Opinion Magazine
Number of visits: 9576938
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચકરાવો

મનહર જે. વૈષ્ણવ|Opinion - Short Stories|3 August 2019

રમાબહેન દિવાળી બાદ પોતાનો કબાટ વ્યવસ્થિત ગોઠવતાં હતાં, ત્યારે તેમણે જોયું કે એમનો એક પારાવાળો અછોડો (ચેઈન) મળતો ન હતો. આખો કબાટ, કપડાં, અન્ય દાગીનાનાં બૉક્સ, ખોટાં ઇમિટેશનનાં બૉક્સ ફેંદ્યાં; પણ ક્યાં ય અછોડો મળ્યો નહીં. રમણભાઈ બહારથી આવ્યા અને બેડરૂમમાં રમાબહેનનું રમખાણ જોયું ને આશ્ચર્યથી પૂછ્યું, ‘શું થયું, રમા? કેમ આમ બધું વેરણછેરણ પડયું છે? ચોરે કરવા જેવું કામ તેં કેમ કર્યું?’

‘તમને મશ્કરી સૂઝે છે; પણ મારો અછોડો મળતો નથી. તેની બેચેની નથી દેખાતી?’ 

‘પણ મને શી ખબર કે તારો અછોડો નથી મળતો? બરાબર જો. તારી ટેવ મુજબ ઓશીકા નીચે કે કિચનમાં ભૂલમાં મુકાઈ ગયો હોય.’

‘બધે જોઈ લીધું. નક્કી કોઈના હાથમાં આવી ગયો હશે.’ તેનો ઈશારો કોની તરફ હતો તે મેં જાણી લીધું. કામવાળી બાઈ અને અમારો ડ્રાઈવર – એ બે સિવાય અન્ય તો ‘કોઈ’ હતું જ નહીં!

રમણભાઈએ કોર્ટની જેમ મુદ્દત પાડી કહ્યું, ‘ચાલ, અત્યારે સ્વસ્થ થા. ઓચિન્તો બેચાર દિવસમાં મળી જશે.’

આ વાતને એક માસ વીતી ગયો. ચેઈનનો અફસોસ પણ, સ્વજનની વિદાય પછીના વીતી જાતા સમયની જેમ ભુલાતો ગયો.

એક દિવસ શિયાળાની ઠંડીમાં, અમારો ડ્રાઈવર સવારમાં કોટ પહેરીને આવ્યો. કોટ જોતાં જ મને નવાઈ લાગી. આ તો મારો જ કોટ! દિવાળી પહેલાં ઘરની સાફસૂફી બાદ, જે નકામી ચીજ – વસ્તુઓ દૂર કરીએ, તેમ થોડાં જૂનાં કપડાં, – જેમાં આ કોટ પણ હતો – તે, જૂનાં કપડાંના બદલામાં વાસણ આપી જતા ફેરિયાને આપી દીધેલો. મેં ડ્રાઈવરને પૂછ્યું, ‘આ કોટ ક્યાંથી લીધો? સરસ છે.’

‘સાહેબ, આ શિયાળે કંઈક ગરમ કપડાં લેવામાં કોટનો વિચાર હતો. નવો તો પોસાય નહીં; એટલે ગુજરીમાં તપાસ કરતાં એક જગ્યાએ મળી ગયો. મને બરાબર ફીટ બેઠો, એટલે ખરીદી લીધો. હજુ બે જ દિવસ થયા. કેવો છે? બરાબર છે ને?’

‘હા … હા … બરાબર છે. મારે પણ આવો જ કોટ હતો.’ ‘તને મફતમાં આપવાનો જીવ ન ચાલ્યો’ તે શબ્દો રમણભાઈએ મનમાં રાખ્યા અને કહ્યું, ‘એમ કર, ગુજરીમાંથી લીધો છે તો એને એક વાર ડ્રાઈક્લિન કરાવી લે, એટલે નવો નકોર લાગશે.’

‘હા સાહેબ, એ વાત સાચી.’

આ વાતને પણ આઠેક દિવસ વીતી ગયા અને ડ્રાઈવર એક દિવસ ઓચિન્તો કસમયે ટપકી પડ્યો.

‘સાહેબ, આપે કહ્યું તેમ પેલો કોટ ડ્રાઈક્લિન કરવા આપ્યો હતો તે આજે લેવા ગયો. તો ડ્રાઇક્લિનરે શું કહ્યું ખબર છે? મને કહે, ‘ભાઈ, કપડાં આપો ત્યારે બધાં ખિસ્સાં બરાબર તપાસી લેવાનું રાખો. તમારા કોટના અંદરના ખિસ્સામાંથી એક અછોડો (ચેઈન) નીકળ્યો. અમારો તો ધંધો જ પ્રામાણિકતા ઉપર નભે, એટલે કોઈની ચીજ મળે, તે ગમે તેટલી કિંમતી હોય તો પણ; અમારાથી રાખી ન લેવાય. એમણે મને કોટ અને અછોડો બન્ને આપ્યા. મને તો દિવાળી અને ગુજરી બન્ને ફળી હોં!’

રમણભાઈ અવાક્ રહી ગયા. પોતાનો કોટ અને તેના ખિસ્સામાંથી નીકળેલો અછોડો! દોડતા કિચનમાં જઈ રમાબહેનને કહ્યું, ‘રમા, અછોડો મળી ગયો અને નથી પણ મળ્યો.’

આ દ્વિઅર્થી સંવાદથી રમાબહેન અકળાયાં, ‘શું તમે પણ ગાંડા કાઢો છો! હું તો ભૂલી ગઈ; પણ તમે હજુ અછોડો ભુલ્યા લાગતા નથી.’

‘અરે, સાંભળ તો ખરી! શ્રાવણી મેળામાં આપણે ગયેલાં ત્યારે આ અછોડો તેં પહેરેલો બરાબર? મેળામાં અછોડાતોડ (ચેઈનપુલીંગ) બહુ થાય, એટલે તેં કાઢીને મને સાચવવા આપેલો. મેં અછોડો સાચવીને કોટના અંદરના ખિસ્સામાં મુકેલો. હવે ઘરે આવી મેળામાં કરેલા આનન્દમાં, આ વાત ભુલાઈ ગઈ. મેં કોટ કાઢી કબાટમાં મૂકી દીધો. ત્યાર બાદ દિવાળીની સફાઈમાં, જૂનાં કપડાં સાથે આ કોટ પણ તેં ફેરિયાને આપી દીધો. ફેરિયા આવાં કપડાં સસ્તા ભાવે ગુજરીમાં વેચી નાખે. આ કોટ પણ વેચાયો. ગુજરીવાળા આવાં સારાં કપડાં વ્યવસ્થિત ગડી કરી, સંકેલી ગુજરીબજારમાં વેચવા બેઠા હોય. તેમાં આપણા ડ્રાઈવર મોહનને આ કોટ ગમી ગયો અને ખરીદી લીધો. મારી સલાહ મુજબ તેણે તેને ડ્રાઈક્લિનીંગ માટે આપ્યો. અને અછોડાનો ચકરાવો લોન્ડ્રીવાળાને ત્યાં પૂરો થયો. હવે મોહન પાસેથી તે કેમ માંગવો તે પ્રશ્ન છે. તે તો રાજી રાજી થઈ ગયો છે! એટલે કંઈક ઉપાય શોધ.’

બે’ક દિવસ બાદ રમાએ ડ્રાઈવરને દિવાળીની શુભેચ્છા પેટે, મીઠાઈનું એક બૉક્સ આપ્યું અને કહ્યું, ‘મોહનભાઈ, અરે વાહ ! તમારો કોટ તો બહુ સરસ છે. અસલ તમારા સાહેબ જેવો જ. પણ શું વાત કરું, મોહનભાઈ, છેલ્લે શ્રાવણી મેળામાં પહેરેલો અને તેમાં મારો અછોડો એમણે સાચવીને મુકેલો. પછી એ કોટ, દિવાળીમાં વાસણના ફેરિયાને આપી દીધો. હવે ન જાણે એ ફેરિયાએ તે કોટનું શું કર્યું હશે! તેને અંદરથી અછોડો મળ્યો હશે કે કેમ; પણ જેનાં જેવાં નસીબ!

બીજે દિવસે મોહને રમાબહેન પાસે આવી પેલો અછોડો બતાવ્યો અને કહે, ‘બા જુઓ, આ અછોડો મને કોટમાંથી મળ્યો. હવે આ કોટ જો સાહેબનો જ હોય તો અછોડો પણ તમારો જ હોય. જરા જોઈ જુઓ તો!’ અછોડો જોતાં જ રમાબહેન રાજી થઈ ગયાં ને કહ્યું, ‘અરે મોહનભાઈ, આ જ મારો અછોડો છે.’ પછી થોડાં અચકાઈ ગયાં અને કહ્યું, ‘પણ હવે તો એ તમને મળ્યો એટલે તમારો જ ગણાય ને?’

‘અરે બા, આ કંઈ વાત છે! મને મળ્યો એટલે? મને તો પેલા લોન્ડ્રીવાળાએ પરત કર્યો. હું શું તેના કરતાં ઊતરતી કક્ષાનો છું? બા, ખરેખર અછોડો તમારો જ છે તે તો, આ અછોડાએ લીધેલો ‘ચકરાવો’ બતાવે છે કે, કેટલી જગ્યાએ ફરીને એ પાછો તમારી પાસે આવ્યો!’

રમાબહેન ખુશ થઈ ગયાં. રમણભાઈ પણ ખુશ થઈ એટલું જ બોલ્યા, ‘રમા, એક અછોડાના આ ‘ચકરાવા’માં, ‘શ્રમિક’ ગણાતી કેટકેટલી વ્યક્તિની નિર્દોષતા અને કેટકેટલી વ્યક્તિની પ્રામાણિકતા ભરેલી છે! ખરેખર, અછોડો શુકનિયાળ જ છે.’

માર્ચ, 2017ના “અખંડ આનન્દ”નાં પાન : 37-38 ઉપરથી લેખકની અનુમતિથી સાભાર ..

સર્જક સમ્પર્ક : મનન ઈન્કમટૅક્સ સોસાયટી, એરોડ્રામ પાસે, રાજકોટ – 360 007

eMail : manhar.vaishnav@gmail.com

સૌજન્ય : સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ પંદરમું – અંકઃ 432 – August 04, 2019

Loading

ફરિયાદી મહિલા કચડાય છે, આદિવાસીઓ ગોળીએ વીંધાય છે, ઉત્તર પ્રદેશમાં યોગીરાજ ચાલે છે

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|2 August 2019

ઉન્નાવમાં ધારાસભ્ય વિરુદ્ધ લડત આપનાર રેઇપ સર્વાઇવરને કચડી નાખવાના અને સોનભદ્રમાં આદિવાસીઓના હત્યાકાંડના બનાવો માત્ર ભા.જ.પ.ની યોગી સરકાર જ નહીં, કેન્દ્રની મોદી સરકાર માટે પણ વધુ એક લાંછન છે

સર્વોચ્ચ અદાલતે ગઈ કાલે, ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના નાનાં ગામની બળાત્કાર પીડિતાને ઝડપી ન્યાય મળે તે માટે, રાજય સરકાર અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન(સી.બી.આઈ.)ને કડક નિર્દેશો આપ્યા છે. અત્યારે ઓગણીસ વર્ષની યુવતીએ ભારતીય જનતા પક્ષ(ભા.જ.પ.)ના બળિયા ધારાસભ્ય કુલદીપ સેંગરની સામે 20 જૂન 2017ના દિવસે બળાત્કારની ફરિયાદ કરી. ત્યારથી લઈને અત્યાર સુધી અસાધારણ હિમ્મતવાળી આ છોકરી રાજ્યનાં અમાનુષ (અ)વ્યવસ્થાતંત્રનો  સામનો તો કરતી જ રહી હતી.

પણ અત્યારે તે વેન્ટિલેટર થકી મોતનો સામનો કરી રહી છે – આરોપીએ રચેલાં હોવાનું કહેવાતાં કાર-ટ્રક  અકસ્માતનાં કથિત કાવતરામાં તે 28 જૂનના રવિવારે ગંભીર રીતે ઘવાઈ છે. આ યુવતી રેઇપ વિક્ટિમ એટલે કે બળાત્કાર પીડિતા હોવાની સાથે રેઇપ સર્વાઇવર એટલે કે બળાત્કારનો ભોગ બન્યા પછી પણ ટકી રહેનાર અને લડનાર નાગરિક છે. તે એવી સર્વાઇવર્સની હરોળમાં છે કે જે વીરાંગનાઓ આસારામ, રામ રહિમ જેવા કે મુંબઈનાં શક્તિ મિલ કમ્પાઉન્ડમાં કે રાજસ્થાનનાં ગામડામાં બળાત્કાર આચરનારા નરાધમોની સામે લડી હોય. ઉત્તર પ્રદેશનુ તંત્ર જાણે એક ધારાસભ્યની સામે પડનાર ગરીબ ઘરની છોકરીને ખતમ કરીને પોતાની ઇજ્જત બચાવવામાં ગયાં દોઢેક વર્ષથી પડ્યું છે. આ કન્યા, કે જેને પોલીસ રક્ષણ પૂરું પાડવાનો પોલીસને આદેશ છે, તેની કારને રવિવારે બપોરે એક ભીષણ અકસ્માત થયો. તેમાં તેના બે કાકી મોતને ભેટ્યાં. તેના વકીલ પણ ગંભીર રીતે ઘાયલ થઈને વેન્ટિલેટર પર છે. તેના કાકા જે તેના પરિવાર વતી લડી રહ્યા હતા તે તાજેતરમાં જ દસ વર્ષની સજા સાથે રાયબરેલીની જેલમાં ધકેલાયા છે. છોકરીનાં માતા, ત્રણ બહેનો અને એક ભાઈ સરાઇ થોક માખી ગામમાં તેમનાં ઇંટ-માટીનાં જર્જરિત મકાનમાં, ગામજનોના બહિષ્કાર વચ્ચે દિવસો ખેંચી રહ્યાં છે. બે ટંક ખાવાનાં સાંસા છે, ભણતર તો અટકી જ ગયું છે. ગામમાં સેંગરના ‘ચેલાઓ’નો ખૌફ છે અને લોકો દબાતા અવાજે ‘સાજીશ’ની વાત કરે છે.

ઉન્નાવની છોકરીએ, સેંગરની સામે પોતે કરેલી ફરિયાદ છતાં કોઈ પગલાં ન લેવાતાં, 8 એપ્રિલ 1918ના દિવસે લખનૌમાં આદિત્યનાથના ઘરની સામે આત્મવિલોપનની કોશિશ કરી. તેનાં બીજા જ દિવસે તેના પિતાને એક કેસમાં આર્મ્સ ઍક્ટ હેઠળ કસ્ટડીમાં પૂરી દેવામાં આવ્યા, અને જ્યુડિશિયલ કસ્ટડીમાં તેમનું મોત થયું. સરકારે કેસ સી.બી.આઇ.ને સોંપ્યો. પણ પાટલી બદલુ અને ચાર વખતથી ધારાસભ્ય એવા સેંગરની ધરપકડ તો 13 એપ્રિલ 2018 અલ્હાબાદની વડી અદાલતે આદેશ આપ્યા બાદ જ થઈ. જો કે સર્વાઇવર અને તેના પરિવારને આરોપીના માણસો ડરાવતા રહ્યા અને પોલીસ પણ તેમને કનડતી જ રહી. અનેક રજૂઆતોને અંતે હમણાં 12 જુલાઈએ છોકરીએ દેશના સર્વોચ્ચ ન્યાયાધીશને પત્ર લખ્યો. તેના થોડા દિવસ અગાઉ સેંગરની સામેની લડતમાં છોકરીની સાથે રહેનાર તેના કાકાને 2000ની સાલના એક હત્યાના કેસમાં દસ વર્ષની સજા મળી. એમને મળવા જઈ રહેલી છોકરીને ઉપર્યુક્ત અકસ્માત નડ્યો. તેની ગાડીને ઠોકર મારનાર ટ્રકની નંબર પ્લેટ પર કાળો રંગ લગાવેલો હતો. આ અકસ્માતને પગલે સેંગર સામે ખૂન અને ખૂનની કોશિશના આરોપ દાખલ કરવામાં આવ્યા. ભા.જ.પે. તેને સસ્પેન્ડ કર્યો કે કેમ એ અંગે પક્ષના મોવડીઓમાં જ મતભેદ છે. જો કે દોઢ મહિના પહેલાં 5 જૂને ભા.જ.પ.ના ઉન્નાઓના સાંસદ સાક્ષી મહારાજે જેલની મુલાકાત લઈને ચૂંટણીમાં સહકાર બદલ સેંગરનો આભાર માન્યો હતો. વડી અદાલતે સેંગરની બાબતમાં નોંધ્યું હતું : ‘કાયદો અને વ્યવસ્થાનું તંત્ર સીધું જ [સેંગરની] સાંઠગાંઠમાં અને તેના પ્રભાવમાં હતું’.

 

courtesy : "The Hindu", 02 August 2019

કાયદો અને વ્યવસ્થાના અંધેરનો ઉત્તર પ્રદેશનો તાજેતરનો બીજો એક ભયંકર દાખલો સોનભદ્ર જિલ્લાના ઉંભા ગામના આદિવાસીઓના હત્યાકાંડનો છે. તેનો હેતુ, ગામથી ત્રણેક કિલોમીટર દૂર આવેલી, મૂળભૂત ગ્રામસભાની માલિકીની જમીન પર, સાઠેક વર્ષથી ખેતી કરતા ગોંડ જાતિના આદિવાસીઓને જમીન પરથી ખદેડીને જમીન પચાવી પાડવાનો છે. આ હત્યાકાંડ 17 જુલાઈની સવારે અગિયાર વાગ્યાના સુમારે થયો. તેમાં બાજુના મૂર્તિયા ગામના સરપંચ (પ્રધાન) યજ્ઞ દત્તએ વિવાદાસ્પદ જમીન પર એકઠાં થયેલા ગોંડ આદિવાસીઓમાંથી ત્રણ સ્ત્રીઓ સહિત દસ વ્યક્તિઓને ગોળીબાર કરીને મારી નાખ્યા અને બાવીસને ઘાયલ કર્યા. સરપંચ દસેક ટ્રૅક્ટરોમાં દસ-બાર બંદૂકો સહિતના સો સાગરિતોને લઈને આવ્યો હતો. ગોંડ ભારતમાં અત્યારે પણ એક સહુથી પછાત ગણાતી આદિજાતિ છે, સોનભદ્ર પંથકમાં તે અનુસૂચિત જાતિ કે દલિત વર્ગમાં આવે છે. હુમલો કરનાર યજ્ઞ દત્ત ઓ.બી.સી. ગણાતી શક્તિશાળી જમીનદાર ગુજ્જર કોમનો છે. બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ અને છત્તીસગઢ રાજ્યોની સરહદો જેને અડે છે તે સોનભદ્ર જિલ્લાની જમીન ખનીજોથી ભરપૂર છે. વારાણસીથી 80 અને પાટનગર લખનૌથી 370 કિલોમીટરના અંતરે ઉત્તર પ્રદેશના પૂર્વ હિસ્સામાં આવેલો આ જિલ્લો રાજ્યનો એક પછાત અને દુર્ગમ વિસ્તાર ગણાય છે. જે જમીન માટે હત્યાકાંડ થયો તે ખેડનારા ભૂમિહીન આદિવાસીઓ ગરીબ છે, કાચાં ઝૂંપડાંમાં રહે છે અને પરંપરાગત ઢબે ખેતી કરે છે. સરકારી યોજનાઓ અને કથિત વિકાસનાં ફળ હજુ અહીં ભાગ્યે જ પહોંચ્યાં છે.

ઉંભા ગામની જે 90 વીઘા જેટલી જમીન આદિવાસીઓ ખેડી રહ્યા છે તે વિવાદાસ્પદ બની રહી છે. ઉત્તર પ્રદેશના 1950ના જમીનદારી નાબૂદી અને જમીન સુધાર ધારા હેઠળ આ વિસ્તારની 600 વીઘા બિનઉપજાઉ જમીનને ગ્રામસભાની માલિકીની જાહેર કરવામાં આવી અને તેની ઉપર ગોંડ લોકો ખેતી કરવા લાગ્યા. 1953માં એક તહેસિલદારે તેમાંથી 463 એકર જમીન ‘આદર્શ કૃષિ સહકારી સમિતિ’ને નામે કરી. આ સમિતિ બિહાર કૅડરના એક આઇ.એ.એસ. ઑફિસરના સસરાના પ્રમુખપદે ચાલતી હતી. આદિવાસીઓ આ જમીનનું ભાડું સમિતિને ચૂકવતા હતા. પ્રમુખના મૃત્યુ બાદ 1984માં એક સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે તેમાંથી 145 વીઘા જમીન ઑફિસરની પત્ની અને દીકરીના નામે કરી. તેમની પાસેથી તે હિસ્સો  યજ્ઞ દત્ત ને બીજા દસ જણે અંદાજે બે કરોડ રૂપિયામાં 2017માં ખરીદ્યો. આ પ્રકારનું ખરીદ-વેચાણ વાંધાજનક હોવા છતાં આદિવાસીઓ મજબૂરીથી તેમની આવકના એકમાત્ર સાધન એવી આ જમીન માટે તેના નવા માલિક દત્તને પણ ભાડું ચૂકવવા તૈયાર હતા, પણ તેને જમીન જ જોઈતી હતી.

વાટાઘાટો નિષ્ફ્ળ નીવડતા અંતે આદિવાસીઓએ દત્તની સામે કેસ કર્યો. તેણે આદિવાસીઓની સામે ત્રણ ક્રિમિનલ કેસેસ કર્યા. તદુપરાંત તેમને ખદેડવા માટે દબાણ તો કરતો જ રહ્યો. આદિવાસીઓએ સંભવિત જોખમની સામે રજૂઆતો પણ કરી હતી. ગ્રામસભાની જમીનને લગતાં આખા ય વ્યવહારની ન્યાયપૂર્ણતા તપાસવાની વર્ષો લગી તસદી ન લેવાઈ. પોલીસ અને પ્રશાસન નિષ્કિય રહ્યાં. આખરે આદિવાસીઓનો ભોગ લેવાયો. ધરપકડો થઈ, વિરોધ પક્ષોએ નિશાન તાક્યું, પ્રિયાંકા વાદ્રાને પીડિતોની મુલાકાત લેતાં રોકવામાં આવ્યાં. આદિત્યનાથે જાતમુલાકાત લઈને વળતર અને તપાસની જાહેરાત કરી.

ઍન્ટિ-રોમિયો સ્ક્વાડ, ખાનગી સેનાઓ, એન્કાઉન્ટર પોલીસ અને  લિન્ચ મૉબ્સથી ખદબદતાં દીનદૂબળાં અને લઘુમતીઓ માટે સતત જોખમકારક એવા યોગીરાજમાં સોનભદ્રના આદિવાસીઓને કેવો અને ક્યારે ન્યાય મળે છે તે જોવાનું રહે. 

*****

01 ઑગસ્ટ 2019

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 02 ઑગસ્ટ 2019

 

Loading

સામ્યવાદી આંદોલને મોટા ગજાનાં વિચારકો ને નિ:સ્વાર્થ અકિંચન નેતા આપ્યા છે

રમેશ ઓઝા|Opinion - Opinion|1 August 2019

આજના યુગમાં કેટલાક લોકોને ચાહીને યાદ કરવા જોઈએ અને પ્રણામ પણ કરવા જોઈએ. જ્યારે શાસકો ઉદ્યોગપતિઓના સેવકો હોય, અભિનેતાઓ ઉદ્યોગપતિઓના ઘરે લગ્નપસંગે નાચતા હોય અને કમંડલ લઈને પીરસણિયા બનીને મહેમાનોને ભોજન પીરસતાં હોય, લોકો શ્રીમંતોનાં લગ્ન જોઇને પોરસાતાં હોય અને બીજી બાજુ મુઝફ્ફરપુરમાં બાળકો મરે ત્યારે શરમ પણ ન અનુભવતાં હોય, ત્યારે એવા કેટલાક લોકોને યાદ કરવા જોઈએ જેમણે સાચી માણસાઈ અને નિસ્બત શું કહેવાય એ જિંદગી જીવીને બતાવી આપ્યું હોય. અરુણ કુમાર  રોય (એ.કે. રોય તરીકે વધુ જાણીતા) આવા એક માણસ હતા.

૧૯૮૪માં જ્યારે હું ‘જન્મભૂમિ’માં નોકરી કરતો હતો, ત્યારે કલકત્તાથી પ્રકાશિત થતા અંગ્રેજી અખબાર ‘ટેલિગ્રાફ’માં એક સાપ્તાહિક કૉલમ છપાતી હતી જેના લેખક હતા : એ.કે. રોય. પહેલીવાર ત્યારે તેમનું નામ સાંભળ્યું હતું. શું વિદ્વતા અને શું નિસ્બત! પછી તપાસ કરતાં જાણ થઈ કે એ.કે. રોય સામ્યવાદી મજૂરનેતા હતા અને ધનબાદમાં ખાણિયા મજૂરો વચ્ચે કામ કરતા હતા. તેઓ બે મુદ્દત માટે એ સમયના અવિભાજિત બિહારની વિધાનસભાના અને ત્રણ મુદ્દત માટે લોકસભાના સભ્ય પણ હતા.

અહીં બે વાત ‘ટેલિગ્રાફ’ વિષે પણ કહેવી જોઈએ. ‘ટેલિગ્રાફ’ આનંદબજાર જૂથનું અંગ્રેજી અખબાર હતું અને એમ.જે. અકબર તેના સ્થાપક તંત્રી હતા. અખબાર કેવું હોય એનો તે આદર્શ નમૂનો હતું. મુંબઈના સુજ્ઞ વાચકો ચર્ચગેટના એ.એચ. વ્હીલરના સ્ટોલ પર પહેલાંથી પૈસા ચૂકવીને પોતાની કોપી અનામત રખાવતા હતા. એ એમ.જે. અકબર પણ જુદા હતા. અકબર ‘ટેલિગ્રાફ’ દ્વારા વાંચકોનું સર્વાંગીણ શિક્ષણ કરતા હતા. એ જમાનાના નખશીખ નેહરુવિયન અકબર બી.જે.પી.માં જાય અને દરેક પ્રકારના સમાધાન કરે એની ત્યારે કલ્પના પણ કરવી મુશ્કેલ હતી.

યુગપ્રભાવ સર્વાંગીણ છે, પરંતુ કેટલાક લોકો યુગના પ્રભાવમાં આવતા નથી જેમાં એક એ.કે. રોય હતા. મારા જોવામાં આવ્યું છે કે કર્મઠ ગાંધીવાદીઓ કરતાં પણ કેટલાક સામ્યવાદીઓએ જીવનમાં ઓછા સમાધાનો કર્યા છે. ત્રિપુરાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માણેક સરકાર આવા એક છે. મુખ્ય પ્રધાન હોવા છતાં આજીવન અકિંચન જીવન જીવ્યા છે. કેન્દ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન ઇન્દ્રજીત ગુપ્તા ૧૯૬૦થી ૨૦૦૧માં તેમનું અવસાન થયું ત્યાં સુધી લોકસભાના સભ્ય હતા. અપવાદ હતો માત્ર ૧૯૭૭થી ૧૯૭૯ની લોકસભાનો. સતત ચાળીસ વરસ લોકસભાના સભ્ય હોવા છતાં, તેઓ સંસદસભ્યો માટેની હોસ્ટેલમાં રહેતા અને સંસદસભ્યોને મળતો પગાર અને ભથ્થાંની રકમ પક્ષમાં જમા કરાવતા હતા.

લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર સોમનાથ ચેટરજી પણ તેમનો પગાર પાર્ટીમાં જમા કરાવતા હતા અને પક્ષ જે માનધન આપે તેનાથી જીવનનિર્વાહ ચલાવતા હતા. બાકી તેઓ ભારતના માતબર વકીલોમાંના એક હતા. કોઈ ઊઠી ગયેલા ઉદ્યોગપતિની નાદારીના કેસમાં એક વખત અદાલતમાં હાજર રહેવાના એક કરોડ રૂપિયા કમાઈ શક્યા હોત.

તેમની કારકિર્દીમાં કલગીરૂપ ઘટના ૨૦૦૮માં બની હતી. લોકસભાના સ્પીકરની ગરિમા જાળવવા માટે તેમણે અવિશ્વાસ પ્રસ્તાવ વખતે પક્ષની સાથે મતદાન કરવાની ના પાડી દીધી હતી અને પક્ષને જણાવી દીધું હતું કે સ્પીકર પક્ષનો સભ્ય મટી જાય છે. માર્કસવાદી સામ્યવાદી પક્ષે તેમને પક્ષમાંથી પાણીચું આપ્યું હતું, પરંતુ સોમનાથ ચેટર્જીએ મૂલ્યો સાથે સમાધાન નહોતું કર્યું. ૧૯૯૬માં ત્રીજા મોરચાએ પશ્ચિમ બંગાળના એ સમયના મુખ્ય પ્રધાન જ્યોતિ બસુને વડા પ્રધાનપદની ઓફર કરી હતી. માર્ક્સવાદી સામ્યવાદી પક્ષે નિર્ણય લીધો હતો કે લોકસભામાં સામ્યવાદી પક્ષની બહુમતીના અભાવમાં સરકારનું નેતૃત્વ કરવાથી સામ્યવાદી કાર્યક્રમ લાગુ નહીં થઈ શકે. જ્યોતિ બસુએ પક્ષના આદેશને માન્ય રાખીને વડા પ્રધાન બનવાની તક જતી કરી હતી. આજે આ બધી ઘટનાઓ જોઇને આશ્ચર્ય થશે.

અરુણ કુમાર રોય પણ આવા એક નેતા હતા. તેઓ ભૂતપૂર્વ વિધાનસભ્ય અને સંસદસભ્ય તરીકે પેન્શન નહોતા લેતા. રાજકારણી આજીવન સેવક હોય છે અને તે ક્યારે ય નિવૃત્ત થતો નથી એટલે નિવૃત્તિ પેન્શન લેવાનું ન હોય. તેઓ અપરણિત હતા અને ધનબાદની નજીકના એક ગામડામાં મજૂરના ઘરે ઝૂંપડામાં રહેતા હતા. મૃત્યુ સમયે તેમની પાસે ૨,૪૦૦ રૂપિયા હતા. એક ઘડિયાળ કોઈકે આપ્યું હતું જે ચોરાઈ ગયું હતું.

એ.કે. રોય સામ્યવાદી પક્ષમાં સભ્ય તરીકે જોડાયા હતા. સામ્યવાદી પક્ષમાં વિભાજન થયું ત્યારે તેઓ માર્ક્સવાદી સામ્યવાદી પક્ષમાં ગયા હતા. ત્યાં પણ તેમનો પક્ષ સાથે મતભેદ થયો હતો અને તેમણે માર્ક્સીસ્ટ કોઓર્ડિનેશન કમિટીની સ્થાપના કરી હતી. અરુણ કુમાર રોયનો જન્મ અત્યારના બંગલાદેશના રાજશાહી જિલ્લામાં થયો હતો. તેમના માતા-પિતા આઝાદીના લડવૈયા હતા. ભારતના વિભાજન પછી પરિવારે પૂર્વ પાકિસ્તાનમાં રહેવાનું પસંદ કર્યું હતું. અરુણ કુમાર રોય કલકત્તામાં ભણતા હતા. ૧૯૫૨માં જ્યારે ઢાકામાં બંગાળી ભાષા માટે અંદોલન થયું, ત્યારે એ.કે. રોય થોડો વખત ભણવાનું પડતું મૂકીને ઢાકા ગયા હતા જ્યાં તેમને જેલમાં પૂરવામાં આવ્યા હતા. જેલમાંથી છૂટ્યા પછી તેઓ પાછા કલકત્તા આવ્યા હતા અને કેમિકલ એન્જિનિયર બન્યા હતા.

એ.કે. રોયે ધનબાદમાં ખાણમજૂરોના અધિકાર માટે લડવાનું શરૂ કર્યું હતું. ૧૯૯૨માં ભિલાઈમાં શંકર ગુહા નિયોગીની હત્યા કરવામાં આવી એ પછી એ.કે. રોયની પણ હત્યા કરવામાં આવશે એમ માનવામાં આવતું હતું. એવા પ્રયાસ પણ થયા હતા. આમ છતાં તેમણે સિક્યોરિટી લીધી નહોતી. તેઓ લોકોની વચ્ચે ગરીબની જેમ રહેતા હતા. મિલકતમાં હતું એક ઘડિયાળ જે તેમને કોઈએ આપ્યું હતું. એ જ્યારે ચોરાઈ ગયું ત્યારે તેમણે કહ્યું હતું કે કદાચ ચોરને મારા કરતાં પણ વધારે પૈસાની જરૂર હશે.

સામ્યવાદ સામે ગમે એટલો વાંધો હોય, સામ્યવાદી આંદોલને મોટા ગજાના વિચારકો અને અબજો રૂપિયા કમાવાની તાકાત હોવા છતાં નિ:સ્વાર્થ અકિંચન નેતાઓ આપ્યા છે એનો તો સ્વીકાર કરવો જ રહ્યો. એ.કે. રોય આમાંના એક હતા.

30 જુલાઈ 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 01 ઑગસ્ટ 2019

Loading

...102030...2,7252,7262,7272,728...2,7402,7502,760...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved