કારણ, દયારામનું વ્રજ કહેતાં જે નિસર્ગ છે, ફ્લોરા ને ફોના છે, એનું જે ઉબડખાબડ સૌંદર્ય છે, એ નિરંજનનું નથી. નિરંજન વૈષ્ણવ નથી. નાગર છે, નગરમાં રહે છે તેથી અને નગર કેવું હોવું જોઈએ એની એક સમજ છે એથી પણ.

1975માં પચાસ વરસની પરિણત વયે નિરંજન ભગતેરણજિતરામ સુવર્ણચંદ્રકના સ્વીકાર નિમિત્તે ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’એ વ્યાખ્યાનમાં વર્તમાનની ભોંયે ઊભી વિગતને સિંહનજરનો લાભ આપી અનાગતની ચર્ચાનાં ઇંગિત કીધાં છે – આર્ત અને આર્ષ. વિજ્ઞાનના નવા નવા આવિષ્કારો વેળાનો આરંભકાળનો મુગ્ધ આશાવાદ કે ભાવનાવાદ તો પછીના અનુભવે શક્ય નથી રહ્યો. યંત્ર-ઔદ્યોગિક સભ્યતાએ ભયાવહ એવા વાસ્તવ સાથે આપણને મુખોમુખ કરેલા છે. ભયાવહ વાસ્તવના સ્વીકાર પડકારમાંથી પસાર થઈ નીજનું શોધન પામેલી જે નવી કવિતા આવશે એને એ મંત્રકવિતા કહે છે.

જે દિવસે મંત્રકવિતા અવતરશે, નવા નગરના વાસ્તુપૂજનની એ ઇતિહાસક્ષણ હશે. હમણાં કહ્યું, આપણો કવિ વૈષ્ણવ નથી. અને છતાં વૈષ્ણવ પરંપરાની એક સંજ્ઞાએ એમને ઓળખાવવા હોય તો એ વધૈયા છે. અવતાર આગમચ જે ભોંય તૈયાર કરે એને અંશાવતાર અગર વધૈયા કહેવાનો ચાલ છે. મંત્રકવિતાના વધૈયાને નાતે એ આપણી વચ્ચે ઉમાશંકર પછી કદાચ એકના એક હતા. એલ.ડી., લૉ આર્ટ્સ, બી.ડી., ઝેવિયર્સ કૉલેજમાં વિધિસરના અધ્યાપન નિમિત્તે કે ટાઉનહૉલ-હેવમોર અગર તો સફાયર હાઉસ કે પછી પરિષદની મંગળવારીમાં, બધે બધો વખત કવિને કવિતાને મિષે સિવિલાઇઝેશનલ ફલક પર સ્વાધ્યાયપ્રત હૃદયવાર્તા માંડતા નિરંજન અમર્ત્ય સેનના ‘આર્ગ્યુમેન્ટેટિવ ઇન્ડિયન’ અને ભીખુ પારેખના ‘ડિબેટિંગ ઇન્ડિયા’ વચ્ચે ક્યાંક ઊભીને આ હંમેશ કરતા રહ્યા.

આ કામગીરીનો હક્ક એમણે, ઉમાશંકરની જેમ જાહેરજીવનના કવિ નહીં તોપણ ચર્ચામાં સ્ટેન્ડ લઈ અદા કર્યો. નેવું નાબાદ જિંદગાનીમાં એમને પાછલાં વર્ષોમાં ‘પ્રાન્તિક’ ક્ષણો બેલાશક આવી મળી હશે. સંઘર્ષ અને પસંદગી બેઉની અદાયગી કરી શકે એવા એ નાગર હતા, નાગરિક હતા: 28મી જાન્યુઆરીને રવિવારની એ બેઠક, સ્વાયત્તતા મુદ્દે એમની સામેલગીરી જોતાં આવી જ એક ક્ષણ હશે? એક વાર સભ્યતા આ ક્ષણની સાંકડી ગલીમાંથી પસાર થઈ જાણે તો સન્મુખે શાંતિ પારાવાર …

પુનરુક્તિ દોષ અને પુનરાવર્તન લાગે કદાચ, પણ સદ્-અસદ્ વિવેક અને મૂલ્યાત્મક સંઘર્ષ પસંદગી એ એવું વાનું છે જેના વિના અક્ષરસેવીઓ નવી ને ન્યાયી દુનિયા અને અહીં જે આ જ દુનિયા, એને અંગે શેક્યો પાપડ પણ ભાંગી શકવાના નથી. પશ્ચિમની પરંપરામાં યથાપ્રસંગ સ્ટૅન્ડ લઈ શકતો બૌદ્ધિક ક્યાં છે આપણે ત્યાં. નિરંજન ભગતની કથિત કાવ્યચર્ચા સભ્યતા અને સંસ્કૃિતના વ્યાપક ફલક પરના સ્ટૅન્ડની દૃષ્ટિએ આબોહવા સરજતી રહી, અને એ સ્તો એમનો વિશેષ હતો – ને નિ:શેષ પણ.

Loading

ગાંધીજીની હત્યા એ ગાંધીજીની વિરાટતા અને વિચાર સામેના પરાજયનું પરિણામ છે

રમેશ ઓઝા|Gandhiana|3 February 2018

ભારતમાં ગાંધીજીની હત્યાના પ્રત્યેક પ્રયાસમાં મહારાષ્ટ્રના અને એ પણ પુણેના બ્રાહ્મણોનો હાથ હતો એની પાછળ કેટલાંક કારણ હતાં. એ કારણ આ રહ્યાં …

૧. ૧૮૧૮માં અંગ્રેજોએ પેશવાઓના રાજને ખતમ કર્યું એ સાથે બ્રાહ્મણોની બ્રાહ્મણશાહીનો અંત આવ્યો હતો. પુણેના સનાતની માનસિકતા ધરાવનારા ચિત્પાવન બ્રાહ્મણો પોતાને સ્વાભાવિક શાસક સમજતા હતા. એની જગ્યાએ તેમના શાસનનો અંત આવ્યો અને તેઓ રૈયત બની ગયા એનું તેમને પેટમાં દુખતું હતું. બીજી બાજુ અંગ્રેજોએ લશ્કરમાં દલિતોની અને અન્ય સરકારી સેવાઓમાં બહુજન સમાજની ભરતી કરવા માંડી હતી. આને કારણે બહુજન સમાજનો ઉદય થવા લાગ્યો હતો. તેમની અસૂયાની શરૂઆત અહીંથી થઈ હતી.

૨. ૧૮૩૩માં રાજા રામમોહન રૉયનું અવસાન થયું એના છ વરસ પહેલાં મહારાષ્ટ્રમાં મહાત્મા જ્યોતિબા ફુલેનો જન્મ થઈ ચૂક્યો હતો. માનવતા, ન્યાય અને સમાનતા આધારિત સમાજરચનાનું જે ચિંતન રાજા રામમોહન રૉયે કર્યું હતું એને જ્યોતિબા ફુલેએ વધારે સ્ફુટ કર્યું હતું અને એને આંદોલનનું સ્વરૂપ આપ્યું હતું. માનવીય ગૌરવ અને સામાજિક સમાનતા એ માત્ર મૂલ્ય નથી, અધિકાર છે એ ફુલેએ શીખવાડ્યું. જ્યોતિબા ફુલેએ બ્રાહ્મણ અને બ્રાહ્મણશાહી સામે બરાબર ૧૮૦ ડિગ્રીનો ધ્રુવ વિકસાવ્યો હતો. એટલે તો જ્યોતિબા ફુલેને મહાત્મા તરીકે ઓળખાવવામાં આવે છે જેની સામે મહારાષ્ટ્રના બ્રાહ્મણોને વાંધો હતો અને છે. આમ જ્યોતિબા ફુલેએ બ્રાહ્મણોની અસૂયામાં વધારો કર્યો હતો.

૩. ૧૮૯૦માં જ્યોતિબા ફુલેનું અવસાન થયું ત્યાં સુધીમાં મહારાષ્ટ્રમાં બહુજન સમાજમાં જાગૃતિ આવી ગઈ હતી અને એ પછીના દાયકા-બે દાયકામાં બહુજન સમાજની ઉચ્ચ શિક્ષિત પેઢી અસ્તિત્વમાં આવી ગઈ હતી. તેમણે બ્રાહ્મણેતર (નૉન બ્રાહ્મિન) આંદોલન શરૂ કર્યું હતું. હિન્દુ સમાજ અન્યાય અને અસમાનતાના પાયા પર ઊભો છે એનું કારણ બ્રાહ્મણ અને બ્રાહ્મણશાહી છે એટલે બ્રાહ્મણોની સામે બહુજન સમાજે એક થવું જોઈએ. એ સમયે દેશના સર્વોચ્ચ નેતા ગણાતા લોકમાન્ય ટિળક સામે મહારાષ્ટ્રના બહુજન સમાજે મોરચો ખોલ્યો હતો અને તેમનું આંદોલન એટલું શક્તિશાળી હતું કે મહારાષ્ટ્રમાં લોકઆંદોલન છેડવામાં તેમણે ટિળકને વારંવાર નિષ્ફળતા અપાવી હતી. પહેલાં સામાજિક સમાનતા વિશે ભૂમિકા સ્પષ્ટ કરો પછી બીજી વાત. લોકમાન્ય ટિળક રાષ્ટ્રીય નેતા હોવા છતાં મહારાષ્ટ્રમાં ટિળક સ્વયં અને બ્રાહ્મણો વધારે ઘેરાયા હતા.

૪. ૧૯૧૫માં ગાંધીજી ભારતમાં આવ્યા ત્યાં સુધી રાષ્ટ્રીય રાજકારણનું નેતૃત્વ મહારાષ્ટ્ર પાસે હતું અને એ પણ પુણેના ચિત્પાવન બ્રાહ્મણો પાસે હતું. પછી તેઓ જહાલ હોય કે મવાળ. ૧૯૧૫માં ગોપાલ કૃષ્ણ ગોખલેનું અવસાન થયું અને ટિળકની હયાતીમાં જ ગાંધીજી કૉન્ગ્રેસના સર્વોચ્ચ નેતા તરીકે સ્થાપિત થઈ ગયા. લોકમાન્ય ટિળકને આની સામે જરાય વાંધો નહોતો, ઊલટું પોતાની વય અને શારીરિક અવસ્થા જોતાં તેમણે પોતાના અનુયાયીઓને ગાંધીજીને અનુસરવા કહ્યું હતું, પરંતુ સનાતની હિન્દુ બ્રાહ્મણોને ગાંધીજી સ્વીકાર્ય નહોતા બન્યા. એક ગુજરાતી વૈશ્ય મહારાષ્ટ્રના ચિત્પાવન બ્રાહ્મણોનું વર્ચસ્વ છીનવી લે એ તેમનાથી સહન નહોતું થતું. આ ઉપરાંત રાષ્ટ્રીય રાજકારણનું કેન્દ્ર પુણેની જગ્યાએ અમદાવાદ થઈ ગયું હતું. મહારાષ્ટ્રના બ્રાહ્મણોની અસૂયાને પ્રગટ કરતું પુષ્કળ સાહિત્ય ઉપલબ્ધ છે. ઓછામાં ઓછા દસ લેખોની શ્રેણી થઈ શકે એટલી બ્રાહ્મણોએ કરેલી ગાંધીનિંદા ઉપલબ્ધ છે. જો એક સ્થળે આ બધું સાહિત્ય પ્રમાણો સાથે જોવું હોય તો સદાનંદ મોરેનું મરાઠી પુસ્તક ‘લોકમાન્ય તે મહાત્મા’ વાંચવાની હું ભલામણ કરું છું. બે ખંડમાં લગભગ હજાર (યસ હજાર પાનાંમાં) પાનાંમાં તેમણે મહારાષ્ટ્રના બ્રાહ્મણોની ગાંધીજી સામેની અસૂયાની વિગતો આપી છે.

૫. ભારતમાં ગાંધીજી આવ્યા અને ભારતના ઇતિહાસમાં પહેલી વાર કોઈ સવર્ણે બહુજન સમાજ, દલિતો અને સ્ત્રીઓ સાથે સમાનતા અને રાષ્ટ્રીય ભાગીદારીનો સેતુ બાંધ્યો. જી હા, આવું ભારતના ઇતિહાસમાં પહેલી વાર બન્યું હતું. એ સેતુ અધિકાર આધારિત સેતુ હતો, કોઈ દયા નહોતી. બહુજન સમાજના, દલિતોના અને સ્ત્રીઓના માનવીય અધિકારને બાઇજ્જત માન્ય રાખવામાં આવ્યો હતો. મહિલાઓ સાથે સેતુ બાંધવામાં ગાંધીજીને સો ટકા સફળતા મળી હતી, બહુજન સમાજ સાથે સેતુ રચવામાં ૮૦ ટકા સફળતા મળી હતી અને દલિતો સાથે સેતુ બાંધવામાં ૫૦ ટકા સફળતા મળી હતી એમ હું માનું છું. ૧૯૩૨માં ગાંધીજીએ ડૉ. આંબેડકર સાથે પુણેમાં કરાર કર્યો અને દલિતોને ૧૪૮ અનામત બેઠકો આપી એ જોઈને બ્રાહ્મણોના પેટમાં તેલ રેડાયું હતું. હવે પછી દલિતો સત્તામાં ભાગીદાર બનવાના હતા. આર્યાવર્ત માટે આનાથી વધારે ખરાબ દિવસો બીજા શું હોય શકે? એક વૈશ્યે બ્રાહ્મણદ્રોહનો ગુનો કર્યો હતો જે બ્રાહ્મણહત્યા કરતાં જરા ય ઓછો ગંભીર નહોતો. ૧૯૩૪માં ગાંધીજી પર પુણેમાં હુમલો કરવામાં આવ્યો એનું કારણ પુણે-કરાર અને દલિતોને ન્યાય આપવાની ગાંધીજીની ઝુંબેશ હતાં એમ મહારાષ્ટ્રના પરમ આદરણીય વિદ્વાન આચાર્ય જાવડેકર કહી ગયા છે. બીજા પણ અનેક લોકો છે જેમણે આવી મીમાંસા કરી છે.

૬. વિનાયક દામોદર સાવરકર છેક બાળપણથી ભારતના અપૂર્વ નેતા બનવાનાં અરમાનો ધરાવતાં હતાં. તેમની આત્મકથા વાંચો તો તેમના સ્વપ્નભંગનો ખ્યાલ આવે. તેઓ ભારતના મેઝિની (ઇટાલિયન ક્રાન્તિકારી) બનવા માગતા હતા. સશસ્ત્ર ક્રાન્તિના અધ્વયુર્‍ બનવા માગતા હતા. તેઓ બહુમતી રાષ્ટ્રવાદ(મૅજોરિટેરિયન નૅશનલિઝમ)માં માનતા હતા જે આગળ જતાં હિન્દુ રાષ્ટ્રમાં પરિણમ્યો હતો. તેમનાં અરમાનો પર ગાંધીજીએ પાણી ફેરવી દીધું હતું. સાવરકરનો પરાજય ગાંધીજીની અહિંસા સામે નહોતો, ગાંધીજીની વિરાટ પ્રતિભા સામે હતો. આ બાજુ તેમનાં નસીબ પણ ખરાબ (કે પછી સારાં. સારાં એ અર્થમાં કે ગાંધીજી સાથે સીધી અથડામણ થઈ નહીં અને બંધ મુઠ્ઠી ખૂલી નહીં.) કે અંગ્રેજોએ તેમને સજા કરી અને એ પછી નજરબંધી કરીને ૨૫ વરસ રાષ્ટ્રીય રાજકારણમાંથી બહાર ધકેલી દીધા. ગાંધીજીને કારણે અને નસીબને કારણે જે સ્વપ્નભંગ થયો હતો એનો ચચરાટ સાવરકરે આખી જિંદગી અનુભવ્યો હતો. ગાંધીજીના હત્યારાઓ, ખાસ કરીને નથુરામ ગોડસે સાવરકરનો ખાસ ચેલો હતો.

૭. સદીઓથી સામાજિક ભેદમાં માનનારા, કોમી વિભાજનનો ઇતિહાસ ધરાવનારા, પરંપરાગત માનસ ધરાવનારા, સેંકડો રિયાસતોમાં વહેંચાયેલા અને અખંડ ભારતનો કોઈ ઇતિહાસ કે અનુભવ નહીં ધરાવનારા આ દેશને ગાંધીજીએ તેમના સર્વસમાવેશક અભિગમ દ્વારા એક બનાવ્યો હતો. પરંપરાગ્રસ્ત દેશ સર્વસમાવેશક આધુનિક લોકતાંત્રિક બની શક્યો તો એનું પૂરું શ્રેય ગાંધીજીને જાય છે. સાવરકરવાદીઓને સમજાઈ ગયું હતું કે જ્યાં સુધી ગાંધી છે, ગાંધીની તપસ્વિતાની સુગંધ છે, ગાંધી પરની લોકોની શ્રદ્ધા છે ત્યાં સુધી હિન્દુ રાષ્ટ્ર સાકાર થવાનું નથી. હત્યાના વારંવારના પ્રયાસો અને બદનક્ષી આ માટે કરવામાં આવતાં હતાં.

૮. અને છેલ્લે પાકિસ્તાન. પાકિસ્તાનની માગણીને કારણે હિન્દુ અને મુસલમાન વચ્ચે અંતર વધવા લાગ્યું હતું અને એમાં હિન્દુત્વવાદીઓને તક નજરે પડવા લાગી હતી. તેમને એમ લાગવા માંડ્યું હતું કે હવે ગાંધીનો બાપ આવે તો પણ બે કોમ વચ્ચેની ખાઈ પુરાઈ શકે એમ નથી. તેમણે કોમી હુલ્લડો સળગાવીને ખાઈમાં વધારો કરવાનું શરૂ કર્યું, મુસલમાનો વિરુદ્ધ અફવા ફેલાવવાનું શરૂ કર્યું અને ગાંધીજી કેવા મુસ્લિમતરફી છે એનો પ્રચાર કરવાનું શરૂ કર્યું. અહીં પણ તેમનું નસીબ એક ડગલું આગળ હતું. ગાંધીજી જ્યાં જાય ત્યાં હિંસા શાંત થઈ જાય. લૉર્ડ માઉન્ટબેટને ગાંધીજીને એક વ્યક્તિના સૈન્ય તરીકે ઓળખાવ્યા હતા. જે લશ્કરી કુમક ન કરી શકે એ ગાંધીજી કરી શકે.

૧૯૪૫થી ૧૯૪૮નાં વર્ષોમાં મોટી તક મળવા છતાં કોમી ખાઈ વિસ્તારવામાં પણ તેમને સફળતા ન મળી. કારણ હતા ગાંધીજી. ગાંધીજીને મુસ્લિમતરફી ઠરાવીને હિન્દુની નજરમાંથી નીચા પાડવામાં પણ સફળતા ન મળી. કારણ હતું ગાંધીજીની વિરાટતા. ઓછામાં પૂરું અનિિતતા અને અરાજકતાની વચ્ચે બંધારણસભા મળવા લાગી અને ગાંધીજીની કલ્પનાના ભારતને મૂર્ત સ્વરૂપ આપવા લાગી. આમ ભારતના વિરાટ નેતા બનવાના અને ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના એમ સાવરકરનાં બન્ને સપનાં બુરી રીતે તૂટી ગયાં. એક વાક્યમાં કહેવું હોય તો ગાંધીજીની હત્યા એ ગાંધીજીની વિરાટતા અને વિચાર સામેના પરાજયનું પરિણામ છે.

તમને ખબર છે? ૧૯૪૮ની ૩૦ જાન્યુઆરીની સાંજે ગાંધીજીને ત્રણ ગોળી મારવામાં આવી એ પછી ભારત અને પાકિસ્તાનમાં હિંસાની એક પણ (જી હા, એક પણ) ઘટના નહોતી બની. બન્ને દેશની પ્રજાએ શરમ અને પશ્ચાત્તાપનો અનુભવ કર્યો હતો અને એ ભાવ પ્રજામાનસમાં એકંદરે દોઢ-બે દાયકા સુધી ટક્યો હતો. એ માણસ મરીને પણ હરાવતો ગયો. હરાવતો ગયો એટલે ત્યાં સુધી કે એકલા હાથે દિલ્હી પહોંચતા સાત દાયકા લાગ્યા.

હવે કહો હિન્દુત્વવાદીઓને ગાંધી પરવડે? પણ અંદરની અસૂયા ખુલ્લી પડી ન જાય એટલા માટે પંચાવન કરોડ. સાવ મામૂલી મુદો હતો જેની વાત આવતી કાલે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 03 ફેબ્રુઆરી 2018 

Loading

...102030...3,1773,1783,1793,180...3,1903,2003,210...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved