Opinion Magazine
Number of visits: 9576339
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગીત ગુલાબી

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|13 February 2020

હૈયાને દરબાર

તું જ્યારે બોલે ત્યારે
વાતો દિલની ખોલે ત્યારે
ધીમે ધીમે મનમાં જાણે વાગે ગીત ગુલાબી …
ગીત ગુલાબી ગીત ગુલાબી ગીત ગુલાબી ..!

હું કંઈ બોલું કે ના બોલું
તું કંઈ બોલે કે ના બોલે
ધીમે ધીમે મનમાં જાણે વાગે ગીત ગુલાબી
ગીત ગુલાબી ગીત ગુલાબી ગીત ગુલાબી ..!

મળવું તો … એક બહાના જેવું
રેલાતી સુગંધ જેવું
વાતોમાંથી કોઈ વાત મળે ને
ખોવાયેલો કોઈ તાર જડે
ને ધીમે ધીમે મનમાં જાણે વાગે ગીત ગુલાબી
ગીત ગુલાબી ગીત ગુલાબી ગીત ગુલાબી ..!

સાથે રહેવું સાકર જેવું
સરકી પડતા ચાકડ જેવું
આંખોમાં આખું પૂર મળે ને
સ્મિતમાં સાચો સૂર ચડે
ને ધીમે ધીમે મનમાં જાણે વાગે ગીત ગુલાબી
ગીત ગુલાબી ગીત ગુલાબી ગીત ગુલાબી ..!

•  કવિ : ચિંતન નાયક    •  સંગીતકાર : ઋષિ વકીલ   

•  ગાયક કલાકાર : દિવ્ય કુમાર અને પલક જોશી

———————

અમદાવાદના પોતાના રેકોર્ડિંગ સ્ટુડિયોમાં એક યુવાન સંગીતકાર ઋષિ વકીલ કોઈક ગુજરાતી ફિલ્મના ગીત પર કામ કરી રહ્યો છે. વાદ્ય અરેન્જમેન્ટ થઈ ગઈ છે. ગીતનું મુખડું તૈયાર છે, અંતરા ગોઠવાઈ રહ્યો છે. આખી પ્રક્રિયા બહુ રસપ્રદ છે. જમાનો ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે એવું લાગે! ધીમી ગતિના સુગમ સંગીતનું સ્થાન અપબીટ મ્યુઝિક લઈ રહ્યું છે. દર થોડા સમયે દરેક ક્ષેત્રે પરિવર્તન આવે છે. જરૂરી પણ છે. હવે પ્રમાણમાં સરળ કવિતાઓ રચાય છે અને સંગીત આધુનિક થઈ રહ્યું છે. યુવાનોનાં દિલને સ્પર્શે એવું. આખી પ્રોસેસ જોયા પછી ઋષિ એક સરસ ગીત સંભળાવે છે. ગીતના શબ્દો જ એવા મખમલી, મુલાયમ અને ગુલાબી ગુલાબી છે કે ચિત્ત પ્રસન્ન અને ચહેરો ફૂલગુલાબી થઈ જાય!

વેલેન્ટાઇન વીક ચાલતું હોય ત્યારે આવા મજેદાર પ્રેમગીતની વાત કેવી મજેદાર લાગે!

૨૦૧૭માં ‘શુભારંભ’ નામે ગુજરાતી ફિલ્મ આવી હતી. સરસ વિષય હતો. મા-બાપના ખંડિત થઈ રહેલાં લગ્નજીવનને સુધારવામાં સંતાનો જે પ્રયત્નો કરે છે, સફળ થાય છે અને સાચા પ્રણય-પરિણયનો શુભારંભ થાય છે એવી વાત આ ફિલ્મમાં હતી. હર્ષ છાયા, પ્રાચી શાહ પંડ્યા, દીક્ષા જોષી જેવી કાસ્ટ ધરાવતી આ ફિલ્મનું સંગીત આપનાર ઋષિ વકીલ કહે છે, "ગુજરાતી ગીતો હવે જુદા જ મુકામ પર છે. ઓરકેસ્ટ્રેશન ભલે વધ્યું હોય પણ મારા મતે મેલડી પણ ખૂબ અગત્યની છે. જો કે મારો ઝોક વર્લ્ડ મ્યુઝિક તરફ હંમેશાં રહ્યો છે એટલે ગુજરાતી ગીતોમાં હું એવા પ્રયોગો કરું છું જેમાં ગુજરાતીયત સાથે વર્લ્ડ મ્યુઝિકના પીસ પણ ઉમેરું જેથી ગીતની એક આગવી ઓળખ ઊભી થાય. વિખ્યાત સેક્સોફોનિસ્ટ શ્યામરાજે મારાં ઘણાં ગીતોમાં વગાડ્યું છે. અમેરિકામાં પણ મારું સેટઅપ છે એટલે ત્યાંના કોઈ મ્યુઝિશિયનનો પીસ મારે ગુજરાતી ગીતમાં જોઈતો હોય તો આસાનીથી મળી જાય.

ગીત ગુલાબી … કોની પાસે ગવડાવવું એ નક્કી નહોતું પણ પરંપરા મુજબ પાઈલટ ટ્રેક કોઈ એક કલાકાર પાસે ગવડાવવાનો ને પછી ફાઈનલ રેકોર્ડિંગમાં જે નામ ફાઈનલ થયાં હોય એ આવીને ગાઈ જાય. એ રીતે અમદાવાદની યુવા ગાયિકા પલક જોશી પાસે ગીત ગુલાબીનો પાઈલટ ટ્રેક ગવડાવ્યો. એણે એટલું સરસ ગાયું કે મને ખાતરી થઈ ગઈ કે પ્રોડ્યુસરને એ જ પસંદ આવશે. ખરેખર એમ જ બન્યું. પલક ફાઈનલ થઈ ગઈ. પુરુષ ગાયકીમાં મનોમંથન પછી હિન્દી ફિલ્મ જગતના ગાયક દિવ્ય કુમાર પર પસંદગીનો કળશ ઢળ્યો. આ બન્નેએ ખૂબ સરસ ગાયું ને ગીત લોકપ્રિય થઈ ગયું. બેશક, ચિંતન નાયકના શબ્દો તો કમાલના છે જ!

ઉલ્લેખનીય છે કે ગુજરાતી આધુનિક સંગીતના પાયામાં જેમનાં નામ આવે એમાંના ઋષિ વકીલ છે.

આ ગીતમાં પ્રેમની લાગણી બહુ નાજુક રીતે અભિવ્યક્ત થઈ છે. ધીમે ધીમે મનમાં જાણે વાગે ગીત ગુલાબી …!

પ્રેમને સાહજિક રીતે આ ગીતમાં વ્યક્ત કરનાર કવિ ચિંતન નાયક વ્યવસાયે ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ છે. સરસ કવિતાઓ લખે છે તેમ જ ‘શુભારંભ’ સહિત અન્ય બે ગુજરાતી ફિલ્મોનાં ગીતો પણ તેમણે લખ્યાં છે. યુવા કવિ ચિંતન કહે છે, "ઋષિના પિતા દિવ્યાંગ વકીલ ખૂબ સારા તબલાવાદક. સંગીતના જાણકાર અને મારા સંગીતકાર પિતા પરેશ નાયકના મિત્ર. એ નાતે હું અને ઋષિ મિત્રો બની ગયા. બન્નેની ભાષા-સંગીત પ્રત્યેની લગનીને કારણે અમે સૌથી પહેલું આલબમ ‘ક્લિક કર’ સાથે કર્યું હતું જે ઘણી લોકચાહના પામ્યું હતું. મને લાગે છે કે ગીતના શબ્દો અને સ્વરાંકન સરળ હોય તો ગીત ઝડપથી લોકોના હૃદયને સ્પર્શી જાય છે. આ ગીતના મેં છ-સાત ડ્રાફ્ટ બનાવ્યા હતા પણ એકેયમાં કંઈ જામે નહીં. છેવટે એક દિવસ અચાનક ‘ગીત ગુલાબી’ શબ્દો સ્ફૂર્યા અને આખું ગીત લખાઈ ગયું.

આ ગીતમાં આપણે સાચે જ પ્રેમનું માધુર્ય અનુભવીએ છીએ. પ્રેમ થાય ત્યારે એનો ઝીણો ગુંજારવ મનને તરબતર કરતો હોય છે. આખી દુનિયા ગુલાબી રંગે રંગાયેલી હોય એવી રંગીન લાગે. ઈશ્ક અંગેઅંગથી છલકતો લાગે છે. પ્રેમ એ મનુષ્યમાત્રની ગરજ છે. એના વિના ક્યાં કોઈને ચાલ્યું છે! ઝિલમિલાતા તારલાની ઝાંયમાં, પૂનમની ચાંદનીના અજવાસમાં મનને પ્રસન્ન અને શાંત કરે એવો પ્રેમ મળવો એ નસીબ છે. છતાં કેટલાક અભાગિયાઓને એનું ય મૂલ્ય હોતું નથી. ‘ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપિ અર્થ ન સરે’ એવું જેમનું દુર્ભાગ્ય હોય તેને શું કહેવું? બાકી, સ્ત્રી-પુરુષને એવા સાથીની હંમેશાં ઝંખના હોય છે જે સૌથી પહેલાં તો હૂંફ આપી શકે. ‘કેરિંગ એન્ડ શેરિંગ’ એ પ્રેમની પાઠશાળાનો બીજો મંત્ર છે. સતત-સહજ સંવાદ પ્રેમને પરિપક્વ બનાવે છે. પ્રણય, પરિણય એટલે કે લગ્નમાં પરિણમવાનો હોય ત્યારે એમાં સામાજિક સ્વીકૃતિ તથા આર્થિક, ભાવનાત્મક અને સામાજિક સલામતી ઉમેરાય છે.

પરંતુ, પ્રેમ તો ક્ષિતિજોને વિસ્તારે છે, ઊડવા માટે પાંખ અને બ્રીધિંગ સ્પેસ આપે છે. ગૂંગળાવી દેતા, બંધનરૂપ, બાધારૂપ પ્રેમમાં ભલે રૂપ, ગુણ, ધન, યશ-કીર્તિ, નામના સહિત બીજાં તમામ તત્ત્વો હોય પરંતુ એમાં પ્રેમની સચ્ચાઈ અને સ્પેસ ન હોય તો એ પ્રેમ કરતાં ગુલામી વધારે હોવાની. પ્રેમ જીવનને સમૃદ્ધ ત્યારે જ બનાવી શકે જ્યારે પ્રેમની સુગંધ પ્રેમ સિવાયની ક્ષણોને પણ મહેકાવતી રહે. ઊર્જા આપતી રહે. પ્રિય પાત્રના જીવનમાં ઈંધણ સીંચતી રહે. ડેટિંગ, ફ્લર્ટિંગ આજે સાવ સહજ થઈ ગયાં છે. આમ તો એ ઝાઝું નુકસાન પહોંચાડ્યા વગરની સાહજિક ઘટના છે પરંતુ, પ્રેમની વાત આખી જુદી જ છે. માણસે જીવનમાં કોઈ એકને તો મન મૂકીને અત્યંત પ્રેમ કરવો જ જોઈએ, કારણ કે આધ્યાત્મિક વિકાસની એ સીડી છે. જો કે, મૈત્રીની હાજરી વિનાનો પ્રેમ માત્ર ઘટના બનીને રહી જાય છે. તેથી જ આ ગીતના શબ્દોમાં જે સૂક્ષ્મ પ્રેમની વાત કરી છે એ બહુ સરસ છે. વાતોમાંથી કોઈ વાત જડે, ખોવાયેલો કોઈ તાર જડે અને સ્મિતમાં સાચો સૂર જડે ત્યારે પ્રેમ સાર્થક થાય. આવો સાર્થક પ્રેમ સૌને સાંપડે એવી શુભેચ્છા.

———————

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 13 ફેબ્રુઆરી 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=621762  

Loading

તબીબોના સામાજિક દાયિત્વનો સવાલ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|12 February 2020

તબીબી શિક્ષણમાં સામાજિક નિસબત, દાયિત્વ, મૂલ્યો અને સમભાવને જોડવામાં આવે તો સેવાને વરેલો આ વ્યવસાય વધુ સફળ બની શકશે.

ભારતમાં ૧,૬૬૮ અને ગુજરાતમાં ૧,૦૦૦ વ્યક્તિએ એક ડોકટર છે. આશરે સાડા છ કરોડની વસ્તીના આપણા રાજ્યમાં ૬૬,૯૪૪ રજિસ્ટર્ડ ડોકટર છે. દેશના કુલ ૨૫,૭૪૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાંથી ૧,૪૯૪ ડોકટર વિનાના છે. તેમાંના દસ ટકા ગુજરાતના છે. ગુજરાતના ૧,૪૭૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાંથી ૧૦૦માં એક પણ ડોકટર નથી. છેલ્લા પાંચ વરસમાં રાજ્યમાં ૮૪૮ બોગસ ડોકટરો હોવાની ફરિયાદો મળી હતી અને તેની તપાસ કરતાં ૧૯૮ બોગસ ડોકટરો પકડાયા હતા. બેરોજગારીને કારણે ગુજરાત હાઈકોર્ટની પટાવાળાની જગ્યા માટે એમ.બી.બી.એસ. અને ડોકટરની અન્ય ડિગ્રી ધરાવતી ૧૯ વ્યક્તિઓએ ઉમેદવારી કરી હતી, તેમાંથી ૭ પસંદ થઈ છે. પરસ્પર વિરોધી લાગતી આ હકીકતો એક કટુ વાસ્તવ છે અને તે આરોગ્યનાં ક્ષેત્રે કેવું અનારોગ્ય પ્રવર્તે છે તેનું દ્યોતક છે.

ડોકટર થવા માટે જરૂરી એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવવા માટે દેશમાં વરસે ૮૦,૦૦૦ વિધ્યાર્થીઓને પ્રવેશ મળે છે. આ પૈકીની અડધી બેઠકો ખાનગી મેડિકલ કોલેજોની છે. ખાનગી મેડિકલ કોલેજોની ૪૦,૦૦૦ બેઠકોની અડધી એટલે કે ૨૦,૦૦૦ બેઠકોની ફી કેન્દ્રીય નિયમો મુજબ લેવાય છે અને બાકીની ૨૦,૦૦૦ બેઠકો એકથી ત્રણ કરોડ રૂપિયાની ફીથી ભરાય છે. ડોકટરોની ભારે અછત ધરાવતા દેશમાં મોટા શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં તો તબીબી સેવાઓ મળી રહે છે પણ ગ્રામીણ ક્ષેત્રોમાં, ખાસ કરીને દૂરના ગામડાંઓમાં અને આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવાનાં નામે મીંડું છે. સરકારો મેડિકલ કોલેજો અને બેઠકો વધારવાની વાતો કરે છે પરંતુ દેશમાં તમામ વ્યક્તિને ગુણવત્તા લક્ષી આરોગ્ય સેવા મળી રહે તે બાબત સ્વપ્નવત છે.

સરકારી મેડિકલ કોલેજોમાં ઓછી ફી ભરીને ભણેલા ડોકટરો ગ્રામીણ વિસ્તારોમાં તેમની સેવાઓ સ્વૈચ્છિક ધોરણે આપે તેવું બનતું નથી, એટલે ગુજરાત સહિતની રાજ્ય સરકારોએ નિયમો બનાવવા પડ્યા છે. ગુજરાત સરકારને સરકારી મેડિકલ કોલેજમાં એક તબીબને તૈયાર કરવામાં ૨૦થી ૩૦ લાખનો ખર્ચ થાય છે. તેના બદલામાં સરકાર તે અમુક વરસો ગ્રામીણ વિસ્તારમાં સેવા આપે તેવી અપેક્ષા રાખે છે. સરકારના આરોગ્ય વિભાગે એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવેલ વ્યક્તિ ફરજિયાત ત્રણ વરસ ગામડાંમાં સેવા આપે અથવા રૂ.પાંચ લાખના બોન્ડ આપે એવો ઠરાવ કર્યો હતો. સેવાને વરેલા તબીબી કોલેજોના વિધ્યાર્થીઓને આ નિયમ બહુ કઠતો હતો એટલે તેને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. એપ્રિલ ૨૦૧૯માં હાઈહોર્ટના સિંગલ જજના એક ચુકાદામાં, “સરકારને ગ્રામીણ વિસ્તારોમાં ડોકટરો મેળવવાની મુશ્કેલી “કબૂલ રાખીને, પાંચ લાખના બોન્ડની શરતના ઠરાવને ગેરબંધારણીય, મનસ્વી અને અન્યાયી ઠેરવવામાં આવ્યો હતો. સરકારે આ જજમેન્ટને ડિવિઝન બેન્ચ સમક્ષ પડકારતાં છ મહિના પછી બે જજીસની બેન્ચે સરકારને રાહતરૂપ ચુકાદો આપ્યો. બોન્ડનો સરકારી નિયમ તબીબી વ્યવસાયના એથિક્સનો ભાગ હોવાનું જણાવીને, સરકાર જો ડોકટર્સ તૈયાર કરવા પ્રજાના કરવેરાના કરોડો રૂપિયા ખર્ચતી હોય તો ડોકટર્સની અછતના આ જમાનામાં ડોકટર્સનું દાયિત્વ બને છે કે તે ગામડાંઓમાં ફરજ બજાવે, તેમ પણ વડી અદાલતે જણાવ્યું હતું.

હાઈકોર્ટના આ રોકડા ચુકાદા બાદ ડોકટર વિના તરફડતા, રિબાતા અને ક્યારેક મરતાં  ગરીબ ગ્રામીણોને બદલે આપણી દયાળુ ગુજરાત સરકારને બાપડા ડોકટરોની દયા આવી !  તેણે તબીબી વિધ્યાર્થીઓના વાલીઓની, ‘ત્રણ વરસ ગ્રામીણ વિસ્તારમાં ફરજ બજાવવાની મુદ્દત બહુ લાંબી અને આકરી છે’, તેવી અરજ સ્વીકારી લીધી. અને ગામડાંઓમાં ફરજ બજાવવાની મુદ્દત ઘટાડીને એક જ વરસની કરી દીધી ! જો કે સરકારને ન્યાય કરવા કહેવું પડે કે તેણે બદલામાં બોન્ડની પાંચ લાખની શરત યથાવત રાખીને બીજા ૧૫ લાખની બેન્ક ગેરન્ટી લેવાની શરત ઉમેરી દીધી છે. એટલે હવે જો કોઈ ડોકટરને એક વરસ પણ ગામડાંમાં ન જવું હોય તો તેણે સરકારને વીસ લાખ રૂપિયા ચુકવવા પડશે.

સેવાને વરેલા તબીબો પરનો ગ્રામીણ વિસ્તારમાં ફરજિયાત સેવા આપવાનો બોન્ડનો સરકારી ગાળિયો કેટલો નિષ્ફળ રહ્યો છે તે એ હકીકત પરથી પુરવાર થાય છે કે સપ્ટેમ્બર ૨૦૧૮ની સ્થિતિએ તબીબી અભ્યાસ પૂર્ણ કરીને ગ્રામીણ વિસ્તારમાં ફરજ બજાવવાની શરતનો ભંગ કરીને ૨૧૯ ડોકટર્સ વિદેશ જતા રહ્યા છે. તેમની પાસેથી બોન્ડની માત્ર ૨.૯૪ કરોડ રૂપિયાની જ વસૂલાત થઈ શકી છે. હજુ ૨૧.૩૧ કરોડ રૂપિયાની બહુ મોટી રકમ વસૂલવાની બાકી છે. ૨૦૧૪થી ૨૦૧૮ના પાંચ વરસોમાં ૨,૪૩૬ ડોકટરોએ બોન્ડની શરતોનો ભંગ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ફરજ બજાવી નથી. તેમની પાસેથી પણ ૨૬ કરોડ ૯૪ લાખ રૂપિયા વસૂલ કરવાના બાકી છે.

ગુજરાતની આરોગ્ય સેવાની કંગાલિયત સુવિધા અને ડોકટર વિનાના દવાખાનાઓની આંકડાકીય વિગતોથી ઉજાગર થાય છે. ગુજરાતના સરકારી આરોગ્ય કેન્દ્રોમાં ૩૫૪ ફિજિશિયન, ૩૩૨ સર્જન, ૩૧૫ ગાયનેકોલોજિસ્ટ્, ૩૩૩ પેડિયાટ્રીસ્ટ, અને ૧૫૩ જનરલ ડોકટરની જગ્યાઓ ખાલી છે. નર્સિંગ સ્ટાફની ૮૫૫, લેબ ટેકનિશિયનની ૧૭૯ અને મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કરની ૧,૭૯૪ જગ્યાઓ ખાલી છે. દેશની ૭૨,૦૦૦ સરકારી હોસ્પિટલોમાંથી ૬૧ %માં મહિલા માટે અને ૩૮ %માં સ્ટાફ માટે ટોયલેટની સુવિધા નથી. આવી હોસ્પિટલોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળ સાથે ગુજરાતનો પણ સમાવેશ થાય છે. આ વરસના કેન્દ્રીય અંદાજપત્રમાં દેશના તમામ જિલ્લામાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપના ધોરણે મેડિકલ કોલેજો સ્થાપવાની અને તેને સરકારી જિલ્લા હોસ્પિટલ્સ સાથે જોડવાની જોગવાઈ કરવામાં આવી છે. સરકાર આમ કરીને આરોગ્ય સેવાના ક્ષેત્રમાંથી પોતાની જવાબદારી ખેંચી રહી છે. નેશનલ હેલ્થ એન્ડ ફેમિલી સર્વેમાં નબળી ગુણવત્તા, પ્રતિકૂળ સમય અને ડોકટરની અછતને કારણે ૫૬% શહેરી અને ૪૯% ગ્રામીણ લોકોને ખાનગી આરોગ્ય સેવા સાથે પનારું પાડવું પડે છે. ખાનગી હોસ્પિટલ્સની મોંઘી સારવાર તેમના પર દેવાના ડુંગર ખડકે છે. અને તેઓ ગરીબીની ખાઈમાં વધુ ઊંડા ઉતરે છે. સરકાર તેનો ઉકેલ શોધી, સરકારી દવાખાનાંઓને વધુ સુવિધાવાળાં, સક્ષમ અને ગુણવત્તાસભર બનાવવાને બદલે ખાનગીકરણનો ગરીબવિરોધી આસાન રસ્તો લે છે. ભારત સરકાર સરકાર આરોગ્ય માટે દુનિયામાં સૌથી ઓછો ખર્ચ કરે છે. દુનિયાના દેશો જી.ડી.પી.ના ૬% આરોગ્ય પાછળ ખર્ચે છે જ્યારે ભારત માત્ર ૧.૪ % ખર્ચ કરે છે. હવે તેમાં પણ ઘટાડો થતો જાય છે. દેશના કુલ જી.ડી.પી.નો માંડ એક ટકો જ ખર્ચ થાય છે. આ સ્થિતિ પણ ચિંતાજનક છે..

ભારતીય બંધારણના આમુખમાં દર્શાવેલ સ્વતંત્રતા અને સમાનતા તો કાયદાથી સ્થાપિત થઈ શક્યાં છે, પરંતુ જેમ બંધુત્વ કાયદાથી સ્થાપિત કરી શકાતું નથી તેમ સામાજિક નિસબત, દાયિત્વ, સમભાવ અને સેવા પણ કાયદાના ડરથી વ્યક્તિમાં સ્થાપિત કરી શકાતાં નથી. તબીબી વ્યવસાયની અનેક ઊણપો છતાં ગુજરાતમાં અને દેશમાં સેવાભાવી તબીબોની પણ ખોટ નથી. પરદેશની દોમદોમ સાહ્યબી છોડીને સુવિધાહીન અંતરિયાળ, પછાત અને આદિવાસી વિસ્તારોમાં આરોગ્યની ધૂણી ધખાવી બેઠેલા તબીબો પણ છે. અમદાવાદની બી.જે. મેડિકલ કોલજના ભૂતપૂર્વ છાત્રોએ ગરીબ તબીબી છાત્રોને દત્તક લીધાના તાજેતરના જ સમાચાર છે. આ જ કોલેજમાં મુન્નાભાઈ એમ.બી.બી.એસ. જેવી ફિલ્મોની ક્લીપ અભ્યાસક્રમના ભાગરૂપે દર્શાવીને તબીબી વિધ્યાર્થીઓમાં સંવેદના રોપવાના પ્રયાસ થઈ રહ્યો છે. માહિતી કે જ્ઞાન આધારિત તબીબી શિક્ષણમાં સક્ષમતા સાથે દાયિત્વ, મૂલ્યો, અને સંવેદનાને જોડવામાં આવી રહ્યાં છે. પાંચ કે વીસ લાખના સરકારી બોન્ડના ડર કરતાં આ પ્રયાસો સફળ થવાની શક્યતાઓ વધુ છે.

(તા.૧૨-૦૨-૨૦૨૦)

e.mail : maheriyachandu@gmail.com

પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 12 ફેબ્રુઆરી 2020 

Loading

શોષણ સામેના પ્રતિકારથી પહાડવાસી પ્રજામાં નવચેતના પ્રગટાવતી નવલકથા – ‘ધરાથી ગગન સુધી’

અરવિંદ વાઘેલા|Opinion - Literature|12 February 2020

સર્જક પોતાના જમાનાનું સંતાન હોય છે. સર્જક વ્યક્તિત્વના ઘડતરમાં સમાજનો ફાળો નોંધપાત્ર હોય છે. ‘સાહિત્યકારનો ધોરીમાર્ગ પણ લોકારણ્યોમાંથી પસાર થતો હોવો ઘટે.’ (૧) સર્જક સાહિત્યના સર્જન માટે સંપૂર્ણ સ્વતંત્ર હોવા છતાં જીવન તરફનું તેનું દાયિત્વ તે ક્યારે ય ચૂકતો નથી. જોસેફ મેકવાન કહે છે તેમ ‘મેં કળા પ્રમાણી છે, પણ જીવતરને દગો કર્યો નથી.’

તમિલ ભાષાના આવા જ કર્મઠ નવલકથાકાર કે. ચિન્ન્પ ભારતી સામાજિક નિસ્બત ધરાવતા સર્જક છે. સમાજ, સાહિત્ય અને રાજકારણ સાથે સક્રિય રીતે સંકળાયેલા ચિન્ન્પ ભારતીનું મુખ્ય પ્રદાન નવલકથા ક્ષેત્રે છે. તેમણે ‘સંગમ’ (ધરાથી ગગન સુધી), ’શર્કરા’, ’પ્રેમળ જ્યોત’ ‘પવલઈ’ જેવી સામાજિક વાસ્તવની નવલકથાઓ આપી છે. ‘સંગમ’ મૂળ તમિલમાં લખાયેલી આ નવલકથાનો ગુજરાતી અનુવાદ ‘ધરાથી ગગન સુધી’ એ નામે નવનીત મદ્રાસીએ કર્યો છે.

નવલકથાકાર કે. ચિન્ન્પ ભારતીનો જન્મ તમિલનાડુના સેલમ જિલ્લામાં આવેલા પોન્નેરીપટ્ટી – નામક્કલ નામના નાના ગામમાં થયો. માર્કસવાદી વિચારધારા ધરાવતા લેખક પોતાના વતનના પ્રદેશમાં આવેલા Mountain of death (૨)ના નામે ઓળખાતા કોલ્લી મલૈ નામના પહાડી પ્રદેશમાં વસતા ગિરિજનોના જીવનની વાસ્તવિક વ્યથાકથાને આ નવલકથામાં આલેખે છે.

વિશ્વના બધા જ મોટા ધર્મો ભારતમાં અસ્તિત્વ ધરાવે છે. દરેક ધર્મનું સામાન્ય લક્ષણ રહ્યું છે માનવતા. માનવધર્મને સૌથી ઉપર સ્થાપિત કરવામાં આવ્યો છે. મહાભારતના રચયિતા વેદ વ્યાસ પણ – 'न मानुषात श्रेष्ठतर हि किञ्चित् '(3) કહી માનવધર્મની શ્રેષ્ઠતાનો મહિમા કરે છે. તેમ છતાં પ્રાચીન કાળ  લઈને આજ સુધી માણસ શોષણનો ભોગ બનતો રહ્યો છે.

ભારતીય કથા સાહિત્યમાં દરેક સર્જકે કોઈ વર્ગ, સમાજ કે વ્યક્તિના શોષણને વાસ્તવિક દ્રષ્ટિકોણ સાથે ઉજાગર કર્યું છે. સદીઓથી મજબૂર અને લાચાર સમાજ મૂંગે મોઢે અન્યાય અને અત્યાચાર સહન કરતો રહ્યો છે. શોષિતો અને વંચિતો સદીઓથી એનો ભોગ બનતા રહ્યા છે.  આ મજબૂર લોકો અન્યાય સામે અવાજ ઉઠાવવા સક્ષમ હોતા નથી, ક્યારેક કોઇ અવાજ ઊઠે તો જુલ્મ અને અત્યાચાર દ્વારા એને દબાવી દેવામાં આવે છે.

'ધરાથી ગગન સુધી' કે. ચિન્ન્પ ભારતીની તમિલ નવલકથા, કોલ્લી મલૈ તમિલનાડુના પૂર્વીય ઘાટની પર્વતમાળામાં વસતા વનવાસીઓના જનજીવન ને આલેખતી નવલકથા છે. અને  દુર્ગમ પહાડી પ્રદેશમાં વસતા વનવાસી ખેડૂતોનાં જીવનનું યથાર્થ દર્શન કરાવે છે. પહાડી વિસ્તારની હાડ ગાળી નાંખતી ઠંડીમાં કાદવ – કીચ્ચડમાં ઊતરીને તનતોડ મહેનત કરતા આ આદિવાસી ખેડૂતોનાં જીવન અને સમાજનું વાસ્તવ દર્શન કરાવતા ભારતી આ વનબંધુઓના વિવિધ પ્રકારે થતાં શોષણ અને દમન તથા અત્યાચારને દર્શાવી એના પ્રતિરોધ રૂપે પ્રગટતા આક્રોશ અને વિદ્રોહ સાથે નવજાગૃતિનું આલેખન કરે છે.

'ધરાથી ગગન સુધી’ નવલકથામાં લેખક  કે. ચિન્ન્પ ભારતી વનવાસીઓના ચાર સ્તરે થતા શોષણનું વાસ્તવિક ચિત્ર આલેખે છે. (૧) આર્થિક શોષણ (૨) સ્ત્રીઓનું શોષણ (૩) (૪) ધાર્મિક અંધશ્રદ્ધા આધારિત શોષણ. ૪.

આર્થિક શોષણ –

ભારતના ગ્રામીણ અને આદિવાસી સમૂહો માટે હાટ બજાર ખરીદ વેચાણ માટે એક મહત્ત્વનું સ્થળ છે. અઠવાડિયાના એક ચોક્ક્સ દિવસે મહત્ત્વના કેન્દ્ર સ્થળે બજાર ભરાય છે. જ્યાં લોકો જીવન જરૂરી ચીજવસ્તુઓની ખરીદી અને વેચાણ માટે આવે છે. અહીં વનવાસી ખેડૂતોનું  હાટ બજારમાં આર્થિક શોષણ થાય છે. કોલ્લી મલૈના દુર્ગમ પહાડોમાં વસતા આદિવાસી ખેડૂતો પોતાના ખેતર કે બાગમાં ઉત્પન્ન કરે તે અને જંગલ પેદાશોનો માલ નીચે તળેટીના બજારમાં વેચવા લાવે છે. અહીં 'સરકારે જે કર નક્કી કર્યો છે, તેના કરતાં વધુ બમણો કર અહીંના સ્થાનિક માથાભારે તત્ત્વો ઉઘરાવે છે. માત્ર વેચવા આવનાર પાસેથી નહિ પણ ખરીદી માટે આવનાર પાસેથી પણ આ દલાલો કર ઉઘરાવે છે. અને જો કોઈ કર આપવાની ના પાડે તો તેના પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવે છે. તેને ચોર ઠેરવી માર મારવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ અન્યાયી પ્રથા સામે વિરોધ કરવાની કોઈની હિંમત નથી. જો કોઈ વિરોધ કરે તો તેની હત્યા કરી નાખવામાં આવતી.

હાટમાં પોતાનો માલ વેચવા આવતા વનવાસી ખેડૂતોનું મોટા વેપારીઓ દ્વારા શોષણ થતું. આદિવાસી ખેડૂતને છેતરવાની એક 'મોડસ ઓપરેન્ડી' બધા વેપારીઓ મીલીભગતથી અપનાવતા. બજારની શરૂઆતમાં માલની વધુ કિંમત આંકી વેપારીને વધુ કિંમતની લાલચ આપતા … પરંતુ પછી ખરીદતા નહિ, આખો દિવસ બેસી ને કંટાળેલા ખેડૂત પાસે સાંજના સમયે તદ્દન પડતી કિંમતે માલ ખરીદી લેવાની યુક્તિ બધા સાથે મળીને અજમાવતા. મજબૂર ખેડૂતને માલ વેચી જરૂરી ચીજ વસ્તુ અને સીધુ – પાણી ખરીદવાનું હોવાથી લાચારીમાં માલ વેચવો પડતો …. ઊંચકીને પાછો પર્વત પર તો લઇ જવાય નહિ. મોટા વેપારીઓના આવા ષડયંત્રોને કારણે વનવાસી ખેડૂત દેવાદાર બની વ્યાજના વિષચક્રમાં ફસાતો જાય છે.

સ્ત્રી શોષણ –

શાહુકારો અને અધિકારીઓ દ્વારા થતું સ્ત્રીઓનું શોષણ – ભારતીય સમાજમાં શાહુકાર દ્વારા થતું શોષણ અને તેના દુષ્પરિણામ ગ્રામજીવનની ભારતીય નવલકથાઓ અને ફિલ્મોનો પસંદીદા વિષય રહ્યો છે. શોષણ આપણા સમાજનું દુર્લક્ષણ રહ્યું છે. – 'વ્યાજે નાણાં  ધીરવાંને ગરીબનું શોષણ કરવું એ ગ્રામવ્યવસ્થામાં વ્યાપક વસ્તુ છે.’ (૫) લેખક આ નવલકથામાં વિવિધ પાત્રો અને પ્રસંગો દ્વારા શાહુકાર અને તેના મળતિયાઓ દ્વારા કરાતા શોષણનો યથાર્થ ચિતાર આપે છે. નવલકથામાં શાહુકાર અજીસ સાયબુ અને તેનો લાઠીધારી સુક્રન પલ્લન શોષણ અને દમનના પ્રતીક બની ને ઉપસે છે. પહાડવાસીઓને તેઓ ઊંચા વ્યાજે પૈસા ધીરે છે. અને ઉઘરાણી માટે માથાભારે અસામાજિક તત્ત્વોને રોકે છે. જો સમયસર પૈસાની ચુકવણી ના થાય તો શાહુકારના માણસો પૈસાને બદલે તેની યુવાન પત્ની, પુત્રી કે બહેનને ઉપાડી જતા, અને પૈસા ન ચુકવે ત્યાં સુધી તેને શાહુકારને ત્યાં ગુલામ બનીને રહેવું પડતું. તેમ જ શાહુકારના જાતીયશોષણને પણ વેઠવું પડતું. કેટલીક સ્ત્રીઓ તો બાળક લઈને પરત ફરતી.

નવલકથામાં વેલ્લ્યન વ્યાજના નાણાની વ્યવસ્થા ન કરી શકતાં શુક્રન તેનો બદઈરાદો જાહેર કરે છે. 'તારી ઘરવાળી કુરુમાઈને મારી સાથે મોકલી દે'. (૬) ઘાતકી સુક્રન વેલ્લયનના કાલાવાલા છતાં તેને લાત મારી તાજી સુવાવડી કુરુમાઈને વાળ પકડી ખેંચી જાય છે. પહાડવાસી સ્ત્રીઓ પર થતા અત્યાચાર સંદર્ભે લેખક નોંધે છે કે – "શાહુકારના લાઠીધારીની ઈચ્છા જાણીને કેટલી ય છોકરીઓ એ ફાંસો ખાઈને જીવ આપ્યો હતો. કેટલા ય નિષ્ક્રિય પાલકોએ હામી ભરી છોકરીઓ મોકલવા તૈયાર થયા. તે લાઠીધારી પર ચાકુથી વાર કરીને છોકરીઓ એ બદલો લીધો હતો. તેના પરિવાર જ નહિ, સગાસંબંધીઓ પર કાળો કેર વરસાવવામાં આવ્યો …. કેટલીય સ્ત્રીઓ ગુપ્તરોગથી પીડાઈને વાઘના મારથી ઘાયલ ઘેટાની જેમ નત મસ્તક  વાસનાનો શિકાર થઈને, નશામાં તેના પર કરવામાં આવેલા વારથી ઘાયલ થઈને … નિર્જીવ જેવી થઈને ધીરે ધીરે મરી ગઈ.” (૭)

જંગલખાતાના અધિકારીઓ અને પોલીસ તંત્ર દ્વારા થતું શોષણ –

વનસંરક્ષણ માટેના અધિકારીઓ કે પોલીસતંત્રના માણસો દ્વારા પણ વનવાસી સ્ત્રીઓનું જાતીયશોષણ કરવામાં આવે છે. નવલકથાના પ્રારંભે જ તીરુમનના કાલ્પનિક ભયમાં એનો સંદર્ભ મળે છે. ઘરે આવેલા વન અધિકારીઓ વિશે એ વિચારે છે. “… કદાચ પૈસા માંગે કે જવાન, સુંદર, સ્વસ્થ અને અલ્લડ છોકરી હોય તો તેની માંગણી કરી શકે” (૮) પોલીસનો આતંક પણ ભોળા પહાડી લોકોને ડરાવે છે. – 'પહાડી લોકોની વચમાં સરકારની લાઠી, હાથકડી અને બંદૂકના કુંદાનો આસુરી આતંક હતો'. (૯) આ ભયને કારણે પહાડવાસીઓ હાલતા ચાલતા  શબ જેવાં બની ગયા છે. વન ખાતાના અધિકારીઓ મફતમાં સારામાં સારા અન્નાનાસ, ફણસ અને કેળાં જેવાં ફળો તીરુમન પાસેથી પડાવી જાય છે. જો વિરોધ કરે તો ખોટા કેસમાં ફસાવી દે. દુષ્કાળના સમયે જંગલમાં ઢોર ચરાવતા વનવાસીઓ ને અધિકારીઓ દંડની સજા કરે છે. સડૈયન અને સીરંગનના વિરોધ દર્શાવવા બદલ ખોટા કેસ હેઠળ બંને ને જેલની સજા કરાવે છે. 

સરકારી અધિકારીઓના અત્યાચાર અને શોષણનો બીજો એક પ્રસંગ નવલકથાના અંત ભાગમાં જોવા મળે છે. સરકારી જમીનને નામે જંગલખાતાના અધિકારીઓ વનવાસીઓના ખેતરો પડાવી લેવાનો કારસો રચે છે. તેમનાં વૃક્ષો અને બાગનો નાશ કરે છે. તીરુમનને આ અધિકારીઓ કહે છે.- 'તું જે જમીન પર ખેતી કરી રહ્યો છે તે સરકારની છે ….. તે સંપત્તિ તેની નથી સરકારની છે.’ (૧૦) સરકારી હુકમને નામે ભોળી પ્રજા પાસેથી પૈસા પડાવે છે. સરકારી હદ નક્કી કરવા વાવટા રોપે છે. વર્ષોની મહેનતથી ખેડૂતે ઉછેરેલાં વૃક્ષો કાપી, કમિશન લઇ કાગળ મિલને વેચે છે. જંગલના રક્ષકો જ ભક્ષક બને છે. પશુ ધિરાણની યોજનામાં પણ લોનના રૂપિયા લાંચ રૂપે અધિકારીઓ ખાઈ જાય છે.

ધાર્મિક અંધશ્રદ્ધા આધારિત શોષણ.

કોલ્લી મલૈના પહાડીઓ નિરક્ષરતા અને ધર્મ પ્રત્યેની આસ્થાને કારણે સદીઓથી શોષણનો ભોગ બનતા રહ્યા છે. ધર્મકર્તા આદિવાસી સમૂહનો ધર્મગુરુ છે. તેનું વચન ઈશ્વરનું વચન ગણાય છે. જાતીય અનૈતિકતાના ગુનામાં તે ગુનેગારને સજા કરે તેમાં પણ શોષણ દેખાય છે. 'મુત્તેરબંધ'ના રિવાજનું ભૂલથી ઉલ્લંઘન કરનાર તિરુમનને પણ દંડ કરે છે. તો કોઈ સ્ત્રી માસિકના દિવસનો ભંગ કરે તો પણ સજા કરવામાં આવે છે. ઘણી વાર ધર્મકર્તા શોષણની કક્ષાની સજા કરે છે. છતાં કોઈ તેમનો વિરોધ કરી શકતું નથી. કારણ તેઓ ધર્મગુરુને ઈશ્વરના પ્રતિનિધિ માને છે. પરંતુ અસલમાં તેઓ વ્યાજે ધીરધારનો ધંધો કરે છે. ઈશ્વરના દૂત હોવાનો ઢોંગ કરી ભોળી અને અબુધ પ્રજાને લૂટે છે, શોષણ કરે છે. અભણ ગિરિજનોની અંધશ્રદ્ધા અને ધાર્મિક આસ્થાનો ગેર ફાયદો ઉઠાવી કોડંગી નામનો ઢોંગી જ્યોતિષ પણ ગ્રહ નડતરના નામે  શોષણ કરે છે .આમ લેખકે દુર્ગમ પહાડોમાં વસતા વનવાસી ખેડૂતો, આદિવાસી લોકોના સમાજ જીવનમાં વ્યાપ્ત દુરિતનું યથાર્થ ચિત્ર આપણી સમક્ષ રજૂ કરી, તેના પરિણામ સ્વરૂપે પ્રગટતો આક્રોશ પણ લેખક દર્શાવે છે.

આક્રોશ અને નવચેતના

તમિલ નવલકથાકાર કે.ચિન્ન્પ ભરતીની આ નવલકથા 'ધરાથી ગગન સુધી' કોલ્લી-મલૈના  ગિરિજનોના સમાજ, સમસ્યા અને સંવેદનાને આલેખે છે. આમ છતાં લેખકનો આ એક  માત્ર હેતુ નથી તેઓ 'કોલ્લી-મલૈના આ સમાજમાં આવતાં આંતર-બાહ્ય પરિવર્તનનો અણસાર પણ આપે છે. સદીઓથી શોષણ અને અત્યાચાર વેઠતી આવેલી આ પ્રજા, અન્યાય સહન કરતી, છેતરાતી આ વનવાસી પ્રજા ધીમે ધીમે જાગવા માંડે છે. પોતાને થતા અન્યાય અને અત્યાચાર સામે પ્રતિકાર માટે તૈયાર થાય છે. પહાડી લોકોને જાગૃત કરવામાં સિલોન સીરંગનનો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે. કામદાર સંઘ સાથે સંકળાયેલ સીરંગન વનવાસી સમાજના યુવાનોને અન્યાય અને અત્યાચાર સામેના યુદ્ધ માટે તૈયાર કરે છે. તિરુમનના પુત્ર સાવી સડૈયન એનો સાથીદાર બને છે. પેરિયાસમી, વેલ્લ્યન અને આંડી જેવા યુવાનો પણ તેની સાથે આ યુદ્ધમાં જોડાય છે. કુમાર અને વેલુસામી જેવા સંઘના નેતાઓનું પીઠબળ મળતાં તેમનામાં આત્મવિશ્વાસ જાગે છે.

'મુત્તેર બંધ' નિમિત્તે સડૈયનના પિતા ભૂલથી નિયમનું ઉલ્લંઘન કરી બેસે છે. પરિણામ સ્વરૂપે દંડનાત્મક શિક્ષા થાય છે. અહીં ધર્મકર્તા સામે સડૈયનના મનમાં આક્રોશની આગ ભડકે છે, પણ મન મારીને બેસી રહે છે, શાહુકારની ઉઘરાણી વખતે પોતાની બહેન પિડારી પર નજર બગડતા સુક્રન જેવા લાઠીધારી સામે એ પ્રતિકાર કરે છે. એનો આક્રોશ આ રીતે પ્રગટે છે. જુઓ   – 'જો ઉપર લેણાના પૈસા લેવા આવે અને ખાલી બકવાટ કરે તો તેને મારીને કોઈ પર્વતની ખીણમાં ફેંકી દેવો જોઈએ. ત્યારે જ તેઓ થોડા ડરતા રહેશેને' (૧૧) સીરંગન પણ પહાડી લોકોને પાનો ચઢાવતાં કહે છે. – 'રોજ રોજ મરવા – જીવવા કરતાં તો એક જ દિવસમાં મરી જવું બહેતર છે.'(૧૨)

વિદ્રોહનો પ્રારંભ

સીરંગનની સલાહ અને મદદથી વેલ્લયન શાહુકાર અજીસ સાહબુ વિરુદ્ધ ફરિયાદ કરે છે. પોલીસ ચોકીના ઇતિહાસમાં આ એક અપૂર્વ ઘટના હતી. પરંતુ શાહુકારના ચમચા જેવું પોલીસતંત્ર સીરંગનને ઢોર માર મારે છે. આ અન્યાયનો બદલો લેવા સીરંગન કામદાર સંઘની મદદ લે છે. સંઘના નેતા વેલુસામી દરમિયાનગીરીથી વેલ્લયનની પત્નીને શાહુકારની ચુંગાલમાંથી છોડાવે છે. દુષ્કાળના સમયે જંગલમાં ઢોર ચરાવતા વનવાસીઓને અધિકારીઓ દંડની સજા કરે છે. સડૈયન અને સીરંગનના વિરોધ દર્શાવવા બદલ ખોટા કેસ હેઠળ બંનેને જેલની સજા કરાવે છે. જેલમાં સંઘના નેતા કુમાર તેમનું ઘડતર કરે છે. અને એ કારણે જ જેલમાંથી છૂટ્યા પછી નીચે ભરાતું બજાર ઉપર લાવવામાં સડૈયન અને સાથીઓ સફળ થાય છે. બેંક ધિરાણ આપતા અધિકારીની પોલ પણ તેઓ ખોલે છે.

અને સૌથી મોટો વિદ્રોહ સરકારી અધિકારીઓ અન્યાયી રીતે જંગલવાસીઓની જમીન પડાવી લેવા તરકટ રચે છે તેની સામે છે. અધિકારીઓ અન્યાયી રીતે જમીનમાં વાવટા રોપી જમીન ખાલસા કરી લેતા, જ્યારે જે લાંચ આપે તેની – જમીનમાંથી વાવટા કાઢી નાખી ભ્રષ્ટાચાર આચરતા. આ અન્યાય સામે સડૈયન અને સાથીઓ અહિંસક રીતે પ્રતિકાર કરે છે. વીરતા અને મર્દાનગીથી સીરંગન અધિકારીઓને ચેતવણી આપે છે. – 'આ જમીન પર જ નહિ, પૂરા પહાડ પર કબજો કરવાની આપની યોજના અમે જીવતા હોઈશું ત્યાં સુધી સફળ થવા દઈશું નહિ …. અહીંથી કોઈ એક તણખલું પણ હટાવી નહિ શકે.’ (૧૩) અધિકારીની ધમકીની હવે આ લોકો પર કોઈ અસર થતી નથી. પોલીસના નામ માત્રથી ડરતા પહાડી લોકોની એકતા અને જાગૃતિ પોલીસ પર ભારે પાડી રહી હતી. પહાડી પ્રજાનો ગુસ્સો જોઈ પોલીસે પીછેહઠ કરાવી પડી. બંદૂકની શક્તિ સામે, એકતાની શક્તિનો વિજય થયો. પોલીસે ભાગવું પડ્યું. સડૈયને સાથીઓને વિજયી આદેશ આપ્યો … 'જે વાવટા દાટ્યા છે તે ઉખાડી ઉખાડીને હદની રેખાઓ મિટાવી દો.' (૧૪)

સીરંગન, કુમાર, વેલુસામી અને સંઘના પ્રયત્નોથી પોલીસના નામ માત્રથી ફફડતો અબુધ સડૈયન માટીમાંથી મર્દ બને છે. અને ભોળા વનવાસીઓનો નેતા બની નવચેતના પ્રગટાવે છે. કોલ્લી મલૈના પહાડ પર પહેલી વાર સત્ય અને અધિકારનો જય નાદ સંભળાય છે.

સંદર્ભ :

૧.સાહિત્યનો સમાજ લોક . મણિલાલ પટેલ

૨. www.kolli Hills .com

૩. ભારતીય સાહિત્યની વિભાવના પૃ.૧૪૫ –

૪. ભારતીય નવલકથા -પૃ. ૧૧૮ બિપીન આશર

૫. જ્ઞાનપીઠ વિજેતા નવલકથા પૃ.૧૦૯ ભરત મહેતા

૬. 'ધરાથી ગગન સુધી' પૃ.૧૦૭       કે.ચિન્ન્પ ભારતી 

૭. 'ધરાથી ગગન સુધી' પૃ.૯૯  કે.ચિન્ન્પ ભારતી

૮.  'ધરાથી ગગન સુધી' પૃ.૧૮       કે.ચિન્ન્પ ભારતી

૯.  'ધરાથી ગગન સુધી' પૃ.૧૯        કે.ચિન્ન્પ ભારતી

૧૦.  ધરાથી ગગન સુધી' પૃ.૨૬૧     કે.ચિન્ન્પ ભારતી

૧૧.  ધરાથી ગગન સુધી' પૃ.૧૦૫     કે.ચિન્ન્પ ભારતી

૧૨   'ધરાથી ગગન સુધી' પૃ.૧૨૪    કે.ચિન્ન્પ ભારતી

૧૩.  'ધરાથી ગગન સુધી' પૃ.૨૬૪    કે.ચિન્ન્પ ભારતી

૧૪.  'ધરાથી ગગન સુધી' પૃ.૨૬૫     કે.ચિન્ન્પ ભારતી

સી.યુ. શાહ આર્ટસ કોલેજ, અમદાવાદ 380 001 

Loading

...102030...2,5442,5452,5462,547...2,5502,5602,570...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved