Opinion Magazine
Number of visits: 9575941
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હું દેશોમાં વિશ્વાસ નથી કરતો, હું રાષ્ટ્રવાદી નથી, હું રાષ્ટ્રદ્રોહી છું : રજનીશ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|15 February 2020

રજનીશ ચંદ્રમોહન જૈન 'ભગવાન' બનીને માણસની અધ્યાત્મિક ક્રાંતિની વાતો કરતા થયા, તે પહેલાં તેમના આચાર્ય-કાળમાં, તેઓ પ્રવચનોમાં રાજનૈતિક-સામાજિક ક્રાંતિના નારા આપતા હતા. એવા જ એક પ્રવચનમાં એમણે કહ્યું હતું, "માનવતા તેની એંસી ટકા આવડતને યુદ્ધ સંબંધી કામમાં વ્યય કરે છે. આ આવડત જો કૃષિમાં, બગીચાઓમાં કે ફેકટરીઓમાં લગાવવામાં આવે, તો આ ધરતી સ્વર્ગ થઇ જાય. ગરીબમાં ગરીબ દેશ એટમ બોમ્બ બનાવવામાં વ્યસ્ત છે. હું દેશોમાં વિશ્વાસ નથી કરતો. રાષ્ટ્રવાદને છોડવાવાળો ભારત પહેલો દેશ હોવો જોઈએ. આપણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર બનવા જોઈએ. ભારત સંયુક્ત રાષ્ટ્ર સંઘની એસેમ્બલી બનવો જોઈએ. આપણે સ્વયંને સંયુક્ત રાષ્ટ્રને સોંપી દેવા જોઈએ. એવું કહી શકાય કે, એક રાષ્ટ્રના સંદર્ભમાં હું રાષ્ટ્રદ્રોહી છું, પણ હું માનવતા-દ્રોહી નથી. વાસ્તવમાં દેશોને પ્રેમ કરવાવાળા બધા માનવતા-દ્રોહી છે. રાષ્ટ્રભક્તિનો મતલબ જ 'માનવતા પ્રત્યે દ્રોહ' છે. રાષ્ટ્રભક્તિનો મતલબ છે, ટુકડા પાડવા. રાષ્ટ્રવાદ એક પાપ છે. આ રાષ્ટ્રવાદના કારણે વિશ્વ સમસ્યાઓમાં ઘેરાયેલું છે. હું રાષ્ટ્રવાદી નથી." (“નવનીત” – હિન્દી, કવર સ્ટોરી, ૨૦૧૬)

1908માં વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝની પત્ની અબલા બોઝની ટીકાનો જવાબ આપતાં રવીન્દ્રનાથ ટાગોરે એક જગ્યાએ લખ્યું હતું કે, ‘દેશભક્તિ આપણો અંતિમ આધ્યાત્મિક સહારો ન બનવી જોઈએ. મારો આશ્રય માનવતા છે. હું હીરાની કિંમતે કાચ નહીં ખરીદું. હું જ્યાં સુધી જીવતો છું, ત્યાં સુધી માનવતા ઉપર દેશભક્તિની જીત નહીં થવા દઉં.’

થોડા વખત પહેલાં, હોમો સેપિયંસ પુસ્તકના લોકપ્રિય લેખક અને ઇતિહાસકાર યુવલ નોઆહ હરારી મુંબઈ આવ્યા હતા, ત્યારે તેમણે કહ્યું હતું કે, "રાષ્ટ્રવાદ એ વૈશ્વિકવાદ નથી, એ કબીલાઈવાદ છે. આપણે વિચાર બદલવો પડશે. વૈશ્વિક સમસ્યાઓનાં સમાધાન વૈશ્વિક હોવાં જોઈએ. માનવતાને બચાવવી હશે તો વૈશ્વિક ડહાપણને કામે લગાડવું પડશે, નહીં તો છૂટીછવાઈ બેવકૂફી ધનોતપનોત કાઢી નાખશે. માણસની બેવકૂફીની તાકાત ઓછી આંકવા જેવી નથી."

દેશનો મતલબ માત્ર ભૂગોળ, ઇતિહાસ થતો નથી. દેશનો મતલબ થાય છે એમાં રહેતા લોકો. દેશને પ્રેમ કરવો એટલે એની ભૌગોલિકતા અને એના ઇતિહાસને પ્રેમ કરવો એ ખાસ્સો સંકુચિત અભિગમ છે, અને છતાં ય એ જ સૌથી વ્યાપક છે. આ સૌથી સરળ રસ્તો પણ છે. આમાં આપણે કોઇ કર્તવ્ય પાલન કરવાનું આવતું નથી. તમે ટ્રેનમાં કે બસમાં ટિકિટ લીધા વગર પ્રવાસ કરતા હો, અને 15મી ઑગસ્ટે દેશપ્રેમનાં ગીત ગાતા હો, એવી સરળતા આ પ્રતિકાત્મક પ્રેમમાં છે. અથવા તમે તમારા પાડોશીનો એના રંગ કે ધર્મ કે જાતિને કારણે તિરસ્કાર કરતા હો, પણ દેશ પ્રેમનું ઝનૂન બતાવવામાં પાછા ન પડો એવું પણ બને.

રાષ્ટ્રભક્તિની પહેચાન શૂરવીરતા કે શહીદીમાં જ નથી, પણ પોતાના પરિવાર, પ્રદેશ અને સરકાર પ્રત્યેની પ્રામાણિક જવાબદારીમાં છે. એક વિજ્ઞાની, રમતનો ખેલાડી, શિક્ષક કે એક વેપારી એટલો જ રાષ્ટ્રભક્ત છે, જેટલો એક વફાદાર અને ઇમાનદાર સૈનિક હોય છે. એમ તો મહાત્મા ગાંધી સરહદ પર જઇને લડ્યા ન હતા, અને છતાં એમને રાષ્ટ્રભક્તોમાં ઊંચા રાષ્ટ્રભક્ત ગણવામાં આવે છે. એ રાષ્ટ્રભક્તિ એમના ડહાપણ, પ્રામાણિકતા અને જવાબદેહીમાંથી આવતી હતી. એટલા માટે જ એમને ‘અહિંસાના સૈનિક’ એવું નામ પણ મળ્યું હતું.

રવીન્દ્રનાથ ટાગોરની ‘ઘરે-બાહિરે’ કહાનીમાં નાયક નિખિલ સામાજિક સુધાર અને મહિલા સશક્તિકરણનો જબ્બર હિમાયતી છે, પણ રાષ્ટ્રવાદની વાત આવે ત્યારે નરમ થઈ જાય છે. તેની પ્રેમિકા વિમલા, નિખિલના આ વ્યવહારથી નારાજ છે. એ ચાહે છે કે નિખિલ અંગ્રેજ વિરોધી નારા લગાવીને પોતાની દેશભક્તિનો પરિચય આપે. આ દરમિયાન વિમલાને નિખિલના દોસ્ત સંદીપ સાથે ઇશ્ક થઈ જાય છે, જે એક સુંદર વક્તા છે અને દેશભક્તિથી છલોછલ યૌદ્ધાની જેમ વ્યવહાર કરે છે.

સંદીપ આંદોલનમાં ભાગ ન લેનાર લોકોની દુકાનો પર હુમલાની તૈયારી કરે છે, અને નિખિલ એ લોકોની મદદ કરીને જાન બચાવે છે. એમાં નિખિલ વિમલાને કહે છે, ‘હું દેશની સેવા કરવા માટે હંમેશાં તૈયાર છું, પરંતુ મારી પૂજાનું હકદાર સત્ય છે, જે મારા દેશથી પણ ઉપર છે.’

દેશનો મતલબ નકશા અને પ્રતીકોને પ્રેમ કરવાનો નથી. દેશ સરહદોથી બનતો નથી. દેશની રચના અને ઓળખ લોકોના સમૂહથી બને છે.

‘એરલિફ્ટ’ ફિલ્મમાં રણજિત (અક્ષયકુમાર) લોકોની જે મદદ અને સેવા કરે છે એ દેશપ્રેમ છે. જ્યોર્જ કુટ્ટી (પ્રકાશ વેલાવાડી), જે રણજિતને પરેશાન કરતો રહે છે અને ‘અમે અને તમે’નો ભેદભાવ કરતો રહે છે, તે રાષ્ટ્રવાદથી પ્રભાવિત છે. દેશપ્રેમ એ છે, જેમાં તમને એક સુંદર દેશના નાગરિક હોવાનો આનંદ છે. દેશપ્રેમમાં તમારા દેશના લોકો પ્રત્યે પ્રેમ પહેલા નંબરે હોય છે. રાષ્ટ્રવાદમાં તમારા દેશ સિવાયના લોકો પ્રત્યે નફરત પહેલા નંબરે હોય છે.   

પ્રગટ : ‘મોર્નિંગ મ્યૂસિંગ’, “મુંબઈ સમાચાર”, 09 ફેબ્રુઆરી 2016

https://www.facebook.com/permalink.php?story_fbid=2505305383130839&id=1379939932334062&__tn__=K-R

Loading

શાહીનબાગ ખાતે એક સાંજ

મીનાક્ષી જોષી|Opinion - Opinion|14 February 2020

તાજેતરનાં દિલ્હીનાં પરિણામો અને પ્રચારમાં શાહીનબાગ છવાયેલું રહ્યું. આ શાહીનબાગ દિલ્હીથી નોઇડા જવાના રસ્તા ઉપર આવેલું છે. દિલ્હીમાં ઘણાં બાગ છે એમાં આ શાહીનબાગ પણ છે. આ શાહીનબાગ ખાતે નાગરિકતા સંશોધન કાયદા(સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ – CAA)ના વિરોધમાં મહિલાઓ ૧૫ ડિસેમ્બર, ૨૦૧૯થી ૨૪ x ૭ ધરણાં પર બેઠી છે. અને પોતાનું CAA વિશેનું મંતવ્ય જાહેર કરી રહી છે કે અમને એ નામંજૂર છે કારણ કે એ NPR અને NRC સાથે જોડાયેલ છે.

આ શાહીનબાગ ખાતે એક સાંજ પસાર કરવાનો મને મોકો મળ્યો.

એ દિવસ હતો ૫ ફેબ્રુઆરી, ૨૦૨૦. એ પહેલાં ૨૧ જાન્યુઆરીએ, કોલકાતામાં પાર્ક સર્કસ ખાતે પછી ૨૬ જાન્યુઆરીએ અમદાવાદમાં અજીત મિલ, રખિયાલ ખાતે શાહીનબાગ ચળવળમાં જોડાવાનું બન્યું હતું. ૫ ફેબ્રુઆરીએ, શાહીનબાગના મંચ પરથી, સેક્યુલર લોકશાહી આંદોલન અને વિમેન્સ ઇન્ટરનેશનલ લીગ ફોર પીસ ઍન્ડ ફ્રિડમ (WILPF) તરફથી, ગુજરાતના પ્રતિનિધિ તરીકે આ ચળવળને ટેકો જાહેર કર્યો જેને હાજર સૌએ વધાવી લીધો. મંચ પરથી, પંજાબથી લઈને, મુંબઈ સુધીના પ્રતિનિધિઓએ આવીને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. એટલા પ્રતિનિધિઓ ઉમટ્યા હતા કે એમને ઓળખવાનું અને ગણવાનું અસંભવ હતું.

શાહીનબાગના પ્રવેશ દ્વાર ઉપર જ એક મોટો લોખંડથી બનાવેલો ભારતનો નકશો છે. એ નકશા પર લખાયેલું છે કે અમને CAA નામંજૂર છે. ફૂટ ઓવરબ્રિજ પર ત્રિરંગા રંગે રંગાયેલા મોટા પોસ્ટર પર લખ્યું છે – જિન્હેં નાઝ હે હિંદ પર વો કહાં હૈ, યહાં હૈ! યહાં હૈ!’ આમ, એકદમ નવીન રીતે ધરણાં પ્રદર્શનનો એક નવો ચિતાર આપણી સામે આવ્યો. માત્ર દિલ્હીવાસીઓ માટે નહીં પરંતુ દેશમાં પણ શાહીનબાગ લોકોના પ્રતિરોધનું એક પ્રતીક બની ગયું. ઘણા બધા માટે તો જાણે કે એક યાત્રાધામ બની ગયું છે. દિલ્હી જનારા, દિલ્હી નહીં જનારા સૌને એમ થતું હતું કે ચાલો! એક વાર તો શાહીનબાગ જઈએ. મને પણ થતું હતું કે ચાલો! શાહીનબાગ. તો, આ શાહીનબાગ એટલે શું જલિયાંવાલા બાગ છે? ના, એ જલિયાંવાલા બાગનો જવાબ છે. તો, આ શાહીનબાગ ખાતે બેઠેલી મહિલાઓ કોઈ મોટાં ડિગ્રીધારી કે મોટા હોદ્દા પર બેઠેલાં બહેનો કે નારીવાદી ચળવળના કર્મશીલો નથી. એ સાવ આર્થિક રીતે પછાત કહેવાતા તબક્કામાંથી આવતી બહેનો છે. પરંતુ, એમણે CAAના ભયને પીછાણ્યો છે. CAAની પાછળ રહેલી આખીયે વ્યવસ્થાને એ સમજી રહ્યાં છે. અને એટલે એ પોતે પોતાનું ઘરબાર, પોતાની રોજબરોજની તકલીફો, પોતાનાં બાળકો, પોતાની બધી જવાબદારીઓ – આ બધાંને નિભાવતાં નિભાવતાં એ આવીને ધરણાં-પ્રદર્શનમાં જોડાઈ રહ્યાં છે. દિલ્હીની કડકડતી ઠંડીને વેઠી રહ્યાં છે. તેઓ પોતાનાં બાળકો સહિત જાણે કે લોકશાહી માટેની પરીક્ષા આપવા બેઠાં છે.

દેશની આઝાદીની ચળવળ પછી અને અન્ના હઝારેજીના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન તથા નિર્ભયા ઘટના વખતે મહિલાઓનાં સ્વમાન અને સન્માન માટે ઊઠેલો એક અવાજ – પ્રતિરોધનો અવાજ આ દેશ માટે એક વિશિષ્ટ અનુભવ હતો. પરંતુ આજ સુધી થયેલાં આંદોલનોમાં શાહીનબાગ એક વિશેષ ભાત ઉપસાવે છે તે એ છે કે આટલાં બધાં આંદોલનોમાં, મહિલાઓએ આગેવાની લીધી હોય તેવું આ એક માત્ર આંદોલન છે. અને આ આંદોલન ન તો કોઈ વ્યક્તિ-સમૂહ-જૂથ કે મહિલાઓની માંગણીઓ માટે છે – એ સમગ્ર દેશના નાગરિકો માટે, એ ધર્મને આધારે વિભાજિત કરતી રાજનીતિ સામે, એક સ્વસ્થ લોકશાહી સમાજ માટેનું આંદોલન છે. શાહીનબાગ જેવી દેશમાં ૨૦૦ જેટલી ચળવળો ચાલી રહી છે. દિલ્હીમાં જ ૧૨ કરતાં વધુ સ્થળોએ શાહીનબાગ જેવી ચળવળો ચાલી રહી છે. કલકત્તામાં પણ, અમદાવાદમાં પણ. દેશમાં એકેય શહેર બાકી નહીં હોય જે પોતાનું શાહીનબાગ ઊભું કરવામાં પાછું પડ્યું હોય.

આ શાહીનબાગ ચળવળે દેશનાં કર્મશીલોમાં અને મહિલા કર્મશીલોમાં એક વિશેષ જોશ-જુસ્સો ભર્યો છે એ વિશે શક નથી. આ બહેનોએ એવી મિસાલ કાયમ કરી છે – જે આપણને સહુને યાદ દેવડાવે છે કે દેશની આઝાદીનાં ૭૦ વર્ષ પછી, દેશની આઝાદીને નાત-જાત-ધર્મ-ભાષા-પ્રદેશને આધારે વહેંચતી રાજનીતિ સામે અવાજ ઊઠાવવો એ સમયનો તકાજો છે.

છેલ્લે એટલું જ કે, ‘તેરે ગુરૂર કો જલાએગી વો આગ હૂં, આકર દેખ મુજે, મૈં શાહીન બાગ હૂં!’

E-mail : meenakshijoshi1962@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, ૧૬ ફેબ્રુઆરી 2020; પૃ. 07

Loading

દિલ્હીઃ ‘તહજીબ’ જીતી ગઈ, ‘નફરત’ હારી

કેયૂર કોટક|Opinion - Opinion|14 February 2020

બાપુ સાચું કહેતા હતા કે, हर एक अपने को देखे. બાપુએ આ વિધાન ૧૯૪૭માં હિંદુસ્તાનના વિભાજન સમયે હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે ફાટી નીકળેલાં કોમી તોફાનો વચ્ચે કર્યું હતું. તેમણે કોમી તોફાનને ઠારવા દરેકને પોતાના અંતરાત્માનો અવાજ સાંભળવા અપીલ કરી હતી. એ સમયે બાપુની અપીલ દિલ્હીમાં કેટલા લોકોને સ્પર્શી હતી એ તો ખબર નથી, પણ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જાણેઅજાણે આશરે ૫૪ ટકા દિલ્હીવાસીઓએ બાપુનો આ મંત્ર અપનાવી લીધો હોય એવું લાગે છે. કદાચ દિલ્હીનાં દર ૧૦૦ મતદાતાઓમાંથી લગભગ ૫૪ મતદાતાઓએ મતદાનને દિવસે પોતાના અંતરાત્માને પૂછ્યું હશે કે, ‘છેલ્લાં પાંચ વર્ષમાં મને કેજરીવાલનું શાસન કેવું લાગ્યું?’ દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવી ગયાં છે અને અપેક્ષા મુજબ દિલ્હીવાસીઓએ ‘એક બાર ફિર કેજરીવાલ’નો સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. ભા.જ.પ.નો વોટશેર જેટલો વધ્યો લગભગ એટલી જ બેઠકો વધી છે અને કૉંગ્રેસે દિલ્હીમાં વધુને વધુ શરમજનક પરાજયની પરંપરા જાળવી રાખી છે.

દિલ્હીવાસીઓએ ‘તહજીબ’ જાળવી રાખી

‘તહજીબ’ એટલે સભ્યતા, શિષ્ટતા. દિલ્હીવાસીઓ માટે કહેવાય છે કે, એની આગવી ‘તહજીબ’ છે. પણ ભા.જ.પ.ના નેતાઓએ આ ચૂંટણીમાં શરમજનક પરાજય ટાળવા માટે દિલ્હીની હવાને ‘બદલી’ નાંખી કહીએ તો ચાલે. પાનના ગલ્લે બે મવાલીઓ સામેસામે આવી જાય અને જે ભાષાઓ વાપરે એવી ભાષાનો ઉપયોગ ભા.જ.પ.નાં નેતાઓએ કર્યો. દિલ્હીનાં હિંદુઓમાં કાલ્પનિક ભય ઊભો કરવા કહ્યું કે, ‘શાહીનબાગ કે લોગ ઘર મેં ઘુસ કર બલાત્કાર કરેંગે.’  હિંદુઓનાં મનમાં નફરતનો જ્વાળામુખી પ્રકટાવવા અપીલ કરી કે, ‘ગોલી મારો ઇન …..’ પણ દિલ્હીવાસીઓ ભા.જ.પ.નાં ‘ચૂંટણીલક્ષી હિંદુત્વ’ના ચક્રવ્યૂહમાં ફસાયા નહીં. ઊલટાનું સમજુ નાગરિકોમાં એની અવળી અસર થઈ.

કેજરીવાલનાં વિજયની ફોર્મ્યુલા = સુશાસન + રાષ્ટ્રવાદ + હનુમાન ચાલીસા

મોદી સ્ટાઇલ એટલે રાષ્ટ્રવાદ + વિકાસ + હિંદુત્વ. કેજરીવાલે પણ આ જ સ્ટાઇલ અપનાવી પણ ફોર્મ્યુલા બદલી નાંખી. એમણે સુશાસન + રાષ્ટ્રવાદ + હનુમાન ચાલીસાની ફોર્મ્યુલા અપનાવી. કેજરીવાલે દિલ્હીવાસીઓને પાણી અને વીજળી મફત આપી. સરકારી શાળાઓની ગુણવત્તા ખાનગી શાળાઓની ગુણવત્તાથી પણ વધારી દીધી. મહોલ્લા ક્લિનિક શરૂ કરીને લોકોનાં ઘરઆંગણા સુધી સ્વાસ્થ્ય સુવિધાઓ પહોંચાડી. એક સામાન્ય નાગરિકને બીજું શું જોઈએ! પણ કેજરીવાલે એમની ફોર્મ્યુલામાં સુશાસનની સાથે સાથે રાષ્ટ્રવાદ અને સંયમી હિંદુત્વને જોડી દીધુંને ભા.જ.પ.ને મોદીસ્ટાઇલમાં જ પરાજયનો સ્વાદ ચખાડ્યો.

યાદ હશે કે, વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં દિલ્હીની બેઠકો પર આપ ત્રીજા સ્થાને સરકી ગઈ હતી. એ અગાઉ વર્ષ ૨૦૧૭માં એમ.સી.ડી.ની ચૂંટણીમાં પણ આપનો પરાજય થયો હતો. એ પછી અરવિંદ કેજરીવાલ સચેત થઈ ગયા હતા. તેમણે નરેન્દ્ર મોદીને નિશાન બનાવવાનું છોડી દીધું, કલમ ૩૭૦ની નાબૂદીને સમર્થન આપ્યું હતું, સી.એ.એ. મુદ્દે પ્રતિક્રિયા આપી, પણ ભારતીય બંધારણ સર્વોપરી છે એવું કહીને હિંદુ અને મુસ્લિમ – એક પણ સમુદાયને નારાજ ન કર્યો. આ રીતે કેજરીવાલે પોતે નરેન્દ્ર મોદી જેટલા જ રાષ્ટ્રવાદી છે એવું સાબિત કરી દીધું હતું.

જ્યારે ચૂંટણી નજીક આવી, ત્યારે ભા.જ.પ.ને વિજયની આશા તો નહોતી જ. પણ અમિત શાહ આણી મંડળી શરમજનક પરાજયમાંથી બચવા ઇચ્છતી હતી. એટલે એમણે જોરશોરથી અરવિંદ કેજરીવાલને શાહીન બાગ મુદ્દે ચક્રવ્યૂહમાં ફસાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પણ કેજરીવાલ રાજકારણનો કક્કો-બારાખડી અરુણ જેટલી જેવા ભા.જ.પ.નાં નેતાઓ પાસેથી જ શીખ્યાં છે. એટલે તેઓ ભા.જ.પ.ને એના હાથે જ કાન કેવી રીતે પકડાવવા એ સારી રીતે જાણે છે. તેમણે શાહીન બાગ મુદ્દે ચૂપકીદી સાધી લીધી. વળી જે રીતે ગુજરાતમાં મોદીએ પ્રજા પર સારી પકડ ધરાવતા સાધુસંતોની સભામાં જઈને એમનાં ચરણોમાં પડીને આશીર્વાદ મેળવીને પોતાની હિંદુવાદી નેતાની છબી મજબૂત કરી હતી, એ જ રીતે કેજરીવાલે ચૂંટણી અગાઉ હનુમાનજી મહારાજનાં દર્શન કર્યા અને હનુમાન ચાલીસાનાં પાઠ કર્યા અને મોદીની સોશિયલ મીડિયા ટીમ મોદીનાં વીડિયો અને સંવાદો વાયરલ કરે છે, તેમ કેજરીવાલનો હનુમાન ચાલીસાનો પાઠ કરતો વીડિયો પણ ‘પવનવેગે’ વાયરલ થઈ ગયો. આ રીતે કેજરીવાલે દિલ્હીવાસીઓને સંકેત આપ્યો હતો કે, તેઓ હિંદુ છે, પણ ભા.જ.પ.ની જેમ ‘ચૂંટણીલક્ષી હિંદુત્વ’નાં રાજકારણમાં માનતા નથી.

ટીના ફૅક્ટર

જે રીતે વર્ષ ૨૦૧૪ અને વર્ષ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને TINA (There Is No Alternative) ફૅક્ટર ફળ્યું હતું, એ જ રીતે આ પરિબળે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને વિજય અપાવ્યો છે. જ્યારે ચૂંટણીનાં પ્રચાર દરમિયાન અમિત શાહ અને ભા.જ.પ.નાં ૨૫૦થી વધારે સાંસદો શાહીન બાગ, બંધારણમાંથી ૩૭૦મી કલમની નાબૂદી, નાગરિકતા સંશોધન ધારો (સી.એ.એ.) જેવા રાષ્ટ્રીય મુદ્દાઓને લઈને સભાઓ ગજવતા હતા, ત્યારે અરવિંદ કેજરીવાલ દિલ્હીવાસીઓને પૂછતાં હતાં કે, ભા.જ.પ. પાસે મારો વિકલ્પ છે? એટલું જ નહીં, જેમ કાઁગ્રેસે નરેન્દ્ર મોદીને વર્ષ ૨૦૦૨થી સતત નિશાન બનાવીને વર્ષ ૨૦૧૪ સુધી રાષ્ટ્રીય સ્તરનાં નેતા બનાવી દીધા, એ જ રીતે ભા.જ.પ.નાં અમિત શાહ સહિત તમામ નેતાઓએ કેજરીવાલને નિશાન બનાવીને એમને ‘દિલ્હીના શહેનશાહ’ બનાવી દીધા.

ભાજપ માટે બોધપાઠ

જેમ એક સમયે કૉંગ્રેસ ‘ઇન્દિરામય’ બની ગઈ હતી, તેમ અત્યારે ભા.જ.પ.નાં સંપૂર્ણ રાજકારણનું કેન્દ્ર મોદી-શાહ છે. મોટા ભાગનાં રાજ્યોમાં પ્રાદેશિક નેતાઓને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યાં છે અથવા તેઓ પોતે નિષ્ક્રિય થઈ ગયા છે. કાઁગ્રેસે પ્રાદેશિક નેતૃત્વને વિકસવાની તક ન આપીને જે પરિણામો ભોગવ્યાં એવા જ પરિણામો ભા.જ.પ.ને ભોગવવા પડશે. મોદી-શાહીની જોડીએ એ સમજવું પડશે કે, રાષ્ટ્રીય સ્તરે હજુ પણ મોદીની લોકપ્રિયતા અકબંધ છે અને એમને પડકાર ફેંકી શકે એવો કોઈ નેતા આસપાસ પણ નથી. પરંતુ પ્રાદેશિક સ્તરે સ્થાનિક મુદ્દાઓ અને સ્થાનિક નેતૃત્વ મહત્ત્વપૂર્ણ બની જાય છે. વાજપેયી-અડવાણીની જોડીએ પ્રાદેશિક સ્તરે શિવરાજસિંહ ચૌહાણ, વસુંધરા રાજે, સુશીલકુમાર મોદી, મદનલાલ ખુરાના, કલ્યાણ સિંહ જેવાં મજબૂત નેતાઓને વિકસાવવાની તક આપી હતી. હવે બિહાર, પશ્ચિમ બંગાળ અને અસમમાં વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે. ખાસ કરીને બિહાર અને પશ્ચિમ બંગાળમાં ભા.જ.પે. વિજય મેળવવો હોય કે મજબૂત વિપક્ષ તરીકે સ્થાન મેળવવું હોય, તો પ્રાદેશિક નેતૃત્વ અતિ મહત્ત્વપૂર્ણ બની જશે. બિહારમાં સુશીલકુમાર મોદી છે, પણ તેમની મર્યાદા એ છે કે તેઓ ‘નરેન્દ્ર મોદી’ નથી. બંગાળમાં બાબુલ સુપ્રિયો, દિલ્હીમાં મનોજ તિવારી જેવા છે. મનોજ તિવારીએ જેમ દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં ૪૮ બેઠકો મળશે એવો હાસ્યાસ્પદ દાવો કર્યો હતો, તેમ બાબુલ સુપ્રિયો પણ પશ્ચિમ બંગાળમાં છાશવારે બંગાળમાં ભા.જ.પ.ની સરકાર બનવાના પોકળ દાવા કર્યા કરે છે. દરમિયાન એક્ઝિટ પોલ મામલે ચરણચંપુ ચેનલોની પોલ પણ ખુલ્લી પડી ગઈ. આશા કે હવેની બિહાર અને પશ્ચિમ બંગાળની ચૂંટણીઓમાં સમૂહ માધ્યમો પોતાની ભૂમિકા તટસ્થતાથી નિભાવે.                          

E-mail : keyurkotak@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, ૧૬ ફેબ્રુઆરી 2020; પૃ. 07 તેમ જ 14

Loading

...102030...2,5402,5412,5422,543...2,5502,5602,570...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved