Opinion Magazine
Number of visits: 9684101
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજીનાં પુસ્તકો

મણિલાલ ભ. દેસાઈ|Gandhiana|30 November 2019

નવજીવનનું મુખ્ય કાર્ય ગાંધીજીનાં લખાણો પ્રગટ કરવાનું છે. એટલે એનાં પ્રકાશનોમાં ગાંધીજીનાં લખાણોના સંગ્રહો મુખ્ય હોય એ સમજી શકાય તેમ છે. એટલે એની પ્રકાશન પ્રવૃત્તિમાં પ્રથમ આપણે ગાંધીજીનાં પુસ્તકો જોઈશું.

૧૯૪૮માં ગાંધીજીનાં કેટલાંક મૂળ પુસ્તકો પ્રથમ વાર પ્રગટ થયાં.

ગાંધીજીએ ૧૯૩૨ સાલની જેલમાં સત્યાગ્રહ આશ્રમનો ઇતિહાસ લખવા માંડ્યો હતો પણ તે પૂરો કરી શક્યા નહોતા. બહાર નીકળ્યા પછી તો તેમને એવાં કામ માટે અવકાશ પણ મળવો મુશ્કેલ હતો. તે ઇતિહાસની કાકાસાહેબે નકલો કરાવી લીધી હતી. તે રૂપે એ સચવાઈ રહ્યો હતો. તે અધૂરો ઇતિહાસ અપૂર્ણ રૂપે પણ પ્રજા સમક્ષ મૂકવો જોઈએ એમ વિચારી ૧૯૪૮માં એ सत्याग्रहाश्रमनो इतिहास એ નામે પ્રસિદ્ધ કરવામાં આવ્યો. એની પ્રસ્તાવનામાં એ ઇતિહાસનું મહત્ત્વ દર્શાવી કાકાસાહેબે કહ્યું છે કે,

“ભૂતકાળના એક બોધપ્રદ પ્રયોગના કેવળ બયાન તરીકે આ ચોપડી તરફ જોવાનું નથી. પણ રાષ્ટ્રપિતાએ હવે પછીની પાંચસો વરસની રાષ્ટ્રીય સાધનાને અર્થે આદરેલા એક પ્રેરણાદાયી પ્રયોગ તરીકે એનું અધ્યયન કરીને એમાંથી સંકલ્પબળ કેળવવા માટે આ ઇતિહાસનું અધ્યયન થવું જોઈએ. સન ૧૯૩૩માં જે પ્રયોગ ખંડિત થયો તે અનેક રૂપે, ઠેકઠેકાણે આખા દેશમાં ફરી શરૂ થવો જોઈએ, તો જ હિંદુસ્તાનનો પણ નવો અગ્નિસંભવ થશે.”

૧૯૩૨ના જેલવાસ દરમિયાન જેમ ગાંધીજીએ सत्याग्रहाश्रमनो इतिहास લખ્યો હતો, તેમ એક बाळपोथी પણ તૈયાર કરી હતી. એમાં માત્ર ૧૨ પાઠ છે. પરંતુ એની પાછળ જે ક્રાંતિકારી કલ્પના રહેલી હતી તેની સાથે કાકાસાહેબ આદિ તેમના નિકટના સાથીઓ સંમત થઈ શક્યા નહોતા, એટલે એ ત્યારે પ્રગટ થઈ શકી નહોતી. છેક ૧૯૩૭માં ગાંધીજીએ ‘પાયાની કેળવણી’ની વાત કરી ત્યારે પણ એને પ્રગટ કરવાનો વિચાર આવ્યો હતો. એ વિશે શ્રી નરહરિભાઈ કહે છે :

“૧૯૩૭માં જ્યારે ગાંધીજીએ પાયાની કેળવણીની વાત કરી ત્યારે મેં એમને કહ્યું કે હવે તમારી બાળપોથી છપાવીએ. એમણે કહ્યું : ક્યાં છે? મારી પાસે તે વખતે મૂળ બાર પાઠો જ હતા. તે એમને બતાવ્યા. ગાંધીજીએ કહ્યું : પણ એની આગળ શિક્ષકોને સૂચના રૂપે મેં લખ્યું છે તે ક્યાં છે? મેં શું લખેલું તે બધું અત્યારે યાદ નથી, પણ એના વિના કેવળ બાર પાઠો છાપવાનો કશો અર્થ નથી.

“સૂચનાઓ વગેરેનો એ પ્રાસ્તાવિક ભાગ મારા હાથમાં ન આવ્યો એટલે તે વખતે છપાવવાની વાત રહી. અત્યારે [૧૯૪૮]માં ‘ગાંધીસંગ્રહ’ની ફાઈલોમાંથી એ સૂચનાઓ અને મહાદેવભાઈનો પરિપત્ર મળી આવ્યાં છે તેથી એ બાળપોથી પ્રજા આગળ મૂકી શકાય છે.”

૧૯૩૨ના કારાવાસમાં લખાયેલાં सत्याग्रहाश्रमनो इतिहास અને बाळपोथी ૧૯૪૮માં પ્રગટ થયાં તેમ ૧૯૪૨ના કારાવાસ દરમિયાન લખાયેલી आरोग्यनी चावी પણ એ જ વર્ષે પ્રસિદ્ધ થઈ. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં आरोग्य विशे सामान्य ज्ञान નામનું પુસ્તક લખ્યું હતું. તે હિંદમાં પણ પ્રસિદ્ધ થયું હતું. તેને સુધારવાનો વિચાર ગાંધીજી ઘણા વખતથી કરી રહ્યા હતા, પણ અનેકવિધ પ્રવૃત્તિઓ આડે એમને સમય મળતો નહોતો. ૧૯૪૨માં એ આગાખાન મહેલમાં પુરાયા ત્યારે તેમણે આ ઘણા વખતથી ચડી ગયેલું કામ હાથ ધર્યું. જૂના પુસ્તકને સુધારવાને બદલે એમણે પોતાના જીવનભરના અનુભવોને આધારે આખું પુસ્તક નવેસરથી જ લખી નાખી એને आरोग्यनी चावी એવું નામ આપ્યું. એ પુસ્તકમાં એમણે આરોગ્ય વિશેના પોતાના વિચારોનો નિચોડ આપી દીધો છે. એનો હિંદી અને અંગ્રેજી અનુવાદ પણ તેમણે સુશીલા નાયર પાસે ત્યાં જ તૈયાર કરાવ્યો હતો. એ અનુવાદ પોતે તપાસી પણ ગયા હતા.

૧૯૪૨માં લખેલું આ પુસ્તક છેક ૧૯૪૮માં તેમના અવસાન પછી જ બહાર પડી શક્યું તેનું કારણ દર્શાવતાં પ્રકાશકે પોતાના નિવેદનમાં કહ્યું છે :

“આ ચોપડી ૧૮-૧૨-’૪૨ના રોજ પૂરી થઈ હતી. તો પછી તે આટલી મોડી અને એમના ગયા બાદ કેમ બહાર પડે છે? તેનું કારણ કહેવું જોઈએ. ગાંધીજીને મન તેમના આ લખાણનો વિષય એટલો મહત્ત્વનો હતો કે, તે એને પ્રસિદ્ધ કરવામાં થોભવાનું પસંદ કરતા. તેમને મન આરોગ્ય એક યોગસાધના જ હતી, એમ કહેવામાં કાંઈ ખોટું નથી. ઈ. સ. ૧૯૪૨થી તેઓ આ લખાણને પોતાની પાસે જ રાખતા અને નવરાશ પ્રમાણે ફરી ફરી જોતા રહેતા. રોજ વધતા જતા પોતાના અનુભવનો છેવટનો નિચોડ એમાં આપી શકું તો કેવું સારું! એમ એમને થતું. હું એ ચોપડી છાપવા માટે અનેક વાર એમને પૂછતો, પણ તે પોતાની વૃત્તિને વળગી જ રહેવાનું વધારે પસંદ કરતા. આથી છેવટે તે ગયા પછી જ હું એ લખાણનો હાથલેખ મેળવી શક્યો.”

આ પુસ્તક વિશે ગાંધીજીએ પ્રસ્તાવનામાં કહ્યું છે :

“ધ્યાન દઈને વાંચનારને અને પુસ્તકમાં આપેલા નિયમોનો અમલ કરનારને આરોગ્ય જાળવવાની ચાવી મળી રહેશે. ને તેને દાક્તરોના, વૈદ્યોના કે હકીમોના ઉંબરા નહીં ભાંગવા પડે, એવી આશા હું બંધાવી શકું છું.”

૧૯૪૮થી નવજીવને ગાંધીજીના પત્રોને એકત્ર કરી ગ્રંથસ્થ કરવા માંડ્યા. કેમ કે એમના પત્રો એમના અક્ષરદેહનું એક મોટું અંગ છે. ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમિયાન દેશપરદેશની વ્યક્તિઓને લાખેક પત્રો લખ્યા હશે એવો અંદાજ છે. એ પત્રો બધા તો એકત્ર કરવા મુશ્કેલ, પણ જેટલા મળી શકે એટલા પણ પ્રજા સમક્ષ મૂકી શકાય તો ગાંધીજીની શીખ અને જુદા જુદા વિષય પરત્વે એમણે આપેલા અભિપ્રાયો સુલભ બને એ આશયથી નવજીવન ટ્રસ્ટે પત્રોના સંપાદનની વ્યવસ્થા કરી. ગાંધીજીએ બહેનોને લખેલા પત્રોનું સંપાદન શ્રી કાકાસાહેબ કરે એમ ઠર્યું. એ મુજબ કાકાસાહેબે आश्रमनी बहेनोने (૧૯૪૯), कुसुमबहेन देसाईने (૧૯૫૪), कु. प्रभाबहेन कंटकने (૧૯૬૦), गं. स्व. गंगाबहेनने (૧૯૬૦) અને श्री प्रभावतीबहेनने (૧૯૬૬) ગાંધીજીએ લખેલા પત્રોનું સંપાદન કર્યું. ઉપરાંત એમણે બહેન અમતુસ્સલામ ઉપરના પત્રો પણ સંપાદિત કર્યા તે હિંદીમાં બહાર પડી ગયા છે (૧૯૬૩). શ્રી કાકાસાહેબે તૈયાર કરેલા આ ગ્રંથો ઉપરાંત કુ. મણિબહેન પટેલે સરદારશ્રી ઉપરના (૧૯૫૨) તેમ જ પોતા ઉપરના પત્રો (૧૯૫૭) સંપાદન કરીને નવજીવનને સોંપ્યા તે પણ પ્રગટ થઈ ગયા છે. એ ઉપરાંત શ્રી છગનલાલ જોશી પરના પત્રોનો સંગ્રહ ૧૯૬૨માં અને શ્રી નારણદાસ ગાંધી ઉપરના પત્રો બે ભાગમાં-પહેલો ભાગ ૧૯૬૪માં અને બીજો ૧૯૬૫માં— બહાર પડ્યા છે.

આ ઉપરાંત ત્રણ સંગ્રહો અંગ્રેજીમાં બહાર પડ્યા છે : મીરાંબહેનને લખેલા Bapu’s Letters to Mira નામે (૧૯૪૯), એસ્થર ફેરિંગને લખેલા ‘My Dear Child’ નામે (૧૯૫૬) અને રાજકુમારી અમૃતકોરને લખેલા Letters to Rajkumari Amrit Kaur નામે (૧૯૬૧).

નવજીવને પોતે સંપાદન કરાવીને પ્રસિદ્ધ કરેલા આ પત્ર-ગ્રંથો ઉપરાંત શ્રી ઘનશ્યામદાસ બિરલા સાથેનો પત્રવહેવાર महात्माजीनी छायामां (૧૯૫૬) અને શ્રી જમનાલાલ બજાજ ઉપરના પત્રો पांचमा पुत्रने बापुना आशीर्वाद (૧૯૫૭) પણ નવજીવને ભાષાંતર રૂપે પ્રસિદ્ધ કર્યા છે.

હિંદુસ્તાનમાં ગાંધીજીને પહેલી વાર જેલ જવાનું ૧૯૨૨માં આવ્યું. તેમને છ વરસની સજા થઈ હતી. તે વખતના પોતાના જેલના અનુભવો એમણે લખ્યા છે તે ૧૯૨૫માં પુસ્તક આકારે यरवडाना अनुभव એ નામે પ્રસિદ્ધ થયા હતા. એ પુસ્તક ઘણા વખતથી અપ્રાપ્ય બન્યું હતું. ૧૯૫૬માં તેને ફરી પ્રગટ કરવામાં આવ્યું. એ બીજી આવૃત્તિ કરતી વખતે ગાંધીજીની ધરપકડ થઈ ત્યારથી માંડીને તેમને સજા થઈ ત્યાં સુધીનો કડીબદ્ધ હેવાલ, તેમણે કોર્ટમાં કરેલું ઐતિહાસિક નિવેદન તથા જે લેખો લખવા બદલ તેમના પર કેસ ચલાવવામાં આવ્યો હતો તે લેખો ઉમેરીને પુસ્તકની પૂર્વભૂમિકા પૂરી કરી લેવામાં આવી.

હિંદુસ્તાનના પ્રથમ જેલવાસનાં સ્મરણો પ્રગટ કર્યા પછી ૧૯૫૯માં ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં વેઠેલા ચાર કારાવાસોના અનુભવો નવજીવન તરફથી मारो जेलनो अनुभव એ નામે પ્રગટ થયા. આમ ગાંધીજીએ વેઠેલી જેલોનાં એમણે લખેલાં સ્મરણો બે પુસ્તકોમાં થઈને પ્રજા સમક્ષ આવી ગયાં છે.

દક્ષિણ આફ્રિકાના જેલના અનુભવો છાપ્યા પછી, નવજીવન ટ્રસ્ટે વિચાર્યું કે આફ્રિકામાં ગાંધીજીએ શરૂ કરેલા इन्डियन ओपीनियन માટે એમણે ટૉલ્સ્ટૉયની કેટલીક વાર્તાને સરળ ભાષામાં રજૂ કરી હતી, એ વાર્તાઓને નાનાં નાનાં પુસ્તકો રૂપે સુલભ કરવી જોઈએ. એ મુજબ ૧૯૬૪માં ટૉલ્સ્ટૉયની પ્રસિદ્ધ વાર્તા इवान ध फूलનું રૂપાંતર मूरखराज નામે પ્રસિદ્ધ કરવામાં આવ્યું.

તે ઉપરાંત નવજીવને ગાંધીજીના વિવિધ વિષયો પરના વિચારોની વિષયવાર ગોઠવણી કરીને તે પ્રસિદ્ધ કરવાનું કામ પણ ચાલુ રાખ્યું છે. તેમાં બધાં પુસ્તકો ગણાવતાં લંબાણ થાય એટલે એમાં જે મુખ્ય મુખ્ય પુસ્તકો છે તે જોઈએ.

૧૯૫૦માં धर्मात्मा गोखले પ્રસિદ્ધ થયું. એમાં ગોખલેજી વિશે ગાંધીજીનાં લખાણો અને ભાષણનો સંગ્રહ છે. એ જ વરસે ગાંધીજીના પાયાની કેળવણી વિશેના લેખોનો સંગ્રહ पायानी केळवणी પ્રગટ થયો.

૧૯૫૭માં એક મહત્ત્વનો સંગ્રહ પ્રગટ થયો તે सत्य ए ज ईश्वर છે એમાં ગાંધીજીના ઈશ્વર, ઈશ્વરનો સાક્ષાત્કાર અને ઈશ્વરમય જીવન વિશેનાં લખાણો છે. એની પ્રસ્તાવનામાં રાજાજીએ કહ્યું છે :

“આપણા રાષ્ટ્રપિતા કેવા પ્રકારના પુરુષવિશેષ હતા તે સમજવા માગનારે આ પુસ્તક વાંચવું જોઈએ — આપણાં શાસ્ત્રોમાં અથવા બીજા ધર્મગ્રંથોમાં ન હોય એવું ધર્મ વિશેનું કંઈ પણ શીખવાની કોઈને ઇચ્છા ન હોય એમ બને. પણ આપણે જેને ચાહતા હતા અને આપણું રાષ્ટ્ર જેનું ઋણી છે એવા એક વિરલ મહાપુરુષના માનસના એક પાસાનું આપણને અહીં દર્શન થાય છે. ધાર્મિક શિક્ષણના પુસ્તક ઉપરાંત પણ એનું મૂલ્ય વિશેષ છે.”

૧૯૫૯માં संयम अने संततिनियमन નામનું પુસ્તક પ્રગટ થયું. એમાં ગાંધીજીના એ વિષયની છણાવટ કરતા લેખો એકત્ર કરીને આપવામાં આવ્યા છે. સરકારે વસ્તીવધારાનો હાઉ આગળ કરીને સંતતિનિયમનનો પ્રચાર આરંભ્યો હતો. ગાંધીજી શરૂથી જ તે પદ્ધતિના વિરોધી હતા અને એમના વિરોધ પાછળ સબળ નૈતિક અને ધાર્મિક કારણો રહેલાં હતાં, એ બતાવી આપવા માટે એમના બધા લેખોનો વ્યવસ્થિત સંગ્રહ કરવાની જરૂર હતી. એ પહેલાં નવજીવને ઘણાં વર્ષો પર આ જ વિષય પરના લેખોનું नीतिनाशने मार्गे નામનું એક પુસ્તક પ્રસિદ્ધ કર્યું હતું, એની પણ બાર આવૃત્તિ થઈ છે.

એ પછી ૧૯૬૧માં ગાંધીજીના ગામડાંને લગતા લેખોનો સંગ્રહ गामडांनी पुनर्रचना નામે પ્રગટ થયો અને બીજે વરસે યુનેસ્કોએ ગાંધીજીના જીવન અને વિચારનો પરિચય આપવા ગાંધીજીનાં લખાણોમાંથી સંકલન કરીને All Men are Brothers નામે એક પુસ્તક તૈયાર કરાવ્યું હતું તેનો અનુવાદ आपणे सौ एक पितानां संतान નામે પ્રગટ થયો. એ જ વરસે ખાદી અંગેનાં ગાંધીજીનાં લખાણોનો સંગ્રહ खादी शा माटे? પ્રગટ થયો. ૧૯૬૩માં ग्राम स्वराज અને मारा स्वप्ननुं भारत નામના સંગ્રહો પ્રગટ થયા, અને ૧૯૬૪માં सर्वोदय दर्शन નામે સર્વોદય વિચારનાં લખાણોનો સંગ્રહ પ્રસિદ્ધ થયો.

૧૯૬૭થી નવજીવને ગાંધીજીનાં લખાણો પ્રસિદ્ધ કરવાની એક મોટી યોજના આરંભી છે. એ યોજના તે ‘ગાંધીજીનો અક્ષરદેહ’. એ એક મોટી યોજના છે. ગાંધીજીનાં ઢગલાબંધ લખાણો, ભાષણો, પત્રો વગેરે મેળવી, એની પ્રમાણભૂતતાની ખાતરી કરી, સમયાનુક્રમ પ્રમાણે ગોઠવી, સંપાદિત કરી, વ્યવસ્થિત રૂપે સુલભ કરી આપવાં એ કસોટી કરે એવું કાર્ય છે છતાં ભારત સરકારે રાષ્ટ્રપિતા પ્રત્યેનું પોતાનું ઋણ ચૂકવવાની અને દેશની પ્રજા પ્રત્યેની પોતાની નૈતિક ફરજ અદા કરવાની ભાવના સાથે એ કાર્ય ઉપાડ્યું છે અને ૧૯૫૮થી અંગ્રેજી અને હિંદીમાં ગ્રંથશ્રેણી પ્રગટ કરવા માંડી છે. એ ગ્રંથશ્રેણીને ગુજરાતીમાં ઉતારવાની નવજીવન ટ્રસ્ટે પોતાની ફરજ માની ૧૯૬૭થી એ કાર્યનો પ્રારંભ કર્યો. આ ગ્રંથશ્રેણી એટલી મહત્ત્વની અને એવી મહત્ત્વાકાંક્ષી છે કે એ વિશે રાજેન્દ્રપ્રસાદ તથા જવાહરલાલનાં વચનો ઉતાર્યા વિના અમે રહી શકતા નથી.

રાજેન્દ્રપ્રસાદે પહેલા ગ્રંથમાં ગાંધીજીને ભાવભરી અંજલિ આપતાં કહ્યું છે :

“ગાંધીજીનાં લખાણો અને ભાષણોના આ સંગ્રહોનું નિઃશંક તેમ જ શાશ્વત મૂલ્ય દેખીતું છે. કંઈ નહીં તો છ દાયકા પર ફેલાયેલા, અસાધારણ માનવભાવથી અને ઉગ્ર કર્મથી ભરેલા સાર્વજનિક જીવનને આવરી લેતા ગુરુના શબ્દો અહીં સંઘરાયા છે. એ શબ્દોએ એક અનન્ય પ્રવૃત્તિને ઘડી અને પોષી અને સફળતાને આરે પહોંચાડી, અસંખ્ય વ્યક્તિઓને પ્રેરણા આપી અને પ્રકાશ આપ્યો, નવજીવનનો રસ્તો ખેડ્યો અને દર્શાવ્યો, આધ્યાત્મિક અને સનાતન, સ્થળકાળથી પર અને સમગ્ર માનવજાતિનાં તેમ જ સર્વ યુગોનાં લેખાય એવાં સંસ્કારનાં મૂલ્યો વિશે આગ્રહ સેવ્યો. તેથી તે શબ્દોને સંઘરીને સાચવવાનો પ્રયાસ થાય છે તે તદ્દન યોગ્ય છે…

“હું ખાતરી આપું છું કે આ ગ્રંથશ્રેણીમાં પ્રતિબિંબિત થતા ગાંધીજીના જીવનપ્રવાહમાં જે કોઈ ડૂબકી મારશે તેને બહાર નીકળતાં નિરાશા થવાની નથી કેમ કે અહીં એક એવો છૂપો ખજાનો સંઘરાયેલો છે કે જેમાંથી હરકોઈ પોતાને રુચે તેટલું, પોતાની શ્રદ્ધા અને શક્તિ અનુસાર લઈ શકશે.”

પંડિત જવાહરલાલે પ્રથમ ગ્રંથના પરિચયમાં લખ્યું છે :

“આ કાર્ય આપણે પૂજ્ય ભાવથી હાથ ધરીએ, જેથી પોતાના પ્રકાશથી આપણી પેઢીને ઉજાળનારા અને આપણને રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય અપાવનારા જ નહીં પણ માનવ પ્રકૃતિના ઊંડાણમાં રહેલા, માનવને મહાન બનાવનારા ગુણોને પારખવાની અંતર્દૃષ્ટિ પણ આપનારા આપણા પ્યારા નેતાની કંઈક ઝાંખી આપણી ભાવિ પેઢીઓને થતી રહે. એવો એક પુરુષ આપણી ભારતભૂમિ પર દેહ ધરીને વિચરતો હતો અને આપણા લોકો પર જ નહીં, સમગ્ર માનવજાત પર પોતાના પ્રેમ અને સેવાભાવની વર્ષા વરસાવતો હતો તે જાણીને હવે પછીના જમાનાઓમાં લોકો અચરજ પામતા રહેશે.”

આ ગ્રંથમાળામાં આજ સુધીમાં ગુજરાતીમાં ૧૪ ગ્રંથો પ્રગટ થઈ ગયા છે અને બીજા ગ્રંથોનું મુદ્રણ ચાલે છે. આ ગ્રંથશ્રેણી પૂરી થતાં રાષ્ટ્રપિતાનો અક્ષરદેહ આપણને અને ભવિષ્યની પેઢીઓને પ્રેરણા આપવા હંમેશાં હાથવગો રહેશે. આપણા રાષ્ટ્રપિતા કેવા વિરલ પુરુષ હતા તેનો પણ એ ગ્રંથો પરથી ખ્યાલ આવશે.

[‘નવજીવન વિકાસવાર્તા’માંથી]

સૌજન્ય : नवजीवनનો અક્ષરદેહ, ઑગસ્ટ-સપ્ટેમ્બર 2019; પૃ. 273-276

Loading

જાંબુનું ઝાડ

કૃષ્ણ ચંદ્ર|Opinion - Short Stories|30 November 2019

ઉર્દૂ સાહિત્યના પ્રખ્યાત લેખક કૃષ્ણ ચંદ્ર ટૂંકી વાર્તાઓ ઉપરાંત વ્યંગકથાઓ માટે પણ પ્રતિષ્ઠિત હતા. તેમની આ કથા આઝાદી પછી સરકારી કચેરીઓમાં જોવા મળતા — અને એ વખતે હજુ લોકોને સંપૂર્ણપણે કોઠે ન પડી ગયેલા – રંગઢંગનું લાલ ફીતાશાહીનું ચોટદાર આલેખન કરે છે. આ દિવસોમાં, સાઠીનાં વરસોની આ વાર્તા યાદ કરવાનું નિમિત્ત ઇન્ડિયન કાઉન્સિલ ઑફ સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સે પૂરું પાડ્યું છે. દસમા ધોરણના વિદ્યાર્થીઓના પાઠ્યક્રમમાંથી એમણે એ સહસા પડતી મૂકી છે અને તે માટે કોઈ વિધિસર કારણ આપ્યું નથી. બને કે વાર્તા વાંચ્યાથી કારણ સમજાઈ રહે …

°°°°°

રાત્રે જોરદાર વાવાઝોડું આવ્યું. તેમાં સચિવાલયની લૉનમાં ઊભેલું જાંબુનું ઝાડ જમીનદોસ્ત થઈ ગયું. સવારે માળીએ જોયું ત્યારે તેને ખ્યાલ આવ્યો કે ઝાડની નીચે એક માણસ પણ દબાયેલો હતો.

માળી દોડતો ચપરાસી પાસે ગયો, પ્યુન દોડતો ક્લાર્ક પાસે ગયો, ક્લાર્ક દોડતો સુપ્રિન્ટેન્ડન્ટ પાસે ગયો. સુપ્રિન્ટેન્ડન્ટ દોડતા બહાર આવ્યા. જોતજોતામાં ઝાડ તળે દબાયેલા માણસની આજુબાજુ ટોળું જમા થઈ ગયું.

એક ક્લાર્કે કહ્યું, ‘બિચારું જાંબુનું ઝાડ … કેટલું ઘટાદાર ને ફળાઉ હતું.’

‘અને તેનાં જાંબુ પણ કેટલાં મીઠાં હતાં,’ બીજા ક્લાર્કે સંભાર્યું.

‘જાંબુની સીઝનમાં હું થેલી ભરીને આ ઝાડનાં જાંબુ ઘરે લઈ જતો હતો. મારાં બાળકોને એનાં જાંબુ બહુ ભાવતાં.’ ત્રીજા ક્લાર્કે રડમસ અવાજમાં કહ્યું.

‘પણ પેલો માણસ?’ માળીએ દબાયેલા માણસ તરફ ઇશારો કરીને કહ્યું.

‘અરે હા … માણસ …’ સુપ્રિન્ટેન્ડન્ટ વિચારમાં પડી ગયા.

એક ચપરાસીએ પૂછ્યું, ‘એ જીવે છે કે મરી ગયો? ખબર નથી પડતી.’

‘આટલું વજનદાર ઝાડ પડ્યા પછી કોઈ બચતું હશે? મરી જ ગયો હશે.’ બીજા ચપરાસીએ કહ્યું.

અચાનક ઝાડની દિશામાંથી અવાજ આવ્યો, ‘ના, ના, હું જીવું છું.’

જોયું તો ઝાડ નીચે દબાયેલો માણસ કણસતાં-કણસતાં માંડ બોલી શકતો હતો.

એ સાંભળીને ચપરાસીએ આશ્ચર્યથી કહ્યું, ‘આ તો જીવે છે.’

માળીએ કહ્યું, ‘ઝાડ હટાવીને આપણે જલદી એને બહાર કાઢીએ.’

આળસુના પીર જેવા એક ચપરાસીએ કહ્યું, ‘અઘરું લાગે છે. ઝાડનું થડ બહુ ભારે ને વજનદાર છે.’

‘કશું અઘરું નથી.’ માળીએ કહ્યું, ‘સુપ્રિન્ટેન્ડન્ટસાહેબ હુકમ કરે તો હમણાં પંદર-વીસ માળી-ચપરાસી-કારકુન ભેગા થઈને માણસને બહાર કાઢી દઈએ.’

‘ખરી વાત છે.’ કારકુનો એકસાથે બોલી ઊઠ્યા. ‘ચાલો, જોર લગાવો. અમે તૈયાર છીએ.’

બધા ઝાડ ખસેડવા તૈયાર થઈ ગયા. પણ સુપ્રિન્ટેન્ડન્ટે તેમને રોક્યા. કહે, ‘ઘડીક ખમો. હું અન્ડર-સેક્રેટરીને પૂછી લઉં.’

સુપ્રિન્ટેન્ડન્ટ અન્ડર-સેક્રેટરી પાસે ગયા. અંડર-સેક્રેટરી ડેપ્યુટી સેક્રેટરીને મળ્યા. ડેપ્યુટી સેક્રેટરી જૉઇન્ટ સેક્રેટરી પાસે પહોંચ્યા. જૉઇન્ટ સેક્રેટરી ઊપડ્યા ચીફ સેક્રેટરી પાસે અને ચીફ સેક્રેટરી પહોંચ્યા મંત્રીમહોદયની કૅબિનમાં. મંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને કંઈક કહ્યું. ચીફ સેક્રેટરીએ જૉઇન્ટ સેક્રેટરીને કંઈક કહ્યું. જૉઇન્ટ સેક્રેટરીએ ડૅપ્યુટી સેક્રેટરીને કંઈક કહ્યું. ડેપ્યુટી સેક્રેટરીએ અંડર સેક્રેટરીને કહ્યું. એમ ફાઇલ ચાલતી રહી અને આખો દિવસ નીકળી ગયો.

બપોરે જમવાના ટાઇમે દટાયેલા માણસની આસપાસ ઠઠ જામી હતી. લોકો જાતજાતની વાતો કરતા હતા. કેટલાક આઝાદમિજાજ કારકુનો પોતાની મેળે સમસ્યા ઉકેલવા ઇચ્છતા હતા. તે સરકારશ્રીની પરવાનગી વિના જ ઝાડ ખસેડી નાખવું, એવી તૈયારી કરી રહ્યા હતા. એવામાં સુપ્રિન્ટેન્ડન્ટ ફાઇલ સાથે દોડતા આવ્યા. કહે, ‘આપણે જાતે ઝાડ હટાવી નહીં શકીએ. આપણે કૉમર્સ ડિપાર્ટમેન્ટના છીએ અને આ ઝાડનો મામલો છે. એ ઍગ્રિકલ્ચરમાં લાગશે. હું આ ફાઇલ પર “અરજન્ટ”નો શેરો લગાડીને તેને કૃષિ વિભાગમાં મોકલી આપં છું. ત્યાંથી જવાબ આવે કે તરત ઝાડ હટાવી દઈશું.’

બીજા દિવસે કૃષિવિભાગમાંથી જવાબ આવ્યો કે ઝાડ કૉમર્સ ડિપાર્ટમૅન્ટના બગીચામાં પડ્યું છે. એટલે તેને હટાવવું કે નહીં, તેનો નિર્ણય લેવાની જવાબદારી કૉમર્સ વિભાગની છે.

આ જવાબ વાંચીને કૉમર્સ વિભાગના સાહેબને ચડ્યો ગુસ્સો. તેમણે તત્કાળ લખ્યું કે ઝાડ ગમે ત્યાં હોય, પણ તેની જવાબદારી કૃષિવિભાગની જ કહેવાય. કૉમર્સ વિભાગને તેની સાથે કશો સંબંધ નથી.

બીજા દિવસે ફાઇલ ચાલતી રહી. સાંજે કૃષિવિભાગમાંથી જવાબ આવ્યો – અમે આ મામલો હૉર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટને સોંપી રહ્યા છીએ. કારણ કે અમારાથી ફક્ત અનાજ અને ખેતીવાડીની જવાબદારી લેવાય, જ્યારે અહીં તો વાત ફળાઉ ઝાડની છે. જાંબુનું ઝાડ ફળાઉ હોવાથી તેમાં હૉર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટ લાગશે.

રાત્રે માળીએ તેના ઘરેથી દાળ-ભાત લાવીને ઝાડ નીચે દબાયેલા માણસને ખવડાવ્યાં. ત્યાં સુધીમાં એ માણસની ચારે તરફ પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો, જેથી લોકો કાયદો-વ્યવસ્થા હાથમાં ન લઈ લે અને પોતાની મેળે ઝાડ હટાવી ન દે. પણ એક પોલીસ કૉન્સ્ટેબલને દયા આવી. એટલે તેણે દબાયેલા માણસને જમાડવાની માળીને છૂટ આપી.

માળીએ દબાયેલા માણસને ધીમા સાદે કહ્યું, ‘તમારી ફાઇલ ચાલુ છે. મોટે ભાગે કાલે નિર્ણય લેવાઈ જશે. ’

દટાયેલો માણસ કશું બોલ્યો નહીં.

માળીએ તેની પર પડેલા ઝાડના થડ ભણી જોઈને કહ્યું, ‘સારું છે, થડિયું તારા પગ પર પડ્યું છે. બાકી કમર પર પડ્યું હોય, તો કરોડરજ્જુ ભાંગી ગઈ હોત.’

દટાયેલો માણસ ચૂપ જ રહ્યો.

માળીએ ફરી કહ્યું, ‘તમારા પરિવારમાં કોઈ છે? મને અતોપતો આપો, તો હું તેમને સમાચાર આપવાની કોશિશ કરું.’

દટાયેલા માણસે માંડ-માંડ કહ્યું, ‘હું અનાથ છું. મારે આગળપાછળ કોઈ નથી.’

અફસોસ પ્રગટ કરીને માળીએ વિદાય લીધી.

ત્રીજા દિવસે હૉર્ટિકલ્ચર વિભાગમાંથી જવાબ આવી ગયો. જવાબ બહુ કડક હતો, અને કટાક્ષથી ભરપૂર.

હૉર્ટિકલ્ચર વિભાગના સચિવ સાહિત્યપ્રેમી જણાતા હતા. તેમણે લખ્યું હતું, ‘નવાઈની વાત છે. અત્યારે આપણે સૌ જ્યારે વધુ વૃક્ષો વાવવાની ઝુંબેશ ચલાવી રહ્યા છીએ, ત્યારે આપણા દેશમાં એવા પણ સરકારી અફસર મોજુદ છે, જે વૃક્ષ કાપવાનું સૂચન કરે છે, એ પણ એક ફળાઉ ઝાડ, અને એ પણ જાંબુનું, જેનાં જાંબુ લોકો હોંશે-હોંશે ખાતા રહ્યા છે. આવી સ્થિતિમાં અમારો વિભાગ જાંબુનું ઝાડ કાપવાની પરવાનગી આપી શકે નહીં.’

એક જણે કહ્યું, ‘હવે શું કરીશું? ઝાડ ન કપાય તો પછી, એક કામ કરીએ. આ માણસને કાપીને બહાર કાઢી લઈએ.’

બીજાએ કહ્યું, ‘બરાબર છે. આ માણસને બરાબર વચ્ચેથી-ધડમાંથી કાપીએ, તો તેનો અડધો ભાગ આગળથી બહાર નીકળી જશે ને બાકીનો અડધો પાછળથી. અને ઝાડને કશું નુકસાન નહીં થાય.’

‘પણ એમાં હું માર્યો જઈશ.’ દટાયેલા માણસે કહ્યું.

‘એની વાત પણ ખરી છે.’ એક કારકુને કહ્યું, પણ માણસને કાપીને બહાર કાઢવાનો આઇડિયા આપનાર એમ હાર માન્યા નહીં. કહે, ‘આજકાલ પ્લાસ્ટિક સર્જરી કેટલી આગળ વધી ગઈ છે, એની તમને ખબર નથી લાગતી. મને ખાતરી છે કે આ માણસને વચ્ચેથી કાપ્યા પછી ફરી પ્લાસ્ટિક સર્જરીની મદદથી જોડી શકાશે.’

આ ચર્ચાના અનુસંધાનમાં ફાઇલ મેડિકલ વિભાગમાં મોકલવામાં આવી. ત્યાં ત્વરિત પગલું લઈને ફાઇલને બીજા જ દિવસે યોગ્ય પ્લાસ્ટિક – સર્જનને તપાસ માટે મોકલી આપવામાં આવી. સર્જને દટાયેલા માણસની તબીબી તપાસ કરી, તેનું બ્લડપ્રેશર માપ્યું, નાડીની ગતિ તપાસી અને રિપોર્ટ લખ્યો કે આ માણસની પ્લાસ્ટિક સર્જરી તો થઈ શકે અને તે સફળ પણ થાય, પરંતુ માણસ મરી જશે.

એટલે આ નિર્ણય માંડવાળ કરવામાં આવ્યો.

રાત્રે દટાયેલા માણસને ખીચડીના કોળિયા ભરાવતી વખતે માળીએ તેને કહ્યું કે હવે મામલો ઉપર ગયો છે. સાંભળ્યું છે કે કાલે સચિવાલયમાં બધા સચિવોની મિટિંગ થવાની છે. તેમાં તમારો કેસ મુકાશે અને આશા છે કે બધું ઠીકઠાક થઈ જશે.

દટાયેલા માણસે નિઃસાસો નાખીને કહ્યું,

‘યે તો માના કિ તગાફુલ ન કરોગે લેકિન
ખાક હો જાએંગે હમ તુમકો ખબર હોને તક’.

દટાયેલા માણસના મોઢેથી શેર સાંભળીને આશ્ચર્યચકિત થયેલા માળીએ પૂછ્યું, ‘તમે કવિ છો?’

માણસે હળવેકથી હકારમાં ડોકું હલાવ્યું.

બીજા દિવસે માળીએ ચપરાસીને કહ્યું, ચપરાસીએ ક્લાર્કને અને ક્લાર્કે હેડક્લાર્કને. થોડી વારમાં આખા સચિવાલયમાં અફવા ફેલાઈ ગઈ કે દટાયેલો માણસ કવિ છે. પછી તો પૂછવું જ શું. લોકોનાં ઝુંડનાં ઝુંડ કવિને જોવા ઊમટી પડ્યાં. તેની ચર્ચા શહેરમાં પણ ફેલાઈ અને સાંજ સુધીમાં શહેરની શેરીશેરીમાંથી કવિઓ આવવા લાગ્યા. સચિવાલયની લૉન કવિઓથી છલકાઈ ગઈ અને દટાયેલા માણસની આસપાસ કવિસંમેલન જેવું વાતાવરણ બની ગયું.

દટાયેલો જણ કવિ છે, એની જાણ થતાં સચિવાલયની એક સબ-કમિટીએ નિર્ણય લીધો કે આ માણસની ફાઇલ સાથે નથી કૃષિવિભાગને સંબંધ કે નથી હૉર્ટિકલ્ચર વિભાગને. આ તો સાંસ્કૃતિક વિભાગનો મામલો છે. તેને અનુરોધ કરવામાં આવ્યો કે તે ઝડપથી નિર્ણય લે, જેથી કવિનો છુટકારો થાય.

ફાઇલ સાંસ્કૃતિક વિભાગના ટેબલે ટેબલે ફરતી સાહિત્ય અકાદમીના સચિવ પાસે પહોંચી. સચિવ એ જ વખતે કારમાં ઊપડ્યો અને પહોંચ્યો દટાયેલા કવિ પાસે. તેણે કવિ સાથે વાતચીત શરૂ કરી.

‘તમે કવિ છો?’ સચિવે પૂછ્યું.

‘હા.’

‘કયા ઉપનામથી અલંકૃત છો?’

‘ઝાકળ.’

‘ઝાકળ?’ સચિવ ચિત્કારી ઊઠ્યા, ‘તમે એ જ ઝાકળ છો, જેમનો ગદ્યસંગ્રહ “ઝાકળનાં ફૂલ”હમણાં જ પ્રગટ થયો છે?’

દટાયેલા માણસે હકારમાં ડોકું ધુણાવ્યું.

‘તમે અમારી અકાદમીના સભ્ય છો?’ સચિવે પૂછ્યું.

‘ના.’

‘નવાઈની વાત છે.’ સચિવે ઓર જોરથી ચિત્કારીને કહ્યું, ‘આટલો મોટો કવિ, “ઝાકળનાં ફૂલ”નો લેખક અને અમારી અકાદમીનો સભ્ય જ નહીં? અરર, અમારાથી કેવડી મોટી ભૂલ થઈ ગઈ? આટલો મોટો કવિ ને આવો ગુમનામીમાં દટાયેલો પડ્યો છે?’

‘ગુમનામીમાં નહીં, અત્યારે તો ઝાડની નીચે દટાયેલો પડ્યો છું. મહેરબાની કરીને મને અહીંથી બહાર કાઢો.’

‘હમણાં જ વ્યવસ્થા કરું છું.’ સચિવ બોલ્યા અને તરત તેમના વિભાગમાં રિપોર્ટ કર્યો.

બીજા જ દિવસે સચિવ દોડીને કવિ પાસે આવ્યા અને કહે, ‘અભિનંદન … લો, મોં મીઠું કરો, અમારી સરકારી સાહિત્ય અકાદમીએ તમને કેન્દ્રીય શાખાના સભ્ય તરીકે ચૂંટી કાઢ્યા છે. લો, આ તમારો નિમણૂકપત્ર.’

‘પણ મને ઝાડની નીચેથી તો કાઢો.’ કવિએ દર્દની ચીસ સાથે કહ્યું. હવે તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી હતી. તેમની આંખો ઊંડી ઊતરી ગઈ હતી અને લાગતું હતું કે તેમને અસહ્ય પીડા થઈ રહી છે.

અકાદમીના સચિવે કહ્યું, ‘બહાર કાઢવાનું તો અમારા હાથમાં નથી. પણ અમારાજોગું હતું એ અમે કરી દીધું. બલકે, અમે તો તમારા મૃત્યુ પછી તમારી પત્નીને પેન્શન પણ અપાવી શકીએ છીએ. તમે એક અરજી આપી દો, એટલી વાર.’

‘પણ હું હજી જીવું છું.’ કવિએ ત્રુટક ત્રુટક શબ્દોમાં કહ્યું, ‘મને જીવતો રાખો.’

‘એમાં લોચો છે.’ અકાદમીના સચિવે કહ્યું, ‘અમારો વિભાગ ફક્ત સાંસ્કૃતિક બાબતો સાથે સંબંધિત છે અને ઝાડ કાપવામાં કલમ-શાહીને બદલે કરવત-કુહાડી જોઈએ. તેના માટે અમે જંગલખાતાને લખ્યું છે ને ઉપર ’અરજન્ટ’એવી ખાસ નોંધ પણ કરી છે.’

સાંજે માળીએ આવીને કવિને કહ્યું, ‘કાલે જંગલખાતાવાળા આવશે, ઝાડ કાપશે અને તમને બચાવી લેશે.’

બીજા દિવસે જંગલખાતાનો માણસ કરવત-કુહાડી લઈને આવ્યો, ત્યારે તેને ઝાડ કાપતાં અટકાવવામાં આવ્યો. ખબર પડી કે વિદેશવિભાગનો ખાસ હુકમ હતો કે આ ઝાડ ન કાપવું. કારણ કે તે દસ વર્ષ પહેલાં ટિમ્બકટુના પ્રધાનમંત્રીએ વાવેલું હતું. હવે તેને કાપી નાખવામાં આવે, તો બે દેશો વચ્ચેના સંબંધમાં તિરાડ પડે એવી સંભાવના હતી.

‘પણ એક માણસની જિંદગીનો સવાલ છે.’ એક કારકુન બરાડ્યો.

‘પણ આ બાજુ બે દેશો વચ્ચેના સંબંધનો – આંતરરાષ્ટ્રીય સ્તરનો સવાલ છે તેનું શું? અને એ તો સમજો કે એ દેશ આપણને કેટલી મદદ કરે છે. શું તેની સાથેની દોસ્તી માટે આપણે એક માણસનો જાન કુરબાન કરી ન શકીએ?’

‘કવિએ મરવું પડશે.’

‘બેશક. એમાં કોઈ શંકા નથી.’

અન્ડર-સેક્રેટરીએ સુપ્રિન્ટેન્ડન્ટને કહ્યું, ‘આજે સવારે વડાપ્રધાન વિદેશપ્રવાસેથી પાછા આવી ગયા છે. આજે ચાર વાગ્યે વિદેશ વિભાગ તેમની સમક્ષ આ ઝાડની ફાઇલ મૂકશે. એ જે નિર્ણય કરશે, તે સૌએ સ્વીકારવો પડશે.’

સાંજે પાંચ વાગ્યે સુપ્રિન્ટેન્ડન્ટ પોતે ફાઇલ લઈને આવી પહોંચ્યો, ‘સાંભળો છો, કવિરાજ?’ ઉત્સાહથી છલકાતા અવાજે તેમણે કહ્યું, ‘વડાપ્રધાને ઝાડ કાપી નાખવાનો હુકમ આપી દીધો છે અને તેનાં જે કંઈ આંતરરાષ્ટ્રીય પરિણામ આવે, તે પોતે ભોગવવાની તૈયારી બતાવી છે. હવે કાલે ઑફિસ ખૂલશે એટલે આ ઝાડ કપાઈ જશે ને તમારો ઉદ્ધાર થઈ જશે. આખરે તમારી ફાઇલનો નિકાલ આવી ગયો.’

પણ કવિ કશું બોલ્યા નહીં. તેમનો હાથ ઠંડો હતો. કીકીઓ સ્થિર થઈ ગઈ હતી અને કીડીઓની એક લાંબી હાર તેમના શરીર પરથી ચાલી નીકળી હતી.

ઝાડની ફાઇલથી પહેલાં જિંદગીની ફાઇલનો નિકાલ થઈ ગયો હતો.

[ગુજરાતી રજૂઆત : ઉર્વીશ કોઠારી, સૌજન્ય : ‘કાર્ટૂન સેલ્ફી’]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2019; પૃ. 08-09 તેમ જ 12

Loading

Godse

EP Unny|Opinion - Cartoon|30 November 2019

courtesy : "The Indian Express", 30 November 2019

Loading

...102030...2,6472,6482,6492,650...2,6602,6702,680...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved