Opinion Magazine
Number of visits: 9683572
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રમાણ

ચિરાગ ત્રિવેદી|Poetry|13 March 2020

સૂરજને કહી દો, કાલથી ઊગવું છે ભૈ? તો કાગળ લઈને ઊગે,
પકડો પવનને, પૂરો પાંજરે, પછી પૂછ્યા વગર પાછો ક્યાં ય ના પૂગે.

આકાશ ધરે આધાર તો આભારવશ બસ આમ ઊભા રહેવાશે,
ધરતી પુરાવા પાડે પૂરા માટીના, નહિ તો માટી ભેગી થાશે.

વડલાના વડવા – ભડના ભૈ, ન્યાં પીપળે કેમ જઈને વળગ્યાં?
સરનામે સાગર શોધતી નદીયુંના ઘર વડવાનલ થઇ સળગ્યાં.

શું ભાળીને યમુનાનીરે કાળીધોળી પ્રીતિ, સંગમરમર સંગ જોડી!
કોના કીધે ચાંદો એનો સૂરજ મારો રમતાં'તા, રમતાંમાં મળી કોડી!

કેવું પ્રમાણ લ્યા! વળી કોણ પ્રમાણે, કોણ જુએ, કોણ જાણે,
અક્કલમઠાધિપતિ આડા ફાટ્યા છ', એ તો એના બાપનીયે આણે.

કહી દો, નથી …
નથી દાખલો, ઓળખ-બોળખ, પરવાનો, ચિઠ્ઠી ચપાટી, કોઈ પ્રમાણપત્ર,
કુદરત છું હું, નીચે-ઉપર, અંદર-બા'ર, પાછળ-આગળ, અત્ર તત્ર સર્વત્ર.

જળ છું જળમાં ભળી ગયેલું, તળ છું તળમાં ગળી ગયેલું, એ જ તો હું જે તું છું, 
આધાર આપણ બંને, કાગળ પણ આપણ બંને, ચલ લખીએ, તું લખાણ, હું લખવું છું.

e.mail : chirag.trivedi@ahduni.edu.in

Loading

કવીશ્વર દલપતરામ અને મુંબઈ

દીપક મહેતા|Opinion - Literature|12 March 2020

કાળચક્રની ફેરીએ

એ જમાનામાં મુંબઈમાં કવિવર નર્મદનું નામ ગાજતું, અને ગુજરાતમાં કવીશ્વર દલપતરામનો દોર-દમામ હતો. સુરતમાં જન્મેલા નર્મદાશંકરને નર્મદ બનાવ્યો મુંબઈએ. દલપતરામનો જન્મ કાઠિયાવાડના વઢવાણ શહેરમાં, કર્મભૂમિ અમદાવાદ. દલપતરામ ડાહ્યાભાઈને અમદાવાદે કવીશ્વર દલપતરામ બનાવ્યા. દલપતરામે લખ્યું છે :

વડું ખ્યાત વઢવાણ છે, સાગર સરખું શહેર,
ઉપજી એમાં એક દિન, આ આનંદ લહેર.

(અવતરણ ચિહ્નોમાં બધે જોડણી મૂળ પ્રમાણે)

દલપતરામનો જન્મ ૧૮૨૦માં, નર્મદનો ૧૮૩૩માં, એટલે દલપત-નર્મદ વચ્ચે ઉંમરમાં ૧૩ વર્ષનો ફેર. બંને એકબીજાને પહેલી વાર મળ્યા મુંબઈમાં. ૧૮૫૯ના મે મહિનાની ૨૮મી તારીખે. અલબત્ત, એ પહેલાં બંને એકબીજાનાં નામ અને કામથી પરિચિત. એ જ અરસામાં નર્મદે પૂના જવાનું ઠરાવ્યું હતું. પણ કેટલાક મિત્રો તેને ચીડવવા લાગ્યા કે ખરી વાત તો એ છે કે દલપતરામથી ગભરાઈને તમે પૂના ચાલ્યા જવાના છો. બસ, પૂના જવાનું કેન્સલ!

એ વખતે મુંબઈ-અમદાવાદ વચ્ચે હજી ટ્રેન શરૂ થઈ નહોતી. એટલે મોહનલાલ ઝવેરી સાથે દલપતરામ સુરત ગયા અને ત્યાંથી ૨૪મી મેએ ‘ફોલાક્રસ’ નામની આગબોટમાં બેઠા. આ મોહનલાલ ઝવેરીનો જન્મ ૧૮૨૮માં, અવસાન ૧૮૯૬માં. મુંબઈ ઈલાકાના શિક્ષણ વિભાગના આરંભકાળે તેની સાથે જોડાયેલા રણછોડલાલ ઝવેરીના દીકરા. તેમણે પિતાનું જીવનચરિત્ર અને પોતાનું આત્મચરિત્ર લખ્યું છે. કારકિર્દીની શરૂઆત શિક્ષક તરીકે, છેવટે સુરતની મ્યુનિસિપાલિટીના કમિશ્નરને પદે પહોંચ્યા. બે દિવસ સુધી તો આગબોટ તાપી નદીમાં જ પડી રહી. પછી મુંબઈ જવા ઉપડી અને ૨૭મીએ સવારે દલપતરામે પહેલી વાર મુંબઈની ધરતી પર પગ મૂક્યો.   

દલપતરામનો પહેલો ઉતારો હતો ભુલેશ્વરમાં આવેલા સ્વામી નારાયણના મંદિરમાં. મુંબઈનું આ સંપ્રદાયનું આ સૌથી જૂનું મંદિર. નર્મદ અને તેના પિતા લાલશંકર નજીક્માં જ રહે. થોડે દૂર મમ્માદેવીનું મંદિર. તેની નજીક વાસુદેવ બાબાજી નવરંગેની ચોપડીઓ વેચવાની દુકાન. નર્મદ અને નાનાલાલ માત્ર નામ આપે છે, વધુ વિગતો આપતા નથી. એટલે કોણ હતા આ નવરંગે એવો સવાલ થાય. તેઓ પુસ્તક વિક્રેતા ઉપરાંત પ્રકાશક, લેખક, સંપાદક અને અનુવાદક પણ ખરા. મહાત્મા જ્યોતિબા ફૂલેના ખાસ મિત્ર. ૧૮૬૩માં નવરંગે ઈન્ગલંડ ગયેલા. તેઓ ધાતુની વસ્તુઓ બનાવવાનાં બીબાંની ખરીદી કરવા ગયા હતા. ત્યાંથી પાછા આવ્યા પછી આ વ્યવસાયમાં તેમણે ફૂલેને પોતાના પૂના ખાતેના એજન્ટ નીમેલા. પ્રાર્થના સમાજની પુરોગામી સંસ્થા પરમહંસ સભાના તેઓ સભ્ય હતા. પછીથી તેઓ પ્રાર્થના સમાજ સાથે પણ સંકળાયા હતા. મુંબઈના સમાજ સુધારકોના સહાયક હતા. એટલે નર્મદ ત્યાં અવારનવાર જાય. તે દિવસે પણ જઈને દુકાનમાં બેઠો હતો. એવામાં દલપતરામ આવ્યા, અને અજાણ્યા નર્મદને પૂછ્યું: વાસુદેવ બાબાજીની દુકાન ક્યાં આવી? એ વખતે દલપતરામને આંખનો રોગ હતો, દૃષ્ટિ આછી અને ઓછી થતી જતી હતી. એની સારવાર કરાવવા તો ખાસ મુંબઈ આવેલા. ધૂંધળી નજરને કારણે દુકાનના નામનું પાટિયું નહિ વાંચી શક્યા હોય, એટલે આમ પૂછવું પડ્યું. નર્મદ કહે: આ જ એ દુકાન. દલપતરામ દુકાનમાં આવ્યા, વાસુદેવ બાબાજીને મળ્યા. થોડી વાત થયા પછી વાસુદેવ કહે: અમારા મુંબઈના જાણીતા કવિ નર્મદાશંકર અહીં જ બેઠા છે. ઓળખાણ કરાવી. દલપત-નર્મદ એકબીજાને ભેટ્યા. થોડી વાતો કરીને બંને છૂટા પડ્યા ત્યારે દલપતરામે કહ્યું: ‘હું સ્વામીનારાયણના મંદિરમાં ઉતર્યો છુ. ત્યાં કાલે તમે આવજો અને ડોક્ટર ભાઉ દાજીને ત્યાં મને લઇ જજો.’ નર્મદ કહે, સારું.

ભાઉ દાજી (૧૮૨૨-૧૮૭૪) એ જમાનાના પ્રખ્યાત ડોક્ટર. મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં ભણેલા. જાતમેળે આયુર્વેદનો પણ અભ્યાસ કરેલો. સમાજ સુધારકોના મિત્ર. સાહિત્ય, સંગીત, નાટકના જાણકાર. ગુજરાતી ભાષા સારી રીતે જાણે. નર્મદ અને બીજા ગુજરાતી લેખકો અને સુધારકોના મિત્ર. પુરાતત્ત્વવિદ્યાના અભ્યાસી. અંગ્રેજી પદ્ધતિના શિક્ષણના હિમાયતી. રાજકારણમાં પણ રસ. આજે જે જીજામાતા ઉદ્યાન તરીકે ઓળખાય છે તેમાં આવેલા મ્યુઝિયમ સાથે ૧૯૭૫માં ભાઉ દાજીનું નામ જોડવામાં આવ્યું. (૧૮૫૭માં સ્થપાયેલા આ મ્યુઝિયમનું મૂળ નામ વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ.)

બીજે દિવસે નર્મદ ગયો ત્યારે દલપતરામ પોતે બનાવેલું ભાઉ દાજી વિશેનું કવિત ગોખી રહ્યા હતા, કારણ આંખની મુશ્કેલીને કારણે વાંચી શકે તેમ તો હતું નહિ. આ કવિત કેવું છે એમ નર્મદને પૂછ્યું ત્યારે નર્મદે કહ્યું કે ઘણું સારું છે. નર્મદ તેમને લઈને ડોક્ટરને ત્યાં ગયો અને બંનેને મેળવ્યા. પછી ૧૩મી જૂને નર્મદ-દલપત બુદ્ધિવર્ધક સભામાં ફરી મળી ગયા. આ સભાની સ્થાપના ૧૮૫૧ના એપ્રિલ મહિનામાં થઈ હતી. તેની બેઠકો નિયમિત રીતે મળતી, જેમાં જુદા જુદા વિષયો પર ભાષણો અને ચર્ચા થતાં. તે દિવસે અગ્રણી સમાજ સુધારક અને ‘સત્યપ્રકાશ’ સાપ્તાહિકના તંત્રી કરસનદાસ મૂળજીએ રસાયણ શાસ્ત્ર અંગે ભાષણ કર્યું. ભાષણ પછી દલપતરામે સભાના વખાણ કરતું કવિત સંભળાવ્યું :

સુણો સહુ સ્વદેશી જ્ઞાન ગર્થના સમર્થકો,
બનો બહુ હમેશ બેશ દેશ બુદ્ધિ વર્ધકો,
સ્વદેશ સુધર્યાની સારી વાત તે વિચારવી,
વિશેષ શુદ્ધ બુદ્ધિ બુદ્ધિવર્ધકે વધારવી. 

નર્મદ તેની આત્મકથા મારી હકીકતમાં લખે છે કે દલપતરામને મોઢેથી ધ્યાન દઈને સાંભળેલી આ પહેલી કવિતા.

પણ દલપતરામ અને નર્મદ વચ્ચેની સાઠમારીની શરૂઆત થઈ ૧૮મી જૂને. ભગવાનદાસ નામના એક શેઠે વાલકેશ્વરના પોતાના બંગલે એ બંનેને કવિતા વાંચવા માટે બોલાવ્યા. બીજા મિત્રોને એ સાંભળવા પણ બોલાવ્યા હતા. શેઠની મુરાદ બંને વચ્ચે સ્પર્ધા કરાવવાની જ હતી. નર્મદે શેઠને કહેવડાવ્યું કે આવીશ ખરો, પણ કવિતા વાંચીશ નહીં, દલપતરામની સાંભળીશ. મનમાં એવો વિચાર પણ કર્યો કે કોઈ દિવસ જાહેરમાં દલપતરામની હાજરીમાં મારી કવિતા વાંચવી નહિ, કારણ દલપતરામની કવિતા જાહેરમાં નબળી દેખાય એવું મારાથી કરાય નહીં.  ઘરેથી નીકળતી વખતે પોતાની કવિતાનાં કાગળિયાં નર્મદે સાથે રાખ્યાં નહોતાં. એ સભામાં દલપતરામે કવિતા વાંચી તે પછી ત્યાં હાજર રહેલા વિનાયકરાવ વાસુદેવે કહ્યું કે હવે આપણે મુંબઈના કવિની કવિતા સાંભળીએ. વિનાયકરાવ મુંબઈ સરકારમાં ઓરિયેન્ટલ ટ્રાન્સલેટર તરીકે કામ કરતા હતા, નર્મદના મિત્ર હતા અને ગુજરાતી સારી રીતે જાણતા હતા. બીજા બધાએ પણ આગ્રહ કર્યો એટલે નર્મદ ઊભો થયો. પહેલાં કહ્યું કે દલપતરામભાઈ તો સાગર છે ને ઘણાં વરસ થયાં કવિતા કરે છે. હું તો ખાબોચિયા જેવો ને નવો શીખાઉ છું. દલપતરામભાઈ જેવું મારી પાસે કંઈ નથી, પણ બધાનો આગ્રહ છે માટે ગાઉં છું. નર્મદે પોતાની કવિતા ગાવા માંડી કે તરત વિનાયકરાવ તેની ભારોભાર ‘વાહ વાહ’ કરવા લાગ્યા અને તેથી દલપતરામ ઝંખવાતા ગયા. બીજે દિવસે સમશેરબહાદુર નામના છાપામાં એ મિજલસનો અહેવાલ છપાયો તેમાં પણ નર્મદનાં ભારોભાર વખાણ હતાં.

થોડા દિવસ પછી શેઠ લક્ષ્મીદાસ ખીમજીએ પોતાના જન્મ દિવસની ઉજાણી ગોઠવી હતી તેમાં દલપતરામ અને નર્મદને પણ બોલાવેલા. બંનેને પાદપૂર્તિ કરવાનું કહ્યું. દલપતરામને પાદપૂર્તિ કરવાની ટેવ, નર્મદને નહિ. એટલે દલપતરામ વખણાયા. લક્ષ્મીદાસ શેઠે દલપતરામને ૧૨૫ રૂપિયા બક્ષીસ આપ્યા. છાપાના અહેવાલોમાં પણ દલપતરામનાં વખાણ. પછી તો ગોકુલદાસ તેજપાલ, સર જમશેદજી બેરોનેટ, ડોક્ટર ભાઉ દાજી, જગન્નાથ શંકરશેઠ, વગેરેએ પણ દલપતરામ-નર્મદને પોતાને ત્યાં બોલાવ્યા. ૧૮૫૭માં ‘સ્ત્રીબોધ’ માસિક શરૂ થયું તેના દરેક અંકમાં દલપતરામની કવિતાઓ છપાતી હતી. એટલે પારસી સાહિત્યપ્રેમીઓ તેમના નામથી તો પરિચિત હતા જ. પણ દલપતરામને મોઢેથી કવિતા સાંભળીને પારસીઓ ‘વાહ વાહ’ કરવા લાગ્યા. દલપત-નર્મદ વચ્ચેનો મનભેદ વધતો ગયો.

તો બીજી બાજુ કેટલાક શેઠિયાઓએ દલપતરામ માટે ફંડ એકઠું કરવાનો વિચાર કર્યો. આથી નર્મદ અકળાયો અને ડોક્ટર ભાઉ દાજી પાસે ગયો. ડોકટરે તેને કહ્યું કે ફંડ એકલા દલપતરામ માટે નહિ, તમારા બંને માટે થશે. આ અંગે કેટલાંક છાપાંમાં પણ ઊહાપોહ થયો એટલે છેવટે ફંડનો વિચાર પડતો મૂકાયો. દલપતરામના મનમાં વસી ગયું કે નર્મદના આગ્રહને કારણે જ આમ થયું છે. નર્મદ નિખાલસપણે નોંધે છે કે ‘મને દલપતરામની મોટી ધાસ્તી હતી કે તેઓ વીસ વરસ થયાં કવિતા કરે છે માટે તેની પાસે ઘણી કવિતા હશે, ને મારી પાસે તો કંઈ નથી માટે નવી કવિતા કરવાના પ્રસંગ ઝડપી હું તે કર્યા કરતો.’

નર્મદે પોતાના લખવા-વાંચવા માટે ઘરથી અલગ લાડની વાડીમાં એક ઓરડી ભાડે રાખી હતી. થોડો વખત સ્વામીનારાયણ મંદિરમાં રહ્યા પછી દલપતરામ પણ લાડની વાડીમાં રહેવા આવ્યા એટલે બંને અવારનવાર મળી જતા. નર્મદે એક વાર દલપતરામને પોતાને ઘરે જમવા પણ બોલાવેલા. બાસુંદી-પૂરી જમાડેલાં અને એક પુસ્તક ભેટ આપેલું. ત્યારે દલપતરામે કહ્યું કે તમે જેને કવિતા કહો છો તેને હું કવિતા નથી માનતો. મારા-તમારા વિચાર જુદા છે પણ તમને હું મારા વર્ગી જાણી ચાહું છું. પણ પછી બીજા કોઈને મોઢે દલપતરામ બોલ્યા કે ‘ધૂળ પડી એના બાસુંદી-પૂરી પર.’ આ વાત નર્મદને કાને પહોંચી ત્યારે તે ગિન્નાયો.

ડોક્ટર ભાઉ દાજીની સારવારથી દલપતરામની આંખની તકલીફ દૂર થઈ એટલું જ નહિ, બંને વચ્ચે અંગત સંબંધ બંધાયો. દલપતરામે લખ્યું :

હું દેખતો ઈશ્વરદત્ત આંખે, તે આંખથી દેખી શક્યો ન ઝાંખે,
હવે નિહાળું ક્ષિતિભાગ ક્ષેત્રે, એ ભાઉ દાજી નરદત્ત નેત્રે.

મુંબઈના પ્રતિષ્ઠિત દફતર આશકારા પ્રેસના બેહરામજી ફરદુનજીએ અને મંગળદાસ નથ્થુભાઈએ પણ મહિને સો રૂપિયાના પગારની નોકરીની દલપતરામને ઓફર કરી, પણ દલપતરામે તે બેમાંથી એકે નોકરી સ્વીકારી નહીં. છેવટે ૧૩મી ડિસેમ્બરે દલપતરામ મુંબઈથી અમદાવાદ જવા નીકળ્યા. તેમના ગયા પછી એક છાપાએ તેમની ટીકા કરતાં લખ્યું કે એક ગરબી ભટ્ટ આવ્યો હતો તે ગરબીઓ ગાઈ ગયો. વર્ષો પછી દલપતરામના દીકરા નાનાલાલ લખે છે: ‘મને તો આટઆટલે વર્ષે લાગે છે કે પાંડવ-કૌરવના ઝગડાના જેવો દલપત-નર્મદનો ઝગડોયે પરસ્પરના તેજોદ્વેષનો હતો.’

‘બુદ્ધિપ્રકાશ’ના જાન્યુઆરી ૧૮૬૦ના અંકમાં આ પ્રમાણેની ‘જાહેરખબર’ છપાઈ છે: ‘કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ આંખની દવા સારૂ મુંબઈ ગયા હતા, તેમની આંખો સારી થઈ છે, અને તા. ૨૮મી ડિસેમ્બર સન ૧૮૫૯ને રોજ ગુ.વ.સો.ના આસિસ્તંત સેક્રેટરીનો ચાર્જ લીધો છે.’ 

મુંબઈની આ પહેલી મુલાકાત પછી દલપતરામે ‘મુંબાઈની ગરબી’ લખી, તેમાં મુંબઈ વિષે કહ્યું :

વૈભવ દીઠો વૈકુંઠનો રે,
નિરખ્યું સુંદર મુંબઈ શહેર,
ભાસે છે જેની રચના ભલી રે,
લક્ષ્મીની છે લીલા લહેર.
ગુણમય રત્નાગર છે ગાજતો રે,
વહાણો આવે જાય અનેક,
મુંબઈની ઉપમા ન મળે કહીં રે
મુંબઈ જેવી મુંબઈ એક.
ઉપમા વિક્રમની ઉજેણીની રે,
આપ્યે મુંબઈને ન અપાય,
લંકાની શોભા જેવી લખી રે,
તે પણ ગણતીમાં ન ગણાય.

કવીશ્વર દલપતરામની મુંબઈની બીજી મુલાકાતો વિષે વાત હવે પછી.

સંદર્ભ :

૧. કવીશ્વર દલપતરામ : ભાગ ૨, ઉત્તરાર્ધ, સંસ્કૃતિઓના સંગમ ઘાટે / નાનાલાલ દલપતરામ કવિ. ગુજરાત વિદ્યા સભા, અમદાવાદ, ૨ આવૃત્તિ, ઈ.સ. ૨૦૦૦

૨. મારી હકીકત / કવિ નર્મદાશંકર લાલશંકર. સંપાદક રમેશ મ. શુક્લ. કવિ નર્મદ યુગાવર્ત ટ્રસ્ટ, સુરત, ૧૯૯૪.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “શબ્દસૃષ્ટિ”, માર્ચ 2020

Loading

આશાની દિશા

કાકાસાહેબ કાલેલકર|Gandhiana|12 March 2020

સત્યાગ્રહવિશેષ

સિટીઝનશિપ ઍમેન્ડમેન્ટ ઍક્ટ (CAA) — નૅશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ(NRC)નાં વિરોધ-પ્રદર્શનો મહદ્દ અંશે અહિંસક રીતે થઈ રહ્યાં છે; ક્યાંક છૂટીછવાઈ હિંસા પણ તેમાં જોવા મળી. શાસન સામે વિરોધ દર્શાવવાનું એક આખું શાસ્ત્ર ગાંધીજી આપી ગયા છે. સત્યાગ્રહ રૂપે આ શાસ્ત્ર ગાંધીજી આજીવન શાસન સામે યોજતા રહ્યા; તે સતત વિકસતું શાસ્ત્ર છે. તે વિશે ગાંધીજીએ કહ્યું છે : “મેં કલ્પેલો સત્યાગ્રહ એ એક ઘડાઈ રહેલું શાસ્ત્ર છે.” અને એટલે ગાંધીજીના નિર્વાણ બાદ જૂન, ૧૯૪૮માં કાલેલકર સત્યાગ્રહની મીમાંસા કરે છે ત્યારે સ્પષ્ટપણે લખે છે : “સત્યાગ્રહના શાસ્ત્રનો યથાર્થ જાણકાર કોઈ દેખાતો નથી.” આ કિસ્સામાં સત્યાગ્રહ આદરવો હોય તો ગાંધીજીની મૂળ વિભાવના તરફ પાછા ફરવું પડે.

દેશના હાલના માહોલને અનુલક્ષીને સત્યાગ્રહની આસપાસનું એક ચિત્ર મળી રહે તે ઉદ્દેશથી અહીંયાં પ્રસ્તુત લેખો મૂક્યા છે. કાકાસાહેબ કાલેલકરે રજૂ કરેલી સત્યાગ્રહની મીમાંસા મૂકી આપી છે. લોકશાહીમાં સત્યાગ્રહની વિભાવના શી હોઈ શકે અને તેને અમલી કેવી રીતે બનાવી શકાય તે માટે ગાંધીજીના વિચારોને રજૂ કર્યા છે. આચાર્ય કૃપાલાનીએ સત્યાગ્રહનું પૂરું શાસ્ત્ર સમજાવ્યું છે. લોકનાયક જયપ્રકાશ નારાયણે આંદોલનને અમલી બનાવવાનું હાર્દ સમજાવ્યું છે, જે વર્તમાન પરિપ્રેક્ષ્યમાં સમજવા જેવું છે. અંતે ટૉલ્સ્ટૉયનો લેખ છે, જેમાં રાજ્યવ્યવસ્થા દબાણ હેઠળ આવે ત્યારે કેવી રીતે વર્તે તેનું આલેખન છે. સત્યાગ્રહ અને તેની આસપાસના મુદ્દાઓ આ લેખોમાં રજૂ થાય છે. ગાંધીજીના સત્યાગ્રહ સંબંધે તે સમજવા ઉપયોગી થાય એમ છે. 

•••

… સત્યાગ્રહની મીમાંસા કોઈ કાળે પૂરી થઈ એમ કહેવાય જ નહીં. સત્યાગ્રહ એક રીતે યુદ્ધનો એક પ્રકાર છે; બીજી રીતે એ સંસ્કારી માનવજાતનો જીવનધર્મ છે. અને તેથી યુગે યુગે સત્યાગ્રહના નવા નવા અવતાર પ્રગટ થવાના જ. સત્યાગ્રહના આદ્ય આચાર્ય મહાત્મા ગાંધીએ, પોતાના જીવનકાળમાં, એની અનેક વિભૂતિઓ પ્રગટ કરી. હિંદુસ્તાન સ્વતંત્ર થતાં એના જે ભાગલા પાડવામાં આવ્યા, અને એના જ અનુસંધાનમાં આખા દેશમાં જે ઝેર રેડાયું, તેને પહોંચી વળવાના પ્રયત્નમાં ગાંધીજીએ સત્યાગ્રહતત્ત્વને એક અવનવું રૂપ આપ્યું, જે એટલું અદ્ભુત અને સૂક્ષ્મ હતું કે, તેનું સ્વરૂપ ન ઓળખવાથી, પોતાની જ ભૂલોથી અકળાયેલા અને આંધળા થયેલા દેશે એ રાષ્ટ્રપિતાનો જ ભોગ લીધો અને એમના આખરી પ્રયોગને સત્યાગ્રહની અદ્ભુત શક્તિ પ્રગટાવતો અટકાવ્યો.

એક પ્રશ્ન ઘણાના મનમાં ઊઠે છે કે, સત્યાગ્રહનો હવે પ્રતિનિધિ કોણ છે? સત્યાગ્રહથી ટેવાયેલા અનેક લોકો અને અધીરી વ્યક્તિઓ જ્યાંત્યાં સત્યાગ્રહ કરી બેસે છે અને થોડી ચર્ચા બાદ ઓછોવત્તો વિજય મેળવીને અથવા માંડવાળ કરીને સત્યાગ્રહ પાછો ખેંચી લે છે. ઘણી વાર હવે સત્યાગ્રહ ઉપવાસનું રૂપ લે છે, અને થોડીક ચિંતા પેદા કરી સમાધાન ઉપર આવી જાય છે. પણ આવાં નાનાંમોટાં પ્રકરણોને સત્યાગ્રહના પ્રયોગ તરીકે ભાગ્યે જ ઓળખી શકાય.

ગાંધીજીએ પોતાના સત્યાગ્રહ યુદ્ધમાં અનેક સાથીઓ મેળવ્યા અને કેળવ્યા. એમાંના કેટલાકને ભાગે સ્વરાજ સરકારના અધિકારી થવાનું આવ્યું છે, જ્યારે બીજા એ સરકારને સામાન્યપણે ટેકો આપવાને બંધાયેલા છે. એટલે એ બંને પ્રકારના સત્યાગ્રહીઓ રાજકીય કે સામાજિક અન્યાય દૂર કરવા માટે જે કાંઈ કરવું હોય તે હવે સરકારી તંત્ર મારફતે કરી શકે. સામાજિક, ધાર્મિક અન્યાયો દૂર કરવા માટે તેમ જ ધર્મ ધર્મ વચ્ચેના ટોળાધર્મી ઝઘડાઓ પતાવવા માટે સત્યાગ્રહને ઘણો અવકાશ છે. પણ અત્યારે તો કોઈને એ સૂઝતું નથી. લોકો તરફથી કાં તો કાયદો હાથમાં લઈ ગુંડાશાહી ચલાવવામાં આવે છે અથવા ‘એ બધું સરકારનું કામ છે’ એમ કહી ઉદાસીનતા ધારણ કરવામાં આવે છે.

દાંડીમાં મીઠું ઉપાડતા સત્યાગ્રહીઓનું દૃશ્ય. તસ્વીર − વૉલ્ટર બોશાર્ડ

એક વાત સ્પષ્ટ છે કે, સત્તા ગમે તેના હાથમાં હોય. સત્તાધારી જો પોતાનો રાજધર્મ ઓળખી મજબૂત હાથે કાયદાનું રાજ્ય ન ચલાવે તો અધીરી થયેલી પ્રજા સરકારની તત્પરતા ઉપરનો વિશ્વાસ ખોઈ બેસી કાયદો પોતાના હાથમાં લેવાની જ. પોતે જ સત્તાધારીને આપેલી સત્તા જો એ ન વાપરે તો પ્રજા બીજું કરી પણ શું શકે?

આવી હાલતમાં પ્રજા અવળે રસ્તે ન જાય એટલા માટે એને દોરનારા સત્યાગ્રહી નેતાઓ મળવા જ જોઈએ. પ્રજા જો કાયદો પોતાના હાથમાં લે તો તે પોતાની સરકારને નબળી પાડે છે અને જોતજોતામાં એનો નાશ કરે છે. પ્રજાએ મોટા પાયા ઉપર કાયદો હાથમાં લીધો કે સત્તાધારીઓએ રાજીનામું આપી સત્તાનો ત્યાગ કર્યે જ છૂટકો. તેઓ તેમ ન કરે તો તેમણે પોતાના હાથમાં ટકી શકે એવું પશુબળ સંગઠિત કરી, પ્રજાને દબાવી, જોહુકમી રાજ્ય ચલાવ્યે જ છૂટકો. બંને રીતે પ્રજાજીવન જોખમમાં જ આવે છે. આનો એકમાત્ર ઇલાજ સત્યાગ્રહ છે. સત્ય, અહિંસા અને લોકકલ્યાણ એ ત્રિવિધ મર્યાદા જાળવીને સજ્જન લોકો જ્યારે સત્યાગ્રહ આદરે છે, ત્યારે લોકસત્તા પર નભનારું રાજ્ય નબળું પડવાને બદલે આત્મશુદ્ધિ કરી મજબૂત થાય છે. સત્યાગ્રહની આ બાજુની મીમાંસા હવે આપણે ખીલવ્યે જ છૂટકો.

અત્યાર સુધી વ્યક્તિઓ અને સંગઠિત પક્ષો સત્યાગ્રહ કરતા આવ્યા છે. આખી પ્રજાએ સ્વતંત્રતા મેળવવા માટે અનેક વાર સત્યાગ્રહ કરી બતાવ્યો. હવે પછીનો સવાલ છે કે, રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના મતભેદોમાં કે ઝઘડાઓમાં રાષ્ટ્રો, એટલે કે તેમના પ્રતિનિધિરૂપ સરકારો, સત્યાગ્રહ કરી શકે કે નહીં? સરકાર પાસે પશુબળ છે એટલા માટે એણે એ વાપરવું જ જોઈએ, એમ સિદ્ધ નથી થતું. કોઈ પહેલવાન પાસે શરીરબળ છે એટલા માટે તે સત્યાગ્રહ ન જ કરી શકે એમ જેમ આપણે કહી શકતા નથી, તેવી જ રીતે સરકારો વિશે પણ છે. દાખલા તરીકે, હિંદુસ્તાન જેવું પ્રબળ રાષ્ટ્ર પોતાની શક્તિના ભાનમાં હૈદરાબાદ જેવી નાની સરકારની સામે પશુબળ વાપરવાને બદલે સત્યાગ્રહના બધા પ્રકારો અજમાવી શકે છે. હિંદની પ્રજા જ્યાં સુધી પોતાની સરકાર ઉપર વિશ્વાસ રાખી શકે છે અને તે સરકાર પ્રજાના જાનમાલના રક્ષણના કર્તવ્યમાં ચૂકતી નથી, ત્યાં સુધી એ જરૂર સત્યાગ્રહનાં અનેક પગલાં અજમાવી શકે છે.

પણ સવાલ એથી વ્યાપક છે. આખી દુનિયાની (લગભગ ૫૭ કે વધારે) [હાલમાં ‘યૂનો’ 193 દેશોનું સંગઠન છે.] સરકારો જો અંદર અંદરના વહેવારમાં સર્વ રાષ્ટ્રીય પરિષદ (‘યૂનો’ — સંયુક્ત રાષ્ટ્રમંડળ) આગળ ન્યાય મેળવવામાં અસફળ થાય તો સત્યાગ્રહ કરી શકે કે નહીં, અને કરી શકે તો તે કઈ રીતે, એની પણ મીમાંસા હવે થવી જોઈએ.

વ્યાપક સત્યાગ્રહ માટે હજી પણ અનેકાનેક પ્રસંગો કલ્પી શકાય. આજકાલની અમેરિકા, ઇંગ્લંડ, રશિયા જેવી સરકારો શસ્ત્રબળની અસાધારણ શક્તિ ધરાવે છે. એવી સરકારની પ્રજા, પ્રજા તરીકે લગભગ નિઃશસ્ત્ર જ હોય છે. હવે જો કોઈ પણ કારણે એવી કોઈ સરકાર લોકસભાને પોતાની ધાકમાં રાખી જોહુકમી બની શકી તો પોતાની સ્વતંત્રતા જાળવવા માટે અથવા પાછી મેળવવા માટે જનતાએ શું કરવું? સરકાર પાસે આધુનિક વિજ્ઞાને તૈયાર કરેલાં શસ્ત્રોનું શસ્ત્રબળ કલ્પનાતીત હોય અને પ્રજા પાસે શસ્ત્રબળનો પૂરો અભાવ હોય, એવે વખતે પ્રજાના હાથમાં કેવલ સત્યાગ્રહ જ રહેવાનો. એ સત્યાગ્રહ પ્રજા કેવી રીતે વાપરી શકે એનો પણ વિચાર હવે થવો જોઈએ.

જગતમાં લગભગ બધાં જ રાષ્ટ્રો લોકશાહીના તત્ત્વને સ્વીકારતાં થયાં છે. એટલે હડહડતા અન્યાયના નિરાકરણ માટે લોકમતનો કોલ લેવાનો ઇલાજ પ્રજાના હાથમાં આવેલો હોવાથી, હવે પછી લોકમત જ્યાં જાગ્રત નથી એવે ઠેકાણે, સરકારને તેમ જ લોકમતને જાગ્રત કરવા માટે, ન્યાયની કલ્પનામાં લોકમતથી ઘણે દૂર સુધી ગયેલા સુધારકો જ સત્યાગ્રહ કરી શકવાના છે. એવા પ્રસંગો એક તો વિરલા હશે, અને બીજી બાજુ લોકમતના ટેકાને અભાવે તે ઉગ્ર રૂપે ચલાવવા પડવાના. સરકારમાં જો અહિંસા તત્ત્વ ઊતર્યું હોય તો જ આવા સત્યાગ્રહ સૌમ્ય રૂપમાં ચાલી શકે. પણ એ સત્યાગ્રહો લોકમતને અને લોકરૂઢ આદર્શને નહીં ગણકારતા હોવાથી સરકાર તેમ જ જનસમાજ બંને એવા સત્યાગ્રહીઓની પૂરતી કસોટી કરવાની જ. કેમ કે સરકારો પોતાની શક્તિનો ઇનકાર સાંખી શકતી જ નથી. દરેક સરકારમાં આત્મરક્ષાનું તત્ત્વ એટલું બધું જાગ્રત હોય છે કે, બીજાં કર્તવ્યો પાર પાડી શકે કે નહીં, પણ આત્મરક્ષાનું કર્તવ્ય તે પાર પાડવાની જ. અને તેથી સત્યાગ્રહની હવે ઘણી જ ઊંડી અને વ્યાપક કસોટી થવાની છે.

ગાંધીજી હતા ત્યાં સુધી તેઓ સત્યાગ્રહના પ્રમાણભૂત આચાર્ય ગણાતા. એ સત્યાગ્રહનો પ્રતિનિધિ આપણા દેશમાં કે દુનિયામાં હવે કોણ છે? વ્યક્તિઓ તરફ નજર નાખતાં કહેવું પડે છે કે, સત્યાગ્રહના શાસ્ત્રનો યથાર્થ જાણકાર કોઈ દેખાતો નથી. સત્ય અને અહિંસાની જેનામાં એકાગ્ર નિષ્ઠા છે તે જ સત્યાગ્રહનો શાસ્ત્રકાર થઈ શકે છે. પણ એનામાં સામાજિક, ધાર્મિક, રાજનૈતિક અને હવે આંતરરાષ્ટ્રીય બળોનું યથાર્થ જ્ઞાન હોવું જોઈએ. દરેક પ્રકારના માણસનું મન કઈ રીતે કામ કરે છે એનું પણ ઊંડું અને નાજુક જ્ઞાન એ વ્યક્તિને હોવું જોઈએ, અને એની સાથે સત્યાગ્રહ જેવા સૂક્ષ્મ આધ્યાત્મિક તત્ત્વનાં થતાં ઇંદ્રિયાતીત પરિણામોનું સૂક્ષ્મ ભાન પણ એને હોવું જોઈએ. ઉપરટપકે જ્યાં પરાજય દેખાય છે ત્યાં પણ વિજયનો ઉદય થતો જોવાની ક્રાન્તદૃષ્ટિ જો એનામાં ન હોય, તો તે સત્યાગ્રહનો સફળ સેનાની ન જ બની શકે.

જેનું હૃદય જાતિ, ધર્મ, ભાષા, પંથ અને પૂર્વગ્રહની સંકુચિતતાને વીંધીને, પોતાની આસપાસની એકેએક વ્યક્તિ પ્રત્યે દોડી શકે છે, અને સ્વજન-પરજન, પાપી અને પુણ્યવાન, નાજુક અને રીઢા — બધાંને અપનાવી શકે છે, તેને હાથે જ સત્યાગ્રહની દોરવણી સફળ રીતે થઈ શકે છે.

પોતાની આસપાસના સમાજને દોરનાર સત્યાગ્રહી સામાજિક જીવનથી અલિપ્ત રહી શકે ખરો? “અત્યારે મારી પાસે કોઈ સત્યાગ્રહી ઇલાજ નથી, તે હું શોધીશ અથવા ઘડતો રહીશ, ત્યાં સુધી સમાજની જવાબદારી બીજા કોઈ લે અને એને સૂઝે તેમ કરે,” એમ જવાબદાર સત્યાગ્રહી કહી શકે ખરો? કે પરિસ્થિતિ પરત્વે જે યોગ્ય હોય તે ઇલાજ અજમાવીને જ સમાજને આગળ લઈ જાય?

યુદ્ધ ટાળવા માટે અને રાષ્ટ્રોમાં કુટુંબધર્મની સ્થાપના કરવા માટે ‘હેગ કાઉન્સિલ’ સ્થપાઈ. એની જ વ્યાપક આવૃત્તિરૂપ ‘લીગ ઑફ નૅશન્સ’ સ્થપાઈ. એના દોષો દૂર કરી આંતરરાષ્ટ્રીય દરબાર જેવી ‘યૂનો’ સ્થપાઈ. અને છતાં એ બધી સંસ્થાઓનું વાતાવરણ જોતાં એમને હાથે વિશ્વકુટુંબ સ્થપાય એવાં લક્ષણો દેખાતાં નથી. ‘યૂનો’ને હાથે જ અન્યાય થાય તો એની સામે નાનું મોટું ગમે તે રાષ્ટ્ર સત્યાગ્રહ કરી શકે અને સત્યાગ્રહ દ્વારા માનવવ્યાપી રાષ્ટ્રકુટુંબ સ્થપાય, એવી આશા ઉત્પન્ન થઈ છે? એને માટે કાળ પરિપક્વ થયો છે? અને પરિપક્વ ન હોય તો પોતાનાં બલિદાનથી તે પરિપક્વ કરવાના દિવસો આવ્યા છે?

જબરદસ્ત રાષ્ટ્રો ગમે ત્યારે ‘યૂનો’થી નોખાં પડી ‘તરવારનો ન્યાય’ અજમાવી શકે છે અને ‘યૂનો’ને નિરર્થક બનાવી શકે છે. અને તેથી ‘યૂનો’ને હંમેશાં બલાઢ્ય રાષ્ટ્રથી બી બીને ચાલવું પડે છે. નાનાં રાષ્ટ્રોએ હજી સુધી ‘યૂનો’ પાસેથી ન્યાય મેળવ્યો નથી. ‘યૂનો’ના અન્યાય સામે સત્યાગ્રહ કરવાની પોતાની યોગ્યતા પણ તેઓએ માની નથી. કેટલાક દેશો સરકાર તરીકે બલાઢ્ય હોય, પણ રાષ્ટ્ર તરીકે શિથિલ હોય. એવા દેશો આંતરરાષ્ટ્રીય દરબાર સામે સત્યાગ્રહ કરી શકે ખરા?

આવા મોટા મોટા જગદ્વ્યાપી સવાલો આપણી આગળ પ્રત્યક્ષ થતા જાય છે. એ સવાલોની શાસ્ત્રીય મીમાંસા દુનિયા આગળ રજૂ થવી જોઈએ.

‘યૂનો’ની નબળાઈ કે નાલાયકી સિદ્ધ થતાં આખી પૃથ્વીનું એટલે કે આખી માનવજાતિનું એક રાજ્ય સ્થાપન થઈ શકે ખરું? અને તેમ થાય તો તેવા રાજ્યની પ્રજા નિઃશસ્ત્ર હોય તો ઠીક કે સશસ્ત્ર હોય તો ઠીક? અને પ્રજાને જો નિઃશસ્ત્ર રાખવામાં આવે અને જગદેક-રાજ્ય જુલમી બની જાય તો એ સરકાર સામે પ્રજા શી રીતે ઝૂઝી શકે? એ વખતે સત્યાગ્રહનું રૂપ કેવું હોય? એ સવાલ તો જોતજોતામાં વહેવારુ સવાલ થવાનો છે. અને એ સવાલ સાથે જ સરકારની શક્તિ અહિંસક ઢબે તોડવા માટે ભાંગફોડ (‘સૅબોટેજ’) કેટલે દરજ્જે યોગ્ય ગણાય અને એની મર્યાદા કે વ્યાકરણ શું, એ સવાલ આપણે ટાળી શકવાના નથી.

અત્યાર સુધી આપણે જેટલા સત્યાગ્રહો અજમાવ્યા, તેટલા પરથી આપણે એટલું તો જોઈ શક્યા કે, સાચા સત્યાગ્રહ દ્વારા આપણે નક્કર શુદ્ધ વસ્તુ જ માગણીમાં મેળવી શકીએ છીએ. આપણી માગણીમાં જો મલિનતા હોય, અન્યાયભર્યો સ્વાર્થ હોય, અદૂરદૃષ્ટિ હોય અથવા માનવતાનો અભાવ હોય, તો તે સત્યાગ્રહ — શુદ્ધ સત્યાગ્રહ હોય તો — તો ફળી શકવાનો નથી. એટલે જેમ જેમ સત્યાગ્રહ કરતા જઈએ છીએ, તેમ તેમ આપણી માગણીઓ શુદ્ધ કરવી જ પડે છે. સત્યાગ્રહ દ્વારા થતી આ અંતઃશુદ્ધિ જ સત્યાગ્રહનો સૌથી મોટો લાભ છે. સામા પક્ષ ઉપર સત્યાગ્રહની થતી અસરનો આપણે એટલે બધો વિચાર કરતા આવ્યા છીએ કે, એની પોતાના પર થતી અસર જોવા માટે આપણે થોભ્યા જ નથી. સત્યાગ્રહની ખરી શક્તિ આ આંતરિક શુદ્ધિને લીધે જ પ્રગટ થાય છે અને તેથી જ સત્યાગ્રહ સર્વહિતકારી પરમ મંગલ તત્ત્વ સિદ્ધ થાય છે.

આ યુગના સર્વશ્રેષ્ઠ શસ્ત્રનું સ્વરૂપ ઓળખવા માટે દરેક રીતે ઉપયોગી એવી આ સત્યાગ્રહની મીમાંસા પ્રજાએ અભિનંદન સાથે આવકારવી જોઈએ, અને ઉચ્ચ કેળવણીની સંસ્થાઓએ રાજનીતિના તેમ જ સમાજશાસ્ત્રના અધ્યયનમાં એને આવશ્યક સ્થાન આપવું જોઈએ.

… શસ્ત્રયુદ્ધશાસ્ત્ર પોતાની વિકરાળ સિદ્ધિમાં અણુબૉમ્બ સુધી પહોંચ્યું છે અને ગાંધીજીએ ધર્મયુદ્ધ-શાસ્ત્રને સત્યાગ્રહ સુધી પહોંચાડી દીધું છે. એ બે શસ્ત્રો જ ભવિષ્યની માનવતાનો નિવેડો આણનાર છે. બેમાંથી એક્કેની આપણે ઉપેક્ષા કરી શકવાના નથી અને બે વચ્ચે માંડવાળ તે અશક્ય જ છે.

જૂન, ૧૯૪૮ 
[‘સત્યાગ્રહની મીમાંસા’માંથી]



સૌજન્ય : “नवजीवनનો અક્ષરદેહ”, જાન્યુઆરી 2020; પૃ. 03-06

Loading

...102030...2,5552,5562,5572,558...2,5702,5802,590...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved