Opinion Magazine
Number of visits: 9581808
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નિરંજન ભગત

વિનોદ ભટ્ટ|Profile|17 February 2018

લગભગ દોઢ-બે વર્ષ અગાઉ, રાતના આઠ-નવના સુમારે તમે ટાઉન હૉલની ‘હૅવમોર’ હોટેલમાં ગયા હોત – અંદર નહિ, બહાર લૉનમાં પથરાયેલી ખુરશીઓ તરફ, તો ત્યાં એક મોટો અવાજ સતત તમારું ધ્યાન ખેંચ્યાં કરત. એ મોટા અવાજ સામે કાનથી જોતાં ઘડીભર તમે વિચારત કે  માણસ કાં તો માઈક ગળી ગયો છે કે પછી બાળપણમાં તેની માતાએ ગ્રાઇપવૉટરને બદલે ભૂલમાં માઇકવૉટર પાઈ દીધું છે. પછી તમે વેઇટરને બોલાવીને કૂતુહલથી ‘આ માણસ હંમેશાં તત્પર હોય છે. શાણા માણસો નિરંજન સાથે દલીલમાં ભાગ્યે જ ઊતરે છે, કેમ કે તેમની સાથે દલીલમાં ઊતરનાર શરૂઆતમાં ભલે તેમની સાથે સંમત ના થાય, પણ છેવટે તો નિરંજન સાથે સંમત થયે જ છૂટકો. દલીલોથી (ને ખાસ તો તેમના પેલા મોટા અવાજથી) થાકી-હારીને ય સંમત થવું જ પડે.’

મારા પ્રોફેસર હોવાનું સદ્‌ભાગ્ય જ થોડાકને સાંપડેલું એમાં ભગતસાહેબનો સમાવેશ પણ થાય છે. ભગતસાહેબ દલીલોથી ભલભલાને થકવી નાખે છે એટલું જ નહિ સામો માણસ કાચોપોચો હોય તો તેને રડાવી પણ નાંખે છે. એલ.એ. શાહ લૉ કૉલેજના આટ્‌ર્સ વિભાગમાં અમે સીનિયર બી.એ.માં ભણીએ. લાઇબ્રેરીમાં હું ને જાની ઊભેલા. ભગતસાહેબ પણ ત્યાં હતા. લાઇબ્રેરિયનને તે લાઈબ્રેરી એટલે શું એ વિષય પર ભાષણ આપતા હતા. મારી બાજુની ખુરશીમાં બેઠેલા એક નવા જ ભરતી થયેલા વિદ્યાર્થી સિન્ધુસાગરે મને ધીમેથી પૂછ્યું : ‘આ માણસ પોતાની જાત વિષે શું માને છે?’

‘ચાલ, એમને જ પૂછી લઈએ.’ મેં કહ્યું એટલે ભરપાઈ ગયેલા અવાજે તે બોલ્યો : ‘એવું તો પુછાતું હશે, એમને?’ હું જરા ગમ્મતના મૂડમાં હતો. ભગતસાહેબ પાસે જઈ મેં કહ્યું : ‘સાહેબ, પેલો સિન્ધુસાગર એમ પૂછે છે કે આ સાહેબ પોતાના વિશે શું માને છે?’

બસ, પત્યું ભગતસાહેબની દયા પર સિંધુસાગરને છોડીને અમે ક્લાસમાં ગયા. ઇકનૉમિક્સના બે પીરિયડ સાથે હતા. તે ભરીને દોઢ કલાક પછી લાઈબ્રેરીમાં આવ્યા. ભગતસાહેબે હજુ ય પેલાને છોડ્યો નહોતો. પેલો અધમૂઓ થઈ ગયો હતો – ભગતસાહેબના ભાષણની ઝીંકથી. તેની આંખમાં આંસુ તગતગી રહ્યાં’તા. ‘ભૂલ થઈ ગઈ… ભૂલ થઈ ગઈ’ એવું વચ્ચે વચ્ચે તે બબડતો’તો.

નિરંજન ધગધગતો લાવારસ છે. સમાજશિક્ષણકારો, પૉલિટિશિયનો તેમ જ સમગ્ર માનવજાત પ્રત્યે તે કાયમ ખિજવાયલા રહે છે. તેમના મત પ્રમાણે એંશી ટકા કરતાં વધારે પ્રજા જૂઠી ને લબાડ છે. સમાજ અસત્યના તળાવમાં ખદબદી રહ્યો છે. લોકો તેમને ‘સિનિક’ કહે છે એ ય તે જાણે છે. જે લોકો પર ગુસ્સો ચડે એમને તે અંગ્રેજી ગાળો ભાંડે છે. સ્કાઉન્ડ્રલ, રાસ્કલ, હીપોક્રીટ, બૅસ્ટાર્ડ, બગર્સ વગેરે તેમની પ્રિય ગાળો છે. કેટલીક વાર તો તેમનું આખું ય વાક્ય આ ગાળોથી જ ભરેલું હોય છે. એમની ગાળો ક્યારેક મને વાજબી લાગે છે (ખાસ કરીને મને ના દેવાતી હોય ત્યારે). પશ્ચિમની પ્રજામાં, ત્યાંના સર્જકોમાં નીતિમત્તાનું ધોરણ આપણા કરતાં ઘણું ઊંચું છે એવું દાંત પીસીને તે એક વાર બોલ્યા એટલે મેં પૂછ્યું : ‘એવું કેમ માનો છો?’

‘વિનોદ, અનુભવ વગર હું કોઈ પણ વાત નથી કરતો … મને એનો પૂરો અનુભવ છે.’ પછી નિરંજને મને આપણા જ એક શ્રેષ્ઠ કોટિના સર્જકનો દાખલો આપ્યો. વાત કહી. વાત કંઈક આવી હતી : નિરંજન ટાઉનહૉલની હૅવમોરમાં બેઠેલા. એમને શોધતા શોધતા પેલા નવલકથાકાર હૅવમોરમાં આવ્યા. ‘ઓહો! તમે અહીં ક્યાંથી ?’ નિરંજને પૂછ્યું.

‘તમને જ મળવા આવ્યો છું. ઘેરથી બાએ કહ્યું કે નિરંજન હૅવમોરમાં છે; એટલે પછી આપણે તો અહીં આવ્યા …’

‘સારું કર્યું … બોલો, કંઈ કામ હતું ?’ નિરંજને પૂછ્યું.

‘હા … કામ તો ખરુસ્તો !’

‘ફરમાવો.’

‘મારું એક નાટક તમારે વાંચવાનું છે.’

‘ભલે, તમારું નાટક વાંચવાનું તો ગમશે.’

‘ચોવીસ કલાકની અંદર અંદર વાંચી નાખીશ. પછી ?’

‘પછી શું ?’ કોઈ  છાપા-બાપામાં એના વિષે તમારે લખવાનું છે. એટલું જ નહિ ભૈ, એની પ્રશંસા કરવાની છે. એક ઉત્તમ નાટક તરીકે એને બિરદાવાનું છે,’  સાંભળીને નિરંજન ડઘાઈ ગયા. પણ તમ્મર ચડી જાય એવો છેલ્લો ફટકો તો હજી બાકી હતોઃ ‘આ નાટક મેં આઈ.એન.ટી.ની હરીફાઈમાં મોકલ્યું છે. એને રૂપિયા પાંચ હજારનું ઇનામ મળે એ માટે તમારે તમારા મિત્ર ભાઈ દામુ ઝવેરીને દબાણ કરવાનું છે.’

નિરંજન લગભગ બેભાન જવા થઈ ગયા. સહેજ કળ વળતાં તેમણે આ લેખકને કહ્યંું : ‘તમારું ચસ્કી તો નથી ગયું ને ?’ નિરંજન આ વાક્ય ના આટલા બોલ્યા હોત તો તેમનું જ ચસ્કી જાત!

ફેવરીટીઝમ, ઘાલમેલ, ચશમપોષી – એ બધાં તરફ નિરંજનને ભારે સૂગ છે. કીર્તિની ભૂખ, પૈસાનો મોહ, ચંદ્રકો, પરિષદની વ્યાસપીઠ, શાલદુશાલા, સાંસ્કૃિતક પ્રવાસ – આ બધી માયાથી તે સદા અળગા રહ્યા છે. આમાંનું કશું જ તેમને સ્પર્શી શક્યું નથી. સારું લખવું એ જેટલું કપરું કામ છે એટલું જ એથી ય વધુ કપરું કામ ઉપર જણાવેલી માયાથી દૂર રહેવાનું છે. આ બધાથી તે કાયમ દૂર ભાગતા રહ્યા છે. નિરંજન સાચા અર્થમાં ભગત છે. દાદાએ વારસામાં આપેલી અટક તેમણે યથાર્થ કરી છે. કદાચ એટલે જ પેલા સર્જકનો બનાવ ભગતને હલબલાવી નાખે એ સ્વાભાવિક છે. એ લોકોને પોતાના જેવા ભગત કરવા માગે છે ને લોકો એવા નથી થતા એટલે એ વધારે દુઃખી થાય છે.

અત્યારે તો એ થોડા ય બહાર નીકળે છે. કોઈ સમજાવી પટાવીને લઈ જાય ત્યારે એ બહાર જાય છે. પણ ઘણાં વર્ષ તેમણે એકાંત સેવ્યું. લખવાનું યે છોડ્યું. ઘણાં વર્ષો સુધી નહીં લખવા છતાં કવિ તરીકે એ ભુલાયા નહીં.

આ કવિ નિરંજન માટે કેટલાંક વર્ષો અગાઉ એક સમારંભ યોજવામાં આવેલો – એમની કવિતાના સંદર્ભમાં. કદાચ ‘છંદોલય’ માટે ય હોય, બરાબર યાદ નથી. હૉલ ખીચોખીચ ભરાઈ ગયેલો. પ્રેક્ષકો સમયસર આવી ગયેલા. વ્યાસપીઠ પર બેસનારા એથી ય થોડા વહેલા આવીને વ્યાસપીઠ પર ગોઠવાઈ ગયેલા. જેને અનુલક્ષીને આ કાર્યક્રમ યોજાયેલો એ નિરંજન થોડા મોડા પડ્યા, એટલે પ્રેક્ષકોએ કાઢેલાં પગરખાં પર તે બેસી ગયા કોઈનું ધ્યાન ન પડે એમ, પ્લૅટફૉર્મ પર બેઠેલા એક મહાનુભાવની નજર નિરંજન પર પડી. કોઈને રીમાન્ડ પર લેવાનો હોય એ રીતે તેમને પ્લૅટફૉર્મ પર તાણી જવાયા. થોડી વાર માઈક પરથી જાહેરાત થઈ : ‘હવે શ્રી નિરંજન ભગત પોતાની કવિતા વિષે કંઈક કહેશે.’

બસ થઈ રહ્યું, કવિનો મિજાજ બગડી ગયો! કવિએ તરત જ કહી દીધું : ‘એટલે એનો અર્થ એ જ કે મારી કવિતા કશું બોલી શકી નથી. તો પછી એ કવિતા વિષે આટલો બધો તાયફો મારવાની જરૂર જ શી હતી?’

નિરંજન સાચુકલો માણસ છે. ખોટું કશું તે સાંખી શકતો નથી. પ્રેમમાં યે નહિ, ઉમાશંકર પ્રત્યે અનન્ય પ્રેમભવ હોવા છતાં એમને ય સુણાવી દેતા આ જણ લાંબો વિચાર નથી કરતો. ઉમાશંકર તેમ જ અન્ય મિત્રો જાણે છે કે નિરંજન સાચો છે એટલે એની વાતનું માઠું યે નથી લગાડતા. રાજકારણમાં પ્રવેશ્યા પછી ઉમાશંકર અસત્યના (એટલે કે અસત્ય આચરનારાઓના) સંપર્કમાં વધુ હોવાથી સત્યને કદાચ તે નિરંજન કરતાં ય વધારે સારી રીતે સમજતા હશે; એટલે ક્યારેક તેમને વારવા કહેતા ય હશે : ‘નિરંજન સત્યનો દેખાડો ના હોય.’

જેટલો ગુસ્સો કરી શકે છે એટલો પ્રેમ પણ કરી શકે છે. નિરંજન સામેના માણસનો ખ્યાલ પણ એટલો જ કરે છે. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના ‘લ્યુકેિમયા’ની ચિંતા ય કરે છે. અનિરુદ્ધને શ્રમ ના લેવા વિનવે છે, અચ્યુત જેવા મિત્ર માટે મકાન શોધવા ય રખડે છે. ઘણા લાં…બા પ્રવાસે જતા મડિયાને વળાવવા જનાર દોસ્તોમાં તે એક જ હતાને!

નાના બાળકની જેમ વાતવાતમાં તે વંકાઈ જાય છે. નાની અમથી વાતમાં ય દાઝી ઊઠે છે; કેમ કે મન સાથે તે સમાધાન નથી કરી શકતા. બસમાં કોઈ વિદ્યાર્થી ભૂલચૂકે ય એમની ટિકિટ કઢાવવા પ્રયત્ન કરે તો તેને – તે સાથે આખી ય બસના પૅસેન્જરોને – લાંબુ ભાષણ સાંભળવું પડે છે. એક દિવસ કોઈ વિદ્યાર્થીએ ‘કામા’ (હવે ‘બીઝી બી’) હોટેલમાં નાસ્તો કરતા ભગતસાહેબનું બિલ ચૂકવવાની ચેષ્ટા કરી. ભગતસાહેબે ખિજાઈને કાઉન્ટર પર બેઠેલા મૅનેજરને ધમકી આપી : ‘જો એની પાસેથી મારા બિલના પૈસા લેશો તો આ ડિશ તમારા પર છુટ્ટી ફેંકીશ!’

નિરંજનને પચાસ વરસ પૂરાં થવા આવ્યાં છતાં એમનાં બાને નાના બાળકની જેમ એમની કાળજી લેવી પડે છે. બધું યાદ રાખવું પડે છે ને છતાં કશું યાદ અપાવવા જતાં નિરંજન છેડાઈ પડે છે. એક વખત તેમની સાથે મેં નક્કી કરેલું કે રવિવારે સવારે દસથી સાડા દસની વચ્ચે મારે એમને ત્યાં જવું. ત્યાંથી અમારે સાથે હૅવમોર પર જવાનું હતું. નિરંજને બાને કહી રાખેલું કે રવિવારે સવારે લગભગ સવા દસે એમને ત્યાં હું પહોંચી ગયો. ત્યાં મોહનભાઈ પટેલ (વિદ્યાપીઠ ફેઇમ) બેઠેલા. અંગ્રેજી પાંચમાથી કે આઠમાથી એના પર ચર્ચા ચાલતી’તી. ભગત તેમના ઓરિજિનલ લહેજામાં બૂમો પાડતા’તા. રસોડામાંથી બાએ ડોકું બહાર કાઢતાં નિરંજનને વારતાં કહ્યું : ‘તું અહીં બેઠો બેઠો વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરે એમાં કંઈ ના વળે. એ તો વાલીઓ દંડો લઈને શિક્ષણકારોની પાછળ પડે તો જ કંઈ થાય … સાડા દસે તારે વિનોદ સાથે ટાઉનહૉલ જવાનું છે એ યાદ છે ને?’ નિરંજને એ ક્ષણે એક અણગમતો શ્વાસ છોડ્યો. થોડી વારે મોહનભાઈ ગયા પછી નિરંજન બા પર ગુસ્સે થઈ ગયા :

‘આમ કેમ કર્યું, તમે?’… મહેમાનની હાજરીમાં ટાઉનહૉલ જવાનું કેમ યાદ કરાવ્યું? મહેમાનને માઠું ના લાગે?’ બા જેટલા નીચા જવાબ આપે એટલા ઊંચા અવાજે નિરંજન પ્રશ્નો મૂક્યા કરે. ખીજમાં નિરંજન શાક લેવા માટેની થેલી લીધા વગર જ બહાર નીકળવા માંડ્યાં. શાકવાળાઓમાં, પૈસા લીધા વગર શાક નહીં આપવાનો દૃષ્ટ રિવાજ હોય છે એ બા જાણે, એટલે તેમણે રૂપિયા પાંચની નોટ નિરંજનના હાથમાં મૂકી; જે લઈને બાને ‘જાઉં છું’ યે કહ્યા વગર તેમણે મારી સાથે ચાલવા માંડ્યું.

અમે શાકવાળાની દુકાને ગયા. ગુસ્સામાં ને ગુસ્સામાં, કયું શાક લાવવાનું છે એ બાને પૂછવાનું જ તે ભૂલી ગયેલા. ભીંડા પર આંગળી મૂકતાં તેમણે શાકવાળાને કહ્યું : ‘આ ભીંડા આપો’ … પછી હાથ પરવળના ટોપલા પર મૂક્યો; પણ પરવળ નામ (નહીં આવડતું હોય એમ તો ના કહેવાય) મોઢે ચડે નહીં. મેં મદદ કરી (પરણેલા માણસને આવું બધું ઝટ યાદ આવી જતું હોય છે). શાકવાળાને તેમણે કહ્યું : ‘આ બે શાક આપો.’

‘કેટલાં? પેલાએ પૂછ્યું.’

‘ગયે વખતે કેટલાં આપેલા?’

‘યાદ નથી …’

‘હું એકલો જ છું … એકલા માણસને કટલાં જોઈએ?’

‘બસો ગ્રામ ચાલે …’

‘બસ, એટલાં જ આપો.’

તેમનું ‘હું એકલો જ છું’ વાક્ય મને સ્પર્શી ગયું. લગ્નની વાત નીકળી. નિરંજન કહે : ‘કુંવારાઓ અંગ્રજીમાં ‘ગેબૅચલર’ કહેવાય છે.’

‘તમને શું લાગે છે?- કુંવારા રહેવું સારું કે પરણેલો?’

‘આમ તો બંને …’ નિરંજન બોલ્યા : ‘પણ કુંવારા રહેવામાં’ વધારે મઝા છે; જો કે મોટા ભાગનાઓ આ વાત સ્વીકારતા નથી.’

‘સ્વીકારે છે -’ મેં કહ્યું : ‘- પરણી ગયા પછી.’

‘મારા જેવો બેજવાદાર માણસ કુંવારો જ રહે … આવા માણસને શું પરણવું’તું મને માનીને ય મને કુંવારો રાખ્યો હશે.’ કહી તે હસી પડ્યા, મોટેથી – બાળકો હસે છે એવું ખિલ ખિલ …

નિરંજનમાં ‘સેન્સ ઑવ હ્યુમર’ પણ ઊંચા પ્રકારની. તેમનામાં રહેલી રમૂજીવૃત્તિનો લાભ કૉલેજમેળામાં અમને ઘણો મળતો. કોઈ અડફેટે ચડવો જોઈએ. કૉલેજના પહેલા જ વર્ષમાં, પહેલા દિવસે ભગતસાહેબના પીરિયડમાં (નામ જાણવાની ઉત્કંઠથી જ કાં તો) ‘સાહેબ નામ કહો … નામ કહો’ એવી બૂમો પડવા માંડી, ભગતસાહેબ એ બધાની સામે બે મિનિટ જોઈ રહ્યા. એક વિદ્યાર્થી જરા વધારે હિંમતવાળો નીકળ્યો. ઊભા થઈને તેણે પૂછ્યું : ‘સાહેબ, તમારું નામ શું?’

‘તમે પોલીસ છો? ભગતસાહેબે સામે પૂછ્યું.’

જે માણસ પાસેથી નામ કઢાવવું આટલું અઘરું હોય તેની પાસેથી જ્ઞાન કઢાવવું કેટલું અઘરું પડે? (ત્રિરાશી મૂકો જો!) … પણ હું ને વિનોદ જાની ભગતસાહેબની નાડ પારખી ગયેલા.

એક વખત વિનોદ જાનીને રવીન્દ્રનાથ ટાગોર વિષેના એક પરિસંવાદમાં બોલવા જવાનું હતું. બહારનું (અરે અભ્યાસક્રમનું ય) વાંચવાની કુટેવ જાનીએ પહેલેથી જ નહીં પાડેલી, એટલે તેની પાસે ટાગોર વિષે ખાસ સામગ્રી નહીં. તે મૂંઝાતો હતો. અમે બંને લાયબ્રેરીમાં ગયા – ટગોરનાં પુસ્તકો માટે. ત્યાં ભગતસાહેબને બેઠેલા જોયા. ભગતસાહેબ એટલે મોબાઇલ લાઈબ્રેરી. ટાગોર વિષે જાણવા જેવું બધું જ તેમની પાસેથી મળી શકે. પણ પૂછવું કઈ ભાષામાં? એ ભાષા મેં ને જાનીએ સંકેતથી નક્કી કરી નાખી. તેમની પાસે ગયા. સલામ કરી. પછી જાનીએ શરૂ કર્યું : સાહેબ, તમે જ ટાગોરને ચડાવી માર્યા છે. ટાગોર મહાન છે એવું એક તમે કહો છો – કહ્યા કરો છો.’

નિરંજન પહેલાં તો જાની પર ખિજવાઈ ગયા. લાઈબ્રેરી ગજવી મૂકી ને પછી ટાગોર કેટલી મોટી હસ્તી છે એની વાત બે કલાક સુધી કરી. ટાગોરની ઉત્તમ રચનાઓમાં કેટલાક ટુકડાઓ સંભાળ્યા … જાનીનું કામ પાર પડી ગયું.

આજે તો આવા શિક્ષકો ય ક્યાં છે કે જેને રસ્તા પર જોતાં જ હાથ એની મેળે ઊંચકાઈને સલામ બની જાય છે.

આ કવિ નિરંજને પોરબંદરની સાહિત્ય પરિષદમાં ‘કવિતા અને યુગધર્મ’ પરનો નિબંધ વાંચતાં વાંચતાં પ્રેક્ષકોની આંખ ભીંજવી નાખેલી. કવિ ને કવિતાની તાકાતનો પરચો બતાવી દીધેલો.

તેમણે નર્મદ અને રણજિતરામ સુવર્ણચંદ્રકો સ્વીકારીને એ બન્નેનું બહુમાન કર્યું છે એવું હું જ નહિ કદાચ પે લા બેય માનતા હશે! તેમને ‘નિરંજન ભગત સુવર્ણચંદ્રક’ મેળવ્યા જેટલો આનંદ થતો હશે. સ્વર્ગમાં ય એ બંને ધન્યતા અનુભવતા હશે.

(વિનોદની નજરે, ૧૯૭૯) (ડિસેમ્બર, ૧૯૭૬)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2018; પૃ. 05-07 

Loading

એમના વ્યાખ્યાનોનો બંધાણી

શંકરભાઈ ઠાકોર, શંકરભાઈ ઠાકોર|Opinion - Opinion|17 February 2018

એક રિક્ષાડ્રાઇવર સાહિત્ય પરિષદના હૉલમાંથી અંગ્રજીનાં વ્યાખ્યાન સાંભળીને બહાર આવીને રિક્ષાની ડ્રાઇવિંગ સીટે બેસે, તે ત્યાંથી બહાર નીકળતા શ્રોતાઓને આશ્ચર્ય થતું કે રિક્ષાડ્રાઇવર અંગ્રેજી વ્યાખ્યાન સાંભળવા આવે, અને એ પણ વળી ભગતસાહેબનું? એમને થોડી ખબર કે હું તેમના વ્યાખ્યાનનો ચાહક હતો.

વાત જાણે એમ હતી કે ખરેખર તો એકવાર હું બીજાનું વ્યાખ્યાન સાંભળવા આવ્યો હતો, પણ હું તેમના વ્યાખ્યાનમાં બેસી ગયો. જાતે થોડું ઘણું, ભાંગ્યુંતૂટ્યું અંગ્રેજી વાંચી-લખી શકતો હતો, છતાં મને તેમના અંગ્રેજી વ્યાખ્યાનમાં એટલી બધી મજા આવી કે તેથી હું તેમના દરેક વ્યાખ્યાનમાં નિયમિત આવતો રહેતો. તેઓશ્રી અંગ્રેજીની પરદેશી કવિતાઓ વિસ્તારથી ને ખૂબ ઊંડાણથી સમજાવતા હતા. તેમના અંગ્રેજીના વાચનના આધારે ખૂબ જ સરળ અને મુદ્દા સાથે સમજાવતા હતા. એ તેમનાં અંગ્રેજી ભાષાના વાચનના બહોળા અનુભવને લીધે શક્ય બનતું હતું. તેઓશ્રી દસ લાઇનની કવિતા ઉપર બે બે કલાક સુધી બોલતા હતા, ત્યારે તેમના વ્યાખ્યાનમાંથી ઊભા થઈ શકાતું ન હતું. તેમનું વ્યાખ્યાન શ્રોતાઓને એટલું જકડી રાખતું હતું. તેઓ કુદરતનું કે સામાજિક સ્થિતિ, પરિસ્થિતિનું આબેહૂબ દર્શન કરાવતા હતા, ક્યારેક વિષયવસ્તુથી અલગ પણ જતા રહેતા, એટલે કે ક્યારેક ગાડી આડાપાટે પણ જતી રહેતી. પછી તેઓ પાછા વિષયવસ્તુ પર પણ આવી જતા. તેમ છતાં તેમાંથી પણ ઘણું જાણવાનું મળતું હતું. પરદેશી કવિની કવિતા ઉપરાંત પરદેશના લેખકોનાં પુસ્તકો વિષે પણ તેઓ રસાસ્વાદ કરાવતા હતા.

ભગતસાહેબ પરદેશના કવિઓની કવિતા અને પરદેશનાં નામાંકિત પુસ્તકોના લેખકો વિષે કલાકોના કલાકો સુધી તેમના અંગ્રેજી જ્ઞાનનો રસાસ્વાદ લોકોને કરાવતા હતા, તે તેઓશ્રીની વિશિષ્ટતા હતી. અંગ્રેજી કવિતા ઉપરાંત ગુજરાતી કવિતામાં પણ તેમનું આગવું પ્રદાન છે. તેમની કવિતા, લોકોની ભાષાની કવિતા કરતા હતા. લોકોને એમ લાગે કે મારી વાત છે, તે કવિતાની પંક્તિઓ બોલે, ત્યારે તેના સંદર્ભો પણ આપતા જતા હતા તેમ જ પ્રેક્ષકોની શંકાનું સમાધાન પણ કરતા રહેતા હતા. તેઓ કૃષ્ણ અને મીરાંની કવિતાનો આસ્વાદ ખૂબ જ વિશિષ્ટ રીતે રજૂ કરતા. તેઓ કૃષ્ણ, મીરાં અને યશોદાની પણ આગવી જાણકારી રજૂ કરતા હતા. તેઓશ્રી ભારતના નોબેલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોરની કવિતા વિશે પણ અલગ આગવી શૈલીમાં રજૂઆત કરતા હતા.

શેક્સપિયર વિશે અનિરુદ્ધભાઈ બ્રહ્મબટ્ટ અને એસ.આર. ભટ્ટસાહેબ જેટલું જાણનાર ગુજરાતના મહાનુભાવો બીજા કોઈ નહીં હોય, એટલે કે શેક્સપિયરને આખેઆખા પી ગયા હોય, બીજા કોઈ નહીં હોય. એવી જ રીતે અંગ્રેજી કવિતાને પચાવી જાણનાર ગુજરાતમાં ભગતસાહેબ સિવાય કોઈ હશે નહીં.

ભગતસાહેબનું વ્યાખ્યાન હોય, ત્યારે ત્યારે હું વ્યાખ્યાન સાંભળવા અચૂક હાજર રહેતો. જ્યારે જ્યારે ભગત સાહેબના વ્યાખ્યાનની પ્રેસનોટ છાપામાં વાંચતો ત્યારે રોજી મેળવવા રીક્ષાડ્રાઇવિંગના સમયમાં ફેરફાર કરતો. જ્યારે સાંજના પાંચ કે છ વાગે વ્યાખ્યાન હોય, રિક્ષા ચલાવીને મારી રોજી મેળવી લેતો હતો. એટલે મારો શોખ પોષાય અને ઘરવાળાને અન્યાય પણ ન થાય. એટલે આર્થિક રીતે નુકસાની ન જાય માટે હું આ રીતે જીવનને બૅલેન્સ કરતો આવ્યો છું. બૅલેન્સિંગ કરીને હું ઘણી પ્રવૃત્તિ કરું છું.

વ્યાખ્યાન વખતે સાહિત્ય પરિષદથી તેમના ઘરે લઈ જવા-આવવા માટે વાહનવ્યવસ્થા કરવામાં આવતી હતી. એક દિવસ સંજોગોવસાત્‌ વ્યાખ્યાન પત્યા પછી વાહનની વ્યવસ્થા ન થઈ. વ્યાખ્યાન પત્યા પછી હું રિક્ષામાં બેઠો હતો. મને કહ્યું કે નટરાજ સિનેમાની સામે જવાનું છે, આવશો? તો મેં કહ્યું ‘હા, આવીશ, પણ પૈસા નહીં લઉં. કેમ?’ તેમણે કહ્યું ‘પૈસા લેવા પડે’. મેં કહ્યું ‘તમે આ વ્યાખ્યાનમાં જ્ઞાન પીરસો છો તેના પૈસા ક્યાં લો છો?’ તો તેમણે કહ્યું ‘આ તો તમારી રોજી છે એટલે તમારે પૈસા તો લેવા પડશે જ, તો તમારી રિક્ષામાં બેસું’. તે દિવસે મને તેમણે ભાડાના પૈસા આપ્યા. પછી તો તેમના આ ઉમદા વ્યક્તિત્વથી પણ તેમના વ્યાખ્યાનનો બંધાણી થઈ ગયો.

ગુજરાતી કવિતાને એમણે નવી ઓળખ આપી છે અને રાષ્ટ્રીય સ્તરે એમનું પ્રદાન કર્યું છે.

શ્રી ભગતને દિલથી શ્રદ્ધાંજલિ અર્પું છું. યુગોયુગો જન્મ લેજો. ભગત સાહેબ!

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2018; પૃ. 07

Loading

આદિવાસી સમાજના યોદ્ધા ‘લાલ શ્યામ શાહ’

રામચંદ્ર ગુહા|Opinion - Opinion|16 February 2018

જીવનચરિત્ર લખવાની કળા આપણા દેશમાં બહુ વિકાસ પામી શકી નથી. આપણા દેશમાં જીવંત વ્યક્તિઓની ખુશામત તો સૌ કોઈ કરે છે, પણ જે લોકો ગુજરી ગયા છે તેમના વિશે અધિકારપૂર્વક લખવાની આંતરદ્રષ્ટિ હજુ પણ આપણે વિકસાવી શક્યા નથી. ભૂતકાળથી લઈને અત્યાર સુધીના નેતાઓનાં જીવન આધારિત પુસ્તકો બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ તે પૈકી બહુ ઓછાં એવાં પુસ્તકો છે કે જેનું સાહિત્ય અર્થપૂર્ણ અને વાંચવાલાયક છે. ગોખલેના જીવન આધારિત બી.આર. નંદાનું પુસ્તક, સરદાર પટેલ આધારિત રાજમોહન ગાંધી અને રાધાકૃષ્ણન્‌ આધારિત એસ. ગોપાલનું પુસ્તક એ એવાં થોડાં પુસ્તકો છે, કે જે રાજકીય નેતાનાં જીવનચરિત્રને ન્યાય આપી શકે છે. આ વાત માત્ર રાજનીતિ અને સાર્વજનિક લેખનકાર્ય પૂરતી જ સીમિત નથી, પરંતુ, સાહિત્ય અને સાંસ્કૃિતક ઇતિહાસ આધારિત પુસ્તકોનાં પણ કાંઇક આ પ્રકારનાં જ હાલ છે. યોગ્ય સંશોધન કરીને શિવરામ કારંથ, મહાશ્વેતા દેવી અને પંડિત રવિશંકરનાં જીવન આધારિત લખવામાં આવેલા પુસ્તકો વાંચવામાં મને રસ છે; પરંતુ, દુર્ભાગ્યવશ આ પ્રકારનાં બજારમાં ઉપલબ્ધ નથી. આશા રાખું કે આ પ્રકારના જીવનચરિત્રો પણ ભવિષ્યમાં વાંચવા મળશે. જીવનચરિત્રો પર કાર્ય કરી રહેલા ચાર મહત્ત્વપૂર્ણ લેખકોને હું જાણું છે અને તેમનાં પુસ્તકો અંગ્રેજી ભાષામાં હોય છે. પરંતુ, હાલનાં સમયમાં જ હિન્દીમાં આવેલ એક જીવનચરિત્રની તો ચર્ચા કરવી જ પડે તેવું મને લાગી રહ્યું છે.

આ પુસ્તક મૂળ આદિવાસી એવા કાર્યકર્તા લાલ શ્યામ શાહને કેન્દ્રમાં રાખીને પત્રકાર સુદીપ ઠાકુર દ્વારા લખવામાં આવ્યું છે. એક એવી વ્યક્તિ કે જેઓને તેમનો વિસ્તાર ગોંડવાના તો ઓળખે જ છે પણ સાથે-સાથે તેમનાં કાર્યની ગૂંજ સમગ્ર દેશમાં સંભળાય છે. આદિવાસી અભિજાત પરિવારમાંથી આવતા લાલ શ્યામ શાહનો જન્મ વર્ષ ૧૯૧૯માં થયો હતો અને તેમની પાસે એટલાં બહોળા પ્રમાણમાં જમીન અને વન સંપત્તિનું સ્વામિત્વ હતું કે તેઓ જો ઇચ્છતા હોત તો આરામથી પોતાનું સમગ્ર જીવન પસાર કરી શક્યા હોત, પણ તેમણે પોતાનાં સમાજની સેવા કરવાનો વિકલ્પ પસંદ કર્યો અને આદિવાસી મહાસભા બનાવીને આદિવાસીઓનાં જળ-જંગલ-જમીનનાં અધિકાર અને સાંસ્કૃિતક વિરાસતની રક્ષા કરવા માટે આજીવન સંઘર્ષ કરતાં રહ્યાં. સમગ્ર મધ્યભારતનો આદિવાસી સમાજ તેઓને સન્માનપૂર્વક યાદ કરે છે. લાલ શ્યામ શાહનો સંઘર્ષ દેશની આઝાદી બાદ પણ ચાલુ જ રહ્યો. તેઓ અપક્ષ ચૂંટણી લડ્યા અને પ્રથમ ચૂંટણી ખૂબ જ ઓછા મતોથી હારી ગયા. પરંતુ, અદાલતે બાદમાં આ ચૂંટણી રદ્દ કરી હતી. બીજી વખત ચૂંટણી થઈ તેમાં લાલ શ્યામ શાહ જીતી ગયા અને જીત્યાના થોડા સમય બાદ જ તેમને લાગ્યું કે કેટલાંક વહીવટકર્તાઓ, ઓફિસર્સ અને રાજનેતાઓ દ્વારા આદિવાસીઓનું શોષણ કરવામાં આવે છે, તેથી તેમણે વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું. રાજીનામામાં તેમણે લખ્યું હતું કે કેવી રીતે સરકાર દ્વારા આદિવાસીઓની અવગણના કરવામાં આવે છે અને આદિવાસીઓને લૂંટતા ધનિક લોકોના ખોળામાં આ સરકાર બિરાજમાન છે. આ પુસ્તકમાં આદિવાસીઓનાં હિત પરત્વે લાલ શ્યામ શાહના પ્રયાસોનું વર્ણન કરવામાં આવ્યું છે. લેખકે આ પુસ્તકમાં માત્ર રાજનૈતિક જ નહિ, પણ તેનાથી પર રહીને લાલ શ્યામ શાહના સંઘર્ષની પણ ઊંડાણપૂર્વક વાત કરી છે. અને તેમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે પ્રાકૃતિક સંસાધન પર આદિવાસીઓના હક અને વિસ્થાપનનું કારણ બનનાર વિનાશકારી પરિયોજનાઓ વિરુદ્ધ લાલ શ્યામ શાહ લડતા રહ્યા. અહીં ‘પૃથક ગોંડવાના’ રાજ્યના સંઘર્ષની પણ વાત કરવામાં આવી છે, પછી ભલે તે સફળ થઈ શક્યો નહિ. અને જો આવું થયું હોત તો આજે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઓરિસ્સાના આદિવાસી પર્વતીય અને વનક્ષેત્ર આમાં સામેલ થઈ શક્યા હોત. પત્રકાર અને લેખક સુદીપ ઠાકુરની નજરમાં લાલ શ્યામ શાહ ચિંતક અને કાર્યકર્તા એમ બંને હતા. આદિવાસી સમાજની મુશ્કેલીઓ અને કાયદાકીય પ્રશ્નો અંગેની તેમની સમજણ સાફ હતી, અને લાલ શ્યામ શાહનું માનવું હતું કે સંવિધાને તો જનજાતિઓના અધિકારના સંરક્ષક તરીકે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોની વ્યવસ્થા બનાવી હતી, પરંતુ આ સંસ્થાઓએ પણ આદિવાસી હિતને તિલાંજલિ આપીને તેને નોકરશાહી અને ધનિકોની કૃપા હેઠળ છોડી દીધી અને તે વિરુદ્ધ લાલ શ્યામ શાહ આદિવાસીઓના હક માટે લડતા રહ્યા.

આ પુસ્તકમાં પંડિત નહેરુની સાથે લાલ શ્યામ શાહે ઓક્ટોબર ૧૯૫૦માં રાયપુરમાં મુલાકાત કરી હતી તેનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. નહેરુ તે વખતે રાયપુરમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની બેઠક માટે આવ્યા હતા. લાલ શ્યામ શાહે આદિવાસીઓની સમસ્યાઓને સીધી પ્રધાનમંત્રી સુધી પહોંચાડવા માટે એક પદયાત્રા કરી હતી કે જેમાં દેશના ખૂણેખૂણેથી હજારોની સંખ્યામાં આદિવાસીઓ રાયપુર પહોંચ્યા હતા. અને કોંગ્રેસની બેઠકવાળા સ્થળથી થોડા દૂર એક મેદાનમાં એકઠા થયા હતા. તેઓનો હેતુ એવો હતો કે પૃથક ગોંડવાના રાજ્યની રચના કરો અને આદિવાસીઓને આર્થિક સુરક્ષા પૂરી પાડો. લાલ શ્યામ શાહ તો માત્ર એટલું જ ઇચ્છતા હતા કે નહેરુ આ આદિવાસીઓની સાથે થોડી વાતો કરે, પણ તે સમયે નહેરુના અંગત લોકોએ તેમને માત્ર કોંગ્રેસ બેઠક સુધી જ સીમિત રાખવા ઇચ્છતા હતા. એવામાં નહેરુ જ્યાં રોકાયા હતા ત્યાં લાલ શ્યામ શાહ તેમને મળવા માટે પહોંચી ગયા હતા અને ત્યાં પહોંચીને તેમણે નહેરુને જણાવ્યું હતું કે દેશના આદિવાસીઓ દૂરદૂરથી ચાલીને માત્ર તમને મળવા અને પોતાની વાત રજૂ કરવા માટે અહીં આવ્યા છે. આ વાત સાંભળતાની સાથે જ નહેરુ કોઈ પ્રકારની સુરક્ષા વિના જાતે ગાડી હંકારીને આદિવાસીઓને મળવા માટે આવ્યા અને તેઓની માંગને ગંભીરતાથી સમજવા માટેનો વિશ્વાસ પૂરો પાડ્યો.

લાલ શ્યામ શાહ વર્ષ ૧૯૬૨માં ચંદા લોકસભા ક્ષેત્ર(હવે મહારાષ્ટ્રનું ચંદ્રપુર)થી ચૂંટણી જીત્યા અને અહીં પણ બે વર્ષના સમયગાળાની અંદર જ આદિવાસીઓની દયનીય હાલત અને ઉપેક્ષા જોતા રાજીનામું આપી દીધું. કારણ કે, સરકાર ઇચ્છતી હતી કે આદિવાસીઓનાં હિતને બાજુમાં મૂકીને પૂર્વ પાકિસ્તાનનાં વિસ્થાપિતોને મધ્યભારતનાં જંગલોમાં વસાવવા જોઈએ. જ્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યાં ત્યારે કટોકટી દરમિયાન લાલ શ્યામ શાહની ધરપકડ કરવામાં આવી અને તે સમયે તો તેઓ કોઈ પક્ષની સાથે જોડાયેલાં પણ નહોતા. તેઓ લગભગ એક વર્ષ સુધી જેલમાં રહ્યા છતાં પણ તેઓ પોતાના નિર્ણય અને હેતુ પરત્વે મક્કમ રહ્યા. ૧૯૮૦ના દાયકામાં તેઓ ‘જંગલ બચાઓ, માનવ બચાઓ’ આંદોલનમાં સક્રિય થઈ ગયા અને આ ઘટનાની દેશના દૂરના ભાગોમાં પણ અસર પડી. આ તે સમય હતો કે જ્યારે સરકાર ઇન્દ્રાવતી પર અનેક બંધ બાંધવાની યોજના બનાવી રહી હતી અને આ બંધ વિશાળ પ્રાકૃતિક જંગલોને ખત્મ કરવાનું અને હજારો આદિવાસી પરિવારોનું વિસ્થાપન કરવાનું એક કારણ હતું. લાલ શ્યામ શાહ જાણતા હતા કે આ પ્રકારની પરિયોજનાઓ આદિવાસી સમાજ માટે નુકસાનકારક છે. તેમણે પ્રખ્યાત ગાંધીવાદી બાબા આમ્ટેની સાથે મળીને આ વિનાશકારી પરિયોજનાઓ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું અને ઓછામાં ઓછી બે પરિયોજનાઓને રોકવામાં તેઓ સફળ રહ્યા.

વર્ષ ૧૯૮૮માં તેમનું મૃત્યુ થઈ ગયું, છતાં પણ તેમનો સંઘર્ષ તેમનાં અંતિમ શ્વાસ સુધી ચાલુ રહ્યો. લાલ શ્યામ શાહ આદિવાસી સમાજનો અવાજ અને વિવેક હતા. આજના નેતાઓની માફક તેઓ પોતાના અંગત લાભ માટે સત્તા-સંઘર્ષમાં નહોતા આવ્યા, પરંતુ તેઓ પોતાના સમાજના આત્મસન્માન અને હકો માટે લડ્યા. લાલ શ્યામ શાહનાં જીવન આધારિત આ પુસ્તક ઐતિહાસિક મહત્ત્વ માટે વાંચવું જોઈએ અને આજની પેઢી લાલ શ્યામ શાહનાં સપનાંને સમજે અને તે માટે તેમને પ્રેરણા મળે માટે આ પુસ્તક વાંચવું જ રહ્યું.

અનુવાદ – નિલય ભાવસાર

e.mail : nbhavsarsafri@gmail.com

https://www.telegraphindia.com/opinion/a-shining-legacy-205569

Loading

...102030...3,1693,1703,1713,172...3,1803,1903,200...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved