Opinion Magazine
Number of visits: 9575989
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઈન્ટરનેટ શટડાઉન એટલે ભારતનું આંતરિક માળખું બંધ?

બારીન મહેતા|Opinion - Opinion|3 January 2020

નવો નાગરિક ધારો (સિટિઝન ઍમેન્ડમેન્ટ બિલ/ધારો – CAB – CAA) જે રીતે આખા ભારતભરમાં ફેલાઈ રહ્યો છે એ જોતાં એમ કહી શકાય કે લોકો સાવ સૂતેલાં હોતા નથી. લોકો પૂરેપૂરા જાગે છે અને બધું નોંધતા રહે છે તેમ જ ઉપર ઝળુંબેલી આફત કળાય ત્યારે એમણે કરવાનું હોય તે કરે જ છે, એની પ્રતીતિ થઈ રહી છે. હવે ધીમે ધીમે પ્રજાને એ વસ્તુ અસર કરી રહી છે કે કેન્દ્ર સરકાર કહે છે કંઈક અને કરે છે કંઈક. બે મોઢાવાળી નેતાગીરીને અનેક મોં છે તેમ જ એ તમામ મોં ક્યારે કયું મહોરું પહેરે છે એ પ્રગટ થાય ત્યારે જ સમજાય છે. એનો સ્પષ્ટ અર્થ એ છે કે મહોરાં બદલીને ચલાતી જુદી જુદી ચાલ કોઈક ને કોઈક વસ્તુ છુપાવવા માટે ચલાય છે અને જે પ્રગટ થતું આવે છે તે પ્રજાકીય હિતથી વિપરીત છે.

આ ધારાની રજૂઆત જ્યારે લોકસભા અને રાજ્યસભામાં થઈ ત્યારે જાણે કે એક ધમકી ઉચ્ચારાતી હોય એવું લાગતું હતું. જાણે કે પ્રજાના હિત કરતાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને એના પીઠબળે ઊભા રહેલા પક્ષ ભા.જ.પ.ના હિતનો ઘંટનાદ એમાં સંભળાતો હતો. ૧૯૭૫માં મિસિસ ગાંધીએ એક ઝાટકે લાદેલી કટોકટી કરતાં તદ્દન જુદી રીતે, મીઠાઈ સાથે અપાતા ધીમા ઝેર જેમ, ભા.જ.પ. દ્વારા ક્રમશઃ લાદવામાં આવી રહેલી કટોકટીનો અહેસાસ પ્રજાને – ખાસ કરીને યુવાનોને થવા લાગ્યો છે. એટલું જ નહીં, ચાની લારીઓ અને પાનના ગલ્લે ભા.જ.પ. તરફી હંમેશાં બોલનારા, તારસ્વરે એની વાત માંડનારા અનેકો હવે આ અંગે પ્રશ્ન કરતા થયા છે અને ભા.જ.પ.ની સંકુચિતતાને પ્રમાણી પણ રહ્યા છે. સંસદ અને એની બહાર સરકાર તરફી નિવેદનો અને વડા પ્રઘાન તેમ જ ગૃહપ્રધાનની રજૂઆતોની ભરમાર ખડકી દીધા પછી પણ કશી જ ચોખવટ હાથવગી થયાનું લાગતું નથી, એમ લોકો જ કહી રહ્યા છે. એટલું જ નહીં, લોકો માની પણ રહ્યા છે કે આ તો હવે લોકશાહીના નામે જાહેર છેતરપિંડી થઈ રહી છે.

હકીકતે તો લોકોનું આ વલણ એમના અત્યાર સુધીના મૂંગા રહેવાનું પરિણામ ગણવું જોઈએ. આખરે માણસ મૂંગો ક્યાં સુધી રહી શકે? નોટબંધી, જી.એસ.ટી., રાફેલ, સી.બી.આઈ.ને લગતી નાટકીયતા; રૉ, આર.બી.આઈ., ચૂંટણી પંચનું સત્તારૂઢ પક્ષ તરફી વલણ; ટોળાંની જોહુકમી, પત્રકારો બૌદ્ધિકોની સતામણી, એમાંના કેટલાકની હત્યાઓનો સિલસિલો અને એની તપાસના ઠેકાણા જ નહીં; જે.એન.યુ., અલિગઢ, અને જામિયા મિલિયા જેવા શૈક્ષણિક સંકુલો સાથે તેમ જ એના કેટલાક વિદ્યાર્થીઓ સાથેની પૂર્વગ્રહ પીડિત અતાર્કિક પ્રક્રિયાઓ; દેશદ્રોહી, રાષ્ટ્રદ્રોહી, અરબન નક્સલ જેવી મનઘડંત સંજ્ઞાઓ તેમ જ મોંમાથા વિનાની વ્યાખ્યાઓના જુમલા; કાશ્મીરમાં ૩૭૦મી કલમની નાબૂદી અને રાષ્ટ્રપતિ શાસન, લદાખને કાશ્મીરથી અલગ પાડી યુનિયન ટેરેટરી બનાવવાની ઘોષણા સાથે કાશ્મીર આખાની ખુલ્લી જેલમાં તબદિલી સાથે ઇન્ટરનેટ શટડાઉન; સાધ્વી પ્રજ્ઞાના ગોડસે અંગેના નિવેદન અને પૂજા શકુન પાંડે તેમ જ એના પતિ આલોક પાંડે દ્વારા ગાંધીજીના ફોટા ઉપર ગોળી મારવાની ઘટના અંગે પણ સરકાર, વડા પ્રધાન અને ગૃહ પ્રધાન કે એમના કાર્યાલયો દ્વારા કોઈ વિશેષ પગલાંનો અભાવ, આ બધું શું સૂચવે છે?

આ તમામ ઘટનાઓ અને એની ક્રમિકતા જરા ઝીણવટથી જોઈએ તો એક ચોક્કસ આયોજનની ભાત એની પાછળ જોઈ શકાય તેમ છે. એક પછી એક ઘટના જુદા જુદા સ્તરે બને અને એ અંગેના પગલાં ભરાય એ પહેલા અન્ય ઘટના બને – આમ ચાલ્યા કરે તો લોકો એમાં અટવાયા કરે. કશુંક સમજે એ પહેલાં બીજી ઘટના આકારિત થાય અને ફરી એ જ રીતે જુમલાબાજીથી લોકોને અટવાવાની પ્રક્રિયા ફરી શરૂ! પરંતુ વારંવાર આમ થયા કરે તો લોકોની સહજ જિજ્ઞાસા એમાંથી કશુંક સમજવા તો મથે ને?! આ મથામણ એ હંમેશાં માણસની આગવી વિરાસત છે, એ અંદરથી પ્રગટે જ પ્રગટે અને પછી પ્રસરે, આ જુઓને એમ જ થયું નેઃ આસામથી કેરાળા અને ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હી સુધી પ્રસરેલા છાત્રો અને યુવાનોનાં વ્યાપક આંદોલન, ના માત્ર સી.એ.એ., એન.આર.સી. અને એન.પી.સી.; પરંતુ ઉપરોક્ત તમામ ઘટનાઓનો સમૂળો પડઘો જ હોય એવું જ ચિત્ર ઉપસે છે. જાણે કે કાશ્મીર પછી આસામમાં પણ ઇન્ટરનેટ શટડાઉન કરવાથી સમગ્ર ભારતમાં બધું નહીં પ્રસરે એવા હવાઈ જુમલાનો વળતો પ્રત્યુત્તર ના હોય!! હૉંગકોંગના આંદોલને દુનિયાભરના લોકોને ઘણું શીખવ્યું છે. ભારતીય યુવાનો અને લોકો એમાંથી બાકાત નથી. નવા માર્ગો અને રીતો એ ખોળવાના અને અમલમાં મૂકવાના.

સત્તા હાથમાં આવ્યા પછી અને અનેક ઉદાહરણો આંખ સામે હોવા છતાં સત્તાધારીઓ એટલા આંધળા કેમ કરીને બની જાય છે કે કશું દેખાતું જ ના હોય!? અરે ઈન્ટરનેટ શટડાઉન કરો કે સમગ્ર ભારતનું આંતરિક માળખું બંધ કરી દો, આ દેશની પ્રજા સહનશીલ હોવા સાથે એટલી તો જાગરૂક છે જ કે ગુલામીના પડઘમ પારખી જાય અને વળતાં પગલાં લે, લે અને લે. પ્રજાનો, ખાસ કરીને યુવાનોનો જુવાળ એક એવી ધરોહર છે જે હવે સત્તાધારીઓની જાળમાં ફસાય નહીં. એમને ગમે તેટલા રોકો, કોણીએ ગોળ જેવા સપનાં લગાડ્યા કરો, એનાં મનબુદ્ધિ મંદ કરી શકાય એવાં નથી. વળી આ સમગ્રનાં મનબુદ્ધિની સામૂહિક પ્રક્રિયા એટલે સત્તાને સખણી કરવાનો અને રાખવાનો સીધો અને સ્વાયત્ત રસ્તો. સત્તાધારીઓ જૂઠાણાં ગાયા કરે અને પ્રજા એને સ્વીકાર્યા કરે એવું માનવું ભૂલ નહીં, એક પ્રકારની સત્તાશીલ મૂર્ખતા પણ છે. શાણી પ્રજા એ પારખી જાય અને યોગ્ય સમયે પોતાની પેરવી કરી લે. એમાં સફળતા નિષ્ફળતા કરતાં પ્રજાકીય મૂલ્યોની માંડણી મુખ્ય હોય છે જે સત્તાધારીઓને સમજાવે છે કે બહુ થયું, હવે થાગડથીગડ મેલો અને તમારો દરબાર ઠેલો, નહીંતર આ આવ્યો અમારો સામૂહિક રેલો, પછી કહેતા નહીં કે કીધું નહોતું! પ્રજા હંમેશાં નવનિર્માણ પછી સર્વનિર્માણ ભણી વળે છે.

E-mail : barinmehta@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2020; પૃ. 11 તેમ જ 10

Loading

ઝારખંડ ચૂંટણીનાં પરિણામો

કેયૂર કોટક|Opinion - Opinion|3 January 2020

પહેલાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર ગુમાવ્યાં … અને હવે ઝારખંડ! મતદાતાઓનું વલણ અકળ છે. જે મતદારોએ વર્ષ ૨૦૧૯ની મધ્યમાં ઝારખંડમાં લોકસભાની ૧૪માંથી ૧૨ બેઠકો આપીને ભા.જ.પ.ને સત્તાનાં શિખર પર પહોંચાડ્યો હતો, એ જ મતદારો હવે એને જમીન પર લાવી રહ્યાં છે. ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચા-કૉંગ્રેસ-આર.જે.ડી.નાં ગઠબંધનનો વિજય થયો છે અને ભા.જ.પ.ની ‘એકલા ચાલો’ની વ્યૂહરચનાને સદંતર નિષ્ફળતા મળી રહી છે. એકવીસમી સદીના ‘ચાણક્ય’ કહેવાતા અમિત શાહની ઝારખંડમાં એકલા હાથે ચૂંટણી જીતવાની ઇચ્છા પર મતદારોએ પાણી ફેરવી દીધું છે. અહીં ત્રણ બાબતો મહત્ત્વપૂર્ણ છે. એક, ઝારખંડમાં ભા.જ.પ.નો પરાજય. બે, કૉંગ્રેસની અડવાણી-વાજપેયી યુગના ભા.જ.પ. જેવી વ્યૂહરચના. ત્રણ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, બિહાર અને તમિલનાડુની વિધાનસભાની ચૂંટણીમાં ઝારખંડનાં પરિણામોની અસર. શરૂઆત ભા.જ.પ.ની નિષ્ફળતા માટે જવાબદાર કારણો સાથે કરીએ.

યાદ હશે કે, ઝારખંડમાં – રઘુવર દાસની સરકારે શાસનની શરૂઆતમાં જ, વર્ષો જૂનાં છોટા નાગુપર ગણોત ધારા અને સંથાલ પરગણા ગણોત ધારામાં ફેરફારનો પ્રયાસ કર્યો હતો. સરકારના કહેવા મુજબ, આ ફેરફારોનો આશય વિકાસલક્ષી કાર્યો માટે જમીન સંપાદનની પ્રક્રિયાને સરળ બનાવવાનો હતો. ઝારખંડમાં આદિવાસી સમુદાયે આ કહેવાતા ‘વિકાસ’નો વિરોધ કર્યો હતો; પણ લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી સત્તાના નશામાં ભાન ભૂલીને રાજ્ય સરકારે લગભગ ૧૦,૦૦૦ આદિવાસીઓ પર રાષ્ટ્રદ્રોહનો કેસ કર્યો હતો. છતાં આદિવાસી સમુદાયે નમતું ન જોખ્યું અને સરકારને પીછેહટ કરવાની ફરજ પડી હતી. જો કે ત્યાં સુધીમાં ભા.જ.પ. ‘આદિવાસી વિરોધી પક્ષ’ હોવાની છાપ ઊભી થઈ ગઈ હતી. અધૂરામાં પૂરું, ભા.જ.પે. આ વિધાનસભા ચૂંટણીમાં એના ‘આદિવાસી ચહેરા’ અર્જુન મુંડાની ઉપેક્ષા કરી અને ‘છત્તીસગઢમાં જન્મેલા’ રઘુવર દાસને છૂટો દોર આપ્યો. પરિણામે ભા.જ.પ.માં આંતરિક જૂથબંધીને પ્રોત્સાહન મળ્યું. વળી રઘુવર દાસે સત્તાના મદમાં એમના જ મંત્રીમંડળમાં પ્રભાવશાળી ગણાતા નેતા સરયુ રૉયને ટિકિટ આપવાનો ઇનકાર કરી દીધો. જમશેદપુર(પૂર્વ)ની બેઠક પરથી ‘અજય’ ગણાતા રૉય રઘુવર દાસ સામે બળવો કરીને એમની સામે ચૂંટણી લડ્યાં અને વર્ષ ૧૯૯૫ પછી રઘુવર દાસને પહેલી વાર પરાજયનો સ્વાદ ચખાડ્યો. આ બેઠક પર મોદી-શાહે પ્રચાર કર્યો હતો અને કલમ ૩૭૦, રાષ્ટ્રીય નાગરિકતા સંશોધન ધારા જેવા મુદ્દા પણ ઉઠાવ્યા હતા. તો ય રઘુવર દાસ  અને ભા.જ.પે. હાર જ જોવી પડી.

હવે વાત રાજ્યોમાં કૉંગ્રેસનાં પુનરાગમનની કરીએ. જેમ મહારાષ્ટ્રમાં કૉંગ્રેસે ચૂંટણી પહેલાં એન.સી.પી.નું અને ચૂંટણીનાં પરિણામો પછી શિવસેનાનું નેતૃત્વ સ્વીકારી લીધું હતું, તેમ ઝારખંડમાં પણ પ્રાદેશિક પક્ષને મહત્ત્વ આપ્યું. સોનિયા ગાંધીનાં નેતૃત્વમાં કૉંગ્રેસે ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેનને મુખ્યમંત્રીનાં દાવેદાર તરીકે પ્રસ્તુત કર્યા અને એમને વધારે બેઠકો આપી. પરિણામે મુક્તિ મોરચા અને કૉંગ્રેસ બંનેની બેઠકોમાં વધારો થયો.

હકીકતમાં, કૉંગ્રેસ આ વ્યૂહરચના ભા.જ.પ. પાસેથી જ શીખી છે. વાજપેયીના નેતૃત્વમાં ભા.જ.પે. કોંગ્રેસને સત્તાથી દૂર રાખવા માટે આ પ્રાદેશિક પક્ષોને આગળ કર્યા હતા. કૉંગ્રેસે ભા.જ.પ.થી નારાજ આદિવાસી સમુદાય વચ્ચે ‘આદિવાસી ચહેરા’ તરીકે સોરેનને આગળ કર્યા અને રાષ્ટ્રીય જનતા દળ સાથે પણ ગઠબંધન કર્યું. બીજી તરફ, મોદી-શાહના ભા.જ.પે. ઑલ ઝારખંડ સ્ટુડન્ટ્‌સ યુનિયન (આ.જ.સુ.) સહિત કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન ન કરીને ‘એકલા ચાલો’ની વ્યૂહરચના અપનાવી. એટલું જ નહીં ભા.જ.પે. સ્થાનિક મુદ્દાઓની ઉપેક્ષા કરીને કલમ ૩૭૦, નાગરિકતા સંશોધન ધારો, એન.સી.આર. જેવા મુદ્દા ઉઠાવ્યાં. પણ આ દાવ ઊંધો પડ્યો અને આદિવાસી સિવાયના મતદારો અલગ અલગ પક્ષોમાં વહેંચાઈ ગયા. આ.જ.સુ.એ જ એકલા હાથે ભા.જ.પ.ને ૨૦થી ૩૦ બેઠકો પર ફટકો પાડ્યો છે. ઝારખંડમાં જ ભા.જ.પ.ને કેટલાંક નેતાઓએ પરિણામો આવ્યાં પછી ટિપ્પણી કરી છે કે ભા.જ.પે. આ.જ.સુ. સાથે જોડાણ કર્યું હોત, તો રઘુવર દાસ ફરી મુખ્યમંત્રી બની શક્યા હોત. પણ अब पछतावे होत क्या …

છેલ્લે, દિલ્હી, પશ્ચિમ બંગાળ, બિહાર અને તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. આ ચૂંટણીઓ પર બધાની નજર છે. કૉંગ્રેસની રણનીતિ સ્પષ્ટ છે. એ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સાથે ગઠબંધન કરવા તૈયાર થઈ જશે, તો તમિલનાડુમાં ડી.એમ.કે. સાથે ગઠબંધન કરશે. પણ બધાની નજર હવે બિહાર પર છે. ઝારખંડનાં પરિણામો અને ભા.જ.પ.ની હાર પછી બિહારમાં નીતિશ કુમાર ‘મોટા ભાઈ’ની ભૂમિકા ભજવવા વધુને વધુ થનગની રહ્યા છે. અહીં પ્રશ્ર એ છે કે ભા.જ.પ. નીતિશ કુમારનું નેતૃત્વ સ્વીકારશે? નીતિશ કુમાર અને રામવિલાસ પાસવાને સાથી પક્ષોને પૂરતું મહત્ત્વ આપવાની આડકતરી ચેતવણી ભા.જ.પ.ને આપી દીધી છે. એટલે મોદી-શાહનો ભા.જ.પ. વાજપેયી-અડવાણી યુગનો ભા.જ.પ. બનવા રિવર્સમાં જશે કે નહીં એ જોવાનું રહેશે.

E-mail: keyurkotak@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2020; પૃ. 18 તેમ જ 04

Loading

આ કોઈ મામલો જ નથી

શરીફા વીજળીવાળા|Opinion - Opinion|3 January 2020

હળવે હૈયે

ઃ ૧ :

ચેલો ઃ ગુરુજી શું આપણા દેશના મુસલમાન વિદેશી છે?

ગુરુ ઃ હા શિષ્ય, તેઓ વિદેશી છે.

ચેલો ઃ તો એ ક્યાંથી આવ્યા છે?

ગુરુ ઃ તેઓ ઈરાન, તૂરાન અને અરબસ્તાનથી આવ્યા છે.

ચેલો ઃ પણ હવે તેઓ ક્યાંના નાગરિક છે?

ગુરુ ઃ ભારતના.

ચેલો ઃ એ લોકો ક્યાંની ભાષાઓ બોલે છે?

ગુરુ ઃ ભારતની ભાષાઓ બોલે છે.

ચેલો ઃ એમની રહેણી કરણી તથા વિચારવાની રીત કયા દેશના લોકો જેવી છે?

ગુરુ ઃ ભારતના લોકો જેવી છે.

ચેલો ઃ તો પછી એ લોકો વિદેશી કેવી રીતે કહેવાય, ગુરુજી?

ગુરુ ઃ એમનો ધર્મ વિદેશી છે એટલે એ લોકો વિદેશી કહેવાય.

ચેલો ઃ બૌદ્ધ ધર્મ ક્યાંનો છે, ગુરુજી?

ગુરુ ઃ ભારતનો છે શિષ્ય.

ચેલો ઃ તો પછી ચીની, જાપાની, થાઈ અને બર્મી બૌદ્ધોએ ભારત આવી જવું જોઈએ?

ગુરુ ઃ અરે, ના … ના … શિષ્ય : ચીની, જાપાની, થાઈ, બર્મી અહીં આવીને શું કરશે ?

ચેલો ઃ તો ભારતીય મુસલમાન ઇરાન, તુરાન, અને અરબસ્તાન જઈને શું કરશે ?

ઃ ૨ :

ગુરુ ઃ ચેલા, હિન્દુ-મુસલમાન એક સાથે ન રહી શકે.

ચેલો ઃ કેમ, ગુરુદેવ?

ગુરુ ઃ બેઉમાં ઘણું અંતર છે.

ચેલો ઃ શું અંતર છે?

ગુરુ ઃ એમની ભાષા અલગ છે. આપણી અલગ છે.

ચેલો ઃ શું હિંદી, કશ્મીરી, સિંધી, ગુજરાતી, મરાઠી, મલયાલમ, તમિલ, તેલુગુ, ઉડિયા, બંગાળી વગેરે ભાષાઓ મુસલમાન નથી બોલતા? તેઓ શું માત્ર ઉર્દૂ જ બોલે છે?

ગુરુ ઃ ના … ના … ભાષાનું અંતર નથી … ધર્મનું અંતર છે.

ચેલો ઃ એનો અર્થ એવો થાય કે બે અલગ અલગ ધર્મોના માનવાવાળા એક દેશમાં રહી ન શકે?

ગુરુ ઃ હા, ભારતવર્ષ માત્ર હિંદુઓનો દેશ છે.

ચેલો ઃ તો તો પછી શીખો. ખ્રિસ્તીઓ, જૈનો, બૌદ્ધો, પારસીઓ, યહૂદીઓ આ તમામને દેશમાંથી કાઢી મૂકવા જોઈએ.

ગુરુ ઃ હા … હા … કાઢી જ મૂકવા જોઈએ.

ચેલો ઃ તો પછી આ દેશમાં કોઈ બચશે?

ગુરુ ઃ માત્ર હિંદુ બચશે … અને પ્રેમથી રહેશે.

ચેલો ઃ જેમ પાકિસ્તાનમાં માત્ર મુસ્લિમ બચ્યા છે અને પ્રેમથી રહે છે તે રીતે ને?

ઃ ૩ :

ગુરુ ઃ શિષ્ય, મુસલમાન પ્રત્યે ઘૃણા રાખો.

ચેલો ઃ કેમ, ગુરુદેવ?

ગુરુ ઃ કારણ કે તેઓ ગંદા, અભણ અને અત્યાચારી હોય છે.

ચેલો ઃ સમજી ગયો, ગુરુદેવ. તમારા કહેવાનો મતલબ છે કે ગંદા, અભણ અને અત્યાચારી લોકો પ્રત્યે ધૃણા રાખવી જોઈએ.

ગુરુ ઃ ના … ના … એવું નહીં. હકીકતે મુસલમાનો પ્રત્યે એટલે ધૃણા રાખવી જોઈએ કે એ લોકો બહુ કટ્ટર ધાર્મિક હોય છે.

ચેલો ઃ હું કટ્ટર ધાર્મિક લોકો પ્રત્યે ધૃણા જ રાખું છું, ગુરુદેવ.

ગુરુ ઃ ના … ના … તું સમજ્યો નહીં … હકીકતે મુસલમાનો પ્રત્યે એટલે ધૃણા રાખવાની કે એમણે આપણાં ઉપર શાસન કરેલું.

ચેલો ઃ તો તો ખ્રિસ્તીઓ પ્રત્યે પણ ધૃણા રાખવી જોઈએ.

ગુરુ ઃ અરે ના … ના … શિષ્ય, મુસલમાનો પ્રત્યે ધૃણા કરવાનું મુખ્ય કારણ એ છે કે એમણે દેશના ભાગલા કરાવેલા.

ચેલો ઃ એટલે, દેશના ભાગલા કરવાવાળાઓ પ્રત્યે ધૃણા કરવી જોઈએ, એમ જ તે?

ગુરુ ઃ હા … બિલકુલ કરવી જોઈએ. દેશના ભાગલા કરવાવાળાઓ પ્રત્યે ધૃણા કરવી જ જોઈએ.

ચેલો ઃ અને દેશવાસીઓના ભાગલા કરવાવાળાઓ સાથે શું કરવું જોઈએ?

ઃ ૪ :

ચેલો ઃ ગુરુજી, તોફાનો કેવી રીતે રોકી શકાય?

ગુરુ ઃ શિષ્ય, આ સવાલનો જવાબ તો આખા દેશ પાસે નથી. રાષ્ટ્રપતિ પાસે નથી. પ્રધાનમંત્રી પાસે નથી. આખા મંત્રીમંડળમાં કોઈ પાસે નથી. બુદ્ધિજીવીઓ પાસે પણ નથી.

ચેલો ઃ ગુરુજી … મનુષ્ય ચંદ્ર પર પહોંચી ગયો છે. પ્રકૃતિ પર એણે વિજય મેળવી લીધો છે … અસંભવિત હવે સંભવિત થઈ ગયું છે … તોફાનો કેવી રીતે રોકી શકાય એ શોધી કાઢવાનું કામ વૈજ્ઞાનિકોને કેમ નથી સોંપાતું?

ગુરુ ઃ શિષ્ય, વૈજ્ઞાનિકોને આ કામ પર લગાવવામાં આવેલા … પણ એમનું કહેવું છે કે આ ધાર્મિક મામલો છે.

ચેલો ઃ તો ધાર્મિક લોકોને આ કામ પર લગાવાયા?

ગુરુ ઃ હા, ધાર્મિક લોકો કહે છે કે આ સામાજિક મામલો છે.

ચેલો ઃ સમાજશાસ્ત્રી શું કહે છે?

ગુરુ ઃ એમણે કહ્યું કે આ રાજનૈતિક મામલો છે.

ચેલો ઃ તો રાજનીતિશાસ્ત્રીઓએ શું કહ્યું ?

ચેલો ઃ એમણે કહ્યું કે આ કોઈ મામલો જ નથી.

[અસગર વજાહતની ટૂંકી વાર્તાનો અનુવાદ]

E-mail : skvijaliwala@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2020; પૃ. 24

Loading

...102030...2,5792,5802,5812,582...2,5902,6002,610...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved