Opinion Magazine
Number of visits: 9576724
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઓગણીસમી સદીમાં ધારાવાહિક નવલકથા

દીપક મહેતા|Opinion - Literature|12 October 2019

કાળચક્રની ફેરીએ

નવલકથાનો પ્રકાર જેમ આપણે અંગ્રેજી સાહિત્યમાંથી અપનાવ્યો છે તેમ નવલકથાનું ધારાવાહિક પ્રકાશન પણ બ્રિટનનાં ૧૯મી સદીનાં છાપાંઓ અને સામયિકો પાસેથી અપનાવ્યું છે. બ્રિટનમાં નવલકથાનું ધારાવાહિક પ્રકાશન શરૂ થયું એના મૂળમાં એક કાયદો રહેલો છે એમ કોઈ કહે તો? માનવામાં ન આવે ને? પણ એ એક હકીકત છે. બ્રિટનની સરકારે ૧૭૧૨માં ‘સ્ટેમ્પ એક્ટ’ દાખલ કર્યો. આ કાયદા હેઠળ અખબારો અને સામયિકો ઉપર સારો એવો ભારે ટેક્સ લાદવામાં આવ્યો. એનો મૂળ હેતુ તો સરકાર વિરોધી લખાણોને ડામવાનો હતો. કોઈ પણ કાયદાને પરિભાષાનો આશ્રય લેવો પડે છે. એટલે ‘અખબાર’ અને ‘સામયિક’ એટલે શું? તો કાયદામાં કહ્યું કે જેનાં પાનાં અમુક સંખ્યા કરતાં ઓછાં હોય તે અખબાર કે સામયિક, અને જેનાં પાનાં વધુ હોય તે ‘પેમ્ફલેટ.’ અને અખબાર કે સામયિક કરતાં પેમ્પફ્લેટને ઓછો ટેક્સ લાગુ પડતો હતો. એટલે આ નવા ટેક્સમાંથી બચવા માટે ઘણાં સામયિકોએ ધારાવાહિક નવલકથા છાપીને પાનાંની સંખ્યા વધારવાનો રસ્તો લીધો. અલબત્ત, એ વખતે અગાઉ પુસ્તક રૂપે પ્રગટ થઇ ચૂકેલી નવલકથાઓ ફરી ધારાવાહિક રૂપે છપાતી. આ ચાલાકી સરકારશ્રીના ધ્યાનમાં આવી ગઈ અને ૧૭૨૪માં કાયદામાં સુધારો કરીને આ છટકબારી બંધ કરી દીધી. પણ ત્યાં સુધીમાં વાચકોને ધારાવાહિક નવલકથા વાંચવાની એવી આદત પડી ગઈ હતી કે એ છાપવાનું બંધ કરવાનું શક્ય નહોતું. બલકે કેટલાંક સામયિકોએ તો એક સાથે બે ધારાવાહિક નવલકથા છાપવાનું પણ શરૂ કર્યું.

પણ બ્રિટનમાં ધારાવાહિક નવલકથાને સાહિત્યનો દરજ્જો અપાવવાનું માન ચાર્લ્સ ડિકન્સને અપાય છે. તેની ‘પિક્વિક પેપર્સ’ માર્ચ ૧૮૩૬થી ઓક્ટોબર ૧૮૩૭ સુધીમાં ૧૯ સ્વતંત્ર પુસ્તિકાઓ રૂપે હપ્તાવાર પ્રગટ થઈ અને તેને અસાધારણ સફળતા મળી ત્યારથી બ્રિટનમાં નવલકથાનું હપ્તાવાર પ્રકાશન પ્રતિષ્ઠિત બન્યું. અલબત્ત, આ પ્રકાશન પણ અકસ્માત થયું હતું. મૂળ તો અગાઉથી તૈયાર થયેલાં ચિત્રોને આધારે, તેમને સાંકળીને વાર્તા લખવા માટે ડિકન્સને રોકવામાં આવેલો. પહેલા બે હપ્તા તેણે એ રીતે લખ્યું પણ ખરું, પણ પછી તંત્રીને કહી દીધું કે ચિત્રો કરવાં હોય તો કરાવજો, પણ મેં લખેલી વાર્તા પ્રમાણે, અને પ્રકરણ લખાઈ જાય તે પછી.

મેગેઝિનના કદમાં, મેગેઝિનનો અંક હોય તેમ લાગે એવાં રૂપ રંગમાં, દર અઠવાડિયે કે દર મહિને નવલકથાનાં બે-ચાર પ્રકરણ પ્રગટ થતાં જાય. લેખક, પ્રકાશક અને વાચક, ત્રણે માટે આમાં ફાયદાનો સોદો હતો. લેખકે પોતાની નવલકથા ધારાવાહિક રૂપે છાપવા માટે કોઈ મેગેઝિન તૈયાર થાય તેની રાહ ન જોવી પડે. પ્રમાણમાં કાગળ હલકો વપરાય, છપામણી અને બાંધણી સાધારણ હોય, એટલે પ્રકાશકના પૈસા બચે. આખી નવલકથા ખરીદવા માટે એક સાથે ઘણા પૈસા ખરચવા પડે. જ્યારે આ રીતે દર મહિને થોડા પૈસા ખર્ચી વાચક નવલકથા વાંચી શકે તે તેનો ફાયદો. અને હા, બે-પાંચ હપ્તા વાંચ્યા પછી નવલકથા ન ગમે તો ખરીદવાનું બંધ કરી બાકીના પૈસા બચાવી શકાય.

ફ્રાન્સમાં ૧૮૩૬માં પહેલવહેલું ફ્રેંચ દૈનિક શરૂ થયું. તે અગાઉ જે સમાચાર પત્રો પ્રગટ થતાં હતાં તે બધાં અઠવાડિક હતાં. હવે સવાલ એ હતો કે લોકોને દર અઠવાડિયાને બદલે દર રોજ છાપું ખરીદતા કઈ રીતે કરવા? એ વખતના અત્યંત લોકપ્રિય નવલકથાકાર બાલ્ઝાકની નવલકથા ‘ધ ઓલ્ડ મેઈડ’ રોજ પ્રગટ થવા લાગી અને લોકો તે અખબારની નકલો માટે પડાપડી કરવા લાગ્યા.

તો અમેરિકામાં ૧૮૫૧માં પહેલી વાર ધારાવાહિક નવલકથા પ્રગટ થઇ. એ હતી હેરિયટ બીચર સ્ટોની ‘અંકલ ટોમ્સ કેબિન.’ આ નવલકથાને માત્ર અમેરિકન સાહિત્યમાં જ નહિ, અમેરિકાના ઇતિહાસમાં પણ અત્યંત મહત્ત્વની માનવામાં આવે છે. પછી તો થોડા વખતમાં બ્રિટન, યુરોપ, અને અમેરિકામાં એમ મનાવા લાગ્યું કે ઉત્તમ નવલકથાકારોની કૃતિઓ તો પહેલાં હપ્તાવાર જ પ્રગટ થાય. પછી તે પુસ્તક રૂપે પ્રગટ થાય. બીજા-ત્રીજા વર્ગના લેખકોને એવો લાભ મળે નહીં, અને એટલે તેમની નવલકથાઓ સીધી પુસ્તકરૂપે પ્રગટ થાય.

ધારાવાહિક નવલકથાના લેખકને બીજો પણ એક ફાયદો થતો. મોટે ભાગે તેને હપ્તાવાર મહેનતાણું ચૂકવાતું. આથી લેખકો પોતાની નવલકથાને બને તેટલી લંબાવતા. ફ્રાન્સના અત્યંત લોકપ્રિય નવલકથાકાર એલેક્ઝાન્ડર ડૂમાને તો લીટી પ્રમાણે મહેનતાણું ચૂકવાતું. આથી એક નવલકથામાં તેણે એક એવું પાત્ર દાખલ કરેલું કે જે કોઈ પણ સવાલનો જવાબ એક જ શબ્દમાં આપતું. દરેક પાત્રનો સંવાદ જુદી લીટીમાં છપાય એટલે દર હપ્તે લીટી ઘણી વધી જાય. પણ સંપાદક કાંઈ બુદ્ધુ નહોતો. તેણે કહ્યું કે મહેનતાણું છાપેલી આખી લીટી પ્રમાણે ચૂકવાશે, એક-બે શબ્દોની લીટીને ગણતરીમાં નહિ લેવાય. એટલે પછીના હપ્તામાં ડૂમાએ એ પાત્રને મારી નાખ્યું! એક જમાનામાં આપણે ત્યાં પણ ચાર, ત્રણ કે બે ભાગમાં છપાતી નવલકથાઓની સંખ્યા મોટી હતી તે પણ કદાચ હપ્તાવાર ચૂકવાતા મહેનતાણાને કારણે.

આપણી ભાષામાં ૧૯મી સદીમાં જે સામયિકો શરૂ થયાં તે મોટે ભાગે જ્ઞાનપ્રસાર, સમાજ સુધારો, ધાર્મિક સુધારો, નવી નવી જાણકારી, વગેરે લોકો સુધી પહોંચાડવાના હેતુથી શરૂ થયાં હતાં. જેમ કે ‘વિદ્યાસાગર’, ‘બુદ્ધિપ્રકાશ’, ગુજરાત શાળાપત્ર, વગેરે. એમાં મનોરંજનને ભાગ્યે જ સ્થાન મળતું. ૧૮૫૭માં શરૂ થયેલું ‘સ્ત્રીબોધ’ પણ તેનું નામ જ સૂચવે છે તેમ સ્ત્રીઓને બોધ, જ્ઞાન, માહિતી આપવાના ઉદ્દેશ સાથે શરૂ થયું હતું. પણ એ જમાનાના પ્રખ્યાત સમાજસુધારક, નાટ્યકાર, રંગભૂમિ અને શાસ્ત્રીય સંગીતના જાણકાર કેખુશરો કાબરાજી ૧૮૬૩માં ‘સ્ત્રીબોધ’ના તંત્રી બન્યા. શરૂઆતમાં તો તેમણે પણ અગાઉની રીતે જ ‘સ્ત્રીબોધ’ ચલાવ્યું. પણ પછી તેમના ધ્યાનમાં આવ્યું કે માત્ર લુખ્ખાં બોધ, માહિતી, ઉપદેશ આપવાથી ધારી અસર પડતી નથી અને વાચક વર્ગ પણ મર્યાદિત રહે છે. માસિકમાં મનોરંજનનું તત્ત્વ પણ ઉમેરવું જોઈએ. એટલે તેમણે પહેલાં તો શેક્સપિયરનાં ત્રણેક નાટકોના કથાસાર હપ્તાવાર છાપ્યા. અને પછી ઓગસ્ટ ૧૮૭૧ના અંકથી શરૂ કરી પોતાની નવલકથા ‘ભોલો દોલો.’ ગુજરાતીમાં પ્રગટ થયેલી આ પહેલવહેલી ધારાવાહિક નવલકથા. હા, એ મૌલિક નહોતી, એક અંગ્રેજી નવલકથા પર આધારિત હતી અને તે હકીકત પહેલા જ હપ્તામાં જાહેર કરવામાં આવી હતી. પણ ગદ્યના ઘણાખરા પ્રકારોની બાબતમાં ૧૯મી સદીમાં એવું બન્યું છે કે પહેલાં અંગ્રેજીમાંથી અનુવાદ થયા છે, અને પછી મૌલિક લેખન થયું છે. આમ થવાનું એક મુખ્ય કારણ એ કે એ વખતે સાહિત્યિક લેખન માટે ગદ્યનો વપરાશ નવોસવો હતો. અને ગદ્ય દ્વારા જે કહેવાનું હતું એ પણ નવું હતું. જ્યારે પદ્યની બાબતમાં છંદ, દેશી રાગરાગિણીઓ, વગેરેનું પરંપરાગત માળખું તો તૈયાર હતું. માત્ર તેનો વિનિયોગ નવી સામગ્રી માટે કરવાનો હતો. આથી પદ્યની બાબતમાં પહેલાં મૌલિક લેખન થયું અને પછી અંગ્રેજીમાંથી અનુવાદ થયા. વળી, આજે આપણે મૌલિક અને અનુવાદિત વચ્ચે જેટલો સ્પષ્ટ ભેદ કરીએ છીએ તેટલો તે વખતે કરાતો નહોતો.

‘ભોલો દોલો’ ડિસેમ્બર ૧૮૭૩ના અંકમાં પૂરી થઇ તે પછી કાબરાજીએ પોતાની જે નવલકથા ધારાવાહિકરૂપે પ્રગટ કરી તે: પરણવું કે નહિ પરણવું, આગલા વખતની બાયડીઓ અને હાલના વખતની છોકરીઓ, પાતાલ પાણી ચલાવે, મિજાજી હોસ્નઆરા કેમ ઠેકાણે આવી, પૈસા! પૈસા! પૈસા!, દુખિયારી બચુના દુઃખનાં પહાડ, સોલીને સુધારનાર સુની, ગુમાસ્તાની ગુલી ગરીબ, વેચાયલો વર, ભીખો ભરભરિયો, હોશંગ બાગ, ખોહવાયલી ખટલી, મીઠી મીઠ્ઠી, ચાલીસ હજારનો ચાનજી, અને ખૂનનો બદલો ફાંસી. તેમની  છેલ્લી નવલકથા સોલી શેઠની સુનાઈ ૧૯૦૪માં પ્રગટ થઇ, અને તે જ વર્ષે કાબરાજી બેહસ્તનશીન થયા. અંગ્રેજી નવલકથાનું રૂપાંતર પારસી કે હિંદુ સમાજના પરિવેશમાં તેઓ એવી સિફતથી કરતા કે સામાન્ય વાચકને તો આ રૂપાંતર છે એવો ખ્યાલ પણ ન આવે. પોતાની આ નવલકથાઓ દ્વારા કાબરાજીએ ગુજરાતી સામયિકમાં ધારાવાહિક નવલકથા છાપવાની પહેલ કરી. આમ, ૧૮૭૧થી ૧૯૦૪ સુધી, સતત ૩૩ વર્ષ ‘સ્ત્રીબોધ’ ધારાવાહિક નવલકથાઓ પ્રગટ કરતું રહ્યું.

મૂળ સુરતના વતની ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ કેટલાક મિત્રો સાથે મળીને ૧૮૭૮ના જાન્યુઆરીમાં સુરતમાં ‘સ્વતંત્રતા’ નામનું માસિક શરૂ કરેલું અને તેમાં ‘હિન્દ અને બ્રિટાનિયા’ નવલકથા છાપવાનું શરૂ કર્યું હતું. આ પણ એક અંગ્રેજી કૃતિના અનુવાદરૂપ નવલકથા હતી. પણ પછી વિષમ સંજોગોમાં ‘સ્વતંત્રતા’ બંધ કરવું પડ્યું અને તેથી ‘હિન્દ અને બ્રિટાનિયા’નું પ્રકાશન પણ અધવચ્ચે અટક્યું. પછીથી એ નવલકથા પૂરી કરીને ૧૮૮૫માં તેમણે પુસ્તક રૂપે પ્રગટ કરી. તેના પ્રકાશનનો ઇતિહાસ પણ રોમાંચક છે, પણ તેની વાત હવે પછી ક્યારેક. પછી મુંબઈ જઈને ઇચ્છારામે ૧૮૮૦માં ‘ગુજરાતી’ સાપ્તાહિક શરૂ કર્યું. આ સાપ્તાહિકના અંકો કે ફાઈલો જોવા મળ્યાં નથી એટલે તેને વિષે વધુ કંઈ કહેવું શક્ય નથી. પણ ઇચ્છારામની પહેલી નવલકથા ‘ગંગા એક ગુર્જર વાર્તા’ ગુજરાતી’માં નહિ, પણ ‘આર્યજ્ઞાનવર્ધક’ નામના માસિકમાં છપાઈ છે. કવિ સવિતાનારાયણે ૧૮૮૧માં ‘આર્યજ્ઞાનવર્ધક’ નામનું માસિક શરૂ કર્યું હતું. એકંદરે તે પરંપરાવાદી હતું. ૧૮૮૩ના નવેમ્બરમાં ઇચ્છારામના ‘ગુજરાતી’એ તે ખરીદી લીધું હતું. પણ તે પહેલાં જ તેમાં ઇચ્છારામની નવલકથા ‘ગંગા : એક ગુર્જર વાર્તા’ હપ્તાવાર પ્રગટ થવા લાગી હતી. ‘આર્યજ્ઞાનવર્ધક’ ખરીદી લીધા બાદ પોતાની નવલકથા ઉપરાંત ઇચ્છારામે મિત્ર છગનલાલ મોદીની નવલકથા ‘ઈરાવતી’નું પણ ધારાવાહિક પ્રકાશન શરૂ કર્યું હતું.

૧૯મી સદીમાં ધારાવાહિક રીતે પ્રગટ થયેલી એક મહત્ત્વની નવલકથા તે રમણભાઈ નીલકંઠની ભદ્રંભદ્ર. અગાઉ પ્રાર્થના સમાજના મુખપત્ર તરીકે શરૂ થયેલ ‘જ્ઞાનસુધા’ના તંત્રીની જવાબદારી ૧૮૮૭ના અરસામાં રમણભાઈને સોંપવામાં આવી, અને તેમણે એ માસિકની કાયાપલટ કરી નાખી. સુધારાના ઉત્સાહી સમર્થક રમણભાઈએ જ્ઞાનસુધાને સુધારાવાદીઓનું જાણે કે મુખપત્ર બનાવી દીધું. તેમાં માર્ચ ૧૮૯૨ના અંકથી તેમણે ‘ભદ્રંભદ્ર’નું ધારાવાહિક પ્રકાશન શરૂ કર્યું. તે વખતે તેના લેખક તરીકે કોઈનું નામ છાપવામાં આવતું નહોતું, છતાં તેના લેખક રમણભાઈ પોતે જ છે એ વાત લાંબો વખત છાની રહી નહિ. છેક ૧૯૦૦ના જાન્યુઆરી-જૂનના સંયુક્ત અંકમાં તેનો છેલ્લો હપતો છપાયો અને તે જ અંકમાં તેનું પુસ્તક રૂપે પ્રકાશન થઇ ચૂક્યું છે એવી જાહેરખબર પણ જોવા મળે છે. એટલે કે આ નવલકથા ૧૯૦૦માં પુસ્તકરૂપે પ્રગટ થઇ.

ત્યાર બાદ વીસમી સદીમાં તો ધારાવાહિક નવલકથા ઘણી ફૂલીફાલી અને આપણા મહત્ત્વના નવલકથાકારોમાંથી ભાગ્યે જ કોઈ એવા હશે જેની નવલકથા ધારાવાહિક રૂપે પ્રગટ ન થઇ હોય. રઘુવીર ચૌધરીએ ધારાવાહિક નવલકથા અંગે યોગ્ય જ કહ્યું છે: “નાટક માટે જે મહત્ત્વ એના પૂર્વપ્રયોગનું છે એવું નવલકથા માટે એના હપ્તાવાર પ્રકાશનનું છે. પોતાની કૃતિને બીજાની નજરે જોઈ જવાની લેખકને તક મળે છે… વિવેચકો ચાલુ નવલકથાના વાચકને છીછરો માનીને ઉતારી પાડે છે ત્યારે એમની પાસે કેટલાંક અનુમાનો હશે, માત્ર અનુમાન … કોઈ કૃતિનું મૂલ્યાંકન એ અગાઉ કેવી પધ્ધતિએ છપાઈ હતી એ પરથી નહીં પણ બે પૂંઠાં વચ્ચે કશુંક ધબકે છે કે કેમ એનો તાગ મેળવવા થાય છે. શું વ્યક્ત થયું છે અને કેવી રીતે વ્યક્ત થયું છે એનો ઉત્તર વિવેચક આપે છે. એ રચના સહૃદયો સુધી પહોંચી છે કે કેમ એનો ઉત્તર સમય આપે છે.”

xxx xxx xxx

[પ્રગટ : “શબ્દસૃષ્ટિ”, ઑક્ટોબર 2019]

Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400051

Email: deepakbmehta@gmail.com

Loading

જીવનમૂલ્ય શ્રેણી = ૨: સુસંગતતા – consistency :

સુમન શાહ|Opinion - Opinion|12 October 2019

વિચરતા વિચારો …

દરેક વાતે સુસંગત – consistant – રહેવું એ જીવનમૂલ્ય છે.

તર્કશાસ્ત્રમાં એમ આવે છે કે ‘અ’ ‘અ’ છે – A is A. એટલે કે હું જો ભીખીબહેનની કે ભીખાભાઈની વાત કરતો હોઉં તો મારે એ વાતને વળગેલા રહેવું જોઈએ. A પછી ભલે B આવે છે કે ભલે ને M કે R આવવાના હોય, મારે એમને ન આવવા દેવા. વાર્તા મુકુંદરાય વિશે હતી એટલે દ્વિરેફ એમાં મગનલાલની વાત ન લાવ્યા. સુસંગતતાને વળગી રહેવાથી વાતમાં ‘સિન્ગલ ઇફૅક્ટ’ પ્રગટે છે. સાંભળનાર કે વાંચનાર આઘોપાછો નથી થઈ શકતો. પણ કેટલાક લેખકો અને વક્તાઓ વિષયસંગત નથી રહેતા, વિષયાન્તર કરી જાય છે. અમારા એક સાથી અધ્યાપક વર્ગમાં હંમેશાં પોતે કરેલા પ્રવાસની વાતો જ પીરસ્યા કરે. ચાર દા’ડા પૅરીસમાં આવડે એવું ને એટલું જ ભટક્યા હોય પણ વાત એવી મલાવે જાણે ચાર મહિના ફ્રાન્સ આખામાં રહી આવ્યા હોય. વિદ્યાર્થીઓ સાંભળી લે પણ બહાર બોલે – યાર, આ પ્રવાસી માસ્તર આપણને હરખું ભણાવશે ક્યારે …

કોઈ માણસના વ્યક્તિત્વની કે એના કોઈ લખાણની આપણે ચર્ચા કરતા હોઈએ તો જે મુદ્દો હાથમાં લીધો હોય તેને પૂરો કર્યા પછી જ બીજામાં જવાય. એટલું જ નહીં, મથામણ એ માટે કરવી જોઈએ કે એના લખાણ પાછળના આશયને સૌ પહેલાં જાણીએ અને માણીએ. એને બદલે ઘણા તો ચર્ચાની ખીંટી પર પોતાનાં જ ખમીસ લટકાવે છે ! મૅલાંઘૅલાં ન હોય તો પણ એમ તો કેમ કરાય? આપણા સાહિત્યક્ષેત્રે મેં જોયું છે કે લેખક વાત કરતો હોય કાફ્કાની તો પેલો શું કરે છે, જાણો છો? એ કહે છે, આપણા કાફ્કા કિશોર જાદવ છે ! વડોદરામાં એક લેખક જાતે ને જાતે એટલો બધો ન-સુસંગત થઈ ગયેલો કે પોતાને જૅમ્સ જૉય્યસ ક્હૅવરાવતો’તો ! બીજા કેટલાક છે જેઓ અમુકને નોબેલ પ્રાઇઝને લાયક ગણીને ચાલે છે. બધા દાઢીવાળા કવિઓને રવીન્દ્રનાથ ન જ ગણાય, પણ અમદાવાદમાં એક છે જેને એમ ગણો તો વાંધો તો નથી જ લેતો, મલકાય છે ! વળી, એ કવિ તો છે જ નહીં !

સાચાં પ્રેમીઓ સુસંગત રહે છે – પ્રેમીએ ગમે તેટલી આડોડાઈ કરી હોય પ્રિયા નભાવી લે છે. Womanness – સ્ત્રીત્વ – એટલે જ ઋજુતા. સમ્બન્ધમાત્રને તૂટવા ન દે બલકે છેલ્લા તાંતણાને ય છેવટ લગી ઝાલી રાખે. સાચો પ્રેમી પણ પ્રિયાને વ્હાલ કરતો, માની જાય છે. કેટલાક લોકો વાત કરતી વખતે આંખમાં આંખ મિલાવીને વાત નથી કરતા, એમનું ચિત્ત આજુબાજુમાં ભટકતું હોય છે. કોઇ તમારી સાથે ગોગલ્સ પ્હૅરીને વાત કરે તો? ન ચલાવી લો. કેમ કે સમજાતું નથી કે એ ખરેખર તમારો ચ્હૅરો જુએ છે કે કંઈ બીજું. મોટા ભાગના પતિઓ સુસંગત રહેવામાં નથી માનતા. પત્ની પૂછે કે ચા કે કૉફી, તો ક્હૅ – તને જે ઠીક લાગે તે. કેટલીયે વાતે કશો પણ ફોડ ન પાડે. ઘણાને તો એમાં એમ લાગે છે કે પોતે પત્નીના શરણે કે ચરણે બેસી ગયા. ખરેખર તો અહંકારના ખીલે બંધાયેલા હોય છે.

સમ્બન્ધોમાં અને ખાસ તો સ્ત્રી-પુરુષે બન્નેએ સુસંગત રહેવું બહુ જરૂરી છે. પ્રેમ કરો છો તો સામી વ્યક્તિને પ્રેમ અનુભવાય એ વાતની નિરન્તર કાળજી રાખવી, એ સુસંગતતા છે. જો નથી તો ‘મને હવે રસ નથી’ કહેવું, એ પણ સુસંગતતા છે. અમુક પુરુષો મગનું નામ મરી પાડતા જ નથી. અનેક છૂપા હેતુઓને કારણે સમ્બન્ધને ન-નામો રાખે છે. પ્રિયા ટટળતી રહે ને છેવટે થાકી જાય. મજબૂત મનની હોય એ હૅમખૅમ નીકળી જાય. ગઈ કાલે હું એક મૂવિ (અમેરિકામાં ‘ફિલ્મ’ ન બોલાય) જોતો’તો : ગૅબ્રિયેલાના બૉસે એને ઘણી રાહતો આપેલી એટલે એ એમ માનતો થઈ ગયેલો કે ગૅબ્રિયેલા એને ચાહે છે. પછી ગૅબ્રિયેલા અમેરિકાથી ન્યૂ ઝીલૅન્ડ ગઈ હોય છે. ત્યાં રહી પડે છે. એક દિવસ એકાએક બૉસ આવી ચડે છે ને ભેટી પડવાનું વગેરે કરે છે. એ પણ આશાનો માર્યો રહી પડે છે. પણ એક તબક્કે ગૅબ્રિયેલા એને રોકડું પરખાવે છે કે – આઈ ડોન્ટ લવ યુ, પ્લીઝ ગૅટઆઉટ ઑફ માય લાઈફ …

સ્કૂટરની કે કારની કી-ચેઈન કે ફોન કે ફોનનું ચાર્જર, ટીવીનું રીમોટ, કશી ધાંધલધમાલ વિના એ જ જગ્યાએથી મળી જાય; સૉયમાં દોરો ઝટ પરોવી શકાય; સભામાં પંખા પૂરપાટ ફરતા હોય છતાં હાથની ધ્રુજારી વિના દીવેટને યોગ્ય ક્ષણે દીવાસળી ચાંપીને દીપ પ્રગટાવી શકાય; એ સુસંગતતાનાં પરિણામો છે. મૌનમાં સુખે ટકી રહેવાય અને માપસરનું અસ્ખલિત – કશા ખચકાટ કે ઉચ્ચારદોષ વિનાનું – બોલી શકાય, એ સુસંગતતાની કસોટીઓ છે.

હું તો એમ માનું છું કે દુનિયાના મોટા ભાગના ક્લેશ-કંકાસ જીવનમાં સુસંગત ન રહેવાથી જન્મ્યા હોય છે. માણસો ‘હા’ પાડવાની વખતે ‘હા’ નથી પાડતા અને ‘ના’ પાડવાની વખતે ‘ના’ નથી પાડતા. મારી આ વાતની ‘ના’ તો કોઈ નથી પાડવાનું …

= = =

Loading

શિક્ષણ અને કેળવણી, મજલ અને મંઝિલ

રોહિત શુક્લ|Opinion - Opinion|12 October 2019

ઘણી વાર શિક્ષણ અને કેળવણીને સમાનાર્થી શબ્દો રૂપે પ્રયોજવામાં આવે છે. સાર્થ જોડણીકોશ ‘શિક્ષણ’ એટલે ‘કેળવણી, બોધ, ઉપદેશ …’ એવો અર્થ આપે છે. ભગવત્‌ગોમંડળ ‘કેળવણી’ એટલે ‘કેળવવું તે, શિક્ષણ, તાલીમ, વાચન અને લેખન અને સાદું ગણિત’ અને ‘શિક્ષણ’ એટલે ‘કેળવણી વિદ્યા’ એવો અર્થ આપે છે. વ્યાવૃત્તિમાં તે જણાવે છે. શિક્ષણ આપવું તે, ભણાવવું તે આચાર, વિચાર, રીતભાત અને કલા વગેરેનું જ્ઞાનદાન.’

દરેક ભાષા સાથે તેની સંસ્કૃતિ જોડાયેલી હોય છે. તે રીતે ભારતીય પરંપરામાં શિક્ષણ માટે ગુરુગૃહે જવું, ત્યાં રહીને કૃષ્ણ-સુદામાની જેમ જાતજાનાં કાર્યો કરવાં, ક્ષણે ક્ષણે ગુરુની નિગરાનીમાં રહેવું અને સવારે ઊઠવાથી માંડી રાત્રે સૂતા સુધી ગુરુની આજ્ઞા અનુસાર જીવવું. ગુરુ દ્વારા વિદ્યાર્થીનાં વાણી, વર્તન, વ્યવહાર, ટપારતા રહીને અક્ષરજ્ઞાન અને શાસ્ત્રો વગેરેની સમજ આપવાનું કામ થતું.

આ રીતે બ્રહ્મચર્યાશ્રમમાં, સમાજના ઉપલા ત્રણ વર્ણના વિદ્યાર્થીઓનું શિક્ષણ થતું. દલિત વર્ગને આ વ્યવસ્થામાંથી બહાર રખાતો, જેનું માર્મિક ઉદાહરણ મહાભારતમાં કર્ણ કે એકલવ્યના પાત્ર દ્વારા સાંપડે છે.

ભારતીય પરંપરાના પ્રવાહથી બહાર નીકળી પશ્ચિમ જગતની દૃષ્ટિએ જોઈએ તો શિક્ષણ અને કેળવણી સમાનાર્થી શબ્દો રહેતા નથી. કેળવણી અને તાલીમ પણ સમાનાર્થી રહેતા નથી. અંગ્રેજી શબ્દો, ટુ એડ્યુટ, ટુ ટ્રેઈન, ટુ કલ્ટિવેટ વગેરે સમાનાર્થી નથી.

પશ્ચિમના શિક્ષણના ઇતિહાસમાં, ઈસુના જન્મ પછી અને ગુટનબર્ગની શોધ પહેલાં, ચર્ચની ભૂમિકા હતી. પણ સોળમી અને સત્તરમી સદીમાં પ્રગટેલા જ્ઞાનપ્રકાશ યુગથી એ સમાજોમાં ધર્મથી રાજ્ય અને શિક્ષણ પણ છૂટા પડ્યા. કેમ્બ્રિજ, ઑક્સફર્ડ, હાર્વર્ડ, સ્ટેનફર્ડ કે વિયેના યુનિવર્સિટીમાં ધર્મ, પરંપરા અને સંસ્કૃતિ ગણાતી વિચારશૈલીઓ આથમતી ગઈ, આધુનિકતા અને નવજાગૃતિના પ્રભાવથી આ યુનિવર્સિટીઓ, મુક્ત વિચાર અને સ્વતંત્ર અભિવ્યક્તિનાં પ્રભાવક કેન્દ્રો રૂપે વિકસી. સાથે સાથે માળખાગત અને સંસ્થાગત સ્વાતંત્ર્ય પણ જોડાયું. આથી, દા.ત. પેરિસમાં મિશેલ ફુકો, મહિનાઓ સુધી માત્ર વાંચે, વિચારે અને પછી સજ્જ થાય એટલે પોતાનો કોર્સ જાહેર કરે, ઠીક લાગે તે વિદ્યાર્થીઓ આવે; પણ શિક્ષણ ખાતું, સંસ્થાના નિયામક કે સમાજ એવું ક્યારે ય ન વિચારે કે આ માણસે નિયમિત વર્ગો ન લીધા અને પગાર ખાધો. આપણે ત્યાં નિયમિત વર્ગો લઈને નિવૃત્ત થઈ ગયેલા હજારોને આજે કોઈ ઓળખતું પણ નથી પણ સાર્ત્ર કે ફુકો, રસેલ કે અમર્ત્ય સેન વિશાળ ફલક ઉપર લાંબા કાળખંડ સુધી ચર્ચાતા રહેશે.

શિક્ષણ-એજ્યુકેશ, મૂળભૂત રીતે એક ઔપચારિક અભિગમ દર્શાવે છે. નિશાળો કે કૉલેજમાં પ્રવેશ મેળવનારા ખાન-પાન કે નિંદ્રા માટેની કેળવણી માટે આવતા નથી. એ તો સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, પદાર્થ વિજ્ઞાન વગેરેનું શિક્ષણ લેવા આવે છે. આ શિક્ષણને જીવનલક્ષિતા સાથે કોઈ જ સંબંધ નથી. શિક્ષણ આપનાર કોઈને પણ ભાગ્યે જ ‘ગુરુ’ કહી શકાય; એનામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્થાપન શોધવા નીકળવાની કોઈ જરૂર જ નથી. એક આદર્શની કલ્પના કરી, બાંધ્યો પગાર મેળવનાર અધ્યાપકને, ગુરુપદના પાંજરામાં પૂરવો અને તેનું કદ નૈતિક અને આદર્શ ધોરણો અનુસારનું નથી એમ કહેવું તે પરિસ્થિતિની સમજ વિકસાવવાનો તકાજો ઊભો કરે છે. ટૉલ્સટૉયની અન્ના કેરેનિનાને, અપેક્ષિત અને આદર્શ વ્યવહાર અને સામે વાસ્તવિક જગતની સ્ત્રી વચ્ચે તનાવ અનુભવવા મળ્યો હતો. એવું શિક્ષક માટે કરવા જેવું ખરું ? સો-દોઢસો વિદ્યાર્થીના વર્ગને ભણાવી પણ ન શકાય – માત્ર સાચવી શકાય! અને આવા, બાંધ્યા પગારમાં માંડ માંડ બે છેડા ભેગા કરી શકનારને અને પોતાના જીવનને પણ સુપેરે ગોઠવી ન શકનારને ગરુ અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને પરંબ્રહ્મ કહેવા તે મજાક માત્ર છે.

શાળા-કૉલેજો ઔપચારિક શિક્ષણ માટે જ છે એટલું સ્પષ્ટ થાય તો વર્ગખંડો ઉપરથી પરંપરાવાદ અને સાંસ્કૃતિક દબાણો હટવા માંડે. આ સમજવું મુશ્કેલ નથી; વનસ્પતિશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર કે રસાયણ વિજ્ઞાનના વર્ગો હોય કે એનેટોમી શીખવાની હોય ત્યાં કોઈ ઈશ્વરની મૂર્તિ સ્થાપી પૂજા-આરતી કરવાની હોતી નથી. શિક્ષણની મજલ ધર્મનિરપેક્ષ અને ઈહલોકવાદી છે.

શિક્ષણ અને કેળવણી વચ્ચેનો ભેદ સ્પષ્ટ થાય તો તેની મજલ અને મંઝિલ પણ નક્કી કરી શકાય. જ્યારે ‘મેકોલે છાપ’ શબ્દો બોલાય છે ત્યારે તેની પૂર્તિ માટે ‘કેળવણી’ નહીં પણ ‘શિક્ષણ’ શબ્દ જ મૂકાય છે. તે પ્રકારના ગુણદોષની ચર્ચા અહીં જરૂરી નથી. પરંતુ શિક્ષણ ઔપચારિક અને હેતુલક્ષી બને છે ત્યારે તે મેળવવાની ગતિ તેના અભ્યાસક્રમો દ્વારા નિશ્ચિત કરી દેવાય છે. તેના ઉદ્દેશો – મંઝિલ પણ નક્કી છે. ભણીને નોકરી કરવી તે તેનો સ્પષ્ટ ઉદ્દેશ છે. આથી જ, ‘આટલું ભણ્યા પછી પણ નોકરી નથી મળતી’ એવો ખેદ અકારણ નથી રહેતો. આ જ મુદ્દા સાથે ‘આજનું શિક્ષણ ગુણવત્તા વગરનું છે.’ અને આપણે માત્ર ‘અનએમ્પલોઈડ’ નહીં પણ ‘અનએમ્પ્લોએબલ્સ પેદા કરીએ છીએ’ એવાં વિધાનો પણ સાંભળવા મળે છે. ખરેખર તો હેતુની સ્પષ્ટતા વગર અને જરૂરી શૈક્ષણિક સજ્જતા અને સગવડો વગર, ખાનગી મૂડી વડે અને માત્ર નફાના ઉદ્દેશથી ચાલતા વેપાર-સંકુલો પાસેથી અન્ય આશા રખાય પણ નહીં. આ મુદ્દો સમાજમાં મૂલ્યહ્રાસ થઈ રહ્યો છે એવા વિલાપનો નથી; અપ્રગટ રીતે તો, શિક્ષણનો નફાનો વેપાર સારી રીતે ચાલે છે એમ કહી ગૌરવ કરવાનો આ મુદ્દો છે.

આ વિડંબણાની રેખાને આગળ લંબાવીએ તો ‘શિક્ષણ મંત્રાલય’ને ‘માનવ સંસાધન વિકાસ મંત્રાલય’ સુધી લંબાવવામાં આવે છે. શિક્ષણનો ઉદ્દેશ માનવ સંસાધનનો વિકાસ છે જ નહીં. તેનો એકંદર ઉદ્દેશ દેશના યુવાઓને ઘરથી બહાર રહેવાની મોકળાશ કરી આપવાનો છે. જે જે ક્ષેત્રમાં માંગના પ્રમાણમાં પુરવઠો ઓછો છે તે તે ક્ષેત્રમાં જે તે વિષયમાં શિક્ષણ મેળવેલાને નોકરી અથવા કામ મળી રહે છેઃ મેડિકલ, આઈ.આઈ.ટી.ના સ્નાતક, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરે માટે હજુ આ સાચું છે પરંતુ ડેન્ટલ, ફાર્મસી નામાંકિત ન હોય તેવી સંસ્થાઓના એમ.બી.એ. વગેરે માટે તો પેલું અનએમ્પ્લોયેબલનું સ્ટીકર જ ઉપયોગી બની રહે છે.

આ સાથે જ શિક્ષણના અર્થશાસ્ત્રમાં પ્રવર્તતી કેટલીક ધારણાઓ સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ આવી જાય છે. અર્થશાસ્ત્ર પોતાનો મૂડીવાદી ચહેરો જ સાચો છે એમ ઠસાવવા માટે ગ્રાહકની તર્કયુક્ત વર્તણૂકની ધારણા કરે છે. જો વિદ્યાર્થી ગ્રાહક ગણાય તો એ બેકાર રહેવાની શક્યતાવાળું શિક્ષણ શા માટે લે? એન્જિનિયરિંગ, ફાર્મસી, ડેન્ટલ વગેરેનું કૉલેજ શિક્ષણ લેનારનું – ‘લાઈફ ટાઈમ અર્નિંગ’ – બારમા ધોરણ ભણીને પાણીપુરી કે ચોળાફળી ફાફડા વેચનાર કરતાં વધુ હોય? જો ન હોય તો આવું શિક્ષણ મેળવવા વાસ્તે ખર્ચેલા વર્ષો અને નાણાં તર્કયુક્ત વ્યવહાર દર્શાવતા નથી. આનો અર્થ એ થાય કે કાં તો નિર્ણય કરનાર પાસે પૂરતી માહિતી નથી અથવા તેને પોતાના સાંસ્કૃતિક પરિવેશમાં રહીને અમુક પ્રકારનાં કામ કરવાની છૂટ નથી. મહંમદ અલી ઝીણાના પિતા હિંદુ હોવા છતાં ચૂકી માછલીનો વેપાર કરતા હતા. ‘હિંદુ થઈને માછલીનો વેપાર ?’ આવા વિરોધના કારણે તેમની સામે ભૂખે મરવું કે મુસલમાન બની જવું; એવા બે જ વિકલ્પ હતા. સમાજના આગ્રહો, પૂર્વગ્રહો અને પરંપરાગત જડતાને લીધે ગતિશીલતા જ અવરોધાય છે. આવા સમાજમાં તર્કયુક્ત વર્તન અને મુક્ત બજારના મૂડીવાદી મૉડેલને શિક્ષણના ક્ષેત્રે લાગુ પાડી શકાતું નથી.

આનો અર્થ એ છે કે શિક્ષણમાં રાજ્યની કામગીરી અતિ મહત્ત્વની છે. ક્યુબામાં શિક્ષણ પાછળ જી.ડી.પી.ના લગભગ પંદર ટકા વપરાય છે; ભારત હજુ ચાર ટકાએ પણ પહોંચ્યું નથી. શિક્ષણ ક્ષેત્રે રાજ્યનો ઉપક્રમ અને સામેલગીરી વધારવા માટેનું બીજું કારણ શિક્ષણની બાહ્યતા-એક્સ્ટર્નાલિટી છે. શિક્ષણ લેનાર વ્યક્તિ માત્ર પોતે જ લાભાન્વિત નથી બનતી; તેના અસ્તિત્વથી સમગ્ર સમાજને લાભ થાય છે. જો લાભ, વ્યક્તિ અને સમાજ એમ બંનેને થતો હોય તો શિક્ષણ લેવાનું ખર્ચ માત્ર વ્યક્તિ જ શા માટે ભોગવે ?

ભારત-પાકિસ્તાનના બે દેશ બન્યા ત્યારે પંજાબના પણ બે ટુકડા થયા. પશ્ચિમ પંજાબમાં મોટા ખેડૂતો અને વધુ સિંચાઈ હતાં. ભારતના પંજાબમાં નાના ખેડૂતો અને ઓછી સિંચાઈ હતી. નેહરુએ વિશાળ બંધ યોજનાઓ કરી, ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું થયું. પણ ૧૯૬૬-૬૭માં ભારતના પંજાબ-હરિયાણામાં હરિયાળી ક્રાંતિ થઈ, પાકિસ્તાનમાં ન થઈ. તેનું કારણ એ હતું કે ભારતના ખેડૂતને પ્રાથમિક કક્ષા સુધીનું શિક્ષણ મળ્યું હતું. શિક્ષણની આ બાહ્યતાને કારણે, ૧૯૭૧માં બાંગ્લાદેશ માટેનું યુદ્ધ થયું ત્યારે અમેરિકન દબાણની સામે ભારત અન્ન ક્ષેત્રના પોતાના સ્વાવલંબનના કારણે નમતું જોખ્યા વગર ઊભું રહી શક્યું.

સમગ્ર દેશને જો શિક્ષણનો લાભ મળતો હોય તો તેનું ખર્ચ માત્ર વ્યક્તિ ઉપર શા માટે ? આ વિગતો સ્પષ્ટ કરે છે કે

(૧)  શિક્ષણ અને કેળવણી અલગ છે,

(૨) માણસમાત્ર તર્કયુક્ત વર્તન કરે છે તેવી અર્થશાસ્ત્રની સર્વદેશીય ધારણા પાયાવિહોણી છે,

(૩)  પ્રવર્તમાન શિક્ષણ પ્રથાની મંઝિલ ખાનગી હાથોમાં નફો વધે તે છે, અને

(૪) શિક્ષણ ક્ષેત્રે રાજ્યે પોતાની આર્થિક જવાબદારી ઉઠાવી નથી.

બીજી તરફ, કેળવણીની બાબત પણ થોડીક ચર્ચા માંગી લે છે. ભારત હિંદુ બાહુલ્ય ધરાવતો દેશ છે અને તેના ભદ્ર સમાજની ઓળખ પરંપરાગત સંસ્કારો વડે થાય છે. પરંપરા અને સંસ્કારોમાં વિજ્ઞાન કે તર્કનો ઉપયોગ ટાળવામાં આવે છે. વિકલ્પે, ‘અમારું બધું વૈજ્ઞાનિક જ છે’, એવો દાવો કરાય છે. વાસ્તુ, જ્યોતિષ, આયુર્વેદથી માંડીને શુકન, મહુરત વગેરેનું પ્રાપ્ત જ્ઞાન અને તેનું ‘હાઈપોથિસિસ ટેસ્ટિંગ’ કરવામાં કોઈને ભાગ્યે જ રસ પડે. આધુનિકતા સાથે આ સઘળાંનો મેળ બેસાડવો મુશ્કેલ છે. કેળવણી, સંસ્કાર, વિદ્યા, જ્ઞાન વગેરેમાં ઘણી વાર આ પરંપરાઓને જીવંત રાખવાની વૃત્તિ છૂપાયેલી જણાય છે. બધી જ પરંપરા નકામી છે એમ કોઈ ન કહે; પણ આ પ્રકારની કેળવણી અને આધુનિકતાસભર શિક્ષણ વચ્ચે સંઘર્ષ ઊભો થાય છે તે પણ સ્વાભાવિક જ છે. દરિયો નહીં ઓળંગવાની ‘શાસ્ત્રજ્ઞા’નો અર્થ એ પછી થાય કે ગાંધીજી, સ્વામી વિવેકાનંદ અને રામતીર્થ, નહેરુ અને સરદાર પટેલ કે સાવરકર અને આંબેડકર પાસે શાસ્ત્રાનુસાર પ્રાયશ્ચિત કરાવવું પડે! જો આ બધા ઓગણીસમી સદીના અંતથી વિદેશ જતા થયા ન હોત તો ?  દાદાભાઈ નવરોજીની ‘ડ્રેઈન થિયરી’ તૈયાર થઈ ન હોત, રાજા રામ મોહનરાયના સુધારા શરૂ થયા ન હોત; વિવેકાનંદની હિંદુ અસ્મિતાની ગૂંજ ઊઠી ન હોત. આંબેડકરના ભારતના રૂપિયા ઉપરનો અભ્યાસ હાથવગો ન હોત તો હિલ્ટન યંગ કમિશને કેવી ય રિઝર્વ બેંક બનાવી હોત!

છતાં કેળવણી અને મૂલ્યબોધનું મહત્ત્વ ઘણું છે તે સ્વીકારવું રહ્યું. શિવાજીનો મૂલ્યબોધ જીજાબાઈ અને સ્વામી રામદાસ પાસેથી જ અટક્યો હતો. ગાંધીજીને રામનામની દીક્ષા રંભાબાઈએ જ આપેલી ને! ગાંધીજીને સત્ય શિક્ષણમાંથી નહીં પણ હરિશ્ચંદ્ર નાટકમાંથી સાંપડ્યું હતું.

ઘરની કેળવણી સંસ્કાર બને છે. શિક્ષણના આધુનિક માળખામાં કેળવણી સાથે કોઈ નિસબત ભાગ્યે જ દેખાય. આધુનિક શિક્ષણ મહદ્‌અંશે મૂલ્યબોધ પ્રગટાવવા માટે નથી. નીતિનું શિક્ષણ ભાગ્યે કોઈ સિલેબસમાં જોવા મળે છે.

પરિણામ એ આવે છે કે સમાજનો શિક્ષિત વર્ગ નીતિ પાલનની બાબતમાં ભાગ્યે જ કેળવાયેલો હોય છે. બે વચ્ચે કોઈ સંબંધ કે સંપર્ક હોવા માટે કોઈ કારણ નથી; એવી કોઈ વ્યવસ્થા પણ નથી. શિક્ષણનું ક્ષેત્ર કેળવણીની બાબતે આગ્રહી ન હોવાથી કોઈ પણ શિક્ષિત વ્યક્તિ કેવા પ્રકારનું ચારિત્ર્ય ધરાવતી હશે તે તેની જાતિ અને કુટુંબ ઉપર નિર્ભર કરે છે.

ઉત્તરોત્તર નવી પેઢીમાં સિંચાતો સંસ્કાર વારસો એકંદરે સંતસાહિત્યમાંથી વહેતો આવતો જણાય છે. કબીર, નાનક, તુલસીદાસ, જ્ઞાનદેવ, તુકારામ, બસપા વગેરે કોઈ ચમત્કારિક બાબા હતા. એ નાસ્તિક ન હતા અને મીરાં અને ચૈતન્ય મહાપ્રભુ જેવા ભક્ત પણ ન હતા. અલબત્ત, જ્ઞાનમાર્ગી અને કેટલાકમાં ચમત્કારિક પણ ગણાયેલા આદિ શંકરાચાર્ય,  રમણ મહર્ષિ, રામકૃષ્ણ પરમહંસ જેવા સંતો પણ થયા. પણ સમાજના શિક્ષણ અને કેળવણીમાં તેમની ભૂમિકા મહત્ત્વની નથી. ભારતમાંથી બુદ્ધના નાસ્તિકવાદને દૂર કરાયો પણ મહાવીર સ્વામીના વિચારો શ્રીમદ્‌રાજચંદ્ર (રાયચંદભાઈ) પાસે થઈને ગાંધીવિચાર સુધી વિસ્તર્યા, વિનોબાએ ભારતના સંતોની વાણી અને ભૂમિકા વિશે વિસ્તારથી આલેખન કર્યું જ છે.

પણ મીરાં કહે છે તેમ : ‘સંત દેખ દોડ આઈ, જગત દેખ રોઈ…’ સંતોના નામે ચાલેલા કારભાર સામે સમાજને સામાન્ય બુદ્ધિ અને વિવેક પણ ગૂમાવી દેવાનું કેમ પરવડતું હશે? આ પરંપરા અને ‘આધુનિક’ ગણાતા શિક્ષણનો પ્રચંડ વિસ્ફોટ એટલે મહારાજ લાયબલ કેસ. ૧૮૫૭ પછી ભારતમાં પશ્ચિમ ઢબની ત્રણ યુનિવર્સિટીઓ બની. બોમ્બે, બંગાળ અને મદ્રાસ; અને આ ત્રણેએ એક જુદો જ મૂલ્યબોધ પ્રગટાવ્યો. મહાદેવ ગોવિંદ રાનડે, રમણભાઈ નીલકંઠ અને કરસનદાસ મૂળજી આ શિક્ષણમાંથી જે મૂલ્યબોધ લઈને નીકળ્યા તેથી કરીને સમાજ સુધારા થવા માંડ્યા. પશ્ચિમી શિક્ષણ આ દેશમાં પ્રવેશ્યું ત્યારે જ મૂલ્યબોધ અને આધુનિકતાની પ્રાથમિક પહેચાન શરૂ થઈ.

કુટુંબોમાંથી મળતી સંસ્કારની કેળવણીની પાછળ, અગાઉ જોયું તેમ સંતદર્શન તો ખરું જ પણ તેથી ય આગળ, સંતોનું દર્શન ઉપનિષદોમાંથી અને ઉપનિષદોનું દર્શન વેદમાંથી વહી આવતું હોય તેમ પણ જણાય છે.

ભારતીય સમાજ – જો તેને એક જ સમાજ ગણીએ તો આ એક મોટી તનાવભરી સમસ્યા વેઠી રહ્યો છે. વેલેન્ટાઈન ડેનો દાખલો લઈએ. નીતિવાદી – પરંપરાવાદી ધર્માગ્રહી લોકો તેને ઉદ્દાત, વિવેકહીન કદાચ અનૈતિક, કામી અને પાપી ગણશે. પણ આ જ દેશમાં ખાજુરાહો અને કોણાર્ક છે જ ! અહીં શરદપૂનમનો મહારાસ અને વસંત ઋતુરાજની હોળીની ઉજવણી પણ છે. શંકર-પાર્વતીને તો અર્ધનારીશ્વરરૂપે પણ પૂજાય છે. આ ચર્ચામાં પડીને શિક્ષણ અને કેળવણી, વૈજ્ઞાનિકતા અને શ્રદ્ધા, ભક્તિ અને સાબિતી વગેરેની ઝંઝટમાં પડવાનું ભાગ્યે જ કોઈ પસંદ કરે છે.

આનું એક પરિણામ એ આવ્યું છે કે પશ્ચિમ ઢબનું ઉચ્ચ શિક્ષણ લેનાર અને સમાજનાં શહેરોમાં વસતો અગ્રવર્ગ ભેગી ન કરી શકાય તેવી બે બાબતો – બે ધ્રુવોને – ભેગા કરીને જીવે છે. રોકેટ છોડનાર વિજ્ઞાની મંદિરમાં જઈ શ્રીફળ વધેરીને પ્રાર્થના – પૂજા કરે છે. જે નદીના પ્રદૂષિત પાણીથી દૂર રહેવું જોઈએ તેનું આચમન અને સ્નાન પણ કરે છે. કેળવણીમાં, ખાસ કરીને કબીર અને નાનક જેવા, જે લગભગ વિજ્ઞાનના બરની ટીકા કરી શકતા તે દૂર કરીને કટ્ટર ધાર્મિકતા, શ્રદ્ધા અને ભક્તિને આગળ કરવામાં આવ્યા છે. વિજ્ઞાન-પરકતા અને માનવતા આ બે તત્ત્વો વડે આધુનિકતા રચાય છે. સમાજમાં શ્રદ્ધા અને ચમત્કારોનું પ્રભુત્વ વધતાં હવે કેળવણી ઠીંગરાઈ ગઈ છે. વૈજ્ઞાનિક ઢબનું આધુનિક શિક્ષણ અને પૂર્વના દાર્શનિક સંસ્કારોના સમન્વયથી એક બલિષ્ટ સમાજ બને તેમ હતો પણ તેવું બન્યું નહીં.

શિક્ષણ અને કેળવણીની આ કશ્મકશને વધુ ગંભીરતાથી તપાસવાની જરૂર છે. તે બે શબ્દોના ભાવાર્થ કે લક્ષ્યાર્થ વચ્ચે ભેદ છે અને કરવો પણ જોઈએ, વિવિધ કૌટુંબિક સંસ્કારો લઈને શાળામાં આવતા વિદ્યાર્થીઓમાંથી શિક્ષકગણ એક નવા સમાજના સર્જન માટેના બીજ રોપે છે. તેમાંથી અબ્દુલ કલામ સર્જાઈ શકે છે. આ માટે સમગ્ર શિક્ષણ જગતને ખીલતું અને ફળતું રાખવું પડે. માનવ સંસાધનના વિકાસનો એ તકાજો છે. આ માટે શિક્ષિત સમાજે પોતાના વિચારોની જ નિર્મળ સાફસૂફી કરવી પડશે.

‘સંપાદક’, અભિદૃષ્ટિ

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, ઑક્ટોબર 2019; પૃ. 02-05

Loading

...102030...2,6562,6572,6582,659...2,6702,6802,690...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved