Opinion Magazine
Number of visits: 9576417
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘પુનશ્ચ’-માં, ‘a g a i n-‘માં,

સુમન શાહ|Opinion - Opinion|31 January 2020

ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાના મુખ્ય મુદ્દા બાબતે પરિષદે સૌ સંસ્થાઓ સાથે સમ્મિલનનો રસ્તો પસંદ કર્યો છે, એ પ્રશંસનીય છે.

પરન્તુ ગુજરાત સાહિત્ય અકાદમી શી રીતે ચાલી રહી છે? સાંભળો : કાર્યક્રમોથી માંડીને સાહિત્યસંલ્ગન કોઈપણ પ્રવૃત્તિ માટે નિર્ણયો લેનારી અને થયેલાં કામોને મંજૂરી આપનારી કાર્યવાહ કસમિતિ ત્યાં છે જ નહીં ! માત્ર અધ્યક્ષ અને મહામાત્રના આપ-સૂઝ્યા વિચારોને આધારે બધું હાલી રહ્યું છે. કહેવાનો સાર, આપખુદી પ્રવર્તે છે.

મેં દોઢ-બે વર્ષ પહેલાં સાહિત્ય અકાદમી, દિલ્હી સહિતની ત્રણેય સંસ્થાઓ માટે આ બધા મુદ્દાઓ સંદર્ભે જાહેરમાં લખેલું એ લેખ અહીં પુન:પ્રકાશિત કરું છું.

સ્વાયત્તતા વિશે બોલવાના મારા સ્વાધિકાર સામે પ્રશ્નો કરીને તાજેતરમાં એક વ્યક્તિ મારી ઇમેજને ઇજા પ્હૉંચાડી રહી છે.

અકાદમી-અધ્યક્ષ આજકાલ 'આપ' અને 'ખુદ' જેવી બાલિશ શબ્દરમત કરીને 'લોકો' અને 'પોતે' જેવો મહા-મતલબી અનર્થ સરજીને સાહિત્યસમાજને ભોળવી રહ્યા છે.

ત્યારે, મારા એ લેખના પુન:પ્રકાશનને 'પુનશ્ચ'-માં, 'a g a i n-'માં, તાકીદનું સમજું છું.

ત્રણેય સાહિત્યસંસ્થાઓ માટે

આ 'સાહિત્ય સાહિત્ય'-ની છતરી હેઠળ હું બેઠેલો છું એવો મેં તાજેતરમાં ઉલ્લેખ કરેલો. એટલે એક નવોદિત સન્મિત્રે ફોનમાં કહ્યું કે એ છતરી હેઠળ તમારે આપણી સાહિત્યસંસ્થાઓ — અકાદમી, પરિષદ અને દિલ્હી અકાદમી — વિશે પણ લખવું જોઈએ; કેમ નથી લખતા? પરિષદમાં સિતાંશુ યશશ્ચન્દ્ર પ્રમુખ ચુંટાયા છે તો એમને તમે સ્વાયત્તતા વિશે પૂછો. એમની રાબહરી હેઠળ થયેલાં કામો વિશે રાજેન્દ્ર મહેતાએ RTI-ની ભૂમિકાએ પ્રશ્નો કર્યા છે, જાહેરમાં ચર્ચામાં મૂક્યા છે, એ વિશે પૂછો. અકાદમીમાંથી માધવ રામાનુજે રાજીનામું આપ્યું, તમે વિદેશ છો, તો નિર્ણયો કોણ લે છે? જણાવો : મેં કહ્યું : દોસ્ત, આમાં મને તારી પૂરેપૂરી નિસબત વરતાય છે, અભિનન્દન : હા પણ તમે સંસ્થાઓમાં માનતા નથી એટલે લખશો કે કેમ? : હું વાક્ય પૂરું કરું એ પહેલાં જ બોલેલો. મેં કહ્યું : હા, બધા વિશે લખીશ. શનિવારે 'છતરી' તું જોઈ લેજે : ઓકે ફાઇન, કહીને ફોન એણે મૂકી દીધેલો.

આમ તો હું સંસ્થાઓ વિશે ઇન-જનરલ અને હાસ્યવ્યંગની રીતે કહેતો હોઉં છું, આવા પર્ટિક્લુયર પ્રશ્નોને નથી અડતો. પણ ત્રણેય સંસ્થાઓ વિશેની સન્મિત્રની આ માંગ તીવ્ર છે એટલે ટાળી નથી શકતો. તો, એ પરત્વે આવું કંઈક લખું :

સન્મિત્રને જણાવું કે —

અકાદમીના અધ્યક્ષ વિષ્ણુભાઈને ચૅટ-મૅસેજમાં આવા મતલબનું હું ઑલરેડી લખી ચૂક્યો છું : માર્ગદર્શક મંડળમાં અને કાર્યવાહક સમિતિમાં સભ્યસંખ્યા જુદાંજુદાં કારણોથી ઘટી ગઈ છે. તાજેતરમાં માધવ રામાનુજે રાજીનામું આપ્યું છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે કઈ બહુમતિથી નિર્ણયો લેવાય છે. મને ડર છે કે જે નિર્ણયો લેવાશે એ, હકીકતમાં નહીં હોય તો પણ, આપખુદ લેખાશે : ખાસ ઉમેર્યું છે : બનતી ઉતાવળે બન્નેની નવરચના કરજો. આ વર્તમાનની તાકીદ છે બલકે અકાદમીની ભાવિ નીતિરીતિ અને તે અનુસારની બહુસમ્મત કાર્યપ્રણાલિ પરત્વે અત્યન્ત જરૂરી છે : મને આશા છે, ઘટતું થશે.

પરિષદના પ્રમુખ તો ખરા પણ સિતાંશુ યશશ્ચન્દ્ર મારા મિત્ર છે એ નાતે એમને આવું આવું કંઈક કહું : સ્વાયત્તતા માટેની લડતને પરિષદ ભલે ચાલુ રાખે. પણ એ માટે અકાદમીના કાર્યક્રમો અને 'શબ્દસૃષ્ટિ' જોડે અસહકાર બાબતે ફતવાથી કે અન્ય દબાણોથી, રાજીનામાં વગેરે ઘટનાઓ ઘટેલી એ વાતનું દુઃખ સાહિત્યસમાજથી વીસરાયું નથી. વળી, એ કારણે આ લડત સમગ્ર સાહિત્યસમાજની છે એમ માનવું ત્રાહિત પ્રજાજનો માટે આજે પણ મુશ્કેલ રહ્યું છે. ખાસ તો એથી, અકાદમી-સંલગ્ન વ્યક્તિઓ પ્રત્યે દ્વેષ કે ખાર પ્રગટેલો છે. એને નષ્ટ કરે. કોઈપણ સાહિત્યકાર મુક્ત અને પોતીકી સ્વાયત્તતાનો અનુભવ અને વિનિયોગ કરી શકે એ હેતુથી એ ઠરાવોને સુધારે ને જાહેર કરે. એથી આપણે સૌ સૌહાર્દની ભૂમિકાએ વિકાસશીલ થઈ શકીશું. નવોદિત પેઢીને વિશ્વાસપૂર્વકનું પ્રાણસભર વાતાવરણ મળશે.

ત્યારે મિત્ર અકાદમી દિલ્હી સાથે જોડાયેલા હતા, એ સંદર્ભે કહેલું કે રાજેન્દ્ર મહેતાએ RTI-ની ભૂમિકાએ જે જાહેર પૃચ્છા કરી છે તેનું શક્યતમ નિરસન કરે. એટલે કે, એ પ્રશ્નો અંગેનાં તથ્યો સાહિત્યસમાજ માટે પ્રકાશિત કરે. નિયમાનુસાર, અકાદમી એવી ચર્ચામાં ન ઊતરી શકે એમ હોય તો પણ વાતનું નિરાકરણ કરવું વાતાવરણની શુદ્ધિ માટે ખૂબ જરૂરી છે. અનૌપચારિક ભૂમિકાએ અસંભવિત નથી.

મારી દૃષ્ટિએ, સાહિત્યસંસ્થાનું કામ સાહિત્યસમાજ માટે સાહિત્યિક પ્રવૃત્તિઓ કરવી એ છે. વ્યાખ્યાનો પરિસંવાદો અધિવેશનો જ્ઞાનસત્રો કે પ્રકાશનો વડે : સાહિત્યના સર્વ અભિગમોનું સ્વાગત થઈ શકે એવું નિષ્પક્ષ એટલે કે પોષક હવામાન રચી શકે : સાહિત્યપદાર્થ-સંલગ્ન સત્યોનું પ્રસરણ કરી શકે : નીવડેલાઓને જોડીને આશાસ્પદ નવોદિતોને ભાથું બંધાવી શકે : આ બાબતોનું સરખું પાલનપોષણ થાય તો, કોઈ પણ સંસ્થા 'સાહિત્યિક સંસ્કૃતિ' માટે શ્રેયસ્કર છે.

પરન્તુ, સાહિત્યિક પ્રવૃત્તિ અને વૈયક્તિક સર્જન/લેખન વચ્ચેનો ભેદ સૌ સમજી રાખે એ અત્યન્ત જરૂરી છે. સર્જક કે સમીક્ષક તો વ્યક્તિએ પોતે જાતે, જાતના બળે, થવાનું હોય છે. સંસ્થાના મોહમાં એ સત્યને એ જો વીસરી જાય, તો નુકસાન એને છે. ઘરના એકાન્તે કરવાનું કામ — જેથી સમગ્ર કારકિર્દીના મૂળાધાર સમી નિજી સમ્પદા એકઠી થાય. સદા પોતાની વર્કશોપને અધીન રહેવાની વાત. કેમ કે વૈશ્વિક સાહિત્ય-સમજની તુલનામાં સંસ્થાઓની કાર્યપદ્ધતિ બંધારણબદ્ધ હોય છે. ગાંઠે બાંધી રાખવાની વાત. પરન્તુ એ લાલો સંસ્થામાં આવતો-જતો રહે છે એટલે ભ્રમમાં આવી જાય છે કે પોતે સાહિત્યકાર થઈ ગયો! એને પ્રમુખ બનવાનાં સપનાં આવવા લાગે છે. સંસ્થાઓ આપવડાઈમાં વીસરી જાય છે કે પોતાથી સર્જક મોટો છે ને સર્વથા સ્વાયત્ત છે.

ઇન્સ્ટિટ્યુશન સાહિત્યપદાર્થને ઇન્સ્ટિટ્યુટ કરે પણ સાહિત્યકાર આખેઆખો ઇન્સ્ટિટ્યુટ થઈ જાય તો સાહિત્યનું સત પ્રશ્નાર્થ હેઠળ આવી જાય. સર્જનશક્તિ કે સમીક્ષાત્મક નિપુણતા, બીબાંઢાળ બની જાય. લાલચને કારણે માણસો બીબાંમાં ઢાળ્યા ઢળાય પણ ખરા. આ સંભવિત હ્રાસમાં ઉમેરાય છે, સંસ્થાકીય રાજકારણ. અને સંસ્થાઓમાં રાજકારણ તો મુખ્ય રસાયન છે! કોઈ પણ ક્ષણે વ્યક્તિના ખૉળામાં જઈ પડે ને એને દઝાડીને જંપે. અને સાંભળો, રાજકારણ સ્મૃતિનાશક છે. સંભવ છે કે એમાં રચ્યોપચ્યો સાહિત્યકાર પોતાનું લખવાનું ભૂલી જાય; સાહિત્યનો વહીવટદાર થઈ મ્હાલે ને ચોપાસ રૂઆબ છાંટે.

હા, ચૂંટણી લડીને સપનું સાચું પાડી શકે. પ્રમુખ થાય. નિજી સમ્પદાથી સભર હોય તો જુએ કે આજે વિશ્વસાહિત્ય અને સંસ્કૃત સાહિત્ય સાથેનો આપણો અનુબન્ધ નહિવત્ રહી ગયો છે. કેટલી હાણ થઈ રહી છે. પણ લોકશાહી છે એટલે નિજી સમ્પદાવાળા ન પણ મળે. મુક્તચિત્ત મતદારને થાય, કોને મત આપું? લિસ્ટમાં ખરા સાહિત્યકારો તો જૂજજાજ છે! એને થાય, મારે 'આને' 'પ્રમુખ' ચૂંટવાનો !?

સમજો, લોકશાહી પોતાના સ્વરૂપે કરીને અલ્પતમ ગુણવાનને ય પ્રવેશ તો આપે છે પણ આવશ્યક વિવેક ન હોય તો ફળ નથી આપી શકતી. લોકશાહીની એવી અન્તર્ગત મર્યાદાઓથી સાહિત્યકલાને બચાવવાનું હંમેશાં મુશ્કેલ રહેવાનું. સંસારમાં ઉત્તમ સાહિત્યો વર્કશોપોમાંથી કે કોટરીઝમાંથી – સમાન રસરુચિધારીઓની મંડળીમાંથી – પ્રભવ્યાં છે એ સત્ય તો સાવ ભુંસાઈ જવાનું.

આ કારણોથી હું સંસ્થામાં નથી માનતો. પણ હું સંસ્થાદ્રોહી નથી. નિમન્ત્રણથી પરિષદનાં કામો હંમેશાં કર્યાં છે. અકાદમી દિલ્હીની સલાહકાર સમિતિનો સભ્ય રહ્યો છું ને મીટિન્ગોમાં નકામી યોજનાઓના જરૂરી વિરોધ કર્યા છે, છતાં, મેં એને સમ્પાદનો કે અનુવાદો કરી આપ્યાં છે.

ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા માટે ઉમાશંકરે શરૂ કરેલી ઝુંબેશમાં, 'શબ્દસૃષ્ટિ'-નો હું પહેલો માનાર્હ તન્ત્રી હતો તે છતાં, જાહેરમાં, લખીને, સૂર પુરાવેલો છે. એથી પ્રગટેલા કંકાસને કારણે અકાદમીમાંથી મુક્ત થતાં મેં વાર ન્હૉતી કરી.

તેમ છતાં, ત્યારે અકાદમીના નિમન્ત્રણથી બન્ને સમિતિઓમાં જોડાયેલો. હાલ એથી પણ મુક્ત થયો છું. ટૂંકમાં, મારાં ધોરણોને અનુકૂળ કામો માન-અપમાનની પરવા વગર સાહિત્યની સેવા અર્થે હંમેશાં કર્યાં છે.

મારે કહેવું તો એ છે કે ઉપર્યુક્ત વિચારો મને કોઈ ચૉપડીમાંથી નથી મળ્યા. ૫૪ વર્ષથી ગુજરાતી સાહિત્યની સન્નિકટે અહોરાત રહેવાથી અને એના નિરન્તરના સખળડખળ પરિદૃશ્યને નિઃસ્વાર્થ ભાવે નિહાળવાથી સૂઝેલા છે.

રામ રામ.

= = =

(30 Jan 2020: India)

Loading

ભલે ઊગ્યો ભાણની જેમ ફીઅરલેસ ઇન્ડિયાને કોટિકોટિ પ્રણામ!

રમેશ ઓઝા|Opinion - Opinion|30 January 2020

પોલેન્ડના વિશ્વપ્રસિદ્ધ સંગીતકાર ડબ્લ્યુ. લુતોસ્તાવસ્કી ૧૯૨૯ની સાલમાં ૧૬ વર્ષના તરુણ હતા, ત્યારે તેમણે ગાંધીજીને પત્ર લખીને પૂછ્યું હતું કે ‘તમે ધ્યાન-ધારણામાં અને ચિંતનમનનમાં વખત ગાળો છો? મારા મન પર એવી છાપ પડી છે કે આપ પ્રવૃત્તિમય જીવન ગાળો છો.’ ગાંધીજીએ તેમને ઉત્તરમાં લખ્યું હતું કે, “સક્રિય પ્રવૃત્તિથી અલગ એવા ધ્યાનમાં હું મારો વખત ગાળતો નથી. મારી સક્રિય પ્રવૃત્તિ જ મારાં ધ્યાન-ધારણાં છે તે કલ્પના તમે બરાબર કરી છે.”

શા માટે ૧૬ વરસના તરુણને આ પ્રશ્ન થયો અને શા માટે ગાંધીજીએ “સક્રિય પ્રવૃત્તિથી અલગ એવા ધ્યાનમાં હું મારો વખત ગાળતો નથી. મારી સક્રિય પ્રવૃત્તિ જ મારાં ધ્યાન-ધારણાં છે,” એમ કહ્યું; જ્યારે કે સંતો માટે ધ્યાન-ધારણા અનિવાર્ય લેખવામાં આવે છે? જો વિચારશો તો આનો ઉત્તર બહુ આસાન છે. ૧૬ વરસના લુતોસ્તાવસ્કીને આશ્ચર્ય થયું હતું કે જગતમાં જે માણસ અનોખા સંત તરીકે ઓળખાય છે તે નિવૃત્તિમાર્ગી કેમ નથી? અને ગાંધીજીએ આવો ઉત્તર એટલા માટે આપ્યો હતો કે તેમણે આધ્યાત્મિકતાની એક નવી ભોંય ભાંગી હતી.

પણ જે ખુલાસો મેં તમને અહીં આપ્યો છે એ નવો પ્રશ્ન પેદા કરે છે. ગાંધીજીએ કઈ રીતે આધ્યાત્મિકતાની નવી ભોંય ભાંગી હતી?

એ છે કરુણા અને નિર્ભયતા. સત્ય અને અહિંસાની વાત તો ગાંધી પહેલાં અનેક સંતોએ અને અવતારપુરુષોએ કરી છે. કરુણાભાવનો પણ આગલા મહાનુભાવોએ ઉપદેશ આપ્યો છે, પરંતુ ગાંધીજીની કરુણા નિષ્ક્રિય નહોતી, સક્રિય હતી. બીજું, ગાંધીજીની કરુણામાં ન્યાય અને અન્યાયનો પણ સમાવેશ થતો હતો. આ દૃષ્ટિએ ગાંધીજીએ આધ્યાત્મિકતાની નવી ભોંય ભાંગી હતી. તમારા કલ્યાણમાં જ મારું કલ્યાણ અથવા આ સકળ સંસારનાં કલ્યાણથી અલગ મારું કલ્યાણ ન હોઈ શકે એ જ્યારે સમજાઈ જાય ત્યારે પરમ કરુણાવાન પ્રામાણિક માણસ એ શોધવાનો પ્રયત્ન કરવા લાગે. જો એવો કોઈ માર્ગ જડે તો એ તેને લોકો સુધી વહેંચવા લાગશે. લોકો જો ખોટા માર્ગે જતા નજરે પડે તો તેને રોકવાનો પ્રયત્ન કરશે. હાથ જોડશે. વિનવશે વગેરે.

અને પછી એનાથી પણ આગળ. જો એમ માલુમ પડે કે લોકો દ્વારા સામૂહિક રીતે અપનાવવામાં આવતા ખોટા માર્ગની પાછળ ધાર્મિકતા રહેલી છે, ધાર્મિક શાસ્ત્રોનાં વચનો રહેલાં છે, પરંપરા અને પરંપરામાં શ્રદ્ધા રહેલી છે, કોઈ વિચારધારા રહેલી છે, જુલમ કરનારી અને તેને ઉચિત ઠેરવનારી વ્યવસ્થા રહેલી છે અને સૌથી વધુ ભય રહેલો છે તો? તો તો પડકાર હજુ મોટો થઈ ગયો. મહાત્મા જો નક્કર ટકોરાબંધ સાચો હોય તો તેની સામે પ્રશ્ન થશે કે હ્રદયમાં સાચી કરુણા છે અને સત્ય સમજાઈ ગયું છે તો બોલ્યા વિના અને રસ્તો અવરોધ્યા વિના બીજો વિકલ્પ જ ક્યાં છે? માર્ગ બે જ બચે છે. કાં કમંડલ લઈને હિમાલય નાસી જવું અને કાં નિર્ભય બનીને માર્ગમાં ખડકની જેમ ઊભા રહેવું.

દક્ષિણ આફ્રિકાનાં પિટરમોરિત્ઝ્બર્ગ સ્ટેશને રંગભેદમાં માનનારા ગોરા ઉતારુએ ગાંધીજીને અને ગાંધીજીના સામાનને સ્ટેશનનાં પ્લેટફોર્મ ઉપર ફેંકી દીધા ત્યારે એ જ સમયે ગાંધીજીએ પણ તેમની અંદર રહેલો ભય ફગાવી દીધો હતો. ફગામણી પરસ્પરની હતી. આધ્યાત્મિક પરિભાષામાં જેને કેવળજ્ઞાન કહીએ છીએ તે આ. ભયમુક્તિ એ સાચી ક્ષણ છે અને ક્ષણે ક્ષણે ભયમુક્ત રહેવું એ મુક્ત પુરુષનાં જીવનની કલગી છે અને આપણા માટે માપદંડ છે. ગાંધીજીના સત્યના પ્રયોગો એ વાસ્તવમાં ભયમુક્તિના પ્રયોગો છે. ભયભીત માણસ સત્યના પક્ષે ઊભો જ ન રહી શકે જે રીતે આજકાલ અધ્યાત્મના કેટલાક વેપારી બાવાઓ માનવતાની ભાષા છોડીને જુદી ભાષામાં બોલવા લાગ્યા છે. વચ્ચેનાં વર્ષોમાં તેઓ સાત્વિકતાની આરાધના કરતા હતા, કારણ કે સમાજ તામસી નહોતો અને સાત્વિકતાનો ડોળ કરવામાં પ્રતિષ્ઠા મળે છે. હવે જ્યારે સમાજ તામસિક થઈ ગયો છે એટલે તેમણે અરણ્યનો રઝળપાટ છોડીને ઘરવાપસી કરી છે. સારું થયું, માડી તારો કેશવો હતો એવો પાછો આવ્યો. તેમને એની જાણ નથી કે તેઓ ભારતના અત્યારે ઘડાઈ રહેલા અને ભવિષ્યમાં લખાનારા કલંકિત ઇતિહાસના ભાગીદારો તરીકે ઇતિહાસમાં પોતાનાં નામ લખાવી રહ્યા છે. ઈતિહાસ કોઈને ય છોડતો નથી અને વર્તમાન ટૂંકો છે અને ઇતિહાસ અનંત છે.

આજના શહીદીના દિવસે માટીપગાઓ આપણી ચર્ચાનો વિષય ન બનવા જોઈએ એટલે તેમને અહીં જ છોડી દઈએ. હા, એટલું સારું થયું કે તેઓ પાંચ વર્ષ પહેલાં આ ફાની દુનિયા છોડીને જતા ન રહ્યા. જો જતા રહ્યા હોત તો આપણને તેમના સાચા ચહેરાની જાણ જ ન થાત. મૃત્યુની ઈર્ષ્યા તો કદાચ તેમને પણ થતી હશે. જો જતા રહ્યા હોત તો બાંધી મુઠીએ જતા રહીને અમર થવા મળત.

ડર આખરી માપદંડ છે. જે માણસ ડરપોક છે એ વામણો છે.

સત્યને કરુણા સાથે સંબંધ છે અને કરુણાને નિર્ભયતા સાથે. અહિંસા તો સાધન તરીકે આવે છે. દક્ષિણ આફ્રિકા જેવા પરાયા દેશમાં કેટલા ભારતીય હતા! પચાસ હજાર પણ નહીં. એમાંથી મોટા ભાગના તો શોષણને કારણે ચેતના ગુમાવી દીધેલા ગિરમીટિયા હતા. સરકાર નિર્દયી હતી અને ભારતમાં હિંદી પ્રજામાં હજુ એટલી જાગૃતિ નહોતી કે તે દક્ષિણ આફ્રિકાની લડતને ટેકો આપી શકે. આમ છતાં ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાની શોષણ કરનારી વ્યવસ્થાને અને એ વ્યવસ્થાને કાયદાકીય વાઘા પહેરાવનારાં શાસનને પડકાર્યા હતાં. કઈ તાકાતથી? અંદરની તાકાતથી.

ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા. ૧૯૧૬માં બનારસમાં બનારસ હિંદુ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન હતું. ગાંધીજીએ ભારત ખાતેના બ્રિટિશ ગવર્નરને જણાવી દીધું કે આટલી બધી સુરક્ષાની વચ્ચે કેમ ફરવું પડે છે? જો ડરતા હો તો ઘરે જતા રહો. ડરીને જીવવા કરતાં ઘરે જતા રહીને નિવૃત્ત જીવન જીવવું બહેતર છે. ડરીને જીવવું એ કોઈ જીવતર છે? તેમણે શ્રોતાઓને અને તેમના દ્વારા ભારતની પ્રજાને ઉદ્દેશીને કહ્યું હતું કે જો તેઓ આપણાથી ડરતા હોય તો એ આપણા માટે શરમની વાત છે. આપણે તેમને ઈજા પહોંચાડીને ન્યાય નથી મેળવવો; પણ સામી છાતીએ ઊભા રહીને, આંખમાં આંખ પરોવીને, સાચી માગણી કરીને અને તેને માટે મરીફીટીને ન્યાય મેળવવો છે. તેમણે ત્યાં ઉપસ્થિત રાજા-મહારાજાઓને કહ્યું હતું કે તમે આ જે આભૂષણ પહેર્યાં છે એ શાન નથી, પરંતુ શરમ છે. આ શોષણનું સર્જન છે એટલે હ્રદય વલોવાવું જોઈએ, ચિત્ત પોરસાવું ન જોઈએ.

એવું જ બીજા વરસે ચંપારણમાં. હું અહીં ગળીનું વાવેતર કરતા મારા ગરીબ શોષિત ભાંડુઓની સ્થિતિ જાણવા-સમજવા આવ્યો છું. એ સમજ્યા વિના હું અહીંથી જવાનો નથી. તમે મારી ધરપકડ કરશો તો છૂટ્યા પછી પાછો આવીશ. જેટલી વાર છોડશો એટલી વાર આવીશ. ગાંધીજીનું આ નિવેદન સાંભળ્યા પછી અંગ્રેજ જજ અને વકીલો એકબીજાની સામે જોવા લાગ્યા હતા અને પ્રજાને સમજાઈ ગયું હતું કે તેમની બેડીઓનો તોડનાર આવી ગયો છે.

વાત એમ છે કે દુષ્ટ શાસન અને શોષણ ભયના પાયા પર જ ચાલે છે પછી એ શાસન અને શોષણ રાષ્ટ્રવાદના નામે ચાલતું હોય, દેશપ્રેમના નામે ચાલતું હોય, ધર્મના નામે ચાલતું હોય, સંપ્રદાયના નામે ચાલતું હોય, જ્ઞાતિ-ગૌરવના નામે ચાલતું હોય, પરિવારની પ્રતિષ્ઠાને નામે ચાલતું હોય, સ્ત્રીની આંકી આપવામાં આવેલી મર્યાદાના નામે ચાલતું હોય, પરંપરાના નામે ચાલતું હોય, પ્રદેશ અને ભાષાને નામે ચાલતું હોય કે બીજું કોઈ પણ સ્વરૂપ હોય. જ્યાં સુધી ભય છે ત્યાં સુધી શોષણ અને શાસન છે. ભય ગયો કે પત્યું. ગાંધીજીએ સકળ જગતને આ વાત શીખવી અને માટે ગાંધીને મારવાના લાખ પ્રયત્ન છતાં ગાંધી મરતો નથી.

જુઓને! ગાંધીજીને દાટી દેવાના, તેને ભૂલાવી દેવાના, તેને બદનામ કરવાના, તેને સ્વચ્છ ભારતમાં નાનો બનાવીને સમેટી લેવાના કેટકેટલા પ્રયત્નો કરાયા. કોઈ પાર નથી. ગાંધીજીનો અ-ક્ષર-દેહ સો ખંડમાં છે તો ગાંધીજીની અનેક પ્રકારે હત્યા કરવાના પ્રયત્નોની વિગતો આપવામાં આવે તો જો સો નહીં તો પચાસ ખંડ તો બને જ. આટઆટલા પ્રયત્નો પછી અચાનક આપણે જોઈએ છીએ કે ફીઅરલેસ ઇન્ડિયા સામે આવીને ઊભું રહી ગયું છે. ૧૮-૨૦ વરસનાં તરુણોએ અને ખાસ કરીને સ્ત્રીઓએ ભયને ફગાવી દીધો છે. ક્યાંથી આ શક્તિ આવી? કોની પ્રેરણા હતી? સામાન્ય માણસની અંદર જીગર ક્યાંથી પ્રગટ્યું? કોઈ બાવાની શીખનું આ પરિણામ નથી. ઊલટું આજકાલ બાવાઓ સમાજને નિર્વીર્ય કરવાનું કામ કરી રહ્યા છે. આ પ્રભાવ છે સોક્રેટિસથી લઈને ગાંધી સુધી થયેલા નિર્ભયજનોનો.

ભલે ઊગ્યો ભાણની જેમ ફીઅરલેસ ઇન્ડિયાને કોટિકોટિ પ્રણામ!

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 30  જાન્યુઆરી 2020

Loading

જે ગમે જગતગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|30 January 2020

હૈયાને દરબાર

જે ગમે જગતગુરુ દેવ જગદીશને
           તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે,
          ઊગરે એક ઉદ્વેગ ધરવો.

હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા
          શકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે
          જોગી જોગેશ્વરા કો’ક જાણે.

નીપજે નરથી તો કોઈ ના રહે દુ:ખી
         શત્રુ મારીને સૌ મિત્ર રાખે;
રાય ને રંક કોઇ દ્રષ્ટે આવે નહિ,
        ભવન પર ભવન પર છત્ર દાખે.

ઋતુ લતા પત્ર ફળ ફૂલ આપે યથા,
        માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું
        તેહને તે સમે તે જ પહોંચે.

ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી
        જેહને જે ગમે તેહને તે પૂજે,
મન કર્મ વચનથી આપ માની લહે
        સત્ય છે એ જ મન એમ સૂઝે.

સુખ સંસારી મિથ્યા કરી માનજો
       કૃષ્ણ વિના બીજું સર્વ કાચું;
જુગલ કર જોડી કરી નરસૈંયો એમ કહે,
      જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું.

કવિ : નરસિંહ મહેતા

———————–

૩૦ જાન્યુઆરી, ૧૯૪૮. ગાંધીહત્યાના સમાચાર ફેલાતાં જ આખો દેશ હચમચી ઊઠ્યો હતો. જગત શોકમાં ડૂબી ગયું હતું અને આબાલવૃદ્ધ આઘાત પામી ગયા હતા. શુક્રવારની એ ઢળતી સાંજે પંખી વિંધાઈને પડ્યું હોય એમ એ મહાત્માનો દેહ જમીન પર ઢળી પડ્યો હતો. વિશ્વભરના શાસકો, માનવતાવાદીઓ, સમાજવાદીઓ, સાહિત્યકારો સહિત અઢળક લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી. એ દિવસે ગાંધીજી પોતાના વિચારો, આદર્શો અને આચરણમાં મુકાયેલા સત્યોને કારણે શહીદ થયા. દરેક નાગરિક દુ:ખના દરિયામાં ડૂબી ગયો હતો. મજાજ લખનવી નામના એક શાયરે ગાંધીજીને અંજલિ આપતા બે લાઈનો કહી :

ન હિંદુ ચલા ગયા, ન મુસલમાન ચલા ગયા
ઇન્સાનિયત કી જુસ્તજુ મેં એક ઇન્સાન ચલા ગયા

કેટલી સાચી વાત છે! આ ઘટનાને આજે સાત દાયકા વીતી ગયા છતાં ગાંધીજી આજે પણ એટલા જ પ્રસ્તુત છે. વધારે યાદ આવે છે કારણ કે ગાંધીજી કર્મે ન હિંદુ હતા, ન મુસલમાન હતા. પણ સાચા અર્થમાં તેઓ એક મહામાનવ હતા, જે માનવતાની સ્થાપનાનો સંઘર્ષ કરતા કરતા શહીદ થઇ ગયા. તેઓ માનવજીવન વિશે નાત-જાત, ધર્મ-ભેદથી ઉપર ઊઠીને સમગ્રપણે માનવહિત વિશે વિચારતા હતા અને સ્વસ્થ સમાજની હિમાયત કરતા હતા. એવો એક પણ વિષય નહીં હોય જેના પર આપણને ગાંધીવિચાર ન જોવા મળે.

ગાંધીજી જીવનમાં પ્રાર્થનાને અતિ મહત્ત્વની માનતા હતા. તેઓ કહેતા, "જેમ શરીર માટે ખોરાક આવશ્યક છે, તે જ રીતે આત્મા માટે પ્રાર્થના આવશ્યક છે. માણસ ખોરાક વગર ઘણા દિવસ ચલાવે, પણ પ્રાર્થના વિના ક્ષણ વાર પણ ન જીવી શકાવું જોઈએ. મને તો શંકા નથી કે, આજે આપણું વાતાવરણ કજિયા, કંકાસ અને મારામારીથી ભરેલું છે, તેનું કારણ એ છે કે આપણામાં સાચી પ્રાર્થનાની ભાવના નથી. શુદ્ધ ચરિત્ર અને ચિત્તશુદ્ધિ ઉપર કેળવણીનો પાયો નાખવો હોય, તો નિત્ય નિયમિત પ્રાત:કાળે અને સંધ્યાકાળે પ્રાર્થના જેવો સરસ ઉપાય બીજો એકે નથી.

એટલે જ ગાંધીજીએ આશ્રમવાસીઓ માટે એક ખાસ ‘પ્રાર્થના ભજનાવલિ’ તૈયાર કરી હતી. તે ‘આશ્રમ ભજનાવલિ’ની સર્વધર્મ પ્રાર્થનાઓ જાણવા અને માણવા જેવી છે. આશ્રમમાં નિયમિત સવારે પ્રાર્થનામાં એ ભજનો ગવાતાં. ગાંધીજીની સર્વધર્મ સમભાવની ભાવના આ ભજનોમાંથી નીતરે છે. જે ભારતનું સાચું અને આદર્શ ચિત્ર સર્જવામાં ચોક્કસ ઉપયોગી થઇ શકે. ‘આશ્રમ ભજનાવલિ’ના સંપાદનમાં વિવિધ વિચારધારાવાળા લગભગ પચાસ લોકોનો પ્રભાવ હતો.

ગાંધીજીના પ્રિય ભજન ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ને ગયા વર્ષે જ વિશ્વના ૧૨૪ દેશના કલાકારોએ સંગીત આપીને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી. ગાંધીજીની ૧૪૯મી જન્મજયંતી નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ ભજનની નવી સંગીતમય આવૃત્તિ લોન્ચ કરાવાઈ હતી.

ગાંધીજીના કારણે વિશ્વવિખ્યાત થયેલું આ ગુજરાતી ભજન ૧૫મી સદીમાં કવિ નરસિંહ મહેતા દ્વારા લખવામાં આવ્યું હતું. ગાંધીજીએ આશ્રમજીવનનની શરૂઆત કરી ત્યારે સવારની પ્રાર્થનામાં આ ભજનનો સમાવેશ કર્યો હતો.

ગાંધીજીના સંગીતપ્રેમના દાવા વિશે શંકા કરતાં પહેલાં એ યાદ રાખવું જોઈએ કે અમદાવાદમાં આશ્રમ સ્થાપ્યા પછી તેમણે વિખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત વિષ્ણુ દિગંબર પળુસ્કરને કોઈ યોગ્ય વ્યક્તિ આશ્રમ માટે આપવા વિનંતી કરી.

તેના પરિણામે પંડિત પળુસ્કરના શિષ્ય પંડિત નારાયણ મોરશ્વર ખરે સાબરમતીના સત્યાગ્રહાશ્રમમાં આવ્યા અને આશ્રમવાસી બનીને રહ્યા. ગાંધીજી કહેતા, "મને નૃત્યકળા પ્રત્યે આદર છે. સંગીત તો અત્યંત ગમે છે. એટલું જ નહીં, સંગીતમાં હું સમજું છું એવો મારો દાવો છે. પણ યુવાનોનું માનસ બગડે તેવાં ગીતો, તેવાં નૃત્ય પર તો પ્રતિબંધ જ મૂકું.

ગાંધીજીને ભજનો પ્રિય હતા. ભજનો જીવનમાં સંવાદિતા પેદા કરે છે. સંપ્રદાયવાદથી પર એવાં ભજનો માનવી માનવીને જોડવાનું કામ કરે છે એવું નક્કરપણે માનતા. ગાંધીજીએ એવાં ભજનો એકત્ર કરીને ‘આશ્રમ ભજનાવલિ’ તૈયાર કરાવેલી. તેઓનું માનવું હતું કે Life is greater then all art.

ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના મદદનીશ રહેલા સુધીન્દ્ર કુલકર્ણીએ એક પુસ્તક લખ્યું છે : Music of the, Spinning Wheel – જેનું વિમોચન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને હસ્તે થયેલું. આ પુસ્તકનું નામ Music of the, Spinning Wheel રાખ્યું છે. તે અંગે લેખકે વિસ્તારથી લખ્યું છે. ગાંધીજી સત્ય – અહિંસા સાથે સંવાદિતાની પણ શોધમાં હતા. સંવાદિતાની વૈશ્વિક ભાષા સંગીત છે. તેઓ અનેક વાર ચરખાના સંગીત – Music of the, Spinning Wheel વિશે ઈશારો કરતા હતા. તેઓ ઇચ્છતા હતા કે ચરખો ચલાવતી વખતે તેમાંથી કોઈ અવાજ ન આવે. શું તે દ્વારા તેઓ ‘મૌનના સંગીત’ પ્રતિ ઇશારો કરતા હતા? ગાંધીજીએ ચરખાના સંગીતમાં રહેલી રહસ્યમયતાને સમજવા વર્ષો સુધી અભ્યાસ કર્યો હતો. ચરખાનાં સંગીત પાછળ ચરખાનો સંદેશ પણ છુપાયેલો છે. ગાંધીને મન ચરખો ફક્ત ગરીબોને ઉપર ઉઠાવવાનું સાધન નહોતું કે ભારતની સ્વાતંત્ર્ય ચળવળનું પ્રતીક માત્ર નહોતું. ચરખો આંતરિક શુદ્ધિકરણનું અને પ્રભુ સાથેના મિલનનું સાધન પણ હતું. તેઓનું માનવું હતું કે ચરખાનું સંગીત આત્માને સૂઝ આપે છે. તે સાર્વત્રિક પ્રેમનું સંગીત છે. ગોથેના પુસ્તક ’'FAUST'“’ના પાત્ર માર્ગારેટની વાત કરતાં ગાંધીજીએ કહેલું કે માર્ગારેટ હૃદયથી દુ:ખી હતાં. તેમને ચરખો કાંતવાથી શાંતિ મળેલી. ચરખાના સંગીતે તેમનું દુ:ખ દૂર કરેલું. સંગીત-કલા-સાહિત્ય સાર્વત્રિક શાંતિ અને સંવાદિતાનો સંદેશ આપે છે. તેથી ગાંધીને કલા-સંગીત પ્રતિ આદર હતો.

‘આશ્રમ ભજનાવલિ’નાં કેટલાં ય ભજનો આપણા જીવનમાં અનાયાસે વણાઈ ગયાં છે. ‘આશ્રમ ભજનાવલિ’માં નજર કરતાં આખું બાળપણ નજર સામે તાદૃશ્ય થઈ ગયું. ગાંધીવિચારથી પ્રભાવિત મારાં માતા-પિતાને કંઠે એમાંનાં કેટલાં ય ભજનો સાંભળીને અમારો ઉછેર થયો હતો.

ગાંધીજી જેનો નિત્યપાઠ કરતા એ ઈશાવાસ્યમ્ ઈદમ્ સર્વમ્‌નો શ્લોક પિતાજી પણ દરરોજ ગાતા. રસોઈ કરતાં કરતાં મમ્મીના કંઠે જે ભજનો સાંભળવા મળતાં એમાં હરિનો મારગ છે શૂરાનો નહીં કાયરનું કામ જોને, દીનાનાથ દયાળુ નટવર હાથ મારો મુકશો મા, જે ગમે જગતગુરુ, તરણા ઓથે ડુંગર રે, હરિને ભજતાં હજી કોઈની લાજ જતી નથી જાણી રે, દિલમાં દીવો કરો, પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ, એક જ દે ચિનગારી … મુખ્ય હતાં. ટાઈમ ટ્રાવેલ કરીને એ સમયમાં પાછાં જવાનું મન થાય છે ક્યારેક. એ વખતે કેવાં વિચારપ્રેરક ઉચ્ચ ભજનો, સાદગી અને સંવાદિતા હતી સમાજમાં. ‘આશ્રમ ભજનાવલિ’માં હિન્દુ-મુસ્લિમ, શીખ-ઈસાઈ જેવાં તમામ ધર્મોનાં તથા હિન્દી, ગુજરાતી, મરાઠી, બંગાળી તથા તમિળ ભાષાનું ભજન પણ છે. સમાજને સાચી રાહ બતાવતી નાનકડી માર્ગદર્શિકા જ જોઈ લો. બાળકોને સારા સંસ્કાર આપવા હોય તો પ્રથમ પગથિયા તરીકે ઘરમાં ‘આશ્રમ ભજનાવલિ’ વસાવવી જ જોઈએ. આજે એમાંનું જ ગાંધીજીને પ્રિય એક ભજન ગાઈને મહાત્મા ગાંધીને સાચી શ્રદ્ધાંજલિ આપીએ. રવિન નાયકે જુદી જ રીતે સ્વરબદ્ધ કરેલું આ ભજન ‘ટહુકો’ પર સાંભળી શકશો. આશિત-હેમા દેસાઈએ પણ સરસ ગાયું છે.

——————————

રવિન નાયક :-

http://tahuko.com/?p=694

આશિત – હેમા દેસાઈ :-

https://www.youtube.com/watch?v=Htfac_fthbQ

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 30 જાન્યુઆરી 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=620407

Loading

...102030...2,5562,5572,5582,559...2,5702,5802,590...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved