Opinion Magazine
Number of visits: 9683254
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બોરસદ તાલુકાનો પ્લેગ

યશવંત દોશી|Opinion - Opinion|4 April 2020

1935ના માર્ચમાં સરદાર દિલ્હી હતા ત્યારે તેમને સમાચાર મળ્યા કે બોરસદ તાલુકાનાં ઘણાં ગામોમાં પ્લેગ ચાલે છે. ત્યાં 1932થી દર વર્ષે પ્લેગ ફાટી નીકળતો હતો. આ વર્ષોમાં સરદાર અને બીજા કાર્યકરો જેલમાં હતા અને સરકારી અમલદારો, લોકલ બોર્ડ તથા બોરસદ મ્યુનિસિપાલિટીએ પ્લેગ અટકાવવાનું કંઈ અસરકારક કામ કર્યું નહોતું. આ રોગને કાયમ માટે કાઢવા મોટા પાયા પર પગલાં લેવાની જરૂર હતી.

સરદાર માર્ચની 9મીએ મુંબઈ આવ્યા. તેમણે ડૉ. ભાસ્કર પટેલને પરિસ્થિતિ જોઈ આવવા બોરસદ મોકલ્યા. ડૉ. ભાસ્કર પટેલે આવીને જે અહેવાલ આપ્યો તે પરથી પરિસ્થિતિ અત્યંત ભયજનક જણાઈ. સરદારના સૂચનથી ડૉક્ટરે હાફકીન ઇન્સ્ટિટયૂટના કર્નલ સાહેબસિંહ સોખીની સલાહ લીધી. 23 માર્ચે સરદાર અને ડૉ. ભાસ્કર પટેલ બોરસદ પહોંચ્યા અને ત્યાં છાવણી નાખી પ્લેગ સામે લડવામાં ગરકાવ થઈ ગયા.

એક બાજુ ગામોમાં સફાઈ કરાવવા માંડી અને બીજી બાજુ કામચલાઉ ઇસ્પિતાલ ઊભી કરી. ત્યાં પ્લેગના દરદીઓને રાખવાની અને બહારના દરદીઓને દવા આપવાની વ્યવસ્થા કરી. વગર વેતને સેવા આપવા ડૉક્ટરો નીકળી આવ્યા. આ બધાં કામમાં મદદ કરવા સ્વયંસેવકો પણ આગળ આવ્યા. મણિબહેન પણ ત્યાં જ હતાં. બધા સ્વયંસેવકોને પ્લેગવિરોધી રસી મૂકવામાં આવી. ફક્ત સરદાર અને મણિબહેને રસી ન લીધી.

સફાઈનું કામ સહેલું નહોતું. શરૂઆતમાં લોકો વહેમને લીધે આ કાર્યમાં સહકાર આપતા નહિ. પણ સરદારે સ્વયંસેવકોને સૂચના આપેલી કે લોકો સાથે ધીરજથી કામ પાડવું અને નમ્રતાથી વર્તવું. સરકારી અમલદારોએ જે જંતુનાશક દવાઓ વાપરવા માંડેલી તે જોખમભરી હતી. તેનાથી કેટલાક દાઝી જતા અને કોઈને નુકસાનકારક વાયુની અસર થતી. એક છોકરી દાઝીને મરી ગઈ. ડૉ. ભાસ્કર પટેલે પોતે જ પ્રયોગ કરીને એક નવું જ મિશ્રણ બનાવ્યું. તેનાથી બધાં પ્લેગગ્રસ્ત ગામો સાફ કરવામાં આવ્યાં.

સરદાર અને કાર્યકરોને લોકોનાં અજ્ઞાન અને વહેમ દૂર કરવાનાં હતાં અને સરકારી અમલદારો તરફથી ઊભાં કરાતાં વિઘ્નોનો પણ સામનો કરવાનો હતો. સરદાર બધાં ગામોમાં ફરતાં, લોકો સાથે વાોત કરતા, ભાષણો કરતા, પત્રિકાઓ પ્રગટ કરતા અને વહેમ કાઢી આરોગ્ય અને સફાઈની રીતો અપનાવવા સમજાવતા. ક્યારેક વિનોદની ભાષા વાપરતા, ક્યારેક સખ્તાઈની. પછી તો ગામના જ જુવાનો અને ગામની બહેનો પણ આ કામમાં સામેલ થવા લાગ્યાં. ફક્ત અમલદારોએ છેવટ સુધી આડોડાઈ ચાલુ રાખી.

ત્રણ-ચાર હજાર દરદીઓએ દવા લીધી. 16ને ઇસ્પિતાલમાં દાખલ કર્યા હતા તેમાંથી બાર સાજા થઈ ગયા, બેનાં મરણ થયાં અને બે વગર રજાએ જતા રહ્યા. બે મહિનામાં બધાં ગામોની સફાઈ થઈ ગઈ. પ્લેગનું જોર નરમ પડી ગયું. મેની આખરે સરદારે ગાંધીજીને બોરસદ બોલાવ્યા. ગાંધીજીએ તાલુકામાં ફરીને બધું કામ જોયું અને પ્રસન્નતા વ્યક્ત કરી.

પણ સરકારી અમલદારોએ જુદું જ વલણ લીધું. સરકારે સરદાર અને તેમના સ્વયંસેવકોના કામને ઉતારી પાડતી ત્રણ યાદીઓ વારાફરતી બહાર પાડી. સરદારે તેના જવાબ પણ આપ્યા. અંતે તેમણે સરકારને લખ્યું કે યાદીઓ બદનક્ષી કરનારી છે. તેમાં ડૉ. ભાસ્કર પટેલની કુશળતા અને પ્રતિષ્ઠાનો પણ પ્રશ્ન પણ ઊભો થાય છે. કાં તો આક્ષેપો પાછા ખેંચો અથવા નિષ્ણાત ડૉક્ટરોની સમિતિ દ્વારા તપાસ કરાવો. સરકારે કંઈ કર્યું નહિ. એટલે સરદારે મુંબઈના ઍડવોકેટ બહાદુરજી, ડૉ. ગિલ્ડર, ડૉ. ભરૂચા અને વૈકુંઠભાઈ મહેતાની તપાસ-સમિતિ નીમી. સમિતિએ બધા દસ્તાવેજી પુરાવા તપાસ્યા, લોકલ બોર્ડના અધિકારીઓની અને કાર્યકરોની જુબાનીઓ લીધી અને બધી તપાસ બાદ રિપોર્ટ આપ્યો. તેમાં જણાવ્યું હતું : “પ્લેગનિવારણની બાબતમાં આરોગ્યખાતાના અધિકારીઓની વર્તણૂક બેદરકારીભરેલી હતી. તેઓ જેને પોતાની શાસ્ત્રીય પદ્ધતિ કહે છે તેનો કશો અમલ તેઓ કરી શક્યા નહોતા. ત્યારે કૉન્ગ્રેસ તરફથી જે ઉપાયો લેવામાં આવ્યા હતા તે સાદા અને લોકો અમલમાં મૂકી શકે તેવા હોવા ઉપરાંત શાસ્ત્રીય દૃષ્ટિએ પણ તદ્દન બરોબર હતા. ચાર વર્ષથી જામી પડેલા રોગનું આટલા થોડા વખતમાં નિવારણ કરવાનું કામ આટલી સુંદર રીતે થયું તે સરદાર વલ્લભભાઈ, ડૉ. ભાસ્કર પટેલ અને તેમની બહાદુર સ્વયંસેવકોની ટુકડીની લોકપ્રિયતા અને બાહોશીને આભારી છે.”

પ્લેગનિવારણના આ કાર્યમાં એવી મૂળગામી અસર થઈ કે બોરસદ તાલુકામાંથી પ્લેગનો ઉપદ્રવ સદંતર દૂર થઈ ગયો. દર વર્ષે ફેલાતો રોગચાળો ફરી દેખાયો નહિ.

[‘ગુજરાતનું રાજકારણ : 1935’ નામક પ્રકરણ; યશવંત દોશીકૃત “સરદાર વલ્લભભાઈ પટેલનું જીવનચરિત્ર : ભાગ 1”; પૃ. 374-376] 

Loading

કોરોના-કાળે (11)

સુમન શાહ|Opinion - Opinion|4 April 2020

= = = = પછી માર્કણ્ડેય ઋષિ હતા, સાવ એકલા, તે કદાચ એકલતાથી ડરી ગયેલા, ને તેથી બ્રહ્માને એમણે પ્રાર્થના કરેલી કે – તમે મને દર્શન આપો તો સુખ થાય = = = =

= = = = એ જ પ્રલયંકારી ઈશ્વરે નોહાને, નોહાના પરિવારને તેમ જ ધરતી પરના સર્વ જીવોને બચાવી લીધેલા = = = =

કોરોનાવાયરસ અથવા COVID – 19 ભૌગોલિકથી વૈશ્વિક થયો છે. કહે છે કે ઍક્સ્પોઇનન્શ્યલિ ફેલાઇ રહ્યો છે, એટલે કે, ઘાતાંકની રીતે, એટલે કે, બેવડીથી ત્રેવડી ઝડપે ફેલાઈ રહ્યો છે. ભય સેવાઈ રહ્યો છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થા ખોરવાઈ જશે ને એને રીપેર થતાં વરસો નીકળી જશે. એવો ભય પણ ફેલાઈ રહ્યો છે કે જેમ પ્રલયથી સર્વનાશ થવાનો છે એમ કોરોનાથી પણ થઈ શકે છે.

આવા તેવા ભય કલ્પિત છે છતાં બળવાન છે.

આ ભય સામેની આશાસ્પદ વાતો : કેટલાક જ્ઞાનીઓ આ ભય સામે એક પ્રકારની વિધાયક વિચારધારા રજૂ કરી રહ્યા છે. એક પ્રકારનું પૉઝિટિવિઝમ. એમ કે સરવાળે સૌ સારાં વાનાં થશે. દુનિયાને કોરોના ધરમૂળથી બદલી નાખશે. એક નૂતન જીવનનો આવિષ્કાર થશે. જનસામાન્ય તો એમ જ માને છે કે આ તો પરમેશ્વરની ઇચ્છાનું ફળ છે. એ વિસર્જનહાર છે પણ એ જ છે નવસર્જનકાર. પણ દિનરાત પૉઝિટિવ કેસો વધી રહ્યા છે, સંખ્યાબંધ મૃત્યુ થઈ રહ્યાં છે, ત્યારે, એવા અતિ વિષમ સમયમાં, આ પૉઝિટિવ વાતો સાચી ભલે છે પણ મારા ગળે નથી ઊતરતી. એને પરમેશ્વરની ઇચ્છા કહેવી હોય તો કહી શકાય પણ એવી શ્રદ્ધાનું સેવન કરવાથી પરિસ્થતિમાં કશો ફર્ક નથી પડતો. એઓશ્રી વડે થનારા નવસર્જનને જાણવાને અને માણવાને હું કે આપણે હોવા જોઈશું ને !

આ ભય સામેની સમીક્ષાત્મક વાતો : કેટલાક જ્ઞાનીઓ વિધાયક વાતોની સામે એક પ્રકારની સમીક્ષાત્મક વાતો કરી રહ્યા છે. એ લોકો દુનિયાભરમાં જે લૉકડાઉન છે તે કેટલો નક્કર છે કે પોલો, એનાં લેખાંજોખાં માંડે છે. મદદો સેવાઓ અને રાહતકાર્યોની સમુપકારકતાની નૉંધ જરૂર લે છે પણ એને જ કારણે જોખમમાં આવી જતા સોશ્યલ ડિસ્ટન્સિન્ગ અંગેની ચિન્તાઓ પણ રજૂ કરે છે. આ વાતો સૌના ગળે ઊતરી શકે એવી છે.

આ ભય સામેની સર્જનાત્મક વાતો : ત્રીજા પ્રકારના લોકો, કેટલાક સાહિત્યકારો છે. તેઓ આ ભય પર પૂરી સર્જકતાથી અને પૂરા અન્તર-મનથી કામ કરતા હોય છે. કલાના ધર્મે કરીને તેઓ આશા શ્રદ્ધા અને વાસ્તવનું સુભગ સંમિશ્રણ કરી તેને એકરૂપ કરી દે છે. એટલે એમનાં સર્જનોમાં ભય અંકિત થાય છે પણ ભયનું રસરૂપ પ્રગટે છે. પરિણામે, આવાં મહાસંકટોનું રસિક અને આશ્વાસક સાહિત્ય સરજાતું હોય છે.

આજે પ્રલય જેવા મહાસંકટને રજૂ કરતાં કેટલાંક સર્જનોની વાત કરું :

જેમ કે, હિન્દુ પુરાણોમાં, પ્રલયની કથા છે. પુરાણો કહે છે કે પ્રલય થાય ત્યારે શું થાય : વિશ્વ જળબંબાકાર થઈ જાય. સજીવોમાં રહેલી ઉર્જા કોઈક સ્થાને એકત્ર થઈ જાય. સૂર્ય ખૂબ તપે ને અતિશય ગરમી પેદા થાય. સ્થળે સ્થળે દાવાનળ પ્રગટે ને પ્રસરે. બધું ભસ્મીભૂત થઈ જાય. સર્વત્ર રાખ રાખ. રાખને વાયુદેવતા એકઠી કરે. પછી જળદેવતા અવિરત વર્ષા વરસાવે. દુનિયા ડૂબી જાય.

પુરાણો દર્શાવે છે કે પ્રલય એક વાર થઈ ચૂક્યો છે અને ભવિષ્યમાં થવાનો છે. કહે છે કે માર્કણ્ડેય ઋષિએ મહાપ્રલય જોયેલો. તેઓ પોતે અમરત્વ પામેલા એટલે બચી ગયેલા. પણ પછી હતા, સાવ એકલા, તે કદાચ એકલતાથી ડરી ગયેલા, ને તેથી બ્રહ્માને એમણે પ્રાર્થના કરેલી કે – તમે મને દર્શન આપો તો સુખ થાય. એક દિવસ, માર્કણ્ડેય એક પીપળ-પાનને તરતું જુએ છે. એ પર પોતાનો અંગૂઠો ચૂસતું બાળક મૉજમાં વિરાજ્યું હોય છે. એ માર્કણ્ડેયને પૂછે છે : કેમ છો બાળક? મજામાં? : બાળક થઈને એક બાળક પોતાને બાળક કહે છે એ વાતે માર્કણ્ડેય મૂંઝાઈ જાય છે. કહે છે : મારું આયુષ્ય લાખ્ખો વર્ષનું છે ને તું મને બાળક ગણે છે ! કોણ છો તું? : બાળક કહે છે : રે ભલા, મેં તો આવા કેટલા ય પ્રલય જોઈ નાખ્યા છે. તારા પિતાને અમર પુત્રનું વરદાન અપાયેલું એટલે તું બચી ગયો છું. હું સ્વયં બાલ-કૃષ્ણ છું. હવે તારે આ માહિતી બીજાઓ આગળ પ્રસરાવવી હોય તો પ્રસરાવજે : તે દિવસથી પ્રલય-કથાના મુખ્ય પ્રસરણકાર માર્કણ્ડેય મનાયા છે.

આ શિલ્પ આરસ-પાઉડર અને રેસિનના મિશ્રણથી બન્યું છે. સૌજન્ય : IndiaMart

જેમ કે, ઓલ્ડ ટેસ્ટામૅન્ટમાં ‘જીનેસિસ’ નામે સંવિભાગ છે. ‘જીનેસિસ’ એટલે અનાદિ મૂળ, પૃથ્વીનો શુભારમ્ભ. એમાં, આદમ અને ઈવની તેમ જ ટાવર ઑફ બાબેલની કથાઓ છે. એમાં, ‘જીનેસિસ ફ્લડ’ની, એટલે કે પહેલી વારના પ્રલયની ‘નોહા’ઝ આર્ક’ નામની કથા પણ છે. ઈશ્વર પૃથ્વીને એના આદિમ જળસ્વરૂપમાં બદલીને એને એક નવ્ય રૂપ આપવા માંગતા’તા, એ આશયથી એમણે પ્રલય કરેલો.

જેમ કે, કુરાનમાં કયામતની – અન્તિમ યાત્રાની – વાત છે. મોહમ્મદ પયગમ્બરે દર્શાવેલું કે કયામતનો દિન નજીક આવશે તેમ તેમ ૭૨ જેટલી વસ્તુઓ થઈ હશે અને નહીં થઈ હોય એ થવા લાગશે.

એમાંની કેટલીક રજૂ કરું : જૂઠ સત્ય ગણાશે : જૂઠું બોલવું કલા ગણાશે : નાની નાની વાતે ખૂનખરાબા થશે : લોકો ધરમને વેચશે : ઊંચાં, બહુ ઊંચાં, મકાનો બનશે : લગ્નભંગ – ડિવૉર્સ – સામાન્ય ગણાશે : વર્ષાને સ્થાને ગરમી પડશે : પાપ વધશે : શાન્તિ વિરલ હશે : સ્ત્રીઓ પુરુષો-સમ દેખાવા પુરુષોની નકલો કરશે : પુરુષો સ્ત્રીઓ-સમ દેખાવા સ્ત્રીઓની નકલો કરશે : જૂઠાણાં શ્રીમન્તો અને રાજશાસકોની જીવનશૈલી હશે : વગેરે

આ બધાં નિરૂપણો એમ જણાવે છે કે આ બધું કશા પરમ તત્ત્વની ઇચ્છામતિથી થાય છે ને તેથી એમાં વિસર્જન પછીના નવસર્જનની આશા પણ ભળી હોય છે. જેમ કે, એ જ પ્રલયંકારી ઈશ્વરે નોહાને, નોહાના પરિવારને તેમ જ ધરતી પરના સર્વ જીવોને બચાવી લીધેલા.

અન્ય સંકટોના સાહિત્ય વિશે હવે પછી.

= = =

(April 4, 2020 : Ahmedabad)

Loading

લૉકડાઉન-અવાજ

ઉમેશ સોલંકી|Opinion - Opinion|4 April 2020

કેટકેટલા અવાજ
ભીતર દૂર પાસ
અવાજ આમ
ન સંભળાય.

તડકાનો અવાજ
કેટલો ધીમો કેટલો ધીર
છાંયડાનો અવાજ
શીતળ, ઘડી-ઘડી થીર.

રાત
ધીરે-ધીરે કાનમાં ઊઘડતી જાય
આંખમાંથી તડકા-છાંયાની માયા ભુસાય
પડખેનું હતું આઘું, લગોલગ થાય
આઘેનું આવી પડખે અડોઅડ થાય
સંભળાય
જે ન કલ્પી શકાય,
ન ધારી શકાય
લાખ યત્નો છતાં ન પામી શકાય
એકની અનેક રીત પરખાય
અનેક, ન એકમેકમાં ભળી જાય.

સંભળાય
ઠકઠક ઠાકઠાક સટસટ સાટસાટ
ચચરાટ
રક્ત વહેતું
રક્તથી બારીક કશુંક બળતું
સાડલાના છેડાથી દાબેલો શ્વાસ
ડરી ગયેલા ડૂમાનો ભેંકાર
આંખથી ગાલ લગી સુકાયેલી ચીસની છાપ
સુકાઈને બરડ થઈ તૂટતી ભૂખનો ખખડાટ
થીગડામાં ગોદડિયા દોરાનો ભાર
ધૂળિયા રસ્તા પર પડતાં ઝાંખાં પગલાંમાં લથડાતો થાક
ટાઢાબોળ શરીરની ભીતર ઘૂસતો ખોતરાટ.

e.mail : umlomjs@gmail.com

Loading

...102030...2,5302,5312,5322,533...2,5402,5502,560...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved