Opinion Magazine
Number of visits: 9575980
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મળતાં મળે એવી સ્વરાજત્રિપુટી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|12 March 2020

ગાંધી-સરદાર-નેહરુ

સરદાર પટેલના જીવન વિશે માઈલસ્ટોન કહેવાય તેવું રાજમોહન ગાંધીલિખિત પુસ્તક ‘સરદાર પટેલ : એક સમર્પિત જીવન’ (પ્રથમ આવૃત્તિ : જુલાઈ ૧૯૯૪) લખાયું ત્યારે સરદારના જીવનઆધારિત નાનાંમોટાં થઈને ચાળીસ જેટલાં જીવનચરિત્ર ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં લખાઈ ચૂક્યાં હતાં. સરદાર વિશે પૂરતું સાહિત્ય ઉપલબ્ધ હોવા છતાં સરદાર પટેલને નવીન પરિપ્રેક્ષ્યમાં રાજમોહન ગાંધીએ મૂકી આપ્યા. પણ સમય બદલાય છે તેમ ઇતિહાસની ઘટના-વ્યક્તિને નવી પરિપાટી પર મૂકી આપવાનો અવકાશ હોય છે; એટલે સરદારના નિર્વાણમાસ[૧૫ ડિસેમ્બર, ૧૯૫૦]માં તેમના વિશે અંક અહીં પ્રસ્તુત કરીએ છીએ.

સરદાર પટેલના જીવનનાં અજાણ્યાં પાસાં તેમના સમકાલીન સાથી મહાદેવભાઈ દેસાઈ અને પ્યારેલાલે મૂકી આપ્યાં છે. ‘ગાંધીજીના સિપાઈ’ લેખમાં ગાંધીજી-સરદારના સંબંધોને આરંભથી અંત સુધી મૂલવીને મૂકવામાં આવ્યા છે. અગ્રલેખમાં સરદાર, નેહરુ અને ગાંધીજીના અરસપરસ સંબંધોનું એક તટસ્થ આલેખન મળી રહે તે હેતુથી તેનો સમાવેશ કર્યો છે.

સરદાર પટેલની વાત આવે ત્યારે નેહરુ, ગાંધીજીનું નામ અચૂક લેવાય છે. આ ત્રિપુટીનો દેશ પર ઊંડો પ્રભાવ રહ્યો છે અને આજે પણ રાજકીય વાતાવરણમાં તેઓનું નામ ગુંજતું રહે છે. આ ત્રણેયના સંબંધમાં અરસપરસ મતભેદ હોવા છતાં એકબીજા પ્રત્યે સન્માન આપવામાં ક્યારે ય ઓટ દેખાઈ નથી. દેશના અત્યંત ઘટનાપ્રચુર અને નાજુક સમયમાં પણ તેઓએ સંવાદ કરીને સંતુલિત નિર્ણયો લીધા છે, તેમાં કેન્દ્રવર્તી ઉદ્દેશ પ્રજાહિતનો છે. દેશનાં આરંભિક વર્ષોમાં મજબૂત નીંવ મૂકનારા આ ત્રણેયના સંબંધો બાબતે કેટલીક ભ્રાંતિ છે. તેનું તટસ્થ આલેખન જૂજ જોવા મળે છે. ગુજરાતમાં જ્યારે આ અંગે ચર્ચા થાય છે, ત્યારે તેમાં નેહરુના પક્ષે મહદંશે ટીકાઓ આવે છે. પરંતુ આ ત્રણેયનો એકમેક સાથેનો મનમેળ-કાર્યમેળ કેવો હતો, તે દર્શાવવાનો પ્રયાસ અહીં વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી પ્રકાશ ન. શાહે અગ્રલેખમાં કર્યો છે.

°°°

ગાંધીનેહરુપટેલ … એક મળતાં મળે એવી સ્વરાજત્રિપુટી! સ્વરાજસંગ્રામ અને સ્વરાજનિર્માણની જોડકડી એમણે એકમેકની વિશેષતા, એકમેકની મર્યાદા અને એકમેકના મતભેદ વચ્ચે સુપેરે સાચવી જાણી. બેઉ અર્થમાં કદ અને કાઠીએ જુદા. વયમાં વળી પિતા, મોટાભાઈ અને નાનાભાઈ સરીખાઃ એક વાણિયો, બીજો બ્રાહ્મણ, ત્રીજો પટેલ. ત્રણે કે’દીના નાતજાતની વંડી ઠેકી ગયેલા, અને નવયુગી નાગરિકતા સારુ મથનારા.

આ જોડકડીને સારુ નાજુકનિર્ણાયક ઘડી ૧૯૪૭માં સ્વરાજની ઉષા વેળાએ સ્વર્ણગૈરિક એટલી જ રક્તિમ પરિસ્થિતિમાં હતી. ઇસ્લામને આધારે પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું ત્યારે મનોવૈજ્ઞાનિક રીતે એના હિંદુ અડધિયા પેઠે રાષ્ટ્રવિચાર શક્ય હતો. વિભાજનની વિભીષિકા અને શોકાન્તિકા વચ્ચે એને સારુ સહજ સ્વીકૃતિ પણ સંભવતી હતી. પણ મહાત્મા, પંડિત અને સરદાર ત્રણેએ પોતપોતાની રીતેભાતે બિનસાંપ્રદાયિક બંધારણનો પથ પ્રશસ્ત કર્યો. એક ધર્મપુરુષ, બીજા બૌદ્ધિક તો ત્રીજા હાડના કિસાન.

મુંબઈના બિરલા હાઉસમાં ગાંધીજી, જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલ

જૂનાગઢની નવાબી કાળધર્મ પામી અને સોમનાથના પુનર્નિર્માણની સહજ લાગણી સામે આવી તે હાડના કિસાને સંકલ્પ રૂપે જાહેર કરી, બૌદ્ધિકે એના પ્રશ્નો અને ઉપયોગિતા બેઉ છેડેથી વલણ પ્રગટ કીધું, કૅબિનેટ એ તરફ આગળ વધી પણ મહાત્માએ કહ્યું કે બિનસાંપ્રદાયિક મુલક કોઈ એક ધર્મસ્થાનની સીધી જવાબદારી લે એ ચીલો દુરસ્ત નથી. કૅબિનેટમાં આપણા કિસાને (સરદારે) આગ્રહ રાખ્યો કે બાપુની સલાહ જોતાં આપણે પબ્લિક ટ્રસ્ટનો રાહ લેવો જોઈએ. ત્રણે એમના મતભેદ સાથે એક બિનસાંપ્રદાયિક એકંદરમતી પર આવી ઠર્યા.

પટેલ અને નહેરુ બેઉ ગાંધીને બાપુ કહેતા. પણ પટેલ અને ગાંધી વચ્ચે વયનું અંતર આખાં છસાત વરસનું હતું. ગાંધી અને જવાહર વચ્ચે ખાસાં વીસ વરસનું અંતર હતું. મૌલાના આઝાદે પાછળના ગાળામાં નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન એવા વલ્લભભાઈને પૂછ્યું પણ હતું કે વડાપ્રધાનપદ માટે તમે કેમ આગ્રહ ન સેવ્યો. પટેલે મૌલાનાને કહ્યું હતું કે આપણે અહમદનગર જેલમાંથી છૂટ્યા — તમે, જવાહર ને હું — ત્યારથી હું તો શરીરે કોરાઈ ગયેલો છું અને ગમે ત્યારે ઢબી પડીશું. મારાથી ૧૪ વરસ નાના જવાહર પાસે એ સ્વાસ્થ્ય અને એ વર્ષો છે જે મારી પાસે નથી.

વલ્લભભાઈ ખરે જ વહેલા ગયા, ૧૯૫૦ના ડિસેમ્બરમાં. રિયાસતોના વિલીનીકરણપૂર્વક પ્રજાસત્તાક બંધારણ સમ્પન્ન કરીને. તે પૂર્વે ઇંદોરમાં એમણે કસ્તૂરબા ટ્રસ્ટના કાર્યક્રમમાં લગભગ છેલ્લાં ભાષણો પૈકી કહી શકાય એવું જે ભાષણ કર્યું એમાં કહ્યું કે બાપુ મને જ્યાં મૂકીને ગયા ત્યાં છું અને જવાબદારી નિભાવું છું. જવાહરલાલ આપણા નેતા છે એવું પણ એ પક્ષનાં વર્તુળોમાં અંદરબહાર તહેદિલ કહેતા. બાપુ સોંપી ગયા તે માત્ર બીજા ક્રમનો હોદ્દો નહોતો — પિતાએ મોટા ભાઈને નાના ભાઈની જે જવાબદારી ભળાવી હતી એ પણ હતી. પિતાની તરફનું ખેંચાણ અને નાના ભાઈ માટેનો વાસ્તવવત્સલ દાયિત્વબોધ! તમે જુઓ તો ખરા જાન્યુઆરી ૧૯૪૮ પછી પોતે એક વાર ગંભીર તબિયતે લગભગ ડેલીએ હાથ દઈ આવ્યા છે. પાછા ફરવાનું થયું ત્યારે દાક્તરજોગ પહેલો જ ઉદ્ગાર છે : હું બાપુ પાસે જતો’તો, ને તમે મને કેમ રોક્યો.

બાપુ પાસે જવું છે, પણ નાના ભાઈની ફિકર ઓછી તો નથી. ભાગલા પછી ચાલુ હિજરતદોર જોતાં નહેરુ-લિયાકત વાતચીત વાટે હલ જરૂરી હતો. લિયાકત, વલ્લભભાઈને મળવા આવ્યા એ વિશે મણિબહેનની ડાયરી બોલે છે  : બાપુએ (પિતા વલ્લભભાઈએ) લિયાકતને કહ્યું કે જવાહર તખતે છે ત્યારે સમાધાન કરી લો ને. (મારી પાસે તો વર્ષો નથી પણ જવાહર પછી જે આવશે તે આટલો શાંતિપ્રિય અને સમજશીલ ન પણ હોય.) આગળ ચાલતાં મણિબહેન ઉમેરે છે : વાત કરતાં કરતાં બાપુ(વલ્લભભાઈ)ની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં — મને થાય છે કે બાપુ(ગાંધીજી)નું થયું એવું તો જવાહરનું નહીં થાય ને — રાતે એની ચિંતામાં ઊંઘ ઊડી જાય છે.

અને હવે જુઓ. સમજૂતી થઈ. બંગાળમાં એ બાબતે અજંપો અને ઉદ્રેક, બલકે રોષની લાગણી પણ છે. મોટો ભાઈ નાનાને કહે છે : તારું કામ નહીં. મારી જે છાપ છે એને જોરે બંગાળને હું સમજાવી શકીશ. અને પોતે બાદલી તબિયતે કોલકાતા પહોંચી સમજૂતીની તરફેણમાં વાતાવરણ બનાવે છે. હાસ્તો, ત્રીસમી જાન્યુઆરીની સાંજે શાસન અને જાહેર જીવનમાંથી બાપુને મળેલ સૌથી છેલ્લા જણ પોતે હતા અને તારે જવાહર સાથે રહેવાનું છે એ બાપુના બોલે વીંધાયા એટલા જ પ્રોવાયા પણ હતા. નાનો ભાઈ વાયકા પ્રમાણે જરી બેકદર જણાતો હશે, પણ એની સમજ પાછી સહૃદય ને સાબૂત છે. સંસદના પરિસરમાં સરદાર વિશે કશુંક લખવાનું છે ને સૌ મૂંઝાય છે ત્યારે વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સોજ્જું શબ્દઝૂમખું સુઝાડે છે — લખો કે ‘એકતાના સ્થપતિ’.

ગમે તેમ પણ, સ્વરાજ સરકારના પ્રખર ટીકાકાર રહેલા લડાકુ સમાજવાદી મધુ લિમયે એક મુદ્દે ગાંધી પર વારી ગયેલ છે. અને તે એ કે આ માણસે જાહેર જીવનમાં પોતાની પછીની પેઢીની ખેવના અને બઢતીને અચ્છી અગ્રતા આપી જાણી. વારુ, કોણ છે આ નેહરુ? પૂછો ક્રાંતિવીર ભગતસિંહને. એમણે લખ્યું છે કે અમારી સામે (નવી, યુવા પેઢી સામે) વારે વારે આવતાં ને ઊભરતાં બે નામ જવાહર અને સુભાષનાં છે. ધારો કે એ બેમાંથી કોઈ ચોક્કસ પસંદગી કરવી હોય તો — રહો, તમે તરત સુભાષબાબુનું નામ લો એ પહેલાં ભગતસિંહને સાંભળો : સુભાષ નહીં પણ જવાહર; કેમ કે સુભાષ જેટલા ભાવાવેશી છે એટલું વિચારનારા નથી. જવાહર ભાવનાપ્રવણ જરૂર છે, પણ આર્થિક-સામાજિક વિચારણમાં અત્યંત સભાન ને સજ્જ છે. તો, ‘વંદે માતરમ્’ના ભાવનાપ્રવણ નારાથી ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ના (આર્થિક-સામાજિક ન્યાય અને સમતાલક્ષી ક્રાંતિ)ના નારા લગી ભગતસિંહ સાથે જે સંક્રાન્તિ થઈ એને બૂજનારા અને સમજનારા પૈકી કૉંગ્રેસ તરુણાઈમાં જવાહર છે.

જરા જુદી રીતે જોઈએ તો સ્વરાજ સાથે નેહરુ – પટેલ સરકારમાં પેઠા અને બેઠા છે. ગાંધી સરકારની બહાર છે, કેમ કે તે ગાંધી છે. ગાંધી લોકમોઝાર છે માટે સ્તો આઝાદીના જશન વેળાએ સુદૂર બંગાળમાં છે. ભાગલા સ્વીકારવાની અનિવાર્યતા વચગાળાની સરકાર દરમ્યાન સ્વાનુભવે સમજાતાં નેહરુપટેલ એક અર્થમાં ગાંધીને બાદ રાખીને આગળ ચાલ્યા છે. પણ બંનેનો પિંડ ગાંધીસંપર્કે બંધાયેલો હોઈ તે નકરા રાજવટીલા નથી પણ લોકમાંહેલા પણ છે.

આ લોકમાંહેલા હોવું તે શી વસ છે, સમજીએ જરી. ગાંધીએ દાંડીકૂચ વાટે નમકનાં જે ડંકાનિશાન વજડાવ્યાં — નાતજાતકોમવરણથી ઉફરાટે — લોકસમસ્તની જીવન જરૂરતનાં, એમાં દેશભક્તિના ગર્જનતર્જનની કે ભારતમાતા જેવાં કોઈ અમૂર્ત ખયાલાતવશ અંધાધૂંધ વર્તનને અવકાશ નહોતો. એમાં નરવાનક્કુર માનવ્યની વાત જરૂર હતી. છેક ૧૯૨૨માં ગુજરાતની પહેલી અંત્યજ પરિષદ મળી ત્યારે અતિથિવિશેષ વલ્લભભાઈએ પરિષદસ્થળે શું જોયું? જેમને સારુ, બલકે જેમની પરિષદ હતી તે વરણ આખી છેવાડે બેઠેલી હતી. વલ્લભભાઈ જેનું નામ, એમણે કથિત મંચ છોડી એમની વચ્ચે પોતાની બેઠક લીધી — અને એ સાથે પરિષદનું કેન્દ્ર ગુણાત્મક રીતે બદલાઈ ગયું. લોકશાહી રાજવટમાં સરદાર એ કોઈ મોરચા પરની અગર તો સરકારી પાયરી પરની ઓળખ હોય તો હોય, ન હોય તો ન હોય; પણ તમે ક્યાં છો, કોની સાથે છો એ તમારી વાસ્તવિક સરદારીનું દ્યોતક છે. ગાંધીસૂચવ્યા નેહરુપટેલ સ્વરાજનિર્માણની દૃષ્ટિએ આંબેડકરને બરકે છે. માઈસાહેબે (ડૉ. શારદા કબીર ઉર્ફે સવિતા આંબેડકરે) સંસ્મરણોમાં લખ્યું છે કે અમારાં લગ્ન પછી અમને કોઈ કૅબિનેટ પ્રધાને સર્વપ્રથમ જમવા બોલાવ્યા હોય તો તે સરદારે!) બારડોલીની લડતને તો હજુ વાર છે, પણ કોઈએ સરદારચરિત્ર લખવું હોય તો તે અંગે ખરેખરની કટ ઑફ લાઇન તમને વલ્લભભાઈના અંત્યજપ્રસંગમાંથી મળી રહે છે. સરદાર હોવું તે માત્ર રાજવટનો ને રાજદ્વારોનો મામલો નથી. લોકશાહીમાં સરદારીનાં મૂળિયાં લોકમોઝાર હોવાં જોઈએ.

જવાહર પણ તમે જુઓ. ૧૯૩૫ના બંધારણ પ્રમાણે પ્રાંતિક સ્વરાજ માટેની ચૂંટણીઝુંબેશ વેળા કોઈ ગામમાં રાતવરત પહોંચ્યા છે. લોક રાહ જોતું બેઠું છે; અને જેવા એ પૂગ્યા, ‘ભારતમાતા કી જય’ સાથે પડ જાગતું અને ગાજતું થઈ ગયેલ છે. જવાહર પૂછે છે, ભાઈ — આ ભારતમાતા શું છે. કોઈ નદીનાળાંનું, હિમાલય ને ગંગાનું નામ લે છે. કોઈ વળી ભૂગોળ આખી ચીતરવા જેવું કરે છે. ‘ભાઈ,’ જવાહર કહે છે, ‘જય તો લોકોની હોય. તમારા ચહેરા પરની મુસ્કાન તે ભારતમાતાનું સ્મિત; ને તમારી આંખમાં આંસુ તે ભારતમાતાનાં આંસુ.’

રાષ્ટ્ર નામની કોઈ અમૂર્ત ને નકરી ભાવાવેશી ખયાલાતથી હટીને મૂર્ત માનવ્યનો આ મહિમા ગાંધીને સેવનારા પંડિત અને કિસાન બેઉને, બૌદ્ધિક અને કર્મઠ બેઉને બરાબર છે અને એ એમની દેશભક્તિને ઝનૂની ચોકઠાની બહાર લોકકેન્દ્રી બનાવી રહે છે. સ્વરાજસંગ્રામ વેળા, એકદા, જવાહર લંડનમાં સભા સંબોધવાના છે ત્યારે એમની ઓળખ ‘હિંદનો અવાજ’ એમ અપાઈ છે. જવાહર બોલવા ઊભા થાય છે ને કહે છે, અવાજ હું હોઈશ, પણ હૃદય તો વર્ધા-(સેવાગ્રામ)માં છે.

જવાહરલાલના આ હૃદયબોલ એમને અને વલ્લભભાઈને મતભેદ છતાં લગભગ એક જ તરંગલંબાઈએ મૂકી આપે છે. એમના મતભેદો પત્રવ્યવહારમાંયે સચવાયા છે. એક પત્રમાં વલ્લભભાઈ લખે છે, ‘તમે આવું કેમ કહ્યું (કે કર્યું), બાપુને એથી કેટલું દુઃખ હશે તે તમે જાણતા નથી. જોયું તમે, મોટો ભાઈને નાના ભાઈ બંધુવત્સલ ઠપકો આપે છે કે બાપુને કેવું દુઃખ તારાથી પહોંચ્યું હશે એનો વિચાર તો કર.

તમે જોયેલો છેલ્લામાં છેલ્લો દીનહીન માણસ, એને કેન્દ્રમાં રાખીને કરવો જોઈતો જે તે નિર્ણય, આ ગાંધીનો મેનિફેસ્ટો. જવાહરલાલના સમાજવાદમાં સામ્યવાદ નહીં પણ લોકશાહી સમાજવાદમાં — ચાલના તો આ જ વિચારની. અને વલ્લભભાઈ ઉદ્યોગપતિઓના મિત્ર ખરા. પણ કેવા મિત્ર? અમદાવાદનું નગરસંચાલન સંભાળ્યું ત્યારે પાણીવેરા લેખે એમની પાસેથી વધુ રકમ વસૂલ કરી; કેમ કે ઘરવપરાશનું પાણી એક વાત છે અને ઔદ્યોગિક વપરાશનું પાણી બીજી વાત છે.

ગાંધીનેહરુપટેલની ચર્ચામાં આપણે ત્યાં, એમને સામસામે મૂકીને વિવાદ અને મુલવણીનો ચાલ છે. પણ, વિશ્લેષણની દૃષ્ટિએ એ ઠીક હોય તો પણ, સમજની રીતે એ ત્રણે ક્યાં ને કેવા એકત્ર મળે છે એ જોવું ઘટે છે. અને ત્યારે સમજાઈ રહે છે કે સ્વરાજનિર્માણના આરંભકાળે મળતાં મળે એવી એક સ્વરાજત્રિપુટી થકી કેવી નસીબવંતી પ્રજા આપણે છીએ.



સૌજન્ય : “नवजीवनનો અક્ષરદેહ”, ડિસેમ્બર 2019; પૃ. 399-402

Loading

જે તોફાનો ૭૨ કલાક પછી રોકી શકાતાં હોય, તે એક કલાકમાં પણ રોકી જ શકાય છે. મહાત્મા ગાંધીએ રોક્યાં હતાં

રાજ ગોસ્વામી|Opinion - Opinion|10 March 2020

કહે છે કે દિલ્હી કેટલી ય વખત ઉજ્જડ કરવામાં આવી અને કેટલી ય વખત ફરીથી વસાવવામાં આવી. દિલ્હીના મશહુર ગઝલકાર ગાલીબના સમકાલીન શાયર મીર તકી મીરને દિલ્હીથી ખૂબ પ્યાર હતો, પણ નાદિરશાહ અને અહેમદ શાહ અબ્દાલીના હાથે ઉજ્જડ થયેલી દિલ્હીમાંથી હિજરત કરીને લખનૌ જતો રહ્યો હતો. ત્યાં આ પરદેશીને જોઇને કોઈકે તેનો અત્તોપત્તો પૂછ્યો, તો મીરે કહ્યું,

દિલ્હી જો એક શહર થા આલમમેં ઈન્તિખાબ
રહતે થે મુંતખાબ હી જહાં રોજગાર કે
ઉસ કો ફલકને લૂંટ કે બરબાદ કર દિયા
હમ રહને વાલે હૈ ઉસી ઉજડે દયાર કે

અર્થાત્‌, દુનિયામાં એક ચુનંદું (ઈન્તિખાબ) શહેર દિલ્હી હતું, જ્યાં સંસાર(રોજગાર)ના ચુનંદા લોકો (મુંતખાબ) રહેતા હતા. તેને તખ્તા(ફલક)એ લૂંટીને બરબાદ કરી નાખ્યું, હું તે ઉજ્જડ પ્રદેશ(દયાર)નો રહેવાસી છું.

૨૦૦ વર્ષ પછી, ભારત-પાકિસ્તાનના વિભાજન પછી દિલ્હીમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં, ત્યારે મહાત્મા ગાંધી ૬ દિવસના ઉપવાસ પર ઊતરી ગયા હતા. ઉપવાસના પહેલા દિવસ પછી, તેમની ડાયરીમાં ૧૩ જાન્યુઆરી, ૧૯૪૮ના પાના પર મહાત્મા લખે છે, “હું આ ઉપવાસ માટે કોઈ કોમને દોષ દેતો નથી. હું માનું છું કે જો હિંદુઓ અને શીખો મુસ્લિમોને દિલ્હીમાંથી તગેડી મુકવા માટે મચ્યા હોય, તો તેઓ ભારત અને ખુદના ધર્મનું અહિત કરી રહ્યા છે. મને આની પીડા છે. દિલ્હી જો ખરેખર શાંત થઇ જાય, તો હું ઉપવાસ છોડીશ. દિલ્હી દેશની રાજધાની છે. દિલ્હીનું પતન ભારત અને પાકિસ્તાનનું પતન કહેવાશે. હું દિલ્હીને મુસ્લિમો માટે સલામત જોવા ઈચ્છું છું. અસલી શાંતિ સ્થપાતાં વાર લાગે, તો ય વાંધો નહીં. એક દિવસ લાગે કે એક મહિનો, પણ હું અધવચ્ચે ઉપવાસ નહીં છોડું. મારું જીવન બચાવવું, એ ઉદેશ્ય ના હોવો જોઈએ. ઉદેશ્ય ભારત અને તેના સન્માનને બચાવવાનો હોવો જોઈએ. મારે યાદ નથી કરાવવી, પણ તાજેતરની ઘટનાઓની જેમ, ભારતનું નીચાજોણું નહીં થાય, ત્યારે જ હું ખુશ થઈશ અને ગૌરવ અનુભવીશ.”

બે અલગ-અલગ કાલખંડમાં, બે અલગ-અલગ સંદર્ભોમાં દિલ્હી ઉજ્જડ થઇ હતી, પણ બે માણસોનીઓ પીડા એક સરખી હતી. ૨૪, ૨૫ અને ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૦ના ૭૨ કલાક માટે દિલ્હી આવી જ રીતે ઘાયલ થઇ, ત્યારે દિલ્હી વતીથી રડવા માટે ન તો કોઈ મીર હતો, ન કોઈ મહાત્મા. ૭૨ કલાકનાં ખોફનાક કોમી દાવાનળમાં ૪૨ લોકોનાં મોત, લાખો રૂપિયાના નુકસાન અને અનેક જિંદગીઓની તબાહી પછી એક જ સવાલ સૌના મોઢે હતો; ના પોલીસ કે ના નેતા, ઇશાન દિલ્હીના ગરીબ, લાચાર અને નિર્દોષ લોકોને બચવવા માટે ૭૨ કલાક સુધી કોઈ કેમ ના આવ્યું?

ભોળા લોકો (ટી.વી. ચેનલો અને નેતાઓએ મગજમાં ફીટ કરેલો) એવો જવાબ આપે છે કે પોલીસ અને સરકાર અમેરિકન રાષ્ટ્રપતિની સરભરામાં વ્યસ્ત હતી, તેનો તોફાનીઓએ ફાયદો ઉઠાવ્યો હતો. આ એક પ્રકારનું બચવાનામું છે. દિલ્હી ભારતની રાજધાની છે, દીવ-દમણ નથી. તેની પોલીસ દીવ-દમણની પોલીસ કરતાં હજાર ઘણી સક્ષમ છે. દિલ્હીની પોલીસ ૨૧મી સદીની છે. જેના આવતાં અને જતાં પહેલાં અમદાવાદ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમનો વિસ્તાર તાળાબંધીમાં આવી જાય, તે અમેરિકન રાષ્ટ્રપતિ દિલ્હીમાં હોય, ત્યારે આખી ઇશાન દિલ્હી ત્રણ દિવસ સુધી ભડકે બળે, તે વાત જ કેટલી અજીબ છે.

જે તોફાનો ૭૨ કલાક પછી રોકી શકાતાં હોય, તે એક કલાકમાં પણ રોકી જ શકાય છે. ઈચ્છા શક્તિનો સવાલ છે. મહાત્મા ગાંધી તો પોલીસ પણ ન હતા, અને આજના નેતાઓની જેમ કમાન્ડોના ઘેરામાં ફરતા ન હતા, છતાં ઈચ્છાશક્તિથી પ્રેરાઈને જ તેમણે એ જ દિલ્હીમાં તોફાનો રોકવાનું બીડું ઉઠાવ્યું હતું, અને એમાં સફળ નીવડ્યા હતા. ભારતમાં આજે કોઈપણ બીમારી આવે છે, ત્યારે આપણે ‘સબ મર્જ કી એક દવા’ ગાંધી તરફ નજર નાખીએ છીએ (ઇશાન દિલ્હીનાં તોફાનો જોઇને સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટેર્રસે કહ્યું પણ ખરું કે મહાત્મા ગાંધીના સાહસને આજે જ ખરી જરૂર છે), તે કોઈ ઔપચારિકતા નહીં, પણ આપણી કમનસીબી છે, કારણ કે આપણી આજે કોઈ એવું સક્ષમ વ્યક્તિત્વ નથી, જે ઈલાજ કરી શકે.

ઈતિહાસકાર રામચન્દ્ર ગુહાએ ગાંધીજીના એ મહાન ઉપવાસનું બયાન આપ્યું છે.

બંગાળમાં કલકત્તાનાં તોફાનો ખાળીને ગાંધીજી ૭મી સપ્ટેમ્બરે દિલ્હી આવ્યા હતા. એ દિલ્હીને સારી રીતે જાણતા હતા. દિલ્હીમાં વિભાજનના જખમ લોહિયાળ ના બને, તે માટે દિલ્હીમાં રહેવું જરૂરી હતું. સરદાર પટેલ તેમને સ્ટેશન પર લેવા ગયા હતા. દિલ્હી શરણાર્થીઓથી ઉભરાતું હતું, અને સરદાર એ ભીડ સામે એકલા પડી રહ્યા હતા. ભીડ પાસે હથિયારો હતાં, અને પલીતી ચંપાયેલો હતો. ગાંધી સાથે ના તો શ્યામા પ્રસાદ મુખર્જી હતા, જેનો અવાજ ઉગ્ર હિંદુઓ સાંભળે કે તો સોહરાવાર્દી જેવો મુસ્લિમ નેતા હતો. કૉન્ગ્રેસના નેતાઓ નવા દેશની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બાબતોમાં વ્યસ્ત હતા.

ગાંધી તેમની પ્રાથના સભાઓમાં શાંતિ માટે અપીલ કરતા હતા, અને દેશમાં તોફાનોથી ભાગીને દિલ્હી આવેલા શરણાર્થીઓ ‘ગાંધી મુર્દાબાદ’ના નારા લગાવતા હતા. આખા દેશમાંથી લોહિયાળ તોફાનોના સમાચાર આવતા હતા. ભારત-પાકિસ્તાન વચ્ચે ૫૫ કરોડ રૂપિયાનો વિવાદ ઘેરો બનતો હતો. દિલ્હીને ઉજ્જડ થઇ બચાવવી જરૂરી હતી. જાન્યુઆરી મહિનામાં, પાકિસ્તાનના ગુજરાત શહેરના સ્ટેશન પર ફ્રન્ટીયર મેલમાં હિંદુ-શીખ પ્રવાસીઓને શાક-ભાજીની જેમ કાપી નાખવામાં આવ્યા. મહાત્મા વ્યથિત થઇ ગયા. ૭૮ વર્ષના મહાત્મા તેમના જ આઝાદ દેશ સામે શું અંદોલન કરે? ૧૨૫ વર્ષ જીવવાની તેમની ઈચ્છા મરી પરવારી હતી.

૧૨ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ મહાત્માએ આમરણ ઉપવાસની જાહેરાત કરી. આઝાદ ભારતમાં મહાત્માના એ પહેલા ઉપવાસ હતા. બિરલા હાઉસ બહાર શીખ શરણાર્થીઓની ભીડે કહ્યું, “ખૂનનો બદલો ખૂનથી … ગાંધીને મરવા દો.” આ સાંભળીને નહેરુ ચિલ્લાયા, “કોણ બોલ્યું આ? પહેલાં મારી લાશ પાડો.” ઉપવાસના બીજા દિવસે ગાંધીજીએ કહ્યું, “જો હિંદુઓનો સંહાર નહીં અટકે, તો દસ ગાંધી ભેગા થઈને પણ મુસ્લિમોને બચાવી નહીં શકે.” ત્રીજા દિવસે પાકિસ્તાનને ૫૫ કરોડ આપવાનો નિર્ણય લેવાયો. ચોથા દિવસે સરકારના પ્રધાનોએ શરણાર્થીઓ માટે તેમના નિવાસ્થાનોના દરવાજા ખોલી નાખ્યા.

મહાત્માની તબિયત હવે બગડતી હતી. કીડની ગડબડ કરતી હતી. પાંચમાં દિવસે, તમામ ધર્મોના લોકોએ દિલ્હીમાં દુકાનો બંધ રાખી. છઠ્ઠા દિવસે, ‘બાપુ ના ખાય, તો અમે પણ નહીં ખાઈએ’ કહીને હોટેલો, ઢાબાઓ અને રેસ્ટોરન્ટના કર્મચારીઓએ પીરસવાનું બંધ કર્યું. શરણાર્થી છાવણીઓમાંથી મહાત્મા પાસે લેખિત સંદેશા આવ્યા. બે લાખ લોકોએ શાંતિ-કરાર કર્યો, જેમાં લખ્યું હતું, “અમે હિંદુ, શીખ, ઈસાઈ અને અન્ય નાગરિકો જાહેર કરીએ છીએ કે ભારતના મુસ્લિમ નાગરિકો અમારી જેમ જ દિલ્હીમાં શાંતિ, સુરક્ષા અને સન્માનથી રહેવા માટે મુક્ત છે.”

મહાત્માએ ઉપવાસ છોડવાનો નિર્ણય કરીને કહ્યું, “જો દિલ્હી સ્વસ્થ થઇ જાય, તો હું પાકિસ્તાન જઈશ.” ૧૮મી તારીખે, હિદુ, મુસ્લિમ અને શીખ નેતાઓ રાજેન્દ્ર પ્રસાદના ઘરે ભેગા થયા અને ગાંધીજીની શરતો માન્ય રાખી. રૂમમાં ‘ગાંધીજી કી જય’નો નારો ગુંજ્યો, નહેરુના ચહેરા પર સ્મિત આવ્યું. બહાર, દિલ્હીમાં ખુશી ફેલાઈ ગઈ. દિલ્હીને કોમી પાગલપનમાંથી બચવવાના મહાત્માનો પ્રયાસ સફળ થયો હતો. વરસતા વરસાદમાં હજારો લોકો બિરલા હાઉસ પર ભેગા થઇ ગયા.

૧૯૧૩થી શરૂ કરીને મહાત્માનો આ ૧૭મો ઉપવાસ હતો. ૧૬મી તારીખે મહાત્માએ તેમના એક અનુયાયીને લખ્યું હતું કે આ તેમનો ‘મહાન ઉપવાસ’ હતો. એ છેલ્લો પણ ઉપવાસ હતો. ૩૦મી જાન્યુઆરીએ, શાંતિના આ ઉપાસકનું, એ જ દિલ્હીમાં હિંસક મોત થઇ ગયું. મહાત્માએ મીર તકી મીરના દિલ્હીને ફરી એકવાર ઉજ્જડ થતી બચાવી હતી. આ ૨૦૦ વર્ષ જૂની વાત નથી. ૧૯૪૮ની વાત છે. સમજી શકાય, તેટલી નજીકની વાત છે. જો સમજવું હોય તો.

પ્રગટ : ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 08 માર્ચ 2020

Loading

‘માટી’ : નવો ચીલો ચાતરતા ઉમેશ સોલંકી

રઘુવીર ચૌધરી|Opinion - Literature|9 March 2020

'ફેરફાર’, ‘28 પ્રેમકાવ્યો' અને હવે ત્રીજા વર્ષે 'માટી’ આપીને ઉમેશ સોલંકીએ નવો ચીલો ચાતરવાનું વલણ દાખવ્યું છે, સાવ સ્વાભાવિક રીતે.

સમજી-વિચારીને પણ ઉમેશ આવું લખી શકે. પૂરતું ભણેલા છે અને શોધકાર્યમાં સક્રિય છે, પણ એમનું લેખન પાણીના રેલાની જેમ ચાલે છે. પાછળ પુરવઠો હોય તો પાણી આગળ ચાલે, એને એનો ઢાળ મળી જાય. 

'માટી’ પંચોતેર પૃષ્ઠની નાનકડી ચોપડી છે. એમાં નવ રેખાચિત્રો છે. એકબે રચનાઓને બાદ કરતાં આ રેખાચિત્રો આદિવાસી વ્યક્તિઓનાં છે. લેખકે પ્રત્યક્ષ અનુભવ પછી આ રેખાચિત્રો લખ્યાં છે. પોતે ઓશિંગણ હોય એવું જણાવી પુસ્તક આ શબ્દોમાં અર્પણ કર્યું છે. 'ભલે ભણેલી નથી, પણ ગણેલી આદિવાસી બહેનોના બનેલા દેવગઢ બારિયા (દાહોદ) અને ઘોઘંબા (પંચમહાલ) તાલુકામાં આદિવાસી ગામોમાં કાર્યરત ‘દેવગઢ મહિલા સંગઠન'ને અર્પણ.”

આઝાદી પછી ઝીણાભાઈ દરજી, સનત મહેતા, ઇન્દુફુમાર જાની, ભીખુભાઈ વ્યાસ અને દર્શક-લોકભારતીના વિદ્યાર્થીઓએ સગવડ વિનાના સરહદી વિસ્તારોમાં જાગૃતિ અને સંગઠનનું કામ કર્યું છે. મહિલા સંગઠનો પણ રચ્યાં છે. એમણે પોતાની કારકિર્દી ઊભી કરી છે, આરામમાં પડ્યાં નથી, જાગે છે ને જગાડે છે. ઉમેશ સોલંકી મૂળ સાબરકાંઠાના વડાલી ગામના. ગ્રામવિસ્તારનાં નિરીક્ષણો એમના લેખનમાં અગાઉથી છે. અહીં ‘માટી’ સાથે જીવતર જોતરતા અને જોખમ ઉઠાવી સુખે-દુઃખે ટકી રહેતા અદના માણસો માટે સહજ લાગણી વ્યક્ત થઈ છે. કોઈ રેખાચિત્ર લંબાવ્યું નથી, આદિવાસી પાત્રોને અનુરૂપ ભાષા અને રચનારીતિ અપનાવી છે, એમની બોલચાલની લઢણો દાખવી છે. ક્યારેક એમ લાગે કે ધ્વનિમુદ્રિત કરેલું અહીં લિપિમાં ઊતર્યું છે. પહેલું રેખાચિત્ર 'શોભુ’ ('શૉન્તુ') દલિત યુવક્ની વીતકકથા જેવું લાગે. બાકીનાં આઠ મુખ્યત્વે આદિવાસી પરિવારો અને એના મુખ્ય આધાર સ્ત્રીઓની યાતના અને એમાંથી બહાર આવવાનો નિર્દેશ કરે છે. મિત્સ્કાબહેને ‘ગિરાસમાં એક ડુંગરી’નાં રેખાચિત્રોમાં સ્ત્રીઓના યૌન શોષણનું આલેખન ભારપૂર્વક કર્યું છે. અહીં આર્થિક-સામાજિક સ્થિતિનું આલેખન છે. આદિવાસી સમાજના આંતરિક વ્યવહારોનો નિર્દેશ છે. એમાં બુરાઈ છે તો ભલાઈ પણ છે. ઉત્કર્ષમાં મહિલા સંગઠન નિમિત્ત બન્યું હોય તો એનો ઉલ્લેખ પણ છે. લેખકે જોયું અને જાણેલું લખ્યું છે. ‘અંધારું’નો આરંભ જોઈએ.

‘ઢેડી, ઠેસ પહોંચાડતો શબ્દ. ઢેડીબહેન, ઠેસમાં આશ્ચર્યનું ઉમેરણ કરતું નામ. ઢેડીબહેન નાયક, આશ્ચર્યયાં વિચારને દાખલ કરતી જ્ઞાતિ. મન કાઠું કરીને રવીકારીએ, તો આ નામ કોઈ દલિત બહેનનું હોવું જોઈએ, પણ ના, પચીસ વર્ષનાં આદિવાસી બહેનનું નામ ઢેડી, એ પણ સરકારી ચોંપડે નોંધાયેલું. (પૃ. 20)

નવાં જન્મેલાં સંતાનો જીવતાં ન હોય તો આવું તેવું નામ રાખવાની અંધશ્રદ્વા છે. ક્યારેક બાળકનાં કપડાં માગીને પહેરાવવાં તો ક્યારેક અન્ય સ્ત્રીના દૂધનો સહારો લેવા જેવી ઘટનાઓ બનતી હોય છે. ઢેડીબહેનના પતિનું ચાલ્યા જવું, પછી પિયરમાં મા-બાપ સાથે રહેવું, એ વિગતો વર્ણવીને લેખકે એક સહન કરતી નારીનું ચિત્ર આપ્યું છે.

કેટલીક વિગતો ધ્યાન ખેંચે છે. કેટલાં બાળકો ઢોર ચારે છે આ વિસ્તારોમાં? લાલો નથી ભણતો કેમ કે ગોવાળિયો છે.

'દાહોદ અને પંચમહાલ જિલ્લાના આદિવાસી ગ્રામીણ વિસ્તારમાં બકરાં ચરાવતા છોકરાને ગોવાળિયો અને છોકરીને ગોવાળિયણ કહેવામાં આવે છે. સરકારી આંકડા મુજબ ખેતી અને બકરાં ચરાવવાના વ્યવસાયમાં દાહોદ જિલ્લામાં 423 બાળકો જોડાયેલાં છે, પરંતુ વાસ્તવિકતા જરી જુદી છે. અનુભવે જણાયું છે કે આદિવાસી વિસ્તારમાં દરેક ગામમાં ઓછામાં ઓછા પાંચ ગોવાળિયા છે એટલે કે દાહોદ જિલ્લાનાં 696 ગામોમાં 3480 ગોવાળિયા છે.’ (પૃ. ૩7)

‘સૂકી માટી ભીની માટી’નાં નંદાબહેનનું જીવન બે ભાગમાં વહેંચાયેલું છે. ઉત્તર જીવન લીલી માટી જેવું છે. નંદાબહેન અન્ય સ્ત્રીની આગેવાની કરે છે. અરજીની નોંધ લેવા તલાટી તૈયાર નથી. નંદાબહેન સંગઠનના બળે સફળ થાય છે. પછી તલાટી ધમકી આપે છે.

‘બીજા દિવસે નંદાબહેનને તલાટીનો ગ્રામપંચાયતના દરવાજે ભેટો થઈ ગયો. તલાટીએ વખત ઓળખ્યો. વિચાર્યું નંદા એકલી છે. કાલ તો ટોળું હતું એટલે મોં ફાડી ફાડીને બોલતી હતી. આજે ધમકાવીને એની બોલતી બંધ કરી નાખું, ને પોતાનું મોં ફાડ્યું, ‘આંય કેમ આવે લિયો કે રસ્તા ઉપર ગાડી ચડાવીને મારી નાખીશ.’ નંદાબહેન થોડું મલકયાં, કશું બોલ્યાં નહીં. બીજા દિવસે તલાટીએ જે રસ્તા પર ગાડી ચડાવવાની વાત કરી હતી એ રસ્તે જ઼ઈને ઊભાં રહ્યાં. તલાટી ભોંઠા પડી ગયા. ગામમાં પછી નરેગા અંતર્ગત કામ શરૂ થયું. (પૃ.50, માટી)

પ્રકાશન નિર્ધાર પ્રતિબદ્ધ સાહિત્ય મંચનું છે. સરનામું છાપ્યું નથી.

(“દિવ્ય ભાસ્કર”ની 'રસરંગ' પૂર્તિમાં રઘુવીર ચૌધરીનો લેખ, પૃષ્ઠ – 5; 30 જૂન, 2019)

Loading

...102030...2,5172,5182,5192,520...2,5302,5402,550...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved