Opinion Magazine
Number of visits: 9682886
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોના-કાળ વિકરાળ

સુમન શાહ|Opinion - Opinion|28 March 2020

= = = = આપણે જાતે સ્વીકારેલો આ અલગાવ પણ આપણને ભીડી શકે એવો છે. એક પ્રકારનું વાઈડર પૅરેલેટિક સ્ટેટસ જનમે જેથી વ્યક્તિઓમાં અક્રિયતા સૅટ થવા માંડે, એમ થવું સંભવિત છે. = = = =

= = = = ઘરમાં જેઓ એકલ છે – સિન્ગલ, એમના માટે એ કૅદ જડબેસલાક બની જતી હોય છે કેમ કે સહભાગી થનારું કોઈ હોતું નથી – સિવાય કે બારી બહારની રડીખડી ચકલી, આઈ મીન, એનું ચીંચીં. = = = =

કોરોના-કાળ વિકરાળ બની રહ્યો છે અને ખાતરી છે કે વિકરાળથી વિકરાળ થવાનો છે.

ક્રૂર મજાક – બ્લૅક હ્યુમર – તો એ છે કે કોરોનાનો સીધો શિકાર થવા બહાર ભમો કે કોરોનાને ઘણું અઘરું પડે એ માટે ઘરમાં રહો.

ઘરમાં જ રહેવાય ને એમ જ જીવવું પડશે. અને એમ જીવવા માટે જરૂર છે, માત્ર ખોરાક-પાણીની. એ મળતાં રહે એથી મોટી જરૂરિયાત એકેય નથી. સ્વાભાવિક છે કે શરૂઆતમાં એ બાબતે દોડાદોડી થવાની. પણ ધીમે ધીમે એમ થવાનું કે ઘરમાં જેટલું છે એટલાથી ચલાવી લઈએ, ઓછું હશે તો ચાલશે, નહીં હશે તો પણ ચાલશે … મને-કમને ચિત્ત એ દિશામાં ઢળી જવાનું.

એવી મનોદશાને ‘લાચારી’ કહેવાય કે ‘આત્મસંતોષ’? જે કહેવાય એ; ભાષાની ભાંજગડમાં પડવાનું ય ક્રમે ક્રમે નહીં ગમે. આજે મને ‘રાજયોગીની દાદીજીનું અવસાન’ એમ વાંચવા મળ્યું. અર્થ એ કે કોઈ રાજયોગીની દાદીજીનું અવસાન થયું છે. ખરેખર તો, ‘રાજયોગિની’ દાદીજીનું અવસાન થયું છે. ‘ઇ’ નાની કે ‘ઈ’ મોટી-ની જરૂરી ચિન્તાઓ પણ ધીરે ધીરે નકામી લાગવાની.

જાતે સ્વીકારેલા અલગાવના આ કઠિન દિવસોમાં એ પણ સ્વાભાવિક છે કે આપણે ફિલ્મો જોઈએ, સીરિયલો જોઈએ; બચ્ચન, શાહરુખ, દીપિકા ને કૅટરિના પોતાનાં ઘરમાં શું કરે છે એ જાણવાની મજાઓ લઈએ. પણ થોડા જ દિવસોમાં એ ગતકડાં પણ સામાન્ય લાગવા માંડવાનાં. મેં સાહિત્યકૃતિઓની વાતો કરી, ‘વન હન્ડ્રડ યર્સ ઑફ સૉલિટ્યુડ’-ની કે ‘ધ પ્લેગ’-ની, એથી સાન્તવના મળે, પ્રેરણા મળે, બળ મળે. પણ સાહિત્યકલાની એ બધી વાતોથીયે આ સમયમાં એક દિવસ તો એમ જ થવાનું કે સમજ્યા હવે, ઠીક છે, છોડો …

મહામારી નામે, કોરોના હોય કે પ્લેગ, ધીરે ધીરે માણસના મનનો કબજો કરી લે છે. પહેલા તેમ જ બીજા વિશ્વયુદ્ધના સમયગાળામાં જેઓ ઘરે હતા ને યુદ્ધમાં સક્રિય સ્વજનની યાદથી ઝૂરતા’તા એ લોકો પણ છેલ્લે તો મનથી નંખાઈ ગયેલા. એમનાં જીવનમાં સ્વજનોનાં મૃત્યુના સમાચાર મેળવવાથી વિશેષ કશું હતું નહીં. આપણે જાતે સ્વીકારેલો આ અલગાવ પણ આપણને ભીડી શકે એવો છે. એક પ્રકારનું વાઈડર પૅરેલેટિક સ્ટેટસ જનમે જેથી વ્યક્તિઓમાં અક્રિયતા સૅટ થવા માંડે, એમ થવું સંભવિત છે.

જોવા જઈએ તો, આ અલગાવ એક પ્રકારની કૅદ છે. વિલક્ષણ રૂપની અસહ્ય એવી સંકડામણ છે. ઘરમાં જેઓ એકલ છે – સિન્ગલ, એમના માટે એ કૅદ જડબેસલાક બની જતી હોય છે કેમ કે સહભાગી થનારું કોઈ હોતું નથી -સિવાય કે બારી બહારની રડીખડી ચકલી, આઈ મીન, એનું ચીંચીં. સહભાગી હોય તે દૂર વસતું હોય, કે નજીક, પણ એને બોલાવાય નહીં, એને પણ એમ જ રખાય.

આમ તો, કોઈ પણ પ્રકારનો અલગાવ માણસને ક્યાં ગમે છે? હમેશાં દમે છે. કેમ કે, દરેક માણસ સહવાસ કે સાથસંગાથ – કમ્પેનિયનશિપ – ઝંખે છે. મનુષ્યનો એ મૂળેરો સ્વ-ભાવ છે. એના અસ્તિત્વનું એ મોટું રસાયણ છે.

પણ એ અલગાવ આમ કૅદ બની ગયો હોય, એ અસહ્ય સંકડામણ જ્યારે આમ સ્થિર એવી અકળામણ બની ગઈ હોય, ત્યારે માણસો, પહેલાં તો, સુસ્ત થવા માંડે છે, કામો કરવાનો એમનો ઉત્સાહ ઘટતો ચાલે છે, અને પછી એમને નાસીપાસી થાય છે કે – છોડ ને યાર, કશું નથી કરવું ! વ્યક્તિ પોતાને લો – ઢીલા – અનુભવે, વિડ્રો થઈ જાય એટલે કે સંકોચાઈને પોતાની અંદર વળી જાય. ટૂંકમાં, માણસ વધુ ને વધુ બંધ થવા માંડે છે. એટલે એ ચીડાઇ જાય છે, ઝકાઝકી કરે છે, ગુસ્સે થાય છે, તડાફડી કરે છે. અને એમ થવું એકદમનું સ્વાભાવિક છે. કરુણતા એ છે કે એ જાતના અપ-વર્તનની એ વ્યક્તિને ખબર નથી પડતી. આગળ જતાં, કેટલીક વ્યક્તિઓ સ્ટ્રેસ અને હાઇપર ટેન્શનમાં પણ સપડાઈ જતી હોય છે. અને એમ એમની મુશ્કેલી ગહન થતી જાય છે.

આપણી હાલત હજી એટલી બધી નથી બગડી કે ઘર આપણને કૅદ લાગે, છતાં થોડા દિવસ પછી નહીં લાગે એમ પણ નથી. હા, જલસાવાદી કેટલાક કહેશે – કૅદ શેની? પણ મનોમન તો એમને ય ખબર છે કે એના સંભવની પૂરી શક્યતા છે. હું જાણું છું કે આ વાતો ન-ગમે એવી છે, અસ્વસ્થ કરનારી છે. પણ એ કરવાનો એક જ હેતુ છે કે આવનારા સમય-સંદર્ભમાં આપણે આજે છીએ એથી વધુ ને વધુ સાવધાન રહીએ.

આવું બધું કહ્યું, સાહિત્યકલાને ય ‘ઠીક’ ગણી, છતાં હું તો શબ્દધની જ છું ને સાહિત્ય સિવાય મારી પાસે શૅઅર કરવા જેવું ભાગ્યે જ કંઈ છે. એટલે આ કૅદની વાતે મને કામૂની નવલકથા ‘આઉટસાઇડર’-ના નાયક મ્યરસોની કૅદ યાદ આવે છે. એ દાખલાથી મારે એ દર્શાવવું છે કે કૅદને પણ મ્યરસો કેવાક સંવેદનથી જીવે છે, કેવાક દૃષ્ટિકોણથી જુએ છે. પરિણામે, કૅદ મ્યરસો માટે સહજ અને સહ્ય બલકે કિંચિત્ રસપ્રદ બની જાય છે, કૅદ તો નથી જ રહેતી.

પણ એ દર્શાવવા માટે મારે જરા વધારે વીગતે કહેવું પડે એમ છે. અને કશો ઉભડક ઉલ્લેખ કરીને ચાલી જવું મને ગમતું નથી. એટલે આ પછીના દિવસે વિસ્તારથી …

(March 28, 2020 : Ahmedabad)

Loading

ચલ મન મુંબઈ નગરી — 37

દીપક મહેતા|Opinion - Opinion|28 March 2020

૧૯મી સદીના મુંબઈમાં એકલે હાથે પ્લેગની ૧૮ હજાર રસી મૂકનાર ડો. વિગાસ

મુંબઈ રોગમુક્ત બન્યું નથી, ભયમુક્ત બન્યું નથી

પરમકૃપાળુ પરમાત્મા મુંબઈનું અને તેના લોકોનું ભલું કરજો!

શનિવાર, ૧૮ સપ્ટેમ્બર ૧૮૯૬નો એ દિવસ. ચોમાસું વિદાય લઈ ચૂક્યું હતું. વહેલી સવારથી હવામાં બફારો હતો અને રસ્તા પર લોકોની ભીડ. પણ વર્ષોથી મુંબઈમાં રહીને ડો. વિગાસ આ ઉકળાટ અને ગરદીથી ટેવાઈ ગયા હતા. ઘરેથી તો પોતાની ઘોડાગાડીમાં નીકળેલા. જ્યાં ગોવન ખ્રિસ્તીઓની મોટી વસતી હતી એ કાવેલ વિસ્તારમાં રહેતા હતા ત્યાંથી વડગાદી જવા નીકળ્યા હતા. આ કાવેલ વિસ્તાર આજના જગન્નાથ શંકરશેઠ રોડ અને કાલબાદેવી રોડની વચ્ચે આવેલો. હવે ત્યાં રહી ગઈ છે કાવેલ નામની એક-બે ગલ્લીઓ. પાયધુની સુધી પહોંચ્યા પછી લાગ્યું કે આગળની સાંકડી ગલીઓમાં ઘોડાગાડી લઈ જવાય તેમ નથી એટલે ગાડી છોડીને ચાલવા લાગ્યા. ડોક્ટર પહેલી વાર વડગાદી આવ્યા હતા. સાંકડી શેરીઓ, બંને બાજુ જર્જરિત ચાલીઓ, ચારે બાજુ ગંદકીનો નહિ પાર. એક ઓરડીની બહાર થોડા લોકો ટોળું વળીને ઊભા હતા. અનુભવી ડોક્ટર સમજી ગયા કે જેને જોવા આવ્યા છે એ દરદી અહીં જ હશે. ડોક્ટરને આવતા જોઈને લોકો આઘા ખસી ગયા. ડોક્ટર અંદર ગયા. અંધારી, સાંકડી ઓરડી. ફર્શ પર પાથરેલી ફાટી-તૂટી ગોદડી પર એક સ્ત્રી સૂતી હતી. ડોક્ટરને લેવા આવેલા માણસે કહ્યું : ‘મારી મા છે આ.’ ઘરની બીજી એક યુવાન સ્ત્રીએ બારણા પાસેની વળગણી પર ખુલ્લી કરેલી સાડી લટકાવી દીધી જેથી બહાર ઊભેલા લોકો અંદર જોઈ ન શકે. ડોકટરે ભાંગી તૂટી ગુજરાતીમાં પૂછ્યું : ‘તમને સું તકલીફ થયા છે, બા?’ જવાબની આશા ડોકટરે રાખી જ નહોતી. સૂતેલી બાઈ કશુંક બબડી પણ ડોક્ટર તે સમજ્યા નહિ એટલે પેલી યુવાન સ્ત્રીએ કહ્યું : ‘બા કહે છે કે મને સૂઈ રહેવા દો.’ ‘કેટલા વખટથી એવન સૂતાં છે?’ ‘આખો દિવસ બસ સૂઈ જ રહ્યાં છે.’ ડોક્ટર દરદીને તપાસવા લાગ્યા. હા, થોડો તાવ છે, પણ દરદી ઘેનમાં રહે તેટલો નથી. ગરદન તપાસી. ના. મેનેનજાઈટિસ નથી. નાડી અનિયમિત હતી. હાર્ટ થાકવા લાગ્યું હતું. એક પછી એક બધાં મહત્ત્વનાં અંગો તપાસ્યાં અને એક પછી એક દરદની બાદબાકી કરતા ગયા. પેલી યુવાન સ્ત્રી હવે આગળ આવી. દરદીની સાડી થોડી નીચે ખસેડી, અને ડોક્ટરને કહ્યું : ‘સાહેબ, જરા આ જુઓ.’ ડોક્ટર ચોંક્યા : ‘અરે, આ તો સાથળમાં ગાંઠ.’ અનુભવી ડોક્ટરનું મન કહી રહ્યું હતું : નક્કી આ તો …ની ગાંઠ. પણ તેમનામાં રહેલો આશાવાદી સજ્જન કહી રહ્યો હતો : ના, ના. એવું કઈ રીતે બને? ના, એ રોગ નહિ હોય. ડોક્ટર દવાખાને પાછા આવ્યા. સાથેના માણસ સાથે દવા મોકલી. કહ્યું : સાંજે મને કહી જજો, કેમ છે એવણને તે.’

સરકારી પિક્ચર પોસ્ટ કાર્ડ પર સેગ્રગેશન કેમ્પનો ફોટો

બપોર સુધી બીજા દરદીઓને તપાસ્યા. પણ વારે ઘડીએ તેમની આંખ સામે પેલી ગાંઠ તરવરતી હતી. ત્યાં જ દવાખાના બહાર એક રૂપકડી ઘોડા ગાડી આવીને ઊભી રહી. તેમાંથી ઊતરીને એક તવંગર મારવાડી ડોક્ટર પાસે આવ્યો. સાથે સોળ-સત્તર વરસનો એક છોકરો હતો, દેખીતી રીતે માંદો. આવતાં વેંત દવાખાના બહારના બાંકડા પર સૂઈ ગયો. મારવાડીએ પોતાના ભત્રીજાની માંદગીનાં લક્ષણો ડોક્ટરને કહ્યાં. ડોક્ટર ચોંક્યા : પેલી સવારની બાઈ જેવાં જ લક્ષણો! ડોકટરે છોકરાને તપાસ્યો. હાશ, શરીરમાં ક્યાં ય ગાંઠ નહોતી. દવા આપી. પછી કહેવું નહોતું છતાં કહેવાઈ ગયું : ‘શરીરમાં ક્યાં ય ગાંઠ દેખાય તો મને તરત જણાવજો.’

રવિવારની વહેલી સવાર. હજી મુંબઈ સૂતું હતું. પણ પાળેલા કૂતરાના ભસવાનો અવાજ સાંભળી ડોક્ટર જાગી ગયા. હળવે પગલે બહાર આવ્યા. જોયું તો પેલો ગઈ કાલનો વડગાદીવાળો માણસ. ‘ડોક્ટર સાહેબ, જલ્દી ચાલો. માની તબિયત બહુ બગડી છે.’ ઘોડાગાડી તો થોડે દૂરના તબેલામાં હતી અને ગાડીવાન આવ્યો નહોતો. એટલે બનતી ઝડપે ડોક્ટર પોતાની સાઈકલ પર નીકળ્યા. થોડે દૂરથી જ તેમણે ઘરમાં થતી રોકકળ સાંભળી. સમજી ગયા કે ખેલ ખતમ થઈ ચૂક્યો હતો. થોડી સૂચનાઓ આપી ડોક્ટર નીકળી ગયા. ઘરે આવીને જુએ છે તો પેલો ગઈ કાલવાળો મારવાડી રાહ જોતો હતો. બોલ્યો : ‘સાહેબ, છોકરાને સાથળમાં ગાંઠ નીકળી છે ને બહુ પીડાય છે.’ ડોક્ટર તરત મારવાડીની ગાડીમાં તેને ઘરે જવા નીકળ્યા. પણ થોડે દૂર ગયા પછી ડોકટરે એકાએક ગાડી રોકવા કહ્યું. બોલ્યા : ‘આપણે ડોક્ટર કાવસજીને સાથે લેતા જઈએ. તેઓ છોકરાના લોહીની તપાસ કરશે.’

મુંબઈ છોડી જનારાઓની ભીડ

મારવાડીને બહાર રોકી ડો. વિગાસ ડો. કાવસજીના ઘરમાં ગયા. કહે : ‘અત્તર ઘડી મારી સાથે ચાલો. મને પ્લેગનો વહેમ છે. દરદીના લોહીની તપાસ કરવી પડશે’. કાવસજી : ‘કાલે રાતે જરા વધારે છાંટો-પાણી થઈ ગયાં લાગે છે, ડોક્ટર! મુંબઈમાં તે વળી પ્લેગ કેવો?’ પણ પછી ડો. વિગાસ અને મારવાડી સાથે જવા નીકળ્યા ડોક્ટર કાવસજી. છોકરાના લોહીનો નમૂનો લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યો. પણ રિપોર્ટ આવે તે પહેલાં તો છોકરો મરી ગયો હતો. અને રિપોર્ટ આવ્યો ત્યારે ડોક્ટર વિગાસની અનુભવી આંખે જે જોયું હતું તે સાચું પડ્યું. રિપોર્ટમાં લખ્યું હતું : ‘પ્લેગ બેસીલી.’

લોકોને પ્લેગની રસી આપવા માટે યોજાતા કેમ્પ

આ તો ભયંકર ચેપી રોગ! જાણીતા ડોક્ટર હોવા ઉપરાંત તેઓ મુંબઈ મ્યુનિસિપાલિટીના ચૂંટાયેલા સભ્ય પણ હતા. ઘરે આવીને ડોક્ટર વિગાસે ‘નોટિફિકેશન’ તૈયાર કર્યું અને સરકારી ઓફિસમાં જાતે જઈને આપી આવ્યા. પણ એમ કાંઈ એક ‘દેશી’ ડોક્ટરની વાત બ્રિટિશ સરકાર માની લે? તેમના અહેવાલની ચકાસણી કરવા એક સમિતિ નીમી સરકારે. એમાં પાંચ દિવસ નીકળી ગયા. સરકારી સમિતિએ ડોક્ટર વિગાસની વાતને પૂરેપૂરો ટેકો આપ્યો. અને ૨૯મી સપ્ટેમ્બરે મુંબઈના ગવર્નર લોર્ડ સેન્ડહર્સ્ટે હિન્દુસ્તાનના ગવર્નર જનરલ લોર્ડ એલ્જિનને તાર મોકલ્યો: ‘મુંબઈ શહેરમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો છે.’ 

સપ્ટેમ્બર પૂરો થાય ત્યાં સુધીમાં તો મુંબઈમાં પ્લેગને કારણે ૭૯ લોકોનાં મોત થયાં. પછી ઓક્ટોબરમાં ૩૧૩, ડિસેમ્બરમાં ૧,૨૭૧ અને જાન્યુઆરી ૧૮૯૭માં ૨,૧૮૮ મોત નોંધાયાં. બહુ મોટા પ્રમાણમાં લોકો મુંબઈ છોડી ‘દેશ’માં જવા લાગ્યા. લગભગ અડધું મુંબઈ ખાલી થઈ ગયું. ફેબૃઆરી ૧૮૯૭માં સરકારે રેલ કે દરિયાઈ રસ્તે મુંબઈ આવતા તથા જતા બધા જ મુસાફરો માટે તબીબી તપાસ ફરજિયાત બનાવી. મુંબઈ છોડીને જે લોકો ભાગ્યા હતા તેમાંના કેટલાક તો ક્યારે ય પાછા આવ્યા જ નહિ. ૧૮૯૧માં થયેલી વસતી ગણતરી પ્રમાણે મુંબઈમાં ૮,૨૧,૭૬૪ લોકો વસતા હતા. ૧૯૦૧માં વસતી ગણતરી થઈ ત્યારે મુંબઈનો વિસ્તાર વધ્યો હતો. છતાં એ વખતે મુંબઈની વસતી હતી ૮,૧૨,૯૧૨. એટલે કે વસતિમાં ૮,૮૫૨નો ઘટાડો થયો હતો. ૧૮૭૨માં વસતી ગણતરી શરૂ થઈ ત્યારથી આજ સુધીમાં માત્ર આ એક જ વખત મુંબઈની વસતી ઘટી છે. તે સિવાય દર દસ વર્ષે તેની વસતિમાં સતત વધારો જ થતો રહ્યો છે. પછી ચોથી ફેબ્રુઆરીએ બ્રિટનની પાર્લામેન્ટે ‘એપિડેમિક ડીઝીઝ એક્ટ’ પસાર કર્યો. આ કાયદા હેઠળ બોમ્બે પ્રોવિન્સની સરકારને અસાધારણ સત્તા આપવામાં આવી. આઝાદી પછી આપણી પાર્લામેન્ટે આ કાયદાને બહાલી આપી છે એટલે આજે ય તે અમલમાં છે અને ૧૨૩ વરસ પછી અત્યારે કોરોનાના કેરને પહોંચી વળવા માટે કેન્દ્રની અને રાજ્યોની સરકાર જે પગલાં લઈ રહી છે તે આ કાયદા હેઠળ જ લઈ રહી છે.

પ્લેગના દર્દીઓ માટેની અલાયદી હોસ્પિટલ

બીજી બાજુ ડો. વિગાસે પોતાના જીવના જોખમે રોગીઓની સારવાર કરવા માંડી. સાથોસાથ મુંબઈની ગંદી ઝૂંપડપટ્ટીઓમાં સફાઈ કરવાની અને જ્યાંથી દેખાય ત્યાંથી ઉંદરોનો નાશ કરવાની ઝુંબેશ ઉપાડી. તો મુંબઈના ગવર્નરે ડો. વાલ્ડેમર હાફકિન (૧૮૬૦-૧૯૩૦) સાથે મસલત કરી તેમને પ્લેગ માટેની રસી તૈયાર કરવા જણાવ્યું. મૂળ રશિયાના વતની આ ડોક્ટરે અગાઉ કોલેરા માટેની રસી તૈયાર કરી આપી હતી. ગ્રાન્ટ મેડિકલ કોલેજની એક કોરિડોરમાં તેમણે પોતાની પ્રયોગશાળા શરૂ કરી અને ૧૮૯૭ના જૂનની ૧૦મી તારીખે પ્લેગ માટેની રસી તૈયાર કરી. તેનો પહેલવહેલો પ્રયોગ તેમણે પોતાની જાત પર કર્યો! પછી આર્થર રોડ જેલના કેટલાક કેદીઓ પર કર્યો. અને પછી સરકારે લોકો માટે આ રસી વાપરવાનું શરૂ કર્યું. મુંબઈમાં પરેલ ખાતે આવેલી સરકારી પ્રયોશાળા સાથે ૧૯૨૫માં સરકારે ડો. હાફકિનનું નામ જોડ્યું. ૧૯૬૪માં ભારત સરકારે તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડી હતી. 

પોતાના જાનની પરવા કર્યા વગર ડો. વિગાસે એકલે હાથે ૧૮ હજાર માણસોને આ રસી મૂકી. લોકોને આ રોગ વિષે સમજણ આપવા સરકારે ઠેર ઠેર કેમ્પ યોજ્યા. ત્યાં જઈને ડો. વિગાસ રસી મૂકતા. જેમને પ્લેગનો રોગ લાગુ પડી ચૂક્યો છે એવા લોકોને અલગ રાખવા માટે તેમની સલાહ પ્રમાણે સરકારે ‘સેગ્રગ્રેશન કેમ્પ’ શરૂ કર્યા. જરૂર જણાય ત્યાં પોલીસ રહેણાકની કે વેપારધંધાની કે બીજી કોઈ પણ જગ્યામાં દાખલ થઈને તપાસ કરી શકે, માંદા લોકોને ફરજિયાત અલગ છાવણીમાં ખસેડી શકે, ઘર કે કોઈ પણ વિસ્તાર ખાલી કરવા લોકોને ફરજ પાડી શકે, એવી કાયદામાંની જોગવાઈઓનો સરકારે પૂરેપૂરો ઉપયોગ કર્યો. તેથી રોગ તો કાબૂમાં આવ્યો પણ લોકોમાં સરકાર સામે નારાજગી ફેલાઈ. પરિણામે કેટલીક જગ્યાએ નાનાં-મોટાં છમકલાં થયાં. એટલું જ નહિ, સરકારે બનાવેલી ‘પ્લેગ કમિટી’ના પ્રમુખ વોલ્ટર ચાર્લ્સ રેન્ડનું ખૂન કરવામાં આવ્યું. ૧૮૯૭ના જૂનની ૨૨મી તારીખે ચાફેકર બંધુઓએ પૂનામાં તેમનું ખૂન કર્યું.

શરૂઆતથી માંડીને ૧૯૦૭ના મેની ૩૧મી તારીખ સુધીમાં મુંબઈમાં પ્લેગને કારણે ૧,૫૭,૮૯૧ માણસોનાં મૃત્યુ થયાં હતાં. પ્લેગ અંગેનાં કામો પાછળ મુંબઈ સરકારે કુલ ૯૭,૪૦,૯૮૫ રૂપિયા ખર્ચ્યા હતા. પણ મુંબઈમાં પ્લેગનો પહેલો કેસ શોધીને સરકારને સાવચેત કરનાર ડો. વિગાસ હતા કોણ? આખું નામ એકાસિયો ગેબ્રિઅલ વિગાસ. ૧૮૫૬ના એપ્રિલની પહેલી તારીખે ગોવામાં જન્મ. ૨૧ ફેબ્રુઆરી, ૧૯૩૩ના રોજ મુંબઈમાં અવસાન. મૂળ ગોવાના વતની. ત્યાં જ પ્રાથમિક શિક્ષણ પૂરું કરી મુંબઈ આવ્યા અને સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં દાખલ થયા. પછી ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરીને એલ.એમ. એન્ડ એસ.ની પરીક્ષા પહેલા વર્ગમાં પાસ કરી. મુંબઈમાં પ્રેક્ટીસ શરૂ કરી. ૧૮૮૮થી ૧૯૦૭ સુધી દર વખતે મુંબઈ મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં ઊભા રહ્યા અને જીત્યા. ૧૯૦૬માં તેઓ બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ બન્યા. પ્રમુખ તરીકે તેમણે ગરીબોની મફત સારવાર અને મફત શિક્ષણ અંગેની જોગવાઈઓ કરી.

ધોબી તળાવ પર આવેલું ડો. વિગાસનું પૂતળું

પ્રિન્સેસ સ્ટ્રીટ અને ઠાકુરદ્વાર વચ્ચે ગિરગામ રોડ પરથી શરૂ થઈ કાલબાદેવી તરફ જતા એક રસ્તા સાથે ડો. વિગાસનું નામ જોડાવામાં આવ્યું છે. અને ધોબીતળાવ પર આવેલી ફરામજી કાવસજી જનરલ લાઈબ્રેરી અને રીડિંગ રૂમના કંપાઉંડમાં ડો. વિગાસનું આદમકદ પૂતળું ૧૯૩૬માં ઊભું કરવામાં આવ્યું, જે આજે પણ મોજૂદ છે. આજે કોરોના વાયરસના ભયથી પીડાતા મુંબઈને જોઈને ડો. વિગાસના ચહેરા પર થોડી ઉદાસી છવાઈ હોય તેમ લાગે છે. જાણે વિચારી રહ્યા ન હોય કે ‘અરે, આટઆટલાં વર્ષોનાં વહાણાં વાઈ ગયાં તો ય હજી મારું મુંબઈ ઝૂંપડપટ્ટી મુક્ત બન્યું નથી, રોગમુક્ત બન્યું નથી, ભયમુક્ત બન્યું નથી. પરમકૃપાળુ પરમાત્મા મુંબઈનું અને તેના લોકોનું ભલું કરજો!’

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : "ગુજરાતી મિડ-ડે", 28 માર્ચ 2020

Loading

પૂછ ના કોના સાટું ગુંજે …

જૉન ડન • અનુવાદ : પ્રતિષ્ઠા પંડ્યા|Poetry|27 March 2020

પૂછ ના કોના સાટું ગુંજે …

દ્વિપ નથી કોઈ જણ આ માટીનો
આખેઆખો ને સૌથી અળગો
છે એકેએક ટુકડો ખંડનો
કોઈ એક વિશાળ અખંડનો
તાણી જાય જો દરિયો કોઈ દિ'
ટુકડો નાનો આ ભૂમિનો
તો થાય જરૂર આ યુરોપ ઢુંકડો
જેમ એક ભૂશિરનો કટકો
જેમ તારા ઘરઆંગણ ઓટલો
કાં મિત્રની મઢૂલીનો ઉંબરો
જન એક મરે, ઘટે આતમ મારો
કારણ જીવ હું રહ્યો ના જુદો
કણ કણમાં વસતો મારો માંહ્યલો
પૂછ ના કોને સાટું ગુંજ્યો
ગિરજાઘરનો ઘંટ એ મોટો
ગાજે તારા ય અંતનો ડંકો

Loading

...102030...2,5402,5412,5422,543...2,5502,5602,570...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved