Opinion Magazine
Number of visits: 9575919
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરકાર અને ટેલિકૉમ કંપનીઓની દોરડાખેંચમાં આ ક્ષેત્રનું નેટવર્ક ગુલ થઇ રહ્યું છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|23 February 2020

આપણા કમ્યુનિકેશનનાં તંત્ર, અર્થતંત્ર, વ્યાપાર એ બધાનાં ટકવા પર અત્યારે જોખમ તોળાઇ રહ્યું છે અને માની ન શકાય તે રીતે ટેલિકોમ્યુનિકેશની કિંમતો આકાશે આંબે તેવી શક્યતા છે.

થોડા વખત પહેલાં બી.એસ.એન.એલ. અને એમ.ટી.એન.એલ.નાં લગભગ ૯૨,૭૦૦ કર્મચારીઓએ વી.આર.એસ. એટલે કે વૉલેન્ટરી રિટાયરમેન્ટ લઇ લીધું. આ ઘટના ઘટી ત્યારે આવેલા સમાચારો અનુસાર આટલા કર્મચારીઓની સ્વૈચ્છિક નિવૃત્તિને પગલે દેવામાં ડૂબેલી આ ટેલિકૉમ કંપનીઓને અંદાજે ૮,૮૦૦ કરોડ રૂપિયાની બચત થવાની હતી. બંન્ને કંપનીઓ પર અંદાજે ૪૦,૦૦૦ કરોડ રૂપિયાનું દેવું હતું જ્યારે આટલા કર્મચારીઓને નિવૃત્તિ લીધી. સરકારને ૭૦,૦૦૦ કરોડમાં પડેલી આ વી.આર.એસ. યોજનાને કારણે સાવ નબળી પડેલા બંન્ને સરકારી સાહસો પરનો આર્થિક બોજો હળવો થયો અને બી.એસ.એન.એલ. અને એમ.ટી.એન.એલ.ની ઑફિસીઝ જે ઇમારતોમાં ચાલતી હતી તે પણ ખાલી થવાથી રિયલ એસ્ટેટમાંથી પણ જેટલા મળી શકે તેટલાં નાણાં સરકારને મળશે. એમ.ટી.એન.એલ. અને બી.એસ.એન.એલ.ની કફોડી હાલતને બેવડ વળે એ ૧૪,૧૧૫ કરોડ જેટલી રકમ બી.એસ.એન.એલ.ને અને ૬,૨૯૫ કરોડ એમ.ટી.એન.એલને 4G સ્પેક્ટ્રમ માટે અને બી.એસ.એન.એલ.ને ૨,૫૪૧ કરોડ તથા એમ.ટી.એન.એલ.ને ૧૧૩૩ કરોડ જી.એસ.ટી.ની ચૂકવણી માટે ફાળવવામાં આવી છે. આ બધું થવા છતાં ય એવી કોઇ ગેરંટી નથી કે એમ.ટી.એન.એલ. અને બી.એસ.એન.એલ. નફો કરાવે એવી જાહેર સાહસ સાબિત થઇ શકશે.

આ તો સરકારી સાહસની વાત થઇ પણ ખાનગી ટેલિકૉમ સર્વિસ પ્રોવાઇડરની વાત કરીએ તો એક સમય હતો જ્યારે ભારતમાં આઠ મોટા ખાનગી ટેલિકૉમ પ્રોવાઇડર્સ હતા અને આજે માત્ર બે બચ્યા છે જે પણ મરવાને વાંકે જીવી રહ્યા છે. સીધી વાત કરીએ તો ભારતનું ટેલિકૉમ સેક્ટર કટોકટીમાંથી પસાર થઇ રહ્યું છે, અને સંજોગો એવા છે કે તેમાંથી તે ટટ્ટાર કમરે ખડું થઇ શકે તેવી શક્યતાઓ બહુ જ ઓછી લાગે છે. ટેલિકૉમ કંપનીઓનું તો નિકંદન નિકળી જ રહ્યું છે પણ આપણે બધાં જે આમાંથી કોઇને કોઇ સર્વીસનો ઉપયોગ કરીએ છીએ અને આપણને પણ તેમની માંદલી સ્થિતિથી હેરાનગતિ થવાની છે અને થઇ રહી છે. મને બરાબર ખ્યાલ છે કે આ ક્ષણે તમે વિચારી રહ્યા છો કે બહુ વાર કૉલ ડ્રોપ થાય છે, આપણે આખે આખી વાત કહી દઇએ પછી ખબર પડે કે સામે વાળાને એક અક્ષર સુદ્ધાં સંભળાયો નથી અને કાં તો પછી આપણે માત્ર ‘બીપ બીપ’નો અવાજ ચારેક વાર સાંભળી કંટાળીને ફોન કરવાનું જ ટાળીએ છીએ. આપણા કમ્યુનિકેશનનાં તંત્ર, અર્થતંત્ર, વ્યાપાર એ બધાનાં ટકવા પર અત્યારે જોખમ તોળાઇ રહ્યું છે અને માની ન શકાય તે રીતે ટેલિકોમ્યુનિકેશની કિંમતો આકાશે આંબે તેવી શક્યતા છે.

ભારતીય ટેલિકૉમ સેક્ટર ૧.૪૭ કરોડના દેવામાં છે અને સુપ્રિમ કોર્ટે કરેલા હુકમ અનુસાર આ કંપનીઓએ સરકારનાં એગ્રેગેટ ગ્રોસ રેવન્યુ ફોર્મ્યુલા પ્રમાણે સરકારને નાણાં ચુકવવાનાં રહેશે. આ અનુસાર કંપનીઓએ જીવવું હશે તો બને ૧.૫ લાખ કરોડ રૂપિયા, બને તેટલા જલદી, સરકારને ચુકવવા પડશે. આ રકમમાં પેનલસ્ટીઝ અને વ્યાજનો આંકડો પણ ઉમેરાયેલો છે. જો સુપ્રિમ કોર્ટ આ કાયદો સરકાર અનુસાર લાગુ કરશે તો જાહેર સાહસો માટે પરિસ્થિતિ વધુ આકરી થઇ જશે. ટેલિકૉમ કંપનીઓએ થોડી મુદ્દત અને રાહતની વિનંતી કરી તો ખરી પણ સરકારે ચુપકીદી સેવવાનું પસંદ કર્યું. સરકારે કોઇ એવો રસ્તો શોધવો જોઇતો હતો જેના થકી સુપ્રિમ કોર્ટ કાયદાને સંકડાશથી ન જુએ તથા યોગ્ય ગણતરીઓ કરવા માટે પૂરતો સમય મળી રહે.

અત્યારે આ સ્થિતિ છે ત્યારે જે 2G સ્પેક્ટ્રમ કૌભાંડને લઇને જે હોબાળા અને આશ્ચર્ય મિશ્રિત આઘાત દેશને લાગ્યા હતા તેને મમળાવવા જરૂરી થઇ પડે છે. એ કૌભાંડમાં ૧.૭૬ લાખ કરોડ સંડોવાયેલા હતા તેવી વાતો હતી. ટેલિકૉમ સેક્ટર ધૂળધાણી થઇ ગયું હતું અને અડધો અડધ કંપનીઓએ ભારતમાં કામ કરવાનુ જ બંધ કરી દીધું. એ વર્ષે સુપ્રીમ કોર્ટે ૧૨૨ ટેલિકૉમ લાઇસન્સ રદ્દ કર્યા હતા. જો કે આટલા બધા ડ્રામા પછી અંતે સ્પેશ્યલ સી.બી.આઇ. કોર્ટે જાહેર કર્યું હતું કે કોઇ કૌભાંડ થયું જ નહોતું. લ્યો ત્યારે! વગર વાંકે ઢગલોએક ટેલિકૉમ કંપનીઓ ઘરભેગી થઇ ગઇ અને રાજકીય તંગદિલી પણ ખડી થઇ કારણ કે કોઇ કૌભાંડ હતું જ નહીં તેવી સ્પષ્ટતા કરવામાં આવી. આ બધી ધમાલ પછી માત્ર ચાર ટેલિકૉમ પ્લેયર્સ માર્કેટમાં રહી ગયા – બી.એસ.એન.એલ., એમ.ટી.એન.એલ., વૉડોફોન અને એરટેલ. થોડાં વર્ષ પહેલાં આ માર્કેટનાં સૌથી મોટા પ્લેયરે પા પા પગલી કરી અને જીઓ તો હવે ટેલિકૉમ ઇન્ડસ્ટ્રીની જીવાદોરી બની ચુકેલી સેવા છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.

વર્તમાન સંજોગોમાં સુપ્રીમ કોર્ટ રોષમાં છે અને સરકાર કંઇ જ પગલાં નથી લઇ રહી. આવી સ્થિતિમાં એક થઇ ગયેલા વોડાફોન અને આઇડિયા માટે અસ્તિત્વનો સવાલ થઇ જશે. સુનીલ ભારતી મિત્તલનાં એરટેલે પૈસા જમા કરાવ્યા છે અને તેને સિંગાપોરથી મદદ મળી છે એટલે એવું બને કે એ ટકી જાય પણ વોડાફોન માટે તો આટલી મોટી રકમ ચુકવવી બહુ જ અઘરું છે.

સુપ્રીમ કોર્ટનાં કડક વલણને કારણે કોઇ તત્કાળ રસ્તો મળવો મુશ્કેલ છે. વોડાફોને ભૂતકાળમાં પોતાની સ્થિતિ કેટલી તંગ છે તે અંગે ટ્વિટર પર ખુલાસા પણ કર્યા હતા અને વોડાફોન જેવા મોટા સર્વિસ પ્રોવાઇડરની આ હાલત હોય ત્યારે સમગ્ર ટેલિકૉમ સેક્ટરમાં ચિંતાનું મોજું ફરી વળે તે સ્વભાવિક છે. ભારતમાં ૧ જી.બી. ડેટાનો ભાવ .૨૬ ડૉલર, અમેરિકામાં ૧૨.૩૭ ડૉલર્સ અને યુ.કે.માં આ કિંમત ૬.૬૬ ડૉલર્સ છે. ભારતમાં ડેટા આટલો સસ્તો હોવા છતાં પણ, વિશ્વનું તોતિંગ માર્કેટ હોવા છતાં પણ, જ્યાં મોબાઇલ માર્કેટ માટે પણ અધધધ શક્યતાઓ છે ત્યાં ટેલિકૉમ સેક્ટર સફળતાની ટોચે પહોંચે એ પહેલાં મરણપથારીએ પહોંચી ગયું છે. એમાં પાછી જીઓની એન્ટ્રીને કારણે ટેલિકૉમ સેક્ટરમાં સ્પર્ધા એક સાવ નવા જ સ્તરે પહોંચી ગઇ, એમાં પાછી જીઓ માત્ર ટેલિકૉમ કંપની છે એમ પણ નથી.

સુપ્રીમ કોર્ટે ટેલિકૉમ કંપનીઓનો હાથ આમળ્યો, કંપનીઓ સમયસર ચુકવણી ન કરી શકી-ખાસ કરીને વોડાફોન – તેમાં સરકારનાં કોઇ ડેસ્ક ઑફિસરને પગે રેલો આવ્યો જેમાં સરકારે પોતાની સફાઇ આપતા સાફ ના ભણી દીધી અને સુપ્રીમ કોર્ટે ટેલિકૉમ કંપનીની આસપાસ પોતાની પકડ વધારે સખત કરી.

ટૂંકમાં સર્વિસ પ્રોવાઇડર્સે એગ્રેગેટ ગ્રોસ રેવન્યુ ચુકવી નહીં અને સરકાર તેમને ઢીલ આપતી ગઇ જે બધું અંદરોઅંદરની સાંઠગાંઠથી ચાલ્યા કર્યું. ટેલિકૉમ પ્રોવાઇડર્સને સરકારી ઑક્શનની પદ્ધતિ સામે વાંધો હતો, બીજી તરફ સરકારને ચુકવવાનાં નાણાંની રકમ વધી રહી હતી અને સરકારે પોતાની ટેલિકૉમની નીતિઓમાં સુધારા કરવાની પણ કોઇ પહેલ ન કરી. સુપ્રીમ કોર્ટનું વચ્ચે પડવું સરકાર અને ટેલિકૉમ કંપની બન્ને માટે મુશ્કેલ બન્યું છે. ડીજિટલ ઇન્ડિયા, મલ્ટિનેશનલ કંપનીઝ વગેરેની વાતો કરનારો આપણા દેશમાં નીતિના માળખાને લકવા મારી ગયો છે, તેમાં કોઇ ઢંગધડા નથી અને કોઇ પણ વિદેશી કંપનીઓને આ બધી મોંઘીદાટ અને પેચીદી નીતિઓ સાથે કામ પાર પાડવામાં લગીરેક રસ નથી રહ્યો.

બાય ધી વેઃ

હવે એવી હાલત છે કે જ્યારે 5G સ્પેક્ટ્રમ માર્કેટમાં આવશે ત્યારે માંડ બે કંપનીઓ હશે અને પછી સ્પર્ધામાં સ્તર નહીં જળવાય. ઓછામાં ઓછી ત્રણ સર્વિસ પ્રોવાઇડર કંપની હોય ત્યારે સ્પર્ધા પણ બહેતર હોય અને ગ્રાહકોને પણ લાભ મળે. એમ.ટી.એન.એલ. અને બી.એસ.એન.એલ. તો સરકારનાં વલણને પગલે દેવાળું ફૂંકીને જ બેઠી છે અને જે ખાનગી કંપનીઓ કામ કરવા માગે છે તેને માટે નીતિઓ સરળ બનાવવામાં સરકારને રસ નથી. દીવાલો બાંધીને ઝૂંપડાં સંતાડવાથી વિકાસ નથી થતો, પણ જે કામ કરવા માગતા હોય તેમને માટે મોકળા રસ્તા અને મજબૂત નીતિઓ જ જોઇતી હોય છે. સરકાર ગુંચવાયેલી છે, તેમને ગુંચવાડામાં રસ નથી કે પછી સમસ્યા સામે નહીં જોવાની ટેવ હજી ચાલુ જ રાખવી છે એ સમજવું મુશ્કેલ છે. જો કે એટલું ચોક્કસ સમજી શકાય છે કે વોડાફોન-આઇડિયા જેવી કંપનીઓનાં કર્મચારીઓને તો વી.આર.એસ. પણ નહીં મળે, અચાનક જ તેઓ કામ વગરનાં થઇ જશે. થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટર્સ, બિલિંગ એજન્સી, સ્ટોર નેટવર્ક બધું જ રાતોરાત બેરોજગાર થઇ જશે. તમારા-મારા જેવાઓને રાતોરાત એરટેલ કે જિઓમાં જવું પડશે પણ આ કંપનીઓ અચાનક જ આવી પડેલા ગ્રાહકોને પોતાની સર્વિસીઝ ક્ષણભરમાં તો નહીં જ સમાવી શકે કારણ કે તેમને પણ પોતાના માળખાનો વિસ્તાર કરવો પડશે, જે કરવા માટે તેમને સરકારી નીતિઓને ટેકો જોઇશે જે કેવી રીતે મળશે તે અત્યારે નથી સમજાઇ રહ્યું. જો સરકાર આંખ નહીં ખોલે તો ટેલિકૉમ સેક્ટરનું નેટર્વક સદંતર ફ્લાઇટ મોડમાં જ જતું રહેશે અને તેમાં ભોગ તો ગ્રાહકોને જ લેવાશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 ફેબ્રુઆરી 2020 

Loading

પ્રાદેશિક ભાષાઓના શબ્દકોશ અને વ્યાકરણ બંને અંગ્રેજોએ આપ્યાં

રમેશ ઓઝા|Opinion - Opinion|23 February 2020

ભારતીય સંસ્કૃતિ પ્રાચીન, સાતત્યપૂર્વકની અખંડ અને અતિ સમૃદ્ધ છે એ વાત ખરી; પરંતુ યુરોપિયનો અને અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે તેમને પહેલી નજરે જ તેની પ્રતીતિ થાય એવી સ્થિતિ ભારતમાં નહોતી. ઊલટું ભારતની એવી અવદશા હતી કે કોઈ પણ વિદેશી મુલાકાતીને એમ જ લાગે કે ભારત સાંસ્કૃતિક રીતે પછાત દેશ છે. યુરોપિયનોને અને અંગ્રેજોને પણ એમ જ લાગ્યું હતું. એટલે તો ઝટ તેમને ખ્રિસ્તી બનાવો અને તેમનો ઉદ્ધાર કરો, અથવા ઝટ તેમને આપણા જેવો પાશ્ચત્ય બનાવીને તેનું કલ્યાણ કરો કે પછી જે અવસ્થામાં સડે છે એમ સડવા દો એવા યુરોપિયનોના ભારત પરત્વેના મુખ્યત્વે ત્રણ અભિગમ વિકસ્યા હતા. ભારતને સહાનુભૂતિપૂર્વક સમજવાનો અને ભારત પાસેથી શીખવાનો અભિગમ તો પાછળથી વિકસ્યો હતો, જ્યારે તેમને ભારતનો વધુ પરિચય થયો હતો.

એવું નહોતું કે ભારત પર અંગ્રેજોએ કબજો કર્યો એ પહેલાં કોઈ શિક્ષણ જ આપવામાં નહોતું આવતું. મહેતાઓની પાઠશાળાઓ હતી જેમાં લખતા-વાંચતા શીખવવામાં આવતું હતું. રોજિંદા જીવનવ્યવહાર માટે વિદ્યાર્થીઓને થોડુંક ગણિત શીખવવામાં આવતું હતું. બાકી ભારત વિશે જેટલી માહિતી તેઓ ધરાવતા હતા એટલી માસ્તરો આપતા હતા જેમાં પુરાણકલ્પિત વાતો વધારે હતી. ચાર યુગો અને એમાં અત્યારે ચાલી રહેલા કલિયુગની નિરાશાજનક વાતો શીખવવામાં આવતી હતી. આ યુગમાં સારાં જીવનની આશા રાખવા માટે જાણે કે કોઈ કારણ જ ન હોય. દરેક અનર્થને કલિયુગના નામે અનિવાર્ય સમજવામાં આવતો હતો, એટલે અર્થની ખોજ નિરર્થક હતી. બીજું, પાઠશાળાઓ પણ માત્ર બ્રાહ્મણ અને વાણિયા-કાયસ્થ જેવા કેટલાક સવર્ણો માટે જ ઉપલબ્ધ હતી. બહુજન સમાજને પાઠશાળાઓમાં પ્રવેશ નહોતો. સવર્ણોની સ્ત્રીઓને શિક્ષણનો અધિકાર નહોતો. 

સાંપ્રદાયિક મઠોમાં સંસ્કૃત અને શાસ્ત્રો શીખવવામાં આવતાં હતાં, પરંતુ એ પોતાના મતના પ્રચાર-પ્રસાર માટે. આમ સંસ્કૃત શિક્ષણ કેવળ સાંપ્રદાયિક હતું. મઠોમાં શંકર, રામાનુજ, મધ્વ, વલ્લભ, નિમ્બાર્ક વગેરે આચાર્યોની વેદાંત શાખાઓ અને પ્રશાખાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું અને એમાં જય-પરાજય અને પોતાના મતની સર્વોપરિતાની જ વાત કહેવામાં આવતી હતી. તેમાં ન્યાય, વૈશેષિક, યોગ વગેરેનું શિક્ષણ પણ પોતાના મતની સ્થાપના માટેના હેતુને ધ્યાનમાં રાખીને જ આપવામાં આવતું હતું. હા, કાવ્યશાસ્ત્રની ધારા ઉત્તરોત્તર વિકસતી રહી હતી એની નોંધ લેવી જોઈએ. આમ થવાનું કારણ કેટલીક વ્યક્તિઓમાં રહેલી અંગત સોંદર્યાનુભૂતિ હોવી જોઈએ.

આમ જે પંડિતાઈ હતી એ સાંપ્રદાયિક હતી. જે સેક્યુલર શિક્ષણ હતું એ નહીં જેવું વ્યવહાર પૂરતું હતું અને એમાં પુરાણકલ્પિત ડોળણ વધારે હતું અને ઉપરથી કલિયુગના નામે દરેક પ્રકારના અનર્થોને – અંધકારને અનિવાર્ય સમજવામાં આવતા હતા. અને સ્ત્રીઓ તેમ જ પછાત સમાજ તો આનાથી પણ વંચિત હતો. આને કારણે એ યુગમાં કેવો હિંદુ પેદા થતો હશે, વિદેશીઓ કેવા હિંદુના સંપર્કમાં આવ્યા હશે અને હિંદુ વિશેની તેમની કેવી છાપ પડી હશે તેનો વિચાર કરી જુઓ.

હિંદુઓની જેમ મુસ્લિમ છોકરાઓ મદરસામાં જતા હતા જ્યાં તેમને પર્શિયન અને અરેબિક ભાષા શીખવવામાં આવતી હતી. એ યુગમાં પર્શિયન ભાષા સરકારી સત્તાવાર ભાષા હતી અને અરેબિક ધાર્મિક ભાષા હતી. મદરસામાં પણ તમામ સ્તરના મુસલમાનોને પ્રવેશ નહોતો અને સ્ત્રીઓને તો બિલકુલ નહોતો, પછી તે ભલે ઉચ્ચ વર્ગની હોય. કુરાન કંઠસ્થ થઈ જાય અને હદીસનાં વ્યવહાર પૂરતાં ખપનાં વચનો મોઢે થઈ ગયા એટલે મુસલમાન દીક્ષિત થઈ જતો. હિંદુની જેમ વ્યવહાર પૂરતું ગણિત શીખવવામાં આવતું હતું.

તમને આશ્ચર્ય થશે કે પર્શિયન ભાષા ભદ્ર વર્ગના મુસલમાનો શીખતા હતા તેનાં કરતાં નાગર અને કાયસ્થ જેવા હિંદુઓ વધારે શીખતા હતા. આનું કારણ સરકારી નોકરી હતું. મુસ્લિમ શાસકોની સત્તાવાર ભાષા પર્શિયન હતી અને મુખ્યત્વે નાગરો અને કાયસ્થોના હાથમાં મુસલમાન શાસકોનું વહીવટીતંત્ર હતું. તેમાંના કેટલાકે વધારે મોટા હોદ્દા માટે ધર્મપરિવર્તન પણ કર્યું હતું. હિંદી કવિ અને પોતાને કાયસ્થકુલોત્પન્ન તરીકે ઓળખાવનારા હરિવંશરાય બચ્ચને પોતાની આત્મકથામાં લખ્યું છે કે બાદશાહોના દરબારમાં લાભ ખાતર કાયસ્થ નોકરો  મુસલમાન જેવાં કપડાં પહેરતા, તેમના જેવી ટોપી પહેરતા અને નામ પણ થોડાંક મુસ્લિમ ભાસે એવાં રાખતા હતા.

આમ ભારતમાં એ યુગમાં સૌથી વધુ દબદબો પર્શિયન ભાષાનો હતો. હિંદુ શાસકોની સત્તાવાર ભાષા પણ પર્શિયન જ રહેતી, તે ત્યાં સુધી કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની પણ કામકાજની ભાષા પર્શિયન હતી. એક તો પર્શિયન ભાષા સમૃદ્ધ છે. સેંકડો વરસથી ભારતમાં તે શાસનની ભાષા હોવાને કારણે પ્રશાસકીય ભાષા તરીકે તેનું ખેડાણ થયું હતું અને સૌથી વધુ તો અમલદારો મળતા હતા. આમ પર્શિયનને કારણે મુસલમાનો, પેશ્વાઓ અને અંગ્રેજો વચ્ચે સત્તાંતર થયું હોવા છતાં ભારતનું વહીવટીતંત્ર ખોરવાયું નહોતું. આખરે રોજી-રોટીની ભાષા જ પસંદગી પામે છે. ભારતમાં જો અંગ્રેજ નામનો અકસ્માત ન થયો હોત તો આજે ભારતમાં જે સ્થાન અંગ્રેજીનું છે તે પર્શિયનનું હોત. પાછી પર્શિયન ભાષા તો ખૂબ સમૃદ્ધ પણ છે.

સંસ્કૃત ભાષા તો ક્યાં ય પાછળ છૂટી ગઈ હતી. સંસ્કૃતમાંથી વિકસેલી પાલી અને પ્રાકૃત જેવી ભાષાઓ અપભ્રંશના માર્ગે પ્રાદેશિક ભાષા તરીકે વિકસવા લાગી હતી. પ્રજાનો વ્યવહાર આવી પ્રાદેશિક ભાષાઓમાં ચાલતો હતો, પછી તે હિંદુ હોય કે મુસલમાન હોય. જેમ હિંદુને કારકિર્દી ખાતર પર્શિયન ભાષાને અપનાવવામાં વાંધો નહોતો અને તેમ આમ મુસલમાનને રોજી રળવા પ્રાદેશિક ભાષા સામે વાંધો નહોતો. કોઈ ભાષાકીય ઝઘડો નહોતો. હકીકતમાં હિંદુ અને મુસલમાનનું ભાવવિશ્વ એક સમાન હતું, કારણ કે તે એક જ માટીના ફરજંદ હતા. પ્રાદેશિક ભાષાઓ અપનાવેલી ભાષા નહોતી, પણ હિંદુ અને મુસલમાનોને વારસામાં મળેલી પોતીકી ભાષા હતી.

વિધિની વિચિત્રતા જુઓ! ભારત પર અંગ્રેજી લાદનારા વિદેશીઓએ જ ભારતની પ્રાદેશિક ભાષાઓને સમૃદ્ધ કરવાનું કામ કર્યું છે. મિશનરીઓને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવો હતો અને કંપનીએ ભારતની પ્રજાનું શોષણ કરવું હતું. આ બંને માટે લોકો સુધી પહોંચવું જરૂરી હતું અને તે પર્શિયન દ્વારા શક્ય નહોતું; તે કેવળ પ્રાદેશિક ભાષા દ્વારા જ શક્ય હતું, પછી હિંદુસ્તાની હિંદુ હોય કે મુસલમાન હોય. જમીની સ્તરે (ગ્રાઉન્ડ લેવલે) માત્ર પ્રાદેશિક ભાષા જ લોકોને પટાવવા માટેનું, લોકોની અંદર અરમાન પેદા કરવા માટેનું, નફરત પેદા કરવા માટેનું, ઝઘડવા માટે કારણ આપવાનું, ડરાવવાનું, પ્રેમ કરતા શીખવાડવાનું, લલચાવવાનું પ્રબળ માધ્યમ હતું. જો લોકોના હ્રદય સુધી પહોંચવું હોય તો તે તેમની ભાષા દ્વારા જ પહોંચી શકાય, પછી એજન્ડા ધર્માન્તરણનો હોય, શોષણનો હોય કે કલ્યાણનો હોય.

મિશનરીઓને અને અંગ્રેજ શાસકોને સમજાઈ ગયું હતું કે જો લોકો સુધી પહોંચવું હોય અને પોતાના ગમે તેવા હેતુ માટે ગમે તે માર્ગે લોકોને વાત મનાવવી હોય તો લોકોની ભાષા અપનાવવી પડશે. મિશનરીઓએ સ્થાનિક લોકોની ભાષા શીખવા માંડી. તેઓ તેમની ભાષામાં બોલતા હતા અને સેવા કરતા હતા. તેમણે બાઈબલના અનુવાદ પ્રાદેશિક ભાષાઓમાં કરાવવા માંડ્યા. ચર્ચમાં પાદરીઓ સ્થાનિક ભાષામાં ઈશુના સંદેશ આપતા હતા. તેમણે ભારતની લગભગ તમામ સ્થાનિક ભાષાનું વ્યાકરણ તૈયાર કર્યું હતું. ગુજરાતી ભાષાનું વ્યાકરણ પણ રેવરન્ડ ટેલરે સૌ પહેલાં તૈયાર કર્યું હતું. આવું જ બાકીની ભાષાઓનું. ગીર્વાણ ભારતી સંસ્કૃતનું વ્યાકરણ પાણિનીનું છે, પણ ભારતની લગભગ તમામ પ્રાદેશિક ભાષાઓનાં વ્યાકરણ વિદેશીઓએ તૈયાર કર્યાં છે. ભારતની મોટાભાગની પ્રાદેશિક ભાષાઓના પહેલા અથવા શરૂઆતના શબ્દકોશ મિશનરીઓએ તૈયાર કરીને આપ્યા છે.

અને છેલ્લે છાપખાનાં. ભારતમાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે સાહિત્ય છપાવવું જરૂરી હતું એટલે પ્રિન્ટીંગ પ્રેસ તેમણે સ્થાપ્યાં હતાં. પ્રિન્ટીંગ માટે લિપિ તેમણે વિકસાવી હતી અને બીબાં તૈયાર કર્યાં હતાં. કલકત્તા નજીક શ્રીરામપોરમાં પહેલો પ્રેસ સ્થાપવામાં આવ્યો હતો અને જોતજોતામાં વીસ કરતાં વધુ ભાષામાં બાઈબલના અનુવાદ કરીને છાપવામાં આવ્યા હતા.

આને કહેવાય ખંત. ધ્યેયનિષ્ઠા અને ખંત માટે મિશન શબ્દ પ્રયોજવામાં આવે છે એ આ કારણે! પ્રજા સુધી પહોંચવા માટે અને પ્રજાને પોતાની કરવા માટે તેમણે શું નહોતું કર્યું? જો સવર્ણોએ દલિતો સુધી પહોંચવા માટે અને હિંદુઓ અને મુસલમાનોએ એકબીજા સુધી પહોંચવા માટે અને પહોંચીને પોતાનાં કરવા માટે આનાથી દસમાં ભાગની જહેમત લીધી હોત તો દેશનો ઇતિહાસ જુદો હોત.

તમને આવું નથી લાગતું?

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 23 ફેબ્રુઆરી 2020

Loading

વાસ્તવિક જીવનની વિટંબણાને ઉજાગર કરતાં “૨૮ પ્રેમકાવ્યો”

રમણ વાઘેલા|Opinion - Literature|23 February 2020

ઉમેશ સોલંકીની ૨૦૧૭માં પ્રકાશિત થયેલી નવલકથા “ફેરફાર"માંથી પસાર થવાનું બનેલું ત્યારે એવું અનુભવાયેલું કે અતીત અને વર્તમાનની મથામણ આજના સમાજના વ્યક્તિને ઘમરોળી નાખતી હોય છે. પ્રાપ્ત થયેલ ફેરફારને કારણે સાચ્ચે જ કંઈ નવું પામી શક્યા છીએ કે નહીં? એ પ્રશ્ન સહુના દિલમાં ઉદ્ભવે! ખેર, ‘ફેરફાર’ના વાચન બાદ ટૂંકા ગાળામાં ઉમેશની કવિતામાં ડોકિયું કરવાનો પ્રસંગ સાંપડ્યો ત્યારે એટલું તો આપમેળે નિર્ધારી શકાયું કે ઉદય પામતા કવિના શબ્દમાં દમ છે. શાર્પનેસ છે! 

કોઈ નવોસવો વાચક ‘પ્રેમકાવ્યો’માં શાબ્દિક અને આંતરિક રીતે ‘પ્રેમ'ની ખોજ કરવા પ્રયાસ કરે તો શક્ય છે કે એને સફળતા ન પણ મળે. પણ એનાં ય કારણો છે. ‘ચાહવું' એ નાનીસૂની બાબત નથી, આખુંયે આયખું વીતી ગયા છતાં ય "ચાહવા"ની  ક્ષણો થોડીકે ય મળી ન હોય એમ ન પણ બને! ‘૨૮ પ્રેમકાવ્યો'માં એ ‘ચાહવાની ક્ષણો' કેન્દ્રમાં રહેલી છે અને તે પણ ધોધમાર વર્ષા કે ચોતરફ વિખરાયેલાં ગરમાળાનાં ફૂલોની ગેરહાજરીમાં રિવરફ્રન્ટની પાળે કે કાંકરિયાની વચ્ચોવચ આવેલી નગીનાવાડીમાં બેઠેબેઠે અનુભવાયેલ પ્રેમાળ ક્ષણો શોધવા વાચક અહીં પ્રયત્ન કરશે તો તે વૃથા જ પામશે. કારણ અહીં કવિતાના એવા ઉપકરણો થકી કવિતા સર્જાઈ છે કે જેમાં પ્રેમ એક નવા નોખા મિજાજમાં ભાવક્ને ઊંડાણથી વિચારવા માટે ફરજ પાડે છે. આ કાવ્યસંચયનું “અને તું?" શીર્ષક હેઠળનું છેલ્લું કાવ્ય આમ છે : 

“બોલ, ક્હીશ શું, પ્રેમને તુ … ?" 
“બીજુ … શું, વરસાદનું પહેલું ટીપું,” 
  અને તુ … ?” 
"ગટરનું ઢાંકણું" 

(પૃષ્ઠ…૭૧) 

કવિ આદિકાળથી ચાલ્યા આવતા પ્રેમને ‘વરસાદનું પહેલું ટીપું'થી નહીં ઓળખાવતા 'ગટરનું ઢાકણું' – એવી નવી જ વ્યાખ્યા બાંધી આપે છે. અતીતની પ્રકૃતિ અને આજની વાસ્તવિકતા … એ બંને છેડાનું સંધાન નહીં કરતાં કવિ આંખો સામે ઊઠતા તાંડવનું સંધાન કરી આપે છે ! “વાૅંઘું"’ કાવ્યની આ બે પંક્તિઓ : 

“કાંટા પણ લાગે વણબોટ્યા જંગલ વચ્ચે
આદિવાસી સ્ત્રીઓનો જાણે હઠીલો શણગાર" 

સાચ્ચે જ રૂપક કે ઉપમા એવા શબ્દો નહીં પ્રયોજતાં અફલાતૂન શબ્દ પણ પ્રશંસવા-પ્રયોજવા માટે કૃપણ લાગે … એટલી હદે આબેહૂબ ચિત્ર ઉપસી આવ્યું છે અહીં. 

“એ એના રસ્તે હું મારા રસ્તે"માં ‘જોયું ન જોયું'ની કદર કરી – પછી આખી કવિતા પમાય છે. નાયક-નાયિકાની મનોવ્યથા છતાં એ મનોવ્યથાનો સાહજિક સ્વીકાર કવિતાનું કેન્દ્રબિંદુ છે.

“ખેંચાણ" આ સંગ્રહની એક ઉત્તમ કૃતિની પ્રતીતિ કરાવે છે. કવિનું મન ભલે પ્રિયતમાના સરોવર જેવા શરીર પર મંદમંદ શ્વાસોથી લહેરો સર્જતું હોય પણ પ્રબળ ખેંચાણ તો –

“ખખડી ગયેલી ઝૂંપડીના 
ખૂણામાં પડેલા 
ઘસતેલિયા દીવાની 
થરથરતી જ્યોત 
આડે હાથ ધરવા” –

તરફ છે. બાળોતિયા વગરની નિર્દોષતાને હૂંફ આપવા તરફનું ખેંચાણ છે. આખીયે કવિતાનો મર્મ સમજવા ભાવકે પણ વેદનામાંથી પસાર થવું પડે ! “પ્રેમ એટલે"માં પ્રેમનો સાચો અર્થ સમજાવતા કવિ કહે છે : 

"પ્રેમ એટલે 
લડવાનું હોય નહીં 
હોય નહીં મરવાનું
પ્રેમ એટલે હળવાનું મળવાનું હસવાનું
જીવવાનું પળપળનું” 

તો વળી “પ્રેમ" કવિતામાં “કહેંજે”નો પ્રયોગ કરી ઘણું બધું કહી નાખે છે કવિ ! 

"ઠંડું ઠંડું પાણી પીતાં પીતાં 
ગોબા પડેલા બેડાના ભારના વિચારથી
થાકી જવાય, તો મને ક્હેજે. 
મને કહેજે 
જ્યારે પોચા પોચા બિસ્તરમાંથી આવતી 
ફાટીમેલી ગોદડીની ગંધ
નાકના ટેરવાને લાલ કરી નાખે. 
મને કહેજે 
જ્યારે સ્વિમિંગ પુલનું પાણી 
શરીરને ચોંટતા ચપચપતા પરસેવા જેવું લાગે" 

‘સરહદ’ કાવ્યમાં વેરવિખેર થયેલા લોકોને જોડી આપવાની વાત કહી કવિ “રાજારાણી"ની રીતને નઠારી કહી સરહદ તોડી નાખવા આહ્વાન આપે છે. 

સંગ્રહની સ્પર્શક્ષમ બનતી કૃતિઓમાં ‘મોહણિયું', ‘ટીલડીઓ’, ‘મગરાની વાતો', 'પતંગદોર', ‘ઉખેડી ફેંક્યું', ‘તેથી', ‘અનાજનો પહેલો દાણો', ‘નામ છોડ્યું', ‘નિયમની છાતી ૫૨'ને ગણાવી શકાય. 

‘ફેરફાર' નવલકથા પછી ઉમેશ સોલંકી ‘૨૮ પ્રેમકાવ્યો’ની રચનાઓ વાસ્તવિક જીવનની વિટંબણાને ઉજાગર કરે છે. કવિ ભલે પ્રેમની વાતો માંડતા હોય પણ એમાં અસહ્ય પરિતાપ વેઠી રહેલા સમાજની છબી ઉપસી આવે છે. તૃપ્તિ, ૫રિતૃપ્તિ, સફળતા, વિફળતા અને આ બધામાં કેન્દ્રસ્થાને રહેલ “ગ્રામીણ પ્રેમ"ની પરિભાષા કવિને ઊંચાઈ બક્ષે છે, એમ કહેવું લગીરે શેષ-વિશેષ નહીં લાગે !

(પ્રગટ : “દલિત અધિકાર”, 16 જૂન 2018; પૃ. 02-03)

Loading

...102030...2,5312,5322,5332,534...2,5402,5502,560...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved