Opinion Magazine
Number of visits: 9576626
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સનાતન ધર્મ વાડ વિનાનો મોકળો છે

રમેશ ઓઝા|Opinion - Opinion|6 October 2019

વાચકોને એટલી તો પ્રતીતિ થઈ જ ગઈ હશે કે પાશ્ચાત્ય ધર્મોની જેમ સનાતન ધર્મનો ચહેરો સહેજે બદલી ન શકાય કે ઘાલમેલ કરી ન શકાય એવો નક્કર સ્વરૂપનો કંડારવો એ અશક્ય છે. આમ તો સદીઓથી હિંદુઓને તેનાથી કોઈ ફરક નહોતો પડતો; પરંતુ હિંદુઓને ઈસાઈ અને ઇસ્લામ ધર્મનો પરિચય થયો, વિધર્મીઓ સામે વારંવારના પરાજયનો ઇતિહાસ અંગ્રેજોએ લખીને આપ્યો એ પછી હિંદુઓ શરમ, સંકોચ અને નાનપ અનુભવવા લાગ્યા. કેટલાક લોકો ધર્મનાં માળખામાં કે ચહેરામાં પૌરુષત્વ શોધવા લાગ્યા. ૧૯મી સદીમાં તેમણે શરમ, સંકોચ અને નાનપ અનુભવીને સનાતન ધર્મનો ચહેરો કંડારવાના કેવા કેવા પ્રયાસ કર્યા અને તે કેમ નિષ્ફળ નીવડ્યા તેની વિગતો આપી છે.

૧૯મી સદીમાં ચહેરો કંડારવામાં મળેલી નિષ્ફળતા પછી હવે ઉપાય બચતો હતો હિંદુને હિંદુ બનાવવાનો અને હિંદુનો ચહેરો કંડારવાનો. વીસમી સદીમાં આવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. એ પ્રયાસ હિંદુ રૅનેસાઁ માટેનો હતો. સનાતન ધર્મનો એવી રીતે ઉપયોગ કરવામાં આવે કે જેમાંથી હિંદુ ચેતના (હિંદુ કોન્શ્યસનેસ) વિકસે. એ ચેતના હિંદુને ઓળખ પણ આપતી હોય પણ એ સાથે હિંદુ અંતર્ગત પૃથક્તાવાદી ન હોય. સમગ્ર હિંદુ ચેતના સાથે આખો હિંદુ ઘડવામાં આવે. કોઈક પ્રકારનું હિંદુઈઝમ. તેમણે એ વાતનું પણ ધ્યાન રાખ્યું હતું કે તે પાશ્ચાત્ત્ય શિક્ષણથી વંચિત ન રહેવો જોઈએ. બનારસ હિંદુ યુનિવર્સિટી આવો એક પ્રયાસ હતો. આર્યસમાજીઓએ પણ દયાનંદ એંગ્લો-વૈદિક સ્કૂલો સ્થાપીને આવો એક પ્રયાસ કર્યો હતો. બીજા પણ કેટલાક પ્રયાસ કરવામાં આવ્યા હતા.

પ્રારંભમાં જ જણાવી દઉં કે આ પ્રયાસ પણ નિષ્ફળ નીવડ્યો. કેસ સ્ટડી તરીકે આપણે કેવળ બનારસ હિંદુ યુનિવર્સિટી(બી.એચ.યુ.)નો દાખલો જોઈએ. આધુનિક શિક્ષણ સાથે હિંદુ ચેતના જાગ્રત કરવા માટે ૧૯૧૬માં બી.એચ.યુ. સ્થાપવામાં તો આવી પણ હિંદુ ચેતના ઘડવાના પદાર્થ લાવવા ક્યાંથી? બનારસ હિંદુ યુનિવર્સિટીનો પ્રયાસ અલીગઢ મુસ્લિમ કોલેજના જવાબરૂપે હતો એ વાત આપણે અહીં જવા દઈએ.

સર સૈયદ મહમ્મદ ખાનને, પંડિત મદનમોહન માલવિયા એમ બંનેને અને બીજા કોઈને પણ બે પદાર્થ ઉપલબ્ધ હતા; એક, પોતપોતાના ધર્મનું દર્શન અને પોતપોતાના ધર્મનું જેવું હોય એવું માળખું.

હવે સનાતન દર્શન તો વસુધૈવ કુટુંબકમ્ અને એકોહમ્ બહુસ્યામવાળું છે એટલે એમાં છીણી-હથોડો ચાલી શકે એમ નહોતાં. માખણમાં છીણી અને હથોડો શું કામમાં આવે? પોપોતાના ધર્મના માળખાએ સર સૈયદ અને માલવિયા એમ બંને મહાનુભાવોને તકલીફ આપી હતી. સર સૈયદને માળખામાં રહેલી – જલદી ન તૂટે કે ન બદલાય એવી – કઠણતાનો અનુભવ થયો હતો તે એટલે સુધી કે તેમનાં છીણી અને હથોડો હાંફી ગયા હતા. માલવિયાજી નક્કી જ નહોતા કરી શકતા કે શરૂઆત ક્યાંથી કરવી. જેવો કોઈક જગ્યાએ હાથ મૂકે કે વિરોધ શરૂ થાય.

તેમણે સનાતન ધર્મના પહેલા ગ્રંથ તરીકે વેદોથી શરૂઆત કરી તો કહેવામાં આવ્યું કે વેદો તો શ્રુતિ કહેવાય. શ્રુતિની વાત આવી કે અધિકારભેદ આવ્યા. બ્રાહ્મણ જ ભણી શકે અને બ્રાહ્મણ જ ભણાવી શકે. માલવિયાજી પોતે રૂિચુસ્ત સનાતની હતા એટલે તેમને તો એની સામે વાંધો નહોતો, પણ બહારથી વિરોધ થયો. માલવિયાજીએ વચલો રસ્તો કાઢ્યો કે ચાલો શુદ્રોને છોડીને બાકીના બધા વિદ્યાર્થીઓને શ્રુતિ ભણાવવામાં આવે તો એની સામે પણ વિરોધ થયો. કોઈકે કહ્યું કે ખાનગી પાઠશાળા ચલાવો, વિશ્વવિદ્યાલય આ રીતે ન ચાલે. તેમણે બીજો પ્રસ્તાવ મૂક્યો કે ચાલો દરેકને ભણાવવામાં આવે, પણ કમસેકમ શિક્ષક બ્રાહ્મણ હોય. એની સામે પણ વિરોધ થયો.

તો કોણ ભણી શકે અને કોણ ભણાવી શકે એના વાદવિવાદનો વર્ષો સુધી અંત જ નહોતો આવ્યો. બીજી સમસ્યા હતી શું ભણાવવું એની. ષડ્ દર્શન, જૈનોના અને બૌદ્ધોના આગમગ્રંથો, લોકાયત દર્શન, દ્વૈતવાદીઓની શાખા-ઉપશાખાઓ, શાક્ત-શૈવ જેવી પરંપરાઓ અને તેના ગ્રંથો જો એમને એમ ભણાવવામાં આવે તો એ તો અંગ્રેજોએ સ્થાપેલી ઓરિયેન્ટલ કૉલેજો પણ આપે છે તો એમાં નવું શું કર્યું? અંગ્રેજોએ સ્થાપેલી એક સંસ્કૃત યુનિવર્સિટી તો બનારસમાં જ હતી અને બી.એચ.યુ. કરતાં એક સો પચીસ વરસ જૂની હતી. બીજું કોના કયા ગ્રંથને અધિકારી ગ્રંથ માનવો? એમાં પણ જે તે ધર્મ અને સંપ્રદાયોમાં જ મતભેદ હતા. જો અંગ્રેજોએ સ્થાપેલી ઓરિયેન્ટલ કૉલેજોની રાહે બી.એચ.યુ.માં પણ ભણાવવામાં આવે તો વિદ્યાર્થી પૌર્વાત્ય જ્ઞાનનો વિદ્વાન તો બને, પણ હિંદુ ન બને. અહીં તો આખો હિંદુ ઘડવાનો હતો જે હિંદુ પહેલા હોય, સંપ્રદાયીક પક્ષપાતોથી ઉપર હોય અને આધુનિક શિક્ષાવિભૂષિત પહેલી કક્ષાનો વિજ્ઞાની પણ હોય. જો આમ કરવામાં આવે તો હિંદુ રૅનેસાઁ શક્ય બને. હિંદુ રૅનેસાઁનું રોમાંચ એકલા પંડિતજી નહોતા ધરાવતા, કનૈયાલાલ મુનશી જેવા બીજા લોકો પણ ધરાવતા હતા.

પંડિતજીને અહીં પણ મુશ્કેલી નડી. પાશ્ચાત્ય ઢબે ઓરિયેન્ટલ સ્ટડી તો કરાવી શકાય; પણ હિંદુ ઢબે હિંદુ ભારતીય વિદ્યા કેવી રીતે આપવી? પંડિતજીએ પાછળથી જેમને ભારતરત્ન તરીકે નવાજવામાં આવ્યા હતા તે ભગવાન દાસની મદદ લીધી. ડૉ. રાધાકૃષ્ણન્‌, આપણા આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવ, મહામહોપાધ્યાય ગંગનાથ ઝ્હા જેવા મેધાવી વિદ્વાનોની મદદ લેવામાં આવી; પણ આ સમસ્યાનો ઉકેલ ન જ આવ્યો. આજે બનારસ હિંદુ યુનિવર્સિટી બીજી કોઈ પણ યુનિવર્સિટી જેવી બનીને રહી ગઈ છે. તેની અંદર આવતો હિંદુ શબ્દ નામ પૂરતો છે. રહી વાત ભારતીય વિદ્યાઓના અભ્યાસની તો એમાં બી.એચ.યુ. કરતાં અંગ્રેજોએ સ્થાપેલી બનારસ સંસ્કૃત કૉલેજ (નવું નામ સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી)નું યોગદાન ઘણું મોટું છે. અંગ્રેજોને ઓરિયેન્ટલ શિક્ષણ પાશ્ચાત્ય સેક્યુલર (પક્ષપાતના અભાવના અર્થમાં) ઢબે આપ્યું હતું, પરંતુ પંડિતજી તો હિંદુ ઓરિયેન્ટલ શિક્ષણ હિંદુ સેક્યુલર ઢબે આપવા માગતા હતા. આ ગૂંચવાડાનો કોઈ અંત આવતો નહોતો. અરે, બી.એચ.યુ. કરતાં ઘણું મોટું યોગદાન સાંપ્રદાયિક હોવા છતાં પરંપરાગત પાઠશાળાઓનું છે. એમાં અભ્યાસની સ્પષ્ટતા અને સઘનતા તો હતી જ જે બી.એચ.યુ.માં ન આવી શકી.

કહેવાની જરૂર નથી કે જેવો અનુભવ પંડિત મદનમોહન માલવિયાને થયો એવો જ અનુભવ હિંદુ રૅનેસાઁના અન્ય સ્વપ્નદૃષ્ટાઓને પણ થયો. પંડિતજીની સ્થિતિ એવી બની કે તેમણે બધાં ફાંફાં મારવાનું છોડીને છેવટે એક વિનંતી કરી કે કંઈ નહીં તો ગીતાનો વર્ગ ફરજિયાત કરવામાં આવે. આ બાબતે પણ સંમતિ બની નહીં. અંતે ગીતાનો વર્ગ સ્વૈછિક કરવામાં આવ્યો, એ પણ રવિવારે અને એમાં પણ કેટલીકવાર પંડિતજી સાથે માંડ બે-ચાર જણ હાજર હોય. બી.એચ.યુ.ના ઉપ કુલપતિ ડૉ. રાધાકૃષ્ણન્‌ પણ નિયમિત ઉપસ્થિત નહોતા રહેતા.

બી.એચ.યુ.નો અનુભવ મેં અહીં સંક્ષેપમાં આપ્યો છે, પરંતુ જે વાચકોને તેની પૂરી વિગતોમાં રસ હોય તેમણે રિનાલ્ડ લીહનું ‘હિંદુ એજ્યુકેશન: અર્લી યર્સ ઑફ બનારસ હિંદુ યુનિવર્સિટી’ નામનું પુસ્તક વાંચવું.

અલગ અલગ પ્રકારના લગભગ બસો વરસના નિષ્ફળ પ્રયાસ પછી હિંદુઓએ એક તાત્પર્ય પર આવવું જોઈએ. સનાતન ધર્મ આવો વાડ વિનાનો મોકળો છે એ માટે શરમાવાથી જગ્યાએ ગર્વ લઈએ તો? જગતમાં કયો ધર્મ આવી મોકળાશ આપે છે? હિંદુઓએ અન્ય ધર્મીઓને કહેવું જોઈએ કે શ્રદ્ધા ને ઉપાસના મહત્ત્વના છે, કારણ કે તે અંગત છે. કલેવર અને કલેવરજન્ય ઓળખો મહત્ત્વની નથી, કારણ કે તે બાહ્ય છે. ભારતમાં ઉદ્ભવેલા ધર્મો પાસે જે દર્શન છે એવું સમૃદ્ધ દર્શન અન્ય ધર્મો પાસે નથી. વળી કોઈ ઉપાય પણ નથી અને જેટલા ઉપાય અજમાવવામાં આવ્યા એ બધા નિષ્ફળ નીવડ્યા છે એટલે જેમ ચાલે છે એમ ચાલવા દેવા સિવાય બીજો વિકલ્પ પણ નથી. 

હવે એક વાત મોરારિબાપુ માટે. મને ખાતરી છે કે તેમણે માત્ર લાગણીથી પ્રેરાઈને અને પીડાના ભાગરૂપે ગોંદરે ઢોલ પીટ્યો હશે. બાકી ૧૭૦૭માં ઔરંગઝેબના અવસાન પછી મુસલમાન શાસકોના હાથમાંથી સત્તા જવા લાગી ત્યારે શાહ વલીઉલ્લાહે ઇસ્લામ ખતરે મેં હૈ નો ઢોલ પીટ્યો હતો. એ પછી છેલ્લાં સો વરસમાં એક ડઝનવાર ઇસ્લામ ખતરે મેં હૈ ના ઢોલ પીટાયા છે. એનું પરિણામ મુસ્લિમ દેશોમાં નજરે પડી રહ્યું છે. ધર્મરક્ષક બનીને ઢોલ પીટતા પહેલાં સો વાર વિચારવા જેવું છે. ધર્મ નિર્દોષ સંસ્થા છે એવો ભ્રમ દિમાગમાંથી કાઢી નાખવા જેવો છે.

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 06 ઑક્ટોબર 2019

Loading

ચલ મન મુંબઈ નગરી — 13

દીપક મહેતા|Opinion - Opinion|6 October 2019

છેલ્લો કટોરો ઝેરનો પીવા માટે

૧૯૩૧માં ગાંધીજીની દરિયાઈ મુસાફરી

મુંબઈ ટુ લંડન વાયા રાણપુર!

મુંબઈથી લંડન જવા માટે જે જમાનામાં બીજી કોઈ સગવડ નહોતી, ત્યારે ગાંધીજી આગબોટનો ઉપયોગ કરે એ તો સમજાય, પણ રાણપુર એ તો કાઠિયાવાડનું એક નાનકડું ગામ. બંદર પણ નહિ.. તો ગાંધીજી વાયા રાણપુર કઈ રીતે જઈ શકે? પણ એવું બન્યું હતું. કઈ રીતે બન્યું એ જાણવા આગળ વાંચો.

૧૯૧૫માં ગાંધીજી મુંબઈના એપોલો બંદરે ઉતર્યા એ ઘટના જેમ હિન્દુસ્તાનના ઇતિહાસમાં મહત્ત્વની બની ગઈ, તેમ ૧૯૩૧માં ગાંધીજી મુંબઈથી ઇંગ્લંડ જવા રવાના થયા એ ઘટના પણ મહત્ત્વની બની ગઈ. અને એ ઘટના અંગે લખાયેલું એક ગીત ગુજરાતી કાવ્યસાહિત્યમાં અનોખું સ્થાન ધરાવતું થઇ ગયું. આજે એ ઘટના વિષે અને એ ગીત વિષે થોડી વાત. બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે ૧૯૩૧ના ઓગસ્ટની ૨૯મી તારીખે  ગાંધીજી મુંબઈથી એસ.એસ. રાજપૂતાના નામની સ્ટીમરમાં બેઠા. આ પરિષદમાં ભાગ લેવા જવાનું લગભગ છેલ્લી ઘડીએ નક્કી થયું હતું. વાટાઘાટ માટે સિમલા આવવાનું વાઈસરોયે તારથી આમંત્રણ આપ્યું ત્યારે ગાંધીજી અમદાવાદ હતા. ‘આવું છું’ એમ તારથી જણાવી ગાંધીજી અમદાવાદથી સિમલા ગયા.

૨૫મી ઓગસ્ટની સવારે વલ્લભભાઈ પટેલ, સર પ્રભાશંકર પટ્ટણી, એમ.એ. અન્સારી અને પંડિત જવાહરલાલ નેહરુ સાથે ગાંધીજી સિમલા પહોંચ્યા અને સર હર્બર્ટ ડબલ્યુ. એમર્સનને મળ્યા. એમર્સન બ્રિટિશ સિવિલ સર્વન્ટ હતા અને બ્રિટિશ સરકાર અને ગાંધીજી વચ્ચેની વાટાઘાટોમાં વચેટિયા તરીકે કામ કરતા હતા. તેમની સાથે ચર્ચા કર્યા પછી બીજે દિવસે સવારે આ સૌ વાઈસરોય અર્લ ઓફ વિલિન્ગડનને મળ્યા. એ મિટિંગ ત્રણ કલાક ચાલી. ત્યાર બાદ એક જાહેરનામું જારી કરવામાં આવ્યું (જે ‘નવા કરાર’ તરીકે ઓળખાય છે) જેમાં જણાવવામાં આવ્યું કે બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી કૉન્ગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે હાજર રહેશે.

આ જાહેરનામા પર ૨૭મી તારીખે સહીસિક્કા થયા અને ૨૮મીએ તે બહાર પાડવામાં આવ્યું. પણ લંડન જવા માટેની સ્ટીમર ૨૯મી તારીખે મુંબઈથી ઉપડવાની હતી. ગાંધીજી સમયસર મુંબઈ પહોંચી શકે એ માટે વાઈસરોયે સિમલાથી કાલકા સુધી ખાસ ટ્રેનની સગવડ કરી. ૨૯મી તારીખે ગાંધીજી મુંબઈ પહોંચ્યા. મુસાફરીની સગવડ તો થઇ, પણ બીજી એક મુશ્કેલી હતી. ગાંધીજી પાસે પાસપોર્ટ જ નહોતો. એટલે ૨૭મીએ હોમ ડિપાર્ટમેન્ટે સિમલાથી મુંબઈના પોલીસ કમિશનરને તાર કર્યો કે ગાંધી ૨૯મીએ મુંબઈ પહોંચે તે વખતે તેમને ખાસ પાસપોર્ટ મળી જાય તેવી વ્યવસ્થા કરશો. એટલે ગાંધીજી મુંબઈ પહોંચ્યા ત્યારે તેમના હાથમાં પાસપોર્ટ મૂકવામાં આવ્યો. પાસપોર્ટનું કામ ખૂબ ઉતાવળે કરવું પડ્યું હતું તેથી તેમાં ગાંધીજીના જન્મનું વર્ષ ભૂલથી ૧૮૭૦ લખાયું છે. તારીખ અને મહિનો તો લખ્યાં જ નથી.

છેલ્લી ઘડીએ તૈયાર થયેલો ગાંધીજીનો પાસપોર્ટ

સિમલાથી નીકળતાં પહેલાં ગાંધીજીએ ઘનશ્યામદસ બિરલાને તાર કર્યો હતો : “અમારે માટે પાંચ ટિકિટ સૌથી નીચેના વર્ગની લેજો.” પણ એસ.એસ. રાજપૂતાના પર બે જ વર્ગ હતા: પહેલો અને બીજો. એટલે ન છૂટકે ગાંધીજી અને તેમના સાથીઓએ બીજા વર્ગમાં મુસાફરી કરવી પડી.

એસ.એસ. રાજપૂતાના પર ગાંધીજી

ગાંધીજીએ જે સ્ટીમર પર પ્રવાસ કર્યો તેનો ય નાનકડો પણ રસપ્રદ ઇતિહાસ છે. પી. એન્ડ ઓ. સ્ટીમ નેવિગેશન કંપની માટે હાર્લેન્ડ એન્ડ વોલ્ફ ગ્રીનોક નામની કંપનીએ ૧૯૨૫માં આ સ્ટીમર બાંધી હતી. ૧૬,૫૬૮ ગ્રોસ ટન વજનની આ સ્ટીમર ૫૪૭ ફૂટ લાંબી અને ૭૧ ફૂટ પહોળી હતી. તેમાં પહેલા વર્ગના ૩૦૭ અને બીજા વર્ગના ૨૮૮ મુસાફરોની સગવડ હતી. કંપની હિન્દુસ્તાન અને ગ્રેટ બ્રિટનના રૂટ પર જ આ સ્ટીમર વાપરતી. બીજું વિશ્વયુદ્ધ શરૂ થયા પછી ૧૯૩૯ના સપ્ટેમ્બરની ચોથી તારીખે બીજી ઘણી ઉતારુ સ્ટીમરોની જેમ આ સ્ટીમર પણ લડાઈ માટે રોયલ નેવીએ હસ્તગત કરી લીધી એટલે તે એચ.એમ.એસ. રાજપૂતાના બની. પહેલા વિશ્વયુદ્ધ પહેલાંની આઠ જરીપુરાણી તોપ તેના પર બેસાડવામાં આવી. દરેક તોપ ફક્ત છ ઇંચના વ્યાસવાળી હતી. ૧૯૩૯ના ડિસેમ્બરથી આ સ્ટીમર વેપારી સ્ટીમરોના કાફલા સાથે જતી વળાવિયા સ્ટીમર તરીકે કામ કરતી થઇ. અમેરિકા, વેસ્ટ ઇન્ડીઝ, બર્મ્યુડા, નોર્થ એટલાંટિક વગેરેના દરિયાઈ વિસ્તારોમાં તેણે ફરજ બજાવી. પણ ૧૯૪૧ના એપ્રિલની ૧૩મી તારીખે સવારે પાંચ વાગ્યાના સુમારે જર્મનીની યુ-૧૦૮ પ્રકારની સબમરીને બે ટોર્પીડો વડે રાજપૂતાના પર હુમલો કર્યો. સ્ટીમરના એન્જિન રૂમનો કચ્ચરઘાણ નીકળી ગયો. સાત ખલાસીઓ તત્કાળ મૃત્યુ પામ્યા. સ્ટીમર ખોટકાઈને દરિયાનાં પાણીમાં ફસાઈ ગઈ. ગવર્નિંગ ઓફિસરે બધી તોપો વડે ચારે દિશામાં ગોળા વરસાવવાનો હુકમ આપ્યો. આટલી જરીપુરાણી તોપો વડે આટલા નાના ગોળા છોડવાનો કશો અર્થ નહોતો, પણ દુશ્મનનો સામનો કર્યા વગર મરવું નહિ, એટલે સૈનિક-ખલાસીઓએ એ આદેશનું પાલન કર્યું. પછી સ્ટીમર ધીમે ધીમે ડૂબવા લાગી. હુમલાના દોઢ કલાક પછી તેનો ઘણોખરો ભાગ પાણીની નીચે હતો. ત્યારે સ્ટીમર પરના સૌને સ્ટીમરનો ત્યાગ કરવાનો હુકમ અપાયો. ૨૮૩ ખલાસીઓ મહામહેનતે બચી ગયા. પણ કેપ્ટન કમાન્ડર સી.ટી.ઓ. રિચર્ડસન અને બીજા ૪૨ ખલાસીઓએ સ્વેચ્છાએ જળસમાધિ લીધી. અને આમ શાંતિદૂત ગાંધીજીએ જે સ્ટીમર પર પ્રવાસ કર્યો હતો તે યુદ્ધનો ભોગ બનીને નાશ પામી.

એસ.એસ. રાજપૂતાના

નાઉ ઓવર તું રાણપુર ઇન કાઠિયાવાડ. અમૃતલાલ શેઠ ત્યાંથી ‘સૌરાષ્ટ્ર’ નામનું સાપ્તાહિક ચલાવતા. પછીથી જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળ્યું તે કવિ ઝવેરચંદ મેઘાણી ‘સૌરાષ્ટ્ર’માં કામ કરે. એ વખતે છાપવા માટે આજના જેવાં ઝડપી મશીનો નહોતાં. આઠ કે સોળ પાનાંનો એક એક ફર્મો છપાતો અને પછી બધા ફર્મા ભેગા કરી અંક તૈયાર થતો. લગભગ બધાં અખબાર-સામાયિક આ જ રીતે છપાતાં. ‘સૌરાષ્ટ્ર’નો પહેલો ફર્મો દર ગુરુવારે સાંજે છાપવા માટે મશીન પર ચડતો. તે પહેલાંના કલાકમાં મેઘાણીએ ગીત લખ્યું: ‘છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બંધુ.’ લખ્યા પછી તરત અમૃતલાલ શેઠને બતાવ્યું. તેમને તે ખૂબ ગમ્યું, પણ તેમણે એક સુધારો સૂચવ્યો: ‘બંધુ’ને બદલે ‘બાપુ’ કરો. મેઘાણીએ તરત સૂચન સ્વીકારીને ફેરફાર કર્યા. અમૃતલાલ શેઠે તાબડતોબ જાડા આર્ટ કાર્ડ પર ગીતની નકલો છપાવી અને તે જ દિવસે મુંબઈ મોકલી. એક-બે નકલ ગાંધીજીને પહોંચાડવી અને બાકીની ગાંધીજીને વિદાય આપવા બંદર પર આવેલા લોકોમાં વહેંચવી એવી ખાસ તાકીદ કરી. એ રીતે ગાંધીજી માટેની નકલ તેમના વતી મહાદેવભાઈ દેસાઈએ સ્વીકારી. બંદર પર નકલો વહેંચી ત્યારે થોડુંક ન ધારેલું બન્યું. મેઘાણીના જ શબ્દોમાં જોઈએ: “બંદર પર આ વહેચાયું ત્યારે રમૂજી ઇતિહાસ બની ગયો. ‘ઝેર’ ‘કટોરો’ વગેરે રૂપકો પરથી કેટલીક પારસી બહેનોને આ ક્રૂર કટાક્ષ-ગીત લાગ્યું. એમનાં હૃદયો દુભાયાં. એક ગુજરાતી બહેને ભાવ સ્પષ્ટ કર્યો ત્યારે પેલાં બહેનોનાં હૃદય આનંદિત બની ઊઠ્યાં.”

ગાંધીજીએ મુસાફરી શરૂ કરી તે પહેલાં તેમના પર ઢગલાબંધ કાગળ અને તાર આવ્યા હતા. સ્ટીમર ઉપડ્યા પછી તે બધા વાંચવાનું તેમણે શરૂ કર્યું. તેમાં આ ગીત ગાંધીજીના હાથમાં આવ્યું. આખું વાંચી ગયા પછી ગાંધીજીએ મહાદેવભાઈ અને મીરાંબહેનને કહ્યું: “મારી સ્થિતિનું આમાં જે વર્ણન થયું છે તે તદ્દન સાચું છે. કવિએ તો એનું આખું હૃદય એમાં ઠાલવ્યું છે.” ગાંધીજીના આ શબ્દો મહાદેવભાઈએ તેમની ડાયરીમાં નોંધ્યા છે. મહાદેવભાઈ જ્યારે એમની ડાયરી લખતા હતા, ત્યારે ભવિષ્યમાં એ પ્રગટ થશે એવો ખ્યાલ એમને ન જ હોય. પણ ૨૯ ઓગસ્ટ ૧૯૩૧ના દિવસે જ તેમણે પોતાની ડાયરીમાં ‘છેલ્લો કટોરો’ કાવ્યનું છાપેલાં ચાર પાનાં  (મહાદેવભાઈની ડાયરી, ભાગ ૧૫, પાનાં ૪-૭) જેટલું વિસ્તૃત વિવરણ કે રસદર્શન લખ્યું છે. એટલે આ કાવ્ય એમને પણ ખૂબ સ્પર્શી ગયું હશે. મહાદેવભાઈ લખે છે: “મેઘાણીના કાવ્યને વાંચતાં તો જાણે મેઘાણીનો આત્મા ગાંધીજીના છેલ્લા પંદર દિવસનો સતત સાક્ષી રહ્યો હોય એમ પ્રતીત થાય છે. ૧૧મી ઓગસ્ટે હોટસન સાહેબનો કાગળ આવ્યો ત્યારથી માંડીને તે ૨૭મીએ સિમલાથી નીકળ્યા ત્યાં સુધીનું દરેક પગલું જાણે મેઘાણીજીએ ક્યાંક છુપાઈને – પેલી આપણી પ્રાચીન વાર્તાઓનો અંધાર પછેડો ઓઢીને – જોયા કીધું હોય એમ લાગે છે … છેલ્લા પંદર દિવસના કડવા ઘૂંટડાનો કટોરો હજી પૂરો થયો નહિ હોય તેમ વિલાયત એ પૂરો કરવાને માટે જતા હોય એ કવિની ભવ્ય કલ્પના હૃદય સોંસરી ચાલી જાય છે.”     

મહાદેવભાઈની વાતનું મહત્ત્વ સમજવા માટે એ દિવસોનો ઘટનાક્રમ જરા વિગતે જોઈએ. કાલકાથી મુંબઈ ટ્રેનમાં આવતાં રસ્તામાં ગાંધીજીએ ‘બોમ્બે ક્રોનિકલ’ના પ્રતિનિધિને ખાસ મુલાકાત આપી. “ગોળમેજી પરિષદનાં પરિણામો વિષે આપ આશાવાદી છો?” એવા સવાલના જવાબમાં ગાંધીજીએ કહેલું: “જો મારે આજની સ્થિતિ જોઇને ભવિષ્યનો ખ્યાલ કરવાનો હોય તો કહીશ કે ‘ના.’ પણ હું જન્મથી જ આશાવાદી હોઈને મેં કદી અભેદ્ય અંધકારમાં આશા ગુમાવી નથી.” ગાંધીજી ૨૯મીની સવારે મુંબઈ આવ્યા. પછી આઝાદ મેદાન પર જાહેર સભામાં ભાષણ કર્યું હતું. તેમાં કહ્યું હતું: “સામાન્ય સંજોગોમાં જો તમારો વિશ્વાસ ન હોત તો મેં લંડન જવાની ના પાડી હોત. પણ તમારો વિશ્વાસ મને બળ આપશે. મને મારી ઊણપો અને નબળાઈઓની પૂરેપૂરી ખબર છે. પણ સત્ય અને અહિંસા મારા માર્ગદર્શક સિદ્ધાંતો રહેશે અને હું આશા રાખું છું કે મારા લંડનના કાર્યમાં એ સોળે કળાએ પ્રગટ થશે.”

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી

મણિભવનથી લખેલા એક પત્રમાં પણ ગાંધીજીએ લખ્યું હતું કે ક્ષિતિજ તો હોઈ શકે એટલી ધૂંધળી છે. પણ ઈશ્વરને એકમાત્ર ભોમિયા તરીકે રાખીને મારે લંડન તો જવું જ રહ્યું.”  એસ.એસ. રાજપૂતાનાએ મુંબઈનું બારું છોડ્યું તે પહેલાં એસોસિયેટેડ પ્રેસને સ્ટીમર પરથી આપેલા નિવેદનમાં ગાંધીજીએ ફરી કહેલું: “ક્ષિતિજ ઉપર આશા પ્રેરે એવું કશું જ દેખાતું નથી, તેમ છતાં હું જન્મથી આશાવાદી હોઈને નિરાશામાં પણ હું આશા સેવી રહ્યો છું” (‘ગાંધીજીનો અક્ષરદેહ’, ભાગ ૪૭). બોમ્બે ક્રોનિકલના પ્રતિનિધિ સમક્ષ બોલાયેલા શબ્દો, જાહેર સભામાં બોલાયેલા શબ્દો અને સ્ટીમર ઉપડતાં પહેલાં બોલાયેલા શબ્દો ૨૭મીની સાંજે કાવ્ય લખતાં પહેલાં મેઘાણી સુધી પહોંચ્યા હોય એ શક્ય જ નથી. છતાં કેવળ કલ્પનાના બળે મેઘાણી ગાંધીજીની મનોદશાને તંતોતંત પામી ગયા છે, અને અત્યંત અસરકારક રીતે તેને પોતાના કાવ્યમાં વ્યક્ત કરી છે. આને પરકાયાપ્રવેશ નહિ તો બીજું શું કહી શકાય?

૧૯૧૩માં કવિ લલિતજીએ ગાંધીજી વિશેનું પહેલવહેલું કાવ્ય લખ્યું તે પછી આજ સુધીમાં ગાંધીજી વિષે કાવ્યો તો ઢગલાબંધ લખાયાં છે, પણ ‘છેલ્લો કટોરો’ની તોલે આવે એવાં કાવ્યો ભાગ્યે જ લખાયાં છે. આ કાવ્યમાં જે રીતે ગાંધીજીની મનોવેદના મેઘાણીએ વ્યક્ત કરી છે તે જોતાં થાય કે મુંબઈથી લંડન જતાં પહેલાં ગાંધીજી રાણપુર જઈને મેઘાણીને મળ્યા તો નહિ હોય? પોતાની વેદના શું ગાંધીજીએ તેમની પાસે વ્યક્ત કરી હશે? ના. પોતાની સર્જક પ્રતિભાને બળે મેઘાણીએ ગાંધીજીની મનોવેદના અનુભવી અને તેને અત્યંત અસરકારક રીતે પ્રગટ કરી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

સૌજન્ય : “ગુજરાતી મિડ ડે”, 05 ઑક્ટોબર 2019

Loading

ડ્રેગનની ઊંચી ઉડાનઃ ચીનની સફળતામાંથી ઘણું શીખાય પણ આંધળુકિયા વિનાશ નોતરશે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|6 October 2019

ચીને જે આજથી પચાસ વર્ષ પહેલાં કરી લીધું તે હવે આપણે કરવા જઇશું તો સામાજિક, આર્થિક, કુદરતી વ્યવસ્થાને હાનિ પહોંચાડી બેસીશું

૧લી ઑક્ટોબરે પિપલ્સ રિપબ્લિક ઑફ ચાઇના(પી.આર.સી.)ની સ્થાપાનાને ૭૦ વર્ષ પૂરાં થયાં. પ્રગતિ, વૈશ્વિક સ્તરે મજબૂત સ્થાન બનાવવું, સંસ્કૃતિ અને સંસ્કારોને વળગી રહેવું પણ પછાત કે હિંસક હોવાની છાપ ક્યારે ય ન ખડી કરવી વગેરે ચીનની લાક્ષણિકતાઓ છે. આપણે આ બધા જ મામલે ચીન પાસેથી કેટલીક ચીજો શીખવા જેવી ખરી. કોઇ તરત એમ કહી શકે કે ચીન અને ભારતમાં તો શાસનની નીતિ અને પદ્ધતિ સુધ્ધાં સાવ જુદાં છે તો તેની સરખામણી કેવી રીતે થઇ શકે? ભારત અને ચીનનાં સ્વતંત્ર સ્થાપન વચ્ચે બે-ત્રણ વર્ષનો માંડ ફેર છે અને બંન્નેની આગવી પ્રાચીન સંસ્કૃતિ છે. સરકાર અને શાસન એકબીજાથી જુદા હોવા છતાં પણ ચીન અને ભારતમાં વહીવટ અને આર્થિક વિકાસને મામલે કેટલીક સામ્યતાઓ છે. આટલી બધી સમાનતાઓ હોવા છતાં પણ હજી ૯૦ના દાયકા સુધી ભારત કરતાં જી.ડી.પી.ની સરખામણીએ ‘ગરીબ’ ગણાતો આ દેશ આજે આખા વિશ્વની ‘ફેક્ટરી’ બની ચુક્યો છે. ચીનનો પર કેપિટા જી.ડી.પી. આજે ૨૦૧૯માં ભારત કરતાં ૪.૬ ગણો છે. ચીનની આ સફળતાનાં કારણો અને આપણાં વિકાસની મંદ ગતિ પાછળનાં તર્કને સમજવા જરૂરી છે. છેલ્લાં ૭૦ વર્ષમાં ચીને ૮૫૦ મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર ખેંચી કાઢ્યા છે અને દર આઠ વર્ષે ચીનનું અર્થતંત્ર સાચા અર્થમાં બમણું થતું જાય છે.

ચીનનો આધુનિક ઇતિહાસ જોઇએ તો ચીનના કૉમ્યુનિસ્ટ નેતા માઓ ઝેડોન્ડ આર્થિક વિકાસનાં રસ્તે કંઇ બહુ આગળ ન વધી શક્યા. પરંતુ તેમના મૃત્યુ પછી જે શાસક આવ્યા, તેણે ખાસ કરીને દરિયા કાંઠાનાં વિસ્તારોમાં આયાત-નિકાસ સરળ બને તેમ વિદેશી રોકાણ માટે દરવાજા મોકળા કર્યા. કૃષિ ઉદ્યોગ સરકારનાં નિયંત્રણમાંથી મુક્ત કરાયો તો માત્ર એક જ બાળકનો કાયદો વસ્તી વિસ્ફોટનાં ધડાકાને પહેલેથી જ રોકવામાં સફળ રહ્યો, જેથી રાષ્ટ્રનાં ડૅમોગ્રાફિક ડિવિડન્ડનો યોગ્ય ઉપયોગ થઇ શકે. વસ્તી વધારાને મામલે આમ તો સિત્તેરના દાયકામાં કુટુંબ નિયોજનની વાત કરનાર દેશ તરીકે ભારત વિશ્વનાં અન્ય રાષ્ટ્રોની સાથે હતો પણ છતાં ય જાગૃતિ અને પ્રચાર-પ્રસારને અભાવે વસ્તીને મામલે આપણે ત્યાં કોઇ કાબૂ ન રહ્યો.

ચીનમાં વહીવટી ખાતું કે અમલદારીશાહી ઘણી જડ રહી છે પણ છતાં ય ટૅક્નોલૉજીમાં આવતા પરિવર્તનોનો સ્વીકાર કરવામાં તેઓ કશે પાછા નથી પડ્યા. ચીનની કાર્ય કુશળતાની પ્રસંશા થાય છે કારણ કે પરિવર્તનનો માત્ર સ્વીકાર જ નહીં પણ તે માટે જરૂરી અમલીકરણ પણ જોવા મળે છે. ચીન કદાચ ક્યારે ય પણ બધાને ગમે એવો, આખી દુનિયામાં બધા સાથે મૈત્રી રાખનારો દેશ નહીં બને, પણ તેણે એટલું તો સાબિત કર્યું છે કે પોતે એવો દેશ તો છે જ જ્યાં પ્રોજેક્ટ માત્ર વિચાર જ નહીં પણ વાસ્તવિકતા બને છે. એશીના દાયકા પછી સ્થાનિક પબ્લિક એજન્ટ્સ અને ઉચ્ચ વર્ગનાં લોકો વચ્ચે વિશ્વસનિયતા અને સ્પર્ધા પર ધ્યાન અપાયું અને પરિણામે આખી સિસ્ટમ ‘કૉર્પોરેટાઇઝ્ડ’ થઇ ગઇ જેને કારણે ચીનનું અર્થતંત્ર સડસડાટ વિકસવા માંડ્યું.

આપણે ત્યાં જવાહરલાલ નેહરુએ સમાજવાદી આર્થિક માળખું અપનાવ્યું જ્યાં સંપત્તિ એકઠી કરવી અને મોટા ખાનગી ઉદ્યોગોને મહત્ત્વ આપવું પ્રાથમિકતા નહોતી. આઝાદી પછી તરત આવેલી સરકારે ભારત સ્વતંત્ર બજાર તરીકે ખડું થાય, આયાત થતી ચીજોનો વિકલ્પ દેશમાં જ ખડો થાય તેવું ધાર્યું ખરું પણ આપણે લાંબા સમય સુધી આયાતો પર આધાર રાખ્યો. અંતે એવી સ્થિતિ આવી કે આપણે ગુણવત્તાસભર કે આંતરરાષ્ટ્રીય વિકલ્પો સામે ટકી શકે તેવી ચીજોનાં ઉત્પાદનની ક્ષમતા પૂરેપૂરી રીતે કેળવી જ ન શક્યા. પહેલાંની સરકારનાં પ્રશ્નો જુદા હતા તો હવે છેલ્લાં બે વર્ષમાં સરકારે પ્રોટેક્શનિઝમ અને નિકાસના વિકલ્પને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું છે પણ આ નીતિ આપણે ત્યાં પહેલાં પણ નિષ્ફળ ગઇ છે અને આર્થિક વિકાસમાં આડે આવી છે.

ચીનના જાહેર સાહસો, રાજ્ય શાસિત વ્યાપાર ઉદ્યોગોનું માળખું ખૂબ મજબૂત છે. ૧૯૯૩ પહેલાં આ બધાં ‘રેઢિયાળ સરકારી તંત્ર’ની માફક ઢસડાતા હતા. સત્તાધિશોએ આ ઉદ્યોગોની સિકલ ધરમૂળથી બદલી નાખી અને આજે આ તમામ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધામાં ટકી શકે તેટલાં મજબૂત છે. આપણે ત્યાં સાવ વિપરીત સ્થિતિ છે. એક બે સફળ અને પ્રમુખ જાહેર સાહસો સિવાયનાં મોટા ભાગનાં રાજ્ય શાસિત ઉદ્યોગો કે જાહેર સાહસો મરવાને વાંકે જીવે છે અથવા તો ‘નોન-પરફોર્મિંગ એસેટ્સ’ ગણવા માંડ્યા છે. ચીનની પંચવર્ષિય યોજનાઓમાં નિયત કરાયેલી માળખાકિય સુવિધાઓ ખડી કરવાને માલમે ચીનને ક્યારે ય પણ જમીન હસ્તગત કરવામાં મુશ્કેલીઓ નથી નડી. ચીનમાં સસ્તી લેબર આધારિત ઉદ્યોગો જેમ કે ટેક્સટાઇલ, લાઇટ એન્જિનિયરીંગ અને ઇલેક્ટ્રોનિક્સમાં મોટે પાયે રોકાણ કરાયું. વળી સેઝ પણ ચીનમાં પહેલાં જ અસ્તિત્વમાં આવ્યા. વળી ચીનમાં પ્રોજેક્ટ્સ વહેંચવાને મામલે સરકારે માત્ર છેવાડાના વિસ્તારો પર જ ધ્યાન આપ્યું એમ ન થયું. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં એક સરખી રીતે નવાં કામ અને પ્રોજેક્ટ્સની વહેંચણી કરવામાં આવી. કેન્દ્રીય રીતે માળખાકિય સુવિધાઓમાં થયેલા આર્થિકરોકાણને કારણે બીજા ક્ષેત્રોમાં રોકાણની શક્યતાઓ પણ વધતી ચાલી અને આર્થિક વિકાસની ગતિમાં પણ વધારો થયો. આપણે ત્યાં માળખાકિય સુવિધાઓને મામલે બહુ મોટી ખાઇ છે. રોડ અને રેલ્વેઝ માટે બજેટ મંજુર થયું હોવા છતાં ય સરકાર માટે કોઇ લાંબાગાળાની યોજના હોય તેવું વર્તાતું નથી. ચીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મામલે આપણાં કરતાં અડધો યુગ આગળ છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. આપણે ત્યાં સેઝ વગેરે શરૂ થયાને હજી ગણતરીનાં વર્ષો થયાં છે. સસ્તું લેબર આપણે ત્યાં પણ ઉપલબ્ધ હતું પરંતુ, આપણે શરૂઆતમાં કૅપિટલ ઇન્ટેન્સિવ ઉદ્યોગો વિકસાવ્યા જેને કારણે બેરોજગારીનો પ્રશ્ન મોટો બનતો ગયો.

ચીનનું સૈન્ય ભારત કરતાં કંઇકગણું આધુનિક છે જ્યારે આપણાં સૈન્યમાં બધાં જ મામલે ક્લેવર બદલવાની જરૂરી છે. ચીનની લડાયક ધમકીઓ સામે ટકવા માટે આપણે લશ્કરી સજ્જતાને મામલે ચીન જેવાં મજબૂત થવાની જરૂર છે. ચીનમાં ઊર્જાની બચત પ્રત્યેની જાગૃતિ પણ નોંધપાત્ર છે, ભારત ધીમે ધીમે એ દિશા ભણી નજર કરે છે. ચીનમાં વિશ્વનાં સૌથી વધારે ઇલેક્ટ્રીક વાહનો છે જે પ્રદૂષણ ઘટાડવાથી માંડીને ઊર્જાનાં સ્રોતની બચતમાં મોટો ફાળો આપે છે. ભારત પાસે ચીન કરતાં ચારગણાં તાજાં પાણીનાં સ્રોત છે પણ ચીન પાણીની સમસ્યાથી નથી પીડાઇ રહ્યો. ચીનમાં પાણીનાં ઉપયોગ પર નિયંત્રણ, ખેતીમાં પાણીનાં વપરાશને ઘટાડે તેવા સંશોધનો પર સતત કામ કરાય છે. વળી ચીનમાં વધુ પડતાં ભૂગર્ભ જળનો ઉપયોગ કરનારા ઉદ્યોગો અને વ્યાપારને દંડ સુધ્ધા ફટકારાય છે. ભારતમાં અતિ વિભાજીત જમીન માલિકીને કારણે ભૂગર્ભ જળનો ઉપયોગ ધાર્યા કરતાં વધારે થાય છે માટે ખેતીમાં પાણીનાં વપરાશ અંગે વિકેન્દ્રિય નીતિ રચીને જાગૃતિ પ્રસરાવવની અનિવાર્ય છે.

ચીનનું વિકાસ મૉડલ સામાજિક દ્રષ્ટિએ પરફેક્ટ નથી. ચીનનો અનુભવ શીખવે છે કે કોઇપણ નીતિ અદ્ધરતાલ નથી ઘડાતી અને તેની સીધી અસર સમાજ પર પડે છે જેને કારણે સમસ્યાઓ પણ ખડી થઇ શકે છે. વિકાસનાં પાટે સડસડાટ દોડતા ચીનમાં જ એક આખી ‘ખોવાયેલી પેઢી’નો પ્રશ્ન છે કારણેકે તેમને શિક્ષણ મેળવવાની મંજૂરી નહોતી આપવામાં આવી. પિતૃસત્તાક અને પિતૃવાદી સંસ્કૃતિને કારણે ભરપૂર જીવી શકાય તેવી જિંદગીઓને બદલે લોકો ત્યાં માનસિકતાની સંકડાશ વેઠી રહ્યાં છે અને ત્યાં માનસિક સ્વાસ્થ્યનું સ્તર સતત કથળતું રહ્યું છે. સી.સી.પી. એટલે કે ક્રિટીકલ કંટ્રોલ પોઇન્ટની કાયદેસરતા ચીનનાં રાષ્ટ્રવાદમાંથી નહીં પણ તેની આર્થિક સફળતામાંથી પેદા થઇ છે.

બાય ધી વેઃ

આપણે લોકશાહી રાષ્ટ્ર છીએ અને માટે માત્રને માત્ર આર્થિક સફળતાને ધ્યાનમાં રાખી, બીજું બધું હાંસિયામાં ધકેલી દેવાનું આપણે માટે શક્ય નથી અને એમ હોવું પણ ન જોઇએ. ચીનના પ્રભાવમાં આપણને આંધળુકિયાં ન પોસાય. ચીને જે આજથી પચાસ વર્ષ પહેલાં કરી લીધું તે હવે આપણે કરવા જઇશું તો સામાજિક, આર્થિક, કુદરતી વ્યવસ્થાને હાનિ પહોંચાડી બેસીશું. ગણતરી પૂર્વકનાં ધીમાં પણ મક્કમ પગલાં જ ભારતનો આર્થિક વિકાસ કરી શકે તેમ છે. ડ્રેગનની ઝાળથી અંજાઇ જઇ આપણાં હાથીને અંકુશથી મારી ગાંડોતૂર કરવાની ભૂલ આપણે ન કરવી જોઇએ. ગણતરીના મહિનાઓ પહેલાં આપણે વિશ્વની સૌથી ઝડપથી વિકસી રહેલું અર્થતંત્ર છે, એવાં વિધાન થયા હતાં, જેને મંદીએ ખોટા સાબિત કરી જ દીધા છે. વિશ્વ સ્તરે ઝડપથી વિકસતા અર્થતંત્રની ઓળખ જોઇતી હોય તો પહેલાં ઘરમાં સંજોગો સુધારવા પડશે અને તે પણ વૈચારિક પગલાં લઇને.

સૌજન્ય : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 06 ઑક્ટોબર 2019

Loading

...102030...2,6622,6632,6642,665...2,6702,6802,690...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved