Opinion Magazine
Number of visits: 9581010
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્ટેજના ગાયકોએ ગુજરાતી કવિઓનું શોષણ કરવાનું જ કામ કર્યું છે?

રુચિતા શાહ|Opinion - Opinion|23 March 2018

માત્ર કાવ્યો પર જ કેન્દ્રિત હોય એવા ઘણા કાર્યક્રમો થતા રહે છે અને એમાં ઑર્ગેનાઇઝરો ધૂમ કમાય છે; પરંતુ એ કાવ્ય, ગીત કે ગઝલ રચનારા કવિ સુધી એ કદરનો હિસ્સો પહોંચે છે?

‘અચ્છા તો તમે કવિતા લખો છો. સરસ. ખૂબ સરસ. પણ કામ શું કરો છો?’ મોટા ભાગના કવિઓ અને લેખકોએ પોતાના પરિચય સાથે આવાં વાક્યો ચિક્કાર વાર સાંભળ્યા હશે. લખવું, એમાં ય કવિતાઓ લખવી એ કંઈ કામ ન ગણાય એ વિચાર વર્ષોથી દૃઢતાપૂર્વક સમાજના માનસ પર વ્યાપેલો છે. જો કે ઓછા શબ્દોમાં અદ્ભુત રીતે ઊંડી વાતો, વિચારો, સંવેદનો અને કટાક્ષો કરવામાં કાવ્યોની તુલના થઈ જ ન શકે. કાવ્ય ભલે કોઈ પણ સ્વરૂપમાં કેમ ન હોય. ગદ્ય, પદ્ય, છંદ, સૉનેટ, ગઝલ, ગીત કે ભજન જેવા અઢળક પ્રકારોમાં વ્યાપ્ત કાવ્યોની ખૂબીઓએ એની લોકપ્રિયતા ઘટાડી નથી. ઇન ફૅક્ટ, સોશ્યલ મીડિયાને કારણે આ કાવ્યો વધુ ઉત્કટતાથી લોકભોગ્ય બની રહ્યા છે. જો કે પ્રશ્ન છે કે કાવ્યરચનાનો વધતો દબદબો એના રચનાકારને કોઈ રીતે ઉપયોગી નીવડ્યો છે? જવાબ છે, ના. ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં આ વાત સાવ સાચી છે. કલમજીવી અને ચંદ્રકાન્ત બક્ષીના શબ્દોમાં કલમકશ લોકો ઓછા થતા જાય છે. બરકત વીરાણી કહેતા કે ‘કલમને વેચી દેવાનો ય વખત આવે છે બેફામ, બહુ કપરું છે જીવવું કરમાં કલમ લઈને.’

આજે હિન્દી, બંગાળી અને મરાઠી કવિઓને તેઓ જે સામાજિક અને આર્થિન સન્માનના હકદાર છે એ સન્માન ઘણા અંશે પ્રાપ્ત થઈ રહ્યું છે, પરંતુ ગુજરાતી કવિઓ અને રચનાકાર માટે એ બાબતમાં જોઈએ એટલી જાગૃતિ નથી. કોઈ પણ રચનાકારને જ્યારે કદર મળે છે ત્યારે સાહિત્યિક રચના માટેનો તેનો ઉમળકો બેવડાતો હોય છે, અને સાહિત્યિક સમૃદ્ધિ પણ એની સાથે જ વધતી હોય છે. આજે વિશ્વ કવિતા દિને કેટલાક જાણીતા કવિઓ સાથે થોડીક ગુફ્તગો કરી ત્યારે કાવ્યરચનાથી લઈને કવિઓની કદર વિશે જાણવા મળેલી વાતો અહીં રજૂ કરીએ છીએ.

કવિતા ગાઈ-ગાઈને ગવૈયાઓ અણુમાંથી ઘણું થઈ ગયા અને કવિઓ … ?

—: શોભિત દેસાઈ

કવિ તરીકે પેટ ભરવું શક્ય નથી, કારણ કે કવિઓ સાથે વર્ષોથી અન્યાય ચાલી રહ્યો છે. ખૂબ જ આક્રમક અને સચોટ શબ્દોમાં જાણીતા કવિ શોભિત દેસાઈ કહે છે, ‘મેં તો આજથી લગભગ બારેક વર્ષ પહેલાં રમેશ પારેખ અને મરીઝની જિંદગી પર એક નાટક લખેલું, ‘એક ખોબો ઝાકળનો’. એમાં રમેશ પારેખને વ્યથાપૂર્ણ કહેતા દેખાડેલા કે અમારી કવિતા ગાઈ-ગાઈને આજકાલના લવરમૂછિયાથી લઈને સંગીતના પુરાણા પઠ્ઠાઓ ક્યાંના ક્યાં પહોંચી ગયા. અણુમાંથી ઘણું થઈ ગયા, પણ અમે તો એયને બેઠા રહ્યા ત્યાં ને ત્યાં અમારી ઉદાસીને પંપાળતા-પંપાળતા. એ સમયે પણ મુદ્દો ઉછાળેલો, પણ પરિણામ ન આવ્યું.

આજે દુ:ખની વાત એ છે કે કવિઓ પોતાની કિંમત નથી જાણતા. પચીસ કવિઓએ ભેગા મળીને રૉયલ્ટી ક્લબ બનાવવી જોઈએ. વેણીભાઈ પુરોહિતનું ‘તારી આંખનો અફીણી’ સાઠ વર્ષથી ગવાય છે. વિશ્વમાં ફેલાયેલા સાત કરોડ ગુજરાતીઓ રોજના સો પ્રોગ્રામ કરતા હોય તો એ દરેક પ્રોગ્રામ આંખનો અફીણી ગીત વિનાનો નથી હોતો. એવી જ રીતે રમેશ પારેખનું સાંવરિયો ગીત, રાવજી પટેલનું મારી આંખે કંકુના સૂરજ આથમ્યા કાવ્ય, બરકત વીરાણીનું નયનને બંધ રાખીને ગીત, હરીન્દ્ર દવેનાં ગીતો જેવાં ગીતો વિના એકે ય ગુજરાતી સુગમ સંગીતનો પ્રોગ્રામ પૂરો નથી થતો. લગભગ દસ ગીતો તો ફિક્સ છે.

આ પ્રોગ્રામ માટે સંગીતના પઠ્ઠાઓ ચીરી નાખે એવા પૈસા લે છે. યાદ રહે, એ ગાયકી પર પૈસા નથી મળતા. આ કંઈ ક્લાસિકલ મ્યુિઝક નથી કે સૂર અને રાગના પૈસા અપાતા હોય, પણ શબ્દો પર પૈસા મળે છે. એ શબ્દો માટે દાદ મળે છે. અહીં તો કવિ બિચારો ત્યાં ને ત્યાં જ રહે. આ લોકોની કવિતા જે તમે ગાઓ છો તેને કેમ પૈસા નથી મોકલતા? ગુજરાતીમાં કવિ એટલે બિચારો પ્રકારનો, ગરીબ પ્રકારનો જ ગણાઈ રહ્યો છે. એમાં આ સ્ટેજના ગવૈયાઓએ કવિને ભયંકર એક્સપ્લૉઇટ કર્યો છે અને કવિ તેના માટે અવાજ નથી ઉઠાવી શકતો એ તેની બદનસીબી છે. આખા વિશ્વમાં પ્રોગ્રામો થાય અને તોતિંગ પૈસા લેવાય છે તો શું એવું ન થઈ શકે કે પોતાને મળતા કુલ પૈસામાંથી માત્ર દસ ટકા રકમ આવા દસ-વીસ કવિઓને કે તેમના પરિવારજનોને પહોંચાડવામાં આવે? પર્સન્ટેજ ઓછા રાખો, પણ આપો. ધારો કે તમને એક શોના બે હજાર ડૉલર મળતા હોય તો બસો ડૉલર તમે આ કવિઓ વચ્ચે ન વહેંચી શકો? અઢારસો ડૉલર તમે રાખોને તમારી પાસે. તે ડિઝર્વ કરે છે. આ દિશામાં હવે ગુજરાતની સૂઈ ગયેલી પ્રજાએ કવિતાની બાબતમાં જાગવું પડશે અને તેમણે પણ એ જવાબ માગવો પડશે કવિઓના અધિકાર માટે. માત્ર કવિઓના હાથની વાત આ રહી નથી.’

આ સમાજનું દાયિત્વ છે, સમાજે સમજવાનું છે

—: સિતાંશુ યશશ્ચંદ્ર

કવિ એટલે નખશિખ કવિ તરીકે જેમનો વ્યવહાર છે, જેમની આભા છે અને જેમની વાચા છે એવા સિતાંશુ યશશ્ચંદ્ર માટે આ વિષય થોડોક અભ્યાસક્રમની બહારનો છે. તેમનો કવિજીવ પોતે પૈસાની વાત પર બહુ વાત કરવા રાજી નથી થતો, છતાં તેઓ એક મહત્ત્વની બાબત પર ધ્યાન દોરતાં કહે છે, ‘કવિ માટે જાત સાથે પ્રામાણિક રહેવું, ભાષા સાથેની આત્મીયતા હોવી અને સંસ્કૃિત સાથેનો સ્નેહભર્યો ઊંડો નાતો હોય એ ત્રણ બાબત હંમેશાં મહત્ત્વની હતી અને આજ સુધી રહી છે. આજે આપણે ત્યાં ભાષા સાથે ચેડાં થવા માંડ્યાં છે. એક વાત મારે ખાસ કહેવી છે કે કવિ કોઈ વેપારી નથી. કાવ્યરચના તેના માટે અથોર્પાર્જનનું સાધન નથી. જીવનનિર્વાહ માટે માણસ તરીકે તે ઘણું કરી શકે છે, પણ કવિ તરીકે કવિતાઓમાં આવું કોઈ ધ્યેય ન જ હોય, હોવું પણ ન જોઈએ. હું કવિ તરીકે જે કરું છું એ મારી શોધનો એક ભાગ છે. જાણવાની, સમજવાની અને જેમાં ખલેલ પડે ત્યાં પડકારો ફેંકવાની આ યાત્રા છે. કવિતા વેચવાની નથી. કવિ તરીકે હું પોતે કવિતાઓમાંથી અથોર્પાર્જનનો વિચાર ન કરું; પરંતુ સામે પક્ષે સમાજની એ જવાબદારી ચોક્કસ છે જેમાં તેણે કવિની ગરિમાનું, કવિના અધિકારનું ધ્યાન રાખવું જોઈએ. વ્યક્તિગત રીતે કલ્ચર ઇન્ડસ્ટ્રીનો હિસ્સો નથી એટલે આનાથી વધારે આ વિષય પર કંઈ કહી ન શકું.’

પોતાની રચનાનો જ્યારે પોતાની જાણ બહાર આર્થિક ઉપાર્જન માટે ઉપયોગ થાય એ હર્ટ કરનારી બાબત છે

—: ખલીલ ધનતેજવી


ખેડૂત, લેખક, પ્રોડ્યુસર, ડિરેક્ટર અને ઑલ ટાઇમ ગઝલકાર એવા ૮૩ વર્ષના ખલીલ ધનતેજવી માટે આ મુદ્દો ફાઇનૅન્સ કરતાં ઇમોશનનો વધુ છે. ખલીલભાઈ કહે છે, ‘આજે ગઝલ લખનારા લોકોનો નવો ફાલ આવ્યો છે. એમાં નવા લોકો આવ્યા છે, જેમાં કેટલાક સારા લેખક છે અને કેટલાકનાં કાવ્યોમાં કોઈ દમ નથી. જો કે હું બધાને જ કહું છું જે આવી રહ્યા છે તેમનો સ્વીકાર કરો. જેમ નદીમાં પૂર આવે ત્યારે કાંપ સાથે કચરો પણ આવે. જો કે પછી ધીમે-ધીમે કચરો નીચે બેસી જાય અને પછી ઉપરનું પાણી ચોખ્ખું હોય. બીજું, સદીઓથી આ ધારો રહ્યો છે, જેમાં લખનારા ૫૦૦ હોય પણ આગળ ૧૫ જ હોય. લોકપ્રિયતા ૧૫ની જ વિશેષ હોય. નવી પેઢીને પ્રોત્સાહિત કરવા માટે અમે આ રીતે અમારા પ્રયત્નો કરતા રહીએ છીએ, પણ સાથે જૂના કવિઓની કાવ્યરચનાના બેફામ અને બેરોકટોક ઉપયોગ બદલ સમાજનું વલણ પણ બદલાવું જોઈશે.’

સાંવરિયો ગીત ગાનારી કે ગવડાવનારી એકેય વ્યક્તિએ રમેશ પારેખના પરિવારની પરવાનગી લીધી?

—: તુષાર શુક્લ

‘પૂછીને થાય નહીં પ્રેમ’ જેવાં અઢળક રસાળ ગીતો અને કાવ્યો આપતા કવિ તુષાર શુક્લની દૃષ્ટિએ આજના સમયમાં કલમજીવી બનવા માટે તમે માત્ર કાવ્યરચનાઓ રચીને સંતોષ માનશો તો ગુજરાન નહીં ચાલે. તમારે કલમની ચાહનાના અન્ય રસ્તાઓ પર કામ કરવું પડશે. આજે ઘણા લેખકો એ દિશામાં છે જ. કવિતાઓ લખનારા કવિઓ સાથે જાહેરખબરો માટે જિંગલ લખે, ફિલ્મો માટે ગીતો લખે અને નાટકો તથા ફિલ્મોમાં પણ લખે. તુષારભાઈ કહે છે, ‘આજે આપણે ત્યાં જાવેદ અખ્તર જેવા મહાનુભવોએ લેખકો અને ગીતકારોના અધિકારો માટે તેમની રચનાને કૉપીરાઇટ અંતર્ગત લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે, જે કવિઓ માટે જરૂરી છે.

તમે વિચારો કે ‘સાંવરિયો રે મારો’ કેટલા ય કાર્યક્રમોમાં ગવાયું હશે અને ગવાતંર રહે છે, પણ ક્યારે કોણે જઈને રમેશ પારેખના પરિવારની સહમતી લીધી? ‘તારી આંખનો અફીણી’ ગાનારા વેણીભાઈ પુરોહિતના પરિવારને જઈને સૌજન્યના ભાગરૂપે પણ કંઈક આપી આવ્યા હોય એવું મારા ધ્યાનમાં નથી. અહીં વાત માત્ર પૈસાની નથી, પણ ગીતકારના અધિકારની છે. જો મ્યુિઝક-ડિરેક્ટર પોતાના મ્યુિઝકની રૉયલ્ટી ગણીને પૈસા કમાતો હોય તો એમાં કવિઓ ક્યાં ય નથી આવતા? આ કવિનો અધિકાર છે. મારે એટલું જ કહેવું છે કે એ જ કાવ્યરચનાના આધારે તમે બેફામ પૈસા કમાઓ છો, દર વર્ષે એ પ્રોગ્રામનો ચાર્જ વધારતા જાઓ છો; પણ કવિની કોઈ પણ રચના કમર્શિયલ પફોર્ર્મન્સમાં ગાતી વખતે તેની પરવાનગી લેવા જેટલું સૌજન્ય પણ નથી રહ્યું.’

સૌજન્ય : “ગુજરાતી મિડ-ડે”, 21 માર્ચ 2018

Loading

જીવન-મરણનો સુપ્રીમ કૉલ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|23 March 2018

સુપ્રીમ કોર્ટે એના ચિંતનમાં સત્યની ઉપર ધર્મ મૂક્યો છે. આવું કેમ?

ભારતના રાષ્ટ્રીય ચિહ્ન અશોકના સિંહસ્તંભ નીચે સત્યમેવ જયતે લખેલું છે, જે મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે. એનો અર્થ સ્વયં સ્પષ્ટ છે; સત્યની જ જીત થાય છે. સુપ્રીમ કોર્ટનું ચિહ્ન પણ અશોક ચક્ર જ છે, પરંતુ એમાં ‘સત્યમેવ જયતે’ના બદલે ‘યતો ધર્મસ્તતો જય:’ એવું લખેલું છે. આ ચરણ મહાભારતમાંથી છે, જ્યાં સો પુત્રોને યુદ્ધમાં ગુમાવ્યા બાદ માતા ગાંધારીને મહર્ષિ વ્યાસ કહે છે, યતો કૃષ્ણ તતો ધર્મ, યતો ધર્મ તતો જય: – જ્યાં કૃષ્ણ છે ત્યાં ધર્મ છે, જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે.

સુપ્રીમ કોર્ટે એના ચિંતનમાં સત્યની ઉપર ધર્મ મૂક્યો છે. આવું કેમ? આ સંદર્ભમાં RTI હેઠળ એક અરજી થયેલી છે, જેમાં યતો ધર્મ તતો જય: પદ કયા આધારે ચિહ્નમાં મૂકવામાં આવ્યું છે, તેનો ખુલાસો માંગવામાં આવ્યો છે. સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને સુપ્રીમ કોર્ટને ‘સત્યમેવ જયતે’ના બદલે ‘યતો ધર્મ તતો જય:’ કેમ તેનું કારણ સમજાવવા જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટ તો જ્યારે એનો વિચાર કરે ત્યારે ખરું, પણ ગયા સપ્તાહે 8મી અને 9મી માર્ચે બે સળંગ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જે વિચાર કર્યો તેમાં ઘણો ખરો જવાબ મળી ગયો. પહેલો નિર્ણય હતો જીવન જીવવાનો અને બીજો હતો મરણનો. કોઈ દેશની સર્વોચ્ચ અદાલત એક જ દિવસની આગળ પાછળ જીવન જીવવાના અને સન્માનપૂર્વક મરવાના બુનિયાદી અધિકાર ઉપર દૂરગામી અસરવાળા ફેંસલા આપે એવું જવલ્લે જ બન્યું હશે. આમ તો આ બંને બાબતો દુનિયામાં અનેક જગ્યાએ સહજ છે, પણ ભારતમાં જ્યાં ધાર્મિક-સામાજિક-રાજકીય ક્ષેત્રે પાછલી સદીમાં જવાના વિચારોને પોષવામાં આવતા હોય ત્યારે આ બે નિર્ણયોનું મહત્ત્વ ખૂબ વધી જાય છે.


8મી ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે અખિલામાંથી હદિયા બનેલી કેરળની 22 વર્ષની યુવતીનાં લગ્ન યોગ્ય ઠેરવ્યાં છે. હદિયા શફીન જહાન નામના યુવાનને પ્રેમ કરતી હતી અને તેની સાથે જીવન ગુજારવા માગતી હતી, એટલે એણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. છેલ્લાં બે વર્ષથી લવ-જેહાદના નામથી આ કિસ્સો વિવાદાસ્પદ બન્યો હતો. તેના પિતાએ આ સંબંધમાં પોલીસ અને કોર્ટ કેસ કર્યો હતો, અને હદિયાને કબજામાં રાખી હતી.

કેરળ હાઈકોર્ટે લવ-જેહાદ ગણીને શફીન જહાન નામના મુસ્લિમ યુવાન સાથેનાં આ લગ્ન ફોક કર્યાં હતાં. શફીન જહાનની અરજી પર દસ મહિના પછી ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘જ્યારે બે વયસ્ક વ્યક્તિઓ વિવાહ કરવાનું નક્કી કરે ત્યારે, કોર્ટે સાથીદારની ચોકસાઈ કે ઔચિત્ય અથવા લગ્નની યોગ્યતામાં પડવાની શું જરૂર છે?’

સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો બે રીતે મહત્ત્વનો છે.

એક, એમાં જે ધાર્મિક રંગ ભળ્યો તે અને બીજું, વ્યક્તિગત સ્વતંત્રતાનું ઉલ્લંઘન થયું હતું તે. હદિયાનાં લગ્નની વાસ્તવિકતા જે હોય તે, પણ હાઈકોર્ટે એને જૂઠ અને ચાલ ગણાવીને વાંધાજનક તારણો રજૂ કર્યાં હતાં જે ઘણી યુવતીઓને અસર કરે તેવાં હતાં. કેરળ કોર્ટે કહ્યું હતું કે, સ્ત્રીનાં લગ્નમાં માબાપની ઇચ્છા જરૂરી હોય છે, અને એ પુખ્ત વયે હોય તો પણ ‘કમજોર’ જ કહેવાય. મતલબ કે સ્ત્રીઓ સરળતાથી તરકટમાં ફસાઈ જાય તેવી અબુધ હોય છે, એટલે એણે કોની સાથે લગ્ન કરવાં એમાં પરિવારની બુદ્ધિશક્તિ જરૂરી છે. એક વયસ્ક સ્ત્રીની એના જીવનને લઇને નિર્ણય લેવાની સ્વતંત્રતાનું ગળું કોર્ટના એક હુકમથી ઘોંટાઈ જાય એ આઘાતજનક હતું.


સુપ્રીમ કોર્ટે આ આઝાદી પાછી સ્થાપિત કરીને કહ્યું કે, નેશનલ ઇન્વેિસ્ટગેશન એજન્સી ભલે આ લગ્નમાં ક્રિમિનલ એંગલની તપાસ જારી રાખે પણ પોતાના ગમતા પુરુષ સાથે રહેવાનો હદિયાનો અધિકાર છીનવી ન શકાય. કોઈ પણ પ્રગતિશીલ સમાજ માટે આ રાહતનો ચુકાદો એટલા માટે પણ છે કે, તેમાં સ્ત્રીની આઝાદીની વ્યાખ્યા પણ થઈ છે.

મોટા ભાગે આપણે સ્ત્રી-સ્વતંત્રતાનો અર્થ સામાજિક સમાનતાના સંદર્ભમાં કરીએ છીએ. અહીં કોર્ટે કહ્યું કે, વ્યક્તિગત આઝાદીમાં કોની સાથે જીવન જીવવું તે પણ છે. સ્ત્રી-સ્વતંત્રતાનો સીધો સંબંધ એની સેક્સુઅલ આઝાદીમાં છે. સેક્સુઅલ આઝાદી એટલે લગ્ન કરવાં કે નહીં, કરવાં તો કોની સાથે કરવાં, સેક્સ કરવું કે નહીં, બાળકો કરવાં કે નહીં, તેનો અધિકાર પુરુષ કે પરિવાર કે સમાજ પાસે નહીં પણ, સ્ત્રી પાસે હોય તે. સેક્સુઅલ સ્વતંત્રતા એટલે સ્ત્રીના શરીર ઉપર સ્ત્રીનો અધિકાર. ગયા જાન્યુઆરીમાં જસ્ટિસ ચંદ્રચુડે હદિયાને એના સપનાં વિશે પૂછ્યું હતું. હદિયાએ ત્યારે કહ્યું હતું, ‘મને આઝાદી જોઈએ છે.’ સુપ્રીમ કોર્ટે એ આઝાદીને બહાલ રાખી છે.


જીવન જીવવાના બુનિયાદી અધિકારનું સુપ્રીમ કોર્ટનું ચિંતન બીજા દિવસે મરવાના હક સુધી ગયું. 9મી ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણયમાં પેસિવ યુથેનેશિયા એટલે કે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુને મંજૂરી આપી. યુથેનેશિયા ગ્રીક શબ્દ છે જેનો અર્થ થાય છે ઉત્તમ (યુ) મોત (થન્તોસ). અસહ્ય અને લાઈલાજ દર્દમાંથી મુક્તિ મેળવવા માટે દર્દી જાતે કે ડૉક્ટરની સહાયથી જીવન ટૂંકાવી દે તેને સક્રિય યુથેનેશિયા કહે છે, અને સાજા થવા માટેના ઉપચારનો ઇનકાર કરી દે તેને નિષ્ક્રિય યુથેનેશિયા કહે છે. કોર્ટે ચુસ્ત મેડિકલ માર્ગદર્શન અને કાનૂની પ્રક્રિયા હેઠળ દયા મૃત્યુને યોગ્ય માન્યું છે.


ભારતમાં ઇચ્છા મૃત્યુનો વિવાદ પશ્ચિમની તર્જ ઉપર સંવિધાન બન્યા પછી, અને 60ના દાયકામાં સ્વતંત્ર પાર્ટીના સ્થાપક અને સાંસદ મીનુ મસાણીએ સોસાયટી ફોર ધ રાઈટ ટુ ડાઈ વિથ ડિગ્નિટીની સ્થાપના કરી ત્યારથી ફોકસમાં આવ્યો છે. પશ્ચિમના ધર્મોમાં પુનર્જન્મની ધારણા નથી. આ એક જ જીવન છે. એટલે એને રક્ષવાનો ધાર્મિક આદેશ છે. મરવું એ પાપ છે એ ઈસાઈ અને ઇસ્લામિક ખયાલ છે. ત્યાં જીવન ઈશ્વરના સીધા આદેશ હેઠળ છે, અને એના ઉપર આપણો હક નથી. હિંદુઓમાં એક જ જીવન નથી, પણ અનેકાનેક જીવન છે. એ સાઈકલ છે. એટલે ફરજ પૂરી કરીને જતા રહેવું એ અસહજ નથી. હિંદુઓમાં જીવન ચાર ભાગમાં વહેંચાયેલું છે; ધર્મ (અભ્યાસ), અર્થ (રોજગારી), કામ (લગ્ન અને પરિવાર) અને મોક્ષ (સ્વેચ્છા-મૃત્યુ).


હિંદુ પરંપરામાં પ્રાયોપવેશનમનો ખયાલ છે જેનો અર્થ થાય છે ઉપવાસ કરીને જીવન છોડવું. મહાભારતમાં રાજા પરીક્ષિત પ્રાયોપવેશનમ કરતા હતા ત્યારે વ્યાસના પુત્ર ઋષિ શુકદેવે એમને ભાગવત પુરાણ સંભળાવ્યું હતું. સાવરકરે 21 દિવસના ઉપવાસ કરીને 26 ફેબ્રુઆરી, 1966ના રોજ દેહ ત્યાગ્યો હતો. વિનોબા ભાવેને હૃદય રોગનો આવ્યો તે પછી તેમણે સાત દિવસ સુધી અન્ન, પાણી અને દવાનો ત્યાગ કરીને 15 નવેમ્બર, 1982ના રોજ દેહ ત્યાગ્યો હતો.

મહાભારતમાં ભીષ્મ પિતા સ્વેચ્છાએ બાણસૈયા ઉપર સૂઈ ગયા હતા. યુદ્ધ પછી પાંડવો હિમાલયમાં હાડ ગાળવા ગયા એ ઈચ્છા મૃત્યુ હતું. યદુવંશના નાશ પછી કૃષ્ણના જ્યેષ્ઠ ભાઈ બલરામ સમુદ્ર કિનારે સમાધિમાં બેસી દેહ ત્યાગી ગયા હતા. એ પછી કૃષ્ણ પણ પીપળના ઝાડ નીચે એવી રીતે બેઠા કે પારધીએ હરણની આંખ સમજીને એમના પગને તીર મારી દીધું.


મૃત્યુને લઈને આપણે ખાસ્સા ઉદાર હતા, પરંતુ પશ્ચિમના મૉડલ ઉપર આપણી કાનૂન વ્યવસ્થા આવી એટલે આખો અભિગમ ક્રિમિનલ બની ગયો. ઇન ફેક્ટ, આપણે ત્યાં મૃત્યુ એટલે જીવનનો અંત નથી. જીવ (અથવા આત્મ) મરતો નથી, અને અનેક ખોળિયામાંથી પસાર થતો રહે છે. એ રીતે મૃત્યુ એ કામચલાઉ વિશ્રામ છે.


યુ.જી. કૃષ્ણમૂર્તિ નામના વિચારક ફિઝિક્સની રીતે કહેતા કે, “શરીર માટે મૃત્યુ નથી, માત્ર અણુઓનું રિશફલિંગ છે. અણુઓ મરતા નથી. એ જગ્યા બદલીને બીજા ફોર્મમાં નિરંતર રહે છે. જીવન અને મરણને એકબીજાથી છૂટાં પાડી ના શકાય, કારણ કે શરીર બીજા ફોર્મમાં પણ જીવતું જ રહે છે. વાસ્તવમાં શરીર અમર છે, અને જન્મ કે મૃત્યુ જેવું કશું નથી.’ આવા જ અંદાજમાં સુપ્રીમ કોર્ટે પણ 9મી ફેબ્રુઆરીએ ઇચ્છા મૃત્યુના એના ફેંસલામાં કહ્યું હતું, “જીવન અને મરણ અવિભાજ્ય છે. મરવું એ જીવવાની ક્રિયાનો જ ભાગ છે.’

એટલા માટે જ સુપ્રીમ કોર્ટ માટે ‘યતો ધર્મસ્તતો જય:’ એ ‘સત્યમેવ જયતે’ ની ઉપર છે. ધર્મમાં ધ્રી ધાતુનો અર્થ છે ‘જારી રાખવું, વહન કરવું, સંભાળવું.’ ધર્મ માનવ જીવનને પ્રકૃતિના લયમાં જાળવી રાખે છે. ધર્મ એટલે ‘જે સંસારને જારી રાખે અથવા સંભાળે તે.’ બે અગત્યના ફેંસલામાં સુપ્રીમ કોર્ટે આ ધર્મને સાબિત કરી દીધો.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 18 માર્ચ 2018

Loading

સ્વેચ્છામૃત્યુનો વિવાદઃ જીવન સંકેલવાનો હક અને કાયદો

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|23 March 2018

કોઈ વ્યક્તિ લાંબા સમયથી વૅન્ટિલેટર જેવી, શ્વાસ ટકાવી રાખવાની પ્રણાલિના ટેકે ‘જીવતી’ હોય, તો તેને આ ટેકો ન સ્વીકારવાનો અધિકાર


ગયા સપ્તાહે ભારતની સર્વોચ્ચ અદાલતે સ્વેચ્છામૃત્યુ જેવા કાનૂની તેમ જ સામાજિક રીતે અત્યંત વિવાદાસ્પદ મનાતા ગઢની ડોકાબારી ખોલી. અત્યાર લગી ગઢના દરવાજા ભિડાયેલા હતાઃ મૃત્યુ કુદરતી ક્રમમાં, માણસના કોઈ પણ પ્રયત્ન વિના જ હોવું જોઈએ. એવું ન હોય તો ગુનો ગણાય. તમે બીજા કોઈનો જીવ તો ન જ લઈ શકો, તમારો પોતાનો પણ જીવ ન લેવાય.

ગમે તેટલી પીડા થતી હોય, ગમે તેટલાં વર્ષોથી શ્વાસ ચાલુ હોય ને બાકીનું શરીર સાવ અચેતન પડ્યું હોય તો પણ નહીં. તેમાં પગલાની રીતે સાધારણ છતાં નીતિની દૃષ્ટિએ મોટો ફેરફાર કરીને સર્વોચ્ચ અદાલતની પાંચ ન્યાયાધીશોની બૅન્ચે મહત્ત્વનો ચુકાદો આપ્યો. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતા હેઠળની બૅન્ચે ઠરાવ્યું કે નાગરિકના જીવવાના અધિકારમાં તેના ગરીમાપૂર્ણ મૃત્યુનો અધિકાર સમાયેલો છે. એટલે કોઈ વ્યક્તિ લાંબા સમયથી વૅન્ટિલેટર જેવી, જીવન નહીં, શ્વાસ ટકાવી રાખવાની પ્રણાલિના ટેકે ‘જીવતી’ હોય, તો તેને આ ટેકો ન સ્વીકારવાનો અધિકાર છે. સાદા શબ્દોમાં કહીએ તો, તે સ્વેચ્છાએ એ ટેકો જતો કરીને મૃત્યુ મેળવી શકે છે.


અસાધ્ય રોગ કે અસહ્ય પીડાનો ભોગ બનેલો અને તેના નિવારણની આશા છોડી ચૂકેલો દરદી જાતે જીવનનો અંત આણી શકે કે નહીં, એ ચર્ચા ઘણી જૂની છે. આ રીતે જાતે જીવનનો અંત આણવા માટે અંગ્રેજી શબ્દ છેઃ Euthanasia/યુથેનેસિયા. ગુજરાતીમાં તે ક્યારેક ઇચ્છામૃત્યુ તરીકે ઓળખાય છે, પણ તેના માટેનો વધુ સચોટ શબ્દ સ્વેચ્છામૃત્યુ છે. કારણ કે તેમાં ઇચ્છા બીજા કોઈની નહીં, પોતાની (‘સ્વ’ની) હોય છે.

ગ્રીક શબ્દો Eu (સારું) અને Thanatos (મૃત્યુ) પરથી બનેલા યુથેનેસિયાની અર્થચ્છાયા વિશાળ છે. તકનિકી દૃષ્ટિએ તેને પૅસિવ (અક્રિય) અને અૅક્ટિવ (સક્રિય) એમ બે ભાગમાં વહેંચવામાં આવે છે. બીજું કંઇ કર્યા વિના જીવન ટકાવી રાખનાર પ્રણાલીનો ટેકો હટાવી લેવો એ સ્વેચ્છામૃત્યુનો પૅસિવ પ્રકાર છે.


અૅક્ટિવ સ્વેચ્છામૃત્યુ વધારે વિવાદાસ્પદ છે. કેમ કે, તેમાં કશું ન કરીને નહીં, ચોક્કસ પગલાં લઈને મૃત્યુને ભેટવાનું હોય છે. આ રીતમાં ધાર્મિક વિધિ કે માન્યતા પ્રમાણે ખોરાક-પાણી બંધ કરીને જીવન સંકેલી લેવાનો પણ સમાવેશ થાય છે. જૈન અને બૌદ્ધ ધર્મોમાં આવી પરંપરા છે.

પરંતુ તે ધાર્મિક હોવાને કારણે કાયદાની હદમાં આવતી નથી. એ સિવાયના રસ્તે, કશું કરીને મૃત્યુ મેળવવાનું ભારતમાં તો તે ગેરકાયદે છે, પણ નેધરલેન્ડ્સ અને સ્વિત્ઝર્લેન્ડ જેવા કેટલાક દેશોમાં અને અમેરિકાનાં કેટલાંક રાજ્યોમાં ચોક્કસ સંજોગોમાં તેને કાનૂની માન્યતા છે. (અમેરિકામાં સ્વેચ્છામૃત્યુના અધિકાર અને કાયદાની ચર્ચા બે સદીથી ચાલે છે) કેટલાંક ઠેકાણે ડૉક્ટરની મદદથી આવું મૃત્યુ મેળવવામાં આવે છે, જે ‘આસિસ્ટેડ’ અથવા ‘ડૉક્ટર આસિસ્ટેડ’ તરીકે ઓળખાય છે.


મામલો મૃત્યુનો હોય અને તેમાં બીજું કોઈ સંકળાય એટલે દુરુપયોગને અવકાશ રહેવાનો. એટલે જ, ભારતની સર્વોચ્ચ અદાલતે માત્ર ને માત્ર જીવન ટકાવી રાખનાર પ્રણાલી ખસેડવાની અને તે પણ દરદીની સંમતિથી એમ કરવાની રજા આપી છે. આવી સ્થિતિમાં દરદી નિર્ણય પણ શી રીતે લે? એટલે અદાલતે ‘લિવિંગ વિલ’ની જોગવાઈ કરી આપી છે. કોઈને લાંબો સમય કૉમામાં કે વેન્ટિલેટર પર ટકેલા, હેરાન થતા અને અઢળક રૂપિયા ઓછા કરતા જોઈને જેમને લાગતું હોય કે ‘હે ભગવાન, મારું આવું ન થવું જોઈએ.’ એવા લોકો માટે અદાલતી ચુકાદા પછી કાનૂની રસ્તો ખૂલ્યો છે. અત્યાર સુધી ઘણી વાર કુટુંબીજનો ડૉક્ટર સાથે ચર્ચા કરીને વૅન્ટિલેટર હટાવી લેવાનો નિર્ણય લેતાં હતાં અને તેમાં કુટુંબીજનો વચ્ચે અંદરોઅંદર એકરાગ ન હોય ત્યારે મુશ્કેલ સ્થિતિ ઊભી થઈ શકતી હતી. હવે વ્યક્તિ સ્વસ્થ હોય ત્યારે જ એવું વસિયતનામું કરી શકશે કે ‘જો હું આ પ્રકારની નિષ્ક્રિય સ્થિતિમાં મુકાઉં તો મને વૅન્ટિલેટરના સહારે ટકાવવાને બદલે, વિદાય થવા દેવો.’

આ ઈચ્છા વ્યક્તિની પોતાની હોવાને કારણે બીજા કોઈ એ વિશે શું માને છે, તે ગૌણ બની જશે.

અલબત્ત, જીવનના અંતની વાતમાં ગમે તેટલી ચોકસાઈ પછી પણ આશંકાનું તત્ત્વ રહે છે. એટલે જ્યાં સક્રિય સ્વેચ્છામૃત્યુને કાનૂની દરજ્જો મળ્યો છે, ત્યાં પણ વિવાદો થતા રહે છે. દોઢ-બે દાયકા પહેલાં અમેરિકામાં ડૉ. જૅક કૅવોર્કિઅને કાયદાની અવગણના કરીને સોથી વધુ લોકોને તેમની (દરદીની) ઇચ્છાથી મૃત્યુ આપ્યું હતું. તેમનો ઈરાદો ગુનાઈત ન હોવા છતાં, તેમનું કૃત્ય કાયદાની દૃષ્ટિએ ગુનાઈત હતું. એટલે તેમની પર ખૂનના આરોપસર કામ ચાલ્યું હતું અને થોડાં વર્ષની સજા પણ થઈ હતી.

આવા અપવાદો છતાં, એવું માનનારો એક વર્ગ છે કે ગરીમાપૂર્ણ જીવન જેટલું જ ગરીમાપૂર્ણ મૃત્યુ પણ મહત્ત્વનું છે. માટે, તેનો અધિકાર મળવો જોઈએ. ન્યુઝીલેન્ડની સંસદમાં ‘અૅન્ડ ઑફ લાઈફ ચૉઈસ બિલ’ અંગેની રજૂઆતોની મુદત ગયા અઠવાડિયે પૂરી થઈ. તેની તરફેણ અને વિરોધમાં પચીસેક હજાર રજૂઆતો થઈ. હવે તેની પર ચર્ચાઓ થશે અને નિર્ણય લેવાશે.

દરમિયાન, સક્રિય સ્વેચ્છામૃત્યુની જોગવાઈ ધરાવતા નેધરલેન્ડ્સમાં તબીબી સહાયથી થતાં સ્વેચ્છામૃત્યુનું પ્રમાણ વધતાં તપાસ શરૂ થયાના સમાચાર છે. ત્યાં છેલ્લાં પંદરેક વર્ષથી એવું શક્ય બન્યું છે કે ભારે પીડા ભોગવનાર દરદી ડૉક્ટરની મદદથી પોતાના જીવનનો અંત આણી શકે. ‘ધ ગાર્ડિયન’ના અહેવાલ પ્રમાણે, પાંચ વર્ષ પહેલાં તબીબી સહાયથી જીવનનો ‘ધ અૅન્ડ’ આણનારાની સંખ્યા 4,188 હતી, જે વર્ષ 2017માં 7,000 સુધી પહોંચી ગઈ.


તબીબી મદદ લેવાની રજા હોવા છતાં નેધરલેન્ડ્સના કાયદામાં એક વાત સાફ છેઃ પોતાના જીવનનો અંત આણવાનો નિર્ણય દરદીનો પોતાનો જ હોવો જોઈએ અને એ નિર્ણય લઈ શકે એવી માનસિક રીતે સ્થિર-સ્વસ્થ અવસ્થામાં દરદી હોવો જોઈએ. તબીબી સહાયથી થતાં સ્વેચ્છામૃત્યુનો આંકડો આટલો વધી ગયો, એટલે કેટલાક કિસ્સામાં એવું આંગળીચીંધામણ થયું છે કે દરદીની માનસિક સ્થિતિ કદાચ આ નિર્ણય લેવા જેટલી સ્વસ્થ ન હતી. આવા ચાર કેસની તપાસ સરકારી વકીલ દ્વારા ચાલી રહી છે.


સરખામણીમાં, ભારતની સર્વોચ્ચ અદાલતે સ્વેચ્છામૃત્યુને કાયદેસર માન્યતા આપવાની દિશામાં લીધેલું પહેલું પગલું ખાસ્સું સલામત અને સાવચેતીભર્યું છે. ધાર્મિક અને કાનૂની સહિતનાં અનેક કારણોસર અત્યાર સુધી સદંતર બંધ રહેલાં બારીબારણાંમાં ગરીમાપૂર્ણ મૃત્યુના અધિકારને કેન્દ્રમાં રાખીને નાનકડી ડોકાબારી ખૂલે, તે પણ આવકાર્ય છે.

સૌજન્ય : ‘નવાજૂની’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 18 માર્ચ 2018

Loading

...102030...3,1493,1503,1513,152...3,1603,1703,180...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved