Opinion Magazine
Number of visits: 9581884
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉત્તરપ્રદેશમાં એન્કાઉન્ટરનો સિલસિલો

અશ્વિનકુમાર ન. કારીઆ|Opinion - Opinion|24 March 2018

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમની આક્રમક કાર્યપદ્ધતિથી જાણીતા થયા છે. તેમણે ગત ૧૫ ફેબ્રુઆરીના રોજ વિધાનપરિષદમાં એમ જાહેર કર્યું કે અત્યાર સુધીમાં ૧૨૦૦ એન્કાઉન્ટરમાં ૫૦ ગુનેગારોનો સફાયો કરી દેવાયો છે. તેમણે વધુમાં કહ્યું કે ગુનેગારો પ્રતિ સહાનુભૂતિ લોકશાહી માટે ખતરનાક છે. વિરોધપક્ષોએ આ પ્રકારની હત્યાઓ બદલ ટીકા કરી છે અને આરોપ મૂક્યો છે કે નિર્દોષ અનેક નાગરિકો પણ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે.

ઐતિહાસિક રીતે જોઈએ તો ૧૯૭૦માં એક સમય એવો હતો કે જ્યારે રાજ્યના ગૃહપ્રધાન દરેક જિલ્લાની મુલાકાતે જઈ ત્યાંના પોલીસ – અધિક્ષક સાથે બેઠક યોજતા અને સફાયો કરવાનો હોય, તેવી વ્યક્તિઓની યાદી તેમાં તૈયાર થતી. ઉત્તરપ્રદેશમાં એન્કાઉન્ટરનો સિલસિલો તે સમયથી શરૂ થયો છે. ધીરે ધીરે એમ સમજાવા લાગ્યું કે આ ટૂંકો રસ્તો કોઈ પણ રીતે અપનાવવો જોઈએ નહીં. માનવ-અધિકારોની બાબતમાં પણ હવે મહત્ત્વ અપાવા લાગ્યું હતું.

રાષ્ટ્રીય પોલીસ આયોગે ૧૯૭૯માં તેના પ્રથમ અહેવાલમાં જ ભલામણ કરી હતી કે ગેરકાયદે મંડળી વિખેરવા પોલીસે કરેલ ગોળીબારમાં, બે કે તેથી વધારે વ્યક્તિઓનાં મોત નીપજેલ હોય, તો તેની ન્યાયીક તપાસ થવી જોઈએ. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે તા. ૨ ડિસેમ્બર, ૨૦૦૩ના રોજ જારી કરેલ માર્ગદર્શિકામાં કહ્યું છે કે પોલીસકાર્યમાં થયેલ મૃત્યુના તમામ બનાવોમાં મૅજિસ્ટ્રેટ તપાસ યોજાવી જોઈએ અને આવી તપાસ / મૅજિસ્ટ્રેટ તપાસમાં દોષિત જણાતા તમામ અધિકારીઓ સામે ફરિયાદ/શિસ્તભંગનાં પગલાં લેવાવાં જોઈએ. રાષ્ટ્રીય માનવઅધિકાર આયોગે ૨૦૧૦માં પુનઃ જારી કરેલ માર્ગદર્શિકામાં જણાવાયેલ છે કે એન્કાઉન્ટરના કોઈ પણ બનાવની ૪૮ કલાકમાં જાણ કરવાનું રાજ્ય માટે ફરજિયાત છે અને એન્કાઉન્ટર થયાની તારીખથી ત્રણ માસમાં તેનો વિગતવાર અહેવાલ આયોગને પહોંચતો કરવો જોઈએ.

સર્વોચ્ચ અદાલતે પી.યુ.સી.એલ. વિ. સ્ટેટ ઑફ મહારાષ્ટ્રના કેસમાં ૨૩ સપ્ટેમ્બર, ૨૦૧૪ના રોજ વિગતવાર માર્ગદર્શિકાઓ જારી કરેલ છે. સર્વોચ્ચ અદાલતે જણાવેલ છે કે એન્કાઉન્ટરના તમામ કેસોમાં એક સિનિયર પોલીસ-અધિકારીની દેખરેખ હેઠળ અન્ય પોલીસ-સ્ટેશનની સી.આઈ.ડી. ટીમે અન્વેષણ હાથ ધરવું જોઈએ અને મૅજિસ્ટ્રેટ તપાસ યોજીને મૅજિસ્ટ્રેટને તેનો અહેવાલ સુપરત કરવો જ જોઈએ. પોલીસ-ગોળીબારમાં મૃત્યુ પામતી તમામ વ્યક્તિઓના કેસોમાં દર છ માસે રાજ્યના પોલીસવડાએ રાષ્ટ્રીય માનવ-અધિકાર આયોગ અહેવાલ મોકલવા જણાવેલ છે. જો અન્વેષણમાં એવું તારણ નીકળે કે ગુનાહિત કૃત્યથી કોઈનું મોત થયેલ છે, તો અધિકારી સામે શિસ્તભંગનાં પગલાં લેવાવાં જોઈએ. સર્વોચ્ચ અદાલતે વધુમાં એમ પણ જારી કરેલ છે કે પોલીસ – અધિકારીએ મોત નિપજાવનાર શસ્ત્ર ફૉરેન્સિક લૅબોરેટરી તપાસ માટે સુપરત કરવું જોઈએ અને પોલીસનું કૃત્ય શુદ્ધબુદ્ધિનું પુરવાર ન થાય ત્યાં સુધી કોઈ પોલીસને પ્રમોશન કે બહાદુરી-ઍવૉર્ડ એનાયત થવા જોઈએ નહીં.

આ માર્ગદર્શિકાઓનું પરિણામ એ આવ્યું કે પોલીસ-અધિકારીઓ હવે બળનો ઉપયોગ કરતા અચકાવા લાગ્યા. કોઈ વાર જરૂર હોય, ત્યારે પોલીસે બળપ્રયોગ કરેલ હોય, તો પણ રાજકારણીઓ પોલીસનો બચાવ કરતા ન હતા. પોલીસદળ હવે બચાવની સ્થિતિમાં મુકાઈ ગયું હતું. એક રાજ્યમાં, રાજ્ય પોલીસવડાએ ખુલ્લેઆમ તોફાનીઓ પર બળપ્રયોગ કરવા ઇન્કાર કર્યો અને માત્ર તોફાનના બનાવની વીડિયોગ્રાફી કરવા આદેશ કર્યો. હરિયાણામાં ફેબ્રુઆરી, ૨૦૧૬માં થયેલ અનામત – આંદોલન સમયે પોલીસે કોઈ કામગીરી ન કરતાં, કાયદોવ્યવસ્થાની સ્થિતિ તદ્દન ભાંગી પડી હતી. વર્ષના ૧૨ માસ દરમિયાન મોટા ભાગનાં રાજ્યોમાં કેન્દ્રીય સશસ્ત્ર દળ તૈનાત રાખવાની ફરજ પડે છે, કારણ કે રાજ્ય પોલીસ કાં તો સક્ષમ નથી અથવા નાઇચ્છુક છે.

યોગીસરકાર સત્તારૂઢ થયા પૂર્વેના દસકામાં ઉત્તરપ્રદેશમાં, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઘણી ખરાબ થઈ ચૂકી હતી. ગુનેગારોનો એક વર્ગ એમ માનતો હતો કે તેઓ કાયદાથી પર છે. તેમણે પોતાનાં ગુનાહિત કૃત્યોથી સમાજને બાનમાં લીધો હતો. એક તોફાની ગુનેગાર જે ખરેખર જેલમાં હોવો જોઈતો હતો, તેના બદલે સચિવાલયની લૉબીમાં આંટા મારતો દેખાયો હતો. એક વખત તો અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ તોફાની તત્ત્વો હાઈકોર્ટમાં ઘૂસી જતાં, તેમણે લશ્કરને બોલાવવું પડ્યું હતું. આવી પરિસ્થિતિમાં કડક પગલાં લેવાનું અનિવાર્ય હતું. પોલીસને તોફાની તત્ત્વો સાથે કડક હાથે કામ લેવા આદેશો જારી કરાયેલ હતા. આંકડા તરફ નજર નાખીએ, તો ૩૦ એન્કાઉન્ટરે એક મૃત્યુ થયેલ છે. કોઈ પણ સંજોગોમાં પોલીસે સાવચેતીપૂર્વક બળપ્રયોગ કરવો જોઈએ. તેણે કાયદાની મર્યાદામાં રહીને જ કાર્ય કરવું જોઈએ. ટૂંકો રસ્તો લાંબા ગાળે બૂમરેંગ પુરવાર થાય છે.

કોઈ પણ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણવા માટે બે કસોટીઓ છે : પ્રથમ એ કે શું ગુનેગારોને પોલીસની બીક લાગે છે? બીજી એ કે લોકોને પોલીસ પર ભરોસો છે? યોગીસરકાર પ્રથમ કસોટીમાં પાર ઊતરી છે. પોલીસે લોકો સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખવો જોઈએ.

[માહિતી સ્રોત : The Indian Express, તા. ૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૮]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2018; પૃ. 05 

Loading

બગલાની વારતા

કરસનદાસ લુહાર|Opinion - Opinion|24 March 2018

જગલાની વારતા અને ભગલાની વારતા,
લીરા થયેલ ચોરણી, ડગલાની વારતા.

લુચ્ચાઈની સફેદી ને કાળાશનું બયાન,
એક કાગડો કહી રહ્યો બગલાની વારતા.

કૈં વાર સાંભળી બહેરા, કાન થૈ ગયા,
આ જિંદગી છે વાઘ ને સસલાની વારતા.

દુકાળિયાના દેશમાં જીવી રહી હજુ –
તું ધન્ય છે હે, ધાન્યના ઢગલાની વારતા!

રસ્તો કહેશે ધૂળની ભાષા મહીં કદી –
રસ્તે પડ્યાં નથી જ એ પગલાંની વારતા.

સૌ સાંભળે પણ કોઈ ન હોંકારો આપતું;
રઘલો કહે ગરીબીના ગગલાની વારતા.

મહુવા, ભાવનગર

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2018; પૃ. 05

Loading

સયાજીરાવ ગાયકવાડનો વારસો

મકરન્દ મહેતા|Opinion - Opinion|24 March 2018

સયાજીરાવ ગાયકવાડ(૧૮૬૩-૧૯૩૯)ની ૧૭૫મી જન્મજયંતી તા.૧૧ માર્ચ, ૨૦૧૮ના રોજ ઊજવાઈ. સયાજીરાવ માત્ર વડોદરા રાજ્યના મહારાજા ન હતા, તેઓ સાંસ્થાનિક ભારતના એક મોટા ગજાના ભારતીય નેતા હતા. તેમણે સંગીત, સાહિત્ય, ચિત્રકલા, પ્રાથમિકથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ, રમતગમત અને વ્યાપારઉદ્યોગને ઉત્તેજન આપ્યું હતું. તેઓ પ્રખર રાષ્ટ્રવાદી હતા. દાદાભાઈ નવરોજી, રોમેશચંદ્ર દત્ત અને મહાદેવ ગોવિંદ રાનડેની જેમ તેઓ મોટા ગજાના આર્થિક રાષ્ટ્રવાદી હતા, એટલું જ નહીં પણ એમણેે પરંપરાગત ગૃહઉદ્યોગો તથા નવી ટેક્‌નોલૉજીને આધારે આધુનિક ઉદ્યોગો વિકસાવીને પરાધીન ભારતને સ્વનિર્ભર કરવાના અથાગ પ્રયાસો કર્યા હતા. તેમનો આર્થિક રાષ્ટ્રવાદ તેમની શૈક્ષણિક અને સામાજિક નીતિઓ વગર સમજી શકાય તેમ નથી. ૧૯૦૨માં સયાજીરાવે કૉંગ્રેસના અધિવેશનની સાથે અમદાવાદમાં યોજાયેલા ઔદ્યોગિક પ્રદર્શનમાં કહ્યું હતું : “જો આર્થિક રાષ્ટ્રવાદનો ઉદ્દેશ વિકાસનો હોય, તો છેવટે આ વિકાસ કોને માટે છે? વિકાસનો લાભ ગરીબો સુધી પહોંચવો જ જોઈએ.”

શૈશવકાળના અનુભવો : સવાલ એ છે કે અત્યંત ધનવાન અને સત્તાધારી રાજા હોવા છતાં તેઓ ગરીબો અને વંચિતોની વહારે કેમ ધાયા હતા. ખરી વાત એ છે કે ૧૮૭૫માં રાજા તરીકે પસંદ થયા તે પહેલાં સયાજીરાવે ‘ગોપાલરાવ ગાયકવાડ’ તરીકે બાળપણમાં કવળાણા ગામ(જિ. નાસિક)માં ખેતી કરી હતી અને મરાઠા, મહાર અને કણબી બાળકો સાથે રમતો રમ્યા હતા. વળી, તેમના પિતા કાશીરામ અને કાકાઓ જ્યોતિરાવ ફુલેના બહુજનસમાજ આંદોલનના સંપર્કમાં હતા. બહુજનસમાજ આંદોલન ઊંચ-નીચના ભેદભાવ ઉપર રયાયેલા વર્ણ અને શાંતિવ્યવસ્થા સામેનો ‘કલ્ચરલ રિવોલ્ટ’ હતો. માત્ર ૧૨મે વર્ષે જ્યારે ગોપાળરાવ સયાજીરાવમાં પલટાયા, ત્યારે હરીફ મરાઠા સરદારોએ ગાદી પ્રાપ્ત કરવા તેમને મહાર અસ્પૃશ્ય તરીકે જાહેર કરેલા. બાળકના મનને શું થયું હશે! છેવટ સુધી સયાજીરાવે ખેડૂતો, આદિવાસીઓ અને દલિતો સાથેની આઈડેન્ટિટી ચાલુ રાખી હતી. તેની ભીતરમાં સયાજીરાવના બાળપણના મનોવૈજ્ઞાનિક અને ઇમોશનલ ડિસ્ટર્બન્સમાં સૂક્ષ્મ કણો છુપાયા હતા. અત્રે યાદ રહે કે જે સમયે બાબાસાહેબ આંબેડકરને કોઈ ઓળખતું પણ ન હતું. તે સમયે તેમને વધુ અભ્યાસ માટે ૧૯૧૩માં અમેરિકા અને ઇંગ્લૅન્ડ મોકલનાર સયાજીરાવ જ હતા. જગાને અભાવે અહીં સંક્ષિપ્તમાં ચર્ચા કરીશું.

દલિત ઉત્કર્ષ-પ્રવૃત્તિ : સ્ત્રી-કેળવણી અને દલિતો તથા આદિવાસીઓનાં શિક્ષણને ઉત્તેજન આપવા સયાજીરાવે ૧૮૯૨માં અમરેલી તાલુકાને પસંદ કરીને મુક્ત અને ફરજિયાત શિક્ષણનો ધારો પસાર કર્યો. અસ્પૃશ્ય બાળકોનો જ્યારે સવર્ણ બાળકો અને તેમના વાલીઓએ વિરોધ કર્યો, ત્યારે સયાજીરાવે કાયદા મુજબ તેમને કડક સજા કરી. તેની ધારી અસર થઈ. અમરેલીનો પ્રયોગ સફળ થતાં મહારાજાએ ૧૯૦૭માં આ કાયદો સમગ્ર રાજ્યને લાગુ પાડ્યો. નોટ, પેન્સિલ, સ્લેટ, પેન, ભણવાનું મફત. જે વિદ્યાર્થી નિયમિત હાજરી પુરાવે, તેને પ્રોત્સાહન-ઇનામ મળે અને જે ગેરહાજર રહે તેને દંડ થાય.

સયાજીરાવે મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો પસાર કરીને રાજ્યમાં ઠેરઠેર અંત્યજ શાળાઓ શરૂ કરી. જ્યારે લોકોએ ‘હોહા’ કરી મૂકી, ત્યારે રાજાએ સત્તા તથા પ્રગતિશીલ કાયદાનો ઉપયોગ કરીને જાહેર કર્યું “હું એક પ્રગતિશીલ રાજા છું અને માનવ-સમાનતામાં માનું છું. તેથી મેં કાયદો પસાર કરીને મારાં સૌ પ્રજાજનોને શૈક્ષણિક તકો પૂરી પાડી છે. જો તમે વિરોધ કરશો, તો હું તમને પહેલાં કરતાં પણ વધારે આકરી સજા કરીશ.” જ્યાં આવું વાતાવરણ હોય ત્યાં ‘ઉનાકાંડ’ ક્યાં હોય?! મહારાજા આર્થિક રાષ્ટ્રવાદી હતા, કલ્ચરલ નેશનાલિસ્ટ કદી પણ નહીં! ૧૯૦૩માં તેઓ મુંબઈના ડિપ્રેસ્ડ કલાસીસ મિશનના પ્રમુખ અને પ્રખર સમાજસુધારક વિઠ્ઠલ રામજી શિંદેને વડોદરા બોલાવી લાવ્યા. ૧૯૦૭માં લાહોર ગયા અને મહાન આર્યસમાજ નેતા આત્મારામ અમૃતસરીને વડોદરા બોલાવી લાવ્યા. તેમના દલિત શિષ્ય નાગજીભાઈ આર્યએ પોતાના અનુભવો ટાંકતાં લખ્યું છે કે એક પ્રસંગે જ્યારે અંત્યજ વિદ્યાર્થીઓ આત્મારામ સાથે ડમણિયા અને ગાડામાં બેસીને વડોદરાથી ડભોઈ જઈ રહ્યા હતા, ત્યારે તેમને સવર્ણ હિંદુઓએ અટકાવ્યા કે તમે અસ્પૃશ્ય હોવા છતાં સારાં કપડાં પહેરીને બળદગાડામાં કેમ જાવ છો. તેમાંથી બખેડો થતાં તાલીમ પામેલા અસ્પૃશ્યોએ લાઠી અને દંડાઓનો પ્રયોગ કરીને કેટલાક દુશ્મનોનાં હાડકાં ખોખરાં કરી નાખ્યાં! આવું સંઘબળ જોઈને તેઓ ભાગી ગયા. આમ છતાં તે સમયે આજની જેમ આપણો મોટા ભાગનો સવર્ણ સમાજ એવો તો જડ હતો કે મહારાજાને નાકે દમ આવ્યો હતો. તા. ૧૬-૯-૧૯૦૯ના રોજ પૂનામાં યોજાયેલા ડિપ્રેસ્ડ ક્લાસીસ મિશનના મેળાવડામાં સયાજીરાવે ભાષણમાં કહ્યું હતું :

“તમને જણાવતાં મને આનંદ થાય છે કે આજે મારા રાજ્યમાં ૩૩૬ અંત્યજ શાળાઓ ચાલે છે અને તેમાં દસ હજાર કરતાં વધારે છોકરા-છોકરીઓ ભણે છે. આ ઉપરાંત મેં ચાર વસ્તીગૃહો કાઢ્યાં છે. પણ મારે દિલગીરી સાથે કહેવું પડે છે કે, હજુ પણ ઘણાં હિંદુ શિક્ષકો એવા તો જડ છે કે તેમને દોઢો પગાર વધારે આપવા છતાં તેઓ મારી ઑફર સ્વીકારતા નથી. તેથી હું બાળકોને ભણાવવા ખ્રિસ્તી, મુસલમાન, પારસી અને યહૂદી શિક્ષકોની નિમણૂક કરું છું.”

સયાજીરાવે ધીમે-ધીમે શિક્ષિત અંત્યજોને રાજ્યની નોકરીમાં લીધા. વૉટરવર્ક્સ, કેળવણી, બાગબગીચા, મિસ્ત્રીકામ, ઇલેક્ટ્રિશિયન, સુધરાઈ અને પોલીસખાતામાં આ રીતે દલિતો નોકરિયાત બન્યા. આપણે અગાઉ જોયું તે મુજબ ડૉ. આંબેડકરને ઉચ્ચ અભ્યાસ માટે મહારાજાએ વિદેશ મોકલ્યા હતા. ઈ.સ. ૧૯૩૬ના એક અહેવાલ મુજબ :

“હાલ વડોદરાની રાજ્યનાં ૨૪,૧૯૭ અંત્યજ બાળકો પ્રાથમિક શાળામાં અને ૨૦૩૪ વિદ્યાર્થીઓ માધ્યમિક અંગ્રેજી હાઈસ્કૂલોમાં અભ્યાસ કરી રહ્યાં છે. સરકાર તેમને મફત શિક્ષણ આપવા ઉપરાંત મફત પેન, પેન્સિલ, સ્લેટ અને પાઠ્યપુસ્તકો આપે છે. વડોદરા કૉલેજમાં હાલ ૨૮ અંત્યજો ભણી રહ્યા છે. વડોદરા, પાટણ, અમરેલી, સોનગઢ, વ્યારા અને મહુવાનાં વસતિગૃહોમાં અંત્યજ વિદ્યાર્થીઓ મફત ભણે છે. તેમનું ખાવાપીવાનું પણ સરકાર પૂરું પાડે છે.”

મહારાજા સયાજીરાવ ગાયકવાડ માટે કહેવાયું છે કે ‘The Maharaja had the might of an autocrat, but the mind of a democrat.’ તેઓ સાચા અર્થમાં દલિતોના મિત્ર અને ઉદ્ધારક હતા. મહારાજાનો આ વારસો ખરેખર પ્રેરણાદાય છે.

સયાજીરાવ ગાયકવાડ અને આદિવાસીઓ : દલિતોની જેમ મહારાજા આદિવાસીઓના પણ ઉદ્ધારક હતા. તેઓ તેમના રાજ્યનાં તમામ તાલુકાઓ અને ગામોમાં ફરીને પ્રજાની પરિસ્થિતિનો પ્રત્યક્ષ અનુભવ કરતા. તે મુજબ તેમણે ઈ.સ. ૧૮૮૪માં નવસારી પ્રાંતમાં માંગરોળ, કામરેજ, સોનગઢ, વ્યારા, મહુવા, પલસાણા, નવસારી અને ગણદેવી એમ તમામ ૮ તાલુકાઓની મુલાકાત લીધી. તેમણે તંબુઓ બાંધીને ચૌધરી, ડામોર, ગામીત, કાથુડિયા, ઘોડિયા, કુકણા, વસાવા અને દૂબળા જેવા અત્યંત ગરીબ, નિરક્ષર અને પછાત આદિવાસીઓની મુલાકાત લીધી અને તેમની સાથે વાર્તાલાપો કર્યા. ત્યાંથી પાછા ફર્યા બાદ તેમણે પ્રાંતના સૂબા ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ સાથે યોજના ઘડી અને ૧૮૮૬માં સોનગઢ અને વ્યારામાં આદિવાસીઓની શાળાઓ અને હૉસ્ટેલોની સ્થાપના કરી. તેને બીજે વર્ષે અન્ય તાલુકાઓમાં શાળાઓ અને હૉસ્ટેલોની સ્થાપના કરી. હિંદુ શિક્ષકો તેમને ભણાવવા તૈયાર ન હોવાથી મુસલમાન શિક્ષકોને નોકરી આપી. મહારાજાએ ફતેહખાન પઠાણ નામના બાહોશ કેળવણીકારને આદિવાસી શાળાઓ અને છાત્રાલયોના સુપ્રિન્ટેન્ડન્ટ બનાવ્યા. વડોદરામાં દલિતોની શાળાઓ અને હૉસ્ટેલોના સુપ્રિન્ટેન્ડન્ટ આર્યસમાજી નેતા આત્મારામ અમૃતસરી અને આદિવાસીઓના સુપ્રિન્ટેન્ડેન્ટ ફતેહખાન પઠાણ ! બંને મિલિટન્ટ હોવાથી લાઠીરૂપી ‘લાલિયો લઠ્ઠ’ રાખતા અને વિદ્યાર્થીઓને પકડાવી તે તેમને તાલીમ આપતા અને તેમનાં બાવડાં મજબૂત બનાવતાં. જ્યાં તમામ વિનંતિઓ અને દલિતો નિષ્ફળ જાય. ત્યાં આજે પણ ‘લાલિયો લઠ્ઠ’ જ કામમાં આવે છે! મહારાજા કલ્ચરલ નેશનાલિસ્ટ નહોતા! તેમણે આદિવાસીઓ અને દલિતોનાં બાવડાં મજબૂત બનાવ્યાં હતાં. આ પણ આજે સમજી જવા જેવી વાત છે! સયાજીરાવ સ્વમાની રાજા હતા અને રૈયતને સ્વમાની બનાવવાના પ્રયાસો કરતા હતા. અહીં વિખ્યાત અમેરિકન સાહિત્યકાર વોલ્ટ વ્હીટમેનનું (૧૮૧૯-૧૮૯૨) ‘Song of Myself’ યાદ આવે છે, કારણ કે તે સયાજીરાવનાં માનવીય મૂલ્યો તેમ જ તેમની સમાનતાની ભાવનાને વ્યક્ત કરે છે.

“I Celebrate myself, and Sing myself,
And what I assume, you shall assume,
For every atom belonging to me.
As good belongs also to you.”

સયાજીરાવે આદિવાસી સમાજ અને અન્ય ખેડૂતોના લાભ માટે સહકારી મંડળીઓ સ્થાપી, કૃષિવિષયક પ્રદર્શનો યોજ્યાં અને ખેતીનાં ઓજારો પૂરાં પાડ્યાં. તેમણે રેશમનો ઉદ્યોગ શીખવા અમરસિંહ ચૌધરી નામના આદિવાસી યુવાનને બુરહાનપુર મોકલ્યા. બે વર્ષની તાલીમ બાદ ૧૯૦૫માં અમરસિંહ પાછા ફરતાં સયાજીરાવે સોનગઢમાં રેશમનો ઉદ્યોગ શરૂ કરીને કિસનસિંહ અને દેવજી ભગતસિંહ જેવા આદિવાસીઓને તાલીમ આપી.

સયાજીરાવ ખૂબ પ્રૅક્ટિકલ માણસ હતા. જે જમાનામાં દુર્ગારામ મહેતાજી, નર્મદ, મહીપતરામ રૂપરામ, કવિ દલપતરામ અને ભોળાનાથ સારાભાઈ જેવા પ્રખર સમાજ સુધારકો પણ દલિતો અને આદિવાસીઓ સુધી નહીં પહોંચેલા, તે જમાનામાં આદિવાસી લોકોની સમસ્યાઓને સમજીને તેમના ઉત્થાન માટેની પૉલિસી ઘડવા માટે સયાજીરાવે પ્રેમાનંદ ધોળીદાસ પટેલ નામના એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટરને ૧૮૮૯માં નવસારી પ્રાંતના તાલુકાઓ અને ગામડાંઓમાં મોકલ્યા. પ્રેમાનંદ પટેલ સેંકડો આદિવાસીઓને મળ્યા અને તેમનાં રીતરિવાજો, રહેણીકરણી, ખાનપાન, કહેવતો, દારૂતાડી સહિતનાં જન્મ-લગ્ન અને મરણનાં રીતરિવાજો, ઉખાણાં અને રમતગમતોની માહિતી પ્રાપ્ત કરી. આદિવાસીઓનાં લોકગીતો ભેગાં કર્યાં. તેને આધારે તેમણે રાજ્ય તરફથી ૧૯૦૧માં ‘નવસારી પ્રાંતના કાળીપરજ’ નામનો દળદાર અને સમૃદ્ધ ગ્રંથ પ્રકાશિત કર્યો. આદિવાસીઓનો ઇતિહાસ તથા તેમની સોશિયોલૉજિકલ માહિતીની આજે પણ તે ખાણ છે. બ્રિટિશ રેકડ્‌ર્સમાં તો આદિવાસીઓને ‘ગુનેગારોની ટોળી’ તરીકે વર્ણવવામાં આવ્યા છે, પણ આદિવાસીઓનાં લોકગીતો તેનાથી તદ્દન ભિન્ન તરી આવે છે. તેમાંથી આદિવાસીઓનાં દર્દો ઉપરાંત તેમનાં ‘સેલ્ફ-એસર્શન’ પણ પ્રગટ થાય છે. આદિવાસીઓએ તીરકામઠાંઓનો ઉપયોગ કરીને તેમનું શોષણ કરનાર પારસી દારૂતાડીવાળાઓને તથા હિંદુ શરાફો તથા જમીનદારોને ઢીલા પાડ્યા હતા. ઉપર્યુક્ત ગ્રંથમાંથી માત્ર એક લોકગીત રજૂ કરીશું. તે આદિવાસી સમાજની લાઇફ-સાઇકલ (જીવનચક્ર) ઉપર અદ્‌ભુત પ્રકાશ નાખે છે. ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાનો ચોથો ભાગ ૧૯૦૧માં પ્રસિદ્ધ થયો હતો અને ‘નવસારી પ્રાંતની કાળીપરજ’ ગ્રંથ પણ એ જ સાલમાં પ્રસિદ્ધ થયો હતો. બંને ગ્રંથોની વિભાવના ઘણી ભિન્ન છે. એ તો સારું થયું કે એક સમયનાં ગરીબ બાળખેડૂતોમાં પ્રેમાનંદ પટેલને ફિલ્ડ-વર્ક માટે મોકલ્યા હતા.

આદિવાસીઓની દારુણ લાઇફ-સાઇકલ :

“ઝાડ વગરની ડુંગરી કેવી ?
ચીમડી (ઢોરને ખાવા માટેનો છોડ) ઊગે તેવી.
તે ચીમડી પણ કેવી છે? ગાય ખાય તેવી.
તે ગાય પણ કેવી છે? દૂધ આપે તેવી.
તે દૂધ પણ કેવું છે? દહીં થાય તેવું છે.
તે દહીં પણ કેવું છે? છાશ થાય તેવું છે.
તે છાશ પણ કેવી છે? માખણ થાય તેવી છે.
તે માખણ પણ કેવું છે? ઘી તાવે તેવું છે.
તે ઘી પણ કેવું છે? વાણિયો લઈ જાય તેવું છે.
તે વાણિયો પણ કેવો છે? પૈસા આપે એવો છે.
તે પૈસા પણ કેવા છે? સોની લે તેવા છે.
તે સોની પણ કેવો છે? કાનની વાળી ઘડે તેવો છે.
તે વાળી પણ કેવી છે! જુવાનડી પહેરે તેવી છે.
તે જુવાનડી કેવી છે? તે છોકરાં થાય તેવી છે.
તે છોકરાં પણ કેવા છે? બાપ કહે તેવા છે.
તે બાપ પણ કેવો છે? કમાણી કરે તેવો છે.
તે કમાણી પણ કેવી છે? વાણીમાં લઈ જાય તેવી છે.

આ એક સીધુંસાદું લોકગીત તે સમયના આદિવાસી તથા બાહ્યસમાજ વચ્ચેના આંતરસંબંધો ઉપર વેધક પ્રકાશ નાંખે છે.

છેવટે માત્ર એટલું જ ઉમેરવાનું રહે છે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ એક એવા દૃષ્ટા હતા જેમણે સમાજપરિવર્તન અને આર્થિક વિકાસના સિદ્ધાંતો અને આદર્શોને તેમની પોતાની રીતે તથા તેમની પોતાની મર્યાદામાં રહીને ચરિતાર્થ કરી બતાવ્યા હતા. તેમના જન્મને પોણા બસો વર્ષ થઈ ગયાં છે અને મૃત્યુને પણ એંશી વર્ષ થયાં છે. તેઓ આજની પબ્લિક મૅમરીમાંથી તદ્દન વિસ્મૃત થઈ ગયા છે. આમ છતાં તેમને યાદ કરવા જેવા છે. તેમનામાંથી જે કાંઈક તો પામી શકાય તેવી આ વાત છે. એક પ્રસંગે તેણે કહ્યું હતું : “There is nothing I love so much as a good fight !”

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2018; પૃ. 08-09

Loading

...102030...3,1483,1493,1503,151...3,1603,1703,180...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved