Opinion Magazine
Number of visits: 9580843
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વસ્ત્રાપુરના વડની જ નહીં, કોઈ પણ વૃક્ષની હત્યા કરવી એ લોકો હોય અને શાસકો બંને માટે અપરાધ છે

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|3 April 2018

કુદરત અને માણસના સહઅસ્તિત્વની સમજ  દુનિયાને બચાવી શકશે

करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् । 
वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि ॥

વડનાં પાંદડાના ઉલ્લેખવાળો આ શ્લોક કૃષ્ણ ભગવાન પરનાં સ્તોત્રોમાં જાણીતો છે (અને એટલો જ જાણીતો છે ઘણા લોકોનો વટવૃક્ષ માટેનો અભાવ પણ). તેમાં વડનાં પાન પર સૂતા હોય તેવા બાળકૃષ્ણની કલ્પના છે. વડની સાથે માર્કણ્ડેય પુરાણની પ્રલયકથા જોડાયેલી છે. તેમાં ખુદ ઇશ્વર પાંદડા પર  બાળકૃષ્ણનું રૂપ લઈને પ્રલયમાંથી સકલસૃષ્ટિને તારવા આવ્યા છે. પ્રલયમાં ય વટવૃક્ષ અડીખમ છે. ક્લાઇમેટ ચેઇન્જને કારણે ધીમે ધીમે આવી શકનારા પ્રલયમાં ય વૃક્ષો જ વિશ્વને વિનાશમાંથી બચાવી શકવાનાં છે. સંસ્કૃિતએ સંખ્યાબંધ વનસ્પતિને ધર્મ સાથે જોડી છે. ‘ગીતા’ના દસમા અધ્યાયના વિભૂતિયોગમાં ભગવાન કહે છે ‘અશ્વત્થ સર્વ વૃક્ષાણામ્’. પંદરમા અધ્યાયના ‘પુરુષોત્તમયોગ’માં અશ્વત્થ એટલે કે પીપળાને સંસારનું પ્રતીક ગણીને ‘ઉર્ધ્વ મૂલ: અધ: શાખા’ એવી કલ્પના છે.

આપણા બધાં દેવતા વનસ્પતિને ચાહે છે. જેમ કે, કૃષ્ણ તુલસીને, મહાદેવ બિલીને, હનુમાનજી આકડાને, લક્ષ્મીજી કમળને. ગણપતિને તો એક નહીં એકવીસ વનસ્પતિ ગમે છે. તેને મરાઠીમાં ‘પત્રી’ કહે છે. તેમાં ધરો કહેતાં દુર્વાંકુર એટલે ઘાસના એક પ્રકારનો પણ સમાવેશ છે. ઘાસ વગર આપણે ભાગ્યે જ જીવી શકીએ કારણ કે ઘઉં, ચોખા, બાજરી જેવાં ધાન એ ઘાસના પ્રકાર છે ! વનસ્પતિ અને પ્રાણીઓને ભારતીય સંસ્કૃિતએ દેવતાઓ સાથે જોડ્યાં છે પ્રભુ અને પ્રકૃતિના આ જોડાણની પાછળ તેમના રક્ષણની ભૂમિકા છે. દરેક ઘર ભલે વર્ષમાં એક વખતની પૂજા માટે પણ તેના ભગવાનને ગમતાં ફૂલ-છોડ-ઝાડ ઊગાડે તો ધરતી ન્યાલ થઈ જાય. કમનસીબે વિધિવિધાનનો આ અર્થ પકડાતો નથી. આપણા લોકો દેવસ્થાનો બાંધવા-વધારવામાં લખલૂટ ખર્ચ કરે છે, રસ્તા વચ્ચે દેરીઓ અને મજારો બાંધે છે.પણ જેમાં સંસ્કૃિતએ ભગવાન જોયા છે તે, વૃક્ષ-વનસ્પતિને ભૂલે છે, એટલું જ નહીં તેને સતત દૂર પણ રાખે છે. ખરેખર તો એક વૃક્ષ કાપવું એ એક મંદિર તોડવા બરાબર ગણાય. આપણે ઠેરઠેર છોડની દેરીઓ અને વૃક્ષરૂપી મંદિર-મસ્જિદની જરૂર છે.

અલબત્ત, ધાર્મિકતાથી દૂર જઈને કેવળ માનવજીવનની રીતે જોઈએ તો પણ વૃક્ષોની અનિવાર્યતા સમજાય. વૃક્ષો અંગારવાયુ શોષીને પ્રાણવાયુ આપે, છાંયડો ધરે, ગરમી ઘટાડે, વરરસાદ લાવે, જમીનનું ધોવાણ અટકાવે, ફળ આપે, અનેક જાતનાં ઇલાજો-ઓસડો પૂરાં પાડે,  તેની ઉપર વિશાળ જીવસૃષ્ટિ વિકસે – વૃક્ષો વિશે આવી સાદી પાયાની માનવીય સમજ પણ આપણે ગુમાવતા જઈ રહ્યા છીએ. એની જગ્યાએ આવી છે કેવળ જડતા – પાંદડાંનો કચરો થાય (પ્લાસ્ટિક, ઇ-વેસ્ટ, પૅકિંગ મટિરિયલનો નહીં), ઝાડનાં મૂળ ઇમારતના પાયામાં પેસે (જાણે બાંધકામ પદ્ધતિમાં એનો કોઈ વિકલ્પ ન હોય), એ મકાનને નુકસાન કરે ( જાણે એ  મિસાઈલ હોય).

હમણાં વળી વારંવાર એક દલીલ આવે છે : ‘ઝાડ ટ્રાફિકને નડે તો કાપી નાખવાં પડે’. આ વાત  અવિચારી છે. ટ્રાફિક સમસ્યા વૃક્ષોને લીધે હોત તો જ્યાં જ્યાં વૃક્ષો નથી ત્યાં ત્યાં ટ્રાફિક સમસ્યા ન હોવી જોઈએ. પણ એમ નથી બનતું. શાસકોએ વૃક્ષો હઠાવ્યાં, રોડ પહોળા કર્યાં, ફ્લાયઓવરો બાંધ્યાં, ટ્રાફિક સર્કલ બનાવ્યાં, કૅમેરા લગાવ્યા, ઇ-મેમો મોકલ્યા, સપ્તાહો ઊજવ્યાં … પણ સમસ્યા તો કિલોમીટર સુધી એકે ય વૃક્ષ ન હોય તેવાં રસ્તાઓ પર પણ વધતી જ રહી. ઝાડ નહીં આડેધડ પાર્કિંગ રસ્તાને સાંકડા બનાવે છે. લગભગ દરેક કૉમર્શિયલ બાંધકામમાં પાર્કિંગ માટે ફાળવવાની જગ્યાના નિયમનો છડેચોક ભંગ થાય છે. સત્તાવાળા તેના માટે પૈસા ખાય છે. રસ્તા પહોળા કરતી વખતે વગદારોનાં ગેરકાયદે બાંધકામો અને એક્સટેન્શન્સ, ટ્રાવેલ્સવાળા સહિત કેટલા ય ધંધાદારીઓએ કરેલાં દબાણ હઠાવી શકાતાં નથી. હઠાવવામાં આવે છે તે હંમેશની જેમ અવાજ વિનાનાં ગરીબ શ્રમજીવીઓને, તેમ જ ઝાડને. ખરેખર તો દુનિયાને ટકાવવા માટે બંને અનિવાર્ય હોવા છતાં! આપણે આ બંનેને ટ્રાફિક માટે જવાબદાર ગણીએ છીએ. ખરેખર તો બાંધકામ અને જાહેર વાહનવ્યવહારના નિયમો અંગે ચોંપ રાખવી એ નાગરિક તરીકેની આપણી જવાબદારી બને છે. પણ ઝાડ અને ફૂટપાથ બજારોને દોષ દઈને આપણે તેમાંથી છટકી જઈએ છીએ.

બીજી એક દલીલ થાય છે તે માણસની જિંદગી અને જાયદાદ કરતાં ઝાડપાન-પ્રાણીઓ મહત્વનાં હોઈ ન શકે. રસ્તો પહોળો કરવા માટે લોકોનાં ઘર અને દુકાનો ગયાં છે તેમને બચાવવા કોઈ આવતું નથી. તેમને પૂરું વળતર મળતું નથી. આ દલીલ સાચી હોય, તે માટે લાગણી અને તેની તરફદારીય હોય. પણ તેને જ્યારે બંધો અને હાઇવે સહિતની, સત્તા અને શહેરલક્ષી મોટી યોજનામાં જમીનો ગુમાવનારની બાબતમાં મૂકવામાં આવે ત્યારે તેને વિકાસ વિરોધી ગણવામાં આવે છે. અહીં ઝાડ કાપવા માટે થઈને મકાનો-દુકાનો ગુમાવનાર માટે ફટકાબાજ દલીલો કરનારા એકાએક વંચિતોના અને વિકાસના બંનેના એક સાથે ટેકેદાર ગણાઈ જાય છે. બાય ધ વે, ઝાડનાં રિપ્લાન્ટેશનનું ગાજર આપણે ત્યાં ગળે ઊતરે તેવું નથી.

હકીકત એ છે કે માણસ અને કુદરત બંનેનું એક સરખું જ મહત્ત્વ છે એ સમજવામાં આવશે તો જ બંનેનું અસ્તિત્વ ટકી રહેશે. ગિરનાં સિંહ, નળસરોવરનાં કે થોળનાં પક્ષી, સારિસ્કાના કે કાન્હાનાં વાઘ એ માત્ર બેફામ શોખિયા ટુરિઝમ માટે નથી. વિશ્વ ચકલી દિવસ માત્ર જીવદયાના ઊભરા માટે નથી. ઝાડ હશે તો જ ચકલી હશે, જળાશયો હશે તો જ પક્ષીઓ હશે, જંગલ હશે તો જ વાઘ-સિંહ હશે, અને બધાં જ પ્રકારનાં ઝાડ હશે તો જ માણસ હશે. શહેરોમાં બહુ મોટાં પ્રમાણમાં કપાતાં હોય, ઊનાળામાં આગ વરસતી હોય તો પણ મકાનમાં રહેનારા ને નોકરીધંધો કરનારા તો ટકી જાય. પણ હજારો મજૂરો-મહેનતકશો, ફેરિયા-ફરંદા, બેનામ-બેઘર આ બધાંને માટે તો વૃક્ષ એ જ હોમ, ને એ જ વર્કપ્લેસ. ખરેખર તો આપણાં ગુજરાતની જમીન અને આબોહવા અનેક વૃક્ષોને અનુકૂળ છે – આસોપાલવ, આંબલી, આંબો, કણજી, ગરમાળો, ગુલમહોર, ચંપો, પીપળો, પેલ્ટોફોરમ, બોરસલ્લી, લીલી બદામ, વડ. પણ આ ઝાડ એક પછી એક બહુ ઝડપથી ઘટતાં જાય છે.

વડ તો લીમડાની જેમ જ ગામનો વૈદ્ય છે. તે ઓછામાં ઓછો એક ડઝન દરદોનો દાક્તર છે. વળી,  બારેમાસ લીલો રહેનારો, ગરમી અને સૂકાશનો ભોગ ન બનનારો, મજબૂતીથી સદીઓ વટાવી જનારો આ વૃક્ષરાજ છે. તે આપણું રાષ્ટ્રીય વૃક્ષ પણ છે. પુરાણોએ વડને દેવપદ આપ્યું છે, લોકમુખે તેને વડીલપદ મળ્યું છે – વડદાદા! બરગદ એ બિનશહેરી વિરાસતનો મોટો હિસ્સો છે તેનો અંદાજ ગામનામો પરથી આવે છે. ગુજરાતનાં સિત્તેરથી વધુ ગામનાં નામ ‘વડ’ થી શરૂ થાય છે. મહારાષ્ટ્રમાં પણ વડ શબ્દ ધરાવતાં ગામનામ મોટી સંખ્યામાં છે. દેશમાં જ્યાં ભાગ્યે કોઈ ગામ કે નગર હશે કે જ્યાં વડ ન હોય. અમદાવાદમાં પાંચેક હજાર જેટલા વડ હોવાની માહિતી અમદાવાદ મહાનગર પાલિકાના બગીચા વિભાગના નિયામક જિજ્ઞેશ પટેલે એક અખબારને વસ્ત્રાપુરનાં વડને લગતા સમાચારમાં જણાવ્યું હતું. તેમણે વધુ ખુશીની વાત તો એ કરી હતી કે ‘એમાંથી એક પણ વડનો ઘટાડો  અમે ઘટવા નહીં દઈએ.’

*********

૨૮ માર્ચ ૨૦૧૮

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 30 માર્ચ 2018

Loading

ગાંધીનો ગાયાના પર પ્રભાવ

આશા બૂચ|Opinion - Opinion|3 April 2018

માનવ જાતના ઇતિહાસમાં, સમયે સમયે, એવાં પુરુષો અને સ્ત્રીઓ પેદા થતાં રહ્યાં છે, જેઓ પોતપોતાનાં વિશેષ ક્ષેત્રમાં એક અમૂલ્ય શોધખોળ કે નવીન સાધનોનું અનોખું પ્રદાન કરીને જગતને સદીઓ સુધી પ્રગતિ અને સુખનાં સોપાનો ચડવાનો મારગ ચીંધી જાય છે. કેટલાંક વળી એવાં ય પાકે છે જેમનું જીવન તદ્દન સાધારણ મનુષ્યની માફક શરુ થાય અને સનાતન મૂલ્યોને પગલે ચાલતાં ચાલતાં તેઓ રેતીમાં પગલાં મૂકી જતાં હોય છે.

વીસમી સદીએ એવા એક મહામાનવને જોયો, જેના જીવન-કાર્યની અસરો કલ્પના ન કરી હોય તેવા લોકો પર, તેવા પ્રદેશોમાં અને ધાર્યું ન હોય તેટલા લાંબા સમય સુધી ટકી રહી હોય; અને તે છે મોહનદાસ કરમચંદ ગાંધી.

વ્યક્તિ જ્યાં જન્મે, ઉછરે અને વ્યવસાય કરે તે ગામ, પ્રાંત કે બહુ બહુ તો તે દેશમાં કોઈ ક્રાંતિકારી કાર્ય કરી શકે છે. ગાંધીજી કદી અમેરિકા નહોતા ગયા, છતાં ત્યાં તેમના વિચારો વિષે ઘણા લોકોને – ખાસ કરીને યુવા પેઢીને ઘણું આકર્ષણ છે. માર્ટિન લ્યુથર કિંગ અને અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ઓબામા પર ગાંધીજીના વિચારોનો પ્રભાવ તેમનાં કાર્યો પર સ્પષ્ટ દેખાયો છે. Cesar Chavezને પણ કેલિફોર્નિયાના ખેત મજૂરોના થતા શોષણ સામે અહિંસક પ્રતિકાર કરવાનું બળ મળ્યું, એ કદાચ થોડા લોકોને જાણ હશે. લેટિન અમેરિકા અને કેરેબિયન ટાપુઓ પર ગાંધીની પ્રેરણાથી થયેલ કાર્યો વિષે ઘણાને માહિતી નથી હોતી, પરંતુ તે વિષે વ્યવસ્થિત નોંધ જરૂર થઇ છે. આશ્ચર્યની વાત તો એ છે કે બાકીની કહેવાતી વિકસિત દુનિયા માટે અણજાણ્યા એવા દેશો પર પણ આ કર્મશીલનો પ્રભાવ પડેલો. આજે એક એવા દેશની વાત માંડવી છે.

British Guyana બ્રિટનના તાબા હેઠળનો મુલક હતો. દક્ષિણ અમેરિકાના ઉત્તરીય કિનારા પર આવેલો દેશ. ભારતથી લગભગ 14,419 કિલોમીટર દૂર.

બ્રિટિશ ગાયાનામાં ગાંધી વિચારની ચિનગારી કોણે અને ક્યારે પેટાવી તે જાણવું રસપ્રદ થઇ પડશે. જ્યારે ગુલામી પ્રથાનો ઔપચારિક રીતે કાયદેસર અંત આવ્યો ત્યારે માનવ જાતે એક અમાનવીય કૃત્યમાંથી છુટકારો મેળવ્યાનો માંડ હાશકારો અનુભવ્યો, ત્યાં તો તેની જગ્યા લેવા ભારત દેશમાંથી એગ્રીમેન્ટ ઉપર મઝદૂરોને આઘે આઘેના જાણ્યા-અજાણ્યા એવા દેશોમાં મોકલવાનું શરૂ થયું. કેરેબિયન અને બ્રિટિશ ગાયાનામાં મોકલાયેલા આવા બંધુઆ મઝદૂરોનું હિત ગાંધીજીના દિલમાં સતત ચિંતા પ્રેરતું હતું. તેમણે એવા હતભાગી મઝદૂર પર થતા અત્યાચારો દક્ષિણ આફ્રિકામાં નજરોનજર ભાળેલા અને અનુભવેલા. એગ્રીમેન્ટ પર મોકલવામાં આવતા મઝદૂરોની પ્રથાનો અંત લાવવા તેમણે 1910-1917 દરમ્યાન ભારત અને દક્ષિણ આફ્રિકામાં ચળવળ ઉપાડી જેની ફલશ્રુતિ એ ભયાનક શોષણ યુક્ત પ્રથાને રદ કરવામાં પરિણમી.

ઈંગ્લેન્ડમાં પેદા થયેલ સી.એફ. એન્ડ્રુઝ (જેને ગાંધીજીએ ‘દીનબંધુ’ તરીકે ઓળખાવ્યા હતા) પાદરી તરીકે ભારત મિશનરી બનીને ગયા, જ્યાં તેમને ભારતીય પ્રજા તરફ દાખવવામાં આવતું ઘમંડી વલણ અને જાતીય ભેદભાવનો પ્રત્યક્ષ અનુભવ થયો. પરિણામે તેઓ સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય થવા લાગ્યા, એટલું જ નહીં, ગોપાલકૃષ્ણ ગોખલેએ તેમને ગાંધીજીની દક્ષિણ આફ્રિકાની સત્યાગ્રહની ચળવળમાં સહાયભૂત થવા મોકલ્યા. ત્યાંથી પરત થયા બાદ તેઓ નાતાલ અને ફિજીમાં બંધુઆ મઝદૂરની પ્રથાનો જોરદાર વિરોધ કરનારા રાષ્ટ્રીય નેતાઓ સાથે જોડાયા.

રવીન્દ્રનાથ ટાગોરને ઈ.સ. 1913માં સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર એનાયત થયો. તેના થોડા વર્ષો બાદ ઈ.સ. 1929માં ટાગોર અને રેવરંડ એન્ડ્રુઝ વાનકુંવર – કેનેડા ગયેલા, જ્યાંથી સી.એફ. એન્ડ્રુઝ બ્રિટિશ ગાયાના ઇસ્ટ ઇન્ડિયા એસોસિયેશનના નિમંત્રણથી ગાયાના ગયા. આ એસોસિયેશનની સ્થાપના 1916માં થઇ, જેનો રાજકીય અને સાંસ્કૃિતક હેતુ હતો ભારતીય મૂળના લોકોની અવદશા તરફ સારાયે દેશનું ધ્યાન દોરવું. ગાંધીજીના અનુજ બંધુ સમાન દીનબંધુ એન્ડ્રુઝ ત્રણ મહિના ગાયાનામાં રહ્યા અને તે દરમ્યાન કેટલાક હિન્દવાસીઓ જે સારી રીતે રહેતા હતા, તેમને મળ્યા અને સાથે સાથે જેઓ અમાનવીય દશામાં જીવતા હતા તેમના વિષે પણ જાત માહિતી એકઠી કરી. દીનબંધુ એન્ડ્રુઝની ગાયનામાં હાજરીની અસર ગાંધીજીના ભારતમાંના કાર્ય જેવી જ થઇ. ભારતમાતાના સંતાનો મોટી સંખ્યામાં તેમને સાંભળવા કલાકો સુધી પ્રતીક્ષા કરીને પણ એકઠા થતા અને ઇંગ્લિશમાં બોલી રહે બાદ હિન્દીમાં તેમનું વક્તવ્ય સાંભળવા ઉત્સુક રહેતા કેમ કે તેમને માતૃભૂમિ અને માતૃભાષાની ખોટ બહુ સાલતી હતી. તેમના માનમાં અપાયેલ ભૉજન સમારંભમાં 500 જેટલા અતિથિઓ આવ્યા. એન્ડ્રુઝે આપેલ અહેવાલ ‘Impression of British Guyana 1930’માં આફ્રિકા, ફીજી અને ભારતમાં બંધુઆ મઝદૂરને સહેવી પડતી કઠિનાઈઓ જેવી જ સ્થિતિ ગાયાનાના મઝદૂરોને ભોગવવી પડે છે તેવો સ્પષ્ટ ચિતાર આપ્યો.

ગાયાના ગયેલી ભારતીય પ્રજા પોતાના સામાજિક દૂષણો પણ સાથે લઈને ગયેલી. આથી ત્યાં પણ બાળ લગ્ન અને નિરક્ષરતા મોજુદ હતી. ધાર્મિક વિધિથી થયેલ લગ્નોને અમાન્ય ગણાયા જેથી તેમના સંતાનો પણ ગેરકાયદે ઠેરવાયાં. લેભાગુ પૂજારીઓ પ્રજાના નૈતિક ધોરણને ઊંચું ન લાવી શક્યા, જેથી અંધશ્રદ્ધા અને નૈતિક અધઃપતનનો ફેલાવો થયો. ધર્માંતરણની સંખ્યા વધી. સરકાર ખુદ ધાર્મિક તાટસ્થ્ય જાળવવાને બદલે મિશનરી કામને વેગ આપતી રહી. સરકારી વહવટી ખાતાંઓ અને પોલીસ ખાતામાં કોઈ ભારતીય હોદ્દેદાર નહોતા જે તેમની ભાષા કે તેમની રીત રસમ સમજી શકે. આવા મજૂરોના આવાસો માણસોને રહેવા માટે યોગ્ય નહોતાં, નિશાળમાં વર્ગની સંખ્યા એટલી મોટી કે શિક્ષણ તો નામનું જ મળે અને તેમાં ય કન્યાઓની સંખ્યા નહિવત. હિન્દુ અને મુસ્લિમ વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાં ક્રિશ્ચિયન પ્રાર્થના બોલવાની ફરજ પાડવામાં આવતી. પોતાનો ધર્મ બદલવાનો ઇન્કાર કરનારને ક્રિશ્ચિયનો દ્વારા ચાલતી શાળામાં નોકરી ન મળતી. ભારતથી આવેલા મઝદૂરોનું નામ અને ખાસ કરીને અનપઢ એવી મહિલાઓનું નામ મતદાર યાદીમાં દાખલ નહોતાં થયાં. આ પરિસ્થિતિનો તાગ મેળવીને દીનબંધુ એન્ડ્રુઝની હાલત શી થઇ હશે તે કલ્પી શકીએ. જો કે કેટલાક લોકોએ બીજાને સારો દાખલો બેસાડેલો, તેમાંના એક તે ડો. જંગ બહાદુર સિંઘ. તેઓ  બ્રિટિશ ગાયાના ઇસ્ટ ઇન્ડિયા એસોસિયેશનના પ્રમુખ હતા. તેઓ પહેલા હિંદુ હતા જેમની વરણી નેશનલ એસેમ્બલીમાં થઇ. તેમણે 24 વખત સ્ટીમર માર્ગે ભારત અને ગાયાના વચ્ચે અવરજવર કરીને મેડિકલ સારવાર ઉપલબ્ધ કરાવી. જ્યારે અગ્નિદાહ દેવો હજુ કાયદેસર નહોતું ગણાતો તેવે સમયે તેઓ પહેલા ભારતીય હતા જેમને અગ્નિદાહ અપાયો.

14 જુલાઈ 1929માં દીનબંધુ એન્ડ્રઝે જ્યોર્જ ટાઉનમાં ધરમશાલાનું ઉદ્ઘાટન કર્યું. ગાયાના અને કદાચ કેરેબિયનમાંસહુથી લાંબા સમયથી ચાલતું આ માનવીય મિશન છે. દીનબંધુ એન્ડ્રુઝની મુલાકાતથી મઝદૂર પ્રજામાં નૈતિક બળ સાંપડ્યું અને નેતાઓને પણ પોતાના ઉદ્દેશોને વધુ મક્કમતાથી પાર પાડવાનું જોમ મળ્યું. મહાત્માના નિકટના મિત્રને મળવા પાડોશી દેશ સુરિનામથી પણ લોકો આવ્યા, એ આશાએ કે દીનબંધુ એન્ડ્રઝ ત્યાંના પ્લાન્ટેશનના માલિકોને અને સરકારને મઝદૂરોની આવાસ અને કામની સ્થિતિમાં સુધારો કરવા સમજાવે.

દીનબંધુ એન્ડ્રઝે 5 એપ્રિલ 1940માં આ ફાની દુનિયાનો ત્યાગ કર્યો, પરંતુ તેમનું વિધાન હજુ એટલું જ સાચું લાગે છે: “હું એ ભૂલ્યો નથી કે ભારતના ગીચ વસ્તીવાળા અને મેલેરિયાગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ ગાયાનાની વિટંબણાઓથી ઓછી દુઃખદ છે. પણ જ્યારે કોઈ પ્રજા પોતાનું વતન છોડીને પોતાની જીવન રીતિ અને આદતોનુ બલિદાન આપે છે, ત્યારે એટલું તો અપેક્ષિત રહે જ કે સ્થળાન્તર કરીને જે જગ્યાએ તેઓ જાય ત્યાં ભૌતિક સગવડો અને સાધનો પોતે જેને છોડીને આવ્યા છે તેનાથી સારાં હોય.”

આપણે આશા રાખીએ કે ગાયાનામાં ભારત અને અન્ય દેશોમાંથી ગયેલ મઝદૂરો અને વ્યવસાયીઓની હાલત ઘણી સુધરી હોય. એટલું તો Ramnarine Sahadeo આપેલી વિગતો પરથી જોઈ શકાય છે કે ગાંધીનો જીવન સંદેશ દીનબંધુ એન્ડ્રુઝ દ્વારા છેક ગાયાના સુધી પહોંચી શક્યો. ગાંધીજીને વિશ્વ માનવ કઇં અમથા કહેશું?

(ગાંધી ફાઉન્ડેશન, યુ.કે. દ્વારા પ્રકાશિત થતા સામાયિક The Gandhi Wayમાં Ramnarine Sahadeoના લખેલ લેખમાંથી કેટલીક માહિતી સાભાર લેવામાં આવી છે.)

e.mail : 71abuch@gmail.com

Loading

CTRL + ALT + DEL: કોઈને માફી આપવી એ સેવા નહીં, સ્વાર્થ છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|3 April 2018

રાહુલ ગાંધીએ એના પિતાના કાતીલોને માફ કરી દીધા છે. "સદંતર માફ કરી દીધા છે," એવું રાહુલે ભાર દઈને કહ્યું, જેથી એનું વિધાન સંદિગ્ધ ના રહે. સિંગાપોરમાં ગયા સપ્તાહે IIMના સ્નાતકો સાથેની ગુફતેગુમાં રાહુલને અચાનક એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે, શું તેમણે અને તેમની બહેન પ્રિયંકાએ તેમના પિતાના કાતીલોને જતા કર્યા છે? રાહુલ કહ્યું, "અમે અપસેટ અને ખિન્ન હતા, અને બહુ વર્ષો સુધી ગુસ્સામાં રહ્યાં હતા. પણ ખબર નહીં કેમ, અમે એમને માફ … ઇન ફેક્ટ, સદંતર માફ કરી દીધા છે."

રાહુલ ગાંધીની રાજનીતિ ગમે તે હોય, પણ આ વાત એનાથી પર, અને ગહેરી છે. તમને જેણે અન્યાય કર્યો હોય, હાનિ પહોંચાડી હોય, પીડા આપી હોય તેને માફી બક્ષવાનું ના તો સરળ છે, ના તો આપણા સ્વભાવ કે સંસ્કૃિતમાં. એનાથી વિપરીત, એ અન્યાયનો બદલો લેવાનું એકદમ જાયજ લેખાય છે. તમે બદલો ના લો તો જ એ અપ્રાકૃતિક કહેવાય. આપણી પૂરી વ્યવસ્થા વેરવૃત્તિની તરફદારી કરે છે. આપણો ઇતિહાસ વેરઝેરથી ભરેલો છે. આપણા ધાર્મિક પુરાણોમાં ન્યાય-અન્યાયની વાર્તાઓ છે.

જંગલમાં રહેતા માણસની નીજી લાગણીથી લઇને એણે બનાવેલી ધાર્મિક પરંપરા કે આધુનિક કાનૂની રસમમાં સજાની વ્યવસ્થા બુનિયાદી રીતે ઇન્તિકામની આક્રમક વૃત્તિમાંથી આવે છે. સદીઓ પહેલાં શેક્સપિયરે લખ્યું હતું, ‘તું મને ડંખ મારે તો મને લોહી ના નીકળે? તું મને ગુદગુદી કરે તો મને હસવું ના આવે? તું મને ઝેર આપે તો હું મરી ન જાઉં? અને તું મને અન્યાય કરે તો હું બદલો ન લઉં?’ માણસ તરીકે આપણે ભાગ્યે જ પ્રતિશોધની ભાવના સામે સવાલ ઉઠાવીએ છીએ. આપણને પીડા પહોંચાડે તેને તકલીફ આપવી એ આપણા માટે શ્વાસ લેવા જેટલું સ્વાભાવિક છે.

રાહુલ ગાંધીએ આ લાગણી, આ વૃત્તિને પડકારી છે, એટલે એની વાત કરવી જરૂરી છે. પોતાના પિતાના કાતીલોને જતા કરવાનો ભાવ આવે કેવી રીતે? એ જ જવાબને વિસ્તારીને એણે કહ્યું હતું, "આવી ઘટનાઓ બને ત્યારે તેમાં બહુ બધી વાતો-વિચારો અને પરિબળોનો ગૂંચવાડો થાય. મને યાદ છે મેં જ્યારે ટીવી પર (લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઇલમના પૂર્વ વડા) પ્રભાકરનને ફર્શ ઉપર મરેલો જોયો ત્યારે મને બે અહેસાસ થયા હતા-એક તો મને એમ થયું કે, આ માણસને આ રીતે (ટીવી પર) અપમાનિત કરવાની જરૂર શું હતી. બીજું મને એની અને એનાં બાળકોની દયા આવી. મને થયું કે, આ બધા પાછળ અંતે તો એક ઇન્સાન છે, પરિવાર છે, રડતાં બાળકો જ છે ને."

માનવ સંસ્કૃિતમાં ક્રોધને સદાચારનો દરજ્જો અપાયેલો છે. આપણા તમામ ધાર્મિક અને ન્યાયિક કાનૂન દંડ આધારિત છે. આપણા, ઉચિત કે અનુચિત, તમામ યુદ્ધો પ્રતિશોધમાંથી આવે છે. આપણો સમાજ સૌથી કજિયાખોર અને મુકદમાબાજ છે. સાચા કે માની લીધેલા કોઈ પણ જખમ આપણે બર્દાશ્ત કરતા નથી. આપણે એના માટે 'પુણ્યપ્રકોપ' નામ પણ આપ્યું છે. આપણા ઈશ્વર, આપણા ગુરુ અને આપણા નેતાને આપણે કોપાયમાન જોઈએ છીએ, કારણ કે એ આપણા ગુસ્સાનું પ્રતીક છે.

આવા માહોલમાં કોઈને માફ કરવાનો ભાવ સમાજમાં પ્રચલિત ના હોય તો તેમાં આશ્ચર્ય નથી. એક્ચુઅલી, દયા, માફી, કરુણા એ આપણા સમાજમાં કમજોરી અને નપુંસકતાના ગુણ ગણાય છે. કોઈને મારવો એ વીરતા છે, એવું ઘરમાંથી જ શીખવાડવામાં આવે છે. આપણને ઈજા પહોંચાડનારને પ્રતિ-પીડા આપવાની લાગણી એટલી સશક્ત હોય છે કે, એમાં કરુણા ઢંકાઈ જાય છે. પણ સવાલ એ છે કે માફ કરવાની કરુણા એટલે શું? માફ કરવાને અન્યાયને ભૂલી જવા કે અન્યાયકર્તા સાથે મનમેળાપ તરીકે જોવામાં આવે છે. ઘણા લોકો માફી બક્ષવાના પક્ષમાં નથી હોતા કારણ કે એમને એમ લાગે છે કે, માફી આપવાથી આપણે અન્યાયને ઉચિત ઠેરવીએ છીએ, અને અન્યાયકર્તાને બીજા સાથે એવું કરવા પ્રોત્સાહન આપીએ છીએ.

માફીની આ સમજ ગલત છે, અને એને ગહેરાઈથી સમજવા જેવું છે.

હકીકતમાં આપણે જ્યારે આપણને હાનિ પહોંચાડનાર, પીડા આપનારને માફી કરીએ છીએ ત્યારે, નારાજ થવાનો, ગુસ્સે થવાનો, ફરિયાદ કરવાનો આપણો અધિકાર જતો કરીએ છીએ. આપણે આપણી જાતને અન્યાયના, ક્રોધના નકારાત્મક ઈમોશનમાંથી ઉગારવા ઇચ્છીએ છીએ એટલે કહીએ છીએ, "જા, તારા જેવું કોણ થાય?" આપણે એના જેવા થવા નથી માંગતા એ માફીનો મૂળ હેતુ છે.

માફી એટલે જવા દેવું, અંગ્રેજીમાં લેટ-ગો. એ બીજા માટે નથી, આપણા માટે છે. પ્રતિશોધની ભાવનામાંથી આપણે આપણી જાતને મુક્ત કરીએ તે માફીની સાચી વ્યાખ્યા છે. કોઈને માફ કરવાનો મતલબ એને અન્યાયની જવાબદારીમાંથી મુક્ત કરવો એવો થતો નથી; એનો મતલબ આપણે આપણને કડવાહટની કેદમાંથી મુક્ત કરીએ છીએ તે.

આપણી સાથે ભૂતકાળમાં જે થયું હતું તેના આક્રોશમાં જીવતા રહેવાનો ગેરફાયદો એ છે કે, એ આપણી અંદર પરિવર્તનમાં બાધા બને છે. વળતામાં, બદલાઈ નહીં શકવાની આ લાચારી આપણને જીવન પ્રત્યે નિરાશાવાદી બનાવે છે. જે થયું છે તે ના-થયું કરવાનું અશક્ય છે, પણ આપણી ઉપર એ ભૂતકાળનો જે સકંજો છે તેમાંથી મુક્ત થવાનું આપણા હાથમાં છે.

નફરત એ ભૂતકાળનો ભાવ છે. તમે કોઈની ઉપર ખફા છો કારણ કે એણે પાંચ વર્ષ પહેલાં કે પચ્ચીસ વર્ષ પહેલાં તમને અન્યાય કર્યો હતો. ક્રોધ તમને અતીતમાં રાખે છે. એમાંથી બહાર આવવા માટે તાકાતની નહીં, સભાન પ્રયત્નની જરૂર હોય છે. એ અર્થમાં માફી સેવા નહીં, સ્વાર્થ છે; એ તમે તમારા માટે કરો છો.

આફ્રિકન નેતા નેલ્સન મંડેલાએ ૨૭ વર્ષના કારાવાસ પછી એમને જેલમાં બંધ કરનાર લોકોને માફ કરી દીધા હતા. ૧૯૮૧માં તુર્કીશ હુમલાખોર મેહમેત અલી એગ્કાએ પોપ જ્હોન દ્વિતીયને ૪ ગોળીઓ ધરબી દીધી. પોપ ઈમરજન્સી ઓપરેશનમાં માંડ બચ્યા. બે વર્ષ પછી એ એગ્કાને જેલમાં મળ્યા, અને જે હાથે ગન પકડી હતી તેને પકડીને કહ્યું કે, મેં તને માફ કરી દીધો છે. મહાત્મા ગાંધીનું આખું જીવન માફીની બુનિયાદ પર ટક્યું હતું. સ્વામી દયાનંદ સરસ્વતીએ ૧૯મી સદીના પછાત ભારતમાં સમાજ સુધારાનું કામ શરુ કર્યું ત્યારે બહુ લોકો એમના દુશ્મન બની ગયા હતા. એમાંથી એમના જ એક સહાયકે એમના આહારમાં ઝેર મિલાવ્યું હતું. સ્વામીને આ ખબર પડી તો એમણે એ સહાયકને નેપાળ ભગાડી મુક્યો, જેથી એનો જીવ બચી જાય.

આ બધાં મહાન પુરુષોનાં નહીં, મહાન પુરુષાર્થનાં ઉદાહરણ છે. કોઈને જતો કરવો એ ઈચ્છા, આયાસ અને સભાન વિકલ્પ છે. માફી સરળ નથી એટલે જ એના માટે જહેમત કરવી પડે છે. પ્રતિશોધ માણસની બુનિયાદી વૃતિ છે. જખ્મી માણસને એના જખ્મના સોર્સને ખતમ કર્યા પછી જ 'સારું' લાગે છે. પ્રતિહિંસા એ મગજનો ઓટોમેટિક રિસ્પોન્સ છે. હિંસા પાશવિક ગુણ છે, માફી માનવીય ભાવ છે. માફી ઓટોમેટિક નથી. એના માટે પ્રયાસ કરવો પડે છે. ઇતિહાસના આ લોકોએ એ પરિશ્રમ કર્યો હતો. એમણે જ્યારે એમને અન્યાય કરનારને માફ કર્યા હતા ત્યારે એમણે પોતાની અંદર પડેલા પ્રતિશોધના પશુને કહ્યું હતું, "જા, તારા જેવું કોણ થાય."

માફી હકીકતમાં આપણે આપણને જ આપેલી ગીફ્ટ છે.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 01 અૅપ્રિલ 2018

Loading

...102030...3,1393,1403,1413,142...3,1503,1603,170...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved