Opinion Magazine
Number of visits: 9683272
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આભનો ભૂરો રંગ ને મારાં ફૂલનો લાલમલાલ

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|19 March 2020

હૈયાને દરબાર

આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ,
રંગની લીલા જોઇને મારાં નેણ તો ન્યાલમન્યાલ.

રાતનું વહેતું શ્યામ સરોવર,
એમાં નૌકા શ્વેત,
સમજું નહીં કે ચાંદ ઊગે
કે ઊગતું કોઇનું હેત.

આજ તો મારી સાવ સુંવાળીઃ લીલીમલીલી કાલ,
આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ.

પવન પોતે ઝાડ થઈને,
ડોલતો ર્‌હે હરિયાળું,
મનમાં હવે કયાંય નથી
કોઇ કરોળિયાનું જાળું.

ગમતીલા ગુલાલમાં વેરે કોઈ તો વહાલમવહાલ,
આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ.

•   કવયિત્રી : પન્ના નાયક   •   સંગીતકાર : અમિત ઠક્કર   •   ગાયિકા : દીપ્તિ દેસાઈ

———————

કોઈની બુદ્ધિના પાંજરામાં
લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી;
કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે,
અને ઈચ્છા મુજબ મને ઝંખ્યા કરે;
જે બોલે તે બોલવાનું ને નાગ જેમ ડોલવાનું,
મને આવું અઢેલવાનું મંજૂર નથી …!

કવયિત્રી પન્ના નાયકનો ચહેરો યાદ કરતાં દરેક સાહિત્યપ્રેમી, કવિતાપ્રેમીને એમની ઉપરોક્ત બોલ્ડ કવિતા યાદ આવ્યા વિના રહે નહીં. વર્ષો પહેલાં વડોદરામાં રહેતી મારી કવિ મિત્ર પારૂલ મહેતાના અવાજમાં આ કાવ્યપઠન સાંભળ્યું હતું ત્યારથી પન્નાબહેનની ‘બોલ્ડ એન્ડ બ્યુટિફૂલ’ની ઈમેજ પર મહોર લાગી ગઈ હતી. મળ્યાં પછી એમની વિદ્વત્તા અને પ્રેમાળ સ્વભાવનો પરિચય પણ થયો.

પન્નાબહેનને પહેલી વાર તો મારા સાહિત્યકાર પિતા જયન્ત પંડ્યા દ્વારા જ મળવાનું થયું હતું. ઘરે નિમંત્ર્યાં ત્યારે એમનું હસમુખું વ્યક્તિત્વ સહૃદય મિત્ર બનાવી દેવા માટે પૂરતું હતું. એમનાં સર્જનમાં પ્રકૃતિ પ્રેમ સહજ દેખાય છે. પન્ના નાયકનાં કાવ્યો પ્રકૃતિ ઉપરાંત વિદેશના આધુનિક શહેરમાં રહેતી સ્ત્રીની લાગણીઓ રજૂ કરે છે. કાવ્યોમાં પુરુષ સાથેના સંબંધો, લગ્નજીવનની મૂંઝવણો, આશાઓ અને નારીવાદી લાગણીઓ પણ રજૂ થઇ છે. પરંતુ, પ્રકૃતિપ્રેમ એમાં પહેલા સ્થાને આવે.

"મારી પ્રકૃતિ એવી છે કે મને પ્રકૃતિ વિના ના ચાલે. મને મારી આસપાસ વૃક્ષ, ફૂલ, પાન, પંખી, ઝરણાં, આકાશ, દરિયો, નદી, પતંગિયા હોય તો સૌથી વધારે મજા પડે. પ્રકૃતિના તમામ અંશો મારી કવિતામાં તમને જોવા મળશે. કવિ સુરેશ દલાલ એક વાર મારે ત્યાં ફિલાડેલ્ફિયા આવ્યા હતા. સુરેશ જલસાના માણસ. એ આવે એટલે અઢળક વાતોના ખજાના ખૂલે. સવારે બ્રેકફાસ્ટ ટેબલ અમે બેઠાં હોઈએ તે સાંજે સાત સુધી વાતોનો અંત ન આવે. એક દિવસ એમણે મને કહ્યું કે પ્રકૃતિ તને બહુ પ્રિય છે. પ્રકૃતિ ગીતનો એક સંગ્રહ શા માટે નથી કરતી? અને મેં સંગ્રહ માટે થઈને જ નવાં કાવ્યો લખવાનાં શરૂ કર્યાં. એમણે ઘણાં ઉપયોગી સૂચનો કર્યાં. મને કહે કે તને વહાલ શબ્દ ગમે છે તો એના પરની નવો શબ્દ કોઈન કર. મેં મારા કાવ્યમાં વ્હાલંવ્હાલ શબ્દ કોઈન કરીને એને અનુરૂપ કાવ્યપંક્તિઓ રચી. એમણે કહ્યું કે હું ભારત ખાલી હાથે નહીં જાઉં. સંગ્રહ લઈને જ જઈશ. એ રીતે કાવ્યસંગ્રહ તૈયાર થયો.

જો કે ગીત લખવાની શરૂઆત સુપ્રસિદ્ધ ગાયિકા કૌમુદી મુનશીને લીધે થઈ. એ ૧૯૭૨-૭૩માં અમેરિકા આવ્યાં અને મને કહે તમે ગીત લખો તો હું કમ્પોઝ કરીશ. પહેલાં તો હું કાવ્યો જ લખતી પણ એમના કહેવાથી મેં પહેલું ગીત લખ્યું, પિયા મારાં સોણલાં સાકાર કરી દ્યો … કૌમુદીબહેને બહુ સરસ સ્વરબદ્ધ કર્યું અને ગાયું. બીજું એક ગીત, પાછું વળીને વ્હાલમ જોતાં જાઓ ને જરી …! રાગ મારુ બિહાગમાં એમણે કમ્પોઝ કર્યું. આ બન્ને ગીતો બહુ જ સરસ બન્યાં છે. સ્વીકારું છું કે એમાં કાવ્યતત્ત્વ ઓછું છે પણ સંગીતની દૃષ્ટિએ ઉત્તમ છે. કૌમુદી મુનશીએ કહ્યું ન હોત તો કદાચ ગીત હું ક્યારે ય લખત જ નહીં.

એ પછી સુરેશ દલાલનો આદેશ આવ્યો કે તું હવે મને કાવ્યતત્ત્વવાળાં ગીતો લખી આપ. મેં લખ્યાં. નિનુભાઈ મઝુમદાર હયાત હતા એટલે એમણે મને આખો સંગ્રહ બરાબર જોઈ આપ્યો. ક્યાં લય તૂટે છે, ક્યાં કાવ્યત્વ ઉમેરવું જોઈએ એ બધું સમજાવ્યું. એ રીતે મારો પહેલો ગીત સંગ્રહ ‘આવન-જાવન’ બહાર પડ્યો હતો. પરંતુ, મારા સમગ્ર કવિતાસંગ્રહનું નામ ‘વિદેશિની’ હોવાથી આવન-જાવનને આધારે જે સીડી બહાર પડી એનું નામ ‘વિદેશિની’ જ રાખ્યું. પ્રકૃતિની રંગલીલાનું સૌંદર્ય મને એટલું બધું સ્પર્શી ગયું જે આ ગીતમાં અભિવ્યક્ત થયું છે. દરેક પંક્તિમાં ‘રંગ’ છલકાય છે. એટલે ચિત્તમાં હર્ષોલ્લાસની લાગણી વ્યાપી ગઈ હતી. ગીતમાં મેં એ જ કહ્યું છે કે મન એટલું આનંદમય છે કે ચિત્તનાં બધાં જાળાં વિખેરાઈ જાય છે, એ પ્રસાદમય થઈ જાય છે. ગીતમાં એક પંક્તિ જ આવે છે કે, મનમાં હવે ક્યાં ય નથી કોઈ કરોળિયાનું જાળું …! જો કે, એસ્થેટિક્સને ધ્યાનમાં રાખી ગીતમાંથી કરોળિયો શબ્દ કાઢી ક્યાં ય નથી સપનું કાળું … એમ કર્યું છે.

અમિત ઠક્કરે બહુ સુંદર એને સ્વરબદ્ધ કર્યું છે. લય પણ સરસ સચવાયો છે. ગીતમાં વ્હાલમવ્હાલ અને ન્યાલમન્યાલ શબ્દો હજુ સુધી કોઈ ગીતમાં વપરાયા નથી એટલે એનો આનંદ પણ ખરો જ. "પન્નાબહેન વિગતે વાત કરતાં જણાવે છે. પન્નાબહેનનો જન્મ મુંબઈમાં પણ એમણે મુંબઈમાં રહી સાહિત્ય સર્જન કર્યું નથી. શબ્દ એમને અમેરિકામાં મળ્યો. એટલે જ તેઓ કહેતાં હોય છે કે "હું ફિલાડેલ્ફિયાના રસ્તા પર શબ્દનો કેમેરા લઈને ફરું છું. "આમ અમેરિકા એમની કર્મભૂમિ છે.

પન્ના નાયક હવે ૮૬નાં થયાં એ વિચારતાં આપણાં હાથ ધ્રૂજી શકે પણ એ તો ટટ્ટાર-અડીખમ. ૮૦માં વર્ષે મળેલા સહૃદય જીવનસંગી નટવર ગાંધી સાથે પ્રવાસો કરે છે અને પોતાના જ કાવ્યોના અંગ્રેજી અનુવાદનું કામ તો ચાલુ જ છે. તેમની દીર્ઘ સર્જનયાત્રામાં, તેમણે કવિતા, અછાંદસ, ગીત, હાઈકુ, ટૂંકી વાર્તા, એમ ઘણાં સાહિત્યસ્વરૂપોમાં ખેડાણ કર્યું છે.

આ ગીતને કમ્પોઝ કરનાર અમિત ઠક્કર સંગીત જગતનું જાણીતું નામ છે. મૂળ વાયોલિનવાદક એવા અમદાવાદના અમિત ઠક્કરે પછી તો હાર્મોનિયમ પદ્ધતિસર શીખી પંડિત જસરાજજી સહિત અનેક શાસ્ત્રીય સંગીતના કલાકારો સાથે સંગત કરી અને હવે એ પિયાનો તથા કી-બોર્ડ પ્લેયર તરીકે પ્રખ્યાત છે. આ ગીત વિશે અમિત ઠક્કર કહે છે કે, "પન્ના નાયક સંવેદનશીલ કવયિત્રી હોવા છતાં એમનાં કાવ્યોમાં સભરતા છે. હૃદયથી સમૃદ્ધ સ્ત્રી લાગે. એટલે જ આ ગીત કમ્પોઝ કરતી વખતે મેં એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું હતું કે એમનાં હૃદયની સમૃદ્ધિ બહાર આવે. એમની એ ‘વિદેશિની’ સીડીમાં પુરુષોત્તમ ઉપાધ્યાય, દિલીપ ધોળકિયા, ક્ષેમુ દીવેટિયા, અમર ભટ્ટ ઈત્યાદિનાં સ્વરાંકનો પણ છે પરંતુ, આખી સીડીની મ્યુઝિકલ અરેન્જમેન્ટ મેં કરી છે. આ ગીત મારે એ રીતે કરવું હતું કે એની કમર્શિયલ વેલ્યુ પણ જળવાઈ રહે.

આ ગીતમાં પ્રકૃતિની રંગછટાઓ છે. એ રંગો જોઈને મનમાં ગ્લાનિનો ભાવ રહ્યો જ નથી. દરેક પંક્તિએ રંગની વાત થઈ છે. કવિતાનું પાત્ર બહુ સભર છે એ લાગણી મને બહુ અપીલ કરી ગઈ. હિન્દી ફિલ્મોનાં ગીતોમાં નાયિકાની ચંચળ અને અલ્લડ અભિવ્યક્તિ જોવા મળે, પરંતુ ગુજરાતી કાવ્યસંગીતમાં એ જમાનામાં પ્રમાણમાં ઓછી જોવા મળતી. એક જ વાક્યમાં મારે આ ગીત વિશે કહેવું હોય તો એટલું જ કહીશ કે આભનો ભૂરો રંગ એ એક આવી જ સ્નેહથી નિતરતી અને પ્રકૃતિની રંગછટાઓને પોતાના પ્રિયતમની પ્રીત સાથે જોડીને સુખદ આહ્લાદક અનુભવમાં વિહરતી રસભીની નાયિકાનું સ્પંદન છે, જે કમ્પોઝ કરવાનો મેં પણ આનંદપ્રદ અનુભવ કર્યો. દીપ્તિ દેસાઈના અવાજને ધ્યાનમાં રાખીને મેં આ ગીત સ્વરબદ્ધ કર્યું જે ગાવાની એમને પણ ખૂબ મજા આવી હતી.

સૂફી, ગઝલ, ઠુમરી ઈત્યાદિમાં જેમનો અવાજ નિખરી ઊઠે છે એ દીપ્તિ દેસાઈ મૂળ ભાવનગરનાં. તેઓ કહે છે, "ચાર વર્ષની વય સુધી હું બોલતાં જ શીખી નહોતી. મારાં મમ્મી બહુ સરસ ગાય. એના અથાગ પ્રયત્નો પછી હું બોલતાં શીખી. સ્કૂલમાં મારાં શિક્ષિકા ભાનુબહેને મને ગાતી કરી. ત્યારબાદ અમદાવાદના કૃષ્ણકાંત પરીખ અને વિરાજ અમર પાસે સંગીતની એડવાન્સ્ડ ટ્રેનિંગ લીધી. ગુજરાતી ગીતો મેં ઓછાં ગાયાં છે પણ આ ગીત રમતિયાળ હોવાથી ગાવાની મને ઘણી મજા પડી હતી. સરળ અને યાદ રહી જાય એવા શબ્દો તેમ જ અમિત ઠક્કરનું એવું જ ચપળ સ્વરાંકન હોવાથી એક જ ટેકમાં મેં ગાઈ લીધું હતું. લાલમલાલ, વ્હાલમવ્હાલ જેવા શબ્દોનો પ્રાસ સરસ હોવાથી ગીત લયબદ્ધ બન્યું છે.

શ્રેષ્ઠ કવયિત્રી, ઉત્તમ સંગીતકાર અને લાજવાબ ગાયિકાના કંઠે દીપી ઉઠેલું આ ગીત સુગમ સંગીતનાં સર્વોત્તમ ગીતોમાંનું એક જરૂર કહી શકાય.

——————————

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 19 માર્ચ 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=624903  

Loading

લોક-આંદોલનો વિશે થોડી છણાવટ

જયપ્રકાશ નારાયણ|Gandhiana|18 March 2020

સત્યાગ્રહવિશેષ

સિટીઝનશિપ ઍમેન્ડમેન્ટ ઍક્ટ (CAA) — નૅશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ(NRC)નાં વિરોધ-પ્રદર્શનો મહદ્દ અંશે અહિંસક રીતે થઈ રહ્યાં છે; ક્યાંક છૂટીછવાઈ હિંસા પણ તેમાં જોવા મળી. શાસન સામે વિરોધ દર્શાવવાનું એક આખું શાસ્ત્ર ગાંધીજી આપી ગયા છે. સત્યાગ્રહ રૂપે આ શાસ્ત્ર ગાંધીજી આજીવન શાસન સામે યોજતા રહ્યા; તે સતત વિકસતું શાસ્ત્ર છે. તે વિશે ગાંધીજીએ કહ્યું છે : “મેં કલ્પેલો સત્યાગ્રહ એ એક ઘડાઈ રહેલું શાસ્ત્ર છે.” અને એટલે ગાંધીજીના નિર્વાણ બાદ જૂન, ૧૯૪૮માં કાલેલકર સત્યાગ્રહની મીમાંસા કરે છે ત્યારે સ્પષ્ટપણે લખે છે : “સત્યાગ્રહના શાસ્ત્રનો યથાર્થ જાણકાર કોઈ દેખાતો નથી.” આ કિસ્સામાં સત્યાગ્રહ આદરવો હોય તો ગાંધીજીની મૂળ વિભાવના તરફ પાછા ફરવું પડે.

દેશના હાલના માહોલને અનુલક્ષીને સત્યાગ્રહની આસપાસનું એક ચિત્ર મળી રહે તે ઉદ્દેશથી અહીંયાં પ્રસ્તુત લેખો મૂક્યા છે. કાકાસાહેબ કાલેલકરે રજૂ કરેલી સત્યાગ્રહની મીમાંસા મૂકી આપી છે. લોકશાહીમાં સત્યાગ્રહની વિભાવના શી હોઈ શકે અને તેને અમલી કેવી રીતે બનાવી શકાય તે માટે ગાંધીજીના વિચારોને રજૂ કર્યા છે. આચાર્ય કૃપાલાનીએ સત્યાગ્રહનું પૂરું શાસ્ત્ર સમજાવ્યું છે. લોકનાયક જયપ્રકાશ નારાયણે આંદોલનને અમલી બનાવવાનું હાર્દ સમજાવ્યું છે, જે વર્તમાન પરિપ્રેક્ષ્યમાં સમજવા જેવું છે. અંતે ટૉલ્સ્ટૉયનો લેખ છે, જેમાં રાજ્યવ્યવસ્થા દબાણ હેઠળ આવે ત્યારે કેવી રીતે વર્તે તેનું આલેખન છે. સત્યાગ્રહ અને તેની આસપાસના મુદ્દાઓ આ લેખોમાં રજૂ થાય છે. ગાંધીજીના સત્યાગ્રહ સંબંધે તે સમજવા ઉપયોગી થાય એમ છે.

•••

લોકશક્તિ રાજ્યશક્તિ કરતાં સર્વોપરી

… લોકોનો કોઈ પ્રતિનિધિ અથવા લોકોના પ્રતિનિધિત્વ પર આધારિત કોઈ સરકાર પોતાના કર્તવ્યનું પાલન ન કરતી હોય, સરકાર ભ્રષ્ટાચારી, દમનકારી અને અક્ષમ બની ગઈ હોય ત્યારે જનતાએ શું કરવું? સરકારના ભ્રષ્ટ અને અંધેર કારભાર સામે પ્રજાએ શું કરવું? એ જ કે, ચૂંટણીઓ સુધી રાહ જોવાની? અને જ્યારે આ ચૂંટણીઓ જ શુદ્ધ ને મુક્ત ન રહી હોય, તેવે વખતે લોકોએ શું કરવું? આવી સરકારોને જો તમે ઉઘાડી ન પાડી શકો, એમની બરતરફી ને કાયાપલટ માટે આંદોલન ન કરી શકો, તો પ્રજાજીવન માટે પછી આરો-ઉગારો કયો રહ્યો?

ખરું જોતાં તો સભા-સરઘસ, હડતાલ, બંધ, સવિનય કાનૂનભંગ, વગેરે બધાં લોકશાહીનાં હથિયારો છે. ખપ પડ્યે એ બધાં વપરાતાં ન રહે, તો કટાઈ જાય. માટે આવે વખતે લોકો પાસે સીધાં પગલાં ભરવા માટેનો અવકાશ હોવો જ જોઈએ. વાસ્તવમાં જ્યારે બંધારણીય પદ્ધતિઓ અને સ્થાપિત લોકશાહી સંસ્થાઓ લોકોની યાતનાઓનો ઉકેલ કરવામાં અથવા લોકોની ઇચ્છાઓનો યોગ્ય જવાબ વાળવામાં નિષ્ફળ જાય, ત્યારે લોકો બીજું કરી પણ શું શકે? ત્યારે ઊલટું લોકશાહીનું એ તંદુરસ્ત અને આવકારપાત્ર લક્ષણ છે કે લોકો — લોકશાહીના સાચા માલિકો — માથું ઊંચું કરીને, ભલે બંધારણ બહારનાં પરંતુ શાંતિમય સાધનો દ્વારા સત્તાને નમાવીને પોતાના અધિકાર સિદ્ધ કરે. સંસદીય લોકશાહીમાં પણ લોકો કેવળ એના નિષ્ક્રિય વાહકો જ ન બની રહેતાં સક્રિય બનીને પોતે ચૂંટી મોકલેલ પ્રતિનિધિઓનો જવાબ માગનારા અને અંતે એમની કારવાઈઓ પર અંકુશ રાખનારા સાચા ‘ડેમોસ’ અર્થાત્ ‘લોક’ તરીકે વર્તી શકે છે. આમાં સૌથી મુખ્ય વાત એ છે કે લોકશાહીમાં જનશક્તિ રાજ્યશક્તિ કરતાં સર્વોપરી છે, રાજ્યશક્તિ જનશક્તિને આધીન છે. એટલે જરૂર ઊભી થાય ત્યારે આવી લડત ઉપાડવાનો, આંદોલન ચલાવવાનો લોકોને અબાધિત અધિકાર છે.

આંદોલન શાંતિમય જ હોઈ શકે

અલબત્ત, આવાં સીધાં પગલાંનો ઉપયોગ શાંતિમય અને વ્યવસ્થિત રીતે જ થવો જોઈએ. અવ્યવસ્થા અને હિંસાને તો લોકશાહીમાં સ્થાન ન જ હોય. આવાં લોક-આંદોલનો શાંતિમય માર્ગે જ ચાલવાં જોઈએ. શાંતિમય અને તેની સાથે હું ‘શુદ્ધ’ પણ જોડીશ. આ શાંતિમય અને શુદ્ધ સાધનોની શક્તિ અસીમ છે.

આ દેશમાં વિદ્યાર્થીઓએ તેમ જ બીજા આંદોલન કરનારાઓએ કેટલા ય પ્રસંગોએ બસોને અને જાહેર માલમિલકતને આગ ચાંપી છે, તોડફોડ કરી છે, અને જનતાને ય કેટલીક સતામણીઓ કરી છે. કોઈ પણ જવાબદાર માણસ આવાં કૃત્યોનો બચાવ કરી શકે નહીં. એટલું સાવ સ્પષ્ટ છે કે કોઈ પણ આંદોલનમાં કોઈ પણ વ્યક્તિ પોતાની જાતને કાયદાથી પર માની સ્વચ્છંદે વર્તી શકે નહીં. અને જ્યાં મુકરર કરેલા કાયદાનો ભંગ કરવાનો હોય, ત્યાં પણ એ કાર્ય વ્યવસ્થિત અને શાંતિમય રીતે જ પાર પાડવું રહ્યું. આંદોલનમાં ભાગ લેનાર કોઈ પણ વ્યક્તિ મનમાની રીતે કાયદો પોતાના હાથમાં લઈ શકે જ નહીં.

સરકાર પક્ષે હિંસા-વિવેક ને સ્વયંશિસ્ત

આની સાથોસાથ સરકારના પક્ષે પણ વિચારવાનું છે. સમાજમાં હિંસા ન થાય એમ જો સરકાર ઇચ્છતી હોય, તો કેટલીક બાબત ખાસ ધ્યાનમાં રાખવી પડશે. સૌથી પહેલાં તો તેણે જુદી જુદી જાતની હિંસા વચ્ચેનો ભેદ પારખતાં શીખવું પડશે. એક છે, બિલકુલ વ્યવસ્થિત અને યોજનાપૂર્વકની હિંસા. દા.ત. તેનો અનુભવ બિહાર આંદોલન વખતે પટણામાં ‘સર્ચલાઇટ’ અખબારના મકાન ઉપરના હુમલામાં થયો. બીજી છે, ગુંડાઓ અને બીજાં અસામાજિક તત્ત્વો દ્વારા આચરાતી હિંસા. અને ત્રીજી છે, નાની હિંસા, જેવી કે પથ્થરમારો કરવો કે છૂટાં-છવાયાં વાહનોને બાળી મૂકવાં વગેરે. એવી હિંસા ગુસ્સામાં આવી જઈને કે અમુક વસ્તુનું સાટું વાળવા રૂપે કે માત્ર અવિચારી લડાકુ મિજાજમાં આચરી દેવામાં આવે છે. પરંતુ સરકારો આ બધી હિંસાઓ વચ્ચે આવો કોઈ વિવેક કરવા બેસતી હોય એમ નથી લાગતું. તેનું પરિણામ એ આવે છે કે ખરેખરા ગુનેગારો તો હાથમાં આવતા જ નથી, અને બીજાઓને, અરે સાવ નિર્દોષોને પણ સજા ભોગવવાનું આવે છે.

સરકારે બીજી વાત એ સમજવાની છે કે અમુક પરિસ્થિતિમાં પ્રજાના દિલમાંથી જ હિંસા જન્મતી હોય છે. પ્રજાની યાતનાઓ દિવસે દિવસે વધતી જાય, અને તેને લીધે પ્રજાનો રોષ પરાકાષ્ઠાએ પહોંચતો જાય, અને તેમાંથી ક્યારેક સ્ફોટ થઈ ઊઠે.

સરકારે એક વાત એ પણ ખ્યાલમાં રાખવી જોઈએ કે શ્રી રામુલુના આમરણ ઉપવાસને લીધે અલગ આંધ્ર રાજ્યની રચના થઈ, ત્યારથી માંડીને આજ સુધી પરંપરા એવી ચાલતી આવી છે કે પ્રજાનાં શાંતિમય ને લોકશાહી પગલાં તરફ તો સરકાર સાવ ધ્યાન જ નથી આપતી, પછી ભલે ને તે પગલાં ગમે તેટલાં શક્તિશાળી અને શુદ્ધ હોય! ક્યાં ય કોઈ એકાદા કિસ્સામાં ય સરકારોએ સહકારનો માર્ગ અખત્યાર કર્યાનું જાણ્યું નથી. મોટે ભાગે તો લોકોનાં આવેદન-પત્રોનો કોઈ જવાબ જ અપાતો નથી. કાં ટાળમટોળ કે મુખ્ય મુદ્દાને બાજુએ સેરવી દેનારા ઉડાઉ જવાબો અપાયા કર્યા છે! પરંતુ જેવી જાહેર માલમિલકતની કાંઈક ભાંગફોડ કે આગજાળ કે ખાનાખરાબી થઈ કે સરકાર તરત ધ્યાન આપે છે અને ઝટઝટ કાંઈ ને કાંઈ પગલાં ભરવા માંડે છે. ઘણા આદરપાત્ર નાગરિકોએ પણ મને કહ્યું છે કે સરકાર તો હિંસા વિના કદી સાંભળતી જ નથી. સરકારની આ રીતભાતમાં જ્યાં સુધી સુધારો નહીં થાય, ત્યાં સુધી હિંસાને રોકી શકાશે કે કેમ, તે વિશે મને શંકા છે.

વળી, સરકારે તેની પોતાની હિંસા ઉપર કાબૂ રાખતાં શીખવું પડશે. આ બાબતમાંયે અત્યાર સુધીની પરંપરા એ રહી છે કે જેવો કાંઈક પથ્થરમારો થયો અને કોઈક પોલીસ અફસરને વાગ્યું કે તરત ગોળીબાર કરવામાં આવે છે. તેને લીધે કેટલા ય લોકો ઘવાય છે અને આજુબાજુ ઊભેલાઓ પણ કેટલાક આનાથી મરે છે. આવું ઘણી વાર થાય છે. સરકારના હાથમાં સમાજે સોંપેલી દંડશક્તિનો આવો વિચારહીન ઉપયોગ બંધ થવો જોઈએ. આ સંદર્ભમાં સરહદી સંરક્ષણ દળના વડા શ્રી રુસ્તમજીએ આંતરિક કાયદો ને વ્યવસ્થા જાળવવા માટે ઓછાં વિઘાતક સાધનોનો ઉપયોગ કરવા માટે કરેલી ભલામણો ઉપર સરકારે તત્કાળ ધ્યાન આપવું જોઈએ. એમણે કહ્યું કે આ રાઇફલો તો યુદ્ધ લડવા માટે છે. તેનો ઉપયોગ દેશના લોકો પર ન થવો જોઈએ. આંતરિક સલામતી માટે નવા પ્રકારની ગોળીઓ જોઈએ, જે માણસનો જાન ન લે, માત્ર તેને ઘાયલ કરે.

સાથોસાથ, સરકારોએ પોતાનું ઘર વ્યવસ્થિત કરવું જોઈએ. લાંચ-રુશવતિયા અને ભ્રષ્ટાચારી પ્રધાનો તેમ જ અમલદારોને કાઢી મૂકવા જોઈએ, વહીવટી તંત્રમાં સુધારો કરવો જોઈએ, કાળાં-બજારિયાઓ, નફાખોરો અને સંઘરાખોરો સામે સખત હાથે કામ લેવું જોઈએ, ભૂખે ટળવળતા ગરીબોને રાહત પહોંચાડવા તત્કાળ પગલાં ભરવાં જોઈએ, કોઈની પણ વાત શાંતિ ને સહાનુભૂતિપૂર્વક સાંભળીને તેને કાંઈક સમાધાન કરાવવા પ્રયાસ કરવો જોઈએ.

વિદ્યાર્થીઓ હિંસા તરફ વળે છે શું કામ?

આ ઉપરાંત હજી વધુ ઊંડા ઊતરવું પડશે. આપણે શોધી કાઢવાની મહત્ત્વની વાત કોઈ હોય તો એ કે, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ બસો સળગાવી મૂકવાનાં ને એવા પ્રકારનાં કૃત્યો તરફ વળે છે શું કામ? અને એમનાં આવાં કૃત્યોને અટકાવવા માટે આપણે કર્યું શું? દેખીતી રીતે આ માટે આપણે વિદ્યાર્થીઓને સમજવાની કોશિશ કરવી જોઈએ. એમને આવા વર્તન માટે ઉશ્કેરનારું કારણ શું છે? કેટલાક વિદ્યાર્થી ‘નેતાઓ’ ગુનાખોર વૃત્તિવાળા હોવાથી વિદ્યાર્થીઆલમ સાથે કશી જ લેવાદેવા ન હોય તેવા ગુંડાને તોફાનીઓની ટોળકીઓને સાથે રાખીને આવાં કૃત્યો કરાવવામાં રસ ધરાવતા હોય, એ શક્ય છે. પરંતુ વિદ્યાર્થીઆલમમાં પ્રવર્તી રહેલ અસંતોષની સમસ્યાને ગુનાખોરીનું લેબલ ચોંટાડીને કાઢી નાખી શકાય નહીં. એનાં કારણોના મૂળમાં તો આપણી અનુચિત ને અમુક અંશે સડી ગયેલ શિક્ષણ-પદ્ધતિ છે, શિક્ષિતોની બેકારીને કારણે એમનામાં આવેલ હતાશા છે, અને સાથે સાથે સામાજિક ને આર્થિક વિકાસ માટેની તદ્દન ઊંધે જ માર્ગે જઈ રહેલી આપણી નીતિઓ છે. બધાંના મૂળમાં રહેલી આ પાયાની સમસ્યાનો ઉકેલ શોધી કાઢવા આપણે મથવાનું છે.

વિદ્યાર્થીઆલમમાં પ્રવર્તતા અસંતોષ અંગેના સંશોધન-અહેવાલો આ બધા સવાલોના જવાબ આપી શકતા નથી. પરંતુ એમાંથી જે કાંઈ જવાબો આજ લગીમાં જડ્યા છે, તેના આધારે એક નવી નીતિ એ ક્ષેત્ર પૂરતી ઘડી કાઢવી જરૂર શક્ય છે. પરંતુ એ નીતિને અમલમાં મૂકવાની હિંમત કોનામાં છે? કારણ, એ નીતિ કેવળ શિક્ષણ ક્ષેત્રને જ લાગુ પડનારી નથી હોવાની, એમાં બીજાં અનેક ક્ષેત્રો આવરી લેવાં પડે એમ હશે, જેમ કે આર્થિક ને સામાજિક વિકાસની દિશા, તેમ જ સમાજના વર્ગીય માળખાની પુનર્રચના ઇત્યાદિ. મને ભય છે કે આપણા સમાજનો મધ્યમ વર્ગ — જે આપણા બધા રાજકારણીઓ, વહીવટી અધિકારીઓ, શિક્ષકો, વેપારીઓ ને ઇતર ધંધાદારી લોકોનો બનેલો છે એ મધ્યમ વર્ગ જ — હંમેશાં કોઈ ને કોઈ બહાને સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કારિક ક્ષેત્રે યા શિક્ષણતંત્રમાં ધરમૂળના ફેરફારો કરવાની આડે આવી ઊભો રહેતો હોય છે.

સવિનય કાનૂનભંગ અને સત્યાગ્રહ

આંદોલનના સંદર્ભમાં એક મુદ્દો સવિનય કાનૂનભંગનો પણ વિચારવાનો છે. સામાન્ય રીતે આંદોલનોમાં સવિનય કાનૂનભંગ ઇત્યાદિ બાબતોનો સમાવેશ નથી થતો. પરંતુ અસાધારણ સંજોગોમાં કે જ્યારે સરકાર ભ્રષ્ટાચાર ઇત્યાદિ પોતાનાં અનિષ્ટોને હઠપૂર્વક વળગી રહેતી હોય તથા તાકીદની જરૂરિયાતો અંગેની પ્રજાની વાજબી ઝુંબેશોને દમનથી કચડી નાખવા માગતી હોય (દાખલા તરીકે બિહારના વિદ્યાર્થી-આંદોલનનું થયેલું તેમ), તો એવી પરિસ્થિતિમાં સવિનય કાનૂનભંગનું હથિયાર અજમાવવાની પણ ફરજ પડે છે.

વળી, એવાં ક્ષેત્રો કે જ્યાં સચોટ રીતે સવિનય કાનૂનભંગનું હથિયાર વાપરી શકાય એવું ન હોય, ત્યાં સત્યાગ્રહનો ખપ પણ પડે છે. દાખલા તરીકે સામાજિક યા આર્થિક શોષણની સામે. આમાં જો સરકાર શોષણખોરોનો પક્ષ લઈ આડી પડે, તો આવા સત્યાગ્રહો સરકાર સામેના સવિનય કાનૂનભંગનું સ્વરૂપ પણ પકડી શકે. દેશના અનેક ભાગોમાં અનેક વાર આવા સંજોગો ઊભા થતા જ રહ્યા છે.

એક સવાલ એ પણ છે કે કોઈ પણ ચૂંટાયેલી સરકાર અને વિધાનસભાને બરખાસ્ત કરાવવા માટે સવિનય કાનૂનભંગનો ઉપયોગ થઈ શકે કે કેમ? આ વિશે બંધારણના નિષ્ણાત એવા કાયદાશાસ્ત્રીઓએ બંધારણીય દૃષ્ટિએ તેના વાજબીપણાની છણાવટ કરેલી છે. વિધાનસભા-વિસર્જનની માંગ ગેરબંધારણીય નથી. તેને બંધારણ બહારની ભલે કહો, પણ તે લોકશાહી-વિરોધી તો નથી જ. અલબત્ત, એટલું નોંધાવું જોઈએ કે ચૂંટાયેલી સરકારો અને વિધાનસભાઓની બરતરફી માટે સવિનય કાનૂનભંગનો સર્વસામાન્ય રીતે ઉપયોગ થવો જોઈએ નહીં. અસામાન્ય સંજોગોમાં જ એ માર્ગનો આશરો લેવાય. અને તે પણ સંપૂર્ણ શાંતિમય રીતે જ કાનૂનભંગનો આ કાર્યક્રમ થવો જોઈએ.

આંદોલન હંમેશાં સંપૂર્ણપણે શાંતિમય જ રહેવું જોઈએ, એ વાત કદાપિ ભુલાવી ન જોઈએ. ગમે તેવા સંજોગોમાં પણ લોકો ઉશ્કેરાઈને હિંસાનો આશરો ન લે. કેમ કે એમ થશે તો તેનાથી આંદોલનને જ ધોખો પહોંચશે. સરકાર તરફથી ગમે તેટલું દમન થાય, તોયે આંદોલન દરેક સ્તરે શાંતિમય જ રહે. અશ્રુવાયુ, લાઠી, ગોળી બધાંની સામે પણ આંદોલન કરનારા હંમેશાં શાંત જ રહે. બિહાર આંદોલનનો નારો — ‘હમલા ચાહે જૈસા હોગા, હાથ હમારા નહીં ઊઠેગા, નહીં ઊઠેગા!’ — દરેકે દરેક લોક-આંદોલન માટે શાંતિના મંત્રરૂપ બની રહેવો જોઈએ.

રાજકીય પક્ષો માટેની પરહેજી

એવી જ રીતે આવાં આંદોલનોને રાજકીય પક્ષોના હાથની કઠપૂતળી પણ ન બનવા દેવાં જોઈએ. આવાં લોક-આંદોલન કોઈ પણ રાજકીય પક્ષ કે પક્ષોના નેતૃત્વમાં ચાલશે, તો ઇષ્ટ નહીં થાય. આંદોલનમાં ભાગ લેનાર તમામ વ્યક્તિઓએ પણ બિન-પક્ષીય રહેવું જોઈએ અને તે અનુસાર જ વર્તવું જોઈએ. પક્ષવાળા તેમાં ભાગ લે, તો એમની ભૂમિકા પણ પક્ષીય ન રહેવી જોઈએ. રાજકીય પક્ષોને મન જનશક્તિ કરતાં પક્ષશક્તિનું મહત્ત્વ વધારે હોય છે. રાજકીય પક્ષોની એ એક સ્વભાવગત વસ્તુ છે કે તેઓ આંદોલનનો પક્ષીય રીતે લાભ લેવા મથવાના જ. તેથી પક્ષો જો આવા લોક-આંદોલનમાં ભાગ લેવાના હોય તો એમનામાં પણ આંદોલનનાં હિત આગળ પોતાનાં પક્ષીય હિતોને ગૌણ ગણવાની વૃત્તિ જાગવી જોઈએ. અને આંદોલનમાં જે પ્રભાવક બિનપક્ષીય નેતૃત્વ ઊભું થયું હશે, પૂરતી જન-જાગૃતિ આવી હશે, જનશક્તિ પેદા થઈ હશે, તો આંદોલનના બિનપક્ષીય સ્વરૂપની માવજત કરવાનું શક્ય બનશે.

આંદોલન માટે પરિસ્થિતિ પાકવી જોઈએ

ખેર, એક વાત એ પણ સમજવાની છે કે, મોટી લોક-લડતનું વાતાવરણ પણ કાંઈ આપણી ઇચ્છા મુજબ ઊભું કરી શકાતું નથી હોતું. એમ તો કોઈ પણ લડતને માટેની પૂર્વભૂમિકા સમાં ગરીબી, બેકારી, કુશિક્ષણ ઇત્યાદિ તત્ત્વો સમાજમાં હંમેશાં પડેલાં જ હોય છે. પરંતુ તેમાંથી આવું કોઈક લોક-આંદોલન પ્રગટાવવા માટે, સમાજની સૂકાં ઈંધણ જેવી પરિસ્થિતિમાં ચેતન પ્રગટાવવા માટે, એકાદ ચિનગારીની જરૂર પડે છે.

હનુમાન વિશે કહેવાય છે કે જેટલા શાંત તેટલા જ સામર્થ્યવાન હતા. જનતા પણ હનુમાન જેવી છે. એનામાં અસીમ શક્તિ ભરી પડી છે. સવાલ કેવળ એ શક્તિને ઢંઢોળવાનો, એને સંગઠિત કરવાનો અને એને ચાલવા દેવાનો છે. અને ઇતિહાસમાં એવા ઘણા દાખલાઓ પડ્યા છે કે સમાજ સાવ સૂતો મર્યા જેવો પડ્યો હોય, તે અચાનક આળસ મરડીને ઊઠે અને તખતો પલટી નાખે, સરકારો બદલી નાખે, પદ્ધતિઓ ફેરવી નાખે, અને સમાજ સાવ પરિવર્તિત થઈ જાય. જનતા પોતે જ આ બધું કરે. સંજોગો જ એવા આવી મળે. પરંતુ સમજવાની વાત એ છે કે, માણસ પોતાની ઇચ્છાથી આવું લોક-આંદોલનનું વાતાવરણ ઊભું કરી શકતો નથી. તેને માટે પરિસ્થિતિ પાકવી જોઈતી હોય છે.

પરિસ્થિતિના પિંડમાંથી આંદોલનને ઘાટ આપવો પડે છે

બીજી વાત એ કે, જ્યારે પરિસ્થિતિ પરિપક્વ બને, ત્યારે પણ એવી પરિસ્થિતિના પિંડમાંથી એક ક્રાંતિકારી આંદોલનનું સ્વરૂપ પેદા કરવું, એ નેતાનું કામ છે. દાખલા તરીકે, બિહાર આંદોલનમાં જોઈએ તો, શરૂઆતમાં જે કેવળ વિદ્યાર્થી આંદોલન હતું, તેનું સમગ્ર આમજનતાના લોક-આંદોલન તરીકે સ્વરૂપાંતર કરી શકાયું હતું. બિહાર આંદોલનનું નેતૃત્વ મેં સ્વીકાર્યું ત્યારથી લોકોને મેં સ્પષ્ટ સમજાવ્યું કે, એક સરકાર જશે અને બીજી આવશે તેટલા માત્રથી ન ભ્રષ્ટાચાર નાબૂદ થશે, ન બેકારી દૂર થશે, ન શિક્ષણમાં કોઈ સમૂળું પરિવર્તન આવશે. એવી ઊથલપાથલ તો આટલાં વરસોમાં કેટલી બધી થઈ! પણ તેનાથી શો ફરક પડ્યો? માટે આ રોગોનાં મૂળમાં જવાનું છે. અહીં તો ઘાણીના બળદની જેમ આની આ વ્યવસ્થામાં ચક્કર લગાવ્યા કરવાથી જનતાને કદી રાહત થઈ શકવાની નથી. એ તો ભૂત જશે ને પલીત જાગશે! સાપનાથની જગ્યાએ નાગનાથ આવશે, એટલું જ. એટલે મેં કહ્યું કે, હવે આ આંદોલન મર્યાદિત ન રહેતાં સમગ્ર જનતાની લડત બને છે. તેનું ધ્યેય સંપૂર્ણ ક્રાંતિ હાંસલ કરવાથી લવલેશ ઓછું નહીં હોય. આ નિમિત્તે તો આપણી પાસે એક એવો સુવર્ણ અવસર આવ્યો છે કે આખાયે જન-જીવનમાં આ આંદોલનને ફેલાવીને આપણે આખા દેશનું નૈતિક વાતાવરણ ઊંચું લાવી શકીએ અને એક નૈતિક ક્રાંતિ કરીએ.

પ્રજામાં તે વખતે જબરો ઉત્સાહ હતો અને એક આશા ને અપેક્ષાનું વાતાવરણ હતું. પ્રજાના આ ઉત્સાહ અને સદ્ભાવને યોગ્ય માર્ગે વાળીને તેમાંથી કઈ રીતે સારામાં સારાં પરિણામ લાવી શકાય, તે માટેની મારી મથામણ હતી. અને આ પરિણામ એટલે પટણામાં થોડી ઊથલપાથલ કે ધારાસભાનું વિસર્જનમાત્ર જ નહીં, બલકે સમાજમાં કેટલાંક મૂળભૂત પરિવર્તન. આને માટે અમે સંગઠનનું કામ નીચેથી ઉપાડેલું. જનસંઘર્ષ સમિતિ અને છાત્ર સંઘર્ષ સમિતિઓની રચના કરી. આ સંઘર્ષ સમિતિઓને અમે એ વાત પણ ખાસ સમજાવતા કે, તમારે સંપૂર્ણ ક્રાંતિના વાહક બનવાનું છે. તમારે કેવળ સત્તાની સામે જ સંઘર્ષ નથી કરવાનો, પણ અન્યાય, વિષમતા, અનીતિ, શોષણ વગેરેની સામે પણ સંઘર્ષ કરવાનો છે. અને જ્યાં પૂરતી જનશક્તિ જાગ્રત થઈ હોય, ત્યાં જનતા સરકાર રચવાનો કાર્યક્રમ ઉપાડાતો. જનતા સરકારનો કાર્યક્રમ એ આમપ્રજાની એક અત્યંત રચનાત્મક પ્રવૃત્તિ હતી.

આમ, બિહારનું વિદ્યાર્થી આંદોલન માત્ર એક પ્રાદેશિક કે અમુક વર્ગનું જ આંદોલન ન રહેતાં તેને સમાજવ્યાપી અને દેશવ્યાપી મહત્ત્વ પ્રાપ્ત થયું હતું. કોઈક તાત્કાલિક હેતુની સિદ્ધિ માટે નહીં, પણ સમાજમાં એક સર્વાંગીણ પરિવર્તન લાવવા માટે એક લોક-આંદોલન આકાર ધારણ કરી રહ્યું હતું. હું એમ પણ કહેતો કે, અમને capture of power — સત્તા હાથમાં લેવામાં કે કબજે કરવામાં કોઈ રસ નથી, control of power — સત્તા ઉપર અંકુશ રાખવામાં જ રસ છે, and that too by the people — અને એ અંકુશ પણ લોકો મારફત રખાતો અંકુશ. રાજ્યશક્તિ ઉપર જનશક્તિનો અંકુશ હોવો જોઈએ, એવું હું પ્રતિપાદન કરતો અને સંપૂર્ણ ક્રાંતિની વાત લોકોને સમજાવતો.

આંદોલનના સંદર્ભમાં બીજો એક મુદ્દો એ છે કે, આવું લોક-આંદોલન લાગતીવળગતી સરકારોના સહકારમાંયે ચાલી શકે. લોક-આંદોલનની કલ્પનામાં સરકાર સાથેનો સંઘર્ષ અનિવાર્ય નથી. જે-તે સરકાર આંદોલન સાથે કેવો વર્તાવ કરે છે, તેના પર એ નિર્ભર છે.

લોકશક્તિ-નિર્માણમાં સત્યાગ્રહનો ઉપયોગ

ખેર, આંદોલનમાં ભળનારાઓને હું એમ પણ સમજાવતો રહેતો કે આમાં આપણે સત્યાગ્રહીની ભૂમિકામાં કામ કરવાનું છે. સત્યાગ્રહમાં એક નિહિતાર્થ છે કે સત્યાગ્રહીનું પોતાનું આંતરિક પરિવર્તન થવું જોઈએ. એનો અર્થ એ કે જેઓ બીજામાં પરિવર્તન આણવા ઇચ્છતા હોય, એમણે પહેલાં પોતાની જાતમાં પરિવર્તન સાધ્યા પછી જ કોઈ પણ પ્રકારના સત્યાગ્રહની દિશામાં પગલું ભરવું જોઈએ. પરંતુ આ સત્યાગ્રહના શસ્ત્રનો ઉપયોગ જેમ ગાંધીજીએ લોકશક્તિ પેદા કરવા માટે કરેલો, તેમ આપણે પણ આવાં આંદોલનોમાં કરવો પડશે. એમ લાગે છે કે લોકશક્તિ નિર્માણ કરવી હશે, તો લોકોને એવી પ્રતીતિ થવી જોઈશે કે જે કેટલીક સમસ્યાઓથી આજે અમે ત્રસ્ત છીએ, તેને દૂર કરવા માટે, તેનો ઉકેલ લાવવા માટે કાંઈક કામ થઈ રહ્યું છે. તો જ લોકો એને પોતાની લડત સમજે છે અને તેમાં ભળે છે. એ લોકશક્તિને પછી સંગઠિત કરવી પડે છે.

સરવાળે મૂળમાં સવાલ એ છે કે આ સમાજના આખાયે તંત્રમાં પરિવર્તન આણવું શી રીતે? જેને હું સંપૂર્ણ ક્રાંતિ કહું છું, તેમાં પદાર્પણ કરવાનો માર્ગ કયો? સંપૂર્ણ ક્રાંતિ માટેની મથામણમાં આવાં લોક-આંદોલનો કેટલો અને કેવો ભાગ ભજવી શકે? આ બધા મુદ્દાની ઝીણવટભરી છણાવટ થતી રહેવી જોઈશે.

ક્રાંતિકાર્યમાં લોક-આંદોલનનું સ્થાન

મને એમ લાગે છે કે, રાષ્ટ્રના જીવનમાં કોઈ પણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિણામો હાંસલ કરવાં હશે, તો તે માટે વિવિધ પ્રકારનાં સાધનો વાપરવાં પડશે. દાખલા તરીકે, લોકશિક્ષણ અર્થાત્ સમજાવટ દ્વારા દબાણ આણીને, આમજનતાનાં આંદોલન દ્વારા દબાણ આણીને, જરૂર પડ્યે અસહકાર દ્વારા, નાગરિકોનાં વિરોધ-પ્રદર્શનો દ્વારા તથા સવિનય કાનૂનભંગની લડતો દ્વારા દબાણ આણીને એ કાર્ય સાધી શકાશે. પરંતુ લોક-આંદોલનના સંદર્ભમાં એક મુખ્ય મુદ્દો એ પણ છે કે આવું આંદોલન નિરંતર ચાલતું રહેવું જોઈએ. કેમ કે છેવટે તો લોકોનો પોતાનો અભિક્રમ જાગે તે સિવાય બીજી કોઈ રીતે સમાજનું નવ-ઘડતર શક્ય નહીં બને. લોકો પોતાનું જીવન અને પોતાનું ભાવિ પોતાને હાથે ઘડી શકે, લોકો જાતે પોતાનું કામ કરતા થાય. પરંતુ જોવા એમ મળે છે કે આવી લોકશક્તિ ક્યારેક લોક-આંદોલનના સ્વરૂપમાં દેખા દે છે, અને ત્યારે તે સમાજને અવશ્ય આંદોલિત કરે છે. પરંતુ તે માત્ર તત્કાળ પૂરતું જ. એટલું કરીને એ સમાપ્ત થઈ જાય છે. તેની પ્રક્રિયા નિરંતર ચાલતી નથી. હું જોવા માગું છું એક નિરંતર ક્રાંતિ. માણસમાં જે કાંઈ શ્રેષ્ઠ છે, તેમાંથી પ્રેરણા પામીને ક્રાંતિકારી પરિવર્તનો કાયમ થતાં રહે. અને આ માટે લોકશક્તિ માત્ર લોક-આંદોલનના જ સ્વરૂપમાં નહીં, પણ કોઈક ને કોઈક સંગઠનાત્મક સ્વરૂપમાંયે પ્રગટ થવી જોઈએ. ક્રાંતિકારી લોકશક્તિના નિર્માણ માટે આ જરૂરી છે.

[‘મારી વિચારયાત્રા’ માંથી સંપાદિત, અનુવાદ : કાન્તિ શાહ]



સૌજન્ય : “नवजीवनનો અક્ષરદેહ”, જાન્યુઆરી 2020; પૃ. 14-19

Loading

સત્તાનો પાયો અને શારીરિક હિંસા

ટૉલ્સ્ટૉય|Gandhiana|18 March 2020

સત્યાગ્રહવિશેષ

સિટીઝનશિપ ઍમેન્ડમેન્ટ ઍક્ટ (CAA) — નૅશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ(NRC)નાં વિરોધ-પ્રદર્શનો મહદ્દ અંશે અહિંસક રીતે થઈ રહ્યાં છે; ક્યાંક છૂટીછવાઈ હિંસા પણ તેમાં જોવા મળી. શાસન સામે વિરોધ દર્શાવવાનું એક આખું શાસ્ત્ર ગાંધીજી આપી ગયા છે. સત્યાગ્રહ રૂપે આ શાસ્ત્ર ગાંધીજી આજીવન શાસન સામે યોજતા રહ્યા; તે સતત વિકસતું શાસ્ત્ર છે. તે વિશે ગાંધીજીએ કહ્યું છે : “મેં કલ્પેલો સત્યાગ્રહ એ એક ઘડાઈ રહેલું શાસ્ત્ર છે.” અને એટલે ગાંધીજીના નિર્વાણ બાદ જૂન, ૧૯૪૮માં કાલેલકર સત્યાગ્રહની મીમાંસા કરે છે ત્યારે સ્પષ્ટપણે લખે છે : “સત્યાગ્રહના શાસ્ત્રનો યથાર્થ જાણકાર કોઈ દેખાતો નથી.” આ કિસ્સામાં સત્યાગ્રહ આદરવો હોય તો ગાંધીજીની મૂળ વિભાવના તરફ પાછા ફરવું પડે.

દેશના હાલના માહોલને અનુલક્ષીને સત્યાગ્રહની આસપાસનું એક ચિત્ર મળી રહે તે ઉદ્દેશથી અહીંયાં પ્રસ્તુત લેખો મૂક્યા છે. કાકાસાહેબ કાલેલકરે રજૂ કરેલી સત્યાગ્રહની મીમાંસા મૂકી આપી છે. લોકશાહીમાં સત્યાગ્રહની વિભાવના શી હોઈ શકે અને તેને અમલી કેવી રીતે બનાવી શકાય તે માટે ગાંધીજીના વિચારોને રજૂ કર્યા છે. આચાર્ય કૃપાલાનીએ સત્યાગ્રહનું પૂરું શાસ્ત્ર સમજાવ્યું છે. લોકનાયક જયપ્રકાશ નારાયણે આંદોલનને અમલી બનાવવાનું હાર્દ સમજાવ્યું છે, જે વર્તમાન પરિપ્રેક્ષ્યમાં સમજવા જેવું છે. અંતે ટૉલ્સ્ટૉયનો લેખ છે, જેમાં રાજ્યવ્યવસ્થા દબાણ હેઠળ આવે ત્યારે કેવી રીતે વર્તે તેનું આલેખન છે. સત્યાગ્રહ અને તેની આસપાસના મુદ્દાઓ આ લેખોમાં રજૂ થાય છે. ગાંધીજીના સત્યાગ્રહ સંબંધે તે સમજવા ઉપયોગી થાય એમ છે.

•••

[મૂળ શીર્ષક : આજનો જમાનો]

સદાચારના સિદ્ધાંતની અસરથી માણસની વાસનાઓમાં પરિવર્તન થાય છે, તેથી તે પોતાનું કર્તવ્ય સ્વેચ્છાએ પાળે છે, જે શ્રેય છે તેને જ પ્રેયરૂપ માને છે. જે માણસ સદાચારના સિદ્ધાંતની અસરને વશ થાય છે તેને સદાચારના નિયમોને અનુસરીને ચાલવામાં મજા પડે છે. બીજી બાજુ સત્તા — તેના રૂઢ અર્થમાં — એ બળજબરીનું એક સાધન છે, અને તેના વડે માણસને તેની ઇચ્છાથી ઊલટી રીતે વર્તવાની ફરજ પાડી શકાય છે. જે માણસ સત્તાને વશ થાય છે તે મનમાં આવે તેમ વર્તતો નથી, ને જોરજુલમની આગળ શિર ઝુકાવે છે. માણસને જે કામનો અણગમો હોય તે તેની પાસે પરાણે કરાવવા માટે શારીરિક હિંસાની ધમકી આપવી જોઈએ, અથવા હિંસા વાપરવી જોઈએ — તેની સ્વતંત્રતા છીનવી લેવી જોઈએ, તેને ફટકા મારવા જોઈએ, તેનાં અંગ છેદવાં જોઈએ, અથવા તો તેને આ સજાઓની ધમકી આપવી જોઈએ. સત્તાનું આવું સ્વરૂપ પૂર્વે હતું ને આજે પણ છે.

આ હકીકતો છુપાવવાને અને સત્તાનો અર્થ આથી જુદો છે એમ બતાવવાને, રાજ્યકર્તાઓ તરફથી તનતોડ ને અવિરત પ્રયાસો થાય છે. છતાં સત્તાનો અર્થ આટલો જ છે — માણસને જેના વડે બાંધીને ઘસડવામાં આવે છે તે દોરડું ને સાંકળ; જેના વડે તેને ફટકારવામાં આવે છે તે ચાબખો; જેના વડે તેનાં હાથપગ, નાક, કાન ને માથું કાપી નાખવામાં આવે છે તે છરો કે કુહાડી; સત્તા એટલે આ બધાં કામો અથવા તેની ધમકી. એ પ્રથા નિરો ને ચંગીઝખાનના સમયમાં ચાલુ હતી, અને ફ્રાન્સ ને અમેરિકાનાં પ્રજાસત્તાક રાજ્યો જેવી અતિશય ઉદારતાવાળી સરકારોમાં હજુ પણ ચાલુ છે. માણસો સત્તાને તાબે થાય છે તેનું કારણ એટલું જ છે કે તેમને બીક હોય છે કે જો આપણે સામે થઈશું તો આપણા પર ત્રાસ ગુજરશે. કરનાં ભરણાં અને સાર્વજનિક કર્તવ્યોના પાલન જેવા રાજ્યના તમામ લાગાઓ, દેશનિકાલ, દંડ વગેરેની સજાઓ — જેને માણસ સ્વેચ્છાએ તાબે થતો દેખાય છે — તેનો અમલ હંમેશાં શારીરિક સજાની ધમકી આપીને અથવા તેવી સજા ખરેખાત કરીને કરવામાં આવે છે.

શારીરિક હિંસા એ સત્તાનો મૂળ પાયો છે.

રાજ્યની સત્તા જેટલી જૂની થતી જાય છે તેટલા પ્રમાણમાં તેનું સામર્થ્ય વધતું જાય છે. તેમ તેમ રાજ્યની સત્તા, ભલે આંતરિક હિંસાને નાબૂદ કરતી હોય, પણ જીવનમાં બીજા અને નવા પ્રકારની હિંસા દાખલ કરે છે, ને તે હિંસાની ઉગ્રતા ઉત્તરોત્તર વધતી જાય છે. સમાજની અંગભૂત વ્યક્તિઓ એકબીજા સામે જે હિંસા કરે છે તેના કરતાં રાજ્યસત્તાની હિંસા ઓછી દેખીતી ને ઓછી ચોંકાવનારી હોય છે એ ખરું; અને એ હિંસાનું મુખ્ય પ્રગટ રૂપ તે કલહ નથી પણ જુલમ છે એ પણ સાચું; છતાં તે હિંસા મોટામાં મોટા પ્રમાણમાં હસ્તી ધરાવે છે એ વિશે કશો જ સંદેહ નથી.

એથી ઊલટું હોઈ શકે પણ નહીં, કેમ કે હાથમાં સત્તા આવવાથી માણસો બગડે છે, એટલું જ નહીં પણ રાજ્યકર્તાઓ પોતાની રૈયતને વધારેમાં વધારે નબળી બનાવી મૂકવા હંમેશાં મહેનત કરે છે — કેમ કે રૈયત જેટલી નબળી તેટલી તેને તાબે રાખવાની મહેનત ઓછી.

તેથી પીડિત પ્રજાની સામે વપરાયેલી હિંસાને તેની પરાકાષ્ઠાએ પહોંચાડવામાં આવે છે; સોનાનાં ઈંડાં મૂકનારી મરઘીને જાનથી મારવાનું બાકી રાખવામાં આવે છે એટલું જ. પણ અમેરિકાના રેડ ઇન્ડિયનો, ફીજી દ્વીપવાસીઓ કે હબસીઓની પેઠે જો એ મરઘી ઈંડાં મૂકતી બંધ થઈ ગઈ હોય તો તેને મારી નાખવામાં આવે છે; એ ક્રિયાની સામે પરગજુ લોકો સાચી લાગણીથી ગમે તેટલા વિરોધો કે ધમપછાડા કરે તેની કશી પરવા કરવામાં આવતી નથી.

આ કથનની સૌથી સચોટ સાબિતી અત્યારે મજૂરવર્ગની સ્થિતિમાંથી મળી રહે છે. એ લોકો ખરેખાત જિતાયેલા ને પરાધીન માણસો છે.

એમની સ્થિતિ હળવી બનાવવાના પ્રયત્નો કરવાનો ગમે તેટલો ડોળ ઉપલા વર્ગો કરતા હોય, છતાં જગતના તમામ મજૂરો પર જરાયે ચસે નહીં એવું જબરદસ્ત જુલમી શાસન ચાલે છે. એ શાસન કહે છે કે તેમની કાયા માંડ ટકી રહે એટલી જ મજૂરી તેમને અપાય, જેથી તેમને ગરજના માર્યા સારું ખાધા વિના વૈતરું કરવું પડે; અને એ વૈતરાનાં ફળ તેમના માલિકો, બીજા શબ્દમાં કહીએ તો તેમના વિજેતાઓ ભોગવશે.

હંમેશાં એમ બનતું આવ્યું છે કે સત્તા લાંબો વખત ચાલુ રહ્યા ને વધ્યા પછી, તેને તાબે થયેલા લોકોને મળવા ઘટતા લાભ મળતા નથી, પણ ઊલટા તેમને થતા ગેરલાભ વધતા જાય છે.

પણ હજુ હમણાં સુધી એ લોકોને આ વાતની ખબર ન હતી, ને તેઓ તો મોટે ભાગે ભોળપણમાં માનતા કે સરકારો તેમના લાભને માટે ને તેમને વિનાશમાંથી બચાવવા માટે રચાયેલી છે. માણસો સરકારો વિના રહી શકે એ વિચાર સેવવામાં પાર વિનાનો અધર્મ રહેલો છે; અને એ વિચારમાંથી તો અરાજકતા જ પેદા થાય ને પારાવાર દુ:ખો નીપજે.

અત્યાર લગી સર્વ રાષ્ટ્રોએ વિકાસ પામતાં પામતાં સરકારનું રૂપ ધારણ કર્યું છે, એટલા માટે માનવજાતિનો વિકાસ સદાકાળ એ જ રસ્તે થઈ શકશે, બીજે રસ્તે નહીં — આ વિચાર લોકો ધરાવતા હતા; અને એ વિચાર પર તેઓને અઢળક આસ્થા હતી.

અને એ પ્રમાણે સેંકડો જ નહીં પણ હજારો વરસથી ચાલતું આવ્યું છે; અને સરકારોએ એટલે કે, તેમના પ્રતિનિધિઓએ, લોકોમાં આ ભ્રમ ટકાવી રાખવાનો પ્રયત્ન કર્યો છે ને હજુ કરે છે.

લોકો માને છે કે સરકારો બીજાં રાષ્ટ્રો સામે બચાવ કરવાના સાધન તરીકે લશ્કરો વધારે છે; તેઓ ભૂલી જાય છે કે સરકારને લશ્કરની જરૂર પડે છે તે મુખ્યત્વે પોતાની ગુલામ બનાવેલી રૈયતની સામે ખુદ પોતાનું રક્ષણ કરવા માટે.

આ જરૂર હંમેશાં પડેલી છે, અને કેળવણી ફેલાતી ગઈ ને જુદી જુદી પ્રજાઓ વચ્ચે વહેવાર વધતો ગયો તેમ એ જરૂર પણ વધતી ગઈ છે; અને અત્યારે, સામ્યવાદી, સમાજવાદી, અરાજકતાવાદી ને મજૂરોની હિલચાલો ચાલી રહી છે એટલા માટે, એ જરૂર અગાઉના કરતાં ઘણી વધી ગઈ છે ને ઘણી વધારે તાત્કાલિક થઈ પડી છે. સરકારો આ વાત સમજે છે, અને પોતાના બચાવનું મુખ્ય સાધન જે લશ્કર તેમાં ઉમેરો કરે છે.

મજૂરની પાસે જમીન નથી, દરેક માણસને જન્મસિદ્ધ હક છે તે — એટલે કે, જમીનમાંથી પોતાને અને પોતાના કુટુંબને માટે આજીવિકાનું સાધન પ્રાપ્ત કરવાનો હક — ભોગવવાની છૂટ તેને નથી, તેનું કારણ એ નથી કે લોકો તેનો વિરોધ કરે છે; તેનું કારણ તો એ છે કે આ હક મજૂરોને આપવાનો કે તેમની પાસેથી છીનવી લેવાનો અધિકાર અમુક વ્યક્તિઓને —એટલે કે, જમીનદારોને — અપાયેલો હોય છે. અને આ અકુદરતી વ્યવસ્થા લશ્કરને જોરે ટકાવી રાખવામાં આવે છે. મજૂરોએ રળેલી ને બચાવેલી અઢળક ધનસંપત્તિને સાર્વજનિક મિલકત ન ગણતાં અમુક મુઠ્ઠીભર માણસોના ઉપભોગની વસ્તુ ગણવામાં આવે છે; અમુક માણસોને મજૂરો પાસેથી કર ઉઘરાવવાની સત્તા અને એ પૈસાનો મનમાન્યો ઉપયોગ કરવાનો હક આપવામાં આવેલો છે; મજૂરોની હડતાળોને દબાવી દેવામાં આવે છે, ને મૂડીવાળાઓનાં સંગઠનોને ઉત્તેજન આપવામાં આવે છે; અમુક માણસોને ધર્મના ને સાહિત્યના શિક્ષણની બાબતમાં અને બાળકેળવણીના વિષયમાં પસંદગી કરવાની છૂટ અપાયેલી છે; અમુક બીજાઓને માણસમાત્રને માનવા પડે એવા કાયદા ઘડવાનો હક અપાયેલો છે, અને તેઓ માણસોનાં જાનમાલ પર પ્રભુત્વ ભોગવે છે — એ બધાંનું કારણ એ નથી કે લોકો એ પ્રમાણે ઇચ્છે છે કે એ બધું નૈસર્ગિક ક્રમે એ પ્રમાણે બનવા પામ્યું છે. એનું કારણ તો એ છે કે સરકારો પોતાના તથા રાજ્યકર્તા વર્ગોના લાભને ખાતર એવી વ્યવસ્થા કરવા ઇચ્છે છે; અને આ બધું શારીરિક હિંસાની મદદ વડે કરવામાં આવે છે.

દરેક માણસને જો આ વાતની ખબર નહીં હોય, તો જ્યારે ચાલુ વ્યવસ્થા બદલવાના પ્રયાસો થશે ત્યારે તેને ખબર પડી રહેશે.

તેથી સર્વ સરકારો અને રાજ્યકર્તા વર્ગોને સૌથી વધારે જરૂર લશ્કરની રહે છે. તેનો હેતુ જે જીવનવ્યવસ્થા ટકાવી રાખવાનો હોય છે તે વ્યવસ્થા લોકોની જરૂરિયાતો જોઈને નથી રચવામાં આવી, એટલું જ નહીં પણ ઘણી વાર તેમને હાનિકારક હોય છે, અને તેમાંથી લાભ તો ફક્ત સરકારને અને રાજ્યકર્તા વર્ગોને જ મળે છે. …

આપણને કહેવામાં આવે છે કે રાજ્ય આવશ્યક છે તેનાં આટલાં કારણો છે : પહેલું એ કે જો રાજ્ય ન હોય તો હિંસા અને દુર્જનોના હુમલામાંથી કોઈ સુરક્ષિત ન રહે; બીજું એ કે રાજ્ય વિના આપણે જંગલી રહી જઈએ, અને આપણી પાસે ધર્મ, નીતિ, કેળવણી, શિક્ષણ, વેપાર, અવરજવરનાં સાધનો એમાંનું કશું, અથવા બીજી કોઈ પણ સામાજિક સંસ્થા ન હોય; અને ત્રીજું એ કે રાજ્ય ન હોય તો પડોશની પ્રજાઓ આપણા પર ચડાઈ કરે એ દહેશત હંમેશાં રહે.

આપણને કહેવામાં આવે છે કે, “જો રાજ્ય ન હોત તો આપણે સ્વદેશમાં વસતા દુર્જનોનાં હિંસા અને હુમલાના ભોગ થઈ પડત.”

પણ જેમનાં હિંસા અને હુમલાઓમાંથી આપણને સરકાર અને લશ્કર બચાવે છે તે આ દુર્જનો કોણ છે? ત્રણ કે ચાર સૈકા પર, જ્યારે માણસો પોતાનાં યુદ્ધકળા ને બાહુબળ માટે ગર્વ ધરાવતા, જ્યારે માણસ પોતાના માનવબંધુઓને મારીને પોતાનું શૂરાતન સિદ્ધ કરતો ત્યારે, કદાચ આવા દુર્જનો હસ્તીમાં હશે. તો પણ એવા કોઈ અત્યારે આપણને દેખાતા નથી. આપણા જમાનાના માણસો હથિયારો વાપરતા નથી તેમ ફેરવતા નથી; અને પડોશીઓ પ્રત્યે હેત અને દયા રાખવાની શાસ્ત્રાજ્ઞા પર આસ્થા રાખીને તેઓ આપણા પોતાના જેટલા જ શાંતિ માટે ને શાંત જીવન માટે તલસે છે. તેથી જે ડાકુઓના આ અસાધારણ વર્ગની સામે આપણે રાજ્યનું રક્ષણ ખોળીએ છીએ તે વર્ગ જ હવે હસ્તી ધરાવતો નથી.

ખરું જોતાં તો આજકાલ એથી ઊલટી જ વાત કહી શકાય, કેમ કે જુનવાણી ને નિર્દય સજાની રીતો, તેમનાં કેદખાનાં, શૂળીઓ ને વધસ્તંભોને લીધે સરકારોની પ્રવૃત્તિ નીતિની અત્યારે પ્રવર્તતી સામાન્ય કક્ષાથી ઘણી હેઠી ઊતરેલી હોઈ, તેનાથી માણસોનું નીતિનું ધોરણ ઊંચું ચડવાને બદલે નીચું ઊતરવાની વકી રહે છે, અને તેથી એને લીધે ગુનેગારોની સંખ્યા ઘટવાને બદલે વધવાનો સંભવ રહે છે.

એમ કહેવામાં આવે છે કે “રાજ્ય વિના કેળવણી, નીતિ, ધર્મ, આંતરરાષ્ટ્રીય વહેવાર એ કશાને લગતી એક પણ સંસ્થા હસ્તીમાં ન હોત; અવરજવરનાં ને માલ લઈ જવા લાવવાનાં સાધનો પણ ન હોત. રાજ્ય ન હોત તો આપણને સહુને જરૂરી એવાં તંત્રો વિના આપણે ચલાવવું પડત.”

આ જાતની દલીલ સૈકાઓ પહેલાં જ પાયાદાર ગણી શકાત. દુનિયામાં દેશ દેશ વચ્ચે એટલો ઓછો વહેવાર ને એટલાં ઓછાં અવરજવરનાં સાધનો હતાં, અથવા તેઓ વિચારોની ચર્ચા કે આપલે કરવાને એટલા ઓછા ટેવાયેલા હતા કે રાજ્યની મદદ વિના વેપાર, ઉદ્યોગ, આર્થિક વહેવાર જેવી સહુના હિતને લગતી બાબતોમાં સહમત થઈ શકતા નહોતા—એવો સમય ક્યારે ય પણ હશે તોયે અત્યારે તો એવી સ્થિતિ નથી. બહોળો ફેલાવો પામેલાં અવરજવરનાં, લેવડદેવડનાં ને વિચારવિનિમયનાં સાધનોએ આ પરિણામ નિપજાવ્યું છે કે જ્યારે સમાજો, સંમેલનો, સંસ્થાઓ, પરિષદો, વૈજ્ઞાનિક, આર્થિક કે રાજકીય સભાસમિતિઓ સ્થાપવાની માણસને ઇચ્છા થાય ત્યારે તે સરકારોની મદદ વિના સહેજે ચલાવી શકે છે, એટલું જ નહીં પણ મોટા ભાગના દાખલામાં સરકારો એવા ઉદ્દેશોની સિદ્ધિમાં સહાયક કરતાં વિઘ્નકર્તા જ વધારે નીવડે છે.

ગયા સૈકાના અંત પછી માનવજાતિએ ઉપાડેલી લગભગ દરેક પ્રગતિશીલ હિલચાલ પર સરકારે ટાઢું પાણી રેડ્યું છે, એટલું જ નહીં પણ તેમાં અચૂક આડખીલીઓ નાખી છે. શારીરિક સજા, યાતના અને ગુલામીની પ્રથાઓ નાબૂદ કરવાના પ્રયત્નો એ આ જાતનો દાખલો છે. વર્તમાનપત્રોની સ્વતંત્રતા અને સભાઓ ભરવાની છૂટ મેળવવાના પ્રયત્નો એ બીજો દાખલો છે. વળી રાજ્યની સત્તાઓ અને સરકારો આજકાલ એમાં સહકાર ન આપીને અટકાતી નથી; માણસો જે પ્રવૃત્તિ વડે જીવનના નવા પ્રકારો રચવા મથે છે તે પ્રવૃત્તિમાં તેઓ સીધી રીતે અંતરાયો નાખે છે. મજૂરી ને જમીનના પ્રશ્નોના, રાજકીય અને ધાર્મિક સવાલોના ઉકેલને સરકારી સત્તા ઉત્તેજન તો નથી જ આપતી, પણ ઊલટી છડેચોક તેનો વિરોધ કરે છે.

“રાજ્ય અને સરકારની સત્તા ન હોત તો રાષ્ટ્રોને તેમના પડોશીઓ જીતીને તાબે કરી લેત.”

આ છેલ્લી દલીલનો જવાબ આપવા જેવો છે. એ પોતે જ પોતાનો રદિયો આપી દે છે.

આપણને કહેવામાં આવે છે કે પડોશી રાજ્યો કદાચ આપણને જીતીને તાબે કરે તેની સામે આપણા બચાવને સારુ સરકાર અને તેનું લશ્કર જરૂરનાં છે. પણ બધી સરકારો એકબીજાને વિશે એ જ વાત કહે છે; અને છતાં આપણે જાણીએ છીએ કે યુરોપનું દરેક રાષ્ટ્ર સ્વતંત્રતા ને ભ્રાતૃત્વના એકસરખા સિદ્ધાંતો માનવાનો દાવો કરે છે, અને તેથી કોઈ પણ રાષ્ટ્રને તેના પડોશીની સામે પોતાનો બચાવ કરવાની જરૂર પડવાની નથી. પણ જંગલી લોકો સામે બચાવ કરવો પડે એમ જો કહેવામાં આવે, તો અત્યારે શસ્ત્રસજ્જ છે તેટલા લશ્કરનો સોમો ભાગ એ કામને માટે પૂરતો છે. શસ્ત્રસજ્જ સૈન્યનો વધારો આપણને આપણા પડોશીઓના આક્રમણના ભયમાંથી બચાવી નથી શકતો, એટલું જ નહીં પણ જે આક્રમણને તે વખોડે છે તે આક્રમણ કરવાને માટે તે ઊલટી પેલા રાષ્ટ્રને ઉશ્કેરણી કરી આપે છે.

તેથી જે રાજ્યને નામે માણસને તેની શાંતિ, તેની સલામતી ને તેની જિંદગીનો ભોગ આપવાનું કહેવામાં આવે છે તે રાજ્યનું સ્વરૂપ ને તેનો અર્થ કેવાં છે એનો વિચાર કરી જોનાર કોઈ પણ માણસને એમ માન્યા વિના છૂટકો જ ન થાય કે એવા ભોગ આપવા માટે કશું જ વાજબી કારણ હવે રહ્યું નથી. …

(‘ચૂપ નહીં રહેવાય’માંથી સંપાદિત)



સૌજન્ય : “नवजीवनનો અક્ષરદેહ”, જાન્યુઆરી 2020; પૃ. 20-23

Loading

...102030...2,5472,5482,5492,550...2,5602,5702,580...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved